Categories
વાચન સમૃદ્ધિ

કેનિથ જી. વિલ્સન

જ. 8 જૂન, 1936 અ. 15 જૂન, 2013

1982માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી કેનિથ ગેડેસ વિલ્સનનો જન્મ મૅસેચૂસેટ્સના વોલ્થમાં થયો હતો. પિતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રી હતા અને માતા ભૌતિકશાસ્ત્રી હતાં. 16 વર્ષની ઉંમરે હાર્વર્ડ કૉલેજમાં દાખલ થયા. ગણિત વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1961માં તેમણે કૅલિફૉર્નિયા  ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી મરે ગેલ-મેનના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ 1963માં કોર્નેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા. 1970માં પ્રોફેસર બન્યા. આ સમયગાળામાં તેમણે સ્ટેનફર્ડ લિનિયર એક્સિલરેટર (સુરેખ પ્રવેગક) પર સંશોધનો કર્યાં. કોર્નેલ થિયરી સેન્ટરના તેઓ નિર્દેશક બન્યા. 1988માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં કાર્યરત રહ્યા. તેમના સંશોધનકાર્યને લીધે ક્વૉન્ટમ ક્ષેત્રે સિદ્ધાંતના મૂળભૂત પ્રશ્નો પર સમજણ વિકસી. હેડ્રોનની અંદર રહેલા ક્વાર્કના અસ્તિત્વ તથા વર્તણૂક પર પ્રકાશ પડ્યો. કણ ભૌતિકશાસ્ત્ર(Particle Physics)ના અભ્યાસ માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તેઓ અગ્રણી હતા. 1982માં તેમને પ્રવાહીમાંથી વાયુયુક્ત સ્થિતિમાં પદાર્થના પરિવર્તન જેવા તબક્કા સંક્રમણો પરના તેમના કાર્ય માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓને 1980માં ભૌતિકશાસ્ત્રમાં ફિશર તથા કેડેનહોફની સાથે વુલ્ફ પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત તેઓને એરિન્ગન ચંદ્રક (1984), ફ્રેન્કલિન ચંદ્રક (1982), બોલ્ટ્ઝમૅન ચંદ્રક (1975) તથા ડેની હાઈનમૅન પ્રાઇઝ (1973) વગેરે પ્રાપ્ત થયાં હતાં. એચ. આર. કૃષ્ણમૂર્તિ, રોમન જેકિવ, માઇકલ પેસ્કિન વગેરે વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

દિગ્બોઈ

આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23´ ઉ. અ. અને 95° 38´ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે. આ પ્રદેશમાં વર્ષભર ભેજનું સરેરાશ પ્રમાણ 80%થી વધારે અને વરસાદનું પ્રમાણ 2,000 મિમી.થી વધારે હોય છે. અહીંનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. જેટલું રહે છે. આમ દિગ્બોઈ એકંદરે મોસમી પ્રકારની ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવે છે. તેની આસપાસના પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળાં જંગલો છવાયેલાં છે.

દિગ્બોઈ અને તેની આસપાસની ધરતીમાં આવેલા તૃતીય જીવયુગના રેતીખડકો(sandstones)ના તળિયેથી ખનિજતેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડારો મળી આવ્યા છે. ભારતનાં સૌથી જૂનાં ખનિજતેલ અને વાયુનાં આ ક્ષેત્રોમાંથી છેલ્લાં 90 વર્ષથી ખનિજતેલ અને કુદરતી વાયુપંચ દ્વારા ક્રૂડ, ખનિજતેલ અને વાયુ મેળવવાની કામગીરી ચાલે છે. આ ઉપરાંત અહીં આસામ ઑઇલ કંપનીની રિફાઇનરીઓ દ્વારા વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું અને ગંધકના તેજાબનું ઉત્પાદન થાય છે. વળી આ શહેરમાં એક મોટી ઇજનેરી કાર્યશાળા (workshop) પણ આવેલી છે. આમ આ શહેરના વિકાસમાં ખનિજ તેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રોએ તથા રિફાઇનરીઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે. ઉત્તરોત્તર વધતી જતી વસ્તીની સાથોસાથ આ શહેરમાં અનેક નવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો ઉપરાંત લાકડાં અને ખાદ્ય ચીજવસ્તુઓ પર પ્રક્રિયા કરવાના ઉદ્યોગો તેમજ ગૃહઉદ્યોગો અગત્યના છે. આ નગર રેલમાર્ગે દિબ્રુગઢ તથા અન્ય નગરો સાથે સંકળાયેલું છે. તે દક્ષિણે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 38થી માર્ઘેરિતા (Margherita) તેમજ ઉત્તરે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 37થી દિબ્રુગઢ, દીસપુર અને દેશનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. આ નગરની વસ્તી આશરે 34,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

