Categories
વાચન સમૃદ્ધિ

રમણલાલ શેઠ 

જ. 6 જૂન 1917 અ. 5 ઑક્ટોબર 1978

ગુજરાતના નીડર પત્રકાર અને તંત્રી રમણલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં થયો હતો. તેમણે
બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. પછી એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કરી એની સાથે ‘સયાજીવિજય’ને ભેળવી દીધું. તેમણે થોડો વખત ‘ગુજરાત સમાચાર’માં કામ કર્યું હતું. 1953માં એમણે ‘જનસત્તા’ દૈનિક શરૂ કર્યું હતું. આર્થિક મુશ્કેલીને કારણે 1974માં તેમણે ‘લોકસત્તા’ અને ‘જનસત્તા’ બી. ડી. ગોએન્કાને સોંપી દીધાં હતાં. તેમણે ‘ચાંદની’, ‘રંગતરંગ’ તેમજ ‘નૂતન ગુજરાત’ શરૂ કર્યાં હતાં. તેઓ સક્રિય પત્રકાર હતા. ગુજરાતમાં આંદોલનો દરમિયાન તેઓ સ્થળ પર જાતે જઈને સાચો અહેવાલ આપતા હતા. તેઓ લોકોની મુશ્કેલીઓ અને અપેક્ષાઓને વાચા આપતા હતા. આથી એમણે સરકારની નારાજગી પણ વહોરવી પડી હતી. નવનિર્માણનાં આંદોલન વખતે તેમણે લખેલા લેખોને કારણે એમની ધરપકડ કરવામાં આવી હતી. ભાલ પંથકમાં દુષ્કાળને પરિણામે સંખ્યાબંધ ઢોરો મૃત્યુ પામ્યાં હતાં ત્યારે તેમણે એ અહેવાલ તસવીરો સાથે ‘જનસત્તા’માં પ્રસિદ્ધ કર્યો હતો. આથી રાજ્ય સરકારે એમના છાપાને જાહેરાત આપવાનું બંધ કરી દીધું હતું. રમણલાલ શેઠે તત્કાલીન મુખ્યમંત્રીને અહેવાલની ખરાઈ કરવા કહ્યું હતું. જાતતપાસ પછી એમના છાપાની જાહેરખબર શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષની રચના થઈ હતી ત્યારે એક ઉદ્યોગપતિએ એમને કોરો ચેક આપી તેમના છાપામાં સ્વતંત્ર પક્ષનો પ્રચાર કરવા કહ્યું હતું. એ વખતે રમણભાઈના માથે દેવું હતું તેમ છતાં તેમણે તે માટે ના પાડી હતી. તેમની સ્મૃતિમાં ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે સ્વ. રમણલાલ શેઠ સ્મૃતિ વ્યાખ્યાન યોજવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સતીશચંદ્ર મુખર્જી

જ. 5 જૂન, 1865 અ. 18 એપ્રિલ, 1948

શ્રી અરવિંદો ઘોષ સાથે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં અગ્રેસર સતીશચંદ્ર મુખર્જીનો જન્મ બાંદીપુર, પશ્ચિમ બંગાળમાં થયો હતો. કૉલકાતાના ભવાનીપુરમાં દક્ષિણ ઉપનગરીય શાળાના વિદ્યાર્થી તરીકે, સતીશચંદ્રને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસેથી પ્રેરણા મળી હતી. 1886માં તેઓ પ્રેસિડેન્સી કૉલેજમાં જોડાયા અને 1890માં તેમણે એમ.એ. અને બી.એલ.ની ડિગ્રી મેળવી અને કૉલકાતા હાઈકોર્ટમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. 1887માં તેમને બહેરામપુર કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના લેક્ચરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1895માં તેમણે ભાગવત ચતુષ્પતિની સ્થાપના કરી, જે ઉચ્ચશિક્ષણની વૈકલ્પિક પ્રણાલીનો પ્રથમ પ્રયાસ હતો. તેઓ ‘ડોન’ મૅગેઝિનના સ્થાપક અને સંપાદક હતા. તેમણે ભારતીય યુનિવર્સિટી કમિશનના અહેવાલનો વિરોધ કર્યો હતો. 1889માં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ માટે યોજના ઘડી હતી. તેમણે ડોન સોસાયટીનું આયોજન કર્યું હતું. તે યુવાનોની તાલીમ ભૂમિ અને દેશભક્તિની નર્સરી તરીકે કાર્યરત હતી. શ્રી અરવિંદો દ્વારા રજૂ કરાયેલા નવા શિક્ષણશાસ્ત્રના કાર્યક્રમ સાથે સુસંગત, સોસાયટીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું ધ્યાન દેશની જરૂરિયાતો તરફ દોરવાનો, ભારત માતાને પ્રેમ કરવાનો, તેમના નૈતિક ચારિત્ર્યને કેળવવાનો, મૌલિક વિચારસરણીને પ્રેરણા આપવાનો હતો. 1907માં શ્રી અરવિંદના રાજીનામા પછી સતીશચંદ્ર તેમના સ્થાને બંગાળ રાષ્ટ્રીય કૉલેજના આચાર્ય અને દૈનિક ‘વંદે માતરમ્’ના યોગદાનકર્તા બન્યા હતા. 1914માં સંત બિજોય કૃષ્ણ ગોસ્વામીના કહેવાથી તેઓ વારાણસી ગયા અને આધ્યાત્મિક ખોજ માટે પોતાના મૃત્યુ સુધી ત્યાં જ સ્થાયી રહ્યા. જીવતરામ કૃપાલાણીએ તેમનો પરિચય ગાંધીજી સાથે કરાવ્યો હતો. જ્યારે પણ ગાંધીજી વારાણસી જતા ત્યારે સતીશચંદ્ર સાથે સમય વિતાવતા. નિયમિત પત્રોની આપ-લે કરવાની ટેવમાં, સતીશચંદ્રએ છેલ્લી વખત ગાંધીજીને 24 જાન્યુઆરી, 1947ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં શ્વાસનિયંત્રણ સાથે રામનું નામ કવી રીતે જપવું તે સમજાવવામાં આવ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ભગત પૂરન સિંહ

જ. 4 જૂન, 1904 અ. 5 ઑગસ્ટ, 1992

લેખક, પર્યાવરણવિદ અને સમાજસેવી ભગત પૂરન સિંહનો જન્મ લુધિયાણા જિલ્લાના રાજેવાલ(રોહનો)માં થયો હતો. પિતા છિબ્બૂમલ્લ અને માતા મેહતાબ કૌર. બાળપણનું નામ રામજીદાસ હતું, પરંતુ તેમણે શીખ ધર્મ અપનાવ્યા પછી તેમનું નામ પૂરન સિંહ રાખવામાં આવ્યું. પિતાના અવસાન પછી તેમને ભણાવવા માટે માતાએ ઘરકામ કર્યાં. તેમણે દસમા ધોરણથી અભ્યાસ છોડ્યો. તેઓ લાહોરમાં હતા ત્યારે ગુરુદ્વારા દેહરાસાહિબમાં પ્રવેશનારના હાથ ધોવા પાણી પૂરું પાડતા, ગુરુદ્વારાનાં પ્રાણીઓની સંભાળ રાખવામાં અને રસોડામાં મદદ કરતા. તેઓ રસ્તામાં પડેલા પથ્થરો, કેળાંની છાણ, ખીલીઓ જેવી વસ્તુ ઉઠાવતા હતા જેથી વાહનો અને ચાલનારાઓને તકલીફ ન પડે. 1934માં તેમણે ગુરુદ્વારા દેહરાસાહિબના દ્વાર પર ત્યજાયેલા રક્તપિત્તથી પીડાતા ચાર વર્ષના શિશુની સારવાર કરી અને પોતાની પાસે રાખ્યું હતું. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે અમૃતસરના શરણાર્થી શિબિરમાં સેવા આપી. તેમણે બીમાર અને અપંગો માટે અમૃતસરમાં ઑલ ઇન્ડિયા પિંગલવારા ચૅરિટેબલ સોસાયટીની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા તેમણે પર્યાવરણને લગતાં પૅમ્ફ્લેટ્સ અને પુસ્તકોનું વિતરણ કર્યું. તેમણે પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી, પ્રવચનો આપ્યાં અને પુસ્તકો પણ લખ્યાં. તેમણે આજીવન ખાદીનો પ્રચાર કર્યો હતો. તેમણે કરેલાં ઉમદા કાર્યો બદલ ભારત સરકારે તેમને 1981માં પદ્મશ્રીથી નવાજ્યા હતા. પરંતુ 1984માં ઑપરેશન બ્લૂ સ્ટાર પછી તેમણે તેમના મળેલા પુરસ્કારો અને ચંદ્રકો પરત કર્યા હતા. 1991માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમની સ્મૃતિમાં દિવ્યાંગો માટે કૃત્રિમ અંગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. 2005માં ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસરમાં ભગત પૂરન સિંહ ચૅરની સ્થાપના કરવામાં આવી. 2004માં તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. ‘એહ જનમ તુમ્હારે લેખે’ નામની ફિલ્મમાં તેમને દર્શાવવામાં આવ્યા હતા.