ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

પ્રવૃત્તિકેન્દ્રો

  • પ્રવૃત્તિકેન્દ્રો
  • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટને ઉપક્રમે નીચે મુજબ પ્રવૃત્તિકેન્દ્રો ચાલે છે :        કાર્યક્રમોની સૂચિ

    (પ્રવૃત્તિની માહિતી માટે પ્રવૃત્તિકેન્દ્રના શીર્ષક ઉપર ક્લિક કરવું.)
  • વિશ્વકોશ રચનાનું કાર્ય
  • ૨ ડિસેમ્બર, ૧૯૮૫ના રોજ ગુજરાતી વિશ્વકોશની રચનાનું કામ શરૂ થયું. ૧૭૦ જેટલા વિષયોની માહિતી ૨૩૦૯૦ જેટલાં અધિકરણોમાં (entries) સમાવી શકાય તે રીતે ૧૦૦૦ પાનાંનો એક એવા ૨૫ ગ્રંથોનું આયોજન કરવામાં આવ્યું. તે પ્રમાણે ૨૪ વર્ષમાં (૧૯૮૫થી ૨૦૦૯ દરમિયાન) એ ૨૫ ગ્રંથો વિવિધ વિષયના વિદ્વાનો અને નિષ્ણાતોના સહકારથી પ્રગટ થઈ શક્યા છે. શરૂઆતમાં દાનવીરોની મદદથી કામ ચાલી શક્યું અને પછી ગુજરાત સરકાર તરફથી અનુદાન મળ્યું, જેને કારણે પુસ્તકોનું સુઘડ પ્રકાશન થઈ શક્યું છે. સમગ્ર પ્રકલ્પનો ખર્ચ આશરે અઢી કરોડ રૂપિયા થયો છે.
    વિશ્વકોશ
  • પૂજ્ય શ્રીમોટા સંશોધનકેન્દ્ર
  • હરિઃ ૐ આશ્રમ સૂરત પ્રેરિત શ્રી મોટા સંશોધનકેન્‍દ્ર પણ કાર્યરત થયું છે. આ કેન્‍દ્રના ઉપક્રમે સંશોધનાત્મક પુસ્‍તકોનું કામ ચાલે છે. હમણાં જ આ કેન્‍દ્ર અંતર્ગત ‘હસ્‍તપ્રતવિજ્ઞાન’ પુસ્‍તક પ્રગટ થયું છે. આ પુસ્‍તકમાં હસ્‍તપ્રત વિશેની ભૂમિકાથી માંડી પાઠ સંપાદનની સમસ્‍યાઓ અંગે માર્ગદર્શન આલેખાયું છે.
    પૂજ્ય શ્રીમોટા સંશોધનશ્રેણી
  • શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ માહિતીકેન્દ્ર
  • શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ ‘માહિતીકેન્‍દ્ર’ દ્વારા કોઈને પણ માહિતી જોઈતી હોય તો મળી શકે છે. રોજ-બ-રોજ બનતી ઘટનાઓની તાત્કાલિક નોંધ આ કેન્દ્રમાં નોંધાઈ જાય છે. અને ગમે તે વ્‍યક્તિને જોઈતી હોય તો તત્કાળ તે માહિતી ઉપલબ્‍ધ થાય છે. ઇન્‍ટરનેટ ઉપરથી પણ માહિતી મેળવીને તે જે-તે વ્‍યક્તિને પૂરી પાડવામાં આવે છે.
    શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ વિદ્યાશ્રેણી
  • શ્રી ભદ્રંકર વિદ્યા-દીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી
  • જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરસ્પર તેમજ સમાજ સાથેનો અનુબંધ રચાય તે ઉદ્દેશથી જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન વિશ્વકોશ ટ્રસ્ટે કર્યું છે. કૉલકાતામાં યોજાયેલા રરમા ગ્રંથના વિમોચનસમયે વ્યાખ્યાનશ્રેણીની અમારી યોજનાનો ઉલ્લેખ થયો, ત્યારે અત્યંત સાહજિક રીતે દીપક નાઇટ્રાઇટ લિ.ના ચૅરમૅન શ્રી સી. કે. મહેતાએ સહયોગ આપવાનો સદ્ભાવ દાખવ્યો એને પરિણામે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન થયું. તેમાં જુદા જુદા વિષયો ઉપર નિષ્ણાતો વ્યાખ્યાનો આપે છે.
    શ્રી ભદ્રંકર વિદ્યા-દીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીના કાર્યક્રમોની સૂચિ
  • માસિક સંપર્કપત્ર 'વિશ્વવિહાર'નું પ્રકાશન
  • વિશ્વકોશની પ્રવૃત્તિનો પરિચય પ્રજાના વિવિધ સ્‍તરના જિજ્ઞાસુઓને સતત થતો રહે તે માટે વિશ્વકોશ ટ્રસ્‍ટે એક સંપર્કપત્ર દર મહિને બહાર પાડવાનું વિચાર્યું તેનો પ્રારંભ ૧૯૯૭ના નવેમ્‍બરમાં થયો, તે સંપર્કપત્રનું નામ ‘વિશ્વરંગ’ હતું ત્યાર પછી ઑકટોબર ૧૯૯૮થી તે ‘વિશ્વવિહાર’ નામે દર મહિને શ્રી કુમારપાળ દેસાઈના તંત્રીપદે પ્રકાશિત થાય છે. તેમાં વિશ્વકોશની પ્રવૃત્તિના વિગતે સમાચાર અપાય છે ઉપરાંત રાજકારણ, અર્થકારણ, વિજ્ઞાન અને શાશ્વત જીવનમૂલ્‍યોને અનુલક્ષી ઘટનાઓ રજૂ થાય છે. કલા, સાહિત્યને પણ તેમાં સમાવવામાં આવે છે. આમ, તે દર મહિને નિયમિત નવી વાચનસામગ્રી પીરસે છે.
    માસિક સંપર્કપત્ર 'વિશ્વવિહાર'
  • લલિતકલાકેન્દ્ર
  • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટ તરફથી સંગીત, નૃત્‍ય અને નાટકને અનુલક્ષીને લલિતકલાકેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવી છે. આમાં જુદા-જુદા કવિઓનાં કાવ્યની પ્રસ્‍તુતિ ઉપરાંત એનાં વિશેની કાર્યશિબિરો યોજવામાં આવે છે. વર્તમાન વિશ્વમાં એક કલા બીજી કલા સાથે ગાઢ સંપર્કમાં આવે છે, ત્‍યારે કલાના પરસ્‍પરના આંતરસંબંધો વિશે પરિસંવાદ યોજવાનો ઉપક્રમ પણ રાખ્‍યો છે. ગુજરાતની કલારસિક પ્રજાને આવું કેન્‍દ્ર સાંપડે તે માટે ગુજરાતી વિશ્વકોશના માનદ સંપાદક ધીરુભાઈ ઠાકર પાસેથી સબળ આર્થિક સહયોગ સાંપડ્યો છે. ૨૦૧૦ના જાન્‍યુઆરીથી આ કલાકેન્‍દ્રના ઉપક્રમે દર મહિને બે કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે. લલિતકલાકેન્‍દ્રના ઉપક્રમે પ્રથમ કાર્યક્રમ શ્રી રમેશ પારેખનાં ગીતો ‘તમને ફૂલ દીધાનું યાદ’ શીર્ષકથી શ્રી અમર ભટ્ટે પ્રસ્તુત કર્યો. કેન્‍દ્રનું ઉદ્ઘાટન જાણીતા સાહિત્‍યકાર પદ્મશ્રી ડૉ. ભોળાભાઈ પટેલે ૨-૧-૨૦૧૦ ના રોજ કર્યું.
    લલિતકલાકેન્દ્ર કાર્યક્રમોની સૂચિ
  • આર્ટ ગેલેરી
  • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ચિત્રકલાને લક્ષમાં રાખીને કલાવીથિકા (આર્ટ ગૅલરી) કરી છે. જેમાં શ્રી મનુ પારેખ, શ્રી અમિત અંબાલાલ, શ્રી હકુ શાહ જેવા નામાંકિત કલાકારોના ચિત્રપ્રદર્શનો યોજાયા છે. આ કલાવીથિકાની એક વિશેષતા એ છે કે સામે જ સભાગૃહ હોવાથી જે ચિત્રકારના ચિત્રો અહીં પ્રસ્તુત કરવામાં આવે છે તેઓ સભાગૃહમાં એમની કેફિયત (પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન) આપે તેવી વિશેષ અનુકૂળતા છે. આ સંદર્ભમાં નીચે પ્રમાણે ચિત્રપ્રદર્શનો થયા છે.
    આર્ટ ગેલેરીમાં થયેલા પ્રદર્શનોની સૂચિ
  • શ્રીમતી વિદ્યાબેન દીપચંદભાઈ ગારડી ગ્રંથાલય
  • શ્રીમતી વિદ્યાબહેન દીપચંદભાઈ ગારડી ગ્રંથાલય ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટમાં આવેલું છે. આ તેનું સંદર્ભ પુસ્‍તકાલય છે. તેમાં ૨૫૦ જેટલા વિવિધ વિષયોના એન્‍સાઇક્લોપીડિયા છે. જુદી જુદી ભાષાઓના શબ્‍દકોશો છે. તેમાં ગુજરાતી ભાષા અને અંગ્રેજીમાં પ્રગટ થતાં સામયિકો પણ વાંચવા મળે છે. સંદર્ભ પુસ્‍તકો ઉપરાંત જુદા જુદા વિષયની સી.ડી. પણ ઉપલબ્‍ધ છે. નવાં નવાં સંદર્ભ પુસ્‍તકો પણ આ ગ્રંથાલયમાં જોવા મળે છે.
    ભારતીય ભાષાઓમાં તૈયાર થયેલા ૮૦ જેટલા વિશ્વકોશો, ૩૦૦ જેટલી ડિક્ષનેરી, ૫૦૦ ચરિત્ર પુસ્તકો અને બીજાં અનેક સંદર્ભ પુસ્તકો આ ગ્રંથાલયમાં છે.
