Categories
વાચન સમૃદ્ધિ

એકલો હોઉં તેથી શું ?

મેક્સિકોના દરિયાકિનારે ઘૂમી રહેલા એક પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. એક વૃદ્ધ મેક્સિકન દરિયાકિનારે વાંકો વળીને ‘સ્ટાર-ફિશ’ માછલીને લઈને પાણીમાં પાછી નાખતો હતો. બન્યું હતું એવું કે આ દરિયાકિનારે હજારો સ્ટાર-ફિશ ભરતી આવતાં તણાઈને કિનારે આવતી હતી અને પછી ઓટના સમયે એ દરિયાકિનારા પર ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. કેટલીક સ્ટાર-ફિશ જીવવા માટે તરફડિયાં મારતી હતી, ત્યારે કેટલીક તો નિષ્પ્રાણ બનીને કિનારે પડી હતી. પેલો વૃદ્ધ મેક્સિકન જીવતી કે જીવવા માટે તરફડિયાં મારતી સ્ટાર-ફિશને લઈને  પાણીમાં ફેંકતો હતો. પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. આટલી બધી સ્ટાર-ફિશ દરિયાકિનારે પડી છે અને આ એકલો માનવી શું કરી શકશે ? પ્રવાસીએ જઈને વૃદ્ધ મેક્સિકનને પૂછ્યું તો એણે કહ્યું, ‘હું ભરતીમાં કિનારે તણાઈને આવેલી સ્ટાર-ફિશને પાણીમાં નાખું છું, જેથી એ જીવતી રહે.’ પ્રવાસીએ મજાક કરતાં કહ્યું, ‘અરે, આટલી બધી સ્ટાર-ફિશ તણાઈને દરિયાકિનારે આવી છે, તમે એક એક સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખો છો, પણ મને લાગતું નથી કે તમે બધી જ સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખી શકો. મને લાગે છે કે તમને વાસ્તવિકતાનો ખ્યાલ નથી. દુનિયાભરમાં કેટલાય દરિયાકિનારે આવું બનતું હોય છે અને કોઈ બધી સ્ટાર-ફિશ પાછી પાણીમાં નાખી શકતું નથી, માટે આ મફતની મહેનત રહેવા દો.’ વૃદ્ધ મેક્સિકને દરિયાની રેતીમાં પડેલી એક સ્ટાર-ફિશને ઉઠાવીને પાણીમાં નાખતાં કહ્યું, ‘જુઓ, આ સ્ટાર-ફિશને તો ફરક પડી રહ્યો છે ને. હું એટલું વિચારું છું કે હું એકલો બધી સ્ટાર-ફિશને બચાવી શકતો નથી, પણ એકલો છું માટે આ કામ નહીં થઈ શકે એવી ઉપેક્ષા કરનારો હું નથી. એકલો માણસ પણ પરિસ્થિતિમાં અને વાસ્તવિકતામાં પરિવર્તન કરી શકે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

રમણલાલ શેઠ 

જ. 6 જૂન 1917 અ. 5 ઑક્ટોબર 1978

ગુજરાતના નીડર પત્રકાર અને તંત્રી રમણલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં થયો હતો. તેમણે
બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. પછી એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કરી એની સાથે ‘સયાજીવિજય’ને ભેળવી દીધું. તેમણે થોડો વખત ‘ગુજરાત સમાચાર’માં કામ કર્યું હતું. 1953માં એમણે ‘જનસત્તા’ દૈનિક શરૂ કર્યું હતું. આર્થિક મુશ્કેલીને કારણે 1974માં તેમણે ‘લોકસત્તા’ અને ‘જનસત્તા’ બી. ડી. ગોએન્કાને સોંપી દીધાં હતાં. તેમણે ‘ચાંદની’, ‘રંગતરંગ’ તેમજ ‘નૂતન ગુજરાત’ શરૂ કર્યાં હતાં. તેઓ સક્રિય પત્રકાર હતા. ગુજરાતમાં આંદોલનો દરમિયાન તેઓ સ્થળ પર જાતે જઈને સાચો અહેવાલ આપતા હતા. તેઓ લોકોની મુશ્કેલીઓ અને અપેક્ષાઓને વાચા આપતા હતા. આથી એમણે સરકારની નારાજગી પણ વહોરવી પડી હતી. નવનિર્માણનાં આંદોલન વખતે તેમણે લખેલા લેખોને કારણે એમની ધરપકડ કરવામાં આવી હતી. ભાલ પંથકમાં દુષ્કાળને પરિણામે સંખ્યાબંધ ઢોરો મૃત્યુ પામ્યાં હતાં ત્યારે તેમણે એ અહેવાલ તસવીરો સાથે ‘જનસત્તા’માં પ્રસિદ્ધ કર્યો હતો. આથી રાજ્ય સરકારે એમના છાપાને જાહેરાત આપવાનું બંધ કરી દીધું હતું. રમણલાલ શેઠે તત્કાલીન મુખ્યમંત્રીને અહેવાલની ખરાઈ કરવા કહ્યું હતું. જાતતપાસ પછી એમના છાપાની જાહેરખબર શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષની રચના થઈ હતી ત્યારે એક ઉદ્યોગપતિએ એમને કોરો ચેક આપી તેમના છાપામાં સ્વતંત્ર પક્ષનો પ્રચાર કરવા કહ્યું હતું. એ વખતે રમણભાઈના માથે દેવું હતું તેમ છતાં તેમણે તે માટે ના પાડી હતી. તેમની સ્મૃતિમાં ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે સ્વ. રમણલાલ શેઠ સ્મૃતિ વ્યાખ્યાન યોજવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

આયુર્વેદ

રોગના ઉપચાર માટેનું ભારતનું અતિપ્રાચીન શાસ્ત્ર.

જેમ ચાર વેદો છે તેમ ચાર ઉપવેદો છે. તેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને દિવ્ય માનવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – એ ચારેયમાં આયુર્વેદનું વર્ણન મળી આવે છે. વેદોની રચના થઈ ત્યારથી આયુર્વેદ મળે છે. એમાં આવતા સંદર્ભો પરથી તે સમયે તૂટેલા અવયવોને સ્થાને કૃત્રિમ અવયવો બેસાડવાના, આંખ, નાક, કાન વગેરેના રોગો દૂર કરવાના, તારુણ્ય જાળવી રાખવાના તથા કુષ્ઠરોગ મટાડવાના સફળ ઉપચારો થતા.

ઔષધિ અને વનસ્પતિઓનું વર્ણન ઋગ્વેદમાં મળે છે. જાતજાતના રોગો દૂર કરવાના મંત્રો તથા જલચિકિત્સા, સૌરચિકિત્સાનાં વર્ણનો આયુર્વેદમાં છે. વેદોમાં રોગ થવાનાં કારણોમાં રોગ કરનાર કૃમિનો ઉલ્લેખ તથા તેનું વર્ગીકરણ વગેરેનો અભ્યાસ થયેલો છે. આ ઉપરાંત તેમાં વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ, તેનું વર્ગીકરણ વગેરે મળી આવે છે. લગભગ ૩,૦૦૦ જેટલી ઔષધિઓનો ઉલ્લેખ તેમાં છે. ધન્વંતરિ અને કશ્યપ ઋષિએ સૌપ્રથમ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે તેમણે તેમના શિષ્યોને આપ્યું. વનસ્પતિઓમાંથી ઔષધિ બનાવવાનું સંશોધન કરવામાં ચરકનો મોટો ફાળો છે. પુરાણકાળમાં ઈ. સ. પૂ. ૫૦૦૦થી ૫૦૦ વર્ષમાં આયુર્વેદનો પ્રચાર ભારતમાં ખૂબ થયો. ચરક, સુશ્રુત, ચ્યવન, કશ્યપ જેવા ઋષિઓએ આ ક્ષેત્રમાં ખૂબ જ્ઞાન પ્રદાન કર્યું. રામાયણ અને મહાભારતમાં પણ આયુર્વેદીય ચિકિત્સાના ઉલ્લેખો આવે છે. તે કાળમાં યુદ્ધમાં રાજાઓ સાથે વૈદ્યો પણ રહેતા. આયુર્વેદમાં નાડીપરીક્ષા પરથી રોગપરીક્ષા થાય છે. શરીરમાં વાત, પિત્ત અને કફ – એમ ત્રણ દોષો હોય છે અને તેની અસમાનતા દ્વારા રોગ ઉત્પન્ન થાય છે તેવી ધારણા છે. આયુર્વેદ પ્રમાણે સમગ્ર શરીરનો ઉપચાર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આયુર્વેદ, પૃ. 120)