શ્રીલંકા


ભારતની દક્ષિણે આવેલો એક પડોશી દેશ.

શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ છાજલી પર આશરે ૩૫ કિમી. દૂર આવેલો નાનો ટાપુરૂપ દેશ છે. તે લગભગ ૫ ૫૫´થી ૯ ૫૦´ ઉ. અ. તથા ૭૯ ૪૨´થી ૮૧ ૫૨´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની ચારે બાજુ સમુદ્ર છે. તેની પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, ઉત્તરમાં મનારનો અખાત તથા દક્ષિણમાં હિન્દી મહાસાગર આવેલા છે. તેનો આકાર મોતી અથવા નાળિયેર જેવો છે. તેનાથી થોડેક દૂર દક્ષિણમાં હિન્દી મહાસાગરમાં થઈને વિષુવવૃત્તની રેખા પસાર થાય છે. તેનું ક્ષેત્રફળ આશરે ૬૫,૬૧૦ ચોકિમી. જેટલું છે. તે ઉત્તર-દક્ષિણ વધુમાં વધુ ૪૩૫ કિમી. જેટલી લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ આશરે ૨૪૦ કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. તે ૧૫૦૦ કિમી. લાંબો સમુદ્રતટ ધરાવે છે. તેની વસ્તી આશરે ૨,૦૮,૧૦,૮૧૬ (૨૦૧૭) જેટલી છે.

કોલંબો

શ્રીલંકા અને ભારત વચ્ચે સાંકડી અને છીછરી પાલ્કની સામુદ્રધુની આવેલી છે, જેમાં બંને દેશોને જુદા પાડતી સીમા આવેલી છે. ધનુષ્કોડી (ભારત) અને તલાઈમનાર (શ્રીલંકા) વચ્ચે હારબંધ ખડકાળ નાના નાના દ્વીપો અને રેતાળ પરવાળાના ખરાબાની એક શૃંખલા આવેલી છે જે ‘આદમના પુલ’ કે ‘રામના સેતુ’ તરીકે ઓળખાય છે. રામાયણ મહાગ્રંથમાં શ્રીરામ, લક્ષ્મણ તથા હનુમાનજીએ તેમની સેના સાથે આ પુલ પર થઈને લંકાના રાજા રાવણ પર આક્રમણ કર્યું હોવાનો ઉલ્લેખ છે. શ્રીલંકાની કુદરતી વનસ્પતિમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. ગિરિપ્રદેશના ઊંચા ભેજવાળા ભાગોમાં સદાહરિત જંગલો આવેલાં છે. કેટલીક જગ્યાએ પરરોહી (orchid) વનસ્પતિની જાતો પણ વૃક્ષો પર થતી જોવા મળે છે. નદીકિનારા પાસે વાંસનાં ઝુંડ અને તાડની વિવિધ જાતો થાય છે. દેશના પશ્ચિમ કિનારે ફણસનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. શ્રીલંકામાં જોવા મળતાં પ્રાણીઓમાં સ્લોથ બૅર (રીંછ), હાથી, ચેવરોટાઇન, હરણ, વાંદરાં અને સ્લેન્ડર લૉરિસ મુખ્ય છે. સાબરાગામુવા પ્રદેશનાં જંગલોમાં વિશિષ્ટ પ્રકારના હાથી થાય છે. સિલોન સાબર અને સાપની કેટલીક જાતો પૈકીની પોલોન્ગા એ અહીંની વિશિષ્ટ જાત છે. અહીં ચામાચીડિયાની ૨૮ જાતો જોવા મળે છે. તે સિવાય અહીં કોયલ, મોર, કાગડા, ઘુવડ, બાજ, ગરુડ, સેવન સિસ્ટર્સ, હમિંગ બર્ડ વગેરે પક્ષીઓ મહત્ત્વનાં છે. નદીઓ તથા સમુદ્રમાં સંખ્યાબંધ મગર જોવા મળે છે. વળી બતક, બગલાં, સારસ, જળકૂકડી, હંસ વગેરે સામાન્ય છે. પાટનગર કોલંબો શ્રીલંકાનું સૌથી મોટું નગર તથા બંદર છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