    ગ્રંથાલયશાસ્ત્રના વિદ્વાન શ્રી પી. સી. શાહ સાહેબ દ્વારા અમને આ કાર્ય માટે માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
  • શ્રીમતી હીરાલક્ષ્મી નવનીતભાઈ શાહ ધન્ય ગુર્જરી કેન્દ્ર
  • શ્રીમતી હીરાલક્ષ્‍મી નવનીતભાઈ શાહ પ્રેરિત ધન્‍ય ગુર્જરી કેન્‍દ્ર પણ ચાલે છે. આશાપુરા ગ્રૂપ ઑફ ઇન્‍ડસ્ટ્રીઝના ચૅરમૅન શ્રી નવનીતભાઈ શાહ જાણીતા ઉદ્યોગપતિ હોવાની સાથે-સાથે સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ રસ-રુચિ ધરાવે છે. તેમનાં ધર્મપત્‍નીની સ્મૃતિમાં આ કેન્‍દ્ર સ્‍થાપવામાં આવ્‍યું છે. આ કેન્‍દ્ર અંતર્ગત ગુજરાતનાં વિવિધ પાસાંઓ પર ૬૬ તજજ્ઞોના અદ્યતન માહિતી આપતા લેખોનો સંચય પ્રગટ કરતું ‘ગુજરાત’ વિશેનું દળદાર સચિત્ર પુસ્‍તક પ્રગટ થયું છે. તે પુસ્‍તક અંગ્રેજીમાં પણ ઉપલબ્‍ધ હોય તેવી માંગ વધતાં તેને ‘Gujarat’ શીર્ષકથી અંગ્રેજીમાં પણ પ્રગટ કર્યું છે.
  • શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ
  • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં જ ૧૭૦ જેટલી બેઠકો ધરાવતું શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ છે, જે સંપૂર્ણ વાતાનુકૂલિત છે. સભાગૃહમાં સંગીત, વ્‍યાખ્‍યાન, પરિસંવાદ, નાટક જેવા વિવિધ કાર્યક્રમો થાય છે. આ સભાગૃહ શહેરની મધ્યમાં આવેલું છે. અત્યાર સુધીમાં બીજી અનેક સંસ્‍થાઓએ પણ અહીં પોતાના કાર્યક્રમો રજૂ કર્યા છે. વળી આ સભાગૃહ અદ્યતન દૃશ્યશ્રાવ્‍યની સુવિધા પણ ધરાવે છે. અનેક લોકો-ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ ભવનની મુલાકાતે આવે છે. સભાગૃહમાં દર મહિનાના ત્રીજા અને ચોથા બુધવારે સાંજે ૫ વાગ્‍યે જ્ઞાન-વિજ્ઞાન વ્‍યાખ્‍યાનશ્રેણીને ઉપક્રમે વ્યાખ્યાન યોજવામાં આવે છે. ૨૦૦૬થી આ પ્રવૃત્તિ ચાલે છે. તેમાં ગુજરાતની વિવિધ ક્ષેત્રની જાણીતી વ્‍યક્તિઓને વિશ્વકોશ ટ્રસ્ટ વ્‍યાખ્‍યાન આપવા માટે નિમંત્રણ પાઠવે છે. આમ અનેકવિધ સાહિત્યિક અને સાં‍સ્‍કૃતિક પ્રવૃત્તિથી આ સભાગૃહ પણ ધમધમતું રહે છે.
  • સ્વાસ્થ્ય યોગશ્રેણી
  • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની એક નવી પ્રવૃત્તિ સ્વાસ્થ્ય યોગશ્રેણીની છે. સમાજસેવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી આ શ્રેણીના અન્વયે સ્વાસ્થ્યોપયોગી વ્યાખ્યાનો અને પુસ્તકો પ્રસિદ્ધ કરવાનો આશય છે. આ સંદર્ભમાં નીચે પ્રમાણે વ્યાખ્યાનો યોજાયા છે.
    સ્વાસ્થ્ય યોગશ્રેણીના વ્યાખ્યાનોની સૂચિ
  • જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા
  • પ્રિ. આર. એલ. સંઘવીના આર્થિક સહયોગથી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળાનો આરંભ કરવામાં આવ્યો (પ્રથમ વર્ષ ૨૦૧૫). જે પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન યોજવામાં આવે છે.
    જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા વ્યાખ્યાનોની સૂચિ
  • બાળ-કિશોર સાહિત્યકેન્દ્ર
  • ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર તેમ જ માતૃભાષાના ચાહક શ્રી ધીરુબહેન પટેલના આર્થિક સહયોગથી આ કેન્દ્રની શરૂઆત થઈ છે. આ કેન્દ્રના ઉપક્રમે પુસ્તક પ્રકાશન, બાળ એકાંકી સ્પર્ધા, બાળ-ગીતોની સ્પર્ધા, વેશભૂષા, વાર્તા સ્પર્ધા જેવાં વિવિધ કાર્યક્રમોના આયોજન થાય છે.
    બાળ-કિશોર સાહિત્યકેન્દ્ર : પ્રકાશન | બાળ-કિશોર સાહિત્યકેન્દ્ર : કાર્યક્રમો