Categories
વાચન સમૃદ્ધિ

સર્જકની ખુદવફાઈ

ખલિલ જિબ્રાને (1883થી 1931) એમનાં ચિંતનાત્મક લખાણોથી, ઉત્તમ કોટિના વિચારસૌંદર્યથી અને શબ્દથી વર્ણવી શકાય નહીં તેવા ભાવોને ચિત્રકલાના માધ્યમથી પ્રગટ કરવાની એમની શક્તિના લીધે સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત કરી. અંગ્રેજી અને અરબી બંને ભાષામાં લખાયેલાં એમનાં પુસ્તકો વિશ્વસાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પામ્યાં. ખલિલ જિબ્રાન સરળ કિંતુ ભાવનાપ્રધાન જીવન જીવ્યા. આ કવિ-ચિત્રકારને જગતના વ્યવહારની બાબતમાં ઝાઝી સૂઝ પડતી નહીં. એક વાર બે સ્ત્રીઓએ જમીનની બાબતમાં ખલિલ જિબ્રાનની સાથે મોટી છેતરપિંડી કરી. કવિનું દિલ ગુસ્સાથી ધૂંધવાઈ ગયું અને મનોમન નક્કી કર્યું કે આ બંનેને અદાલતના પાંજરામાં ઊભા રાખીને જ જંપીશ. ન્યાયમૂર્તિ એમને સખત સજા કરે તો જ મારા ઘવાયેલા હૃદયને શાતા વળશે. આ બે સ્ત્રીઓએ પ્રપંચપૂર્ણ વ્યવહાર કરીને જિબ્રાનને આર્થિક રીતે સાવ મુફલિસ બનાવી દીધો હતો. આમાંની એક સ્ત્રી જિબ્રાનની પાસે એનું પુસ્તક ‘ધ પ્રોફેટ’ લઈને આવી અને સવાલ કર્યો, ‘‘તમે અમને અદાલતમાં સજા અપાવવા માંગો છો તે કેટલે અંશે યોગ્ય ગણાય ? ‘પ્રોફેટ’ પુસ્તકમાં તમે આલેખેલા ઉત્કૃષ્ટ વિચારો અને વ્યાપક ભાવનાઓનું શું ? જીવનનું આવું ઉત્કૃષ્ટ ચિંતન તમે લખ્યું છે તે તમને લાગુ પડે કે નહીં ?’’ ખલિલ જિબ્રાને કહ્યું, ‘‘વાત વિચારવા જેવી છે. હું તમને અદાલતમાં ઊભા કરીને મારા પુસ્તક સાથે બેવફાઈ તો કરતો નથી ને ? જીવનની ક્ષણિક ભ્રમણા સમાન સંપત્તિને ખાતર હું મારા જ શબ્દોની મારે હાથે હત્યા નહીં કરું ?’’ ખલિલ જિબ્રાનને ‘પ્રોફેટ’ની પ્રસ્તાવના યાદ આવી. એમાં એમણે લખ્યું હતું, ‘‘હું જ્યારે ‘પ્રોફેટ’ લખી રહ્યો હતો, ત્યારે એ પુસ્તક મને લખી રહ્યું હતું.’’ શું આ શબ્દો માત્ર આડંબરયુક્ત હતા ? ખલિલ જિબ્રાને પોતાના શબ્દગૌરવને ખાતર અદાલતનાં બારણાં ખખડાવવાને બદલે હાનિ સહન કરવાનું નક્કી કર્યું તેમ જ બંને સ્ત્રીઓએ કરેલા અન્યાયને ભૂલીને એમને ક્ષમા આપી.

