Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર દત્તાત્રેય રાનડે

જ. 3 જુલાઈ, 1886 અ. 6 જૂન, 1957

ભારતીય દર્શનશાસ્ત્રી તથા સંસ્કૃતના વિદ્વાન રામચંદ્ર રાનડેનો જન્મ કર્ણાટકના બગલકોટ જિલ્લાના જમખંડીમાં થયો હતો. તેઓ 1903માં ડેકન કૉલેજમાં દાખલ થયા અને 1907માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1911માં ફર્ગ્યુસન કૉલેજમાં અંગ્રેજી ભાષાના ટ્યૂટર તરીકે કાર્ય કર્યું. અહીં પ્રાધ્યાપક વુડહાઉસના પરિચયમાં આવતા દર્શનશાસ્ત્રમાં જિજ્ઞાસા ઉત્પન્ન થતાં 1914માં દર્શનશાસ્ત્ર સાથે એમ.એ.ની પ્રથમ શ્રેણીમાં ઉપાધિ મેળવી ચાન્સેલર સુવર્ણપદક મેળવ્યો. તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં જ તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું. 1924માં કૉલેજમાંથી ત્યાગપત્ર આપી પુણેની ‘અધ્યાત્મ જીવન’ સંસ્થામાં ‘ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન’ નામના ગ્રંથની રચના કરી. સાથે સાથે તેમણે ‘અધ્યાત્મ વિદ્યાપીઠ’ની સ્થાપના કરી અને ભારતીય દર્શનના વિસ્તૃત કોશનો ઇતિહાસ પ્રકાશિત કરવાની યોજના ઘડી. તેમાં ત્રણ ખંડો પ્રકાશિત થયા –  અ કન્સ્ટ્રક્ટિવ સર્વે ઑફ ઉપનિષદીક ફિલૉસૉફી (1926), હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન ફિલૉસૉફી : ક્રિયેટિવ પિરિયડ (1927) અને ફિલૉસૉફિકલ ઍન્ડ અધર એસેઝ : પાર્ટ-1 (1956). આ ઉપરાંત તેમણે મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વર વચનામૃત, સંતવચનામૃત, તુકારામ વચનામૃત, રામદાસ વચનામૃત, એકનાથ વચનામૃત, મિસ્ટિસીઝમ ઇન કર્નાટક, ધ ભગવતગીતા એઝ અ ફિલૉસૉફી ઑફ ગોડ રિયલાઇઝેશન થોટ વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે પોતાના દાર્શનિક વિચારો કેટલાક નિબંધો અને પત્રિકાઓ દ્વારા પ્રકાશિત કર્યા હતા. 1922થી 1927 સુધી કર્ણાટકના બીજાપુર પાસે નિંબાલમાં રહી તેમણે અનેક દાર્શનિક ગ્રંથોનું નિર્માણ કર્યું અને નિંબાલમાં અધ્યાત્મ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી. તેઓ 1927માં અલાહાબાદ યુનિવર્સિટીના દર્શન વિભાગમાં અધ્યક્ષ તથા પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી 26 ઑક્ટોબર, 1947માં સાંગલીમાં અધ્યાત્મ મંદિરની સ્થાપના કરી.

