Categories
વાચન સમૃદ્ધિ

હોમી વાડિયા

જ. 22 મે, 1911 અ. 10 ડિસેમ્બર, 2004

ભારતીય સિનેજગતના નિર્દેશક અને નિર્માતાનો જન્મ સૂરતમાં થયો હતો.  શિક્ષણ માંડ મૅટ્રિક સુધીનું. ત્યારબાદ મોટા ભાઈ જે. બી. વાડિયા ફિલ્મક્ષેત્રે હોવાથી તેમણે પણ ફિલ્મક્ષેત્રે જવાનું પસંદ કર્યું. તેઓ 1933માં સ્થાપિત વાડિયા મૂવીટોન પ્રોડક્શનના સહ-સંસ્થાપક હતા. તેમણે સૌપ્રથમ 1934માં ‘વીર ભારત’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. પ્રથમ ફિલ્મથી જ સ્ટંટ ફિલ્મોની શ્રેણીનો પ્રભાવ શરૂ થયો. આ ફિલ્મો ભવ્ય સેટ્સ, ભવ્ય વેશભૂષાને લીધે ચકિત કરી દેનારાં દૃશ્યોવાળી સાબિત થઈ અને તેમણે સ્ટંટ ફિલ્મોમાં આગવી નામના મેળવી. તેમાં તેમને સૌથી મોટો આધાર અભિનેત્રી નાદિયાનો મળ્યો. નાદિયાનાં દિલધડક સ્ટંટ દૃશ્યો પ્રેક્ષકોને હેરત પમાડે તેવાં હતાં અને તેથી ટિકિટબારી પર ટંકશાળ પડતી હતી. ફિલ્મોમાં રેલવે, ટ્રેન, પ્રાણીઓ, પિસ્તોલ જેવી વસ્તુઓનો સૌપ્રથમ ઉપયોગ કરનાર હોમી વાડિયા હતા. તેમણે 1942માં વસંત પિક્ચર્સની સ્થાપના કરી. તેમણે ચાળીસથી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું જેમાં ‘હંટરવાલી’ (1935), ‘મિસ ફ્રંટિયર મેલ’ (1936), ‘હીરે કી રાની’ (1940) તથા ‘હાતિમ તાઈ’ (1956)નો પણ સમાવેશ છે. 1954માં સ્થાપિત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’ના એક સંસ્થાપક સભ્ય પણ હતા. 1942 સુધી વાડિયા મૂવીટોનની બાર ફિલ્મો હોમી વાડિયાએ દિગ્દર્શિત કરેલી. 1949માં ગુજરાતી ફિલ્મો પણ તેમણે બનાવેલી. તેમની એક ફિલ્મ ‘નૌજવાન’ ગીત વિનાની ફિલ્મ હતી.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મગોપન (Camouflage)

પર્યાવરણ સાથે એકરૂપતા સાધી જાતબચાવ કરવાની પ્રાણીઓની તરકીબ.

પ્રાણીજગતમાં ભક્ષકથી બચવું અને ભક્ષ્યને પકડવું એ સૌથી મોટી પ્રવૃત્તિ છે. આ માટે પ્રાણીઓ જાતજાતની તરકીબો કરતાં હોય છે. જાતબચાવ માટે પ્રાણીઓ પોતાના પરિસરમાં રંગરૂપથી ભળી જઈને, ભક્ષકની નજરથી બચવાની યુક્તિ અજમાવે છે. ઘણાં પ્રાણીઓ તેમના આકારની મદદથી આત્મગોપન કરે છે. ઘણાં જીવડાં સૂકી ડાળી જેવાં લાગે છે અને ઝાડની ડાળીમાં ભળી જાય છે. ઘણાં જીવડાં પાંદડાં જેવાં લાગે છે ને પાંદડાંમાં ભળી જાય છે. પતંગિયાં પણ તેમની નાજુક રંગબેરંગી પાંખોને લીધે ફૂલોમાં ભળી જઈ તેમના ભક્ષકની નજરથી બચી જાય છે. ઘણાં પ્રાણીઓના શરીર પરના ચટાપટા તેમને આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઊભા ઘાસમાં ઊભા ચટાપટાવાળો વાઘ સહેલાઈથી છુપાઈને રહી શકે છે અને હરણ જેવાં ઘાસ ચરતાં પ્રાણીઓ પર તે ત્રાટકી શકે છે.

તીડનું આત્મગોપન

હરણના શરીર પરની ટપકાં જેવી ભાત તેને પણ આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઝાડનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા તડકાની ટપકાં છાંયડાની ભાતમાં હરણના શરીરની ભાત ભળી જાય છે. વળી કેટલીક માછલીઓ તથા કાચિંડા જેવાં કેટલાંક પ્રાણીઓ તેમના પરિસર પ્રમાણે રંગો ધારણ કરી શકે છે. ઠંડા પ્રદેશમાં રહેતાં પ્રાણીઓને આસપાસના બરફમાં ભળી જવા માટે ધોળા વાળ મળેલા હોય છે. શિયાળો પૂરો થતાં સસલાં, રીંછ, શિયાળ પાછાં તેમના મૂળ કથ્થાઈ રંગનાં થઈ જાય છે. ચટાપટાવાળાં ઝિબ્રા ટોળામાં ઊભાં હોય ત્યારે સિંહ તેમાંથી કોઈ એક ચોક્કસ પ્રાણીને સ્પષ્ટ જોઈ શકતો નથી. ચટાપટાને લીધે આ પ્રાણીઓ જાણે એકબીજાંમાં ભળી જાય છે. આથી સિંહ કોઈ એક પ્રાણીનો પીછો કરી તેને પકડી શકતો નથી. ટિટોડી પોતાનાં ઈંડાં જમીન પર ખુલ્લામાં મૂકે છે એટલે ઈંડાં કાંકરા જેવા દેખાવનાં હોય છે. મરઘીનાં બચ્ચાં નાનાં હોય ત્યારે પીળાં હોય છે, જેથી જમીન પર રહેતાં બચ્ચાં તેમના પરિસરમાં ભળી જાય છે. મોટાં થતાં બચ્ચાં રંગબેરંગી પીંછાં ધારણ કરે છે. આ રીતે પ્રાણી પોતાના આકાર, રંગ, શરીરની ભાત વગેરેને લીધે પરિસરમાં ભળી જાય તેવી તરકીબ કરે છે. આને આત્મગોપન (છદ્માવરણ) કહે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

વિલેમ આઇંથોવન

જ. 21 મે, 1860 અ. 27 સપ્ટેમ્બર, 1927

ડચ ચિકિત્સક અને શરીરક્રિયા વિજ્ઞાની (Physiologist) વિલેમ આઇંથોવનનો જન્મ ઇન્ડોનેશિયામાં જાવાના સેમારંગમાં થયો હતો. તેમને આધુનિક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ(ECG/EKG)ના જનક માનવામાં આવે છે. તેમના પિતા જેકબ આઇંથોવન નેધરલૅન્ડની સેનામાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વિલેમની છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેમનાં માતા બાળકોને લઈને નેધરલૅન્ડ આવીને ઉટ્રેક્ટમાં વસ્યાં. 1885માં તેમણે ઉટ્રેક્ટ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરની પદવી મેળવી. માત્ર 26 વર્ષની વયે તેઓ લીડેન વિશ્વવિદ્યાલયમાં ફિઝિયૉલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્તિ પામ્યા. લીડેનમાં અધ્યાપન દરમિયાન શરૂઆતમાં તેમણે પ્રકાશિકી, શ્વસન તથા હૃદયને લગતાં સંશોધનકાર્યો કરવા માંડ્યાં. પાછળથી તેમણે હૃદયની ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સ્ટ્રીંગ ગૅલ્વેનોમીટરની શોધ કરી. સ્ટ્રીંગ ગૅલ્વેનોમીટરનો ઉપયોગ શરૂઆતમાં દરિયાની અંદર પસાર થતા કેબલમાં વિદ્યુત signalને મજબૂત (amplify) બનાવવા કરાતો. વિલેમે વિચાર્યું કે આ તકનીકનો ઉપયોગ હૃદય દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિકલ સંવેદનો માપવા માટે કરી શકાય. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી તેમણે ECGની શોધ કરી. તેમનું કાર્ય આજે પણ હૃદયરોગના નિદાન માટે આધારભૂત ગણાય છે. આજે પણ દુનિયાભરની હૉસ્પિટલોમાં ECG મશીનોનો ઉપયોગ કરાય છે. સમય સાથે ટૅક્નૉલૉજી વિકસિત થતી ગઈ, પરંતુ હજી પણ ECG મશીનો વિલેમ દ્વારા વિકસિત મૂળ સિદ્ધાંતો અને ટૅક્નૉલૉજી અનુસાર કાર્ય કરી રહ્યાં છે. તેમણે હૃદયની વિદ્યુત ગતિવિધિઓને માપવા માટે શરીરનાં અંગો પર ઇલેક્ટ્રોડ લગાડવાની એક પ્રણાલી વિકસિત કરી, જે આઇંથોવન ત્રિકોણ (Einthoven’s Triangle) તરીકે જાણીતી છે. તેમના જીવનકાળ દરમિયાન તેમની ઉપલબ્ધિઓ માટે અનેક સન્માનો પ્રાપ્ત થયાં. 1924માં તેમને ચિકિત્સાક્ષેત્રે અદ્ભુત શોધ કરવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.