ખડકમાંથી કોતરી કાઢેલાં અબુ સિમ્બલનાં મંદિરો.
આ વિરાટકાય સ્થાપત્યો દુનિયાભરમાં વિરલ ગણાય છે. ૩૦૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં બંધાયેલાં આ પથ્થરની વિરાટ મૂર્તિઓવાળાં મંદિરો આશ્ચર્યચકિત કરી દે છે. અબુ સિમ્બલનાં મંદિરો નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલાં છે. અત્યારે નદી ઉપર બાંધેલા બંધને લીધે ૫૫૦ કિમી. લાંબા નાસર સરોવરમાં તે અડધાં ડૂબેલાં છે. પોતાની પ્રસિદ્ધિ માટે ખૂબ જ સભાન એવા રાજા રામસેસે પોતાની સ્મૃતિને ચિરંજીવ રાખવા આ વિરાટ મૂર્તિઓ કોતરાવી હતી. અબુ સિમ્બલનાં બંને મંદિરો ઈ. સ. પૂ. ૧૨૯૦–૧૨૨૪ દરમિયાન રાજા રામસેસેના ફરમાનથી બંધાયેલાં હતાં. મંદિરની સન્મુખ બેસાડેલી ફારોહની મુખ્ય મૂર્તિ તથા તેની અનેક નાની પ્રતિકૃતિઓ મંદિરો ઉપર નજર નાખતી ઊભી હોય એવું લાગે છે. એ જ મૂર્તિઓની આઠ પ્રતિકૃતિઓ પહાડમાં ૬૫ મીટર અંદરની તરફ કોતરેલી દીવાલો ઉપર ૭૦ મીટર લાંબા સભાખંડમાં આવેલી છે. ત્યાં દીવાલોમાં કોતરકામ સાથે સુંદર ચિત્રોનું સુશોભન કરાયેલું છે. નાના મંદિરના આગળના ભાગમાં દસ મીટર ઊંચી ફારોહની અને તેની પત્ની નેફરટીટીની મૂર્તિઓ શોભે છે. નાઇલ નદી ઉપર બંધ બાંધવાના લીધે અબુ સિમ્બલનાં મંદિરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેથી નાઇલ નદીનાં પાણી અબુ સિમ્બલ ઉપર થઈને વહે, પણ ફારોહની મૂર્તિઓ જેમ છે તેમ સલામત રહે.
નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલાં અબુ સિમ્બલનાં મંદિરો
ઇજનેરી કૌશલ : નાઇલ નદી પર બંધ બાંધવાનું નક્કી થયું ત્યારે નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો કે આ બંધને કારણે નાઇલને કાંઠે આવેલાં આ બંને દેવળો ડૂબી જશે. આ પ્રાચીન ભવ્ય સ્થાપત્યોને બચાવી લેવા જગતભરમાંથી સલાહ અને સહકાર માગવામાં આવ્યાં. તેમાંથી એક જર્મન પેઢીની યોજનાનો સ્વીકાર થયો. આ યોજના મુજબ આ વિરાટ મૂર્તિઓ તેમની પાછળની દીવાલો સહિત ચોસલાના આકારમાં કાપીને તેમને મોટી ટ્રકો દ્વારા લઈ જવામાં આવી. આ માટે દરેક ટુકડાને સંખ્યા-સંકેતો આપવામાં આવ્યા હતા. સલામત સ્થળે મૂર્તિઓના ભાગોને ખસેડીને તેમને નંબર પ્રમાણે ફરીથી જોડી દેવામાં આવ્યા. પરિણામે આ બંને સ્થાપત્યો મૂર્તિઓ સાથે સાચવી લેવાયાં છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1