Categories
વાચન સમૃદ્ધિ

મારિયા બિસ્લાવા અન્ના સિમ્બોસકા

જ. 2 જુલાઈ, 1923 અ. 1 ફેબ્રુઆરી, 2012

મારિયા પોલિશ ભાષાના કવયિત્રી અનુવાદક અને 1996ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર વિજેતા હતાં. મારિયાના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્વાને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન બાદ 1924માં તેઓ તોરુન આવ્યા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યાં. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવ્યા બાદ તેઓની ઓળખ આંતરરાષ્ટ્રીય થઈ ગઈ. તેમના સાહિત્યનું ઘણી યુરોપિયન ભાષાઓમાં ભાષાંતર થયું છે. આ સાથે અરેબિક, હિબ્રૂ, જાપાનીઝ, પર્શિયન અને ચાયનીઝ ભાષાઓમાં પણ ભાષાંતર પામ્યું છે. જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે પોતાનો અભ્યાસ ભૂગર્ભ વર્ગોમાં ચાલુ રાખ્યો. 1943 સુધી તેમણે રેલમાર્ગના કર્મચારી તરીકે કામગીરી બજાવી. જેથી તેમને બળજબરીપૂર્વક જર્મની ધકેલી ન દેવામાં આવે. આ સમયમાં તેમણે અંગ્રેજી પાઠ્યપુસ્તક માટેનાં ચિત્રો દોરી એક કલાકારની કામગીરી બજાવી. યુનિવર્સિટીમાં સમાજવિદ્યાનો વિષય લેતાં પહેલાં તેમણે પોલિશ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. માર્ચ, 1945માં તેમનું કાવ્ય સ્થાનિક દૈનિકમાં પ્રગટ થયું હતું. ત્યાર પછી તેમનાં કાવ્યો અનેક વર્તમાનપત્રોમાં છપાતાં રહ્યાં. 1948માં તેમણે અભ્યાસ છોડી દીધો અને આદમ વૉડેક સાથે લગ્ન કર્યાં. 1954માં તેમણે છૂટાછેડા લીધા, પરંતુ આદમની ઘણી સંભાળ રાખતાં હતાં. 1953માં તેઓ સાહિત્યનું વિવેચન કરતા સામયિકમાં જોડાયાં. 1968થી તેમની સાહિત્યની સફર શરૂ થઈ. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં. 1954માં ક્રેકોવ શહેરનું સાહિત્ય માટેનું પારિતોષિક, 1963માં પોલિશ મિનિસ્ટ્રી ઑવ કલ્ચર ઇનામ, 1990માં કૉસસિએલ્સ્કી ઍવૉર્ડ, 1991 ગોએથે પ્રાઇઝ, 1996માં પોલિશ પેન ક્લબ પ્રાઇઝ, 1996માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર, 2005માં ગોલ્ડ મેડલ ફોર મેરિટ્સ ઑવ્ કલ્ચર-ગ્લોરિયા આર્ટસ અને 2011માં ઑર્ડર ઑવ્ ધ વ્હાઇટ ઇગલ મળ્યા. આ ઉપરાંત ‘વિસ્લાવા સિમ્બૉર્સ્કા ઍવૉર્ડ’ મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અબ્દુલ હમીદ

જ. 1 જુલાઈ, 1933 અ. 10 સપ્ટેમ્બર, 1965

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થનાર કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદનો જન્મ ઉત્તરપ્રદેશના ધામુપુર ગામમાં થયો હતો. પિતા મોહમ્મદ ઉસ્માન અને માતા સકીનાબેગમ. ધોરણ આઠ પાસ કરી પિતાને દરજીકામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ 27 ડિસેમ્બર, 1954ના રોજ ભારતીય સેનાની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં ભરતી થયા. તેમણે 1962માં ચીની પીપલ્સ લિબરેશન આર્મી સામે નામકા ચૂના યુદ્ધમાં ભાગ લીધો હતો. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં અબ્દુલ હમીદ અને તેમની 4થી ગ્રેનેડિયર્સ બટાલિયનના જવાનો સીમા પાસે ફરજ પર હતા. 8 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે પાકિસ્તાની ટૅન્કોએ હુમલો કર્યો. હમીદે પહેલી ટૅન્કનો નાશ કર્યો. બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્ક છોડીને ભાગી ગયા. એ ટૅન્કોનો નાશ કર્યો. વળી બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્કો મૂકીને નાસી ગયા. 9 સપ્ટેમ્બરે ફરીથી ટૅન્કો આવી પરંતુ ઍન્ટિ ટૅન્ક સુરંગોએ ટૅન્કોનો નાશ કર્યો. બાકીની ટૅન્કો પાછી ફરી. 10 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટૅન્કો સમૂહમાં આવી. હમીદે પાંચમી ટૅન્ક પણ ઉડાવી દીધી. તેમણે સ્થાન બદલીને છઠ્ઠી ટૅન્કનો ખાતમો કર્યો. સાતમી ટૅન્ક નજીક હતી. સાતમી ટૅન્કે તોપગોળો છોડ્યો અને અબ્દુલ હમીદ શહીદ થયા. પોતે શહીદ થયા એ પહેલાં એમણે ટૅન્કનો નાશ કર્યો. હમીદે ત્રણ દિવસમાં સાત પાકિસ્તાની ટૅન્કોનો નાશ કરવાનું અજોડ પરાક્રમ કર્યું હતું. અબ્દુલ હમીદના સર્વોચ્ચ બલિદાન માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2000માં તેમની સ્મૃતિમાં ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં અસલ ઉત્તર ગામમાં  રમતગમત અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.