ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવૉર્ડ 

જાણીતા ચિત્રકાર શ્રી વાસુદેવન અક્કિતમને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે. 20 જૂન 2026, શનિવાર, સાંજના 5-30

15 June 2026

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

AI શિક્ષક નથી પણ શક્તિશાળી સાધન છે, પરંતુ AI વધુ નિર્ભરતા વિચારવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ઘટાડે છે. યોગ્ય માર્ગદર્શન સાથે AI શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે છે અને ભવિષ્યના શિક્ષણમાં સર્જનાત્મકતા, ક્રિટિકલ થિંકિંગ અને સહકાર જેવી માનવીય બાબતોમાં AI વધુ મહત્ત્વપૂર્ણ બની શકે. વિષય : AI  અને શિક્ષણ વક્તા : શ્રી અર્પણ યાજ્ઞિક 13 જૂન, […]

08 June 2026

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાનશ્રેણી 

AI પદ્ધતિઓમાં ભૂલ થયા પછી જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બને છે. `જવાબદાર AI’ `શું આપણે આ બનાવી શકીએ ?’ની જગ્યાએ `આ બનાવવું જોઈએ ? કોના માટે ? ક્યા સંજોગોમાં ?’ અને કઈ સુરક્ષાઓ સાથે ?’ તે નૈતિક વિચારને AIની દરેક અવસ્થામાં દાખલ કરે છે. આ વ્યાખ્યાનમાં જવાબદાર AI અંગે સરળ સમજણ, તેના મૂળભૂત સિદ્ધાંતો અને તેની ઉપયોગિતા વિશે […]

08 June 2026

વાચન સમૃદ્ધિ

માનવતાનું કારખાનું

સાપેક્ષતા સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન(જ. ઈ. 1879 – અ. ઈ. 1955)ને મળવા માટે એમના એક મિત્ર આવ્યા. ઘણા લાંબા સમય સુધી જુદા જુદા વિષય પર ચર્ચા કર્યા પછી એમના મિત્રએ કહ્યું, ‘આજે વિજ્ઞાને એક એકથી ચડિયાતાં સુખ-સુવિધાનાં સાધનો બનાવવામાં અપૂર્વ સફળતા મેળવી છે. આંખના પલકારામાં ઘણું લાંબું અંતર પસાર થઈ શકે છે અને થોડી જ ક્ષણોમાં આપણી સઘળી જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે, તેમ છતાં કોણ જાણે કેમ સમાજમાં અશાંતિ, અસંતોષ, કલહ અને દુર્વૃત્તિઓ અગાઉ કરતાં અત્યારે વધુ ફેલાઈ ગયેલી જોવા મળે છે. અપાર સુખ-સુવિધા મળતાં માનવીએ પ્રસન્ન રહેવું જોઈએ અને છતાંય એના મનને કેમ ક્યાંય શાંતિ કે સંતોષ નથી ? આનું કારણ શું ?’ મિત્રની વાત અને વેદના સાંભળીને આઇન્સ્ટાઇને કહ્યું, ‘મિત્ર ! આપણે શરીરને સુખ અને સુવિધા પહોંચાડનારાં અનેક પ્રકારનાં સાધનો શોધવામાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરી છે; પરંતુ જીવનમાં સાચાં સુખ-શાંતિ તો આંતરિક આનંદથી પ્રાપ્ત થાય છે. શું આપણે માનવતાની એવી કોઈ ઇન્ડસ્ટ્રી કરી છે ખરી કે જ્યાં લોકોની અંદર મરી રહેલી સંવેદનાઓને જીવિત કરી શકીએ ? એમના હૃદયમાં ત્યાગ, મમતા, કરુણા, પ્રેમ આદિને ઉત્પન્ન કરી શકીએ ? શું આપણી પાસે માનવીના મન અને મસ્તિષ્કને આનંદ આપી શકે એવાં સાધનોનું નિર્માણ કરતું કારખાનું છે ખરું ?’ આઇન્સ્ટાઇનની વાત સાંભળીને એમના મિત્ર વિમાસણમાં ડૂબી ગયા. થોડો સમય વિચાર્યા બાદ એમણે આ મહાન વિજ્ઞાની સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતાં કહ્યું, ‘આપ એ તો કહો કે માનવતાના કારખાનાનું નિર્માણ કઈ રીતે સંભવિત થાય ? માનવીય ભાવનાઓ તો માનવમાં જીવતી હોય છે, મશીનની અંદર નહીં.’ આ સાંભળીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘વાહ રે દોસ્ત ! તમે તદ્દન સાચી વાત કરી. અશાંતિ કે અસંતોષ દૂર કરવા માટે આપણે લોકોમાં માનવતાની ભાવના જાગૃત કરવા માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ભૌતિક સાધનોથી ક્યારેય સુખ-શાંતિ મળી શકતી નથી.’ કુમારપાળ દેસાઈ

