Categories
પ્રવૃત્તિકેન્દ્રો

પ્રવૃત્તિકેન્દ્રો

લલિતકલાકેન્દ્ર અને કલાવીથિકા (આર્ટ ગૅલરી)

ધીરુભાઈ ઠાકરની એવી ઇચ્છા હતી કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગુજરાતની અસ્મિતાને પ્રગટ કરતું એક સંસ્કૃતિકેન્દ્ર બને. તેના માટે એમના આર્થિક સહયોગથી લલિતકલાકેન્દ્રની સ્થાપના 2 જાન્યુઆરી, 2010ના રોજ થઈ. જેનું ઉદઘાટન જાણીતા સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલે કર્યું હતું અને ગુજરાતના જાણીતા સ્વરકાર અને સંગીતકાર શ્રી અમર ભટ્ટે કવિશ્રી રમેશ પારેખનાં કાવ્યોની સંગીતમય રજૂઆત કરી હતી. આ કેન્દ્ર અંતર્ગત સુગમસંગીત, શાસ્ત્રીયસંગીત, નૃત્ય, નાટક, ચિત્ર, ફિલ્મ અને ફોટોગ્રાફીને લગતા કાર્યક્રમો નિયમિત થતા રહ્યા છે.

લલિતકલાકેન્દ્ર અંતર્ગત કુમુદિની લાખિયા, સ્મિતા શાસ્ત્રી, સુપ્રભા મિશ્રા, ઉમા અનંતાણી, શિવાંગી વિક્રમ જેવાં નૃત્યકારોએ નૃત્ય પ્રસ્તુતિ કરી છે. ભરતનાટ્યમની ત્રણ દિવસની શિબિરનું આયોજન કર્યું હતું તેમાં મુંબઈના વૈભવ આરેકર ઉપસ્થિત રહ્યા હતા.

સુગમસંગીત માટે અમને શ્રી અમરભાઈ ભટ્ટનો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો છે. રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, મકરન્દ દવે, ઉમાશંકર જોશી, ચંદ્રકાન્ત શેઠ, સુરેશ દલાલ, રાજેન્દ્ર શુક્લ, અમૃત ઘાયલ, હરીન્દ્ર દવે વગેરે કવિઓની કવિતાની સંગીતમય પ્રસ્તુતિ તેમના કંઠે થયેલી છે. ક્ષેમુ દિવેટિયા, દક્ષેશ ધ્રુ, અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈનાં સ્વરાંકનો તેમજ અનૂદિત કવિતાઓ તેમના સ્વરમાં સાંભળવા મળે છે. અમર ભટ્ટની ગાયકીની ચાહના લોકોમાં પુષ્કળ પ્રમાણમાં છે.

ચિત્રકલા માટે કલાવીથિકા(આર્ટ ગૅલરી)ની જરૂરિયાત જણાતાં તેની પણ રચના કરવામાં આવી અને 28 મે, 2011ના રોજ શ્રી હકુ શાહનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું જેનું ઉદઘાટન જાણીતા ચિત્રકાર શ્રી અમિત અંબાલાલે કર્યું. કલાવીથિકાના સર્જનમાં અને તેના તમામ કાર્યક્રમોમાં શ્રી અનિલ રેલિયા અને શ્રી ભૈરવી મોદીનો હંમેશાં સહકાર મળતો રહ્યો છે. કલાવીથિકામાં સર્વશ્રી મનુ પારેખ, અમિત અંબાલાલ, હકુ શાહ, ગુલામમોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ, નબીબક્ષ મન્સૂરી, મનહર કાપડિયા, નીલિમા શેખ, નટુભાઈ પરીખ જેવાં નામાંકિત કલાકારોનાં ચિત્રપ્રદર્શનો યોજાયાં છે. રતિલાલ કાંસોદરિયા, કાર્લ આન્તો અને ધ્રુવ મિસ્ત્રી જેવા શિલ્પકારોએ પણ તેમની કલાયાત્રાની વાત કરી છે.

રવીન્દ્રનાથ ટાગોર, નિરંજન ભગત, કાન્ત કે એવા અન્ય પ્રશિષ્ટ કવિ-લેખક વિશે યોજાતા સેમિનાર વખતે તેને લગતી માહિતી અને તસવીરોનું પ્રદર્શન પણ કલાવીથિકામાં યોજાય છે.

ગુજરાત વિશ્વકોશના લલિતકલાકેન્દ્રની એક વિશેષતા એ છે કે એની પાસે કલાવીથિકા(આર્ટ ગૅલરી)ની સાથોસાથ સભાખંડ હોવાથી જે કોઈ કલાકાર એનાં ચિત્રો કે તસવીરોનું પ્રદર્શન કરે, તે આ સભાખંડમાં પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશનથી પોતાની કલાયાત્રાની વાત કરે છે અને એ રીતે ભારતના ઘણા પ્રસિદ્ધ કલાકારોએ અહીં પોતાની કેફિયત રજૂ કરી છે, આ ઉપરાંત આ કલાકેન્દ્ર દ્વારા કાવ્યસંગીત, શાસ્ત્રીય સંગીત, નાટ્યપ્રસ્તુતિ, વાચિકમ્, કાવ્યપઠન, નૃત્યપ્રસ્તુતિ, કલાગ્રંથવિમોચન,  ચિત્રપ્રદર્શન અને ફોટોગ્રાફીને લગતા કાર્યક્રમોનું આયોજન થાય છે. વિશ્વકોશમાં આવતા સંગીત, નૃત્ય, ચિત્રના કલાકારોનું મિલન કલારસિકોને માટે એક નજરાણું બની રહે છે, એ જ રીતે ઉત્તમ કક્ષાની ટેલિફિલ્મ અને ફિલ્મપ્રસ્તુતિનો કાર્યક્રમ પણ એની સમીક્ષા સાથે યોજાય છે.

બાળકો માટેની પ્રવૃત્તિ

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓના પ્રગટીકરણ માટે ક્વિઝ, ચિત્ર, નિબંધ, વક્તૃત્વ, એકપાત્રીય અભિનય અને નાટકની સ્પર્ધાઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. 2015થી શાળાના વિદ્યાર્થીઓ માટે ‘સ્વ. હરિકેત પાઠક ચિત્રસ્પર્ધા’નું પ્રતિવર્ષ નિયમિત આયોજન કરવામાં આવે છે. ગાંધીવિચારક અને ચિંતક શ્રી દક્ષાબહેન પટ્ટણીની સ્મૃતિમાં સ્કૂલો અને કૉલેજોમાં 2022થી ‘વિદુષી દક્ષાબહેન પટ્ટણી નિબંધસ્પર્ધા’નું આયોજન કરવામાં આવે છે. જેનો વિષય ગાંધી કેન્દ્રિત હોય છે.

