Categories
વાચન સમૃદ્ધિ

આગ્રા

મુઘલ શાસકોના સમયનું ભારતનું જાણીતું શહેર.

તે ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૭° ૧૧´ ઉ. અ. અને ૭૮°  ૦૧´ પૂ. રે. છે. આગ્રા જિલ્લાની વસ્તી ૫૫,૧૦,૦૦૦ લાખ (૨૦૨૫, આશરે) અને આગ્રા શહેરની વસ્તી ૨૩,૧૭,૦૦૦ (૨૦૨૫, આશરે) છે. જિલ્લાનો વિસ્તાર ૪,૦૨૭ ચોકિમી. છે. આ જિલ્લામાં યમુના નદીનાં ફળદ્રૂપ મેદાનો આવેલાં છે. જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે. ઘઉં, જવ અને કપાસ જિલ્લાના મુખ્ય પાકો છે. સોળમી સદીના આરંભમાં અફઘાન વંશના સિકંદર લોદીએ આગ્રા શહેરની સ્થાપના કરી હોવાનું મનાય છે. તે પહેલાં આજના સ્થળે ‘આગ્રી’ નામે એક ગામ વસેલું હોવાનો ઉલ્લેખ મળે છે. લાલ કિલ્લો દિલ્હીમાં બંધાયો તે પહેલાં ઈ. સ. ૧૫૬૫માં અકબરે અહીં બાંધ્યો હતો. એ લાલ કિલ્લા પહેલાં પણ એક અતિપ્રાચીન કિલ્લો આગ્રામાં હતો તેમ કહેવાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કેટલાંક વર્ષો સુધી આગ્રા તેનું પાટનગર રહ્યું હતું.

આગ્રાનો કિલ્લો

આગ્રામાં લાલ કિલ્લા ઉપરાંત કલાકારીગરીની રીતે બેનમૂન એવી ‘ઇદમતદોલા’ કબર છે. અહીંની આધુનિક સમયમાં બંધાઈ રહેલી ‘દયાલબાગ’ની ઇમારત પણ જોવાલાયક છે. તે રાધાસ્વામી સંપ્રદાયના ગુરુની સમાધિ છે. આગ્રા શહેર દિલ્હીથી અગ્નિકોણમાં ૧૬૦ કિમી. અંતરે આવેલું છે. તે સૌથી વધુ તો તાજમહેલ માટે જાણીતું છે. તાજમહેલ સત્તરમી સદીમાં શાહજહાંએ બંધાવ્યો હતો. અહીંના લાલ કિલ્લામાંની મોતી મસ્જિદ પ્રખ્યાત છે. આગ્રા શહેરથી વાયવ્યે સિકંદરા ખાતે અકબરનો મકબરો તથા શહેરથી નૈઋત્યે ૩૭ કિમી. દૂર ફતેહપુર સિક્રી આવેલાં છે. આગ્રા માર્ગ અને રેલવ્યવહારથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. તે મોટું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. હિંદુ ધર્મના રાધાસ્વામી સંપ્રદાયનું તે મોટું મથક છે. આગ્રા શહેરમાં ઈ. સ. ૧૯૨૭માં સ્થપાયેલી યુનિવર્સિટી છે. આગ્રાના ગાલીચાઓ, સોના તથા ચાંદી પરનું જડતરકામ અને સફેદ આરસપહાણ પરનું કોતરકામ વિશ્વવિખ્યાત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

ઉમર ખય્યામ

જ. 18 મે, 1048 અ. 4 ડિસેમ્બર, 1131

ફારસી કવિ, ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને દાર્શનિક ઉમર ખય્યામનો જન્મ ઈરાનના નિશાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ગ્યાસુદ્દીન અબુલ ફતહ ઉમર ઇબ્ન ઇબ્રાહીમ અલ-ખય્યામી હતું. ખય્યામનો અર્થ તંબુ બનાવનાર. તત્કાલીન સમયની રૂઢિવાદી સામાજિકતા સામે ફારસી ભાષામાં પદ્યના માધ્યમથી એમણે અવાજ ઉઠાવ્યો હતો. સ્વાભાવિક રીતે સમાજે પહેલાં એમનો સ્વીકાર ન કર્યો, પરંતુ પરમ તત્ત્વ સાથેના એક સંધાનને કારણે ઉમર ખય્યામ એમનાં કાર્યોમાં રત રહ્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ક્યૂબિક સમીકરણો હલ કરવા માટે જ્યામિતીય પદ્ધતિઓની એમણે શોધ કરી. બીજગણિતને સમજવા અને સમજાવવા એમણે વિવિધ પદ્ધતિઓના પ્રયોગ કર્યા. સૌર વર્ષની સ્પષ્ટ ગણના સાથે જલલી કૅલેન્ડરની એમણે રચના કરી હતી. વળી સંસારની ક્ષણભંગુરતાને કેન્દ્રમાં રાખીને અનેક રૂબાઈ અર્થાત્ ચોપાઈઓની એમણે રચના કરી. 19મી સદીમાં ઍડવર્ડ ફિટ્ઝ ગેરાલ્ડે ઉમર ખય્યામના કાવ્યસંગ્રહ ‘રૂબાઇયત’નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. હિન્દી ભાષામાં ‘ખય્યામ કી મધુશાલા’ એ ખૂબ પ્રખ્યાત કાવ્યસંગ્રહ છે. પરમ તત્ત્વ તથા સંસારનું તત્ત્વજ્ઞાન ઉમર ખય્યામે ઉમદા રીતે સમજાવ્યું હતું. ભારતના દાર્શનિકો પણ ઉમર ખય્યામના જ્ઞાનથી પ્રભાવિત હતા. પરમહંસ યોગાનંદ સ્વામીએ ઉમર ખય્યામનાં પુસ્તકો તથા વિચારોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. 83 વર્ષની વયે એમનું અવસાન થયું. સંગીત, સાહિત્ય તથા જીવનના તત્ત્વજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર બાબતે ઉમર ખય્યામનું પ્રદાન આજે એક હજાર વર્ષે પણ યાદ કરવામાં આવે છે. જીવનનાં તથા બ્રહ્મનાં રહસ્યો ખોલી આપતું એવું ઉમર ખય્યામનું સર્જન માનવજાત માટે મોટી મિરાત સમું છે.

Categories
વાચન સમૃદ્ધિ

દશેરા

હિન્દુ સંસ્કૃતિનો નિદર્શક પ્રખ્યાત તહેવાર. દશમીનાં વ્રતોમાં દશેરા કે વિજયાદશમીનું વ્રત મહત્ત્વનું છે. વિજયાદશમી કે દશેરા આશ્વિન માસની શુક્લપક્ષની દશમ છે. શાસ્ત્રીય વિધિ અનુસાર નવમીના યોગવાળી દશમે હેમાદ્રિ અનુસાર મધ્યાહન પછી અપરાજિતા દિશા – ઈશાનમાં અપરાજિતા દેવીની સ્થાપના કરવામાં આવે છે. અપરાજિતાનાં પૂજન-અર્ચન થાય છે. એકાદશીએ તેની યાત્રા થાય છે. શ્રવણ નક્ષત્રનો યોગ ઉત્તમ મનાય છે. મદનરત્નમાં વિજય મુહૂર્તમાં સીમા ઓળંગવાનું વિહિત છે. ભવિષ્ય પુરાણના કથન અનુસાર ઈશાનમાં શમી એટલે કે ખીજડાના વૃક્ષનું ઈશાનાભિમુખ થઈ પૂજન-અર્ચન કરવાનું વિધાન છે. ગોપથબ્રાહ્મણ અનુસાર નવાં વસ્ત્રો ધારણ કરી અશ્વ-ગજને શણગારી વાદ્યો સાથે સવારી કાઢી પુરોહિત સાથે રાજાએ સીમા પર્યંત જઈ વાસ્તુ-દેવતા, દિકપાલ અને શમીનું વેદ-પુરાણોક્ત મંત્રોથી પૂજન કરીને શત્રુની પ્રતિમૂર્તિ વીંધી સીમા પાર કરી વિજયમંત્રો અને જય-મંગલઘોષ સાથે પાછા આવી વડીલોને વંદન કરવાનાં હોય છે. ચતુરંગ સૈન્યનાં કૌતુક દર્શાવવામાં આવે છે. આ દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શુભ મનાય છે.

દશેરા પ્રસંગે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન

આ દિવસે રઘુએ કૌત્સને ચૌદ કોટિ સુવર્ણમુદ્રા કુબેર પાસેથી મેળવી આપી. રઘુએ વધેલું સોનું નાગરિકોને વહેંચ્યું હોવાથી આ દિવસે સોનું લૂંટવાની પણ પરંપરા છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. પાંડવોનો ગુપ્તવાસ આ દિવસે પૂરો થયો અને અર્જુને બૃહન્નલાના વેશે શમી વૃક્ષ ઉપરથી શસ્ત્રો મેળવ્યાં હતાં. આ દિવસે ચામુંડાએ મહિષાસુર માર્યો હતો. આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રપૂજન કરે છે. રામલીલાની સ્મૃતિમાં રાવણદહન કરાય છે. મહારાષ્ટ્રમાં શમીપૂજા, શસ્ત્રપૂજા અને સીમોલ્લંઘનની પરંપરા છે. વિદ્વાનો-પંડિતો જૂની પોથીનું પૂજન કરે છે. યંત્રો અને વાહનોની પૂજા પણ કરાય છે. દુર્ગાની પૂજા મુશ્કેલ કાર્યને પાર પાડે છે. નવરાત્રીની સમાપ્તિનો દિવસ હોવાથી જવારા લાવી ગોખ કે કબાટમાં મૂકવાની પણ પરંપરા છે. કાયસ્થ લોકો પાંચ મંડળ બનાવી પંચ કળશ – ઘટની પૂજા, ગૃહદેવતાનું આરાધન આદિ કરે છે. ચર લગ્નમાં પૂજન-અર્ચન, સીમોલ્લંઘન વધુ શુભ ગણાય છે. બંગાળમાં મૂળ નક્ષત્રમાં દુર્ગા પધરાવી શ્રાવણમાં વિસર્જન થાય છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે પ્રદેશમાં આ પર્વનું ભારે મહત્ત્વ છે. ભારતમાં આ ઉત્સવ ઉલ્લાસભેર ઊજવાય છે. રાવણના પૂતળાનું દહન કરીને તથા ઘોડા દોડાવીને લોકો ઉત્સવ માણે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9 માંથી