Categories
વાચન સમૃદ્ધિ

સિગ્રિડ ઉંસેત

જ. 20 મે, 1882 અ. 10 જૂન, 1949

1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાકાર ઉંસેત સિગ્રિડનો જન્મ ડેનમાર્કમાં પણ ઉછેર નૉર્વેમાં થયો હતો. તેના પિતા પુરાતત્ત્વજ્ઞ હતા, તેઓએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો. સિગ્રિડ 16 વર્ષની હતી ત્યારે  તેના પિતાનું મૃત્યુ થતાં તેને કારકુની કરવી પડી. તેને બીજી બે નાની બહેનોની જવાબદારી લેવી પડી હતી. કુટુંબની પરિસ્થિતિને જોતાં સિગ્રિડને અભ્યાસ પડતો મૂકી 16 વર્ષની ઉંમરે સેક્રેટરીની નોકરી લેવી પડી. આ કામ આનંદદાયક ન હતું, પણ સંજોગોને આધીન થઈ તેણે દસ વર્ષ સુધી નોકરી કરવી પડી. ત્યારબાદ 1907માં નૉર્વેજિયન લેખકના યુનિયનમાં સામેલ થઈ ગઈ. 1907માં તેણે નોંધપોથી રૂપે લખેલ પ્રથમ નવલકથા ‘ફ્રુ માર્થા ઔલી’ પ્રગટ થઈ. 1909માં ‘ધ હેપી એજ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. નવલકથા ‘જેની’(1911)એ તેને સફળ સાહિત્યકાર તરીકે ખ્યાતિ અપાવી. તેમાં પાત્રો સાથે તાદાત્મ્ય સધાયું હોવાથી પાત્રો જીવંત લાગે છે. 1912માં પ્રગટ થયેલ ‘ધ પુઅર ફેટ્સ’ વાર્તાસંગ્રહમાંની ‘સિમોન્સેન’ વાર્તા નૉર્વેની શ્રેષ્ઠ વાર્તાઓમાં ગણના પામેલી છે. ‘ધ વાઇઝ વર્જિન્સ’ 1918માં પ્રશંસાથી મુક્ત, પ્રેમમાં તૃપ્ત, આત્મબલિદાન આપતી ઉદારચરિત સ્ત્રીઓની વાર્તાઓ છે. તેની મહાન નવલત્રિપુટી ‘ક્રિસ્ટીન લાવાન્સ ડૉટર’માં ચૌદમી અને પંદરમી સદીની કથાઓ છે. લેખિકાએ 1931માં પ્રગટ કરેલ ‘વાઇલ્ડ ઑર્કિડ’ 1905થી 1931નો સમય આલેખતી આધુનિક નવલકથા છે. ત્યારબાદ ‘ગુન્નાર્સ ડૉટર’માં દરિયાખેડુઓનું જીવન છે. ઐતિહાસિક નવલકથાઓ લખવામાં સિગ્રિડના જેવી સફળતા ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થઈ હશે. સિગ્રિડ ઉપદેશક નથી તે જીવનબીજ વાવે છે. તેના નૈસર્ગિક વિકાસમાં જ તેનો જીવનસંદેશ છુપાયેલો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં નૉર્વે પર આક્રમણ થતાં સિગ્રિડ નૉર્વે છોડી અમેરિકા ગઈ. યુદ્ધ બાદ પાછી ફરતાં વતનપ્રેમી પ્રવૃત્તિ અને લેખન માટે ‘ધ ગ્રાંડ ક્રૉસ ઑવ્ સેંટ ઓલાવ’ અર્પણ કરીને 1949માં તેનું સન્માન કર્યું.

Categories
વાચન સમૃદ્ધિ

માણિક બંધોપાધ્યાય

જ. 19 મે, 1908 અ. 3 ડિસેમ્બર, 1956

વીસમી સદીના પ્રખ્યાત બંગાળી નવલકથાકાર અને વાર્તાકારનો જન્મ દુમકા, બિહાર(હાલમાં ઝારખંડ)માં થયો હતો. તેમનું મૂળ નામ પ્રબોધ કુમાર, પણ હુલામણું નામ માણિક હતું. શાળામાં તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. 1928માં કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ગણિતના વિષય સાથે બી.એસસી. કર્યું. ત્યારબાદ જીવનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતાં કૉલેજ છોડી દેવી પડી. મિત્રોનો પડકાર ઝીલતાં તેમણે એક વાર્તા લખી – ‘અતશીમામી’, જે પ્રતિષ્ઠિત માસિક ‘વિચિત્ર’માં પ્રકટ થઈ અને તેઓ બંગાળી વાચકોમાં પ્રસિદ્ધ બની ગયા. 1935માં તેમની પ્રથમ નવલકથા ‘જનની’ પ્રગટ થઈ અને તે જ વર્ષે ‘અતશીમામી અને અન્ય વાર્તાઓ’નો સંગ્રહ પ્રગટ થયો. 1936માં તેમની સૌથી લોકપ્રિય બે નવલકથાઓ ‘પદ્માનદીર માંઝી’ અને ‘પુતલનાચેર’ પ્રકાશિત થઈ, જે દુનિયાના પીડિતો અને દલિતો વાસ્તવિક પ્રતિનિધિના રૂપમાં આવે છે. 1941માં તેમણે ‘અહિંસા’ લખી જેમાં જે ધર્મને અસંખ્ય લોકો પાળી રહ્યા હતા તેની પોકળતા ઉઘાડી પાડી છે. વળી બીજા વિશ્વયુદ્ધના સમયે લોકો જે સંદેહમાં જીવન જીવતા હતા તેનો ચિતાર રજૂ કર્યો છે. તેઓએ માર્કસ, લેનિન અને સ્ટાલિન જેવા સોશિયાલિસ્ટ ફિલસૂફોની ફિલૉસૉફીથી પ્રભાવિત થઈ 1944માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બનવાનું પસંદ કર્યું, જે જીવનભર નિભાવ્યું. 1945માં ‘દર્પણ’ની રચના થઈ જેમાં જુદા જુદા સમુદાયોની વચ્ચેનો સંઘર્ષ આલેખ્યો છે. આ ઉપરાંત ‘આદાયેર ઇતિહાસ’ (1947), ‘માટિર મશૂલ’(1948)ની વાર્તાઓમાં આઝાદી પછીના વ્યાપક ભ્રમનિરસનનું ચિત્રણ છે. ‘સ્વાધીનતાનો સ્વાદ’ (1951), ‘સોનાર ચેયે દામી’, ‘આરોગ્ય’ નવલકથાઓની રચના કરી છે. અઠ્ઠાવીસ વર્ષની સાહિત્યિક સફરમાં તેમણે 38 નવલકથાઓ, 306 વાર્તાઓ, નાટક, કવિતાઓ અને નિબંધોની રચના કરી હતી. તેમની નવલકથાઓ ભારતીય ભાષાઓ અને અંગ્રેજી ભાષામાં પણ અનૂદિત થયેલી છે. તેમની નવલકથા ‘પદ્માનદીર માંઝી’ (બોટમૅન ઑફ પદ્મા) 7-8 ભારતીય ભાષાઓમાં, ત્રણ વાર અંગ્રેજી ભાષામાં તથા સ્વીડિશ, ઝેક, જર્મન, હંગેરિયન, ચાઇનીઝ, બલ્ગેરિયન, રશિયન તથા ફ્રેન્ચ ભાષાઓમાં અનૂદિત થઈ છે. લગભગ 70 જેટલી ટૂંકી વાર્તાઓ ભારતીય અને બીજી વિદેશી ભાષાઓમાં અનુવાદ પામી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઉમર ખય્યામ

જ. 18 મે, 1048 અ. 4 ડિસેમ્બર, 1131

ફારસી કવિ, ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને દાર્શનિક ઉમર ખય્યામનો જન્મ ઈરાનના નિશાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ગ્યાસુદ્દીન અબુલ ફતહ ઉમર ઇબ્ન ઇબ્રાહીમ અલ-ખય્યામી હતું. ખય્યામનો અર્થ તંબુ બનાવનાર. તત્કાલીન સમયની રૂઢિવાદી સામાજિકતા સામે ફારસી ભાષામાં પદ્યના માધ્યમથી એમણે અવાજ ઉઠાવ્યો હતો. સ્વાભાવિક રીતે સમાજે પહેલાં એમનો સ્વીકાર ન કર્યો, પરંતુ પરમ તત્ત્વ સાથેના એક સંધાનને કારણે ઉમર ખય્યામ એમનાં કાર્યોમાં રત રહ્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ક્યૂબિક સમીકરણો હલ કરવા માટે જ્યામિતીય પદ્ધતિઓની એમણે શોધ કરી. બીજગણિતને સમજવા અને સમજાવવા એમણે વિવિધ પદ્ધતિઓના પ્રયોગ કર્યા. સૌર વર્ષની સ્પષ્ટ ગણના સાથે જલલી કૅલેન્ડરની એમણે રચના કરી હતી. વળી સંસારની ક્ષણભંગુરતાને કેન્દ્રમાં રાખીને અનેક રૂબાઈ અર્થાત્ ચોપાઈઓની એમણે રચના કરી. 19મી સદીમાં ઍડવર્ડ ફિટ્ઝ ગેરાલ્ડે ઉમર ખય્યામના કાવ્યસંગ્રહ ‘રૂબાઇયત’નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. હિન્દી ભાષામાં ‘ખય્યામ કી મધુશાલા’ એ ખૂબ પ્રખ્યાત કાવ્યસંગ્રહ છે. પરમ તત્ત્વ તથા સંસારનું તત્ત્વજ્ઞાન ઉમર ખય્યામે ઉમદા રીતે સમજાવ્યું હતું. ભારતના દાર્શનિકો પણ ઉમર ખય્યામના જ્ઞાનથી પ્રભાવિત હતા. પરમહંસ યોગાનંદ સ્વામીએ ઉમર ખય્યામનાં પુસ્તકો તથા વિચારોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. 83 વર્ષની વયે એમનું અવસાન થયું. સંગીત, સાહિત્ય તથા જીવનના તત્ત્વજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર બાબતે ઉમર ખય્યામનું પ્રદાન આજે એક હજાર વર્ષે પણ યાદ કરવામાં આવે છે. જીવનનાં તથા બ્રહ્મનાં રહસ્યો ખોલી આપતું એવું ઉમર ખય્યામનું સર્જન માનવજાત માટે મોટી મિરાત સમું છે.