શ્રી ધીરુબહેન પટેલ બાળકિશોર સાહિત્યકેન્દ્ર

માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનહદ પ્રેમ ધરાવનાર જાણીતાં સર્જક શ્રી ધીરુબહેન પટેલ એમ માનતાં હતાં કે બાળકો અને કિશોરો માતૃભાષામાં લખતાં-વાંચતાં થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. આ કેન્દ્ર અંતર્ગત એવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં બાળનાટક, માતૃભાષા વિશેનાં કાવ્યોની બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કિશોરકથાસ્પર્ધાનું આયોજન કરેલું જેમાં આશરે 75થી 80 કિશોરકથા આવી હતી. આ કેન્દ્ર અંતર્ગત બાળકો અને કિશોરો માટેનાં પુસ્તકોનું પ્રકાશન પણ થયું છે.

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર દ્વારા ભાષાશુદ્ધિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર દ્વારા બહુવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રતિવર્ષ માતૃભાષાદિનની ઉજવણી કરવામાં આવે છે તો પ્રૂફરીડિંગના કોર્સનું આયોજન પણ કરવામાં આવે છે. માતૃભાષાની સજ્જતા માટે સરળ અને રસપ્રદ શૈલીમાં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગર અને શ્રી પિંકી પંડ્યા 28 એપ્રિલ, 2023થી ગુજરાતી ભાષાપ્રેમીઓ માટે મહિનાના બીજા અને ચોથા શનિવારે વર્ગો લે છે, જેમાં પ્રત્યેક ઉંમરના અને જુદાં જુદાં ક્ષેત્રો સાથે સંકળાયેલા અનેક લોકો ઉત્સાહથી ભાગ લે છે.

વિશ્વસંસ્કૃતિદિવસ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના બીજી ડિસેમ્બર, 1985ના રોજ થઈ. ધીરુભાઈ ઠાકરે બીજી ડિસેમ્બરને વિશ્વસંસ્કૃતિદિવસ તરીકે ઊજવવો તેમ નક્કી કર્યું. આ દિવસે વ્યાખ્યાન, વિશ્વની ઉત્તમ કવિતાઓ જે ગુજરાતીમાં અનુવાદ પામી હોય તેનું કાવ્યગાન વગેરે કાર્યક્રમો યોજાય છે.

સામાન્ય રીતે સ્થાપનાદિવસ હોય તે દિવસે સંસ્થામાં રજા હોય પણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તેના સ્થાપનાદિવસની ઉજવણી આમ જુદી રીતે જ કરે છે.

ઑનલાઇન પ્રસ્તુતિ

વિશ્વકોશ ઑનલાઇન

2009માં વિશ્વકોશની ગ્રંથશ્રેણી પૂર્ણ થઈ, પરંતુ બદલાતા પરિવર્તનની સાથે તાલ મિલાવવા ‘ગુજરાતી વિશ્વકોશ’ ગ્રંથમાંથી સ્ક્રીન ઉપર આવે તે જરૂરી હતું. અત્યારનો સમય ઑનલાઇનનો છે. આવનારા સમયને પારખીને આ ગ્રંથો ઑનલાઇન મૂકવા માટે શ્રી કુમારપાળ દેસાઈ સતત ચિંતિત હતા. સાતેક વર્ષના પરિશ્રમના અંતે વિશ્વકોશનાં છવ્વીસ હજાર પાનાં ઑનલાઇન મુકાયાં. ગુજરાતી વિશ્વકોશના આ ગ્રંથોમાં 170 જેટલા વિષયોનાં ચોવીસ હજારથી પણ વધારે લખાણો ધરાવતો આ જ્ઞાનસાગર હવે કમ્પ્યૂટર કે મોબાઇલમાં ઉપલબ્ધ બન્યો છે. https://gujarativishwakosh.org ટાઇપ કરવાથી તે ઑનલાઇન જોઈ શકાશે. દરેક ગ્રંથમાં તે ગ્રંથ જે વર્ષે પ્રકાશિત થયો હોય તેનું વર્ષ મળશે, જેથી એનો ખ્યાલ આવશે કે કયા સમય સુધીની માહિતી આ અધિકરણમાંથી મળશે. વિશ્વકોશનાં અધિકરણોનાં શીર્ષકથી, વિષયથી કે લેખકના નામથી સર્ચ કરીને માહિતી મેળવી શકાય છે. મોબાઇલમાં ગુજરાતી કી-બોર્ડ ઇન્સ્ટોલ કર્યા પછી તે જોઈ શકાશે. ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય આમાંથી પ્રાપ્ત થાય છે તેમજ નિષ્ણાતો દ્વારા લખાયેલા સ્વતંત્ર લેખોથી વિશ્વ વિશે અને ભારત વિશે અદ્યતન અને પ્રમાણભૂત માહિતી પણ પ્રાપ્ત થશે. આજે દેશવિદેશના લાખો લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2020ની છઠ્ઠી ડિસેમ્બરે ઑનલાઇન વિશ્વકોશનું વિમોચન કર્યું હતું.

‘વિશ્વવિહાર’ સામયિક

દર મહિને પ્રકાશિત થતા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના, વિશ્વની ગતિવિધિ આલેખતા સામયિક ‘વિશ્વવિહાર’ના પ્રત્યેક મૂલ્યવાન લેખો ક્રમશઃ યૂટ્યૂબ પર સાંભળી શકાશે.

જ્ઞાન-વિજ્ઞાનવિષયક પ્રવચનો

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં યોજાતું દરેક પ્રવચન યૂટ્યૂબ પર પ્રાપ્ત થશે. કેટલાંક પ્રવચનો ફેસબુક પર લાઇવ કરવામાં આવે છે.

વિશ્વકોશ, તમારે આંગણે

દર બુધવારે અને દર શનિવારે ‘વિશ્વકોશ તમારે આંગણે’ નામના વિભાગમાં ‘ગુજરાતી વિશ્વકોશ’ અને ‘બાળવિશ્વકોશનાં અધિકરણો’ તેમજ ‘આજનો વિચાર’, ‘પ્રસંગમાધુરી’ જેવા વિભાગો વૉટ્સએપ પર જોઈ શકાશે.

બાળવાર્તાની પ્રસ્તુતિ

દર રવિવારે સવારે 10-30 વાગ્યે બાળકોને ગમી જાય તેવી વાર્તા અને બાળગીતની પ્રસ્તુતિ યૂટ્યૂબ દ્વારા કરવામાં આવે છે.

વિશ્વકોશ : ઈ-બુક્સ

વિશ્વકોશના મહત્વના ગ્રંથો ઈ-બુક્સ તરીકે ઉપલબ્ધ થશે. ગૂગલમાં અંગ્રેજીમાં gujarativishwakosh.org/ebooks ટાઇપ કરીને ઈ-બુક્સ ઉપર ક્લિક કરશો. આ ઈ-બુક્સ વાંચવા માટે આપના કમ્પ્યૂટર કે મોબાઇલમાં e-pub reader / ebook reader આવશ્યક છે.

શૈક્ષણિક પ્રવૃત્તિ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે માતૃભાષા અંતર્ગત વ્યાખ્યાન યોજાય છે. દર મહિનાના બીજા અને ચોથા શનિવારે શ્રી રતિલાલ બોરીસાગર દ્વારા ભાષા, જોડણી, ઉચ્ચારણ, વ્યાકરણને લગતી તમામ બાબતો વિશે અભ્યાસ ચાલે છે. તેમાં તેમને પિંકી પંડ્યાનો ઉમદા સહયોગ મળે છે. ક્યારેક પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશનથી પણ તેમની સમજૂતી આપવામાં આવે છે. આ અભ્યાસનો લાભ ઘણા લોકો લઈ રહ્યા છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે પ્રૂફરીડિંગનો કોર્સ કર્યો હતો. આ અભ્યાસ કરાવવા માટે જોડણી-વ્યાકરણ વિષયના તજજ્ઞો તેમજ જાણીતા પ્રૂફરીડરો નિયમિત પ્રૅક્ટિસ માટે આવતા હતા. કોર્સના અંતે તેઓની પરીક્ષા લઈને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

રોબૉટિક્સના વર્ગોનું આયોજન કર્યું હતું. સામાન્ય રીતે આ વિષય સાથે અભ્યાસ કરવો હોય તો ખૂબ ઊંચી ફી ભરવી પડે. વળી અંગ્રેજી ભાષામાં શિખવાડવામાં આવે છે. વિશ્વકોશ ટ્રસ્ટે એવો પ્રયત્ન કર્યો કે ગુજરાતી ભાષામાં આ વર્ગો ચલાવવા. વળી ફીનું ધોરણ પણ નજીવું રાખવું. આ વર્ગોમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સેમિનાર

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સેમિનારનું પણ આયોજન કરે છે. ખાસ કરીને કેન્દ્રની સાહિત્ય અકાદમી દ્વારા યોજાતા સંગોષ્ઠી, આખા દિવસનો પરિસંવાદ, મીટ ધ ઓથર વગેરે કાર્યક્રમોનું આયોજન થાય છે.

કોશ સાહિત્યને લગતો સેમિનાર પણ વિશ્વકોશ ટ્રસ્ટમાં થયો હતો. કોશ, તેના પ્રકાર, વિદ્યાશાખાવાર કોશ, શબ્દકોશ, જોડણીકોશ વગેરે વિષયોને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.

ગૂજરાત વિદ્યાપીઠ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી અને અર્હમ્ સ્પિરિચ્યુઅલના ઉપક્રમે વીરચંદ રાઘવજી ગાંધી વિશેનો પરિસંવાદ તથા તેમના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

જૈન સાહિત્યનાં જ્ઞાનસત્ર પણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના હીરાલાલ ભગવતી સભાગૃહમાં યોજાયાં છે.

હિંદી સાહિત્ય વિષયના સેમિનાર પણ અહીં યોજાય છે. આ બધા સેમિનારમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું બહુ મોટું યોગદાન હોય છે.

‘વિશ્વા’

ગુજરાતી સાહિત્યનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર શ્રી ધીરુબહેન પટેલ મુંબઈ છોડીને કાયમી વસવાટ માટે અમદાવાદ આવ્યાં. તેઓ નિયમિત રીતે વિશ્વકોશ ભવનમાં આવતાં. ધીરુબહેન પટેલ એટલે નવા નવા વિચારો કરનાર અને આયોજનો કરનાર. તેમને વિચાર આવ્યો કે સામાન્ય રીતે 40 વર્ષની વય વટાવી ચૂકેલી શિક્ષિત અને નોકરી નહીં કરતી બહેનોના જીવનમાં એક પ્રકારનો ખાલીપો વર્તાય છે. આ બહેનો આનંદપૂર્વક પોતાની શક્તિઓનો સદુપયોગ કરે તેવા હેતુથી 7 જુલાઈ, 2016થી ‘વિશ્વા’ની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. ‘વિશ્વા’માં માત્ર બહેનોને જ કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ધીરુબહેનની એવી ઇચ્છા પણ ખરી કે એક મૅગેઝિન તૈયાર થાય. તેમાં માત્ર બહેનોના જ લેખો આવે અને તેનું સંપૂર્ણ સંચાલન બહેનો જ કરે. પરિણામે તેમના અવસાન પછી ‘વિશ્વા’ નામ સાથે 29 મે, 2023ના રોજ તેમની જન્મતિથિના દિવસે અંક પ્રકાશિત કર્યો. તે દર ત્રણ મહિને પ્રકાશિત થાય છે. ‘વિશ્વા’ દ્વારા ચિત્ર, સંગીત, હાસ્ય, પર્યાવરણ, આરોગ્યવિષયક, કાયદાવિષયક વ્યાખ્યાનો તેની નિષ્ણાત બહેનો દ્વારા યોજાય છે. કોરોના દરમિયાન સાંકળકથાનો પ્રયોગ પણ બહુ સફળ રહ્યો હતો.વાર્તાલેખન, નાટકની પ્રસ્તુતિ, વ્યાખ્યાન, વાચિકમ્, એકાંકીલેખનસ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. એક દિવસનો પ્રવાસ, વાનગીસ્પર્ધા અને બેઠા ગરબામાં બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ કરે છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગૅઝેટિયર

ગુજરાત સરકારે ગૅઝેટિયરનું કામ કર્યું છે. ગુજરાતના દરેક જિલ્લાના ગૅઝેટિયર પ્રકાશિત થયા છે. આ ગૅઝેટિયરમાં દરેક જિલ્લાનાં રાજકારણ, અર્થતંત્ર, ઇતિહાસ, ભૂગોળ, સામાજિક રિવાજ, સાહિત્ય વગેરે વિષયની માહિતી આપતો દળદાર ગ્રંથ સરકાર તૈયાર કરે છે.

