જ. 23 મે, 1918 અ. 12 માર્ચ, 2010

સ્પેસ ટાઇમ જ્યોમેટ્રીના સંશોધનકર્તા, ગણિતજ્ઞ અને આદર્શ શિક્ષક પી. સી. વૈદ્યનો જન્મ જૂનાગઢ તાલુકાના શાપુરમાં થયો હતો. પિતા ચુનિલાલ અને માતા નિર્મળબહેન. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ઉચ્ચશિક્ષણ મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી મેળવ્યું. 1938માં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે બી.એસસી. અને 1940માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે એમ.એસસી.ની પદવી મેળવી. 1942માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત પર સંશોધન કર્યું. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સમીકરણનો ઉકેલ તેમણે આપ્યો. આ ઉકેલ ‘વૈદ્ય ઉકેલ’ તરીકે જાણીતો છે.
તેમણે ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ; એમ.ટી.બી. કૉલેજ, સૂરત; વી. પી. સાયન્સ કૉલેજ, વલ્લભવિદ્યાનગર; એમ. એન. કૉલેજ, વિસનગરમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગણિત વિભાગમાં જોડાયા અને સંશોધન પ્રવૃત્તિને વેગ આપ્યો. તેમણે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી અને ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો હતા. તેઓ વૈદ્ય મેટ્રિક, વૈદ્ય-પટેલ સૉલ્યુશન અને આઇન્સ્ટાઇન ફિલ્ડ ઇક્વેશન્સ માટે જાણીતા હતા. તેમણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા. તેઓ યુજીસીની કમિટી ઑન રિલેટિવિટી ઍન્ડ કૉસ્મોલૉજી, ઇન્ડિયન મૅથેમૅટિકલ સોસાયટી, ઇન્ડિયન ઍસોસિયેશન ફોર રિલેટિવિટી ઍન્ડ ગ્રૅવિટેશન વગેરેના અધ્યક્ષ હતા. તેમણે ગાંધીજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતાર્યા હતા. તેઓ ખાદી પહેરતા. સાઇકલ પર ગાંધીટોપી પહેરીને નીકળતા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ અને વેડછી આશ્રમ સાથે જોડાયેલા હતા. તેમણે ગુજરાતમાં ગણિત મંડળ શરૂ કર્યું. 1963માં ‘સુગણિતમ્’ અને 1990માં ‘બૉના મૅથમેટિકા’ શરૂ કર્યું. તેમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ચૉક ઍન્ડ ડસ્ટર’, ‘પસ્તીનાં પાનાં’, ‘ગણિતદર્શન’, ‘દશાંશ પદ્ધતિ શા માટે ?’, ‘નવું ગણિત શું છે ?’, ‘દાદાજીની વિજ્ઞાનવાર્તાઓ’ નોંધપાત્ર છે. ગુજરાત સરકારે 1993માં ડૉ. વિક્રમ સારાભાઈ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ


