Categories
વાચન સમૃદ્ધિ

અમૂલ્ય પ્રમાણપત્રો

વિશ્વના મહાન નવલકથાકાર, ચિંતક અને નાટકકાર લિયૉ ટૉલ્સ્ટૉય(જ. ઈ. સ. 1828, અ. ઈ. સ. 1910)ને એમના મિત્રએ મીઠો ઉપાલંભ આપતાં કહ્યું કે મેં નોકરી માટે મારા એક પરિચિતને તમારી પાસે મોકલ્યો હતો. એની પાસે અનેક ઊંચી પદવીઓ હતી. અભ્યાસમાં એની કારકિર્દી પણ અત્યંત તેજસ્વી હતી. આટલાં બધાં પ્રમાણપત્રો ધરાવતો હોવા છતાં તમે એમની પસંદગી કરી નહીં. એ તો ઠીક, પરંતુ તમે એ સ્થાન માટે એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની પાસે કોઈ ઊંચી પદવી નહોતી કે કોઈ વિશાળ અનુભવ નહોતો, તો મારે જાણવું એ છે કે તમે શા માટે મારા સૂચનનો અનાદર કર્યો અને પદવીધારી યુવાનને નોકરી આપી નહીં? લિયૉ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘મેં જેની પસંદગી કરી, તેની પાસે અમૂલ્ય પ્રમાણપત્રો હતાં. એવાં પ્રમાણપત્રો કે જે કૉલેજ કે યુનિવર્સિટી દ્વારા મળ્યાં ન હોય; પરંતુ જીવનની પાઠશાળામાંથી મેળવેલાં હોય.’ ટૉલ્સ્ટૉયનો મિત્ર મૂંઝવણમાં પડી ગયો. એણે કહ્યું, ‘મને તો એવી કોઈ જીવનની પાઠશાળાની ખબર નથી કે જે આવાં પ્રમાણપત્રો આપતી હોય.’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘જુઓ, તમે જે વ્યક્તિને મોકલી હતી, એણે પ્રવેશતાંની સાથે જ ધડાધડ પોતાનાં પ્રમાણપત્રો બતાવવા માંડ્યાં, પોતાને વિશે મોટી બડાશ હાંકવા લાગ્યો. તમારી સિફારિશનો પણ ઉલ્લેખ કર્યો અને જાણે ઉપકાર કરતો હોય એ રીતે એણે કહ્યું કે તમે મને નોકરીમાં રાખશો, તો તમને ઘણો લાભ થશે.’ મિત્રએ પૂછ્યું, ‘તમે જેને નોકરીમાં રાખ્યો, એણે શું કર્યું ?’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘ખંડમાં પ્રવેશતાં પૂર્વે એણે અમારી પરવાનગી માગી. બારણું અથડાય નહીં એ રીતે એને ધીમેથી બંધ કર્યું. એનાં કપડાં સામાન્ય હતાં; પરંતુ અત્યંત સ્વચ્છ હતાં. અમારી રજા માગીને એ ખુરશી પર બેઠો અને આત્મવિશ્વાસથી પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના જવાબો વ્યવસ્થિત અને સચ્ચાઈપૂર્ણ હતા. એનામાં પ્રગતિ કરવાની એક ધગશ હતી. આવી ગુણસંપન્ન વ્યક્તિની પાસે કોઈની સિફારિશ કે મોટી મોટી પદવીઓ ન હોય તેથી શું ? હવે તમે જ કહો કે મેં યોગ્ય વ્યક્તિની પસંદગી કરી ને.’

Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર ગાંધી

જ. 9 જૂન, 1937 અ. 13 જૂન, 2007

અગ્રણી દાર્શનિક મહાત્મા. મહાત્મા ગાંધીજીના પૌત્ર. રામચંદ્રના પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી (રાજાજીનાં પુત્રી). તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. તેમણે અનુસ્નાતક સ્તરથી પ્રથમ પદવી ભૌતિકશાસ્ત્રમાં મેળવી, પછી દિલ્હીની સેન્ટ સ્ટીવન્સ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રની અનુસ્નાતકની પદવી મેળવી. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની પદવી મેળવી હતી. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનું ડિપાર્ટમેન્ટ સ્થાપ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત ઇંગ્લૅન્ડની સાઉધમ્પટન યુનિવર્સિટી, અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી, રવીન્દ્રનાથ ઠાકુરે સ્થાપેલી શાંતિનિકેતન યુનિવર્સિટી અને હૈદરાબાદ ખાતેની કેન્દ્રીય યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમનું હિંદી અને અંગ્રેજી ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ હતું. ‘રામુ’ નામના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતા થયેલા રામચંદ્રની દર્શનશાસ્ત્ર વિષય પરની પકડથી પશ્ચિમના દાર્શનિકો વ્હાઇટહેડ અને લુડવિંગ વિટેન્સ્ટેન તથા ભારતના મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિ પણ પ્રભાવિત થયેલા. ઉપનિષદોની બારીકાઈનો ઊંડાણથી અભ્યાસ કરી દર્શનશાસ્ત્ર જેવા જટિલ વિષય પરનાં તેમનાં પ્રવચનોથી શ્રોતાઓ દિગ્મૂઢ થઈ જતા. તેમણે લખેલાં પુસ્તકોમાં તેમની પ્રતિભા જણાઈ આવે છે. 1976માં ‘ધ અવેલેબિલિટી ઑવ્ રિલિજિયસ લૅંગ્વેજ’, 1984માં ‘આઈ એમ ધાઉ’, 1992માં ‘સિતાઝ કિચન : અ ટેસ્ટીમોની ઑફ ફેઇથ ઍન્ડ ઇન્કયારી’, 2003માં ‘સ્વરાજ – અ જર્ની વિથ તૈયબ મહેતાઝ શાંતિનિકેતન ત્રિપ્ટીચ’ અને 2005માં ‘મુનિયાઝ લાઇટ : અ નેરેટિવ ઑફ ટ્રૂથ ઍન્ડ મિથ’ તેનાં ઉદાહરણો છે.

Categories
વાચન સમૃદ્ધિ

આર્જેન્ટિના

દક્ષિણ અમેરિકાનો વિસ્તારની દૃષ્ટિએ બીજા ક્રમે આવતો દેશ. તે ૨૨°થી ૫૫° દ. અ. અને ૫૬° ૩૦´થી ૭૩° ૩૦´ પ. રે.ની વચ્ચેનો આશરે ૨૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ દેશ દક્ષિણ અમેરિકામાં આટલાન્ટિક મહાસાગરને કિનારે વસેલ છે. તેની સરહદે ચિલી, બોલિવિયા, પરાગ્વે, ઉરુગ્વે અને બ્રાઝિલ જેવા દેશો આવેલા છે. ‘આર્જેન્ટિના’ એટલે ‘ચાંદીનો પ્રદેશ’ (land of silver). તેથી સ્પૅનિશ સંશોધકોએ તે પ્રદેશનું નામ ‘આર્જેન્ટિના’ પાડ્યું હતું. તેમને આ પ્રદેશમાં ચાંદી મળવાની આશા હતી; પરંતુ તેમને નિરાશા સાંપડી હતી. પશ્ચિમમાં ઍન્ડિઝ પર્વતમાળા આર્જેન્ટિનાને ચિલીથી જુદું પાડે છે. ઍન્ડિઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એકોન્કાગુઆ (૬,૯૫૯ મી.) છે. અહીંની મુખ્ય નદીઓ રિયો ડી લાપ્લાટા, રિયો નિગ્રો, કૉલોરાડો, બર્મેજો અને પારાના છે. ઍન્ડિઝના પર્વતો ખનિજોની બાબતમાં સમૃદ્ધ છે. દક્ષિણમાં આવેલું પેટાગોનિયા અર્ધરણ છે, જ્યાં તેલનો વિપુલ જથ્થો ભૂગર્ભમાં છે.

પારાના નદીનાં સપાટ મેદાનોનો પ્રદેશ ખેતીની દૃષ્ટિએ દુનિયામાં સૌથી વધુ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. અહીંના મુખ્ય પાકો ઘઉં, કપાસ, ડાંગર, શેરડી અને સોયાબીન છે. આર્જેન્ટિનાની કુલ વસ્તી 4.60 કરોડ (2026, આશરે) જેટલી છે. આર્જેન્ટિનાની સૌથી માનીતી રમત ફૂટબૉલ છે. મેરાડોના જેવા પ્રખ્યાત ફૂટબૉલ-ખેલાડીઓ આર્જેન્ટિનાએ ભેટ આપેલા છે. ત્યાંનું ટૅન્ગો (tango) સંગીત વિશ્વમાં પ્રસિદ્ધ છે. ૬થી ૧૪ વર્ષનાં બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત છે. દેશની રાજધાની બ્યુએનોસ એરિસ છે. અહીં મોટા મોટા મૉલ, ભૂગર્ભ (સબવે) ટ્રેન, સુંદર ઇમારતો, સરકારી કચેરીઓ આવેલાં છે. પાલેર્મો પાર્ક જોવાલાયક છે. ટીટ્રો કોલૉન અહીંનું જાણીતું ઑપેરા-હાઉસ છે. આ ઉપરાંત કોર્દોબા, રોસારિયો અને લા પ્લાટા મોટાં શહેરો છે. નૉવેલ વાપ્પી આર્જેન્ટિનાનું જાણીતું સરોવર છે. આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદે આવેલો ઇગ્વાસૂ (Iguazu) ધોધ જોવાલાયક છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આર્જેન્ટિના, પૃ. 123)