ગુજરાત સરકારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને ગૅઝેટિયરનું કામ સોંપ્યું હતું. સરકાર પાસેથી તેની સંપૂર્ણ વિગત આવે તેને બરાબર ચકાસીને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ડાંગ, જૂનાગઢ જિલ્લા અને પંચમહાલ જિલ્લાનું ગૅઝેટિયર પ્રકાશિત કર્યું છે. આ ગૅઝેટિયરના અંતે શબ્દસૂચિ પણ મૂકવામાં આવી છે.

આર્કાઇવ્ઝ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે એના આર્કાઇવ્ઝ વિભાગ દ્વારા ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વની વસ્તુઓ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં ગુજરાતી ભાષામાં એક વ્યક્તિએ એકલે હાથે ‘જ્ઞાનચક્ર’ને નામે વિશ્વકોશ તૈયાર કરવાનો પુરુષાર્થ કર્યો હતો, તેની હસ્તપ્રત જળવાયેલી છે, તો ગુજરાતના સમર્થ સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની કાવ્યકૃતિ ‘સ્નેહમુદ્રા’ એમના હસ્તાક્ષરમાં મળે છે. એવી જ રીતે શાયર મરીઝની ડાયરી અને નાટ્યકાર ચં. ચી. મહેતાની સ્મૃતિભેટો પણ વિશ્વકોશના આર્કાઇવ્ઝમાં સચવાયેલી છે. જુદા જુદા સાહિત્યકારો અને કલાકારોના જીવનની તસવીરો પણ અહીં સીડી રૂપે જાળવી રાખી છે.

શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહમાં સાહિત્ય, કલા અને અન્ય ક્ષેત્રોનાં સતત વ્યાખ્યાનો ચાલતાં હોય છે અને એ ઉપરાંત નાટક, સંગીત, નૃત્ય જેવા વિવિધ કાર્યક્રમો 175 પ્રેક્ષકોનો સમાવેશ કરતા આ સભાગૃહમાં અવિરત ચાલતા રહે છે.

શેઠ હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહ

વિશ્વકોશમાં જ્ઞાન અને વિચારની નવી તરાહોની વાત થાય, સાહિત્ય અને કલાના પ્રકલ્પોની ચર્ચા થાય તેમજ કોઈ વિષયની ગવેષણા થાય તે માટે એક અદ્યતન સભાગૃહની જરૂર હતી અને તેથી એકસો બેઠકો ધરાવતું શેઠ હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહ તૈયાર કરવામાં આવ્યું અને આજે એ ચર્ચા સભાઓ અને વૈચારિક ગોષ્ઠિનું મહત્વનું સ્થાન બની ગયું છે.

અનાહત ખંડ

સ્વ. કાન્તાબહેન ચીમનલાલ મહેતા અને ચીમનલાલ કે. મહેતાની સ્મૃતિમાં અદ્યતન દૃશ્ય-શ્રાવ્ય ખંડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ઓડિયો-વીડિયોનાં સાધનો રાખવામાં આવ્યાં છે. અગ્રણી વ્યક્તિની મુલાકાતો અને સંગીતના કાર્યક્રમોનું ધ્વનિ-મુદ્રણ અને વીડિયોગ્રાફી થાય છે.

ગૂર્જર ગ્રંથભંડાર

વિશ્વકોશ અને ગૂર્જરનાં સાહિત્ય અને સંસ્કારપ્રેરક પુસ્તકો વળતરથી ઉપલબ્ધ થાય તે માટે શ્રી મનુભાઈ શાહના સહયોગથી વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે.

શ્રી સંવેગભાઈ લાલભાઈના પરિવારના અને શ્રી મધુરી ડી. દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વિશ્વકોશભવનના બીજા માળે જુદા જુદા વિષયોની કાર્યશિબિરો અને સ્પર્ધા યોજી શકાય તે માટે એક વિશાળ ખંડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં લિપિ, હસ્તપ્રત, પ્રૂફરીડિંગના અભ્યાસક્રમથી માંડીને ડૉક્યુમેન્ટરીના નિર્માણ સુધીની પ્રક્રિયાઓ શીખવવામાં આવે છે. વળી અહીં અવારનવાર પુસ્તક-પ્રદર્શન અને ચિત્રસ્પર્ધા પણ યોજાતી હોય છે.

Categories
પ્રવૃત્તિકેન્દ્રો

વિવિધ ઍવૉર્ડ

સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ (2013)

આ ઍવૉર્ડ લલિતકલામાં જેમણે પોતાનું જીવન સમર્પિત કરીને ઉત્તમ પ્રદાન કર્યું હોય એવી વ્યક્તિને આપવામાં આવે છે. એક દિવસ વિશ્વકોશભવનમાં મિટિંગ માટે આવેલા શ્રી સી. કે. મહેતાએ ધીરુભાઈ ઠાકરના નામે ઍવૉર્ડ આપવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ ધીરુભાઈએ ઍવૉર્ડ સાથે પોતાનું નામ રાખવાની ના પાડી. તેથી ‘સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ એવું નામ આપવામાં આવ્યું. 2014માં ધીરુભાઈનું અવસાન થતાં આ ઍવૉર્ડનું નામ ‘પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ રાખવામાં આવ્યું. ડૉ. ધીરુભાઈ ઠાકરના જન્મદિવસે એટલે કે 27મી જૂને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવે છે. આ ઍવૉર્ડમાં એક લાખ રૂપિયા, શાલ અને સ્મૃતિચિહનથી ઍવૉર્ડ વિજેતા વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઍવૉર્ડ શ્રી નારાયણ દેસાઈ (સાહિત્ય – 2013), શ્રી મૃણાલિની સારાભાઈ (નૃત્ય – 2014), શ્રી કે. જી. સુબ્રમણ્યન્ (ચિત્ર – 2015), શ્રી મંજુ મહેતા (સંગીત – 2016), શ્રી બાલકૃષ્ણ દોશી (સ્થાપત્ય – 2017), શ્રી ભરત દવે (નાટ્યકલા – 2018), શ્રી નિરંજન રાજ્યગુરુ (લોકસાહિત્ય – 2019), શ્રી જ્યોતિ ભટ્ટ (ચિત્રકલા-ફોટોગ્રાફી – 2020), શ્રી કુમુદિની લાખિયા (નૃત્ય – 2021), શ્રી ચંદ્રકાન્ત શેઠ (સાહિત્ય – 2022) અને શ્રી સરિતા જોશી(નાટક – 2023)ને અર્પણ કરવામાં આવ્યો છે.

સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ (2016)

સમાજસેવાના ક્ષેત્રે પાયાનું કામ કરનારને સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ આપવામાં આવે છે. શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી અપાતો આ ઍવૉર્ડ શ્રી સંજય-તુલા, વિચરતા સમુદાય માટે કાર્ય કરનાર શ્રી મિત્તલ પટેલ, આદિવાસી સમાજમાં પરિવર્તન લાવનાર અને ગ્રામવિદ્યાપીઠનું સંચાલન કરનાર શ્રી હસમુખ પટેલ, અનેકવિધ સેવાકાર્ય કરનાર સુરેન્દ્રનગરનાં શ્રી નિરૂપાબહેન શાહને અર્પણ કરવામાં આવ્યો છે.

શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી ઍવૉર્ડ (2018)

નવા વિચાર, નવા અભિગમ કે ટૅકનૉલૉજીના પ્રચાર દ્વારા લોકોના જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ કરી હોય કે પરિવર્તન આણ્યું હોય તેવી વ્યક્તિને ‘શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી ઍવૉર્ડ’ અર્પણ કરવામાં આવે છે. સાંબરકાંઠાના પુંસરી ગામના પૂર્વ- સરપંચ શ્રી હિમાંશુ પટેલને આદર્શ ગામ બનાવવા બદલ, સજીવન ખેતી દ્વારા કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવનાર જતન ટ્રસ્ટ અને શ્રી કપિલભાઈ શાહને તથા પ્રાકૃતિક ખેતીમાં આગવું પ્રદાન કરવા માટે શ્રી ગોપાલભાઈ સુતરિયાને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવૉર્ડ (2023)

જાણીતા ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવેનું સ્વિટ્ઝર્લૅન્ડમાં આકસ્મિક અવસાન થયું. તેમના ભાઈ જગદીશ દવેએ તેમની સ્મૃતિ જળવાઈ રહે તેથી તેમના નામનો ઍવૉર્ડ અપાય તેવી ઇચ્છા વ્યક્ત કરી આર્થિક સહયોગ આપ્યો. જેનો પ્રથમ ઍવૉર્ડ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી અમિત અંબાલાલને 25 ઑગસ્ટ, 2023ના રોજ એનાયત કરવામાં આવ્યો.

ડૉ. હેમરાજ વિ. શાહ પ્રેરિત કવિ નર્મદ પારિતોષિક (2023)

નર્મદના જન્મદિવસ 24 ઑગસ્ટે આ ઍવૉર્ડ આપવામાં આવે છે. આ વર્ષનો ઍવૉર્ડ શ્રી રાજેન્દ્ર શુક્લને (24 ઑગસ્ટ, 2023) અર્પણ કરવામાં આવ્યો હતો.

ચંદરયા પરિવાર પ્રેરિત રતિલાલ ચંદરયા માતૃભાષા ગૌરવ ઍવૉર્ડ (2023)

રતિભાઈ ચંદરયા માતૃભાષાના ચાહક હતા. તેમની સ્મૃતિમાં માતૃભાષા વિશે મહત્વનું કાર્ય કરનારને ઍવૉર્ડ આપવો તેમ નક્કી કર્યું છે. તેનો પ્રથમ ઍવૉર્ડ ઑક્ટોબર, 2023માં માતૃભાષાનું નિઃસ્પૃહભાવે કામ કરનાર શ્રી રૂપલ મહેતાને આપવામાં આવ્યો.

શિક્ષણવિદ શ્રી દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ (2024)

શિક્ષણક્ષેત્રના ધ્રુવતારક શ્રી દાઉદભાઈ ઘાંચીના પરિવારજનો દ્વારા ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન કરનારને શિક્ષણવિદ શ્રી દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ આપવામાં આવે છે જેનો પ્રથમ ઍવૉર્ડ એપ્રિલ, 2024માં નૅશનલ ફૉરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસને એનાયત કરવામાં આવ્યો હતો.

શ્રીમતી કુંદનબહેન અંબાલાલ કલાગૌરવ પુરસ્કાર (2024)

ગુજરાતના જાણીતા ચિત્રકાર શ્રી અમિત અંબાલાલના સહયોગથી દર બે વર્ષે ચિત્રકલા, શિલ્પ, ફોટોગ્રાફી, ફિલ્મ, ગ્રાફિક તથા અન્ય પ્રકારના વિઝ્યુઅલ આર્ટ વિષયોમાં આગવી પ્રતિભા દાખવનાર કલાકારને શ્રીમતી કુંદનબહેન અંબાલાલ કલાગૌરવ પુરસ્કાર આપવામાં આવશે, જેનો પ્રથમ ઍવૉર્ડ ઑક્ટોબર, 2024માં એનાયત કરવામાં આવશે.

આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી ચંદ્રક (2009)

પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ. સા.ની પ્રેરણાથી શેઠાણી માણેકબહેન જમનાબાઈના સ્મરણાર્થે શેઠ જમનાબાઈ ભગુભાઈ ટ્રસ્ટ દ્વારા દર બે વર્ષે પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી ભાષામાં સંશોધન માટે ‘આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી ચંદ્રક’ એનાયત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ડૉ. રૂપેન્દ્રકુમાર પગારિયા (2009), ડૉ. ચિમનલાલ ત્રિવેદી (2011), ડૉ. કાંતિભાઈ બી. શાહ (2013), ડૉ. રમણિક શાહ (2015), ડૉ. ભારતી શેલત (2017), ડૉ. ભગવાનદાસ પટેલ (2019) અને ડૉ. રાજેશ પંડ્યા(2021)ને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

શ્રી ચંદ્રવદન મહેતા નાટ્યલેખન ઍવૉર્ડ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં કાર્યરત શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ દ્વારા ચં. ચી. મહેતાની સ્મૃતિમાં પ્રતિવર્ષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે તેમજ નાટ્યલેખન માટે ‘શ્રી ચંદ્રવદન મહેતા નાટ્યલેખન ઍવૉર્ડ’ અપાય છે. અત્યાર સુધીમાં સર્વ શ્રી દુર્ગેશ શુક્લ, હસમુખ બારાડી, સિતાંશુ યશશ્ચંદ્ર, લાભશંકર ઠાકર, સૌમ્ય જોશી અને સતીશ વ્યાસને આ ઍવૉર્ડ એનાયત થયો છે.

