Categories
વાચન સમૃદ્ધિ

આનું નામ ઍડિસન

૧૯મી સદીના ઉત્તરાર્ધના મહાન અમેરિકન સંશોધક થોમસ આલ્વા ઍડિસન (ઈ. સ. ૧૮૪૭થી ઈ. સ. ૧૯૩૧) જીવનભર વૈજ્ઞાનિક શોધોમાં રચ્યાપચ્યા રહ્યા. ઍડિસને સાત વર્ષની વયે શાળાશિક્ષણનો પ્રારંભ કર્યો. ત્રણ મહિના પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહીને શાળામાંથી કાઢી મૂક્યા. માતાએ ઘેર ભણાવીને એમની જ્ઞાનપિપાસા જાગૃત કરી. દસ વર્ષની વયે ઘરમાં પ્રયોગશાળા બનાવીને સ્વરચિત ટેલિગ્રાફ સેટ પણ ચાલુ કર્યો. નબળી આર્થિક સ્થિતિને કારણે બાર વર્ષની ઉંમરે રેલવેમાં છાપાં અને ખાટીમીઠી ગોળી વેચવાનું શરૂ કર્યું અને પછી ઘરમાં પ્રયોગશાળા બનાવીને પ્રયોગો કરવા લાગ્યા. ઇલેક્ટ્રિક બલ્બ, મોશન પિક્ચર કૅમેરા જેવાં ૧૦૯૩ જેટલાં નવાં સંશોધનો કર્યાં. આ મહાન વૈજ્ઞાનિકને એનું ફાર્મહાઉસ ખૂબ ગમતું હતું અને અહીં જ એ જુદા જુદા પ્રયોગો તથા વૈજ્ઞાનિક પરીક્ષણો કરતા હતા. પોતાના આ ફાર્મહાઉસમાં થોમસ આલ્વા ઍડિસન મુલાકાતીઓને પોતે બનાવેલાં અનેક મશીનો ને ઉપકરણો બતાવતા હતા. આ એવાં સાધનો હતાં કે જે વ્યક્તિનાં સમય અને શક્તિનો ઘણો બચાવ કરતાં હતાં. આ ફાર્મહાઉસના પાછળના રસ્તે એક ગોળ ફરતું લાકડાનું ફાટક ફેરવીને દરેક મુલાકાતીને જવું પડતું. વળી આ ફાટક વજનદાર હોવાથી મુલાકાતીએ એ લાકડું ફેરવવા માટે થોડું જોર પણ વાપરવું પડતું.  એક વાર એક મુલાકાતીએ આ ભારે વજનદાર ફાટકના લાકડા અંગે થોમસ આલ્વા ઍડિસનને પૂછ્યું, ‘તમે આટલાં નવાં નવાં સંશોધનો કરો છો, સમય અને શક્તિ બચાવે તેવાં અદભુત ઉપકરણો બનાવો છો, તો પછી તમારા આ ફાર્મહાઉસ તરફ પાછા જવા માટે આવું સાવ સાદું ગોળ ફેરવવાનું ચકરડાવાળું ફાટક શા માટે રાખ્યું છે ?’ થોમસ આલ્વા ઍડિસને કહ્યું, ‘જુઓ ભાઈ, આ ફાટકનું ચકરડું એક વાર ફેરવવાથી મારા ફાર્મહાઉસની ટાંકીમાં આઠ ગેલન પાણી ચડી જાય છે. સમજ્યાને !’

Categories
વાચન સમૃદ્ધિ

કે. કે. હેબ્બર

જ. ૧૫ જૂન, ૧૯૧૧ અ. ૨૬ માર્ચ, ૧૯૯૬

એક ભારતીય ચિત્રકાર અને કલાશિક્ષક તરીકે જાણીતા કે. કે. હેબ્બરનું પૂરું નામ કટ્ટિંગેરી કૃષ્ણ હેબ્બર છે. તેમનો જન્મ કર્ણાટકના ઉડુપી નજીક કટ્ટિંગેરીમાં એક તુલુભાષી પરિવારમાં થયો હતો. પોતે દોરેલ છબીઓની મદદથી શકુંતલા નાટક શીખવતી વખતે શાળાનું ઇન્સ્પેક્શન કરવા આવેલા અધિકારીએ હેબ્બરની કલાપ્રતિભા જોઈ અને તેમને કલાનું શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૧૯૩૩માં હેબ્બર મુંબઈ આવ્યા અને જી. એસ. દંડવતીમઠ દ્વારા સ્થાપિત આર્ટ સ્કૂલ, નૂતન કલામંદિરમાં અભ્યાસ શરૂ કર્યો હતો. તેમણે છત્રપતિ શિવાજી ટર્મિનસની સામે આવેલ કોપાર્ડે સ્ટુડિયોમાં રિટચિંગ અને એન્લાર્જમેન્ટનું કામ કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૪૫ સુધી સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં કલાશિક્ષક તરીકે કામ કરી તેમણે પોતાની કલાનો વિકાસ ચાલુ રાખ્યો હતો. તેમણે કલા ઇતિહાસકાર આનંદ કુમારસ્વામીનાં લખાણો, જૈન હસ્તપ્રતોની કલા, રાજપૂત અને મુઘલ લઘુચિત્રો અને અજંતાની ગુફાઓમાં ભીંતચિત્રો સહિત વિવિધ સ્રોતોમાંથી પ્રેરણા લીધી હતી. હેબ્બર ૧૯૩૯માં અમૃતા શેરગિલને મળ્યા ત્યારે તેમનાં ચિત્રોમાં ભારતીય કલા અને પશ્ચિમી કલાની ટૅકનિકનો સંગમ જોઈને તેઓ ખૂબ આકર્ષાયા હતા. ૧૯૪૯-૫૦માં તેઓ યુરોપ ગયા જ્યાં તેમણે પૅરિસમાં આવેલી એકૅડેમી જુલિયનમાં જોડાઈને ૨૦ અઠવાડિયાંનો ચિત્રકામનો કોર્સ પણ પૂરો કર્યો હતો. હેબ્બરે પંડિત સુંદરપ્રસાદ પાસેથી બે વર્ષ સુધી કથક નૃત્યની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમણે મુંબઈના રૉયલ ઓપેરા હાઉસમાં એક વાર પ્રદર્શન પણ યોજ્યું હતું. ૧૯૬૧માં લખાયેલા તેમના પુસ્તક ‘ધ સિંગિંગ લાઇન’માં તેમની રેખા-કલાનાં વિવિધ પ્રવાહી સર્જનો જોઈ શકાય છે. તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘હિલ સ્ટેશન’, ‘કાર્લા ગુફાઓ’, ‘ભિક્ષુક’, ‘હંગ્રી સોલ’, ‘ફોક રિધમ’ અને ‘ફુલ મૂન’નો સમાવેશ થાય છે. તેમનું અબ્દુલ કલામ આઝાદનું ચિત્ર સંસદભવન  દિલ્હીમાં રાખવામાં આવ્યું છે. તેમને મૈસૂર યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ્. અને ભારત સરકાર તરફથી ૧૯૬૧માં પદ્મશ્રી અને ૧૯૮૯માં પદ્મભૂષણ જેવાં સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

સિદ્ધપુર

ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર સિદ્ધપુર મહેસાણાની ઉત્તરે મુખ્ય રેલમાર્ગ પર સરસ્વતી નદીના કાંઠે વસેલું પ્રાચીન નગર છે. પ્રાચીન કાળમાં તેનું નામ ‘શ્રીસ્થલ’ હતું. સોલંકી-વંશના સ્થાપક મૂલરાજના સમયમાં પણ તે નામ પ્રચલિત હતું. પુરાણો તથા મહાભારતમાં તેનો મહત્ત્વના તીર્થ તરીકે ઉલ્લેખ છે. મૂલરાજ સોલંકીએ અહીં મૂલનારાયણનું મંદિર બંધાવ્યું હતું. સિદ્ધરાજે સરસ્વતીના કિનારે આવેલા રુદ્રમહાલયને મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું અને શ્રીસ્થલ સિદ્ધરાજના નામ પરથી ‘સિદ્ધપુર’ તરીકે જાણીતું થયું. બીજા મંતવ્ય પ્રમાણે અહીં સાંખ્યના આચાર્ય ભગવાન કપિલમુનિનો આશ્રમ હતો. ત્યાં તેમણે માતા દેવહૂતિને ઉપદેશ કરેલો. કપિલમુનિ સિદ્ધોના પરમ પુરુષ ગણાતા હોઈ ૧૩મી-૧૪મી સદીમાં ‘સિદ્ધપુર’ નામ પ્રચલિત થયું. ઈ. સ. ૧૫૩૯માં ઇસ્માઇલી વહોરા પંથના વડા મુલ્લાજીસાહેબ યૂસુફ બિન સુલેમાને અહીં સિદ્ધપુરમાં આવી પોતાના ધર્મની ગાદી સ્થાપી.

સિદ્ધપુરમાં રુદ્રમાળ

હાલનું સિદ્ધપુર શહેર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું મુખ્ય મથક તથા યાત્રાધામ છે. ભારતનાં ચાર પવિત્ર સરોવરો પૈકીનું એક ‘બિંદુ’ સરોવર આ નગરમાં છે. આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. આ નગર ભારતભરમાં જીરું, વરિયાળી અને ઇસબગૂલના વેપાર માટે જાણીતું છે. અહીં સુતરાઉ કાપડનાં કારખાનાં, તેલની મિલો તેમ જ ઇજનેરી ઉદ્યોગને લગતા એકમો આવેલા છે. અહીં શિક્ષણસંસ્થાઓ, બૅંકો, આરોગ્ય-કેન્દ્રો અને ચિકિત્સાલયોની સુવિધા પણ છે. સિદ્ધપુરની વહોરવાડમાં બેનમૂન સ્થાપત્ય ધરાવતાં ઘણાં મકાનો આવેલાં છે, જેનો સમાવેશ યુનોએ વિશ્વ-વિરાસત(‘વર્લ્ડ હેરિટેજ’)ની યાદીમાં કર્યો છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ૧૧મી સદીમાં મૂલરાજે બંધાવેલા રુદ્રમાળ કે રુદ્રમહાલય નામના ભવ્ય શિવાલયના અવશેષો ઉલ્લેખનીય છે. આ રુદ્રમાળને ભારતના પુરાતત્ત્વખાતાએ મહત્ત્વ આપ્યું છે. સિદ્ધરાજે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. વળી રાજવિહાર નામે જૈનમંદિર, મૂલનારાયણ સ્વામી વૈષ્ણવ મંદિર, ગોવિંદમાધવનું મંદિર, સિદ્ધેશ્વર તથા નીલકંઠ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની બેઠક તથા પ્રાચીન બ્રહ્માણી મંદિર પણ દર્શનીય છે. અહીં અલર્ક ગણેશની યાદ આપતાં ચકલો અને કૂઈ પણ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી