Categories
વાચન સમૃદ્ધિ

આત્મવિશ્વાસને સહારે

ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) ક્રોધી સ્વભાવ ધરાવતો હતો. નાની નાની વાતમાં એ અત્યંત ગુસ્સે થઈ જતો અને એ વ્યક્તિને આકરી સજા ફરમાવતો હતો. એક વાર ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) બીમાર પડ્યો. એના ક્રોધી સ્વભાવને લીધે નગરનો એકે ડૉક્ટર એની ચિકિત્સા કરવા રાજી નહોતો. સૌને ભય હતો કે એની ચિકિત્સા કરવા જતાં એને સહેજે પીડા થાય, તો એ ડૉક્ટરને આકરામાં આકરી સજા ફરમાવે. આવા ગુસ્સાવાળા રાજાથી તો દૂર જ સારા, એમ વિચારીને શહેરનો કોઈ ડૉક્ટર તૈયાર થયો નહીં; પરંતુ ગામડામાં રહેતા એક ડૉક્ટરે હિંમત કરી અને એ રાજા જ્યોર્જનો ઉપચાર કરવા લાગ્યો. રાજા જ્યોર્જ બેભાન બની ગયો હતો. એ સમયે એના રોગનું નિદાન કરવા માટે આ ડૉક્ટરે એનું લોહી લીધું. થોડા સમય બાદ રાજા સ્વસ્થ થયો; પરંતુ જ્યારે એને ખબર પડી કે આ ડૉક્ટરે એના શરીરમાંથી પરીક્ષણ કરવા માટે લોહી લીધું હતું, ત્યારે એ ગુસ્સાથી લાલચોળ થઈને બોલ્યો, ‘મારી રજા વિના મારું લોહી લીધું કેમ ? કોણે તને રાજાનું ખાનદાની લોહી લેવાનો આવો અધિકાર આપ્યો ? તારા આવા અવિનયી કૃત્યની તારે સજા ભોગવવી જ પડશે.’ ડૉક્ટરે કહ્યું, ‘આપ મને જરૂર સજા કરો; પરંતુ મારે એટલું જ કહેવાનું કે જે સમયે મેં આપનું લોહી લીધું, ત્યારે આપ બેહોશ હોવાથી મને રજા આપવાની સ્થિતિમાં નહોતા.’ ઉત્તર સાંભળતાં રાજાનો ક્રોધ શાંત થઈ ગયો અને આ ચિકિત્સકને પોતાના અંગત ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યો. અન્ય ડૉક્ટરોએ આ ડૉક્ટરને પૂછ્યું કે આવા મહાક્રોધી રાજાનો ઉપચાર કરવાનું બીડું એણે કેમ ઝડપ્યું, ત્યારે આ ડૉક્ટરે જવાબ આપ્યો, ‘મારો આત્મવિશ્વાસ જ મને અહીં સુધી લઈ આવ્યો હતો. જે લોકો જોખમ વહોરીને આત્મવિશ્વાસની સાથે પોતાનું કામ કરવા પ્રયત્ન કરે છે, એને અવશ્ય સફળતા સાંપડે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

રવીન્દ્રનાથ ટાગોર

જ. 7 મે, 1861 અ. 7 ઑગસ્ટ, 1941

આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નવલકથાકાર, સમાજસુધારક, ચિત્રકાર અને સંગીત રચયિતા. જ્યારે 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો ત્યારે આ નોબેલ પુરસ્કાર મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા. મૂળ અટક ઠાકુર. જન્મ કૉલકાતામાં જોડાસાંકાની ઠાકુરવાડીમાં. સાતમે વર્ષે બ્રિટિશ પરંપરાની નૉર્મલ સ્કૂલમાં ભણવા મૂક્યા પણ ત્યાં ફાવ્યું નહિ તેથી ઘેર રહીને જ અભ્યાસ કર્યો. 1878માં મોટા ભાઈ સત્યેન્દ્રનાથ સાથે ઇંગ્લૅન્ડ ભણવા ગયા, પણ 17 મહિના બાદ કોઈ ડિગ્રી મેળવ્યા વગર જ ભારત પાછા આવ્યા. જોકે ત્યાં તેમણે ‘ભગ્નહૃદય’ નામે ગીતિનાટ્ય લખવાનું શરૂ કરેલું. ઇંગ્લૅન્ડથી પાછા આવ્યા બાદ એક આધ્યાત્મિક અનુભવ થવાને પરિણામે ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ કવિતા રચી. 1910માં ઈશ્વરને અર્ઘ્ય રૂપે ‘ગીતાંજલિ’ની રચના કરી. તેમણે બંગભંગઆંદોલનમાં સક્રિય ભાગ લીધો, પણ રાજકારણ અનુકૂળ ન આવતાં પાછા શાંતિનિકેતનમાં શિક્ષણ અને સાહિત્યની સાધનામાં લાગી ગયા. તેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમનાં લખાણનાં બે ગીતો બાંગ્લાદેશ અને ભારતના રાષ્ટ્રગાન અનુક્રમે ‘અમાર સોનાર બાંગલા’ અને ‘જન ગણ મન’ સૌ માટે જીવનભરનાં સંભારણાં સમાં બની રહ્યાં. નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત ‘ગીતાંજલિ’નો અંગ્રેજી, ફ્રેન્ચ તથા સ્પૅનિશમાં અનુવાદ થયો. 1914માં બ્રિટિશ સરકારે ટાગોરને ‘સર’નો ઇલકાબ આપી નવાજ્યા પણ 1919માં જલિયાંવાલા હત્યાકાંડથી વ્યગ્ર થયેલા તેમણે તે ઇલકાબ પાછો મોકલ્યો. 1921માં ડિસેમ્બરની 23મી તારીખે શાંતિનિકેતનમાં વિશ્વભારતીની સ્થાપના કરી અને બીજે વર્ષે શ્રીનિકેતનની શરૂઆત કરી. 1940માં 7મી ઑગસ્ટે ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ટાગોરને ‘ડૉક્ટરેટ’ની માનાર્હ ઉપાધિ પ્રદાન કરી. જીવનના આખરી દિવસોમાં ‘છેલે બૅલા’નામે પુસ્તકમાં કવિએ બચપણની સ્મૃતિઓ આલેખી છે. ટાગોરે ટૂંકી વાર્તાઓ, કિશોરવાર્તાઓ, નવલકથાઓ, નાટકો અને ગીતિનાટ્યની રચના કરી છે. તેમણે 49 જેટલા કાવ્યસંગ્રહોમાં હજાર જેટલાં કાવ્યો અને બે હજાર જેટલાં ગીતો કવિએ આપ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

અંગકોરવાટ

એશિયામાં સૌથી મોટું ગણાતું કંબોડિયાનું વિશાળ મંદિર-સંકુલ.

ઈ. સ. ૧૮૫૮માં હેન્રી મૌહાઉટ નામના ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાનીએ કંબોડિયાનાં જંગલો વચ્ચે એક એવું મંદિર શોધી કાઢ્યું જેની ભવ્યતા ગ્રીસ કે રોમમાં મળી આવેલી ઇમારતો કરતાં પણ ચડિયાતી હતી. થોડા જ સમયમાં જાણવા મળ્યું કે અંગકોરવાટ નામે ઓળખાતું એ મંદિર એકલુંઅટૂલું નથી, પણ લગભગ ૪૫ ચોરસ કિમી.ના વિસ્તારમાં બંધાયેલાં દેવાલયોના ભવ્ય સંકુલનો તે એક ભાગ છે. અંગકોરવાટ મંદિરની સ્થાપના ખ્મેર સમ્રાટ સૂર્યવર્મા-બીજા(ઈ. સ. ૧૧૧૨–૧૧૫૨)એ કરી હતી. આજે અંગકોરવાટ મંદિર એક વિશાળ જળાશય વચ્ચે ટાપુની જેમ ઊભું છે. તેને ફરતી ખાઈમાં હજી પણ પાણી છે. ખાઈની કુલ લંબાઈ ચાર કિમી. અને પહોળાઈ ૧૯૬ મીટર કરતાં વધારે છે.

અંગકોરવાટનું વિરાટ વિષ્ણુમંદિર-સંકુલ

મંદિરમાં દાખલ થવા માટે ખાઈ પર બાંધેલો પુલ લગભગ ૧૧ મીટર પહોળો અને જમીનથી લગભગ સવા બે મીટર ઊંચો અને ૪૫૩ મી. લાંબો છે. પુલમાર્ગની બંને બાજુએ વિશાળ કદના નાગોની હારમાળા છે. તેમની વિકરાળ ફણાઓ ૪ મી. જેટલી ઊંચી છે. આ પુલમાર્ગ એક વિશાળ ગોપુરને જઈ મળે છે. અહીંથી મંદિર શરૂ થાય છે. મંદિરનું પ્રવેશદ્વાર પશ્ચિમ દિશા તરફ છે. મંદિરમાં પ્રવેશ કરવાના મુખ્ય દ્વારની બંને બાજુના કઠેડાઓ અને મંદિર પરનાં સુશોભનોની શ્રેણીઓ પણ ઉત્તમ કારીગરી દર્શાવે છે. અનેક પૌરાણિક કથાઓ તેનાં ખ્મેર અર્થઘટનો સાથે બારમી સદીના સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્તમ સંસ્કારો સાચવે છે. અહીંનાં શિલ્પો લગભગ ૨૦૦ મી. જેટલો લાંબો વિસ્તાર આવરે છે. એમાં રામાયણ, મહાભારત અને હરિવંશ-પુરાણના પ્રસંગો, પૌરાણિક કથાઓ, વિષ્ણુ અને તેના અવતારો – ખાસ કરીને રામ અને કૃષ્ણની કથાઓ દર્શાવાયાં છે. બાહ્ય સુશોભનોમાં અપ્સરાઓનાં ૧૭૫૦ જેટલાં પૂરા કદનાં કલાત્મક મૂર્તિશિલ્પો છે. અંગકોરવાટ મૂલત: વિષ્ણુમંદિર હતું અને તેના ગર્ભગૃહમાં વિષ્ણુની ભવ્ય પ્રતિમા સ્થાપેલી હતી. પાછળથી કમ્બુજનરેશ જયવર્મા ૭મા(ઈ. સ. ૧૧૮૧–૧૨૧૮)એ એને બૌદ્ધ મંદિરમાં ફેરવ્યું અને તેના ગર્ભગૃહમાં બૌદ્ધ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હોવાનું મનાય છે. આવું મંદિર ભગવાન જ રચી શકે એવું સ્થાનિક લોકો માને છે અને તેથી તે દેવોના શિલ્પી વિશ્વકર્મા દ્વારા નિર્માયેલું હોવાનું જણાવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1