Categories
વાચન સમૃદ્ધિ

આકાશમાંથી સીધો જમીન પર

ચીનના મહાન સંત અને ચિંતક કૉન્ફ્યૂશિયસે(ઈ. પૂ. 551થી ઈ. પૂ. 479) 17 વર્ષની ઉંમરે ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતનો અભ્યાસ કર્યો અને બાવીસમા વર્ષે તો પોતાના ઘરમાં જ પાઠશાળા સ્થાપીને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. નમ્ર, વિવેકી અને સત્યવક્તા કૉન્ફ્યૂશિયસની શિક્ષણ આપવાની પદ્ધતિ સૉક્રેટિસની જેમ પ્રશ્નોત્તર સ્વરૂપની હતી. એક વાર કેટલાક રાજનીતિજ્ઞો એમની સાથે વિચારવિમર્શ કરવા આવ્યા અને એમાંના એક નેતાએ પ્રશ્ન પૂછ્યો, ‘કૃપા કરીને અમને કહો કે કઈ વ્યક્તિ આદર્શ અને ઉત્તમ શાસક બની શકે ?’ કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘મહાનુભાવ, જેની પાસે પ્રજાના પાલન-પોષણ માટે પર્યાપ્ત સાધન હોય, દેશની રક્ષા માટે જરૂરી સેના અને શસ્ત્રાસ્ત્ર હોય અને જેના પર પ્રજાને પૂર્ણ વિશ્વાસ હોય, એ જ વાસ્તવમાં ઉત્તમ અને આદર્શ શાસક સાબિત થઈ શકે.’ રાજનીતિજ્ઞે વળતો પ્રશ્ન પૂછ્યો, ‘પરંતુ આ ત્રણમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત કઈ ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘આ બધાંમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ પ્રજાનો વિશ્વાસ છે. શાસક કે સરકાર પ્રત્યે જો જનતાનો વિશ્વાસ ડગી જાય, તો એનું પતન નિશ્ચિત છે, કારણ કે આધુનિક શસ્ત્રો કે સર્વોત્તમ સાધન વગેરે તો ધનથી ખરીદી શકાય, પરંતુ પોતાનું સર્વસ્વ આપી દેવા છતાં વિશ્વાસ ખરીદી શકાતો નથી.’ આ સાંભળી નેતાએ વળતો પ્રશ્ન કર્યો, ‘પ્રજાનો આવો વિશ્વાસ કઈ રીતે સંપાદિત થાય ?’ ત્યારે કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘આ વિશ્વમાં વિશ્વાસ એક એવી બાબત છે કે જે વ્યક્તિ પોતાની દૃષ્ટિ અને આચરણથી પ્રાપ્ત કરી શકે છે. આને માટે આત્માની શુદ્ધતા આવશ્યક છે. જો જનતાનો વિશ્વાસ કોઈ મોટા રાજનેતા પરથી ઊઠી જાય, તો એ જ ક્ષણે પ્રજાની નજરમાંથી આકાશમાંથી સીધો જમીન પર ફેંકાઈ જાય છે.’

Categories
વાચન સમૃદ્ધિ

સારા અબૂબકર

જ. 30 જૂન, 1936 અ. 10 જાન્યુઆરી, 2023

ભારતીય કન્નડ લેખિકા અને અનુવાદક સારા અબૂબકરનો જન્મ કેરલમના કાસરગોડમાં પુદિયાપુરી અહમદ અને ઝૈનબી અહમદના ઘરે થયો હતો. તેમને ચાર મોટા ભાઈઓ હતા. સારા મલયાળમભાષી હોવા છતાં કન્નડ ભાષા પર સારો કાબૂ હતો. કન્નડ વિદ્યાલયમાં તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમને તો હજી આગળ ભણવાની ઇચ્છા હતી, પણ તે સમયના સમાજના માપદંડને કારણે તે શક્ય ન હતું. સામુદાયિક બંધનોને લીધે ઉચ્ચશિક્ષણ મહિલાઓ માટે પ્રતિબંધિત હતું. તેઓ ઈ. સ. 1963માં એક પુસ્તકાલયના સભ્ય થઈ શક્યાં હતાં. તેઓએ કન્નડ ભાષામાં ઉચ્ચકોટિના સાહિત્યનું સર્જન કર્યું છે. તે તેમની સર્જનાત્મક શક્તિ, કુશળતા અને કાર્ય કરવાની લગનીને લીધે શક્ય બન્યું.  એમના લેખનમાં મુખ્યત્વે નવલકથા અને લઘુકથાઓ સામેલ થાય છે. તેમણે તેમના સમાજની ગરીબ સ્ત્રીઓએ વેઠેલાં દુઃખ અને યાતના સમાજ આગળ રજૂ કરી શકાય તે માટે સાહિત્યનું સર્જન કર્યું. પિતૃપ્રધાન વ્યવસ્થાથી મુસ્લિમ સ્ત્રીઓ પર થતા અન્યાય પર તેઓએ સાહિત્યસર્જન કરી ધ્યાન દોર્યું. તેઓ સાદી ભાષામાં સામાજિક, ધાર્મિક અને કોમી હિંસા જેવા વિષયો પર લખતાં જેથી સમાજમાં થતા અન્યાય પર ધ્યાન દોરી શકાય. તેઓ તેમની નવલકથા ‘ચંદ્રગિરિયા થિરાદલ્લી’થી પ્રખ્યાત થયાં હતાં. આ નવલકથાનો અંગ્રેજી અને મરાઠીમાં પણ અનુવાદ થયો છે. આ નવલકથાના આધારે ફિલ્મ ‘બ્યારી’ બનાવવામાં આવી હતી. તેમની નવલકથા ‘વજ્રગાલુ’ પરથી ‘સારાવજ’ ફિલ્મ બનાવવામાં આવી છે. 1914થી તેઓએ તેમના ચંદ્રગિરિ પ્રકાશન કંપની દ્વારા પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમના સાહિત્યસર્જન માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, અનુપમા નિરંજના ઍવૉર્ડ, કન્નડ રાજ્યોત્સવ ઍવૉર્ડ, રથનમ્મા હેગડે મહિલા સાહિત્ય ઍવૉર્ડ, દાના ચિંતામણિ અત્તિમબ્બે ઍવૉર્ડ, હમ્પી યુનિવર્સિટી તરફથી નાદોજા ઍવૉર્ડ, માનદ ડૉક્ટરેટ પદવી – મૅંગ્લોર યુનિવર્સિટી તરફથી અને કન્નડ ભાષામાં સાહિત્યસર્જન કરવા માટે નૃપાતુંગ ઍવૉર્ડ વગેરે મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઇજિપ્ત (મિસર)

આફ્રિકા ખંડના ઈશાન ખૂણામાં આવેલો દેશ.

તે ૨૨°થી ૩૨° ઉ. અ. અને ૨૫°થી ૩૬° પૂ. રે. વચ્ચેનો ૧૦,૦૨,૪૫૦ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો વિકાસ ઇજિપ્તમાં નાઇલ નદીને કિનારે થયો હતો. ઇજિપ્તની ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર, ઈશાનમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ગાઝાપટ્ટી આવેલા છે. પૂર્વમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં સુદાન અને પશ્ચિમમાં લિબિયા આવેલા છે. ઇજિપ્ત વિશ્વનો ૧૪મો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પ્રાકૃતિક રચના પ્રમાણે ઇજિપ્તને ત્રણ ભાગમાં વહેંચી શકાય : (૧) નાઇલની પૂર્વમાં અરબસ્તાનનું રણ, (૨) નાઇલની પશ્ચિમમાં લિબિયાનું રણ અને (૩) નાઇલની ખીણનો ફળદ્રૂપ પ્રદેશ. મોટા ભાગનું ઇજિપ્ત નાઇલ નદીના કિનારે વસેલું છે. તેના કુલ વિસ્તારના આશરે 90% જેટલો ભાગ રણપ્રદેશ છે. નાઇલ નદીમાં દર વર્ષે ઑગસ્ટ, સપ્ટેમ્બરમાં પ્રચંડ પૂર આવે છે. આ નદીનાં પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તેના માટે નહેરો તૈયાર કરવામાં આવી છે. આસ્વાન બંધ, સુએઝ નહેર, યૂસુફ નહેર અને અહમદી નહેર જાણીતાં છે. ઇજિપ્તના દરિયાકિનારાની લંબાઈ લગભગ ૨,૪૫૦ કિમી. છે.

અહીં ભેંસ, બકરાં, ઘેટાં, ઊંટ, ગધેડાં અને મરઘાં જેવાં પાલતુ પ્રાણીઓ અને થોડા પ્રમાણમાં શિયાળ, લોંકડી, ભુંડ, જરખ, મગર અને હિપોપૉટેમસ મળે છે. ઇજિપ્તમાં મુખ્ય પાક ખજૂરનો છે. તે મબલક થાય છે. ઉત્તમ પ્રકારના રૂ માટે ઇજિપ્ત બીજા ક્રમે આવે છે. અહીં દ્રાક્ષ, નારંગી, ઑલિવ, અંજીર, મોસંબી, લીંબુ, કપાસ, ઘઉં, બાજરી અને શેરડીના પાકો લેવામાં આવે છે. અહીં ખનિજસંપત્તિ નહિવત્ છે. રાજધાની કૅરો આફ્રિકાનું સૌથી મોટું અને ઝડપથી વિકસતું શહેર છે. ઍલેક્ઝાન્ડ્રિયા વેપારનું મોટું મથક છે. આ દેશની વસ્તી ૧૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન મિસરના લોકોએ કલા, શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રે અજોડ પ્રગતિ સાધી હતી. ઇજિપ્તના રાજવીઓ ‘ફારોહ’ કહેવાતા. શંકુઘાટના પિરામિડો નામે ઓળખાતી રાજા-રાણીઓની કબરો ઇજિપ્તની વિશિષ્ટતા છે. ગિઝેહ (ગીઝા) પાસે આવેલ પિરામિડ તથા સ્ફિંક્સની મહાકાય પ્રતિમા જોવા લાખો પ્રવાસીઓ ઇજિપ્તની મુલાકાત લે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇજિપ્ત (મિસર), પૃ. 148)