પ્રસિદ્ધ અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર ઑલિવર ગોલ્ડસ્મિથ(ઈ. સ. 1728થી ઈ. સ. 1774)નો જન્મ એક ખ્રિસ્તી દેવળના ગરીબ વ્યવસ્થાપક પિતાને ત્યાં થયો હતો. યુનિવર્સિટીમાં ત્રણેક વર્ષ અભ્યાસ કર્યા બાદ એમણે યુનિવર્સિટીના અભ્યાસને તિલાંજલિ આપી અને ઘર પણ છોડ્યું. પરિણામે ભૂખે મરવાનો વારો આવ્યો. એમના પિતાની ઇચ્છા એમને પાદરી બનાવવાની હતી, પરંતુ ઑલિવર ગોલ્ડસ્મિથને ગાયન-વાદન અને વાર્તાકથન અતિ પ્રિય હતાં. એમાંથી થોડીઘણી આજીવિકા રળતા હતા. ઘણી વાર એમની પાસે ભોજન માટે ફૂટી કોડી પણ રહેતી નહીં. એમની મકાન-માલિકણે થોડા મહિના સુધી તો ભાડું માગ્યું નહીં, પરંતુ એને પણ એ રકમના આધારે પોતાનું ગુજરાન ચલાવવાનું હતું. આથી એક વાર એ ખૂબ ગુસ્સે ભરાઈ અને ઑલિવર ગોલ્ડસ્મિથે લખેલા પુસ્તકની હસ્તપ્રત લઈને કહ્યું, ‘આ હસ્તપ્રત હું તને ત્યારે જ પાછી આપીશ, જ્યારે તું મારું ભાડું ચૂકવીશ. જો ભાડું નહીં ચૂકવે, તો એને આગને સ્વાધીન કરીશ.’ આમ કહી મકાન-માલિકણે એ હસ્તપ્રત એના ઘરના કબાટમાં બંધ કરીને મૂકી દીધી. ઑલિવર ગોલ્ડસ્મિથને માથે તો આકાશ તૂટી પડ્યું. એ ખૂબ ગભરાયા. હવે શું કરવું તે સમજાયું નહીં. એમણે એના પ્રિય વિદ્વાન મિત્ર ડૉ. જોન્સનને બોલાવ્યા. ડૉ. જોન્સન પરિસ્થિતિ પામી ગયા. એમણે એ સ્ત્રીની ક્ષમા માગી અને ભાડું ચૂકવીને ગોલ્ડસ્મિથની હસ્તપ્રત પાછી મેળવી. ઑલિવર ગોલ્ડસ્મિથના આનંદનો પાર રહ્યો નહીં. એ પોતાના પ્રિય મિત્ર ડૉ. જોન્સનને ભેટી પડ્યા. એ પછી ડૉ. જોન્સન આ હસ્તપ્રત લઈને ઘણા પ્રકાશકો પાસે ગયા, પણ કોઈ પ્રગટ કરવા તૈયાર થયું નહીં. આખરે એક પ્રકાશકે માત્ર સાઠ પાઉન્ડમાં આ હસ્તપ્રત ખરીદી અને એ પ્રકાશિત થતાં ઑલિવર ગોલ્ડસ્મિથની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ. એ હતું વિશ્વનું એક મહાન પુસ્તક ‘ધ વિકાર ઑવ્ વેકફિલ્ડ.’
કુમારપાળ દેસાઈ