Categories
પ્રવૃત્તિકેન્દ્રો

વ્યાખ્યાનશ્રેણી

જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરસ્પર તેમજ સમાજ સાથેનો અનુબંધ રચાય તે ઉદ્દેશથી વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. ખૂબ વિલક્ષણ સંજોગોમાં ‘ગુજરાતી વિશ્વકોશ’ની આ વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ થયો. કૉલકાતાના કલામંદિર હૉલમાં વિશ્વકોશના ૨૨મા ખંડનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ સમયે વિશ્વકોશના ટ્રસ્ટી શ્રી સી. કે. મહેતા સાથેની વાતચીતમાં કુમારપાળ દેસાઈએ એમ કહ્યું કે, ‘એક એવી વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ કરવો જોઈએ કે જેમાં નિયમિતતા, ચોકસાઈ અને વિશ્વકોશને છાજે તેવા વિષયોનો વ્યાપ હોય.’

શ્રી સી. કે. મહેતાએ કહ્યું, ‘આવી વ્યાખ્યાનશ્રેણીનો મને લાભ આપો.’ અને ત્યારથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ થયો. આ વ્યાખ્યાનશ્રેણીનું નામ રાખવામાં આવ્યું ‘શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી’.

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી (2006)

આની સાથે વ્યાખ્યાનના આયોજન અંગે કેટલાક નિયમો પણ ઘડ્યા. શક્ય હોય તો મહિનાના કોઈ પણ બે બુધવારે અથવા અન્ય કોઈ દિવસે આ વ્યાખ્યાનશ્રેણી યોજવી. હમેશાં સાંજે બરાબર સાડા પાંચ વાગ્યે વ્યાખ્યાન શરૂ થાય તેવો આગ્રહ રાખ્યો. પ્રારંભે પાંચ મિનિટનું વિશ્વકોશ ગીત અને પાંચેક મિનિટના વક્તાના સંક્ષિપ્ત પરિચય બાદ વક્તાનું પચાસ મિનિટ કે એક કલાકનું પ્રવચન યોજવું અને જરૂર લાગે તો છેલ્લે જિજ્ઞાસુ શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરી રાખવી. આનું પરિણામ એ આવ્યું કે આ વ્યાખ્યાનમાં શહેરના પ્રબુદ્ધ શ્રોતાજનો નિયમિત આવવા લાગ્યા. એની વિશેષ બાબત એ હતી કે સામાન્ય રીતે ભાવકોને સાહિત્ય, સમાજ, સ્વાસ્થ્ય અને રાજકારણ જેવા વિષયોનાં વ્યાખ્યાનોનો લાભ મળતો હતો. જ્યારે આ વ્યાખ્યાનશ્રેણી વિશ્વકોશ દ્વારા ચાલતી હોવાથી તેમાં વિશ્વના તમામ વિષયોનું જ્ઞાન આપવાનો આશય રાખ્યો. પરિણામે ગણિત, વનસ્પતિશાસ્ત્ર, બાયૉટૅક્નૉલૉજી, ખગોળશાસ્ત્ર, ભૂગોળ, ઉદ્યોગ, ગ્રંથો, શિક્ષણ, પ્રવાસ, ઊર્જા, ધર્મ, કાયદો, માધ્યમો, આધુનિક ટૅક્નૉલૉજી જેવા વિષયો વિશે એ ક્ષેત્રના તજજ્ઞોનાં વ્યાખ્યાનો યોજવામાં આવ્યાં છે. આ વ્યાખ્યાનશ્રેણી 19 એપ્રિલ, 2006થી નિયમિત રીતે ચાલે છે. પ્રતિ માસ બે વ્યાખ્યાન યોજાય છે અને ઑક્ટોબર, 2023 સુધીમાં ચારસો પચીસથી વધુ વ્યાખ્યાનો યોજાયાં છે. એમાંથી પસંદ કરેલાં વ્યાખ્યાનોનો સંચય જ્ઞાનાંજન-1 અને જ્ઞાનાંજન-2 નામે પ્રગટ થયો છે, જેનું સંપાદન પ્રીતિ શાહે કર્યું છે.

ગુજરાત વિશ્વકોશમાં યોજાતી વ્યાખ્યાનશ્રેણીનું આયોજન આગોતરું કરવામાં આવે છે. એક મહિના પહેલાં વ્યાખ્યાન, વક્તા, વિષય, સમય, સ્થળ નક્કી થઈ જાય છે. વળી વ્યાખ્યાન સમયસર શરૂ થાય અને સમયસર પૂરું થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. વિષયના તજજ્ઞને અગાઉથી જાણ કરવામાં આવે છે. દરેક વક્તાનું વ્યાખ્યાનનું વીડિયો રેકૉર્ડિંગ કરવામાં આવે છે અને પછી તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યૂ-ટ્યૂબ ઉપર પણ મૂકવામાં આવે છે.

આ ઉપરાંત જુદા જુદા વિષયોને અનુલક્ષીને વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ કરવામાં આવ્યો.

