Categories
વાચન સમૃદ્ધિ

યુવાનને સલાહ

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ (ઈ. સ. 1856થી ઈ. સ. 1950) એમના હાજરજવાબીપણા માટે જાણીતા હતા. ક્યારેક માર્મિક વ્યંગથી એ લોકોને ચમત્કૃત કરી દેતા હતા તો ક્યારેક વિનોદી વાતાવરણ સર્જી દેતા. આને પરિણામે એ સર્વત્ર લોકપ્રિય હતા. એમણે કરેલી ઘણી રમૂજો સમાજમાં પ્રચલિત હતી. આથી તેઓ જ્યાં જાય, ત્યાં લોકો એમને ઘેરી વળતા હતા. એક વખત જ્યોર્જ બર્નાર્ડ શૉ કૉલેજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગયા. કાર્યક્રમ પૂર્ણ થયો એટલે તરત જ હંમેશની માફક એમના હસ્તાક્ષર લેવા માટે વિદ્યાર્થીઓ ધસી આવ્યા. કેટલાકને હસ્તાક્ષર આપીને જ્યોર્જ બર્નાર્ડ શૉ માંડ છુટકારો પામ્યા. એવામાં એક યુવાન હસ્તાક્ષરપોથી લઈને ધસી આવ્યો. એણે કહ્યું, ‘સર, મને સાહિત્યનો ખૂબ શોખ છે અને મેં તમારાં તમામ નાટકો રસપૂર્વક વાંચ્યાં છે. તમે મારા પ્રિય લેખક છો.’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ હળવા સ્મિત સાથે એની ભાવનાનો સ્વીકાર કર્યો. પેલા યુવાને પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું, ‘હું મારા જીવનમાં હજી સુધી મારી આગવી પહેચાન ઊભી કરી શક્યો નથી. હું કશુંક બનવા માગું છું અને એને માટે શું કરવું જોઈએ, તેનો સંદેશો લખીને તમે હસ્તાક્ષર કરો તો ખૂબ આભાર.’’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ યુવાનની હસ્તાક્ષરપોથી હાથમાં લીધી. પોતાનો સંદેશ લખીને હસ્તાક્ષર કર્યા. યુવાન સંદેશો વાંચીને સ્તબ્ધ બની ગયો. બર્નાર્ડ શૉએ લખ્યું હતું, ‘બીજાના હસ્તાક્ષરો એકઠા કરવામાં પોતાનો સમય બરબાદ કરવાને બદલે બીજા તમારા હસ્તાક્ષર પ્રાપ્ત કરવા માટે આતુર રહે, તે માટે પુરુષાર્થ કરો. આગવી પહેચાન બનાવવા માટે સતત મહેનત કરવી અને સંઘર્ષનો સામનો કરવો જરૂરી છે.’ યુવાને આ સંદેશો વાંચ્યો અને કહ્યું, ‘સર, હું આપનો સંદેશો જીવનભર યાદ રાખીશ અને મારી પોતાની એક આગવી પહેચાન ઊભી કરવા માટે પ્રયત્ન કરીશ.’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ યુવાનની પીઠ થપથપાવી અને ભવિષ્યની શુભકામના પાઠવી.

Categories
વાચન સમૃદ્ધિ

જી. શંકર કુરૂપ્પ

જ. 3 જૂન 1901 અ. 2 ફેબ્રુઆરી 1978

પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક જી. શંકર કુરૂપ્પનો જન્મ કેરલમના નાયત્તોટ્ટ ગામમાં થયો હતો. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. બાળપણમાં પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામા ગોવિંદ કુરૂપ્પે કર્યો હતો. તેમણે ત્રણ વર્ષની ઉંમરથી સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. આઠ વર્ષના થયા ત્યારે ‘અમરકોશ’, સંસ્કૃત વ્યાકરણ ‘સિદ્ધરૂપમ્’, છંદશાસ્ત્ર ‘શ્રી રામોદન્તમ્’ અને ‘રઘુવંશ’ના કેટલાક શ્લોક મોઢે કર્યા હતા. એક દિવસ તેઓ વર્ગમાં બેભાન થઈ જતાં એમનો મિત્ર એમને ઊંચકીને ઘેર મૂકી આવ્યો. મિત્રએ કરેલા ઉપકારનો બદલો વાળવા એમણે કેટલીક પંક્તિઓ લખી. એ એમની પહેલી કવિતા હતી. એ વખતે એમની ઉંમર માત્ર 9 વર્ષની હતી. ત્રણ ધોરણ પછી તેમનું શિક્ષણ પેરામ્પાવૂર અને મૂવાટ્ટુપુપામાં થયું. તેમણે વર્નાક્યુલર હાયર પરીક્ષા તેમજ કોચીન રાજ્યની ‘પંડિત’ પરીક્ષા પાસ કરી. છૂટક નોકરી કરી પછી તિરુવિલ્વામલા હાઈસ્કૂલ અને ચાલાકુટિ હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય કર્યું. 1931માં કવિતા ‘નાલે’ પ્રગટ થતાં સાહિત્યજગતમાં હલચલ મચી ગઈ હતી. તેમણે આકાશવાણી તિરુવનંતપુરમમાં પ્રોડ્યૂસર તરીકે કાર્ય કર્યું હતું. તેઓ કેરળ સાહિત્ય પરિષદના અધ્યક્ષ અને તેના સામયિકના મુખ્ય સંપાદક પણ હતા. ‘સાહિત્ય કૌતુકમ્’, ‘પાથેયમ્’, ‘સૂર્યકાન્તિ’ તથા ‘મુત્તુસ્સિપ્પિઈ’ એમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. તેમણે 45થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમણે ગીત-સંગીતવાળી પ્રથમ મલયાળમ ફિલ્મ ‘નિર્મલા’ માટે ગીતો લખ્યાં. એ પછી ફિલ્મ ‘ઓરલકૂડી’, ‘કલ્લાનાયી’, ‘અભયમ્’, ‘અદુથદુથ’ અને ‘ઓલિપ્પોરુ’ માટે પણ ગીતો લખ્યાં. એમણે ઉમર ખય્યામની ‘રૂબાયત’, કાલિદાસના ‘મેઘદૂત’ અને રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’નો તેમજ ફ્રેન્ચ કૃતિઓનો મલયાળમમાં અનુવાદ કર્યો હતો. તેમને 1961માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1963માં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1967માં સોવિયેત નહેરુ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1965માં સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયો હતો. ભારત સરકારે 1968માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ 1968થી 1972 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આમળાં

દ્વિદળી વર્ગની વૃક્ષ-સ્વરૂપ ધરાવતી એક ઔષધીય વનસ્પતિ. તેને એરંડી, રતનજોત અને રબરના કુળમાં મૂકવામાં આવે છે. આમળાનો ઉલ્લેખ વૈદિક કાળથી જોવા મળે છે. આમળાંનું મૂળ વતન દક્ષિણ ભારત મનાય છે. કોંકણ, માથેરાન, સાપુતારા, શામળાજી, બરડો, ગિરનાર, આબુ-અંબાજી તથા પશ્ચિમઘાટનાં જંગલોમાં ૧,૩૫૦ મી.ની ઊંચાઈ સુધી તે જોવા મળે છે. ઉત્તરપ્રદેશ આમળાંની ખેતીમાં મોખરે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું છૂટુંછવાયું વાવેતર થાય છે. આમળાંની માગ વધતી હોવાથી ખેડૂતો તેના તરફ આકર્ષાય છે. તે અમેરિકા તથા એશિયાના ઉષ્ણ ભાગોમાં બગીચાઓમાં વવાય છે. આમળાનું વૃક્ષ ૮થી ૧૫ મી. ઊંચાઈ ધરાવતું સાધારણ નાનું કે મધ્યમ કદનું હોય છે. તેની છાલ લીસી, સુંદર અને પીળાથી માંડી ભૂરા રંગની હોય છે. તેની ડાળીઓ પર નાનાં સાદાં પર્ણો પાસે પાસે આવેલાં હોવાથી તે સંયુક્ત પર્ણ જેવાં લાગે છે. કોઈક આમળાંના વૃક્ષ પર નર અને માદા બંને પ્રકારનાં પુષ્પો આવે છે તો ક્યારેક નર અને માદા વૃક્ષો જુદાં જુદાં હોય છે. તેને ઝૂમખામાં નાનાં પુષ્પો લાગે છે; જેમાંથી લીસાં, સખત આછા પીળા રંગનાં ગોળાકાર સોપારી જેવડાં ફળ થાય છે. તે ફળ ૬ ખાંચ ધરાવે છે. તેની અંદર છ બીજ હોય છે. આમળાંનાં ફળ ખૂબ રસાળ હોય છે. તેનો સ્વાદ ખાટો, કડવો, મધુર, તૂરો અને શીતળ હોય છે.

આમળાંનાં વૃક્ષને ગોરાડુ અને મધ્યમ, કાળી જમીન તથા ગરમ સૂકો વિસ્તાર વધારે અનુકૂળ આવે છે. આમળાંનો પાક શિયાળામાં આવે છે. આમળાંને મીઠા અને હળદરના પાણીમાં આથીને ખાવાના કામમાં લેવાય છે. આ ઉપરાંત, તેમાંથી અથાણું તથા ગળ્યાં અને ખારાં આમળાંનો મુખવાસ અને ચ્યવનપ્રાશ પણ બનાવાય છે. તેનાં ફળમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ‘સી’ હોય છે. ફળના તાજા ગરમાં વિટામિન ‘સી’ ૭૨૦ મિગ્રા./૧૦૦ ગ્રા. અને દબાવીને કાઢેલા રસમાં ૯૨૧ મિગ્રા./૧૦૦ ગ્રા. હોય છે. તેનું લાકડું ખેતીનાં સાધનો, થાંભલા તથા ફર્નિચર બનાવવા અને હલકી કક્ષાના બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે. તેનો બળતણ તરીકે અને કોલસો પાડવા પણ ઉપયોગ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આમળાં, પૃ. 115)