Categories
વાચન સમૃદ્ધિ

વસંતરાવ દેશપાંડે

જ. 2 મે, 1920 અ. 30 જુલાઈ, 1983

ભારતીય શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના કલાકાર. શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઠૂમરી, અભંગ, નાટ્યસંગીત જેવા વિવિધ પ્રકારોમાં પારંગત વસંતરાવ દેશપાંડે નખશિખ કલાકાર હતા. માત્ર આઠ વર્ષની વયે તેઓ ફિલ્મસર્જક ભાલાજી પેઢરકરના ધ્યાનમાં આવ્યા અને ફિલ્મ ‘કાલિયા મર્દન’માં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાની તક મળી. સાથે સાથે ગાયન તથા અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. મરાઠી રંગભૂમિમાં શાસ્ત્રીય સંગીતનું પ્રાધાન્ય હોવાને કારણે અભિનય સાથે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. પંડિત શંકરરાવ સપ્રે પાસે કિરાના ઘરાનાની તાલીમ શરૂ કરી. વિવિધ કલાગુરુઓ પાસે શાસ્ત્રીય સંગીતની વિદ્યા પ્રાપ્ત કરી. જેના કારણે કિરાના સાથે પતિયાલા, ભીંડીબજાર જેવા ઘરાનાની વિશિષ્ટતા વસંતરાવને પ્રાપ્ત થઈ. એમણે ‘કાલિયા મર્દન’ બાદ ‘દૂધ-ભાત’, ‘અષ્ટવિનાયક’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ મુખ્યત્વે રંગમંચ ઉપર મરાઠી રંગભૂમિ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. કટિયાર કાલજાત ઘૂસલી સંગીત રૂપક એમના જીવનનું ઐતિહાસિક નાટક બની રહ્યું, જેણે વસંતરાવને અમર ઓળખ આપી. પોતે રંગકર્મી હોવાને કારણે ઠૂમરી, અભંગ, ભજન જેવા પ્રકારોમાં અભિનયનું અંગ ઉમેરીને તેઓ પ્રસ્તુતિને વધુ અસરદાર તેમજ જીવંત બનાવતા. રાગ યમનમાંથી પંચમ વર્જિત કરીને એમણે રાગ ‘રાજ કલ્યાણ’ની રચના કરી હતી. વિશિષ્ટ ચંચલ શૈલીમાં નાટકીય ગાયન શૈલી એ વસંતરાવની એક નોખી ઓળખ છે. ‘કાનડા રાજા પંઢરિચા’, ‘તુ સુખકર્તા, તુ દુઃખહર્તા’, ‘તાલ બોલે’, ‘સૂરત પિયા કી’, ‘મધુમિલના તલ્પા’ જેવાં અનેક મરાઠી નાટ્ય ગીતો સંગીતરસિકો માટે સદાય યાદગાર રહ્યાં છે. વસંતરાવ દેશપાંડેએ અનેક શિષ્યો સંગીતજગતને આપ્યા છે. એમના પૌત્ર રાહુલ દેશપાંડેએ વસંતરાવના સંગીતના વારસાને જીવંત રાખ્યો છે. એમને 1982માં સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુણેમાં ડૉ. વસંતરાવ દેશપાંડે પ્રતિષ્ઠાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દર વર્ષે ત્રણ દિવસનો વસંતોત્સવ વાર્ષિક સમારોહ યોજવામાં આવે છે તથા ઉત્તમ યુવાન ગાયકોને વસંતોત્સવ યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. એમના જીવન તથા કાર્યને અંજલિ આપવા ‘મી વસંતરાવ’ શીર્ષક સાથે ફિલ્મનું નિર્માણ થયું છે. નાગપુરમાં સરકાર દ્વારા પ્રતિવર્ષ ‘દેશપાંડે મેમરી’ શીર્ષક હેઠળ ત્રિદિવસીય સંગીતમહોત્સવનું આયોજન થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

શહીદ બંધુ સિંહ

જ. 1 મે, 1833 અ. 12 ઑગસ્ટ, 1858

ઉત્તરપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની શહીદ બંધુ સિંહનો જન્મ ડુમરીમાં થયો હતો. તેઓ તારકુલાહા દેવીના અનન્ય ભક્ત હતા. માતૃભૂમિ પર શાસન કરનાર જુલમી અંગ્રેજોને હાંકી કાઢવાનું તેમણે બીડું ઝડપ્યું હતું. તેમણે પોતાનું રજવાડું છોડી દીધું અને જંગલમાં રહેવા લાગ્યા. તેમણે ગેરીલા પદ્ધતિથી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો. જંગલમાંથી પસાર થતા બ્રિટિશ અધિકારીઓ પર તેઓ હુમલો કરતા. તેમને લૂંટીને તેમનું માથું કાપીને તારકુલાહા દેવીના ચરણોમાં અર્પણ કરતા. શરૂઆતમાં બ્રિટિશ અધિકારીઓને ખબર જ ન પડી કે જંગલમાં સૈનિકો ગુમ થઈ જાય છે ? ખૂબ તપાસ કરતાં ખબર પડી કે આ કામ બંધુ સિંહનું છે. ગભરાયેલા અંગ્રેજોએ બનારસથી સૈન્ય મોકલ્યું  અને ડુમરી ગામ પાસે છાવણી નાખી. સ્થાનિક લોકોને આ અંગેની જાણ થતાં તેમણે છાવણી પર છાપો મારીને શસ્ત્રસરંજામ લૂંટી લીધો. આથી ગુસ્સે થઈને અંગ્રેજોએ ગામને આગ લગાડી, પરંતુ ગામલોકો ગામમાંથી ભાગી ગયા. બંધુ સિંહને શોધતા અંગ્રેજોને સુરત સિંહે માહિતી આપી. તેણે વિશ્વાસઘાત કર્યો. અંગ્રેજોએ તેને વાર્ષિક 4800 રૂપિયા અને ગોરખપુરનું ડુમરી રજવાડું આપ્યું. બાતમીને આધારે બંધુ સિંહની ધરપકડ કરવામાં આવી. અલીનગરના ચાર રસ્તા પર તેમને ફાંસી આપવામાં આવી. એવું કહેવાય છે કે તેમને છ વખત ફાંસી આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે ફાંસીનો ફંદો તૂટી જતો હતો. શહીદ બંધુ સિંહની સ્મૃતિમાં શહીદ સ્થળ પર અને તારકુલાહા દેવીના મંદિરના મેદાનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમના વંશજોએ શહીદ બંધુ સિંહ સ્મારક સમિતિની સ્થાપના કરી છે. ઉત્તરપ્રદેશમાં શહીદ બંધુ સિંહ પી. જી. કૉલેજ, શહીદ બંધુ સિંહ ગર્લ્સ હૉસ્ટેલ, શહીદ બંધુ સિંહ સ્ટેડિયમ, શહીદ બંધુ સિંહ પાર્ક વગેરે તેમના બલિદાનને જીવંત રાખવા નામાભિધાન પામ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

દાદાસાહેબ ફાળકે

જ. 30 એપ્રિલ, 1870 અ. 16 ફેબ્રુઆરી, 1944

ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબનું મૂળ નામ ધૂંડીરાજ ફાળકે હતું. માતા દ્વારકાબાઈ અને પિતા ગોવિંદ સદાશિવ ફાળકે. પિતા સંસ્કૃતના પંડિત, ધાર્મિક ક્રિયાકાંડ કરાવતા એટલે દાદાસાહેબને પણ યજ્ઞ સહિત અન્ય ધાર્મિક ક્રિયાઓ શીખવી હતી. પિતાને મુંબઈની વિલ્સન કૉલેજમાં નોકરી મળતાં તેઓ કુટુંબ સાથે મુંબઈમાં સ્થાયી થયા. 1885માં દાદાસાહેબ જે. જે. સ્કૂલ ઑફ આર્ટસમાં જોડાયા અને એક વર્ષ ત્યાં અભ્યાસ કરી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના કલાભવન ખાતે તૈલરંગ ચિત્રો અને જળરંગ ચિત્રો બનાવતાં શીખ્યા. તેમણે આર્કિટૅક્ચર અને મૉડલિંગમાં પણ નિપુણતા મેળવી. 1890માં ફિલ્મ કૅમેરા દ્વારા ફોટોગ્રાફી અને તેનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કર્યો. 1892માં અમદાવાદ ખાતેના ઔદ્યોગિક પ્રદર્શનમાં તેમને થિયેટરનું આદર્શ મૉડલ બનાવવા માટે સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો.  રતલામ જઈને શ્રી બાબુલાલ વારુવલ્કર પાસે તેઓ ફોટોગ્રાફી અને પ્રિન્ટિંગ ટૅકનૉલૉજીની બારીકીઓ શીખ્યા. 1903માં ભારત સરકારના પુરાતત્ત્વ ખાતામાં ફોટોગ્રાફર  અને નકશાકાર તરીકે કામ શરૂ કર્યું, પણ સ્વદેશી આંદોલનથી પ્રેરિત થઈને નોકરી છોડી દીધી. તેમણે ફોટોગ્રાફી અને કલર પ્રિન્ટિંગ ટૅકનૉલૉજીમાં નવા પ્રયોગો કર્યા. 1910માં ફિલ્મ ‘life of christ’ એ તેમને કારકિર્દીના અલગ જ વળાંક પર લાવીને મૂકી દીધા. આ ફિલ્મ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા. એક અભ્યાસુ બાળકની જેમ તેમણે ચલચિત્રકળાનું બધું જ ઉપલબ્ધ સાહિત્ય વાંચ્યું. 1912માં દેવું કરીને લંડન ગયા. ત્યાં મળીને તેમના સ્ટુડિયોમાં ફિલ્મનિર્માણની કામગીરી શીખ્યા. ભારત પરત આવ્યા બાદ તેમણે ‘growth of a plant’ નામનું લઘુ-ચલચિત્ર બનાવ્યું. તેમણે  ભારતની સૌપ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી, જે ખૂબ સફળ રહી. આ સફળતાએ તેમને ‘મોહિની ભસ્માસુર’, ‘સત્યવાન સાવિત્રી’  ફિલ્મ બનાવવા પ્રેર્યા. આ સાથે ધીરે ધીરે ભારતીય સિનેમા ઉદ્યોગનો પાયો નંખાયો. તેમણે ફિલ્મ ‘લંકાદહન’ અને સ્વસ્થાપિત હિન્દુસ્તાન ફિલ્મ કંપની અને સ્ટુડિયોમાં ‘કૃષ્ણજન્મ’, ‘કાલિયમર્દન’નું નિર્માણ કર્યું. 1932માં નાદુરસ્ત તબિયત સાથે પણ ‘સેતુબંધન’ અને ‘ગંગાવતરણ’નું દિગ્દર્શન કર્યું. તેમણે 98 ફિલ્મો અને 30 લઘુફિલ્મોનું નિર્માણ કર્યું. ભારત સરકારે દાદાસાહેબ ફાળકેની યાદમાં 1970માં ‘દાદાસાહેબ ફાળકે પારિતોષિક’ શરૂ કર્યું, જે સિનેમાક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપનારને દર વર્ષે આપવામાં આવે છે. સરકારે ફાળકેસાહેબની સ્મૃતિમાં 30 એપ્રિલ, 1971ના રોજ ટપાલટિકિટ બહાર પાડી હતી.