Categories
વાચન સમૃદ્ધિ

દાદરા અને નગરહવેલી

ગુજરાત રાજ્યના અગ્નિખૂણામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 20° 05´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે.. તે મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. અઢારમી સદીના અંતમાં આ પ્રદેશ પોર્ટુગીઝ સંસ્થાનનો ભાગ બન્યો હતો. 1954ની 2જી ઑગસ્ટથી આ પ્રદેશ સ્વતંત્ર બન્યો તથા 1961માં તેનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારથી તે અલગ અસ્તિત્વ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. સેલવાસા આ પ્રદેશનું વહીવટી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર છે. તે વલસાડ–નાશિક રોડ પર આવેલું છે. તેનો વિસ્તાર 491 ચોકિમી. જેટલો છે, જેમાં આદિવાસી પ્રજાનું પ્રમાણ સવિશેષ છે. આ પ્રદેશની વસ્તી 5,80,000 (2026, આશરે) છે. તેમાંથી 78.99% લોકો અનુસૂચિત જાતિના અને આશરે 1.97% લોકો અનુસૂચિત જનજાતિના છે. ત્યાંના આદિવાસીઓ મોટે ભાગે ગૃહઉદ્યોગો અને ખેતી દ્વારા આજીવિકા મેળવે છે. વારલી, દૂબળા, ધોડિયા અને ભીલ કોમની વસ્તી અહીં વિશેષ છે જે પોતાની ભાતીગળ લોકસંસ્કૃતિ મુજબ જીવન ગુજારે છે. આ પ્રદેશમાં ભીલી, ગુજરાતી અને હિંદી ભાષાઓ બોલાય છે.

આદિવાસી સંગ્રહાલય, સેલવાસા

તેના ઉત્તર–પૂર્વ તથા દક્ષિણ–પૂર્વ વિસ્તારો ડુંગરાળ તથા મધ્ય વિસ્તાર સપાટ છે. ત્યાંની જમીન ભેજવાળી તથા ફળદ્રૂપ છે. નગરહવેલી વિસ્તારમાં સાગનાં જંગલો છે. ત્યાંની કૃષિપેદાશોમાં ડાંગર, કઠોળ તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. ઑગસ્ટ, 1961 બાદ આ પ્રદેશને કેન્દ્રશાસિત વિસ્તારોના બધા લાભો મળતાં ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ અહીં વિવિધ ઉદ્યોગો સ્થાપ્યા છે. સુંદર બાગ-બગીચા-ફુવારા અને પ્રાકૃતિક સૌંદર્યની કુદરતી ભેટને કારણે અનેક ફિલ્મોનું અહીં નિર્માણ થયું છે. રેલ-રસ્તાનો લાભ આ શહેરને મળેલો છે. વાપી અને ઉમરગામ જેવાં નજીકનાં શહેરો તેમજ સંજાણ અને નારગોલ જેવાં સાગરકિનારે આવેલાં વિહારધામોને કારણે પણ આ પ્રદેશનો વિકાસ થયો છે. સેલવાસાની ઉત્તરે દમણગંગા નદી વહે છે. સેલવાસામાં ઇન્દિરા પ્રિયદર્શિની ઉદ્યાન, તપોવન ઉદ્યાન અને આદિવાસી સંગ્રહાલય; જ્યારે દાદરામાં દમણગંગા સરોવર અને બાગબગીચા જોવાલાયક છે. કેન્દ્રસરકાર અને ગુજરાત સરકારની ઉદાર ઔદ્યોગિક નીતિને કારણે અહીં અનેક ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આત્મગોપન (Camouflage)

પર્યાવરણ સાથે એકરૂપતા સાધી જાતબચાવ કરવાની પ્રાણીઓની તરકીબ.

પ્રાણીજગતમાં ભક્ષકથી બચવું અને ભક્ષ્યને પકડવું એ સૌથી મોટી પ્રવૃત્તિ છે. આ માટે પ્રાણીઓ જાતજાતની તરકીબો કરતાં હોય છે. જાતબચાવ માટે પ્રાણીઓ પોતાના પરિસરમાં રંગરૂપથી ભળી જઈને, ભક્ષકની નજરથી બચવાની યુક્તિ અજમાવે છે. ઘણાં પ્રાણીઓ તેમના આકારની મદદથી આત્મગોપન કરે છે. ઘણાં જીવડાં સૂકી ડાળી જેવાં લાગે છે અને ઝાડની ડાળીમાં ભળી જાય છે. ઘણાં જીવડાં પાંદડાં જેવાં લાગે છે ને પાંદડાંમાં ભળી જાય છે. પતંગિયાં પણ તેમની નાજુક રંગબેરંગી પાંખોને લીધે ફૂલોમાં ભળી જઈ તેમના ભક્ષકની નજરથી બચી જાય છે. ઘણાં પ્રાણીઓના શરીર પરના ચટાપટા તેમને આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઊભા ઘાસમાં ઊભા ચટાપટાવાળો વાઘ સહેલાઈથી છુપાઈને રહી શકે છે અને હરણ જેવાં ઘાસ ચરતાં પ્રાણીઓ પર તે ત્રાટકી શકે છે.

તીડનું આત્મગોપન

હરણના શરીર પરની ટપકાં જેવી ભાત તેને પણ આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઝાડનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા તડકાની ટપકાં છાંયડાની ભાતમાં હરણના શરીરની ભાત ભળી જાય છે. વળી કેટલીક માછલીઓ તથા કાચિંડા જેવાં કેટલાંક પ્રાણીઓ તેમના પરિસર પ્રમાણે રંગો ધારણ કરી શકે છે. ઠંડા પ્રદેશમાં રહેતાં પ્રાણીઓને આસપાસના બરફમાં ભળી જવા માટે ધોળા વાળ મળેલા હોય છે. શિયાળો પૂરો થતાં સસલાં, રીંછ, શિયાળ પાછાં તેમના મૂળ કથ્થાઈ રંગનાં થઈ જાય છે. ચટાપટાવાળાં ઝિબ્રા ટોળામાં ઊભાં હોય ત્યારે સિંહ તેમાંથી કોઈ એક ચોક્કસ પ્રાણીને સ્પષ્ટ જોઈ શકતો નથી. ચટાપટાને લીધે આ પ્રાણીઓ જાણે એકબીજાંમાં ભળી જાય છે. આથી સિંહ કોઈ એક પ્રાણીનો પીછો કરી તેને પકડી શકતો નથી. ટિટોડી પોતાનાં ઈંડાં જમીન પર ખુલ્લામાં મૂકે છે એટલે ઈંડાં કાંકરા જેવા દેખાવનાં હોય છે. મરઘીનાં બચ્ચાં નાનાં હોય ત્યારે પીળાં હોય છે, જેથી જમીન પર રહેતાં બચ્ચાં તેમના પરિસરમાં ભળી જાય છે. મોટાં થતાં બચ્ચાં રંગબેરંગી પીંછાં ધારણ કરે છે. આ રીતે પ્રાણી પોતાના આકાર, રંગ, શરીરની ભાત વગેરેને લીધે પરિસરમાં ભળી જાય તેવી તરકીબ કરે છે. આને આત્મગોપન (છદ્માવરણ) કહે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

દાડમ

દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે. તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી. ફૂલવાળી જાતોના મુખ્ય બે પ્રકાર છે : (1) P. granatum var. florepleno : આ જાતને બાલ્સમ જેવાં મોટાં લગભગ 5 થી 6 સેમી. કદનાં ડબલ પાંખડીનાં લાલ રંગનાં પુષ્પ આવે છે. ફળ બેસતાં નથી. (2) P. granatum var. albopleno : આ જાતને ઉપર પ્રમાણે જ સફેદ રંગનાં પુષ્પ આવે છે. આ જાત ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે લાલ જાત જ મળે છે. ચોમાસામાં વનસ્પતિ પુષ્પથી ઠીક ઠીક ભરાઈ જાય છે. ફળવાળી જાતનાં પુષ્પ નાનાં અને એકલ પાંખડીનાં હોય છે. ફળની વાડીઓમાં આ જાત રોપાય છે. તેની ઘણી જાતો આવે છે. બધી જાતોને ગોરાડુ જમીન અને સાધારણ ઓછો વરસાદ વધારે માફક આવે છે.

દાડમ : પર્ણ અને પુષ્પ સાથેનું ઝાડ, પુષ્પ, ફળ

ફળમાંથી સુગંધિત, મીઠો અને ઘેરા રંગનો રસ મેળવવામાં આવે છે. રસની ગુણવત્તા તેમાં રહેલા ઍસિડ અને શર્કરાના પ્રમાણ પરથી નક્કી થાય છે. ફળની છાલમાંથી ટૅનિન મળી આવે છે. પુષ્પમાંથી આછો લાલ રંગ મળી આવે છે. ભારતમાં તેનો કાપડ રંગવામાં ઉપયોગ કરવામાં આવે છે. વૈદ્યકમાં ફળ તૂરું, મધુર, ખાટું, તૃપ્તિકારક, સ્નિગ્ધ, દીપન, રુચિકર, ગ્રાહી, ભૂખવર્ધક, ઉષ્ણ, લઘુ, અગ્નિદીપક, ઝાડાને બાંધનાર, હૃદયને હિતકર, પચવામાં હળવું, પાચક, ત્રિદોષહર તથા કફ, ઉધરસ, શ્રમ, મુખરોગ, કંઠરોગ, તાવ, દાહ, હૃદયરોગ, સંગ્રહણી, નસકોરી ફૂટવી જેવા રોગો મટાડનારું છે. મીઠું દાડમ તૃપ્તિકારક, ધાતુવર્ધક, મેધાકર, બલપ્રદ અને સદા પથ્ય છે. વધુ ખાટાં દાડમ પિત્તકારક અને રક્તપિત્તકર્તા છે. તે વાયુનો નાશ કરે છે. ફળની છાલનો કે દાડમના રસનો ઉપયોગ બાળકની ઉધરસ પર, અતિસાર અને સંગ્રહણી ઉપર થાય છે. તેના પ્રકાંડ અને મૂળની છાલનો કાઢો કૃમિમાં ઉપયોગી છે. ઉષ્ણ પિત્ત પર દાડમનું શરબત આપવામાં આવે છે. તેના દાણાનો રસ આંખોની ગરમી પર અપાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દાડમ, પૃ. 289 અથવા જુઓ https://gujarativishwakosh.org/દાડમ/)