Categories
વાચન સમૃદ્ધિ

ખરીદીનો ખ્યાલ

ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂર્વે ૪૬૯થી ઈ. સ. પૂર્વે ૩૯૯) એમ કહેતો કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ એનો એ આગ્રહ રહેતો કે એના તત્ત્વજ્ઞાનના વિચારો એના જીવનના આચરણમાં પ્રગટ થવા જોઈએ, કારણ કે જીવન સાથે સંકળાયેલા ન હોય એવા વિચારોનું સૉક્રેટિસને માટે કોઈ મૂલ્ય નહોતું. એમનો એક વિચાર એવો હતો કે ડાહ્યો માણસ ક્યારેય ઉડાઉ ન હોય, એને ખ્યાલ હોય કે જીવનમાં આગોતરી જાણ કર્યા વિના મુશ્કેલીના દિવસો પણ આવતા હોય છે, આથી તે બચત કરતો હોય છે. આ તત્ત્વજ્ઞાની એમ કહેતો પણ ખરો કે મારી માતા દાયણ અને પિતા શિલ્પી હોવાથી મેં પણ એમના વ્યવસાયના ગુણો અપનાવ્યા છે. માતાના ગર્ભમાંથી દાયણ શિશુને બહાર કાઢે છે, તેમ પોતે જનમાનસમાંથી અજ્ઞાનને બહાર ખેંચી કાઢે છે. શિલ્પી જેમ પથ્થરમાં માનવઆકૃતિ કંડારે, એ જ રીતે એ માનવ-વ્યક્તિત્વને કંડારવાનું કામ કરે છે. આથી સૉક્રેટિસ જ્યારે ગ્રીસના સૈન્યમાં હતો, ત્યારે બીજા બધા બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ઉઘાડા પગે બીજાઓની જેટલી જ ઝડપથી ચાલતો હતો. એણે ક્યારેય બૂટ પહેર્યા નહોતા. એ ઍથેન્સની શેરીઓમાં અને બજારોમાં પોતાનો ઘણો સમય વિતાવતો હતો. અહીં કોઈ માણસ મળે અને કંઈક વાત શરૂ કરે એટલે એ પોતાની લાક્ષણિક ઢબે વાત કરવા માંડતો. ઍથેન્સની શેરીઓ અને એના બજારમાં વારંવાર ઘૂમતા સૉક્રેટિસને એનો એક મિત્ર બજારમાં મળી ગયો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આટલો બધો સમય બજારમાં ફર્યા કરો છો અને એકે ચીજવસ્તુ તો ખરીદતા નથી. તો પછી આમ શહેરની બજારોમાં આટલું બધું ઘૂમવાનો અર્થ શો ?’ તત્ત્વજ્ઞાની સૉક્રેટિસે હસીને કહ્યું, ‘ભાઈ, હું બજારમાં ફરું છું અને ત્યાંની સઘળી ચીજવસ્તુઓને નિહાળું છું અને વિચારું છું કે હું મારા જીવનમાં કેટલી બધી ચીજવસ્તુઓ વગર ચલાવી શકું છું.’

Categories
વાચન સમૃદ્ધિ

રાજા રામમોહનરાય

જ. ૨૨ મે, ૧૭૭૨ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૮૩૩

ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા પ્રયાસ કરનાર રાજા રામમોહનરાય સમાજસુધારક હતા. રામમોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના તથા માતા તારિણીદેવી શૈવ કુટુંબનાં હતાં. રામમોહનરાયનું બાળપણનું શિક્ષણ તેમના ગામની નિશાળમાં થયું હતું. જ્યાં તેઓએ બંગાળી, સંસ્કૃત, ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરવા માટે બનારસ ગયા. ભાષાઓનો અભ્યાસ કર્યા બાદ તેમના પર એકેશ્વરવાદના વિચારનો પ્રભાવ પડ્યો અને તેમણે પોતાનો પહેલો ગ્રંથ આ વિષય પર લખ્યો. રામમોહને સમાજસુધારણા માટે ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની નોકરી છોડી દીધી. તેમના સમાજસુધારણાના કાર્યથી ખુશ થઈને મુઘલ બાદશાહે સાલ ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપ્યો અને પોતાના વકીલ તરીકે ઇંગ્લૅન્ડ મોકલ્યા. તેમણે બ્રહ્મોસમાજ નામે એક સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ બંગાળમાં સમાજ અને ધર્મસુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી એક ‘સંવાદ કૌમુદી’ નામનું સાપ્તાહિક પ્રગટ કરતા હતા. તેઓએ બાળલગ્નો, બહુપત્નીપ્રથા દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમના ઘરમાં જ તેમનાં ભાભીને બળજબરીથી સતી બનાવ્યાં તે ઘટના તેઓએ બાળપણમાં જોયેલી, જેની ઘેરી અસર તેમના મન પર થયેલી. આથી ‘સતીપ્રથા’ની વિરુદ્ધ તેમણે મોટી ઝુંબેશ ચલાવી. તેમણે બતાવ્યું કે ધર્મશાસ્ત્રમાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી. રાજા રામમોહનરાય ભારતના આદ્યસુધારક ગણાય છે. નવા યુગના તેઓ અગ્રદૂત અને જ્યોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મસમાજ સમાજસુધારણા માટે કાર્યરત છે. એમના પ્રયાસો થકી બાળલગ્ન, સતીપ્રથા અને બહુપત્નીપ્રથા વગેરે નાબૂદ થયાં છે. ભારત સરકારે ૧૯૬૪ની સાલમાં તેમના માનમાં ટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાર્ક

(The South Asian Association for Regional Co-operation –SAARC)

ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશો વચ્ચે પ્રાદેશિક સ્તરે એકબીજા વચ્ચે આર્થિક સહકાર વધતો અને વિકસતો રહે તે માટે સ્થપાયેલું પ્રાદેશિક સંગઠન. તેની સ્થાપના ડિસેમ્બર, ૧૯૮૩માં થઈ હતી. ત્યારે સભ્ય દેશોના વિદેશમંત્રીઓ દિલ્હી ખાતે મળ્યા હતા. શરૂઆતમાં તેમાં દક્ષિણ એશિયાના સાત દેશો જોડાયા હતા. પ્રારંભે નેપાળથી શ્રીલંકા સુધીના દેશો તેના સભ્યો હતા. આઠમા સ્થાને અફઘાનિસ્તાન તેમાં જોડાનાર સભ્ય છે. આ આઠ દેશો અનુક્રમે અફઘાનિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, ભુતાન, માલદીવ અને શ્રીલંકા છે. વિવિધ દેશોના વિદેશમંત્રીઓ મળ્યા ત્યારે  સાર્કની ઉદઘોષણા (declaration) કરવામાં આવેલી. આ ઉદઘોષણા સાથે ‘ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઑવ્ ઍક્શન’ (IPA) શરૂ કરવામાં આવ્યો. ડિસેમ્બર, ૧૯૮૫માં આ સંગઠનની પ્રથમ શિખર પરિષદમાં સાર્કની સ્થાપના અંગેનું ખતપત્ર (charter) સ્વીકૃતિ પામ્યું.

સાર્કનું વહીવટી મથક – સચિવાલય, કાઠમંડુ, નેપાળ

તે વેળા જાહેર કરાયેલ ઉદ્દેશ મુજબ દક્ષિણ એશિયાની પ્રજાઓના કલ્યાણમાં વધારો કરવા; સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસની ગતિને વેગ આપવાના હેતુઓ તે ધરાવે છે. સાથે સભ્યો વચ્ચેની સામૂહિક સ્વયં-પર્યાપ્તતા વધારવાનો અને તેને મજબૂત કરવાનો ઉદ્દેશ પણ આ સંગઠનનો છે. અન્ય રાજ્યોના આંતરિક સંબંધોમાં બિન-દરમિયાનગીરી અને પારસ્પરિક લાભની બાબતમાં સહકારથી આગળ વધવાની નેમ તે રાખે છે. સંગઠનની રીતે વિચારીએ તો સાર્ક બાબતો અંગેની છેલ્લી સત્તા જે તે દેશના વડા અને સરકાર પાસે રહે છે. આ વડાઓ શિખર બેઠક (સર્વોચ્ચ બેઠક) માટે વર્ષમાં એક વાર મિટિંગ યોજે છે. આ બાબતના અનુસંધાનમાં જે તે દેશના વિદેશમંત્રીઓ વર્ષે બે વાર મળે છે. તેઓ સાર્ક અંગે નીતિઓ ઘડે, પ્રગતિની સમીક્ષા કરે અને સહકાર અંગેનાં નવાં ક્ષેત્રો વિકસાવવાના નિર્ણયો લે છે. તેમની સહાય માટે પ્રોગ્રામિંગ કમિટી અને ૧૧ ટૅકનિકલ કમિટીઓ કામ કરતી રહે છે. સાર્કના વડા સેક્રેટરી જનરલ (મુખ્ય મંત્રી) હોય છે. તેમને મદદ માટે બીજા સાત ડિરેક્ટરો હોય છે, જે સેક્રેટરી જનરલ દ્વારા નિમાય છે. આ સભ્યોની નિમણૂક ત્રણ વર્ષની મુદત માટે કરવામાં આવે છે. જરૂરિયાત ઊભી થાય તો અને ત્યારે આ મુદત વધારી શકાય છે. ચર્ચા માટે મુકાતા વિષયોની પસંદગી સર્વસંમતિથી થાય છે. દેશો વચ્ચેના રાજકીય વિવાદોને લીધે કેટલીક વાર અવરોધો ઊભા થાય છે અને તેમનો ઉકેલ પણ શોધાય છે. દેશોનું ભૌગોલિક સ્થાન, આર્થિક વિકાસ, વસ્તીનું કદ, ઔદ્યોગિક ઉત્પાદનની વિવિધતા અને દેશની ગર્ભિત શક્તિ – આ બધી બાબતો તેની કાર્યશૈલીમાં પ્રભાવક નીવડે છે. તેનું વહીવટી મુખ્ય મથક – સચિવાલય કાઠમંડુ (નેપાળ) ખાતે કાર્યરત છે. દક્ષિણ એશિયાના દેશો માટે તે ચર્ચાવિચારણાની સારી ભૂમિકા પૂરી પાડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી