Categories
વાચન સમૃદ્ધિ

ધીરુભાઈ ઠાકર

જ. 27 જૂન, 1918 અ. 24 જાન્યુઆરી, 2014

ગુજરાતી ભાષાના સંશોધક, સંપાદક, નાટ્યવિદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રણેતા અને ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરનો જન્મ કોડીનારમાં થયો હતો. એમનું ઉપનામ સવ્યસાચી હતું. ધીરુભાઈ ઠાકર વિદ્વત્તાની સાથે સ્વચ્છ પારદર્શક વ્યક્તિત્વને કારણે સાહિત્યજગતમાં ઋષિતુલ્ય સ્થાન ધરાવતા હતા. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં સાલસ ગૃહિણી હતાં. ઘરમાં ગિરિધરકૃત રામાયણનું નિત્ય વાચન તથા પાઠ થતા હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં થયું. મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક તથા અનુસ્નાતકનો અભ્યાસ કરીને ત્યાં જ અધ્યાપનકાર્ય શરૂ કર્યું.  અમદાવાદ ગુજરાત કૉલેજ તથા મોડાસા કૉલેજમાં અધ્યાપન અને આચાર્યપદે સેવા આપીને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં સંપૂર્ણ કેળવણી આપી. એમની દૃષ્ટિ વિદ્યાર્થીને નહિ પરંતુ આખા સમાજને કેળવવાની હતી. ત્યાંથી નિવૃત્ત થયા બાદ 1985માં શિષ્ય અને માનસપુત્ર કુમારપાળ દેસાઈના સહયોગથી ગુજરાત વિશ્વકોશની સ્થાપના કરી.  ગુજરાતીમાં વિશ્વકોશ બનાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યું. વિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકે જીવનપર્યંત કાર્યરત રહ્યા. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ 2000-2001માં સેવા આપી હતી. તેમને અનેક ઍવૉર્ડ એનાયત થયા છે જેમાં 1994માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1999માં ગુજરાત ગૌરવ પુરસ્કાર, 2002માં વિદ્યાવિકાસ પુરસ્કાર, 2012માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઍવૉર્ડ , વીરનર્મદ પુરસ્કાર તથા ભારત સરકાર તરફથી 2014માં પદ્મભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થયા હતા. એમના સેવાકાર્ય બદલ સમગ્ર ગુજરાત એમનું ઋણી છે.

Categories
વાચન સમૃદ્ધિ

રામ રાઘોબા રાણે

જ. 26 જૂન, 1918 અ. 11 જુલાઈ, 1994

પરમવીરચક્રથી સન્માનિત સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણેનો જન્મ કર્ણાટકના હાવેરીમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ થયું હતું. તેઓ 1930માં અસહકારની લડતમાં જોડાયા આથી પિતાએ તેમને ચેન્ડિયા મોકલ્યા. તેઓ 10 જુલાઈ, 1940ના રોજ બૉમ્બે સેપર્સ રેજિમેન્ટમાં જોડાયા. તેમને જાપાનીઓ સામે લડવા માટે બથીડોંગ મોકલવામાં આવ્યા. બ્રિટિશ સેનાએ પીછેહઠ કરવી પડી ત્યારે બ્રિટિશ ડિવિઝનના કમાન્ડરે તેમને બથીડોંગ રહેવાનું કહ્યું. તેમને દુશ્મનોના શસ્ત્રસરંજામ અને વાહનોનો નાશ કરવાનો હતો એ પછી બ્રિટિશ નૌકાદળના જહાજમાં તેમણે આવવાનું હતું, પરંતુ બ્રિટિશ જહાજો ન આવતાં તેમણે જંગલમાં જાપાનીઓને હાથતાળી આપી ટુકડીને હેમખેમ બહાર લાવ્યા. આથી અંગ્રેજોએ તેમને હવાલદાર તરીકે બઢતી આપી. આઝાદી પછી ભારતીય સેનામાં તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા. રાજૌરીને મુક્ત કરવા માટે નૌશેરાથી નીકળેલી ટુકડીમાં રામ રાણે પણ હતા. નદપુર પહોંચતા દુશ્મનોએ તોપમારો ચલાવ્યો. રામ અને તેમના સાથીદારોએ રસ્તામાં બિછાવેલી સુરંગોને નિષ્ક્રિય કરી. રસ્તામાં મૂકવામાં આવેલાં પથ્થરો અને વૃક્ષો દૂર કર્યાં. આ દરમિયાન રામ જમણા પગે જખમી થયા છતાં પોતાની ફરજમાંથી ચલિત ન થયા. તેમણે મોડી રાત સુધી સુરંગોને શોધવાનું અને નિષ્ક્રિય કરવાનું કામ ચાલુ રાખ્યું. રામ સ્ટુઅર્ટ ટૅન્કરના બે કેટરપિલર પટ્ટા વચ્ચેની જગ્યામાં છાતીસરસા સૂઈ ગયા અને પછી ધીરે ધીરે ટૅન્ક ચલાવડાવી. ટૅન્ક આગળ વધતાં પોતે બે હાથથી શરીરને ખેંચીને આગળ વધતા રહ્યા અને સુરંગોનો નાશ કરતા રહ્યા. આમ, તેમણે રાજૌરીને કબજે કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કલાકો સુધી આરામ અને ભોજન વગર સતત કામ કર્યું હતું. તેમને 14 જાન્યુઆરી, 1950ના રોજ લેફ્ટનન્ટ અને 14 જાન્યુઆરી, 1954ના રોજ કૅપ્ટન તરીકે બઢતી આપવામાં આવી હતી. 25 જૂન, 1968ના રોજ મેજરના પદ પરથી નિવૃત્ત થયા. યુદ્ધમાં કરેલી અદ્વિતીય કામગીરી માટે તેમને 8 એપ્રિલ, 1948ના રોજ પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન મનોજકુમાર પાંડે

જ. 25 જૂન, 1975 અ. 3 જુલાઈ, 1999

પરમવીરચક્ર વિજેતા કૅપ્ટન મનોજ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના રુઢા ગામમાં થયો હતો. પિતા ગોપીચંદ અને માતા મોહિની. તેમણે લખનઉની હેરાલ્ડ મૉન્ટેસોરી સ્કૂલ અને રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો પછી લખનઉની સૈનિક સ્કૂલમાં દાખલ થયા. બારમું ધોરણ પાસ કરી નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. પછી વધુ તાલીમ માટે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા અને 7 જૂન, 1997માં 11મી ગોરખાં રાઇફલ્સની પહેલી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટેનન્ટ બન્યા. સર્વિસીસ સિલેક્શન બોર્ડ ઇન્ટર્વ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે, તમે સેનામાં કેમ જોડાવા માગો છો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, હું પરમવીરચક્ર મેળવવા માગું છું. તેમણે 1999માં કુકરથાંગ, જુબર અને બીજાં શિખરો પરથી પાકિસ્તાની સૈનિકોને હાંકી કાઢ્યા હતા. 2/3 જુલાઈ, 1999ની રાત્રે મનોજકુમાર પાંડેએ સૈનિકો સાથે પહેલવાન ચોકી તરફ કૂચ કરી. તેમને ટેકરીની બંને બાજુથી ગોળીબારનો સામનો કરવો પડ્યો. મનોજકુમારે એક ટુકડીને જમણી તરફ મોકલી અને પોતે ડાબી તરફ દુશ્મનોના બંકરો સાફ કરવા આગળ વધ્યા. ગોળીબાર વચ્ચે તેમણે પહેલું બંકર કબજે કર્યું. બીજા બંકરના દુશ્મનોને હેન્ડ ગ્રેનેડ વડે માર્યા અને બંકર કબજે કર્યું. ત્રીજા બંકર તરફ જતાં ગોળીબારમાં સાથીદારો ઘવાયા. મનોજકુમારના ખભા અને જાંધમાં ગોળીઓ વાગી તેમ છતાં તેમણે ત્રીજા બંકર પર હુમલો કરવાની સૂચના આપી પોતે બીજી દિશાએથી આગળ વધ્યા. પેટે ઘસડાઈ બંકરની પાછળની બાજુએ પહોંચ્યા. છરાના ઘાથી દુશ્મનોને મારી નાખ્યા. પોતાના ઘાની પરવા કર્યા વિના તેઓ પેટે ઘસડાતા આગળ વધ્યા અને હેન્ડ ગ્રેનેડનો ઘા કર્યો એ જ વખતે દુશ્મનની ગોળીઓ મનોજકુમારના કપાળની આરપાર નીકળી ગઈ. તેમના ગ્રેનેડથી દુશ્મનોનો નાશ થયો. જીવનના ભોગે બંકરો કબજે કર્યા. ઉપરાંત શસ્ત્રો અને દારૂગોળાનો ભંડાર પણ મેળવ્યો. તેમના અજોડ પરાક્રમ અને ફરજનિષ્ઠા માટે તેમને પરમવીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની શહાદત પછી અનેક સ્થળો, રમતની ટ્રૉફી, સ્ટેડિયમ, મકાનો, ચોક વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. દ્રાસમાં કારગિલ યુદ્ધ સંગ્રહાલયની એક ગૅલરીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. અમરચિત્ર કથા દ્વારા અઢારમી વાર્તા તેમને સમર્પિત કરવામાં આવી છે.