Categories
વાચન સમૃદ્ધિ

મારિયા બિસ્લાવા અન્ના સિમ્બોસકા

જ. 2 જુલાઈ, 1923 અ. 1 ફેબ્રુઆરી, 2012

મારિયા પોલિશ ભાષાના કવયિત્રી અનુવાદક અને 1996ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર વિજેતા હતાં. મારિયાના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્વાને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન બાદ 1924માં તેઓ તોરુન આવ્યા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યાં. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવ્યા બાદ તેઓની ઓળખ આંતરરાષ્ટ્રીય થઈ ગઈ. તેમના સાહિત્યનું ઘણી યુરોપિયન ભાષાઓમાં ભાષાંતર થયું છે. આ સાથે અરેબિક, હિબ્રૂ, જાપાનીઝ, પર્શિયન અને ચાયનીઝ ભાષાઓમાં પણ ભાષાંતર પામ્યું છે. જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે પોતાનો અભ્યાસ ભૂગર્ભ વર્ગોમાં ચાલુ રાખ્યો. 1943 સુધી તેમણે રેલમાર્ગના કર્મચારી તરીકે કામગીરી બજાવી. જેથી તેમને બળજબરીપૂર્વક જર્મની ધકેલી ન દેવામાં આવે. આ સમયમાં તેમણે અંગ્રેજી પાઠ્યપુસ્તક માટેનાં ચિત્રો દોરી એક કલાકારની કામગીરી બજાવી. યુનિવર્સિટીમાં સમાજવિદ્યાનો વિષય લેતાં પહેલાં તેમણે પોલિશ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. માર્ચ, 1945માં તેમનું કાવ્ય સ્થાનિક દૈનિકમાં પ્રગટ થયું હતું. ત્યાર પછી તેમનાં કાવ્યો અનેક વર્તમાનપત્રોમાં છપાતાં રહ્યાં. 1948માં તેમણે અભ્યાસ છોડી દીધો અને આદમ વૉડેક સાથે લગ્ન કર્યાં. 1954માં તેમણે છૂટાછેડા લીધા, પરંતુ આદમની ઘણી સંભાળ રાખતાં હતાં. 1953માં તેઓ સાહિત્યનું વિવેચન કરતા સામયિકમાં જોડાયાં. 1968થી તેમની સાહિત્યની સફર શરૂ થઈ. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં. 1954માં ક્રેકોવ શહેરનું સાહિત્ય માટેનું પારિતોષિક, 1963માં પોલિશ મિનિસ્ટ્રી ઑવ કલ્ચર ઇનામ, 1990માં કૉસસિએલ્સ્કી ઍવૉર્ડ, 1991 ગોએથે પ્રાઇઝ, 1996માં પોલિશ પેન ક્લબ પ્રાઇઝ, 1996માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર, 2005માં ગોલ્ડ મેડલ ફોર મેરિટ્સ ઑવ્ કલ્ચર-ગ્લોરિયા આર્ટસ અને 2011માં ઑર્ડર ઑવ્ ધ વ્હાઇટ ઇગલ મળ્યા. આ ઉપરાંત ‘વિસ્લાવા સિમ્બૉર્સ્કા ઍવૉર્ડ’ મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાપુર

પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે. તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે. શહેરની આસપાસ સપાટપ્રદેશ છે. દામોદર અને ગંગાની નહેરનો તેમાં સિંચાઈ માટે ઉપયોગ થાય છે, જેને લીધે મબલક પાક થાય છે. ડાંગર, શેરડી, ઘઉં, તેલીબિયાં મુખ્ય પાક છે. દુર્ગાપુર મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે.

1962માં અહીં ઇંગ્લૅન્ડની સહાયથી 10 લાખ ટન પોલાદ ઉત્પન્ન કરતું કારખાનું સ્થપાયું હતું. રાણીગંજ અને ઝરિયાનાં કોલસાનાં ક્ષેત્રો આ શહેર નજીક આવેલાં છે. બિહાર, ઝારખંડ અને ઓરિસાની લોખંડની કાચી ધાતુ તથા ચૂનાના પથ્થરો અહીં ઉપલબ્ધ છે. ત્યાંના કારખાનાને બે થર્મલ વિદ્યુતમથકો વીજળી પૂરી પાડે છે. ત્યાંના પોલાદના કારખાનાનું વિસ્તૃતીકરણ થયું છે. આ કારખાના ઉપરાંત કોલસા ધોવાનું કારખાનું, મિશ્રધાતુઓ અને વિશિષ્ટ પોલાદના ઉત્પાદન માટેનું કારખાનું, ઈંટ અને નળિયાં બનાવવાનો ઉદ્યોગ, કોલસાની ખાણ માટેનાં યંત્રો, સિમેન્ટ વગેરે માટે ઉદ્યોગો અહીં વિકસ્યા છે. આ શહેર આસનસોલ બર્દવાન માર્ગ પરનું રેલવે-મથક છે. ઉપરાંત, કૉલકાતા, બર્દવાન અને આસનસોલ સાથે તે જમીનમાર્ગે જોડાયેલું છે. નહેરથી જોડાયેલું નજીકનું બંદર કૉલકાતા છે. આમ, દુર્ગાપુર વાહનવ્યવહારની સારી સગવડ ધરાવે છે. અહીં બર્દવાન યુનિવર્સિટી સાથે જોડાયેલી ઇજનેરી કૉલેજ, એક સરકારી કૉલેજ તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંલગ્ન સંગીત મહાવિદ્યાલય છે. શહેરની વસ્તી આશરે 7,50,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અબ્દુલ હમીદ

જ. 1 જુલાઈ, 1933 અ. 10 સપ્ટેમ્બર, 1965

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થનાર કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદનો જન્મ ઉત્તરપ્રદેશના ધામુપુર ગામમાં થયો હતો. પિતા મોહમ્મદ ઉસ્માન અને માતા સકીનાબેગમ. ધોરણ આઠ પાસ કરી પિતાને દરજીકામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ 27 ડિસેમ્બર, 1954ના રોજ ભારતીય સેનાની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં ભરતી થયા. તેમણે 1962માં ચીની પીપલ્સ લિબરેશન આર્મી સામે નામકા ચૂના યુદ્ધમાં ભાગ લીધો હતો. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં અબ્દુલ હમીદ અને તેમની 4થી ગ્રેનેડિયર્સ બટાલિયનના જવાનો સીમા પાસે ફરજ પર હતા. 8 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે પાકિસ્તાની ટૅન્કોએ હુમલો કર્યો. હમીદે પહેલી ટૅન્કનો નાશ કર્યો. બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્ક છોડીને ભાગી ગયા. એ ટૅન્કોનો નાશ કર્યો. વળી બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્કો મૂકીને નાસી ગયા. 9 સપ્ટેમ્બરે ફરીથી ટૅન્કો આવી પરંતુ ઍન્ટિ ટૅન્ક સુરંગોએ ટૅન્કોનો નાશ કર્યો. બાકીની ટૅન્કો પાછી ફરી. 10 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટૅન્કો સમૂહમાં આવી. હમીદે પાંચમી ટૅન્ક પણ ઉડાવી દીધી. તેમણે સ્થાન બદલીને છઠ્ઠી ટૅન્કનો ખાતમો કર્યો. સાતમી ટૅન્ક નજીક હતી. સાતમી ટૅન્કે તોપગોળો છોડ્યો અને અબ્દુલ હમીદ શહીદ થયા. પોતે શહીદ થયા એ પહેલાં એમણે ટૅન્કનો નાશ કર્યો. હમીદે ત્રણ દિવસમાં સાત પાકિસ્તાની ટૅન્કોનો નાશ કરવાનું અજોડ પરાક્રમ કર્યું હતું. અબ્દુલ હમીદના સર્વોચ્ચ બલિદાન માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2000માં તેમની સ્મૃતિમાં ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં અસલ ઉત્તર ગામમાં  રમતગમત અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.