Categories
વાચન સમૃદ્ધિ

શંકરનકુટ્ટી પોટ્ટેક્કાટ

જ. 14 માર્ચ, 1913 અ. 8 ઑગસ્ટ, 1982

મલયાળમ સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને રાજકારણી શંકરનકુટ્ટીનો જન્મ કાલિકટમાં થયો હતો. પિતા કુંજીરામન અને માતા કિટ્ટુલી. તેમનું પ્રારંભિક શિક્ષણ ગણપથ શાળામાં થયું. તેમણે 1929માં કાલિકટની ઝામોરિન્સ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, 1934માં ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી. તેઓ 1937માં કાલિકટ ગુજરાતી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય હતા. 1939ના ત્રિપુરા અધિવેશનમાં જવા માટે શાળામાંથી રજા ન મળતાં તેમણે રાજીનામું આપી દીધું. એ પછી તેઓ મુંબઈ અને લખનઉ ગયા. 1945માં કેરળ પાછા ફર્યા. તેમણે ભારતમાં પ્રવાસ કર્યો એ પછી 1949 અને 1952માં વિદેશ પ્રવાસો કર્યા. એના આધાર પર પ્રવાસવર્ણનનાં પુસ્તકો લખ્યાં. તેમને મલયાળમના જોન ગુથરનું બિરુદ મળ્યું હતું. તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે 1928માં કૉલેજના સામયિકમાં પ્રથમ વાર્તા ‘રાજનીથિ’ પ્રકાશિત થઈ હતી. તેમની પ્રથમ નવલકથા ‘નાદાન પ્રેમમ’ 1941માં પ્રકાશિત થઈ હતી. તેમની કૃતિઓનો અંગ્રેજી, ઇટાલિયન, જર્મન, ચેક, રશિયન ઉપરાંત ભારતની મુખ્ય ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે સાઠેક જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં 10 નવલકથાઓ, 24 વાર્તાસંગ્રહો, 3 કાવ્યસંગ્રહો, 18 પ્રવાસવર્ણનો, 4 નાટકો અને નિબંધસંગ્રહ અને સંસ્મરણો આધારિત બે પુસ્તકોનો સમાવેશ થાય છે. 1971માં મિલાનથી પ્રકાશિત ‘ધ બેસ્ટ શૉર્ટ સ્ટોરીઝ ઑવ ધ વર્લ્ડ’ના ઇટાલિયનસંગ્રહમાં તેમની વાર્તા ‘બ્રાંથન નાયા’નો સમાવેશ કરવામાં આવ્યો હતો. રશિયન ભાષામાં તેમની વાર્તાસંગ્રહની એક લાખ નકલોનું માત્ર બે સપ્તાહમાં વેચાણ થયું હતું. તેમની વાર્તાઓ પરથી મલયાળમમાં ફિચર ફિલ્મો બનાવવામાં આવી છે. તેમની વાર્તા ‘કડથુથોની’ પરથી બનેલી ફિલ્મ ‘કડવુ’ને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પુરસ્કારો મળ્યા હતા. તેઓ 1962માં લોકસભાના સાંસદ હતા. તેમને તેમની નવલકથા ‘ઓરુ થેરુવિંટે કથા’ માટે 1961માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, ‘ઓરુ દેસાથિંટે કથા’ માટે 1972માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1980માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1982માં યુનિવર્સિટી ઑવ્ કાલિકટે ડૉક્ટર ઑવ્ લેટર્સની માનદ પદવી આપી હતી. ભારતીય ટપાલખાતાએ 2003માં તેમની પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

અફઘાનિસ્તાન

દક્ષિણ મધ્ય એશિયામાં આવેલો પહાડી દેશ.

તેની ઉત્તરે ઉઝબેકિસ્તાન, ઈશાને તઝાકિસ્તાન, પૂર્વ અને ઈશાને ચીન, પૂર્વ દક્ષિણ પાકિસ્તાન, પશ્ચિમે ઈરાન અને વાયવ્યે તુર્કમેનિસ્તાન આવેલા છે. તેને દરિયાકિનારો નથી. પાકિસ્તાન અને ભારત લદ્દાખ પ્રદેશની સીમા અને અફઘાનિસ્તાનની સીમા ભારત સાથે જોડાયેલી છે. આમ તે પાંચ દેશોની ભૂમિસીમાથી ઘેરાયેલો છે. અફઘાનિસ્તાન ત્રણ પ્રકારનું ભૂપૃષ્ઠ ધરાવે છે. લોખંડ, તાંબું, સીસું અને જસત અહીંનાં મુખ્ય ખનિજો છે. ઉત્તરના સપાટ પ્રદેશોમાં ખેતીનો વ્યવસાય વિકસેલો છે. ઘઉં, ડાંગર, મકાઈ, જવ અને કપાસ અહીંના મુખ્ય પાકો છે. નૈઋત્યનો ઉચ્ચપ્રદેશ રણવિસ્તાર ધરાવે છે. અહીં ઉનાળામાં ધૂળની આંધી થાય છે. મધ્યમાં ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, જે હિમાલય પર્વતમાળાના ભાગ રૂપે છે. તેમાં હિંદુકુશ અને સુલેમાન પર્વતમાળાનો પણ સમાવેશ થાય છે. એમાં ખૈબરઘાટ આવેલો છે. પ્રાચીન સમયમાં સિકંદરે આ માર્ગેથી આક્રમણ કર્યું હતું. ૧,૬૦૦ કિમી. લાંબી અમુદરિયા નદી હિમાલયમાંથી નીકળી અરબી સમુદ્રને મળે છે. કાબુલ નદીના ખીણવિસ્તારમાં વિવિધ જાતનાં વૃક્ષો ઊગે છે.

હજરત અલી મઝાર શરીફબલ્ખ- અફઘાનિસ્તાન

રાજધાની કાબુલમાં ગુરુ ગોરખનાથનું પ્રખ્યાત મંદિર છે. શહેરની મધ્યમાંથી કાબુલ નદી પસાર થાય છે. તેની આસપાસ લીલીછમ ખીણો આવેલી છે. નગરની બહાર બાલાહસાર નામે કિલ્લો આવેલો છે. કાબુલ ઉપરાંત કંદહાર, હૈરાત, અઝર-એ-શરીફ મુખ્ય શહેરો છે. અહીં લગભગ બધા જ લોકો ઇસ્લામ ધર્મ પાળે છે, તે પૈકી ૯૦ % સુન્ની અને ૧૫ % શિયા મુસ્લિમો તથા ૦.૩ % અન્ય લોકો વસે છે. અડધા ઉપરાંત પ્રજા પશ્તોન તથા બાકીના લોકો તાદઝિક, ઉઝબેક, દારી, તુર્કમેની, ઉર્દૂ, આરબીક, બલોચી, નૂરીસ્તાની, પશાઈ, હઝારા તથા અંગ્રેજી ભાષા બોલે છે. અહીંની ગાલીચા અને તાંબાનાં વાસણો પરની હસ્તકળા વિશ્વવિખ્યાત છે. અફઘાનિસ્તાનની સૌથી મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ તે ખેતી અને પશુપાલન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અફઘાનિસ્તાન, પૃ. 27)