નૅગેટિવ વિચારના ‘સ્ટેજ’ આવે છે


નૅગેટિવ (નકારાત્મક) વિચારો એક એવું કૅન્સર છે કે જે લાગુ પડ્યા પછી સતત ફેલાતું રહે છે અને જેમ કૅન્સરમાં કથળતી હાલતના એક પછી એક ‘સ્ટેજ’ આવે છે, એ રીતે નૅગેટિવ વિચારોના એક પછી એક વધુ નુકસાનકારક તબક્કાઓ આવે છે અને વ્યક્તિ એનો શિકાર બની જાય છે. ભીતરમાં બે અવાજ રહેલા હોય છે. એક અવાજ પૉઝિટિવ હોય છે અને બીજો નૅગેટિવ હોય છે. પૉઝિટિવ વિચારધારા ધરાવનાર માણસને બે રાત વચ્ચે એક ઝળહળતો દિવસ દેખાય છે. નૅગેટિવ વ્યક્તિને બે રાત વચ્ચે ‘સૅન્ડવિચ દિવસ નજરે પડે છે. નૅગેટિવ વિચારો ચેપી રોગના જંતુઓ જેવા છે, જે શરીરમાં ખૂબ ઝડપથી પ્રસરી જાય છે, એને માટે એ દાખલા, દલીલો ઊભાં કરશે. એ કામ તદ્દન વ્યર્થ હોવાનું માનશે. એમાં આવનારી મુશ્કેલીઓ જોઈને એને અશક્ય ગણીને આઘું હડસેલી મૂકશે. જ્યારે પૉઝિટિવ વિચાર કરનાર એમાં આવનારા અવરોધોનો સામનો કઈ રીતે કરવો એનો વિચાર કરશે. નિષ્ફળતા જોઈને અટકી જવાને બદલે સફળતાની શક્યતાઓ પર દૃષ્ટિ ઠેરવે છે. પ્રયત્ન કરવામાં વાંધો શો ? એમ માનીને એ નિષ્ફળતાના ખ્યાલને અળગો કરે છે. નૅગેટિવ વિચારો ભયનો અને શંકાનો શ્વાસ લેતા હોય છે, જ્યારે પૉઝિટિવ વિચારો મહેનતનો અને ધૈર્યનો શ્વાસ લેતા હોય છે. નૅગેટિવ વિચારો એ પીછેકૂચ કરવાના પેંતરાઓ વિચારે છે, જ્યારે પૉઝિટિવ વિચારો આગેકૂચના ઉત્સાહ સાથે આગળ વધતા હોય છે. ‘જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ’ તે ન્યાયે નૅગેટિવ વિચાર કરનારને દુનિયામાં આક્રંદ અને રુદન સંભળાય છે, તો પૉઝિટિવ વિચાર કરનારની આખી દુનિયા ખિલખિલાટ હસતી હોય છે.