Categories
વાચન સમૃદ્ધિ

ઈથિયોપિયા

દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. તે ૯° ઉ. અ. અને ૩૯° પૂ. રે.ની આજુબાજુનો આશરે ૧૧.૩૦ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઈથિયોપિયાની ઉત્તરે ઇરિટ્રીઆ, ઈશાને જીબોટી, પૂર્વે સોમાલીઆ અને સોમાલીલૅન્ડ, દક્ષિણે કેન્યા, પશ્ચિમે સુદાન તેમજ નૈઋત્યે દક્ષિણ સુદાન દેશો સીમા ધરાવે છે. જીબોટી દેશ પાસે રાતો સમુદ્ર અને દક્ષિણે સુડોલ્ફ સરોવર આવેલું છે. રાતા સમુદ્રની દક્ષિણે એડનનો અખાત આવેલો છે. વિવિધ જાતિજૂથો, ધર્મો, ભાષાઓ તથા પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ ધરાવતો આ દેશ સદીઓથી રાજાશાહી ભોગવતો હતો. આ દેશ પહેલાં એબિસિનિયા તરીકે જાણીતો હતો. અહીં ભૂસંચલનને લીધે જ્વાળામુખી શિખરો, ફાટખીણો, ગોળાકાર પહાડો, ડુંગરધારો, સરોવરો, ઊંડાં કોતરો વગેરે ભૂમિ-સ્વરૂપોની રચના થઈ છે. પહાડી પ્રદેશમાં લગભગ ૪,૦૦૦ મીટરની ઊંચાઈનાં અનેક જ્વાળામુખી શિખરો આવેલાં છે. સર્વોચ્ચ શિખર ‘રાસ દશન’ ૪,૬૨૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંની મુખ્ય નદીઓ બ્લૂ નાઇલ, સોબત, અત્બારા, જુબા, વેબી, શેબેલી અને અવાશ છે.

ઈથિયોપિયામાં મોટા ભાગની જમીનો રાજા, તેના કુટુંબ, ધર્મગુરુઓ અથવા દૂર વસતા સામંતોને હસ્તક છે. અહીં ગણોતિયા ખેડૂતોનું પ્રમાણ વધારે છે. અહીં ઉત્પન્ન થતું મુખ્ય ધાન્ય ટેફ (Teff) અહીંના લોકોનો મુખ્ય ખોરાક છે. જુવાર, જવ, ઘઉં, મકાઈ, શેરડી, કપાસ, તેલીબિયાં અને ખાટાં ફળો અહીંના મુખ્ય પાક છે. અહીં સારી સંખ્યામાં ઢોર, ઘેટાં-બકરાં અને ઊંટના ઉછેર ઉપરાંત ઘોડાં, ગધેડાં, ખચ્ચર વગેરેનું પણ પાલન કરવામાં આવે છે. ઢોરોનાં ચામડાંની નિકાસ થાય છે. ગૃહઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. તેમાં હાથસાળ, કાપડવણાટ, વસ્ત્ર-ઉત્પાદન તથા ગૃહઉપયોગી વાસણો બનાવવાના ઉદ્યોગો અગત્યના છે. સિમેન્ટ, સાબુ, સિગારેટ, કાપડ અને દીવાસળી બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઈથિયોપિયામાં અમ્હેરા અને ગાલ્લા નામનાં બે જાતિજૂથો આગળ પડતાં છે. દેશનો વહીવટ અમ્હેરા લોકોના હાથમાં છે. આ દેશની કુલ વસ્તી આશરે ૧૩.૮૦ કરોડ (૨૦૨૬ મુજબ) છે. પાટનગર ઍડિસ-અબાબા ઉપરાંત અસ્મારા, હશર વગેરે અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઈથિયોપિયા, પૃ. 180)

Categories
વાચન સમૃદ્ધિ

દેવાસ

મધ્યપ્રદેશના ઉજજૈન વિભાગનો જિલ્લો. તે 22° 57´ ઉ. અ. અને 76° 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ જિલ્લાની પૂર્વે શેહોર જિલ્લો, દક્ષિણે હરડા અને ખંડવા જિલ્લાઓ, પશ્ચિમે ખારગોન અને ઇન્દોર જિલ્લા, જ્યારે ઉત્તરે ઉજજૈન અને શહાજહાંપુર જિલ્લાઓ સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાની પશ્ચિમે માલવાનો ઉચ્ચપ્રદેશ જે લગભગ સમતળ છે. દક્ષિણે ક્રમશઃ ઊંચકાતી વિંધ્યાચળ હારમાળા આવેલી છે. અહીં ચંબલ અને કાળીસિંધ નદીનાં મૂળ આવેલાં છે. જે આગળ જતાં ગંગા નદીને મળે છે. આ વિસ્તારમાં ગ્રૅનાઇટ જેવી નક્કર ખડક-સંરચના ધરાવતા ઉચ્ચપ્રદેશો આવેલા છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 600થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. સમુદ્રકિનારાથી દૂર આવેલો છે, આથી આબોહવા લગભગ ખંડીય પ્રકારની છે. પરિણામે ઉનાળામાં મે માસ દરમિયાન તાપમાન 33° સે.થી વધી જાય છે. જ્યારે શિયાળામાં એટલે કે જાન્યુઆરી માસમાં તાપમાન 20° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વરસાદ 3200 મિમી. જેટલો પડે છે. રાત્રિના સમયગાળામાં તાપમાન નીચું અનુભવાય છે.

અહીં સાગ, સાલ, સાદડ, ખેર, ટીમરુ, ચારોળી, પલાસ વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. ફળાઉ વૃક્ષોમાં કેરી, પપૈયાં, ચીકુ મુખ્ય છે. વાઘ, દીપડો, વાનરો, જરખ, શિયાળ જેવા વન્યજીવો પણ જોવા મળે છે. અહીં મોટે ભાગે સઘન ખેતી થતી જોવા મળે છે. જેમાં ઘઉં, જવ, બાજરો, તેલીબિયાં, કઠોળ, ડાંગર, શેરડી વગેરેની ખેતી લેવાય છે. જંગલપેદાશોમાં ઇમારતી લાકડું, લાખ, ગુંદર, ટીમરુનાં પાન વગેરે મેળવાય છે. ઇન્દોર–નેમાવર રોડ ઉપર ‘ગિદીયા ખોહ’ પાસે જળધોધ આવેલો છે. જે દેવાસથી 48 કિમી. દૂર છે. આ ઉપરાંત અહીં ચામુંડા ટેકરી, સિદ્ધેશ્વર મહાવીર મંદિર, કેલા દેવ મંદિર, શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર વગેરે આવેલાં છે. આ જિલ્લાને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 52 મહત્ત્વનો છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો પણ આવેલા છે. આ જિલ્લામાં ત્રણ રેલવેસ્ટેશનો આવેલાં છે. જેમાં દેવાસ જંકશન સૌથી મહત્ત્વનું છે. આ જિલ્લાનો વિસ્તાર 7,020 ચો.કિમી. છે, જ્યારે વસ્તી આશરે (2026 મુજબ) 19,20,000 છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે, નીતિન કોઠારી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)

Categories
વાચન સમૃદ્ધિ

ઈડર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે ૨૩° ૦૫´ ઉ. અ. અને ૭૩° પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રસપાટીથી ૨૨૯ મીટરની ઊંચાઈ પર વસેલું છે. તે અમદાવાદથી ઉત્તરે ૧૦૪ કિમી. તથા હિંમતનગરથી ઉત્તરે ૨૭ કિમી.ના અંતરે આવેલું છે. ઈડર તાલુકામથક હોઈને વેપાર-વાણિજ્યનું કેન્દ્ર છે. અહીં વિનયન અને વાણિજ્ય કૉલેજો, માધ્યમિક શાળાઓ, સ્ત્રી-અધ્યાપન-મંદિર અને પુસ્તકાલય આવેલાં છે. અહીંનો રમકડાં-ઉદ્યોગ ગુજરાતમાં જાણીતો છે. ઈડરની ચારેય બાજુ ગ્રૅનાઇટ પથ્થરની ટેકરીઓ આવેલી છે. ત્યાં બાંધકામના ગ્રૅનાઇટ પથ્થર માટેનો ખાણ-ઉદ્યોગ ચાલે છે. અહીંનો ઇડરિયો ગઢ વિખ્યાત છે. ‘અમે ઇડરિયો ગઢ જીત્યાં રે’ લગ્નગીત અહીંના વિસ્તારમાં અચૂક ગવાય છે. હાલમાં ઇડરિયો ગઢ ભગ્નાવસ્થામાં જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત રણમલ ચૉકી, રૂઠી રાણીનું માળિયું, જૈન-મંદિરો, જવાનવિલાસ મહેલ, રાણી-તળાવ અને રણમલ-તળાવ, વેણીવત્સનો કુંડ, કોટેશ્વર, ચંપેશ્વર, મહાકાલેશ્વરનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર અને રાજચંદ્રવિહાર અહીંનાં જોવાલાયક સ્થળો છે. અમદાવાદ-ખેડબ્રહ્મા રેલમાર્ગ પર ઈડર મહત્ત્વનું મથક છે. આ નગર ગુજરાત અને રાજસ્થાનનાં શહેરો અને ગામડાં સાથે માર્ગવાહનવ્યવહાર મારફતે જોડાયેલું છે.

ઇતિહાસ : ઈડરનું જૂનું નામ ‘ઇલ્વદુર્ગ હતું. દંતકથા મુજબ, દ્વાપરયુગમાં ઋષિમુનિઓને ત્રાસ આપતા ઇલ્વ અને વાતાપિ રાક્ષસોનો અગસ્ત્ય મુનિએ નાશ કર્યો હતો. આ સ્થળનો ઇતિહાસ અંદાજે ૩૦૦૦ વર્ષથી પણ જૂનો હોવાનું કહેવાય છે. ઈ. સ. પૂર્વે ૮૭૦ના અરસામાં અહીં વેણીવત્સ નામના રાજાનું શાસન હતું. તે પછીથી શિલાદિત્ય સાતમાની રાણી પુષ્પાવતીએ ગુહ નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ તાલુકામાં વહેતી ગુહાઈ નદીનું નામ તેના પરથી પડ્યું હોવાનું મનાય છે. ગુહાદિત્યની સાતમી પેઢી પછી આ સ્થળ ભીલોના હાથમાં ગયેલું. ઈ. સ. ૧૦૦૦ના અરસામાં અહીં પ્રતિહારોનું શાસન રહેલું. તે પૈકી અમરિંસહ ખૂબ બળવાન હતો. ત્યારબાદ પ્રતિહારોને હરાવીને હાથી સોડ અને શામળિયા સોડે અહીં રાજ્ય કરેલું. પછીથી મારવાડના સોનિંગજી રાઠોડે શામળિયા સોડને હરાવેલો. ઈ. સ. ૧૨૯૮-૧૩૦૪ દરમિયાન અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલુઘખાને ઈડરને કબજે કરેલું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઈડર, પૃ. 179)