લેખ

પ્રસંગમાધુરી

સી. કે. નાગરાજ રાવ

જ. 12 જૂન, 1915 અ. 10 એપ્રિલ, 1998 ચલ્લાકેરે કૃષ્ણમૂર્તિ રાવ નાગરાજ રાવનો જન્મ ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરેમાં સી. એસ. કૃષ્ણમૂર્તિ રાવ અને શ્રીમતી પુટ્ટમ્માને ત્યાં થયો હતો. તેઓ લેખક, નાટ્યકાર, રંગમંચ કલાકાર, દિગ્દર્શક, પત્રકાર અને સામાજિક કાર્યકર હતા. તેમણે કન્નડ ભાષામાં સાહિત્ય પીરસ્યું હતું. તેમનું બાળપણ ભારતનાં વિવિધ શહેરોમાં વીત્યું હતું. તેમને કર્ણાટકના સમૃદ્ધ કલા અને સાંસ્કૃતિક વારસામાં ઊંડો રસ હતો. ગાંધીજી સાથેની મુલાકાતે તેમનામાં ભારતની સ્વતંત્રતા અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે ભક્તિ જગાવી હતી. તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત તેમની એક દલિત સંગીતપ્રેમી વિશેની તેમની ટૂંકી વાર્તા ‘કાડુમલ્લિગે’ માટે શાળા સ્પર્ધા જીતી ત્યારથી થઈ. ત્યારબાદ તેમણે કન્નડ પુસ્તકપ્રિન્ટર અને પ્રકાશક સત્યશોધન પુસ્તક ભંડાર સાથે કામ કર્યું. તેમના કાકા શ્રીનિવાસ રાવના માર્ગદર્શન હેઠળ તેમને કર્ણાટકના અગ્રણી લેખકો અને સાહિત્યકારો સાથે ભળવાની તક મળી હતી. તેમણે કન્નડ સાહિત્ય પરિષદના સચિવ તરીકે પણ જવાબદારીઓ સંભાળી હતી. સી. કે. નાગરાજ રાવના વ્યાપક સંશોધનને કારણે તેમણે ઘણા સંશોધનપત્રો પ્રકાશિત કર્યા હતા. તેમના સંશોધનપુસ્તક ‘કવિ લક્ષ્મીશાન કલા મટ્ટુ સ્થલા’ને કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ચાલુક્ય, ગંગા અને હોયસાલા રાજવંશો પર પણ ઘણા સંશોધનપત્રો લખ્યા હતા. જે જર્નલો અને અખબારોમાં પ્રકાશિત થયા હતા. 1983માં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેમની મહાન કૃતિ ‘પટ્ટમહાદેવી શાંતલાદેવી’ને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ જ કૃતિને 1978માં કર્ણાટક સાહિત્ય અકાદમી દ્વારા ‘શ્રેષ્ઠ સર્જનાત્મક સાહિત્યિક કૃતિ’ પુરસ્કાર મળ્યો હતો. તેમણે બૅંગાલુરુમાં યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામનું પોતાનું મંડળ બનાવ્યું હતું. તેમણે ટી. પી. કૈલાસમ્, કપ્પલી વેંકટપ્પાગૌડા પુટ્ટપ્પા અને અન્ય જાણીતા કન્નડ નાટ્યકારોનાં નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. તેઓ તેમના સમયના શ્રેષ્ઠ મેક-અપ કલાકારોમાંના એક તરીકે ઓળખાયા હતા. તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો, બૅંગાલુરુ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ મિથિક સોસાયટી સાથે પણ જોડાયેલા હતા. તેમણે કર્ણાટક લેખકાર સંઘની સ્થાપના કરી હતી અને ‘કાવ્યરામ’ નામના માસિક સાથે કામ કર્યું હતું. તેઓ લેખકોના વિશ્વવ્યાપી સંગઠન પી. ઈ. એન.ના સભ્ય હતા. અમલા પરીખ

લેખ

વ્યક્તિ વિશેષ

આર્યસમાજ

વેદોની સર્વોપરીતામાં અતૂટ શ્રદ્ધા રાખતી, ધાર્મિક-સામાજિક સુધારણાની પ્રવૃત્તિ કરતી સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ સંસ્થા. ૧૯મી સદીમાં ભારતીય સમાજમાંથી કેટલીક બદીઓ દૂર કરવા બે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ. તેમાંની કેટલીક પશ્ચિમની સંસ્કૃતિથી તો કેટલીક ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી. દયાનંદ સરસ્વતીએ પોતાના ગુરુ વિરજાનંદના આદેશ મુજબ હિંદુ ધર્મમાં પ્રવેશેલાં અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવવા ૧૦ એપ્રિલ, ૧૮૭૫માં મુંબઈમાં આ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોને પુનર્જીવિત કરવાનો હેતુ હતો. થોડાં વર્ષ બાદ લાહોરને તેનું વડું મથક બનાવેલું. દયાનંદ સરસ્વતી એક ઈશ્વરમાં માનતા; પરંતુ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેઓ ગૌરક્ષા અને ગૌવધ પ્રતિબંધની તરફેણમાં હતા. આર્યસમાજના મુખ્ય ગ્રંથ ‘સત્યાર્થપ્રકાશ’માં દયાનંદે આર્યસમાજના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. તેમના મતે વેદોનું અધ્યયન જ સાચું અધ્યયન છે અને વૈદિક ધર્મ બધા માટે મુક્ત હોવો જોઈએ. ‘વેદ તરફ પાછા વળો’ એ તેમનું સૂત્ર હતું. આ સંસ્થાનો મુખ્ય આદર્શ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ ભારતનું પુનરુત્થાન કરીને એકતા સાધવાનો હતો. આર્યસમાજની કદાચ સૌથી વધુ નોંધપાત્ર સેવાઓ સામાજિક સુધારણા અને શિક્ષણનો ફેલાવો કરવામાં રહેલી છે. અસ્પૃશ્યતા અને જ્ઞાતિબંધનોનું નિવારણ, બાળલગ્નનિષેધ, વિધવા-પુનર્લગ્ન, સ્ત્રી-શિક્ષણ, દુષ્કાળરાહત જેવાં ક્ષેત્રોમાં તેમની સેવાઓ ગણનાપાત્ર રહી છે. આ સંસ્થાએ ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક સ્થળે શાળા, કૉલેજ, ગુરુકુળ-પાઠશાળા, વિધવાશ્રમ, અનાથાશ્રમ વગેરેની સ્થાપના કરી. આમાંનું કાંગડીનું ગુરુકુળ ખૂબ જાણીતું છે. ભારત બહાર પણ આ સંસ્થાની પ્રવૃત્તિ વિસ્તરી હતી. તેમાં બ્રહ્મદેશ, થાઇલૅન્ડ, મલેશિયા, ત્રિનિદાદ તથા આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેમણે કરેલ પ્રવૃત્તિ વિશેષ ઉલ્લેખનીય છે. આર્યસમાજની ચળવળે હિંદુઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જગાડેલાં. જે હિંદુઓએ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોય કે તેમને સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હોય તેવાઓને હિંદુ ધર્મમાં પાછા લાવવાની ‘શુદ્ધિ’-ચળવળ એ આર્યસમાજની વિશિષ્ટ કામગીરી રહી છે. આર્યસમાજની ચળવળનાં મૂળ પંજાબમાં અને ઉત્તરપ્રદેશમાં વધુ ઊંડાં ગયાં. આર્યસમાજ રાષ્ટ્રીય લડતમાં હંમેશાં મોખરે રહ્યો. સ્વામી શ્રદ્ધાનંદ, લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ તેમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. શ્રદ્ધા ત્રિવેદી ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

પ્રાણલાલ દેવકરણ નાનજી 

જ. 11 જૂન, 1894 અ. 22 જુલાઈ, 1956 જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા પ્રાણલાલ નાનજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના પરિવાર દ્વારા દેવકરણ નાનજી બૅન્કિંગ કંપનીની સ્થાપના 26 મે, 1938ના રોજ કરવામાં આવી, જે ડિસેમ્બર, 1939થી ‘દેના બૅન્ક’ તરીકે જાણીતી બની. 1 એપ્રિલ, 2019થી દેના બૅન્કને બૅન્ક ઑફ બરોડામાં સમાવવામાં આવી. તેમના નેતૃત્વ હેઠળ 1946માં ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. તેમણે 1944-45 અને 1952-53માં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ તરીકે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. તેઓ સારા ફોટોગ્રાફર હતા. 1941-42 દરમિયાન તેઓ ફોટોગ્રાફિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાના પ્રમુખપદે રહ્યા હતા. સ્વદેશી ચળવળને વેગ આપવા તેમણે સ્વદેશી લીગ ટ્રસ્ટની સ્થાપના કરી. તેમને પોરબંદર રાજ્યના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય વિદ્યાભવનની શૈક્ષણિક સંસ્થાઓના સહસ્થાપક હતા. તેમણે કરેલાં કાર્યો બદલ પોરબંદર રાજ્ય દ્વારા રાજભૂષણ પદવીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિટિશ ઇન્ડિયન ગવર્નમેન્ટ દ્વારા તેમને બૉમ્બે સિટી માટે જસ્ટિસ ઑવ્ ધ પીસ અને માનદ પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા. 1977માં ભારતીય વિદ્યાભવનની ધ ભવન્સ કૉલેજ ઑવ્ કૉમ્યુનિકેશન ઍન્ડ મૅનેજમેન્ટનું નામ ‘ભવન્સ પ્રાણલાલ દેવકરણ નાનજી કૉલેજ ઑવ્ માસ કૉમ્યુનિકેશન’ કરવામાં આવ્યું છે. તેમની યાદમાં ‘પ્રાણલાલ દેવકરણ નાનજી પુરસ્કાર’ આપવામાં આવે છે. અનિલ રાવલ

લેખ

વ્યક્તિ વિશેષ

દિબ્રુગઢ

અસામ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો. તે 3,381 ચોકિમી. વિસ્તારને આવરે છે. જિલ્લાની ઉત્તર-પશ્ચિમ સીમા પર વહેતી બ્રહ્મપુત્ર નદીને લોહિત, દિબ્રુ અને બુઢી દિહિંગ નદીઓ મળે છે. આ નદીઓના કાંપથી આ જિલ્લામાં મેદાનોની રચના થઈ છે. આ મેદાનો આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ડુંગરાળ ટેકરીઓ પર જંગલો છવાયેલાં છે. મેદાનોમાં ડાંગર, શેરડી, તેલીબિયાં અને બટાટા જેવા પાકોની અને ડુંગરાળ ઢોળાવો પર ચાની ખેતી થાય છે. દિબ્રુગઢ નગર બ્રહ્મપુત્ર નદીના ઉપલા ખીણપ્રદેશમાં બ્રહ્મપુત્ર અને દિબ્રુ નદીના સંગમ પર વસેલું છે. સમુદ્રસપાટીથી તે આશરે 105 મીટરની ઊંચાઈએ લગભગ 27° 29´ ઉ. અ. અને 94° 54´ પૂ. રે. પર આવેલું છે. નદીકાંઠે આવેલું હોવાથી તેને બ્રહ્મપુત્ર નદીના જળમાર્ગની સુવિધાઓ મળેલી છે. આસામનાં મહત્ત્વનાં વ્યાપારી કેન્દ્રોમાં તેની ગણના થાય છે. અહીંથી જળમાર્ગે ચોખા અને ચાની નિકાસ થાય છે. જિલ્લાની અને શહેરની વસ્તી આશરે 15.10 લાખ અને 2.0 લાખ જેટલી છે (2026). દિબ્રુગઢ નગરનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. હોય છે. વળી ત્યાંના વાર્ષિક વરસાદનું પ્રમાણ 2,759 મિમી. જેટલું રહે છે. શહેરમાં ચા-પ્રોસેસિંગ, લોખંડ અને પોલાદની ચીજવસ્તુઓ, ઍલ્યુમિનિયમનાં વાસણો, સાઇકલના છૂટા ભાગ, સિગારેટ તથા ચાના બગીચાને ઉપયોગી ઓજારો બનાવવાને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસી છે. ઉપરાંત અહીં ચોખા અને ખાદ્યતેલનો મિલ-ઉદ્યોગ ઉપરાંત કુટિર-ઉદ્યોગો છે. દિબ્રુગઢ યુનિવર્સિટી(1965)નું તે મુખ્ય મથક છે. આસામની તબીબી કૉલેજ, કૃષિ-વિદ્યાપીઠ તેમજ વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય-કૉલેજો તેની સાથે સંલગ્ન છે. તે રાજ્યના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. રેલ અને રાષ્ટ્રીય ધોરી માર્ગો છે. બ્રહ્મપુત્ર નદીને સમાંતર ધોરી માર્ગ આ નગરમાંથી પસાર થાય છે. ‘મોહનબારી’ નામે ઓળખાતું હવાઈ મથક ત્યાં આવેલું છે. તે ભૂમિમાર્ગે તથા હવાઈ માર્ગે આસામનાં ગુવાહાટી અને દીમાપુર તથા પશ્ચિમ બંગાળના કૉલકાતા તથા દેશનાં અન્ય નગરો સાથે સંકળાયેલું છે. બીજલ પરમાર (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દિબ્રુગઢ, […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

પોનકા કનકમ્મા

જ.  10 જૂન, 1892 અ. 15 સપ્ટેમ્બર, 1963 સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતાસેનાની પોનકા કનકમ્માનો જન્મ નેલ્લોરમાં થયો હતો. તેમનું જીવન દૃઢતા, સંકલ્પ અને ન્યાયની અતૂટ શોધનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તેઓ એક સમૃદ્ધ જમીનદારનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન ફક્ત આઠ વર્ષની વયે તેમના મામા સુબ્બારાવ રેડ્ડી સાથે કરવામાં આવ્યાં. પતિ રૂઢિવાદી હોવાને કારણે શાળામાં જઈ અભ્યાસ કરવાની અનુમતિ ન મળી. આથી કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરી ન શક્યાં, પરંતુ અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતાં કનકમ્મા જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા ધરાવતાં હોવાથી જાતે જ સ્વશિક્ષિત બન્યાં. તેઓ તેલુગુ, હિંદી અને સંસ્કૃત ભાષામાં પારંગત બન્યાં. 1916થી 1919 સુધી થોડો સમય ક્રાંતિકારી રાજનીતિના પ્રભાવમાં રહ્યાં. ત્યારબાદ ગાંધીજીનાં અનુયાયી બન્યાં. તેમણે પેન્ના નદીને કિનારે નેલ્લોરથી લગભગ 8 માઈલ દૂર પલ્લીપાડુ ગામમાં 13 એકર જમીન ખરીદી અને તેમના ક્રાંતિકારી મિત્રોને હથિયાર છુપાવવા તથા અન્ય પ્રવૃત્તિઓ માટે સોંપી દીધી. તેમણે સ્થાપેલા પિનાકિની સત્યાગ્રહ આશ્રમનું ગાંધીજીએ 7 એપ્રિલ, 1921માં ઉદ્ઘાટન કર્યું હતું. કનકમ્માએ વંદે માતરમ્ આંદોલન, અસહયોગ આંદોલન તથા મીઠાના સત્યાગ્રહમાં સક્રિય ભાગ લીધો હતો. તે માટે તેમણે બે વર્ષ કઠોર કારાવાસ ભોગવ્યો હતો. 1923માં તેમણે કન્યાઓ માટે ‘કસ્તૂરી વિદ્યાલયમ્’ની સ્થાપના કરી. નેલ્લોર પાસે પોટલાપુડી ગામમાં ‘સુજના રંજની સમાજમ્’ અને ‘વિવેકાનંદ ગ્રંથાલય’ની સ્થાપના કરી. તેમણે હરિજનો અને ગરીબોના ઉત્કર્ષ માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. તેઓ નેલ્લોર કૉંગ્રેસ કમિટીનાં પ્રથમ અધ્યક્ષ હતાં. તેઓ એક કવયિત્રી પણ હતાં. તેમણે રમણ મહર્ષિ પર કેટલીક દાર્શનિક કવિતાઓ લખી છે. તેમણે ભગવદ્ગીતાનો સાર તેલુગુમાં ‘જ્ઞાન નેત્રમ્’ નામે અનુવાદિત કર્યો હતો. તેમણે તેલુગુ સાપ્તાહિક પત્રિકા ‘જમીન રાયતુ’ પ્રકાશિત કરી હતી. તેમણે સામાજિક માપદંડોને પડકારીને સમાજના કલ્યાણ તથા ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ માટે તેમને ગૃહલક્ષ્મી સ્વર્ણકંકનમ્ જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શુભ્રા દેસાઈ

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો