Categories
વાચન સમૃદ્ધિ

ઈડર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે ૨૩° ૦૫´ ઉ. અ. અને ૭૩° પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રસપાટીથી ૨૨૯ મીટરની ઊંચાઈ પર વસેલું છે. તે અમદાવાદથી ઉત્તરે ૧૦૪ કિમી. તથા હિંમતનગરથી ઉત્તરે ૨૭ કિમી.ના અંતરે આવેલું છે. ઈડર તાલુકામથક હોઈને વેપાર-વાણિજ્યનું કેન્દ્ર છે. અહીં વિનયન અને વાણિજ્ય કૉલેજો, માધ્યમિક શાળાઓ, સ્ત્રી-અધ્યાપન-મંદિર અને પુસ્તકાલય આવેલાં છે. અહીંનો રમકડાં-ઉદ્યોગ ગુજરાતમાં જાણીતો છે. ઈડરની ચારેય બાજુ ગ્રૅનાઇટ પથ્થરની ટેકરીઓ આવેલી છે. ત્યાં બાંધકામના ગ્રૅનાઇટ પથ્થર માટેનો ખાણ-ઉદ્યોગ ચાલે છે. અહીંનો ઇડરિયો ગઢ વિખ્યાત છે. ‘અમે ઇડરિયો ગઢ જીત્યાં રે’ લગ્નગીત અહીંના વિસ્તારમાં અચૂક ગવાય છે. હાલમાં ઇડરિયો ગઢ ભગ્નાવસ્થામાં જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત રણમલ ચૉકી, રૂઠી રાણીનું માળિયું, જૈન-મંદિરો, જવાનવિલાસ મહેલ, રાણી-તળાવ અને રણમલ-તળાવ, વેણીવત્સનો કુંડ, કોટેશ્વર, ચંપેશ્વર, મહાકાલેશ્વરનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર અને રાજચંદ્રવિહાર અહીંનાં જોવાલાયક સ્થળો છે. અમદાવાદ-ખેડબ્રહ્મા રેલમાર્ગ પર ઈડર મહત્ત્વનું મથક છે. આ નગર ગુજરાત અને રાજસ્થાનનાં શહેરો અને ગામડાં સાથે માર્ગવાહનવ્યવહાર મારફતે જોડાયેલું છે.

ઇતિહાસ : ઈડરનું જૂનું નામ ‘ઇલ્વદુર્ગ હતું. દંતકથા મુજબ, દ્વાપરયુગમાં ઋષિમુનિઓને ત્રાસ આપતા ઇલ્વ અને વાતાપિ રાક્ષસોનો અગસ્ત્ય મુનિએ નાશ કર્યો હતો. આ સ્થળનો ઇતિહાસ અંદાજે ૩૦૦૦ વર્ષથી પણ જૂનો હોવાનું કહેવાય છે. ઈ. સ. પૂર્વે ૮૭૦ના અરસામાં અહીં વેણીવત્સ નામના રાજાનું શાસન હતું. તે પછીથી શિલાદિત્ય સાતમાની રાણી પુષ્પાવતીએ ગુહ નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ તાલુકામાં વહેતી ગુહાઈ નદીનું નામ તેના પરથી પડ્યું હોવાનું મનાય છે. ગુહાદિત્યની સાતમી પેઢી પછી આ સ્થળ ભીલોના હાથમાં ગયેલું. ઈ. સ. ૧૦૦૦ના અરસામાં અહીં પ્રતિહારોનું શાસન રહેલું. તે પૈકી અમરિંસહ ખૂબ બળવાન હતો. ત્યારબાદ પ્રતિહારોને હરાવીને હાથી સોડ અને શામળિયા સોડે અહીં રાજ્ય કરેલું. પછીથી મારવાડના સોનિંગજી રાઠોડે શામળિયા સોડને હરાવેલો. ઈ. સ. ૧૨૯૮-૧૩૦૪ દરમિયાન અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલુઘખાને ઈડરને કબજે કરેલું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઈડર, પૃ. 179)

