Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર ગાંધી

જ. 9 જૂન, 1937 અ. 13 જૂન, 2007

અગ્રણી દાર્શનિક મહાત્મા. મહાત્મા ગાંધીજીના પૌત્ર. રામચંદ્રના પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી (રાજાજીનાં પુત્રી). તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. તેમણે અનુસ્નાતક સ્તરથી પ્રથમ પદવી ભૌતિકશાસ્ત્રમાં મેળવી, પછી દિલ્હીની સેન્ટ સ્ટીવન્સ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રની અનુસ્નાતકની પદવી મેળવી. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની પદવી મેળવી હતી. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનું ડિપાર્ટમેન્ટ સ્થાપ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત ઇંગ્લૅન્ડની સાઉધમ્પટન યુનિવર્સિટી, અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી, રવીન્દ્રનાથ ઠાકુરે સ્થાપેલી શાંતિનિકેતન યુનિવર્સિટી અને હૈદરાબાદ ખાતેની કેન્દ્રીય યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમનું હિંદી અને અંગ્રેજી ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ હતું. ‘રામુ’ નામના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતા થયેલા રામચંદ્રની દર્શનશાસ્ત્ર વિષય પરની પકડથી પશ્ચિમના દાર્શનિકો વ્હાઇટહેડ અને લુડવિંગ વિટેન્સ્ટેન તથા ભારતના મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિ પણ પ્રભાવિત થયેલા. ઉપનિષદોની બારીકાઈનો ઊંડાણથી અભ્યાસ કરી દર્શનશાસ્ત્ર જેવા જટિલ વિષય પરનાં તેમનાં પ્રવચનોથી શ્રોતાઓ દિગ્મૂઢ થઈ જતા. તેમણે લખેલાં પુસ્તકોમાં તેમની પ્રતિભા જણાઈ આવે છે. 1976માં ‘ધ અવેલેબિલિટી ઑવ્ રિલિજિયસ લૅંગ્વેજ’, 1984માં ‘આઈ એમ ધાઉ’, 1992માં ‘સિતાઝ કિચન : અ ટેસ્ટીમોની ઑફ ફેઇથ ઍન્ડ ઇન્કયારી’, 2003માં ‘સ્વરાજ – અ જર્ની વિથ તૈયબ મહેતાઝ શાંતિનિકેતન ત્રિપ્ટીચ’ અને 2005માં ‘મુનિયાઝ લાઇટ : અ નેરેટિવ ઑફ ટ્રૂથ ઍન્ડ મિથ’ તેનાં ઉદાહરણો છે.

Categories
વાચન સમૃદ્ધિ

કેનિથ જી. વિલ્સન

જ. 8 જૂન, 1936 અ. 15 જૂન, 2013

1982માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી કેનિથ ગેડેસ વિલ્સનનો જન્મ મૅસેચૂસેટ્સના વોલ્થમાં થયો હતો. પિતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રી હતા અને માતા ભૌતિકશાસ્ત્રી હતાં. 16 વર્ષની ઉંમરે હાર્વર્ડ કૉલેજમાં દાખલ થયા. ગણિત વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1961માં તેમણે કૅલિફૉર્નિયા  ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી મરે ગેલ-મેનના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ 1963માં કોર્નેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા. 1970માં પ્રોફેસર બન્યા. આ સમયગાળામાં તેમણે સ્ટેનફર્ડ લિનિયર એક્સિલરેટર (સુરેખ પ્રવેગક) પર સંશોધનો કર્યાં. કોર્નેલ થિયરી સેન્ટરના તેઓ નિર્દેશક બન્યા. 1988માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં કાર્યરત રહ્યા. તેમના સંશોધનકાર્યને લીધે ક્વૉન્ટમ ક્ષેત્રે સિદ્ધાંતના મૂળભૂત પ્રશ્નો પર સમજણ વિકસી. હેડ્રોનની અંદર રહેલા ક્વાર્કના અસ્તિત્વ તથા વર્તણૂક પર પ્રકાશ પડ્યો. કણ ભૌતિકશાસ્ત્ર(Particle Physics)ના અભ્યાસ માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તેઓ અગ્રણી હતા. 1982માં તેમને પ્રવાહીમાંથી વાયુયુક્ત સ્થિતિમાં પદાર્થના પરિવર્તન જેવા તબક્કા સંક્રમણો પરના તેમના કાર્ય માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓને 1980માં ભૌતિકશાસ્ત્રમાં ફિશર તથા કેડેનહોફની સાથે વુલ્ફ પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત તેઓને એરિન્ગન ચંદ્રક (1984), ફ્રેન્કલિન ચંદ્રક (1982), બોલ્ટ્ઝમૅન ચંદ્રક (1975) તથા ડેની હાઈનમૅન પ્રાઇઝ (1973) વગેરે પ્રાપ્ત થયાં હતાં. એચ. આર. કૃષ્ણમૂર્તિ, રોમન જેકિવ, માઇકલ પેસ્કિન વગેરે વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

શ્યામા

જન્મ 7 જૂન, 1935 અવસાન 14 નવેમ્બર, 2017

મૂળ નામ ખુર્શીદ અખ્તર. પંજાબીભાષી આ નાયિકાને બાળપણથી જ અભિનય અને નૃત્ય પ્રત્યે ખેંચાણ હતું અને તેથી જ તેઓ 1940માં લાહોર છોડીને મુંબઈ આવ્યાં. 10 વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ ‘ઝીનત’માં સમૂહગીત ગાયિકા તરીકે કામ કરીને ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પછી ‘મીરાંબાઈ’ (1947), ‘પતંગા’ (1949), ‘શબનમ’ (1949) જેવી હિન્દી ફિલ્મોમાં અને ‘ચમન’ (1948) જેવી પંજાબી ફિલ્મોમાં નાની અને સહાયક ભૂમિકાઓ ભજવી. પંજાબી ભાષા પરના તેમના પ્રભુત્વને કારણે 1950માં આવેલી ફિલ્મ ‘પોસ્ટી’ને એટલી બધી સફળતા મળી કે તેઓ પંજાબી સિનેમાનાં પ્રખ્યાત અભિનેત્રી બની ગયાં. ‘તરાના’ (1951), ‘આસમાન’ (1952), ‘ઠોકર’ (1953), ‘દિલ એ નાદાન’ (1953) વગેરે જેવી ફિલ્મો સાથે તેમણે બાળ ભૂમિકાઓથી પુખ્ત અને મુખ્ય ભૂમિકાઓ સુધીની સફર ખેડી. ગુરુ દત્તની ફિલ્મ ‘આર પાર’(1954)માં તેમનો અભિનય ખૂબ વખણાયો. આ સિવાય ‘લાડલા’ (1954), ‘ભાઈ ભાઈ’(1956)ની સાથે 1957માં આવેલી ફિલ્મ ‘શારદા’માં તેમણે ભજવેલ ચંચલનું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું. ‘ભાભી’ (1957) ફિલ્મમાં કાવતરાખોર ભાભી તરીકે, ‘દો બહેન’ (1959)માં જોડિયા બહેનોની બેવડી ભૂમિકામાં તેમનો અભિનય યાદગાર રહ્યો. 1961માં તેમની છેલ્લી પંજાબી ફિલ્મ ‘વિલાયત પાસ’ રહી પણ હિન્દી ફિલ્મો જેવી કે ‘દિલ દિયા દર્દ લિયા’ (1966), ‘સાવન ભાદો’ (1970), ‘અજનબી’ (1974) અને ‘માસ્ટરજી’(1985)માં તેમણે પ્રશંસનીય ભૂમિકાઓ ભજવી. ચાહકો આજે પણ તેમના પર ફિલ્માવવામાં આવેલાં ગીતો ‘એ દિલ મુઝે બતા દે’, ‘યે લો મે હારી પિયા’ વગેરે યાદ કરે છે. લગભગ 140 ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓમાં પોતાની બહુમુખી પ્રતિભા નિભાવવા માટે આ નાયિકાને ‘છુમંતર’ (1956) ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો BFJA ઍવૉર્ડ અને ‘શારદા’ (1957) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.