સ્વાસ્થ્ય-યોગશ્રેણી (2010) અને જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી (2014)

શ્રી મનસુખભાઈ જે. મેદાણીના સહયોગથી બે વ્યાખ્યાનશ્રેણી ચાલે છે. 3 જુલાઈ, 2010થી શરૂ થયેલી સ્વાસ્થ્ય-યોગશ્રેણીમાં ડૉ. તેજસ પટેલ, ડૉ. સુધીર શાહ, ડૉ. શિલીન શુક્લ, ડૉ. કે. સી. મહેતા જેવા નામાંકિત ડૉક્ટરોએ હૃદયરોગ, સ્ટ્રોક, કૅન્સર જેવા વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં. આ ઉપરાંત આહારવિજ્ઞાન, લયબદ્ધ શ્વસનક્રિયા, વાળ અને ચામડીની સમસ્યા તેમજ યોગ ઉપર વ્યાખ્યાનો યોજાયાં. પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે યોગશિબિર પણ યોજવામાં આવી. શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી ચાલતી બીજી વ્યાખ્યાનશ્રેણી છે ‘જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી’ (12 જુલાઈ, 2014). એમાં જીવન-ઘડતર અને જીવન-ઉત્કર્ષને લગતાં વ્યાખ્યાનો યોજાય છે.

મુંબઈના નિષ્ણાત ડર્મેટૉલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ ‘પિગ્મેન્ટેશન અને ખરતા વાળની સમસ્યા તથા તેના ઉપાયો’ વિશે, શ્રી રાજેન વકીલે ‘લયબદ્ધ શ્વસનક્રિયા’, ડૉ. હિમાંશુ પટેલે ‘કિડનીના રોગો’, શ્રી વરધીબાઈ ઠક્કરે ‘પ્રાકૃતિક જીવનશૈલીથી આરોગ્યલાભ’ વિષય પર વ્યાખ્યાન આપ્યાં. શ્રી ભારતીબહેન મિસ્ત્રીએ યોગ વિશે વ્યાખ્યાનો ઉપરાંત ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે, ઘૂંટણની સમસ્યા ન થાય તે માટે યોગશિબિરો કરી. પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિશિષ્ટ યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું.

જીવન ઉત્કર્ષ શ્રેણીમાં ડૉ. પ્રતિભા આઠવલે કે જેમણે પૂર્વાંચલમાં જઈને દાંત માટેની અનેક શિબિરો કરી તેના વિશે, ડૉ. સુધીર શાહે ‘સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિનો રાજમાર્ગ’ વિશે, ડૉ. ખેવના દેસાઈએ સામાજિક મૂલ્યો વિશે, સોલો ટ્રાવેલર શ્રી નીલમ વર્માએ ‘બાંધવગઢનું કલાકેન્દ્ર’ વિશે, શ્રી યઝદી કરંજિયાએ ‘હસતા હસતા કપાય જીવનના રસ્તા’ વિશે તેમજ જાણીતા વકીલ
શ્રી કે. સી. પટેલે ‘વસિયતનામા’ વિશે વ્યાખ્યાનો આપ્યાં. પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા ગુજરાતી કવિતાનું ગાન પણ યોજવામાં આવ્યું.

પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા (2015)

અર્થશાસ્ત્રના વિદ્વાન અને એચ. એલ. કૉમર્સ કૉલેજની ત્રણ ત્રણ દાયકા સુધી ધુરા સંભાળનાર ‘પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા’ (2 માર્ચ, 2015) શરૂ થઈ.

આ વ્યાખ્યાનશ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન શ્રી સૌરભ સોપારકરે ‘કેન્દ્રીય અંદાજપત્ર’ પર આપ્યું હતું. ડૉ. પંકજ જોષીએ ‘આપણા બ્રહ્માંડની ઓળખ’, ડૉ. યોગેન્દ્ર અલઘે ‘ગુજરાતના વિકાસની દિશા’ ડૉ. દિનેશ શાહે ‘નૅનોટૅકનૉલૉજી’ વિશે જ્ઞાનસભર વ્યાખ્યાનો આપ્યાં હતાં. ડૉ. મંદાબહેન પરીખ, ડૉ. સંજય ચૌધરી, શ્રી પ્રવીણ ક. લહેરીએ પણ વક્તવ્ય આપ્યાં છે.

ધર્મ-તત્ત્વ-દર્શન વ્યાખ્યાનશ્રેણી (2017)

ત્યારબાદ શ્રી પ્રીતિ શાહના સહયોગથી ‘ધર્મ-તત્વ-દર્શન વ્યાખ્યાનશ્રેણી’(12 ઑગસ્ટ, 2017)નું આયોજન થયું. જેમાં ધર્મનાં મૂળ તત્ત્વોની યોગ્ય સમજ આપતાં વ્યાખ્યાનો યોજવામાં આવે છે.

આ વ્યાખ્યાનશ્રેણીનું ઉદ્ઘાટન સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજીના હસ્તે કરવામાં આવ્યું અને તેમણે ‘આધુનિક માનવજીવન અને વેદાંત દર્શન’ની વાત કરી. ડૉ. વિજય પંડ્યાએ ‘બૃહદારણ્યક ઉપનિષદ’ વિશે, શ્રી કુમારપાળ દેસાઈએ ‘કબીર’ તથા ‘શ્રીમદ્ રાજચંદ્રરચિત આત્મસિદ્ધિશાસ્ત્ર’ વિશે, પૂજ્યશ્રી ભદ્રેશદાસ સ્વામીએ ‘શ્રીમદભાગવતગીતા’ વિશે, શ્રી ગુણવંત બરવાળિયાએ ક્રાંતિકારી સંત શ્રી સંતબાલજી વિશે, શ્રી નરેશ વેદે ઉપનિષદો વિશે વક્તવ્યો આપ્યાં છે.

શ્રી રસિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા (2018)

2018માં વિશ્વખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશી અને શ્રીમતી કમલાબહેન દોશીના સહયોગથી ‘શ્રી રસિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા’ (22 માર્ચ, 2018) શરૂ થઈ, જેમાં ગુજરાતી સાહિત્યના કવિ, સંશોધક, વિવેચક અને નાટ્યસર્જક એવા શ્રી રસિકલાલ છો. પરીખની સ્મૃતિને છાજે તેવા વિષયો પર કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ વ્યાખ્યાનમાળાની શરૂઆત ત્રિદિવસીય કાર્યક્રમોથી થઈ જેમાં શ્રી બાલકૃષ્ણ દોશીએ રસિકલાલ પરીખના વ્યક્તિત્વની વાત કરી. શ્રી થોમસ પરમારે તેમના ભારતીય વિદ્યાના પાસાની તો શ્રી મહેશ ચંપકલાલે તેમની નાટ્યરચનાઓની વાત કરી. આ ઉપરાંત શ્રી સોનલ પરીખ, શ્રી દીપક મહેતા, શ્રી દેબાશિષ નાયક, શ્રી પૂર્ણિમા ભટ્ટ, શ્રી અરવિંદ ઘોસાલકરનાં વ્યાખ્યાનો
યોજાયાં. કનુ દેસાઈના ગ્રંથનું વિમોચન તથા તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ સંસ્કાર, શિક્ષણ અને સાહિત્યિક વિષય વ્યાખ્યાનશ્રેણી (2018)

જ્યારે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર શ્રી નંદુભાઈ શુક્લની સ્મૃતિમાં એમના સુપુત્ર ડૉ. શિલીન શુક્લના સહયોગથી ‘કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ સંસ્કાર, શિક્ષણ અને સાહિત્યિક વિષય વ્યાખ્યાનશ્રેણી’(19 મે, 2018)નું આયોજન થયું.