શ્યામા

જન્મ 7 જૂન, 1935 અવસાન 14 નવેમ્બર, 2017

મૂળ નામ ખુર્શીદ અખ્તર. પંજાબીભાષી આ નાયિકાને બાળપણથી જ અભિનય અને નૃત્ય પ્રત્યે ખેંચાણ હતું અને તેથી જ તેઓ 1940માં લાહોર છોડીને મુંબઈ આવ્યાં. 10 વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ ‘ઝીનત’માં સમૂહગીત ગાયિકા તરીકે કામ કરીને ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પછી ‘મીરાંબાઈ’ (1947), ‘પતંગા’ (1949), ‘શબનમ’ (1949) જેવી હિન્દી ફિલ્મોમાં અને ‘ચમન’ (1948) જેવી પંજાબી ફિલ્મોમાં નાની અને સહાયક ભૂમિકાઓ ભજવી. પંજાબી ભાષા પરના તેમના પ્રભુત્વને કારણે 1950માં આવેલી ફિલ્મ ‘પોસ્ટી’ને એટલી બધી સફળતા મળી કે તેઓ પંજાબી સિનેમાનાં પ્રખ્યાત અભિનેત્રી બની ગયાં. ‘તરાના’ (1951), ‘આસમાન’ (1952), ‘ઠોકર’ (1953), ‘દિલ એ નાદાન’ (1953) વગેરે જેવી ફિલ્મો સાથે તેમણે બાળ ભૂમિકાઓથી પુખ્ત અને મુખ્ય ભૂમિકાઓ સુધીની સફર ખેડી. ગુરુ દત્તની ફિલ્મ ‘આર પાર’(1954)માં તેમનો અભિનય ખૂબ વખણાયો. આ સિવાય ‘લાડલા’ (1954), ‘ભાઈ ભાઈ’(1956)ની સાથે 1957માં આવેલી ફિલ્મ ‘શારદા’માં તેમણે ભજવેલ ચંચલનું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું. ‘ભાભી’ (1957) ફિલ્મમાં કાવતરાખોર ભાભી તરીકે, ‘દો બહેન’ (1959)માં જોડિયા બહેનોની બેવડી ભૂમિકામાં તેમનો અભિનય યાદગાર રહ્યો. 1961માં તેમની છેલ્લી પંજાબી ફિલ્મ ‘વિલાયત પાસ’ રહી પણ હિન્દી ફિલ્મો જેવી કે ‘દિલ દિયા દર્દ લિયા’ (1966), ‘સાવન ભાદો’ (1970), ‘અજનબી’ (1974) અને ‘માસ્ટરજી’(1985)માં તેમણે પ્રશંસનીય ભૂમિકાઓ ભજવી. ચાહકો આજે પણ તેમના પર ફિલ્માવવામાં આવેલાં ગીતો ‘એ દિલ મુઝે બતા દે’, ‘યે લો મે હારી પિયા’ વગેરે યાદ કરે છે. લગભગ 140 ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓમાં પોતાની બહુમુખી પ્રતિભા નિભાવવા માટે આ નાયિકાને ‘છુમંતર’ (1956) ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો BFJA ઍવૉર્ડ અને ‘શારદા’ (1957) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.