Categories
વાચન સમૃદ્ધિ

ઈથિયોપિયા

દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. તે ૯° ઉ. અ. અને ૩૯° પૂ. રે.ની આજુબાજુનો આશરે ૧૧.૩૦ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઈથિયોપિયાની ઉત્તરે ઇરિટ્રીઆ, ઈશાને જીબોટી, પૂર્વે સોમાલીઆ અને સોમાલીલૅન્ડ, દક્ષિણે કેન્યા, પશ્ચિમે સુદાન તેમજ નૈઋત્યે દક્ષિણ સુદાન દેશો સીમા ધરાવે છે. જીબોટી દેશ પાસે રાતો સમુદ્ર અને દક્ષિણે સુડોલ્ફ સરોવર આવેલું છે. રાતા સમુદ્રની દક્ષિણે એડનનો અખાત આવેલો છે. વિવિધ જાતિજૂથો, ધર્મો, ભાષાઓ તથા પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ ધરાવતો આ દેશ સદીઓથી રાજાશાહી ભોગવતો હતો. આ દેશ પહેલાં એબિસિનિયા તરીકે જાણીતો હતો. અહીં ભૂસંચલનને લીધે જ્વાળામુખી શિખરો, ફાટખીણો, ગોળાકાર પહાડો, ડુંગરધારો, સરોવરો, ઊંડાં કોતરો વગેરે ભૂમિ-સ્વરૂપોની રચના થઈ છે. પહાડી પ્રદેશમાં લગભગ ૪,૦૦૦ મીટરની ઊંચાઈનાં અનેક જ્વાળામુખી શિખરો આવેલાં છે. સર્વોચ્ચ શિખર ‘રાસ દશન’ ૪,૬૨૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંની મુખ્ય નદીઓ બ્લૂ નાઇલ, સોબત, અત્બારા, જુબા, વેબી, શેબેલી અને અવાશ છે.

ઈથિયોપિયામાં મોટા ભાગની જમીનો રાજા, તેના કુટુંબ, ધર્મગુરુઓ અથવા દૂર વસતા સામંતોને હસ્તક છે. અહીં ગણોતિયા ખેડૂતોનું પ્રમાણ વધારે છે. અહીં ઉત્પન્ન થતું મુખ્ય ધાન્ય ટેફ (Teff) અહીંના લોકોનો મુખ્ય ખોરાક છે. જુવાર, જવ, ઘઉં, મકાઈ, શેરડી, કપાસ, તેલીબિયાં અને ખાટાં ફળો અહીંના મુખ્ય પાક છે. અહીં સારી સંખ્યામાં ઢોર, ઘેટાં-બકરાં અને ઊંટના ઉછેર ઉપરાંત ઘોડાં, ગધેડાં, ખચ્ચર વગેરેનું પણ પાલન કરવામાં આવે છે. ઢોરોનાં ચામડાંની નિકાસ થાય છે. ગૃહઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. તેમાં હાથસાળ, કાપડવણાટ, વસ્ત્ર-ઉત્પાદન તથા ગૃહઉપયોગી વાસણો બનાવવાના ઉદ્યોગો અગત્યના છે. સિમેન્ટ, સાબુ, સિગારેટ, કાપડ અને દીવાસળી બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઈથિયોપિયામાં અમ્હેરા અને ગાલ્લા નામનાં બે જાતિજૂથો આગળ પડતાં છે. દેશનો વહીવટ અમ્હેરા લોકોના હાથમાં છે. આ દેશની કુલ વસ્તી આશરે ૧૩.૮૦ કરોડ (૨૦૨૬ મુજબ) છે. પાટનગર ઍડિસ-અબાબા ઉપરાંત અસ્મારા, હશર વગેરે અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઈથિયોપિયા, પૃ. 180)

Categories
વાચન સમૃદ્ધિ

બાબુભાઈ પ્રાણજીવન વૈદ્ય

જ. 23 જુલાઈ, 1909 અ. 12 ડિસેમ્બર, 1979

ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર બાબુભાઈ વૈદ્યનો જન્મ દ્વારકામાં થયો હતો. તેમના પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં થયું હતું. 1927-1930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો પણ વચ્ચે એક વર્ષ વડોદરાની કૉલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. 1929માં પિતામહનું અવસાન થતાં તેમનું ઔષધાલય પણ તેઓ અભ્યાસની સાથે ચલાવતા હતા. અભ્યાસનાં વર્ષોમાં સત્યાગ્રહની લડતમાં પ્રભાવશાળી ભાષણો કરી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 1930થી 1943માં જેતપુરની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિયપણે જોડાયેલા રહ્યા. તેઓ એક સારા વક્તા પણ હતા.

વ્યવસાયે વૈદ્ય અને રાજકીય-સામાજિક કાર્યકર હોવા છતાં તેમણે સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનું લેખનકાર્ય જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજના મુખપત્રથી શરૂ થયું. તેમણે 1937થી ‘ફૂલછાબ’માં ગ્રંથાવલોકનો લખવાં શરૂ કર્યાં અને 1943માં ‘ફૂલછાબ’ દૈનિકના સહતંત્રી તરીકે જોડાયા. 1945માં એમણે સંપાદક મેઘાણી સાથે ‘ફૂલછાબ’ છોડ્યું અને 1946માં મુંબઈમાં ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં જોડાયા. 1947માં રાજકોટથી ‘જયહિન્દ’ નામે દૈનિક શરૂ થતા એના આદ્યતંત્રી બન્યા. તેમણે વાર્તાસંગ્રહ, નાટકો અને જીવનચરિત્રોનાં અનેક પુસ્તકો લખ્યાં છે – ‘અ. સૌ. વિધવા’, ‘નિરાંતનો ઓટલો’, ‘મા વિનાનાં’, ‘રોતી ઢીંગલી’ અને ‘રાણકદેવી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. મોટેભાગે કુટુંબજીવનની ઘટના પ્રધાન વાર્તાઓ આ સંગ્રહોમાં છે. ‘એ……આવજો’ અને ‘પ્રેરણા’ તેમનાં મૌલિક નાટકો છે. આ ઉપરાંત ઇબ્સનનાં નાટકોના અનુવાદ પણ એમણે આપ્યા છે. ‘નંદબાબુ’, ‘ઉપમા’ ‘ગોદાવરી’, ‘વિશ્વામિત્ર’ જેવી નવલકથાઓ પણ તેમણે લખી છે. ‘રેતીમાં વહાણ’ એમનું સંસ્મરણોનું પુસ્તક છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં પણ તેમનો મહત્ત્વનો ફાળો છે. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના બોર્ડના મંત્રી હતા. 1962થી 1967 દરમિયાન ગુજરાત રાજ્યના તેઓ અપક્ષ ધારાસભ્ય હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દેવાસ

મધ્યપ્રદેશના ઉજજૈન વિભાગનો જિલ્લો. તે 22° 57´ ઉ. અ. અને 76° 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ જિલ્લાની પૂર્વે શેહોર જિલ્લો, દક્ષિણે હરડા અને ખંડવા જિલ્લાઓ, પશ્ચિમે ખારગોન અને ઇન્દોર જિલ્લા, જ્યારે ઉત્તરે ઉજજૈન અને શહાજહાંપુર જિલ્લાઓ સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાની પશ્ચિમે માલવાનો ઉચ્ચપ્રદેશ જે લગભગ સમતળ છે. દક્ષિણે ક્રમશઃ ઊંચકાતી વિંધ્યાચળ હારમાળા આવેલી છે. અહીં ચંબલ અને કાળીસિંધ નદીનાં મૂળ આવેલાં છે. જે આગળ જતાં ગંગા નદીને મળે છે. આ વિસ્તારમાં ગ્રૅનાઇટ જેવી નક્કર ખડક-સંરચના ધરાવતા ઉચ્ચપ્રદેશો આવેલા છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 600થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. સમુદ્રકિનારાથી દૂર આવેલો છે, આથી આબોહવા લગભગ ખંડીય પ્રકારની છે. પરિણામે ઉનાળામાં મે માસ દરમિયાન તાપમાન 33° સે.થી વધી જાય છે. જ્યારે શિયાળામાં એટલે કે જાન્યુઆરી માસમાં તાપમાન 20° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વરસાદ 3200 મિમી. જેટલો પડે છે. રાત્રિના સમયગાળામાં તાપમાન નીચું અનુભવાય છે.

અહીં સાગ, સાલ, સાદડ, ખેર, ટીમરુ, ચારોળી, પલાસ વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. ફળાઉ વૃક્ષોમાં કેરી, પપૈયાં, ચીકુ મુખ્ય છે. વાઘ, દીપડો, વાનરો, જરખ, શિયાળ જેવા વન્યજીવો પણ જોવા મળે છે. અહીં મોટે ભાગે સઘન ખેતી થતી જોવા મળે છે. જેમાં ઘઉં, જવ, બાજરો, તેલીબિયાં, કઠોળ, ડાંગર, શેરડી વગેરેની ખેતી લેવાય છે. જંગલપેદાશોમાં ઇમારતી લાકડું, લાખ, ગુંદર, ટીમરુનાં પાન વગેરે મેળવાય છે. ઇન્દોર–નેમાવર રોડ ઉપર ‘ગિદીયા ખોહ’ પાસે જળધોધ આવેલો છે. જે દેવાસથી 48 કિમી. દૂર છે. આ ઉપરાંત અહીં ચામુંડા ટેકરી, સિદ્ધેશ્વર મહાવીર મંદિર, કેલા દેવ મંદિર, શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર વગેરે આવેલાં છે. આ જિલ્લાને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 52 મહત્ત્વનો છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો પણ આવેલા છે. આ જિલ્લામાં ત્રણ રેલવેસ્ટેશનો આવેલાં છે. જેમાં દેવાસ જંકશન સૌથી મહત્ત્વનું છે. આ જિલ્લાનો વિસ્તાર 7,020 ચો.કિમી. છે, જ્યારે વસ્તી આશરે (2026 મુજબ) 19,20,000 છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે, નીતિન કોઠારી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)