જ્યોર્જ નેથૅનિયલ કર્ઝન


જ. ૧૧ જાન્યુઆરી, ૧૮૫૯ અ. ૨૦ માર્ચ, ૧૯૨૫

લૉર્ડ કર્ઝન તરીકે ખ્યાતિ પામનાર ભારતના જાણીતા વાઇસરૉય અને કાર્યદક્ષ વહીવટકર્તા. ઑક્સફર્ડમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાને લીધે ૨૭ વર્ષની ઉંમરે ૧૮૮૬માં ઇંગ્લૅન્ડની સંસદમાં સભ્ય બન્યા. તેમના ઉમદા વ્યક્તિત્વની કદર કરતાં સરકારે ૧૮૯૮માં તેમની ભારતના ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરી. ભારત આવતાં પહેલાં જ ભારત દેશની પરિસ્થિતિનો સંપૂર્ણ પરિચય મેળવી લીધો. તે સમયે ભયાનક દુષ્કાળની પરિસ્થિતિ હોવાથી ભારતના વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા ઝડપી અને અસરકારક પગલાં લીધાં હતાં. આમ તમામ ક્ષેત્રે કેન્દ્રીકરણની નીતિ અપનાવી હતી. તમામ પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ણાતોના અભિપ્રાયો અને સૂચનો મેળવી વહીવટી માળખામાં ક્રાંતિકારી ફેરફારો કર્યા. એન્ટની મૅકડોનાલ્ડના અધ્યક્ષપણા નીચે દુષ્કાળ પંચની નિમણૂક કરી. સર ઍન્ડ્રુ ફ્રેઝરના પ્રમુખપદે પોલીસતંત્રમાં સુધારા કરવા પંચની નિમણૂક કરી. લૉર્ડ કિચનરના અધ્યક્ષપણા હેઠળ લશ્કરમાં સુધારાવધારા અંગે તથા થૉમસ રેલેના નેતૃત્વ નીચે શિક્ષણક્ષેત્રે સુધારા માટે પંચની નિમણૂક કરી. ૧૯૦૪માં ‘સહકારી ધિરાણ સોસાયટી ધારો’ અને ‘પુરાતત્ત્વ સ્મારક સંરક્ષણ ધારો’ પસાર કર્યા. ૧૯૦૫માં જુલાઈ માસમાં ભાગલાની યોજના તૈયાર કરી અને વહીવટી સુગમતા અને આસામના વિકાસના બહાના હેઠળ ૧૬ ઑગસ્ટ, ૧૯૦૫ના રોજ બંગાળના ભાગલા જાહેર કરવાથી જોરદાર વિરોધનો વંટોળ જાગ્યો. આખરે ૧૯૧૧માં લૉર્ડ હાર્ડિન્ગે તે ભાગલા રદ કર્યા. વિચક્ષણ બુદ્ધિપ્રતિભા સાથે તુમાખીપણું અને જક્કી વલણને લીધે સરસેનાપતિ લૉર્ડ કિચનર સાથે અધિકારક્ષેત્રની બાબતે મનદુ:ખ થતાં ઑગસ્ટ, ૧૯૦૫માં રાજીનામું આપી સ્વદેશ પાછા ફર્યા. તેમનો છ વર્ષનો શાસનકાળ ઘણો ચર્ચાસ્પદ રહ્યો અને ભારતની પ્રજામાં અપ્રિય પણ રહ્યા. ભારત છોડ્યા પછી ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન તેઓ બ્રિટનના વિદેશમંત્રી રહ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

તમારી આંખનાં આંસુ એની


આંખમાં લે છે ? —————

વેદનાની વાત એવી વ્યક્તિઓને કરવી કે જેમની ભીતરમાં સંવેદના હોય. દુ:ખની વાત એને કરવી કે જેણે દુ:ખના ઘા ખમ્યા હોય. જીવનની વ્યથા, પીડા કે વેદનાની વાત કરતી વખતે તમારે એના કાનનો પહેલાં વિચાર કરવો. જે કાન શ્રવણ કરવાના છે, એ કઈ રીતે ગ્રહણ કરશે ? વ્યક્તિઓ ત્રણ પ્રકારની હોય છે. કેટલીક વ્યક્તિઓ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને પોતાનાં દુ:ખ-દર્દ વેદના જગાવે છે. બીજાનો પ્રણયભંગ એમના દિલમાં પોતાના પ્રણયભંગની સ્મૃતિની વેદના જગાવે છે. અન્યની ગરીબ અવસ્થા જોઈ એ એમની પૂર્વેની દરિદ્રતાના વિચારમાં ડૂબી જાય છે. આવી વ્યક્તિઓને બીજાનાં દુ:ખ સાથે અનુસંધાન હોતું નથી, પણ પોતાની જાત સાથે ગાઢ આસક્તિ હોય છે. બીજા પ્રકારની વ્યક્તિ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને એમને શાબ્દિક સહાનુભૂતિ આપશે. ગળગળા અવાજે એની વાતનો સ્વીકાર કરશે અને અવસર મળે આંખમાં આંસુ પણ લાવશે, પરંતુ  એમની સહાનુભૂતિ એ આ ક્ષણ પૂરતી હોય છે, પછીની ક્ષણે એણે કહેલા સાંત્વનાના સઘળા શબ્દો એના અંતરમાંથી લુપ્ત થઈ જાય છે. આ બંને પ્રકારના માણસો સમક્ષ પોતાનાં દુ:ખ-દર્દ પ્રગટ કરવાં નહીં, જે તમારા સ્વજન હોય એમ ઊંડા ભાવથી તમારાં દુ:ખ પૂછશે અને પછી તમારાં દુ:ખોનું દુનિયા સમક્ષ હસતાં હસતાં વર્ણન કરશે. ટ્રૅજેડીમાંથી કૉમેડીના અંશો તારવશે. એમને મન બીજાનું દુ:ખ એ એમની ખુશીનું કારણ હોય છે. એમને બીજાનાં હૃદયના ઘા રૂઝવવામાં રસ નથી. તક મળે તો એના પર મીઠું ભભરાવવાનું ચૂકતા નથી. પોતાના જીવનની વ્યથા, વેદના, દુ:ખ કે પીડા એવી વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરવી કે જેની પાસે તમારી આંખનાં આંસુ એની આંખમાં લઈ શકે તેવું સંવેદનાપૂર્ણ હૃદય હોય અને સક્રિય સહાયની તત્પરતા હોય.

કુમારપાળ દેસાઈ