Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણામૂર્તિ (સંસ્થા)

ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી દૃષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી. આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી તેમના શિષ્યો હરગોવિંદદાસ પંડ્યા, ઓધવજીભાઈ અને નૃસિંહપ્રસાદ (નાનાભાઈ) ભટ્ટે પોતાના ઉપાસ્યદેવનું નામ સંસ્થા સાથે જોડી, સંસ્થાનું નામ ‘શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’ રાખ્યું. તેની શરૂઆત ભાવનગરના રેલવે સ્ટેશન પાસે તખ્તસિંહજી ધર્મશાળામાં 1910ના ડિસેમ્બરની 28મી તારીખે થઈ. નાનાભાઈ ભટ્ટ શામળદાસ કૉલેજમાંથી અધ્યાપકપદનું રાજીનામું આપી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ગૃહપતિ બન્યા. પોતાની જ એક સ્વતંત્ર શાળાની અનિવાર્યતા જણાતાં 1918ના જૂન માસમાં દક્ષિણામૂર્તિ વિનયમંદિર શરૂ થયું.

દક્ષિણામૂર્તિ, ભાવનગર

દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ સાથે જે નવા સાથીઓ જોડાયા તેમાં ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી મુખ્ય હતા. ગિજુભાઈએ બાલશિક્ષણમાં મૉન્ટેસોરી પદ્ધતિનો વિનિયોગ કર્યો અને બાલસાહિત્યનું સર્જન કર્યું. હરભાઈએ ડૅલ્ટન પદ્ધતિ દાખલ કરી. નાનાભાઈએ મહાભારત અને રામાયણનાં પાત્રોનું સરળ ભાષામાં લેખન કર્યું. તે ઉપરાંત તારાબહેન મોડક, ગિરીશભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, ગોપાલરાવ વિદ્વાંસ, નટવરલાલ બૂચ અને મનુભાઈ પંચોળી જેવા પ્રતિભાવંત શિક્ષકો દક્ષિણામૂર્તિને મળ્યા. દક્ષિણામૂર્તિ માત્ર છાત્રાલય ન રહેતાં શિક્ષણની સંસ્થા બની. ગાંધીજી જ્યારે ભાવનગર આવ્યા ત્યારે સર પ્રભાશંકર પટ્ટણીએ તેમને દક્ષિણામૂર્તિ સંસ્થા બતાવેલી (1915). દક્ષિણામૂર્તિ સંસ્થાની કેળવણીવિષયક પ્રવૃત્તિઓના મુખ્ય સાત વિભાગ હતા : (1) વિદ્યાર્થીગૃહ, (2) વિનયમંદિર, (3) બાલમંદિર, (4) બાલઅધ્યાપનમંદિર, (5) પ્રકાશનમંદિર, (6) અક્ષરજ્ઞાનયોજના, અને (7) ગ્રામશાળાઓ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણામૂર્તિ (સંસ્થા), પૃ. 191 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણામૂર્તિ (સંસ્થા)/)

Categories
વાચન સમૃદ્ધિ

(રાજા) રવિ વર્મા

જ. 29 એપ્રિલ, 1848 અ. 2 ઑક્ટોબર, 1906

યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં ભારતીય ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયોનાં વિશાળ ચિત્રો આલેખનાર અર્વાચીન ચિત્રકાર રવિ વર્માનો જન્મ ત્રાવણકોરના રાજકુટુંબમાં થયો હતો. રવિ વર્માના કાકા રાજ વર્મા અગ્રણી કલાકાર હતા. તેમનાં ચિત્રો અને સહવાસે રવિ વર્મા પર ઘણી અસર કરેલી. તેઓને બાળપણમાં કુળપરંપરા પ્રમાણે સંસ્કૃતનું શિક્ષણ મળ્યું હતું. તે અરસામાં થિયૉડોર જૉન્સન નામે એક અંગ્રેજ ચિત્રકાર ત્રિવેન્દ્રમના મહારાજાનો મહેમાન બન્યો. તેમણે રવિ વર્માની કલા પારખી. તેમણે કિશોર રવિ વર્માને તૈલચિત્ર-કલાની ખૂબીઓ તથા પદ્ધતિ શીખવી. રવિ વર્માએ તેમની પાસેથી તૈલચિત્રણની ટૅકનિક બરાબર સમજી લીધી. ત્યારબાદ રવિ વર્માએ વ્યક્તિચિત્રો(પૉર્ટ્રેટ)થી પોતાની કલાયાત્રા શરૂ કરી. રવિ વર્માએ હિંદુ પુરાણો, ભારતીય ઇતિહાસ અને મહાકાવ્યોની કથાનાં પાત્રોને પોતાનાં ચિત્રો દ્વારા જીવંત બનાવ્યાં. તેમનાં ચિત્રો પ્રકાશ-છાયા, દૃશ્ય-આયોજન અને પરિપ્રેક્ષ્ય તથા તેને લીધે સર્જાતા આભાસી ઊંડાણને કારણે ખૂબ વખણાયાં. ભારતમાં પશ્ચિમી યુરોપિયન પ્રકારે ચિત્રો આલેખનારા પહેલા ચિત્રકાર રવિ વર્મા હતા. ચિત્રકાર તરીકે ભારતમાં ખૂબ ખ્યાતિ મેળવી. મહારાજા સયાજીરાવના આમંત્રણને માન આપી તેઓ વડોદરા આવ્યા હતા. ત્યાં તેમણે હિંદુ દેવ-દેવીઓનાં તથા અન્ય પૌરાણિક ચિત્રો કર્યાં હતાં. તેમણે શકુંતલા-પત્રલેખન, પાંડવોનાં ચિત્રો, સીતાનો ભૂમિપ્રવેશ, લક્ષ્મી, સરસ્વતી વગેરેનાં ચિત્રો ખૂબ સુંદર રીતે કર્યાં હતાં. હવે તો લોકોની સ્મૃતિમાં આ દેવ-દેવીઓનાં ચિત્રો આરૂઢ થઈ ગયાં છે. તેઓને ઘમાં માનપત્રો તથા સુવર્ણચંદ્રકો મળ્યાં હતાં. મૈસૂરના મહારાજા, વડોદરાના મહારાજાએ તેમની પાસે પૅલેસ માટે ઘણાં ચિત્રો કરાવ્યાં છે. આ ઉપરાંત દેશની વિવિધ આર્ટ ગૅલરીમાં તેઓનાં ચિત્રો સંગ્રહાયેલાં છે. તેમને બ્રિટિશ સરકાર તરફથી કૈસરે-હિંદનો ઇલકાબ મળ્યો હતો. તેમનાં ચિત્રો હાલમાં ખૂબ મૂલ્યવાન ગણાય છે. દેશ-વિદેશની ગૅલરીઓ તથા સંગ્રહાલયોમાં તેમનાં ચિત્રો ગૌરવવંતું સ્થાન ધરાવે છે. તે સમયના કલારસિકો, વિદ્વાનો તથા શાસકોએ તેમનાં ચિત્રોની સાચા દિલથી કદર કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો સ્થાયી ઇલાજ

જર્મનીના પ્રજાપ્રેમી સમ્રાટ જ્યોર્જ જોસેફ વેશપલટો કરીને પોતાના રાજ્યમાં ઘૂમતા હતા. એક દિવસ એક નાનકડી ગલીમાંથી પસાર થતા હતા, ત્યારે એક ચીંથરેહાલ યુવકે એમને રસ્તામાં થોભાવીને કહ્યું, ‘‘અરે ભાઈ, મારી માતા લાંબા સમયથી બીમાર છે. એની સારવારમાં મારું સઘળું ધન ખર્ચાઈ ગયું છે. જો હવે તમે મને થોડી રકમ આપો, તો અંતિમ વખત એનો ઇલાજ કરાવવા ઇચ્છું છું. મારી મદદ કરશો ?’’

સમ્રાટ જ્યોર્જ જોસેફે થોડી રકમ આપી અને કહ્યું, ‘‘જા, તું ડૉક્ટરને બોલાવી લાવ. હું તને વધુ મદદ કરવા માટે પ્રયત્ન કરીશ. તું મને તારું સરનામું આપી દે.’’ સમ્રાટ જ્યોર્જ જોસેફ એ ગરીબ યુવાનને ઘેર પહોંચી ગયા. એમણે જોયું તો એક વૃદ્ધા ખાટલા પર સૂતી હતી. બાજુમાં એક નાનો બાળક રડતો બેઠો હતો. સમ્રાટે ડૉક્ટર તરીકે પોતાની ઓળખ આપીને એ વૃદ્ધ સ્ત્રીને એની બીમારી અંગે પૃચ્છા કરી. એ મહિલાએ કહ્યું, ‘‘મારા પતિની આવક પર ઘર ચાલતું હતું, પરંતુ થોડા સમય પહેલાં એમનું મૃત્યુ થયું. ઘરમાં અત્યારે કોઈ કમાનાર નથી. મારા મનમાં સતત એ ચિંતા રહે છે કે જો હું મૃત્યુ પામીશ, તો મારાં અનાથ બાળકોનું શું થશે ? આ ચિંતાએ જ મને બીમાર પાડી દીધી છે.’’

સમ્રાટે કાગળ પર કંઈક લખ્યું અને એ વૃદ્ધાને આપતાં કહ્યું, ‘‘આમાં મેં તમારી બીમારીની દવા લખી છે. તમારા દીકરાને મોકલીને મંગાવી લેજો.’’ આમ કહીને એ ચાલ્યા ગયા. થોડી વારે વૃદ્ધાનો પુત્ર ડૉક્ટરને લઈને આવ્યો, ત્યારે એ વૃદ્ધાએ કહ્યું, ‘હમણાં થોડી વાર પહેલાં જ એક ડૉક્ટર આવી ગયા અને આ કાગળ પર કંઈ દવા લખી ગયા છે.’ આગંતુક ડૉક્ટરે એ કાગળ વાંચીને કહ્યું, ‘તમારી પાસે તો એક અનોખો ડૉક્ટર આવ્યો હતો, જે તમારી બીમારીનો સ્થાયી ઇલાજ કરી ગયો છે. એ કોઈ સાધારણ ડૉક્ટર નહોતા, પરંતુ આપણા દેશના સમ્રાટ જ્યોર્જ જોસેફ હતા.’

સમ્રાટ જ્યોર્જ જોસેફે એ કાગળ પર લખ્યું હતું કે ‘વૃદ્ધા અને એના પરિવારને રાજકોશમાંથી નિયમિત રીતે ધન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.’