Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ સમયે

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ. સ. પૂ. 4 થી ઈ. સ. પૂ. 65) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહ્નમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાય સંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સામે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠ્યો, શિક્ષક થઈને ષડ્યંત્ર રચે ! હવે કરવું શું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જુદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો. સમ્રાટના સેવકો ઝેરનાં પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું. સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે, આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યારબાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટ્યા. સેનેકાએ સમ્રાટ નીરોને જે પત્ર પાઠવ્યો હતો, તેમાં એમણે નીરોને લખ્યું હતું, ‘તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.’ આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

રાધાબાઈ સુબારાયણ

જ. 22 એપ્રિલ, 1891 અ. 1 જાન્યુઆરી, 1960

ભારતનાં પ્રથમ મહિલાસાંસદ. રાધાબાઈનો જન્મ મેંગ્લોર, કર્ણાટકમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મેંગ્લોરની જ એક શાળામાં પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ મદ્રાસ(ચેન્નાઈ)ની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયાં. પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડની સમરવિલે કૉલેજમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી. તેઓ અખિલ ભારતીય મહિલા સંમેલનનાં સભ્ય બન્યાં અને તેમાં કાર્યરત રહ્યાં. 1930માં બેગમ શાહનવાઝ સાથે તેઓએ લંડનમાં પ્રથમ ગોળમેજી સંમેલનમાં ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વળી દ્વિતીય ગોળમેજી સંમેલનમાં પણ ભાગ લીધો અને મહિલાઓ માટે પાંચ પ્રતિશત આરક્ષણની માંગ પણ કરી હતી. 1937માં તેઓ જનરલ બેઠક પરથી કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઇચ્છતાં હતાં, પણ મદ્રાસ પ્રોવિન્શિયલ રિસેપ્શન સમિતિના અધ્યક્ષે તેમને સમર્થન ના આપ્યું. તેમણે સી. રાજગોપાલાચારી પાસે પણ પોતાનો પક્ષ રાખ્યો, પણ તેમને સફળતા ન મળી. જોકે 1938માં તેમણે ચૂંટણીમાં ભાગ લીધો અને નિર્વિવાદ રાજ્ય પરિષદમાં ચૂંટાઈ આવ્યાં હતાં. આમ તેઓ ભારતનાં પ્રથમ મહિલાસાંસદ બન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

અરુણાચલ પ્રદેશ

ભારતનું તેના ઈશાન ખૂણામાં આવેલું એક રાજ્ય.

ભૌગોલિક સ્થાન : 26° 28´ થી 29° 30´ ઉ. અ. અને 91° 20´થી 97° ૩૦´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય આ રાજ્યમાં થાય છે, તેથી તેનું નામ અરુણાચલ છે. આ વિસ્તાર એક સમયે નેફા (North-East-Frontier Agency – NEFA) તરીકે ઓળખાતો હતો. તેની પશ્ચિમે ભુતાન, ઉત્તરે તિબેટ (ચીન) અને પૂર્વે મ્યાનમાર દેશ આવેલો છે. જ્યાર દક્ષિણે ભારતનાં નાગાલૅન્ડ અને અસમ રાજ્ય આવેલ છે. 2026 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 19 લાખ  છે. રાજ્યમાં જિલ્લા, શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે 26, 27 અને 5,587 છે. ઇટાનગર, તવાંગ તેનાં મુખ્ય શહેરો છે. તે મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત, પર્વતમાળાનો પ્રદેશ છે. 3000થી 6000 મીટરની ઊંચાઈ ધરાવતી ઉત્તર તરફની પર્વતમાળાનો કેટલોક ભાગ હિમાચ્છાદિત છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલના પ્રદેશમાંથી અસમ બાજુ વહે છે.

અરુણાચલ પ્રદેશમાં એક બૌદ્ધ ધર્મનું મંદિર

આ પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોઈ ઉનાળામાં વરસાદ પડે છે. શિયાળામાં ઊંચાઈવાળા ભાગોમાં બરફ જામી જાય છે. આ વિસ્તાર પર્વતાળ હોવાથી બાગાયતી ખેતી માટે અહીં ઘણી સારી શક્યતાઓ છે. પાઇનેપલ, નારંગી, સફરજન, પીચ, ચેરી, અખરોટ વગેરે ફળાઉ વૃક્ષો અહીં ઉછેરવામાં આવે છે. વળી ડાંગર, મકાઈ, બાજરી અને બટાટા તથા કેટલાંક રાગી જેવા હલકાં ધાન્યોની ખેતી પણ થાય છે. પ્રદેશના 80 % ભાગમાં જંગલો છે. અહીં વાઘ, દીપડો, હાથી વગેરે પ્રાણીઓનાં અભયારણ્યો છે. ખનિજતેલ, કોલસો, ડૉલોમાઇટ અહીંની મુખ્ય ખનિજ છે. વણાટકામ તથા વાંસની ટોપલીઓ બનાવવાના લઘુઉદ્યોગ અહીં આવેલા છે. તે સિવાય સિમેન્ટ, પ્લાયવૂડ અને ફળો ઉપર ખાદ્યપ્રક્રમણ કરવાના ઉદ્યોગો તથા લાકડાં વહેરવાની મિલો આવેલી છે. મૉંગોલાઈ વંશની 26 જેટલી આદિવાસી જાતિઓ આ રાજ્યમાં રહે છે. આમાં અર્દિ, નિશી, અપટાની, તાજીન, મિશીમી, ખામ્પા વગેરે મુખ્ય છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અરુણાચલ પ્રદેશ, પૃ. 65)