Categories
વાચન સમૃદ્ધિ

દાદરા અને નગરહવેલી

ગુજરાત રાજ્યના અગ્નિખૂણામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 20° 05´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે.. તે મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. અઢારમી સદીના અંતમાં આ પ્રદેશ પોર્ટુગીઝ સંસ્થાનનો ભાગ બન્યો હતો. 1954ની 2જી ઑગસ્ટથી આ પ્રદેશ સ્વતંત્ર બન્યો તથા 1961માં તેનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારથી તે અલગ અસ્તિત્વ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. સેલવાસા આ પ્રદેશનું વહીવટી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર છે. તે વલસાડ–નાશિક રોડ પર આવેલું છે. તેનો વિસ્તાર 491 ચોકિમી. જેટલો છે, જેમાં આદિવાસી પ્રજાનું પ્રમાણ સવિશેષ છે. આ પ્રદેશની વસ્તી 5,80,000 (2026, આશરે) છે. તેમાંથી 78.99% લોકો અનુસૂચિત જાતિના અને આશરે 1.97% લોકો અનુસૂચિત જનજાતિના છે. ત્યાંના આદિવાસીઓ મોટે ભાગે ગૃહઉદ્યોગો અને ખેતી દ્વારા આજીવિકા મેળવે છે. વારલી, દૂબળા, ધોડિયા અને ભીલ કોમની વસ્તી અહીં વિશેષ છે જે પોતાની ભાતીગળ લોકસંસ્કૃતિ મુજબ જીવન ગુજારે છે. આ પ્રદેશમાં ભીલી, ગુજરાતી અને હિંદી ભાષાઓ બોલાય છે.

આદિવાસી સંગ્રહાલય, સેલવાસા

તેના ઉત્તર–પૂર્વ તથા દક્ષિણ–પૂર્વ વિસ્તારો ડુંગરાળ તથા મધ્ય વિસ્તાર સપાટ છે. ત્યાંની જમીન ભેજવાળી તથા ફળદ્રૂપ છે. નગરહવેલી વિસ્તારમાં સાગનાં જંગલો છે. ત્યાંની કૃષિપેદાશોમાં ડાંગર, કઠોળ તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. ઑગસ્ટ, 1961 બાદ આ પ્રદેશને કેન્દ્રશાસિત વિસ્તારોના બધા લાભો મળતાં ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ અહીં વિવિધ ઉદ્યોગો સ્થાપ્યા છે. સુંદર બાગ-બગીચા-ફુવારા અને પ્રાકૃતિક સૌંદર્યની કુદરતી ભેટને કારણે અનેક ફિલ્મોનું અહીં નિર્માણ થયું છે. રેલ-રસ્તાનો લાભ આ શહેરને મળેલો છે. વાપી અને ઉમરગામ જેવાં નજીકનાં શહેરો તેમજ સંજાણ અને નારગોલ જેવાં સાગરકિનારે આવેલાં વિહારધામોને કારણે પણ આ પ્રદેશનો વિકાસ થયો છે. સેલવાસાની ઉત્તરે દમણગંગા નદી વહે છે. સેલવાસામાં ઇન્દિરા પ્રિયદર્શિની ઉદ્યાન, તપોવન ઉદ્યાન અને આદિવાસી સંગ્રહાલય; જ્યારે દાદરામાં દમણગંગા સરોવર અને બાગબગીચા જોવાલાયક છે. કેન્દ્રસરકાર અને ગુજરાત સરકારની ઉદાર ઔદ્યોગિક નીતિને કારણે અહીં અનેક ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પી. સી. વૈદ્ય

જ. 23 મે, 1918 અ. 12 માર્ચ, 2010

સ્પેસ ટાઇમ જ્યોમેટ્રીના સંશોધનકર્તા, ગણિતજ્ઞ અને આદર્શ શિક્ષક પી. સી. વૈદ્યનો જન્મ જૂનાગઢ તાલુકાના શાપુરમાં થયો હતો. પિતા ચુનિલાલ અને માતા નિર્મળબહેન. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ઉચ્ચશિક્ષણ મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી મેળવ્યું. 1938માં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે બી.એસસી. અને 1940માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે એમ.એસસી.ની પદવી મેળવી. 1942માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત પર સંશોધન કર્યું. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સમીકરણનો ઉકેલ તેમણે આપ્યો. આ ઉકેલ ‘વૈદ્ય ઉકેલ’ તરીકે જાણીતો છે.

તેમણે ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ; એમ.ટી.બી. કૉલેજ, સૂરત; વી. પી. સાયન્સ કૉલેજ, વલ્લભવિદ્યાનગર; એમ. એન. કૉલેજ, વિસનગરમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગણિત વિભાગમાં જોડાયા અને સંશોધન પ્રવૃત્તિને વેગ આપ્યો. તેમણે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી અને ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો હતા. તેઓ વૈદ્ય મેટ્રિક, વૈદ્ય-પટેલ સૉલ્યુશન અને આઇન્સ્ટાઇન ફિલ્ડ ઇક્વેશન્સ માટે જાણીતા હતા. તેમણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા. તેઓ યુજીસીની કમિટી ઑન રિલેટિવિટી ઍન્ડ કૉસ્મોલૉજી, ઇન્ડિયન મૅથેમૅટિકલ સોસાયટી, ઇન્ડિયન ઍસોસિયેશન ફોર રિલેટિવિટી ઍન્ડ ગ્રૅવિટેશન વગેરેના અધ્યક્ષ હતા. તેમણે ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતાર્યા હતા. તેઓ ખાદી પહેરતા. સાઇકલ પર ગાંધીટોપી પહેરીને નીકળતા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ અને વેડછી આશ્રમ સાથે જોડાયેલા હતા. તેમણે ગુજરાતમાં ગણિત મંડળ શરૂ કર્યું. 1963માં ‘સુગણિતમ્’ અને 1990માં ‘બૉના મૅથમેટિકા’ શરૂ કર્યું. તેમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ચૉક ઍન્ડ ડસ્ટર’, ‘પસ્તીનાં પાનાં’, ‘ગણિતદર્શન’, ‘દશાંશ પદ્ધતિ શા માટે ?’, ‘નવું ગણિત શું છે ?’, ‘દાદાજીની વિજ્ઞાનવાર્તાઓ’ નોંધપાત્ર છે. ગુજરાત સરકારે 1993માં ડૉ. વિક્રમ સારાભાઈ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મારો અભિપ્રાય

બ્રિટનના અગ્રણી મુત્સદ્દી, રૂઢિચુસ્ત પક્ષના નેતા, લેખક અને કુશળ વક્તા સર વિન્સેન્ટ ચર્ચિલે (જ. ઈ. 1874થી અ. ઈ. 1965) બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું. ઈ. સ. 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહીને એમણે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં સિંહફાળો આપ્યો. વિશ્વયુદ્ધની કટોકટીના સમયે દેશને વિજય માટે એમણે આપેલો સંકેત ‘V’ (‘V’ For Victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો હતો. તેઓ વડાપ્રધાન હતા, તે સમયે બ્રિટનની પાર્લમેન્ટમાં કોઈ અગત્યના વિષય પર ચર્ચા ચાલી રહી હતી અને વિન્સેન્ટ ચર્ચિલની વિચારધારાની સામે વિરોધ પક્ષના અગ્રણી વક્તવ્ય આપતા હતા. એમનું પ્રવચન અત્યંત લાંબું, અવ્યવસ્થિત અને કશી નક્કર હકીકતો વિનાનું હોવાથી વિન્સેન્ટ ચર્ચિલ કંટાળી ગયા. વળી, પ્રવચન આપતાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ વિરોધ પક્ષના અગ્રણી અટકતા નહોતા. આથી વિન્સેન્ટ ચર્ચિલ પોતાના સ્થાને બેસીને ઝોકાં ખાવા લાગ્યા અને ધીરે ધીરે પાર્લમેન્ટની પાટલી પર માથું નાખીને નિદ્રાધીન બની ગયા. વિરોધ પક્ષના અગ્રણી તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા. એમણે એકાએક વક્તવ્ય આપવાનું થોભાવીને વિન્સેન્ટ ચર્ચિલ તરફ આંખો માંડી. આથી પાર્લમેન્ટના તમામ સભ્યો વિન્સેન્ટ ચર્ચિલ તરફ જોવા લાગ્યા અને એમને ખ્યાલ આવ્યો કે ચર્ચિલ પાર્લમેન્ટની કાર્યવાહી દરમિયાન ઊંઘી રહ્યા છે. વિરોધી નેતાએ આ પરિસ્થિતિનો પૂરો લાભ લેતાં કહ્યું, ‘વડાપ્રધાન મિ. ચર્ચિલ, તમે ઊંઘો છો તો પછી તમે મારા વિરોધી મુદ્દાઓનો જવાબ કઈ રીતે આપશો ? મારા પ્રવચનના મુદ્દાઓ વિશે તમારે અભિપ્રાય આપવાનો છે, એનો તમને ખ્યાલ છે ને ?’ આ સાંભળીને પાર્લમેન્ટના સભ્યો ખડખડાટ હસવા લાગ્યા, ત્યારે વિન્સેન્ટ ચર્ચિલે આંખો બંધ રાખીને કહ્યું, ‘તમારા પ્રવચન વિશે મારો અભિપ્રાય ? આ ઊંઘ એ જ અભિપ્રાય.’ ચર્ચિલનો આ ઉત્તર સાંભળીને આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું.