Categories
વાચન સમૃદ્ધિ

દાડમ

દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે. તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી. ફૂલવાળી જાતોના મુખ્ય બે પ્રકાર છે : (1) P. granatum var. florepleno : આ જાતને બાલ્સમ જેવાં મોટાં લગભગ 5 થી 6 સેમી. કદનાં ડબલ પાંખડીનાં લાલ રંગનાં પુષ્પ આવે છે. ફળ બેસતાં નથી. (2) P. granatum var. albopleno : આ જાતને ઉપર પ્રમાણે જ સફેદ રંગનાં પુષ્પ આવે છે. આ જાત ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે લાલ જાત જ મળે છે. ચોમાસામાં વનસ્પતિ પુષ્પથી ઠીક ઠીક ભરાઈ જાય છે. ફળવાળી જાતનાં પુષ્પ નાનાં અને એકલ પાંખડીનાં હોય છે. ફળની વાડીઓમાં આ જાત રોપાય છે. તેની ઘણી જાતો આવે છે. બધી જાતોને ગોરાડુ જમીન અને સાધારણ ઓછો વરસાદ વધારે માફક આવે છે.

દાડમ : પર્ણ અને પુષ્પ સાથેનું ઝાડ, પુષ્પ, ફળ

ફળમાંથી સુગંધિત, મીઠો અને ઘેરા રંગનો રસ મેળવવામાં આવે છે. રસની ગુણવત્તા તેમાં રહેલા ઍસિડ અને શર્કરાના પ્રમાણ પરથી નક્કી થાય છે. ફળની છાલમાંથી ટૅનિન મળી આવે છે. પુષ્પમાંથી આછો લાલ રંગ મળી આવે છે. ભારતમાં તેનો કાપડ રંગવામાં ઉપયોગ કરવામાં આવે છે. વૈદ્યકમાં ફળ તૂરું, મધુર, ખાટું, તૃપ્તિકારક, સ્નિગ્ધ, દીપન, રુચિકર, ગ્રાહી, ભૂખવર્ધક, ઉષ્ણ, લઘુ, અગ્નિદીપક, ઝાડાને બાંધનાર, હૃદયને હિતકર, પચવામાં હળવું, પાચક, ત્રિદોષહર તથા કફ, ઉધરસ, શ્રમ, મુખરોગ, કંઠરોગ, તાવ, દાહ, હૃદયરોગ, સંગ્રહણી, નસકોરી ફૂટવી જેવા રોગો મટાડનારું છે. મીઠું દાડમ તૃપ્તિકારક, ધાતુવર્ધક, મેધાકર, બલપ્રદ અને સદા પથ્ય છે. વધુ ખાટાં દાડમ પિત્તકારક અને રક્તપિત્તકર્તા છે. તે વાયુનો નાશ કરે છે. ફળની છાલનો કે દાડમના રસનો ઉપયોગ બાળકની ઉધરસ પર, અતિસાર અને સંગ્રહણી ઉપર થાય છે. તેના પ્રકાંડ અને મૂળની છાલનો કાઢો કૃમિમાં ઉપયોગી છે. ઉષ્ણ પિત્ત પર દાડમનું શરબત આપવામાં આવે છે. તેના દાણાનો રસ આંખોની ગરમી પર અપાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દાડમ, પૃ. 289 અથવા જુઓ https://gujarativishwakosh.org/દાડમ/)

