Categories
વાચન સમૃદ્ધિ

પોતાના અનુભવો પાસેથી કશી

કેળવણી પામતો નથી ======================

વ્યર્થ, નિરર્થક અને નિષ્ફળ જીવનની એક પારાશીશી એ છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય નિરાંત ન હોય. નિરાંતની ક્ષણો વિનાનું જીવન વ્યર્થ એ માટે પુરવાર થાય છે કે વ્યક્તિને એના જીવનોપયોગી અનુભવોનું ઉપયોગી તારણ કાઢવાનો પણ સમય મળતો નથી. એ એક અનુભવમાંથી બીજા અનુભવમાં ગબડતી રહે છે, પરંતુ પ્રથમ અનુભવનો પદાર્થપાઠ એ શીખી શકતી નથી. પરિણામે જીવનની પાઠશાળાના સૌથી મોટા શિક્ષક એવા અનુભવ પાસેથી એને ભાવિ જીવનની કોઈ દીવાદાંડી મળતી નથી, આથી એક દોષિત સંબંધમાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે બીજો દોષિત સંબંધ બાંધી બેસે છે. જીવનની એક ભૂલ કે પછડાટમાંથી કશું પામવાને બદલે એ બીજી પછડાટ માટે ધસી જાય છે. એક અણગમતો વ્યવસાય છોડીને એનાથીય નઠારો બીજો વ્યવસાય પસંદ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં માત્ર અનુભવોની હારમાળા હોય છે. એણે ખાધેલી ઠોકરો અને પછડાટોનો દીર્ઘ ઇતિહાસ હોય છે. હકીકતમાં જીવનનો પ્રત્યેક અનુભવ એ વ્યક્તિને માટે કશીક નવી સમજ, આગવો વિચાર, મૌલિક અભિગમ કે વિશિષ્ટ દર્શન લઈને આવતો હોય છે. સફળ માણસોને નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે, પરંતુ તેઓ એમની નિષ્ફળતાના અનુભવોમાંથી સબક લેતા હોય છે. એમને માટે પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા માટેનું સોપાન ત્યારે જ બને છે કે જ્યારે તેઓ એ અંગે ગહન વિચાર કરે છે. એ અનુભવને બધી રીતે ચકાસે છે. એમાં જોવા મળેલી પોતાની મર્યાદાઓ વિશે વિચારે છે અને આ બધાં તારણો કાઢીને એ અનુભવમાંથી અર્થ તારવે છે અને ત્યારબાદ નવું પ્રયાણ આરંભે છે. પોતાના અનુભવના મૂલ્યને વેડફી નાખનાર જીવન વેડફી નાખે છે. અનુભવ પર મનન-ચિંતન કરનાર ભાવિ જીવનનું પાથેય પામે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

થોમસ આલ્વા ઍડિસન

જ. ૧૧ ફેબ્રુઆરી, ૧૮૪૭ અ. ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧

જાણીતા અમેરિકન સંશોધક થોમસ આલ્વાના પિતાનું નામ સૅમ્યુઅલ ઑગ્ડન અને માતાનું નામ નાન્સી ઇલિયટ ઍડિસન હતું. ચાર ભાઈ-બહેનોમાં તે સૌથી નાના હતા. પ્રાથમિક શાળાના શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહી શાળામાંથી કાઢી મૂક્યા હતા. તેથી એ પછીનાં ત્રણ વર્ષ તેમની માતાએ જ તેમને ઘરે શિક્ષણ આપ્યું અને તેમની જ્ઞાન પ્રત્યેની અભિરુચિને કેળવી હતી. તેમને ભૌતિકશાસ્ત્રમાં એટલો બધો રસ પડ્યો કે દસ જ વર્ષની ઉંમરે તેમણે ઘરમાં પ્રયોગશાળા બનાવી હતી અને સ્વરચિત ટેલિગ્રાફ સેટ ચાલુ કર્યો હતો. થોમસ આલ્વા ઍડિસનની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે ૧૨ વર્ષની ઉંમરે તેમણે રેલવેમાં છાપાં અને ખાટી-મીઠી ગોળીઓ વેચવાનું શરૂ કર્યું હતું. ૧૫ વર્ષની વયે તેઓ ટેલિગ્રાફ ઑફિસમાં જોડાયા હતા. ટેલિગ્રાફ માટેના ટ્રાન્સમિટર અને રિસીવર તેમની પ્રથમ શોધ હતી. આ સિવાય શૅરબજારના ભાવતાલ છાપવા માટેની યાંત્રિક યુક્તિ તેમની નોંધપાત્ર શોધ  હતી. તે માટે તેમને ૪૦,૦૦૦ ડૉલર મળ્યા હતા. આ રકમમાંથી તેમણે પ્રયોગશાળાની સાથોસાથ નાનું કારખાનું પણ શરૂ કર્યું હતું. તેમની આ પ્રયોગશાળા હેન્રી ફૉર્ડ મ્યુઝિયમ ખાતે સાચવી રાખવામાં આવી છે. વિલિયમ વૉલેસે રચેલ ૫૦૦ કૅન્ડલ પાવરના આઠ ઝગમગતા દીવા જોઈને તેમણે વીજળીના દીવાની શોધ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું. ઘણા પ્રયોગને અંતે સેલ્યુલોઝના તારને કાર્બોનાઇઝ કરવાથી મળતા કાર્બન તંતુ(filament)નો ઉપયોગ કરીને ૨૧ ઑક્ટોબર, ૧૮૭૯ના રોજ વીજળીનો દીવો (Lamp) શરૂ કર્યો હતો. ૧૮૮૨માં તેમણે વરાળથી ચાલતા ૯૦૦ હોર્સપાવરના જનરેટરની મદદથી ૭૨૦૦ દીવાઓને પ્રકાશિત કર્યા હતા. ૧૮૭૭માં તેમણે ગ્રામોફોનની શોધ કરીને સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું હતું. સેલ્યુલૉઇડ ફિલ્મની તેમણે કરેલી શોધ તથા તેમણે સુધારેલા પ્રોજેક્ટરથી હાલ પ્રચલિત છે તે સિનેમા શક્ય બન્યાં. તેમની અન્ય શોધમાં આલ્કેલાઇન સંગ્રાહકકોષ, લોહના ખનિજને અલગ કરવાની ચુંબકીય પદ્ધતિ, ટેલિફોનનું કાર્બન ટ્રાન્સમિટર મુખ્ય છે. તેમના નામે કુલ ૧૦૯૩ પેટન્ટ હતી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જીરું અને તેના રોગો

ઘરગથ્થુ મસાલાસામગ્રી તથા ઔષધદ્રવ્ય. લૅ. Cuminum cyminum L. તેનું કુળ ઍપિયેસી (અમ્બેલિફેરી) છે. તેમાં દ્વિગુણિત રંગસૂત્રોની સંખ્યા ૧૪ છે. ઉદભવસ્થાન ભૂમધ્ય સમુદ્રવિસ્તાર મનાય છે. વાવેતર ભારત ઉપરાંત ઈરાન, ઇરાક, પાકિસ્તાન, તુર્કસ્તાન, સીરિયા, ઇઝરાયલ, સાઇપ્રસ, અલ્જિરિયા અને દક્ષિણ રશિયામાં થાય છે. જીરાના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનું લગભગ ૯૦% જેટલું પ્રદાન છે. ગુજરાતમાં જીરાનું વાવેતર મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવી ઋતુમાં થાય છે. જીરાનો છોડ નાનો અને કુમળો, વધુ ડાળી ધરાવતો, ૨૦થી ૨૫ સેમી. ઊંચો અને જાંબલી રંગનાં ઝીણાં ફૂલોવાળો હોય છે. જીરાનો દાણો વરિયાળીથી નાનો, લાંબો અને પાતળો, રાખોડી રંગનો અને ઉપર ૫થી ૭ જેટલી નસોવાળો હોય છે.

જીરાનો છોડ   

   જીરું                                          

જીરાની સુગંધી તેના બાષ્પતેલમાં રહેલ ૨૦%થી ૪૦% જેટલા ક્યુમિન આલ્ડિહાઇડને આભારી છે. જીરાની વિશિષ્ટ પ્રકારની સુગંધ અને મનભાવતો સ્વાદ હોવાના કારણે તેને ‘મસાલાનો રાજા’ ગણવામાં આવે છે. અથાણાં અને દાળ-શાકમાં કે સૂપમાં દળેલું કે ખાંડેલું ધાણાજીરું વપરાય છે. આ ઉપરાંત વઘારમાં તેમજ ગોટા, ખમણ અને પાતરાં જેવાં ફરસાણમાં કે નમકીનમાં જીરાનો ઉપયોગ જાણીતો છે. હવે તો ઠંડાં પીણાંમાં, પનીરમાં, બિસ્કિટ-કેક વગેરેમાં અને જુદી જુદી માંસાહારી બનાવટોમાં પણ તેનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જાય છે.

જીરાનો મસાલા તરીકેનો ઉપયોગ તેમાં રહેલ ઔષધીય ગુણોના કારણે છે. તે કૃમિનાશક છે. ખાસ કરીને આંતરડાંની બીમારીમાં વધુ અસરકારક હોઈ પેટનો દુખાવો, અપચો, ઝાડા વગેરેમાં ગુણકારી છે. તે શરદી, સળેખમ માટેની દવામાં પણ વપરાય છે. તેનું બાષ્પતેલ સાબુ, સૌંદર્યપ્રસાધનો ઉપરાંત કેફી કે ઠંડાં પીણાંમાં સુગંધ લાવવા ઉપયોગમાં લેવાય છે. એશિયાના ‘સૌથી મોટું ખેતઉત્પન્ન બજાર’ મનાતા ઊંઝામાં વાર્ષિક રૂ. ૫૦૦ કરોડથી પણ વધુ વેપાર એકલા જીરાનો જ થાય છે. ભારતનું જીરું ગુણવત્તાની દૃષ્ટિએ સારું હોવા છતાં આંતરિક ભાવો ઊંચા હોઈ કેટલીક વાર આંતરરાષ્ટ્રીય બજારની હરીફાઈમાં ટક્કર ઝીલવી મુશ્કેલ પડે છે; આમ છતાં તેનું ઉત્પાદન વધારી નિકાસ દ્વારા વધુ હૂંડિયામણ કમાવાની શક્યતા ઘણી રહેલી છે. જીરાના રોગો : જીરું મરીમસાલા વર્ગનો અગત્યનો પાક છે. તેમાં જુદા જુદા વ્યાધિજનથી ચરેરી, છારો, સુકારો અને પીળિયો રોગ સામાન્ય રીતે જીરું ઉગાડતા પ્રદેશોમાં જોવા મળે છે. છારો : ફૂગથી થતો આ રોગ જીરાના પાકનો એક મહત્ત્વનો રોગ છે. જો રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે થઈ હોય તો ઉતાર ૫૦% જેટલો ઓછો આવે છે. જ્યારે દાણા બેસવાના સમયે રોગ આવે તો ૧૦%થી ૧૫% ઉતાર ઓછો આવે છે. રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે એટલે કે જાન્યુઆરી માસમાં થાય છે. શરૂઆતમાં છોડનાં પાન પર સફેદ રંગનાં આછાં ટપકાં જણાય છે અને ધીમે ધીમે સમગ્ર છોડ ઉપર આવાં ટપકાં થાય છે. છેવટે આખો છોડ સફેદ થઈ જાય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે, દાણા બેસતા નથી અને દાણાની શરૂઆત થઈ હોય તો તે અલ્પવિકસિત રહે છે, તેથી જીરાનો ઉતાર ઘટે છે. શરૂઆતમાં છોડ રાખોડી રંગના અને છેવટે સફેદ રંગના, છાશ જેવા થઈ જાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જીરું અને તેના રોગો,
પૃ. ૭૯૩)

હિંમતસિંહ લા. ચૌહાણ