જ. 3 જુલાઈ, 1886 અ. 6 જૂન, 1957

ભારતીય દર્શનશાસ્ત્રી તથા સંસ્કૃતના વિદ્વાન રામચંદ્ર રાનડેનો જન્મ કર્ણાટકના બગલકોટ જિલ્લાના જમખંડીમાં થયો હતો. તેઓ 1903માં ડેકન કૉલેજમાં દાખલ થયા અને 1907માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1911માં ફર્ગ્યુસન કૉલેજમાં અંગ્રેજી ભાષાના ટ્યૂટર તરીકે કાર્ય કર્યું. અહીં પ્રાધ્યાપક વુડહાઉસના પરિચયમાં આવતા દર્શનશાસ્ત્રમાં જિજ્ઞાસા ઉત્પન્ન થતાં 1914માં દર્શનશાસ્ત્ર સાથે એમ.એ.ની પ્રથમ શ્રેણીમાં ઉપાધિ મેળવી ચાન્સેલર સુવર્ણપદક મેળવ્યો. તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં જ તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું. 1924માં કૉલેજમાંથી ત્યાગપત્ર આપી પુણેની ‘અધ્યાત્મ જીવન’ સંસ્થામાં ‘ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન’ નામના ગ્રંથની રચના કરી. સાથે સાથે તેમણે ‘અધ્યાત્મ વિદ્યાપીઠ’ની સ્થાપના કરી અને ભારતીય દર્શનના વિસ્તૃત કોશનો ઇતિહાસ પ્રકાશિત કરવાની યોજના ઘડી. તેમાં ત્રણ ખંડો પ્રકાશિત થયા – અ કન્સ્ટ્રક્ટિવ સર્વે ઑફ ઉપનિષદીક ફિલૉસૉફી (1926), હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન ફિલૉસૉફી : ક્રિયેટિવ પિરિયડ (1927) અને ફિલૉસૉફિકલ ઍન્ડ અધર એસેઝ : પાર્ટ-1 (1956). આ ઉપરાંત તેમણે મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વર વચનામૃત, સંતવચનામૃત, તુકારામ વચનામૃત, રામદાસ વચનામૃત, એકનાથ વચનામૃત, મિસ્ટિસીઝમ ઇન કર્નાટક, ધ ભગવતગીતા એઝ અ ફિલૉસૉફી ઑફ ગોડ રિયલાઇઝેશન થોટ વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે પોતાના દાર્શનિક વિચારો કેટલાક નિબંધો અને પત્રિકાઓ દ્વારા પ્રકાશિત કર્યા હતા. 1922થી 1927 સુધી કર્ણાટકના બીજાપુર પાસે નિંબાલમાં રહી તેમણે અનેક દાર્શનિક ગ્રંથોનું નિર્માણ કર્યું અને નિંબાલમાં અધ્યાત્મ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી. તેઓ 1927માં અલાહાબાદ યુનિવર્સિટીના દર્શન વિભાગમાં અધ્યક્ષ તથા પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી 26 ઑક્ટોબર, 1947માં સાંગલીમાં અધ્યાત્મ મંદિરની સ્થાપના કરી.
રાજશ્રી મહાદેવિયા