Categories
વાચન સમૃદ્ધિ

સિગ્રિડ ઉંસેત

જ. 20 મે, 1882 અ. 10 જૂન, 1949

1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાકાર ઉંસેત સિગ્રિડનો જન્મ ડેનમાર્કમાં પણ ઉછેર નૉર્વેમાં થયો હતો. તેના પિતા પુરાતત્ત્વજ્ઞ હતા, તેઓએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો. સિગ્રિડ 16 વર્ષની હતી ત્યારે  તેના પિતાનું મૃત્યુ થતાં તેને કારકુની કરવી પડી. તેને બીજી બે નાની બહેનોની જવાબદારી લેવી પડી હતી. કુટુંબની પરિસ્થિતિને જોતાં સિગ્રિડને અભ્યાસ પડતો મૂકી 16 વર્ષની ઉંમરે સેક્રેટરીની નોકરી લેવી પડી. આ કામ આનંદદાયક ન હતું, પણ સંજોગોને આધીન થઈ તેણે દસ વર્ષ સુધી નોકરી કરવી પડી. ત્યારબાદ 1907માં નૉર્વેજિયન લેખકના યુનિયનમાં સામેલ થઈ ગઈ. 1907માં તેણે નોંધપોથી રૂપે લખેલ પ્રથમ નવલકથા ‘ફ્રુ માર્થા ઔલી’ પ્રગટ થઈ. 1909માં ‘ધ હેપી એજ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. નવલકથા ‘જેની’(1911)એ તેને સફળ સાહિત્યકાર તરીકે ખ્યાતિ અપાવી. તેમાં પાત્રો સાથે તાદાત્મ્ય સધાયું હોવાથી પાત્રો જીવંત લાગે છે. 1912માં પ્રગટ થયેલ ‘ધ પુઅર ફેટ્સ’ વાર્તાસંગ્રહમાંની ‘સિમોન્સેન’ વાર્તા નૉર્વેની શ્રેષ્ઠ વાર્તાઓમાં ગણના પામેલી છે. ‘ધ વાઇઝ વર્જિન્સ’ 1918માં પ્રશંસાથી મુક્ત, પ્રેમમાં તૃપ્ત, આત્મબલિદાન આપતી ઉદારચરિત સ્ત્રીઓની વાર્તાઓ છે. તેની મહાન નવલત્રિપુટી ‘ક્રિસ્ટીન લાવાન્સ ડૉટર’માં ચૌદમી અને પંદરમી સદીની કથાઓ છે. લેખિકાએ 1931માં પ્રગટ કરેલ ‘વાઇલ્ડ ઑર્કિડ’ 1905થી 1931નો સમય આલેખતી આધુનિક નવલકથા છે. ત્યારબાદ ‘ગુન્નાર્સ ડૉટર’માં દરિયાખેડુઓનું જીવન છે. ઐતિહાસિક નવલકથાઓ લખવામાં સિગ્રિડના જેવી સફળતા ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થઈ હશે. સિગ્રિડ ઉપદેશક નથી તે જીવનબીજ વાવે છે. તેના નૈસર્ગિક વિકાસમાં જ તેનો જીવનસંદેશ છુપાયેલો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં નૉર્વે પર આક્રમણ થતાં સિગ્રિડ નૉર્વે છોડી અમેરિકા ગઈ. યુદ્ધ બાદ પાછી ફરતાં વતનપ્રેમી પ્રવૃત્તિ અને લેખન માટે ‘ધ ગ્રાંડ ક્રૉસ ઑવ્ સેંટ ઓલાવ’ અર્પણ કરીને 1949માં તેનું સન્માન કર્યું.

Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણકળશની સમસ્યા

ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી ફાહિયાન (જ. આશરે ઈ. 337, અ. ઈ. 422) ભારતના પ્રવાસે આવ્યા હતા એમના એ પ્રવાસ-વૃત્તાંતમાંથી ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની વિગતો મળે છે. ફાહિયાને પોતાના પ્રવાસ-વર્ણનમાં લખ્યું છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી, લોકો સંતોષી હતા અને એમને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો અને સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. લોકો બહાર જાય, ત્યારે ઘર પર તાળું લગાડતા નહોતા. આવો ચીની પ્રવાસી ફાહિયાન એક વાર ફરતાં ફરતાં રાજદરબારમાં જઈ ચડ્યો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો. ફાહિયાનને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર સાથે ઝઘડતા હશે ? પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે આ બીજા ખેડૂતને એણે એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માગે છે, પણ હું એક વાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું? રાજાએ બીજા ખેડૂતને પૂછ્યું, ‘તમે તમારી વાત કરો.’ એણે કહ્યું, ‘અન્નદાતા, એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીદ્યું હતું; એ સિવાયની બાકીની ચીજો પર મારો કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.’ ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાયકચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું.