Categories
વાચન સમૃદ્ધિ

સારા અબૂબકર

જ. 30 જૂન, 1936 અ. 10 જાન્યુઆરી, 2023

ભારતીય કન્નડ લેખિકા અને અનુવાદક સારા અબૂબકરનો જન્મ કેરલમના કાસરગોડમાં પુદિયાપુરી અહમદ અને ઝૈનબી અહમદના ઘરે થયો હતો. તેમને ચાર મોટા ભાઈઓ હતા. સારા મલયાળમભાષી હોવા છતાં કન્નડ ભાષા પર સારો કાબૂ હતો. કન્નડ વિદ્યાલયમાં તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમને તો હજી આગળ ભણવાની ઇચ્છા હતી, પણ તે સમયના સમાજના માપદંડને કારણે તે શક્ય ન હતું. સામુદાયિક બંધનોને લીધે ઉચ્ચશિક્ષણ મહિલાઓ માટે પ્રતિબંધિત હતું. તેઓ ઈ. સ. 1963માં એક પુસ્તકાલયના સભ્ય થઈ શક્યાં હતાં. તેઓએ કન્નડ ભાષામાં ઉચ્ચકોટિના સાહિત્યનું સર્જન કર્યું છે. તે તેમની સર્જનાત્મક શક્તિ, કુશળતા અને કાર્ય કરવાની લગનીને લીધે શક્ય બન્યું.  એમના લેખનમાં મુખ્યત્વે નવલકથા અને લઘુકથાઓ સામેલ થાય છે. તેમણે તેમના સમાજની ગરીબ સ્ત્રીઓએ વેઠેલાં દુઃખ અને યાતના સમાજ આગળ રજૂ કરી શકાય તે માટે સાહિત્યનું સર્જન કર્યું. પિતૃપ્રધાન વ્યવસ્થાથી મુસ્લિમ સ્ત્રીઓ પર થતા અન્યાય પર તેઓએ સાહિત્યસર્જન કરી ધ્યાન દોર્યું. તેઓ સાદી ભાષામાં સામાજિક, ધાર્મિક અને કોમી હિંસા જેવા વિષયો પર લખતાં જેથી સમાજમાં થતા અન્યાય પર ધ્યાન દોરી શકાય. તેઓ તેમની નવલકથા ‘ચંદ્રગિરિયા થિરાદલ્લી’થી પ્રખ્યાત થયાં હતાં. આ નવલકથાનો અંગ્રેજી અને મરાઠીમાં પણ અનુવાદ થયો છે. આ નવલકથાના આધારે ફિલ્મ ‘બ્યારી’ બનાવવામાં આવી હતી. તેમની નવલકથા ‘વજ્રગાલુ’ પરથી ‘સારાવજ’ ફિલ્મ બનાવવામાં આવી છે. 1914થી તેઓએ તેમના ચંદ્રગિરિ પ્રકાશન કંપની દ્વારા પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમના સાહિત્યસર્જન માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, અનુપમા નિરંજના ઍવૉર્ડ, કન્નડ રાજ્યોત્સવ ઍવૉર્ડ, રથનમ્મા હેગડે મહિલા સાહિત્ય ઍવૉર્ડ, દાના ચિંતામણિ અત્તિમબ્બે ઍવૉર્ડ, હમ્પી યુનિવર્સિટી તરફથી નાદોજા ઍવૉર્ડ, માનદ ડૉક્ટરેટ પદવી – મૅંગ્લોર યુનિવર્સિટી તરફથી અને કન્નડ ભાષામાં સાહિત્યસર્જન કરવા માટે નૃપાતુંગ ઍવૉર્ડ વગેરે મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ રોક્સબર્ગ

જ. 29 જૂન, 1751 અ. 18 ફેબ્રુઆરી, 1815

સ્કોટિશ તબીબ અને વનસ્પતિશાસ્ત્રી વિલિયમ રોક્સબર્ગનો જન્મ ક્રેગી નજીક આયરશાયર(Ayershire)માં થયો હતો. ભારતમાં વનસ્પતિશાસ્ત્રક્ષેત્રે આવેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ભારતીય વનસ્પતિવિજ્ઞાનના જનક (Father of Indian Botany) માનવામાં આવે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ ‘અંડરવુડ પૅરિસ’ શાળામાં લીધું. 1771માં મૅટ્રિક પાસ કર્યા બાદ તેમણે ડૉ. એલેકઝાન્ડર મોનરોના હાથ નીચે તબીબી શસ્ત્રક્રિયાનો અભ્યાસ કર્યો અને જોન હોપના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1772માં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજમાં સર્જન તરીકે ભારત આવ્યા. અહીં મદ્રાસ (ચેન્નાઈ) અને બીજાં કેટલાંક બંદરો પર પોતાની સેવાઓ આપી. 28 મે, 1776ના રોજ તેઓ ચેન્નાઈ મેડિકલ સર્વિસમાં સહાયક સર્જન તરીકે અને 1780માં મુખ્ય સર્જન તરીકે નિયુક્ત થયા. તેમને પ્રથમ ડૉક્ટરેટ(M.D.)ની ઉપાધિ એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી મળી જ્યારે બીજી ડૉક્ટરેટની પદવી એબરડીનની મેરિશ્ચલ(Marischal) કૉલેજમાંથી પ્રાપ્ત થઈ. ભારતમાં રહી તેમણે વનસ્પતિ, છોડ, પર્ણ તથા જડીબુટ્ટીઓનો ગહન અભ્યાસ કર્યો. 1793માં તેઓને કૉલકાતાના શિવપુરમાં આવેલા રૉયલ બૉટનિકલ ગાર્ડનના અધિક્ષક નિયુક્ત કરાયા. તેમણે વનસ્પતિશાસ્ત્રમાં પોતાનાં સંશોધનો માટે ભારતીય કલાકારોને અસંખ્ય વનસ્પતિઓનું ચિત્રીકરણ કરવાનું કામ સોંપ્યું. તેમણે વનસ્પતિની અનેક પ્રજાતિઓનું વર્ણન Icones Roxburghianeeમાં પ્રકાશિત કર્યું. તેમણે ભારતની હજારો વનસ્પતિઓની પ્રમાણભૂત માહિતી આપતો દસ્તાવેજ રજૂ કરી આધુનિક વનસ્પતિશાસ્ત્રનો પાયો નાંખ્યો. તેમણે ‘ફ્લોરા ઇન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું જે ભારતીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓના જ્ઞાન માટેનો સૌપ્રથમ આધારભૂત દસ્તાવેજ ગણાય. 1791માં તેમને રૉયલ સોસાયટી ઑફ એડિનબરોના ફેલો બનાવવામાં આવ્યા. 1805માં સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ આર્ટસનો સુવર્ણચંદ્રક, 1803માં ભારતમાં વૃક્ષોના વિકાસ પરના સંશોધનો માટેનો સુવર્ણચંદ્રક અને 1814માં નોફોર્ડના ડ્યુક દ્વારા સુવર્ણચંદ્રક અર્પણ કરાયા. તેમને અનેક મરણોત્તર સન્માનો પણ પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

રૉબર્ટ લેડલી

જ. 28 જૂન, 1926 અ. 24 જુલાઈ, 2012

પ્રસિદ્ધ અમેરિકી ભૌતિકવિજ્ઞાની અને દંતચિકિત્સક રૉબર્ટ લેડલીનો જન્મ ન્યૂયૉર્કમાં થયો હતો. ચિકિત્સાક્ષેત્રે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તથા દુનિયાનું સૌપ્રથમ માનવશરીર સી.ટી. (Computer Tomography) સ્કૅનરની શોધ માટે તેઓ ખ્યાતનામ છે. શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ ભૌતિકશાસ્ત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માતા-પિતા માનતાં કે એથી તેમને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત નહીં થાય. તેમણે તેમને દંતચિકિત્સક બનવા માટે આગ્રહ રાખ્યો. આથી 1948માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ડેન્ટલ સર્જરીની પદવી પ્રાપ્ત કરી અને 1950માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને પોતાની ઇચ્છાપૂર્તિ પણ કરી હતી. કોરિયન વૉર દરમિયાન થોડો સમય આર્મીમાં ડેન્ટલ સર્જન તરીકે કાર્ય કર્યા બાદ 1968માં જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા. 1970માં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ફિઝિયૉલૉજી, બાયૉફિઝિક્સ અને રેડિયોલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા હતા. તેમણે અનેક સંશોધનો કર્યાં હતાં. તેમનું સૌથી મોટું યોગદાન ACTA (Automatic computerized transverse axial)  એક્સ-રે સ્કેનરની શોધ હતી. લેડલી સમગ્ર માનવશરીરનાં અંગો સ્કેન કરવાનું મશીન બનાવી, ચિકિત્સા અને રેડિયોલૉજી ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા. ચિકિત્સાવિજ્ઞાનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરનાર તેઓ શરૂઆતના અગ્રણીઓમાંના એક હતા. તેમણે ક્રોમોઝોમ વિશ્લેષણ માટે સ્વચાલિત ઉપાયો વિકસિત કર્યા. 1960માં તેમણે નૅશનલ બાયૉમેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન(NBRF)ની સ્થાપના કરી. લેડલીએ તેમની ટીમ સાથે પ્રોટીન અને ડી.એન.એ. અનુક્રમોને વ્યવસ્થિત કરવા માટે વિશાળ પાયે ડેટાબેઝ પ્રોટીન ઇન્ફર્મેશન રિસોર્સ(PIR)ના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. 1990માં તેમને ‘નૅશનલ ઇન્વેન્ટર્સ ઑફ ફેમ’માં સમાવિષ્ટ કરાયા. 1997માં તેમને ‘નૅશનલ મેડલ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ ઇનોવેશન’થી સન્માનિત કરાયા હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલાં મશીનોની અનુકૃતિ (prototype) આજે પણ સ્મિથ્સોનિયમ ઇન્સ્ટિટ્યૂશનમાં જોવા મળે છે.