Categories
વાચન સમૃદ્ધિ

સામતા પ્રસાદ

જ. 20 જુલાઈ, 1921 અ. 31 મે, 1994

બનારસ(ઉત્તરપ્રદેશ)ના તબલા અને પખાવજના બોલ અને ઠેકાની લયમાં મગ્ન પરિવારમાં સામતા પ્રસાદનો જન્મ થયો હતો. તેમની પ્રારંભિક તાલીમ પિતા હરિ સુંદર (બચા મિશ્રા) પાસે શરૂ થઈ હતી. સાત વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર સામતા પ્રસાદે બિક્કુ મહારાજને ગુરુપદે સ્થાપ્યા અને ઘણા કલાકો સુધી અભ્યાસ કરવાનું શરૂ કર્યું. 1942માં ‘અલાહાબાદ સંગીત સંમેલન’માં એકલવાદક કલાકાર તરીકે તેમણે ત્યાં હાજર સંગીતકારો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના આ પ્રથમ જાહેર કાર્યક્રમના પગલે તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ભારતમાં કૉલકાતા, મુંબઈ, લખનઉ, ચેન્નાઈ વગેરે સ્થળોએ તેમણે કાર્યક્રમો કર્યા હતા. ‘ઝનક ઝનક પાયલ બાજે’ (1955), ‘બસંત બહાર’ (1956), ‘મેરી સૂરત તેરી આંખે’ (1963), ‘શોલે’ (1975) વગેરે જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં તેમણે તબલાં વગાડ્યાં હતાં. ફ્રાન્સ, રશિયા અને એડિનબર્ગ જેવાં સ્થળોએ તેમણે ભારતીય સાંસ્કૃતિક જૂથનું પ્રતિનિધિત્વ કરતા કાર્યક્રમો કર્યા હતા. પ્રખ્યાત સંગીતકાર રાહુલ દેવ બર્મન અને બપ્પી લાહિરી તેમના જ શિષ્યો હતા. પંડિત કુમારલાલ મિશ્ર (પુત્ર), પંડિત ચંદ્રકાંત કામત, પંડિત માણિકરાવ પોપટકર વગેરે પણ તેમની પાસે કેળવાયા હતા. સંગીત નાટક અકાદમી પુરસ્કાર(1979)થી નવાજવામાં આવેલ આ તબલા સમ્રાટને 1987માં રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ હતી. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી (1972), પદ્મભૂષણ(1991)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દેવાસ (શહેર)

દેવાસ જિલ્લાનું જિલ્લામથક અને શહેર છે.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : જે 22° 96´ ઉ. અ. અને 76° 06´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 50 ચો.કિમી. અને વસ્તી આશરે (2026 મુજબ) 4,30,000 છે. તે સમુદ્રની સપાટીથી 535 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ શહેર માલવાના ઉચ્ચપ્રદેશના સમતળ પ્રદેશમાં આવેલું છે. દક્ષિણે વિંધ્યાચળની હારમાળા ક્રમશઃ આગળ જતાં તેની ઊંચાઈ વધતી જતી જોવા મળે છે. આ શહેર કરતપુરા નદીકિનારે વસ્યું છે. ઉનાળામાં સરેરાશ તાપમાન આશરે 35° સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 18° સે. રહે છે. સરેરાશ વરસાદ 500 મિમી. રહે છે. અર્થતંત્ર : અહીં 18મી સદીના ગાળામાં અફીણની ખેતી થતી હોવાથી તે વધુ પ્રસિદ્ધ હતું. આ શહેરમાં તાતા ઇન્ટરનેશનલ, કિર્લોસ્કર, આઇશર મોટર, ગજરા ગિયર્સ, સનોહ સ્ટીલ-ટ્યૂબ પ્લાન્ટ વગેરે એકમો કાર્યરત છે. તે ‘ભારતનું સોયનું પાટનગર’ (Soy Capital of India) બન્યું છે. અહીં સોયાબીનની વિવિધ પેદાશો બનાવવાના એકમો કાર્યરત છે. જેમાં કીર્તિ ન્યૂટ્રેન્સ, પ્રેસ્ટિજ ઍગ્રો., ટૅક્, મિત્ત સોયા પ્રોટીન વગેરે જાણીતા છે. અહીં દવા બનાવવાના એકમો આવેલા છે. જેમાં રેનબક્સી અને સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું કામ વધુ છે. અહીં પવનની ગતિ વધુ રહેતી હોવાથી અનેક ‘વિન્ડ મિલ’ સ્થપાયેલી છે. જેમાં ‘સુઝલોન એનર્જી’ કંપની મુખ્ય છે.

ભારતનું ‘સિક્યૉરિટી પ્રિન્ટિંગ ઍન્ડ માઇનિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ’ એકમ કાર્યરત છે. ભારતની ચલણની નોટો અહીં છપાય છે. આ એકમમાં 1440 કારીગરો કામ કરે છે. તેમજ ‘સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યૉરિટી ફોર્સ’ કોઈ દુર્ઘટના બને તે માટે તૈયાર રાખેલ છે. પરિવહન : દેવાસ પશ્ચિમ રેલવે વિભાગનું ‘B’ કક્ષાનું રેલવે જંકશન છે. આ સ્ટેશનને ઇન્દોર-ગ્વાલિયરને જોડતી રેલવેનો લાભ મળે છે. જે બ્રૉડગેજ અને સંપૂર્ણ વીજળીકરણ ધરાવે છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગો ન. 47 અને નં. 52 સાથે સંકળાયેલું છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગ MP SH-18નો પણ લાભ મળે છે. ઉત્તર હિંદુસ્તાની સંગીતના વિખ્યાત ગાયકો રજબઅલીખાં સાહેબ તથા કુમાર ગાંધર્વ ત્યાંના નિવાસી હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)