આ વ્યાખ્યાનશ્રેણીની શરૂઆતમાં ડૉ. શિલીન શુક્લે ભૂમિકા તથા શ્રી રોહિત શુક્લએ નંદુભાઈ શુક્લના જીવનકાર્ય વિશે વાત કરી હતી. શ્રી મનસુખ સલ્લા, શ્રી અરુણ દવે, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી રાજેન્દ્ર પટેલ, શ્રી ચિંતન ભટ્ટ, શ્રી ભદ્રાયુ વછરાજાનીએ શિક્ષણમાં ગાંધીવિચારવિશે વ્યાખ્યાનો આપ્યા હતા. માતૃભાષા તેમજ શિક્ષણના અન્ય પાસાંઓ વિશે વ્યાખ્યાનો યોજાયા હતા.

શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી (2019)

ગુજરાતના શિક્ષણજગતમાં મહત્વનું પ્રદાન કરનારા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પૂર્વટ્રસ્ટી ‘શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી’ (6 માર્ચ, 2019) શરૂ કરવામાં આવી. જેમાં શ્રી શ્રેયસી પરીખનો સહયોગ મળ્યો છે.

આ વ્યાખ્યાનશ્રેણીની શરૂઆતમાં શ્રી કુમાર પ્રશાંતનાં ગાંધીવિષયક ત્રણ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અનામિક શાહે નવી શિક્ષણનીતિ વિશે, શ્રી લાભશંકર પુરોહિત, શ્રી રમેશ તન્ના, શ્રી અમૃત ગંગર વગેરેએ વ્યાખ્યાનો આપ્યાં છે.

શ્રી યશવંત દોશી સ્મૃતિ વ્યાખ્યાનશ્રેણી (2019)

ગુજરાતના સમર્થ વિવેચક અને પરિચય પુસ્તિકાના પ્રેરક શ્રી યશવંત દોશીની સ્મૃતિમાં ‘શ્રી યશવંત દોશી સ્મૃતિ વ્યાખ્યાનશ્રેણી’ (5 સપ્ટેમ્બર, 2019) શરૂ થઈ જેનું પ્રથમ વ્યાખ્યાન જાણીતા પત્રકાર શ્રી નગીનદાસ સંઘવીએ આપ્યું હતું.

‘યશવંત દોશીના જીવન અને કવન’ વિશે પત્રકાર શ્રી નગીનદાસ સંઘવીએ આ શ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન આપ્યું. શ્રી દીપક મહેતાલિખિત યશવંત દોશી વિશેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. શ્રી દીપક મહેતા અને શ્રી હસિત મહેતાએ સંપાદક યશવંત દોશી વિશે વાત કરી હતી.

અનેકાંત વ્યાખ્યાનમાળા (2022)

શ્રી દેવીબહેનના સહયોગથી કુમાર જયકીર્તિની સ્મૃતિમાં ‘અનેકાંત વ્યાખ્યાનમાળા’(15 મે, 2022)નું આયોજન કરવામાં આવે છે. કુમાર જયકીર્તિપ્રેરિત આ વ્યાખ્યાનમાળામાં પંન્યાસ શ્રી લબ્ધિચંદ્રસાગરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી મંતેશચંદ્રસાગરજી મહારાજસાહેબે પ્રથમ વ્યાખ્યાન આપ્યું. તે ઉપરાંત ‘જૈન ધર્મ : જીવનશિલ્પી અને જગતશિલ્પી’ અને ‘ક્રાંતદ્રષ્ટા અને યુગપ્રવર્તક પૂજ્ય આચાર્યશ્રીઓ’ – એવા બે વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ચંદ્રકાન્ત મહેતા (અમેરિકા)એ ‘જૈન ધર્મ, આધુનિક વિજ્ઞાન અને માનવજીવન’ વિશે અને શ્રી વિનોદ કપાસી(લંડન)એ ‘DNA અને કર્મનું તત્ત્વજ્ઞાન’ વિશએ વ્યાખ્યાનો આપ્યા હતા.

શેઠ શ્રી પોપટલાલ હેમચંદ સ્મૃતિ-વ્યાખ્યાન (2023)

શ્રી હેમંત બ્રોકર અને તેમના પરિવારના સહયોગથી ગુજરાતના સંસ્કારપુરુષ શ્રી પોપટલાલ હેમચંદ સ્મૃતિ-વ્યાખ્યાનની શરૂઆત કરવામાં આવી. તેનું પ્રથમ વ્યાખ્યાન શ્રી મકરંદ મહેતા અને શ્રી કુમારપાળ દેસાઈએ ગુજરાતની મહાજન પરંપરા અને તેનું ગુજરાતના સાંસ્કારિક ઘડતરમાં પ્રદાન વિશે આપ્યું હતું. તે ઉપરાંત શ્રી ગૌરવ શેઠ અને શ્રી ભારતીબહેને મહેતાએ ગુજરાત મહાજન પરંપરાના શ્રેષ્ઠીઓ વિશે વાત કરી હતી.

પત્રકારત્વ વ્યાખ્યાનમાળા

ગુજરાત દર્પણ પ્રેરિત ‘પત્રકારત્વ વ્યાખ્યાનમાળા’નું પણ આયોજન થાય છે. રાજકીય પદ્ધતિઓ અને વૈશ્વિક અજંપો વિશે પ્રા. રક્ષા વ્યાસ અને પોઝીટીવ જર્નાલિઝમ ક્ષેત્રે મારા અનુભવો વિશે શ્રી રમેશ તન્નાએ વ્યક્તવ્યો આપ્યા છે.