Categories
વાચન સમૃદ્ધિ

આર્જેન્ટિના

દક્ષિણ અમેરિકાનો વિસ્તારની દૃષ્ટિએ બીજા ક્રમે આવતો દેશ. તે ૨૨°થી ૫૫° દ. અ. અને ૫૬° ૩૦´થી ૭૩° ૩૦´ પ. રે.ની વચ્ચેનો આશરે ૨૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ દેશ દક્ષિણ અમેરિકામાં આટલાન્ટિક મહાસાગરને કિનારે વસેલ છે. તેની સરહદે ચિલી, બોલિવિયા, પરાગ્વે, ઉરુગ્વે અને બ્રાઝિલ જેવા દેશો આવેલા છે. ‘આર્જેન્ટિના’ એટલે ‘ચાંદીનો પ્રદેશ’ (land of silver). તેથી સ્પૅનિશ સંશોધકોએ તે પ્રદેશનું નામ ‘આર્જેન્ટિના’ પાડ્યું હતું. તેમને આ પ્રદેશમાં ચાંદી મળવાની આશા હતી; પરંતુ તેમને નિરાશા સાંપડી હતી. પશ્ચિમમાં ઍન્ડિઝ પર્વતમાળા આર્જેન્ટિનાને ચિલીથી જુદું પાડે છે. ઍન્ડિઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એકોન્કાગુઆ (૬,૯૫૯ મી.) છે. અહીંની મુખ્ય નદીઓ રિયો ડી લાપ્લાટા, રિયો નિગ્રો, કૉલોરાડો, બર્મેજો અને પારાના છે. ઍન્ડિઝના પર્વતો ખનિજોની બાબતમાં સમૃદ્ધ છે. દક્ષિણમાં આવેલું પેટાગોનિયા અર્ધરણ છે, જ્યાં તેલનો વિપુલ જથ્થો ભૂગર્ભમાં છે.

પારાના નદીનાં સપાટ મેદાનોનો પ્રદેશ ખેતીની દૃષ્ટિએ દુનિયામાં સૌથી વધુ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. અહીંના મુખ્ય પાકો ઘઉં, કપાસ, ડાંગર, શેરડી અને સોયાબીન છે. આર્જેન્ટિનાની કુલ વસ્તી 4.60 કરોડ (2026, આશરે) જેટલી છે. આર્જેન્ટિનાની સૌથી માનીતી રમત ફૂટબૉલ છે. મેરાડોના જેવા પ્રખ્યાત ફૂટબૉલ-ખેલાડીઓ આર્જેન્ટિનાએ ભેટ આપેલા છે. ત્યાંનું ટૅન્ગો (tango) સંગીત વિશ્વમાં પ્રસિદ્ધ છે. ૬થી ૧૪ વર્ષનાં બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત છે. દેશની રાજધાની બ્યુએનોસ એરિસ છે. અહીં મોટા મોટા મૉલ, ભૂગર્ભ (સબવે) ટ્રેન, સુંદર ઇમારતો, સરકારી કચેરીઓ આવેલાં છે. પાલેર્મો પાર્ક જોવાલાયક છે. ટીટ્રો કોલૉન અહીંનું જાણીતું ઑપેરા-હાઉસ છે. આ ઉપરાંત કોર્દોબા, રોસારિયો અને લા પ્લાટા મોટાં શહેરો છે. નૉવેલ વાપ્પી આર્જેન્ટિનાનું જાણીતું સરોવર છે. આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદે આવેલો ઇગ્વાસૂ (Iguazu) ધોધ જોવાલાયક છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આર્જેન્ટિના, પૃ. 123)

Categories
વાચન સમૃદ્ધિ

દિગ્બોઈ

આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23´ ઉ. અ. અને 95° 38´ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે. આ પ્રદેશમાં વર્ષભર ભેજનું સરેરાશ પ્રમાણ 80%થી વધારે અને વરસાદનું પ્રમાણ 2,000 મિમી.થી વધારે હોય છે. અહીંનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. જેટલું રહે છે. આમ દિગ્બોઈ એકંદરે મોસમી પ્રકારની ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવે છે. તેની આસપાસના પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળાં જંગલો છવાયેલાં છે.

દિગ્બોઈ અને તેની આસપાસની ધરતીમાં આવેલા તૃતીય જીવયુગના રેતીખડકો(sandstones)ના તળિયેથી ખનિજતેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડારો મળી આવ્યા છે. ભારતનાં સૌથી જૂનાં ખનિજતેલ અને વાયુનાં આ ક્ષેત્રોમાંથી છેલ્લાં 90 વર્ષથી ખનિજતેલ અને કુદરતી વાયુપંચ દ્વારા ક્રૂડ, ખનિજતેલ અને વાયુ મેળવવાની કામગીરી ચાલે છે. આ ઉપરાંત અહીં આસામ ઑઇલ કંપનીની રિફાઇનરીઓ દ્વારા વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું અને ગંધકના તેજાબનું ઉત્પાદન થાય છે. વળી આ શહેરમાં એક મોટી ઇજનેરી કાર્યશાળા (workshop) પણ આવેલી છે. આમ આ શહેરના વિકાસમાં ખનિજ તેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રોએ તથા રિફાઇનરીઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે. ઉત્તરોત્તર વધતી જતી વસ્તીની સાથોસાથ આ શહેરમાં અનેક નવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો ઉપરાંત લાકડાં અને ખાદ્ય ચીજવસ્તુઓ પર પ્રક્રિયા કરવાના ઉદ્યોગો તેમજ ગૃહઉદ્યોગો અગત્યના છે. આ નગર રેલમાર્ગે દિબ્રુગઢ તથા અન્ય નગરો સાથે સંકળાયેલું છે. તે દક્ષિણે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 38થી માર્ઘેરિતા (Margherita) તેમજ ઉત્તરે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 37થી દિબ્રુગઢ, દીસપુર અને દેશનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. આ નગરની વસ્તી આશરે 34,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આયુર્વેદ

રોગના ઉપચાર માટેનું ભારતનું અતિપ્રાચીન શાસ્ત્ર.

જેમ ચાર વેદો છે તેમ ચાર ઉપવેદો છે. તેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને દિવ્ય માનવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – એ ચારેયમાં આયુર્વેદનું વર્ણન મળી આવે છે. વેદોની રચના થઈ ત્યારથી આયુર્વેદ મળે છે. એમાં આવતા સંદર્ભો પરથી તે સમયે તૂટેલા અવયવોને સ્થાને કૃત્રિમ અવયવો બેસાડવાના, આંખ, નાક, કાન વગેરેના રોગો દૂર કરવાના, તારુણ્ય જાળવી રાખવાના તથા કુષ્ઠરોગ મટાડવાના સફળ ઉપચારો થતા.

ઔષધિ અને વનસ્પતિઓનું વર્ણન ઋગ્વેદમાં મળે છે. જાતજાતના રોગો દૂર કરવાના મંત્રો તથા જલચિકિત્સા, સૌરચિકિત્સાનાં વર્ણનો આયુર્વેદમાં છે. વેદોમાં રોગ થવાનાં કારણોમાં રોગ કરનાર કૃમિનો ઉલ્લેખ તથા તેનું વર્ગીકરણ વગેરેનો અભ્યાસ થયેલો છે. આ ઉપરાંત તેમાં વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ, તેનું વર્ગીકરણ વગેરે મળી આવે છે. લગભગ ૩,૦૦૦ જેટલી ઔષધિઓનો ઉલ્લેખ તેમાં છે. ધન્વંતરિ અને કશ્યપ ઋષિએ સૌપ્રથમ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે તેમણે તેમના શિષ્યોને આપ્યું. વનસ્પતિઓમાંથી ઔષધિ બનાવવાનું સંશોધન કરવામાં ચરકનો મોટો ફાળો છે. પુરાણકાળમાં ઈ. સ. પૂ. ૫૦૦૦થી ૫૦૦ વર્ષમાં આયુર્વેદનો પ્રચાર ભારતમાં ખૂબ થયો. ચરક, સુશ્રુત, ચ્યવન, કશ્યપ જેવા ઋષિઓએ આ ક્ષેત્રમાં ખૂબ જ્ઞાન પ્રદાન કર્યું. રામાયણ અને મહાભારતમાં પણ આયુર્વેદીય ચિકિત્સાના ઉલ્લેખો આવે છે. તે કાળમાં યુદ્ધમાં રાજાઓ સાથે વૈદ્યો પણ રહેતા. આયુર્વેદમાં નાડીપરીક્ષા પરથી રોગપરીક્ષા થાય છે. શરીરમાં વાત, પિત્ત અને કફ – એમ ત્રણ દોષો હોય છે અને તેની અસમાનતા દ્વારા રોગ ઉત્પન્ન થાય છે તેવી ધારણા છે. આયુર્વેદ પ્રમાણે સમગ્ર શરીરનો ઉપચાર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આયુર્વેદ, પૃ. 120)