Categories
વાચન સમૃદ્ધિ

સિંધુ (નદી)

દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી.

દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક. લંબાઈ ૨,૮૯૭ કિમી.. કુલ સ્રાવવિસ્તાર ૧૧,૬૫,૫૦૦ ચોકિમી.. તે માનસરોવર નજીકના લાંગા સરોવરના ૪,૮૭૫ મીટર ઊંચાઈ ધરાવતા ઉત્તર ભાગમાંથી નીકળે છે. અહીંથી તે વાયવ્ય તરફ ૩૨૦ કિમી. જેટલું અંતર કાપી; અગ્નિ દિશા તરફનો વળાંક લઈ, લદ્દાખના પાટનગર લેહથી ૨૦ કિમી. અંતરેથી પસાર થાય છે. અહીં તેને ઝાસ્કર નદી મળે છે. ત્યારબાદ ત્યાંથી ૨૪૦ કિમી. સુધી વહે છે. ત્યાં તેના જમણા કાંઠે શ્યોક, શિગાર, હુંઝા, ગિલગિટ, અસ્તોર વગેરે નદીઓ પણ મળે છે.

સિંધુ નદી

કાશ્મીરની પશ્ચિમ સરહદના વટાવ્યા પછી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે. અહીં નંગા પર્વતની હારમાળામાં આ નદીએ ૩,૦૦૦ મીટર ઊંડું અને ૨૦થી ૨૫ કિમી. પહોળું કોતર કોરી કાઢેલું છે. અહીં તેણે ૧,૫૦૦ મીટર જેટલો ઢાળ તૈયાર કર્યો છે. અટક પાસે તેને કાબુલ નદી મળે છે તથા પશ્ચિમ તરફથી આવતી ઝોબ, સાંગાર, રાકની, કુર્રમ, ટોચી અને ગોમલ જેવી નાની નદીઓ મળે છે. અહીંના ૬૦૦ મીટર ઊંચાઈવાળા પ્રદેશમાં તેના પર સર્વપ્રથમ રેલમાર્ગ-સડકમાર્ગ ધરાવતો પુલ આવેલો છે. અહીંથી તે પશ્ચિમ તરફ ફંટાય છે. ત્યારબાદ કાલાબાઘ નજીક પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશે છે, ત્યાં તેને પૂર્વ કાંઠે જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓ એક પછી એક મળતી જાય છે, ત્યાર બાદ તે ઓછા વરસાદવાળા પ્રદેશમાંથી પસાર થતી હોવા છતાં તેને પાંચ નદીઓનો પુરવઠો મળતો હોવાથી વિશાળ પટવાળી બની રહે છે. ત્યારબાદ કાંપ અને રેતીના થર પથરાતા જતા હોવાથી તેનો પ્રવાહ-વેગ ઘટતો જાય છે અને મેદાની સ્વરૂપ રચાતું જાય છે. જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે પૂર્વ કિનારા તરફ કાંપજમાવટ થતી રહે છે અને વહનમાર્ગ બદલાતો જાય છે. સક્કર, ખૈરપુર અને હૈદરાબાદ વટાવ્યા પછી કરાંચીથી અગ્નિકોણમાં આવેલા ટટ્ટા પાસે તે પંજાકારે વહેંચાઈને આશરે ૩,૦૦૦ ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લેતા અસમતળ ત્રિકોણપ્રદેશમાં ફેરવાઈ જાય છે. છેવટે તે અરબી સમુદ્રમાં ઠલવાય છે. મુખત્રિકોણના બંને છેડા વચ્ચેની લંબાઈ આશરે ૨૦૮ કિમી. જેટલી બની રહે છે. ભરતી વખતે નદીનાળામાં પાછાં પડતાં પાણી અંતરિયાળ ભાગ તરફ ૮ કિમી.થી ૩૨ કિમી. સુધી ફેલાય છે.

જળજથ્થો – કાંપજથ્થો : સિંધુ નદી દર વર્ષે સરેરાશ આશરે ૧૧૧ અબજ ઘનમીટર જળજથ્થો સમુદ્રમાં ઠાલવે છે. એ જ રીતે તેમાં ઉપરવાસમાંથી આવતું ઘનદ્રવ્ય જે હૈદરાબાદની દક્ષિણે ઠલવાય છે, તેનો અંદાજ દરરોજનો ૧૦ લાખ ટન જેટલો મુકાયેલો છે. વસવાટ : ૪,૦૦૦ વર્ષ અગાઉની મોહેં-જો-દડોની સંસ્કૃતિ આ નદીને કાંઠે વિકસી હતી. તેથી તેના ‘સિંધુ’ નામ પરથી ‘હિંદુ’ શબ્દ આવેલો છે. તેના કાંઠા પર આજે કરાંચી, હૈદરાબાદ, કોટરી, સેહવાન સક્કર, ડેરા ગાઝીખાન, ડેરા ઇસ્માઇલખાન, મુલતાન અને અટક જેવાં શહેરો વસેલાં છે. કરાંચી તે પૈકીનું મોટું શહેર, વેપારીમથક અને કુદરતી બારું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ (નદી),
પૃ. ૨૦૮)

Categories
વાચન સમૃદ્ધિ

ગુલઝારીલાલ નંદા

જ. ૪ જુલાઈ, ૧૮૯૮ અ. ૧૫ જાન્યુઆરી, ૧૯૯૮

ભારતરત્નથી સન્માનિત ભારતના પૂર્વવડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી મજૂરનેતા ગુલઝારીલાલ નંદાનો જન્મ પંજાબના સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમાં છે)માં થયો હતો. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતાનું નામ ઈશ્વરદેવી હતું. તેમનાં પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું. તેમને પોતાનું શિક્ષણ લાહોર, આગ્રા અને અલાહાબાદમાં પ્રાપ્ત થયું હતું. ૧૯૨૦-૨૧માં તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં શ્રમ સંબંધી સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું હતું. ૧૯૨૧માં મુંબઈની નૅશનલ કૉલેજમાં અધ્યાપક બનવાની સાથોસાથ તેઓ અસહકાર આંદોલનમાં જોડાયા હતા. ૧૯૨૨માં તેઓ અમદાવાદ ટેક્સટાઇલ લેબર ઍસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે ૧૯૪૬ સુધી કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સત્યાગ્રહ માટે તેઓ ૧૯૩૨માં અને ફરીથી ૧૯૪૨થી ૧૯૪૪ સુધી જેલમાં રહ્યા હતા. ગુલઝારીલાલ નંદાએ ૧૯૪૬થી ૧૯૫૦ સુધી બૉમ્બે સરકારના શ્રમમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્ય વિધાનસભામાં શ્રમવિવાદવિધેયક સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. તેમણે કસ્તૂરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, હિન્દુસ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે અને રાષ્ટ્રીય યોજના સમિતિના સદસ્ય તરીકે સેવાઓ આપી હતી. ૧૯૪૭માં જિનીવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં તેમણે એક સરકારી પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ૧૯૫૦માં તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ બન્યા હતા. ગુલઝારીલાલ નંદા ૧૯૫૨ અને ૧૯૫૭ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી. ૧૯૬૨માં સાબરકાંઠા બેઠક પરથી ચૂંટાયા બાદ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી કેન્દ્રીય ગૃહમંત્રીપદે પણ રહ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ ૨૭ મેથી ૯ જૂન, ૧૯૬૪ સુધી અને લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ૧૧ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું. બાદમાં ૧૯૭૦-૭૧માં તેઓ રેલવેમંત્રી પણ બન્યા હતા. ‘ગુલઝારીલાલ નંદા : અ લાઇફ ઇન ધ સર્વિસ ઑફ પીપલ’ નામના પ્રેમિલા કાનનલિખિત જીવનચરિત્રમાં ગાંધીજી સાથેની નંદાની મુલાકાતનું વર્ણન છે. તેમણે પોતે પણ પાંચેક અંગ્રેજી પુસ્તકો લખેલાં છે. સાદગીની જીવંત મૂર્તિ તરીકે ગુલઝારીલાલ સદા સ્મરણમાં રહેશે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : ટૂંકી વાર્તાનો આસ્વાદ |

રા. વિ. પાઠક `દ્વિરેફ’લિખિત `જક્ષણી ‘ |

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર |

તારીખ : 10 જુલાઈ 2025, ગુરુવાર |

સમય : સાંજના 5-00 |

વિશ્વકોશમાર્ગ, ઉસ્માનપુરા

અમદાવાદ – 380 013