Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ કન્નડ

કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ‘કન્નડ’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ‘કાનરા’ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી ભૂતકાળમાં તુલુનાડુ, તુલુવિષય, તુલુદેશ જેવાં નામો પ્રચલિત થયાં હતાં. આ જિલ્લો 12° 52´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને ચિકમગલુર અને પૂર્વ હસન અને અગ્નિમાં કોડાગુ અને દક્ષિણે કેરલમ્ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,560 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી આશરે 24,00,000 (2026) છે.

જિલ્લાની પૂર્વ દિશાએ પશ્ચિમ ઘાટની ગિરિમાળા છે. તેનાં શિખરો 910થી 1,830 મી. ઊંચાં છે. સૌથી ઊંચાં કુદ્રેમુખનાં ત્રણ શિખરો 1,800 મી.થી વધારે ઊંચાં છે. વચ્ચે ઉચ્ચ પ્રદેશ અને ખીણો છે.

દક્ષિણ કન્નડમાં વિશાળ પાયા પર થતી ડાંગરની ખેતી – એક દૃશ્ય

કિનારાનો મોટો ભાગ સપાટ અને કાંપનો બનેલો છે. જમીન મુખ્યત્વે કાળી છે. મેથી ઑક્ટોબર દરમિયાન નૈઋત્યના મોસમી પવનો સરેરાશ 3,930 મિમી. વરસાદ આપે છે. મે માસમાં મૅંગલોરનું સૌથી વધુ તાપમાન 37°–38° સે. અને ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 16°–17° સે. રહે છે. આ જિલ્લામાં નેત્રવતી, ગુરપુર, ગંગોલ્લી, સીતા અને સ્વર્ણ નદીઓ મુખ્ય છે. તેમાં બારેમાસ પાણી રહે છે. મુખથી થોડા કિમી. સુધી વહાણવટા માટે તે ઉપયોગી છે. ચોમાસામાં કાંપ ઘસડી લાવી જમીનની ફળદ્રૂપતામાં તે વધારો કરે છે. ઉચ્ચપ્રદેશ અને પશ્ચિમના થરો આર્કિયન, ધારવાડ અને ક્રિટેસિયસ યુગના છે. ક્વાર્ટઝાઇટ, શિસ્ટ, હૉર્નબ્લૅન્ડ, નાઇસ અને લાવાના ખવાણથી બનેલા લેટરાઇટ ખડકો અહીં જોવા મળે છે. આ જિલ્લામાંથી બૉક્સાઇટ, ગ્રૅનાઇટ, લેટરાઇટ વગેરે પથ્થરો, કોરંડમ, ગાર્નેટ, લોખંડ, કાયનાઇટ, સિલિકા, છીપો, ટાઇલ્સ માટેની માટી  વગેરે ખનિજો મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ કન્નડ, પૃ. 186 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ કન્નડ/)

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણસુખ નાયક

જ. 23 એપ્રિલ, 1910 અ. 12 માર્ચ, 1989

ગુજરાતી રંગભૂમિના નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા પ્રાણસુખ નાયકનો જન્મ મહેસાણા જિલ્લાના જગુદણ ગામે થયો હતો. પિતા મણિલાલ મૂળચંદ નાયક પણ લોકપ્રિય ભવાઈકલાકાર હતા. અભિનયનો વારસો પરિવારમાંથી પ્રાપ્ત થયો હતો. તેમણે ગુજરાતી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નવ વર્ષની ઉંમરથી રંગભૂમિ સાથે જોડાયા. તેઓ સૌપ્રથમ સૂરતની દેશી નાટક કંપનીમાં જોડાયા. એ પછી મોતીલાલ નંદવાણાની આર્યનીતિ નાટક સમાજ અને એ પછી પ્યારેલાલ મહેતાની વિદ્યાવિનોદ નાટક સમાજ અને મુંબઈ ગુજરાતી નાટકમંડળીમાં જોડાયા. ગુજરાત નાટકમંડળીમાં સૂરજરામ નાયક, બાપુલાલ નાયક અને જયશંકર ‘સુંદરી’ દ્વારા તાલીમ મળી. તેમણે ‘કુમળી કળી’ નાટકમાં બનારસની નારીનું પાત્ર ભજવ્યું આથી ‘લખનોરી તેતર’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે ‘કૉલેજગર્લ’માં કૉલેજકન્યાનો રોલ કર્યો. તેઓ પ્રાણસુખ ‘તેતર’ના નામે જાણીતા હતા. મુંબઈ નાટકમંડળી બંધ થતાં તેઓ પાલિતાણા ભક્તિપ્રદર્શક મંડળી અને પ્રભાત નાટકમંડળીમાં જોડાયા. ‘નટમંડળ’ના ‘મિથ્યાભિમાન’ નાટકમાં જીવરામ ભટ્ટની અને ‘મેનાં ગુજરી’માં બ્રાહ્મણની ભૂમિકા ભજવી. તેમણે દર્પણ એકૅડેમી ઑવ પર્ફૉર્મિંગ આર્ટસમાં અને શ્રેયસ ફાઉન્ડેશનમાં પણ સેવા આપી હતી. તેમણે ‘પ્રાણ થિયેટર્સ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે રંગમંચ પર 22,455 વખત અભિનય કર્યો હતો. આથી 1989માં ગિનિસ બુક ઑવ્ રેકૉર્ડસમાં તેમનું નામ નોંધવામાં આવ્યું છે. તેમણે ‘જુગલ જુગારી’, ‘પવિત્ર લીલાવતી’, ‘સત્તાનો મદ’, ‘વીણાવેલી’, ‘સંતાનોના વાંકે’, ‘સતી દમયંતી’ જેવાં ઘણાં પ્રસિદ્ધ નાટકોમાં અભિનય કર્યો હતો. ‘ભવની ભવાઈ’ ફિલ્મમાં જ્યોતિષી તરીકે અભિનય કર્યો હતો. તેમણે અભિનય ઉપરાંત આઠ નાટકો લખ્યાં હતાં, જેમાં ‘બાળોતિયાંના બળેલા’, ‘બંધ છીપનાં મોતી’, ‘બિરબલની છત્રી’, ‘બાળભક્ત પ્રહલાદ’નો સમાવેશ થાય છે. 1963માં ગુજરાત રાજ્ય નાટક અકાદમી દ્વારા અને 1974માં સંગીત નાટક અકાદમી દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.