Categories
વાચન સમૃદ્ધિ

દતિયા

મધ્યપ્રદેશના ઉત્તર મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 50´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે ભિન્ડ જિલ્લો, પશ્ચિમે ગ્વાલિયર જિલ્લો, દક્ષિણે શિવપુરી જિલ્લો અને પૂર્વે ઉત્તરપ્રદેશનો ઝાંસી જિલ્લો સીમા બનાવે છે. સિંદ અને બેટવા નદીઓ વચ્ચેના સપાટ ફળદ્રૂપ મેદાની વિસ્તારમાં આ જિલ્લો આવેલો છે. આ જિલ્લાની આબોહવા અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળામાં તાપમાન 26°થી 42° સે. જ્યારે શિયાળાનું તાપમાન 13°થી 29° સે. જેટલું રહે છે. અહીં વરસાદની માત્રા આશરે 500 મિમી.થી 1000 મિમી. રહે છે. વરસાદ મોટે ભાગે જૂનથી સપ્ટેમ્બર માસમાં પડે છે. આ જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન છે. જિલ્લાનાં કૃષિ ઉત્પાદનોમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, જવ તેમજ બરછટ અનાજની ખેતી થાય છે.

પીતાંબરા પીઠ (શક્તિપીઠ), દતિયા

આ જિલ્લાનો વિસ્તાર 2,902 ચો.કિમી. અને વસ્તી 9,50,000 (2026 મુજબ, આશરે) છે. સાક્ષરતાનું પ્રમાણ 72.63% છે. અહીં મોટે ભાગે લોકો હિન્દી ભાષા બોલે છે. આ જિલ્લામાં 445 ગામડાં અને પાંચ શહેરો આવેલાં છે. આ જિલ્લાના છ તાલુકા છે જેમાં દતિયા, બડોની, સેઓન્ધા, ભાંડેર અને ઇન્ડેરગઢ છે. આ જિલ્લામાં પીતાંબરા પીઠ, રતનગઢ માતાનું મંદિર, સોનાગિરિ, ઉનાઓ બાલાજી સૂર્યમંદિર, દતિયા મહેલ અને દતિયા બોટ ક્લબ જોવાલાયક સ્થળો છે. દતિયા (શહેર) : આ શહેર ‘દતિયાવકરા’ તરીકે ઓળખાય છે. દતિયા જિલ્લાનું મુખ્ય મથક છે. સમુદ્રની સપાટીથી તે 302 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ શહેરની વસ્તી (2026 મુજબ, આશરે) 1,50,000 છે. ગ્વાલિયર અને નાગપુરને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું મુખ્ય જંકશન છે. આ શહેરથી ગ્વાલિયર 78 કિમી. દૂર અને ઝાંસીથી 28 કિમી. દૂર છે. દતિયા શહેરમાં પ્રવેશતાં જ પીતાંબરા પીઠ આવેલું છે. જે શક્તિપીઠ તરીકે જાણીતું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દતિયા, પૃ. 193 અથવા જુઓ https://gujarativishwakosh.org/દતિયા/)

Categories
વાચન સમૃદ્ધિ

અસમ (આસામ)

ઈશાન ભારતમાં આવેલું મહત્ત્વનું રાજ્ય.

ભૌગોલિક સ્થાન : તે ૨૨°.૧૯´થી ૨૮°.૧૬´ ઉ. અ. અને ૮૯°.૪૨´થી ૯૬°.૩૦´ પૂ. રે. વચ્ચેનો ૭૮,૪૩૮ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ૨૦૨૫ મુજબ આ રાજ્યની વસ્તી ૩.૫૬ કરોડ (આશરે) જેટલી છે. અસમ એટલે જેની સમાન કોઈ નથી એવો અસામાન્ય પ્રદેશ. પૂર્વ હિમાલય તથા બાંગ્લાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની ઉત્તરે ભુતાન અને અરુણાચલ પ્રદેશ, પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર, પશ્ચિમે પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ તથા દક્ષિણે મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આવેલાં છે. ભારતમાં આ એકમાત્ર રાજ્ય છે જે ભારતનાં ૭ રાજ્યો અને ૨ દેશોની સીમા ધરાવે છે. તેમાં વિશાળ બ્રહ્મપુત્ર, સુરમા, કુશિયારા નદીઓ અને તેમની શાખાપ્રશાખાઓ છે. વરસાદની ઋતુમાં પટ બદલતી, રૌદ્ર સ્વરૂપની બ્રહ્મપુત્ર અસમમાં ઠેર ઠેર વિનાશ વેરે છે અને તે સાથે કાંપ ઘસડી લાવીને જમીનને ફળદ્રૂપ પણ કરે છે.

અસમનો એક ચાનો બગીચો

ડાંગર, રાઈ, ચા, બટાટા, અને પપૈયાં અહીંનો મુખ્ય પાક છે. મુખ્ય વૃક્ષોમાં હોલોંગ, નોહોર, ખેર, સીસમ, સાગ (અસમ ટીક), સાલ અને વાંસનો સમાવેશ થાય છે. અસમ તેની ખનિજસંપત્તિ માટે સુપ્રસિદ્ધ છે. તેમાં કોલસો, ખનિજતેલ અને કુદરતી વાયુ મુખ્ય છે. અન્ય ખનિજોમાં ચિનાઈ માટી અને લોહ-ધાતુખનિજોનો સમાવેશ થાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ખનિજતેલ અને કુદરતી વાયુ, ચા, પેટ્રોરસાયણ, રાસાયણિક ખાતર, કાગળ અને કાપડનો સમાવેશ થાય છે. અસમની મોટી સમૃદ્ધિ વનસ્પતિ તથા વન્ય પ્રાણીઓની છે. અહીંથી પેદા થતાં તેજાના તથા ઇમારતી લાકડું વેપારની દૃષ્ટિએ ખૂબ અગત્યનાં છે. સમગ્ર દેશમાં ચાની પેદાશમાં અસમનું સ્થાન પહેલું છે. ભારતની ચાની પચાસ ટકા પેદાશ અસમમાં થાય છે. અહીંની ચા દુનિયાભરમાં વખણાય છે. અહીંનાં પક્ષીઓમાં મુખ્યત્વે સ્નાપ્સી, ફ્લોરિકન્સ, પૅલિકન, ટીલ્સ અને વિવિધ પ્રકારના બગલાઓ જોવા મળે છે. પ્રાણીઓમાં વાઘ, ચિત્તા, રીંછ અને હરણની વિવિધ જાતો દેખાય છે. વાનરની જાતિનો સફેદ વાળવાળો ગિબન ઉત્તર કચારની ટેકરીઓના પ્રદેશમાં તથા સોનેરી વાનર(Golden Langoor)ની જાત પણ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અસમ, પૃ. 81)

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણામૂર્તિ (સંસ્થા)

ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી દૃષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી. આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી તેમના શિષ્યો હરગોવિંદદાસ પંડ્યા, ઓધવજીભાઈ અને નૃસિંહપ્રસાદ (નાનાભાઈ) ભટ્ટે પોતાના ઉપાસ્યદેવનું નામ સંસ્થા સાથે જોડી, સંસ્થાનું નામ ‘શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’ રાખ્યું. તેની શરૂઆત ભાવનગરના રેલવે સ્ટેશન પાસે તખ્તસિંહજી ધર્મશાળામાં 1910ના ડિસેમ્બરની 28મી તારીખે થઈ. નાનાભાઈ ભટ્ટ શામળદાસ કૉલેજમાંથી અધ્યાપકપદનું રાજીનામું આપી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ગૃહપતિ બન્યા. પોતાની જ એક સ્વતંત્ર શાળાની અનિવાર્યતા જણાતાં 1918ના જૂન માસમાં દક્ષિણામૂર્તિ વિનયમંદિર શરૂ થયું.

દક્ષિણામૂર્તિ, ભાવનગર

દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ સાથે જે નવા સાથીઓ જોડાયા તેમાં ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી મુખ્ય હતા. ગિજુભાઈએ બાલશિક્ષણમાં મૉન્ટેસોરી પદ્ધતિનો વિનિયોગ કર્યો અને બાલસાહિત્યનું સર્જન કર્યું. હરભાઈએ ડૅલ્ટન પદ્ધતિ દાખલ કરી. નાનાભાઈએ મહાભારત અને રામાયણનાં પાત્રોનું સરળ ભાષામાં લેખન કર્યું. તે ઉપરાંત તારાબહેન મોડક, ગિરીશભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, ગોપાલરાવ વિદ્વાંસ, નટવરલાલ બૂચ અને મનુભાઈ પંચોળી જેવા પ્રતિભાવંત શિક્ષકો દક્ષિણામૂર્તિને મળ્યા. દક્ષિણામૂર્તિ માત્ર છાત્રાલય ન રહેતાં શિક્ષણની સંસ્થા બની. ગાંધીજી જ્યારે ભાવનગર આવ્યા ત્યારે સર પ્રભાશંકર પટ્ટણીએ તેમને દક્ષિણામૂર્તિ સંસ્થા બતાવેલી (1915). દક્ષિણામૂર્તિ સંસ્થાની કેળવણીવિષયક પ્રવૃત્તિઓના મુખ્ય સાત વિભાગ હતા : (1) વિદ્યાર્થીગૃહ, (2) વિનયમંદિર, (3) બાલમંદિર, (4) બાલઅધ્યાપનમંદિર, (5) પ્રકાશનમંદિર, (6) અક્ષરજ્ઞાનયોજના, અને (7) ગ્રામશાળાઓ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણામૂર્તિ (સંસ્થા), પૃ. 191 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણામૂર્તિ (સંસ્થા)/)