Categories
વાચન સમૃદ્ધિ

ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોં

જ. 17 જુલાઈ, 1943 અ. 14 ડિસેમ્બર, 1971

1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોંનો જન્મ લુધિયાણા જિલ્લાના રૂરકા ઇસેબલ ગામમાં થયો હતો. પિતા ત્રિલોક સિંહ અને માતા હરબંસ કૌર. પિતા વાયુસેનામાં હતા. નિર્મલજીત સિંહનું શાળેય શિક્ષણ અજિતસર મોહી હાઈસ્કૂલમાં થયું હતું. 1962માં દયાલબાગ એન્જિનિયરિંગ કૉલેજમાં દાખલ થયા પરંતુ અભ્યાસ છોડીને ફાઇટર પાઇલટ તરીકે વાયુદળમાં જોડાયા. તાલીમ પછી ઑક્ટોબર, 1968માં 18 સ્ક્વૉડ્રનમાં સામેલ થયા. 1971માં લગ્ન થયા. એ સમયે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થતાં તેઓ યુદ્ધમોરચે ગયા. પાકિસ્તાન તરફથી થતા હવાઈ હુમલામાં ઍરસ્પેસની સુરક્ષાની જવાબદારી 18 સ્ક્વૉડ્રનને આપવામાં આવી હતી. 14 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાનના 6F -86 જેટે શ્રીનગર ઍરબેઝ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની વિમાનોએ સ્ટ્રીપ પર ઊડી ગોળીઓનો મારો ચલાવ્યો. આ સ્થિતિમાં ઉડાન ભરવી મુશ્કેલ હતી તેમ છતાંય નિર્મલજીત સિંહે ઉડાન ભરી અને દુશ્મનનું એક વિમાન તોડી પાડ્યું. બીજું વિમાન આગની લપેટમાં આવ્યું. આ દરમિયાન ફ્લાઇંગ લેફ્ટેનન્ટ ધુમ્મન સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હોવાથી તેઓ એકલા આકાશમાં દુશ્મનો સાથે લડી રહ્યા હતા. પાકિસ્તાનના ચાર સૈબર વિમાનોએ તેમના વિમાનને ઘેરી લીધું. લડાઈ ખૂબ ઓછી ઊંચાઈ પર થઈ તોપણ તેમણે એકલાએ હિંમત હાર્યા વિના સામનો કર્યો. તેમના વિમાન પર દુ્શ્મનોએ હુમલો કરતાં તેમનું વિમાન તૂટી પડ્યું અને તેઓ શહીદ થયા. તેમનાં વિમાનનો ભંગાર મળી આવ્યો પરંતુ તેમનો મૃતદેહ ન મળ્યો. ભારત સરકારે તેમના અજોડ પરાક્રમ બદલ તેમને મરણોત્તર પરમવીરચક્રથી સન્માનિત કર્યા હતા. આંદામાન અને નિકોબારના ટાપુઓમાં એક ટાપુનું નામ નિર્મલજીત સિંહના નામ પરથી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, લુધિયાણા જિલ્લા કોર્ટ અને શાળામાં પણ તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતના ટપાલખાતાએ જાન્યુઆરી, 2000માં પાંચ રૂપિયાની ટપાલટિકિટ તેમની સ્મૃતિમાં બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

જગદીશચંદ્ર માથુર

જ. 16 જુલાઈ, 1917 અ. 14 મે, 1978

હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત નાટ્યકાર, લેખક જગદીશચંદ્ર માથુરનો જન્મ ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા ગામે થયો હતો. અલાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. 1941માં ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે પસંદગી પામ્યા. ત્યારબાદ છ વર્ષ માટે બિહાર સરકારમાં શિક્ષણ સચિવ તરીકે કામગીરી કરી. 1955-62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા. 1963-64માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય અમેરિકામાં વિઝિટિંગ ફેલો નિમાયા. ત્યાંથી પરત આવ્યા બાદ વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. તેઓ થોડો વખત સંગીત નાટક અકાદમીના સભ્યપદે રહેલા. તેમણે થોડો સમય ભારત સરકારના હિંદીના સલાહકાર તરીકે પણ કામ કરેલું. તેમણે ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું ‘આકાશવાણી’ નામકરણ કર્યું હતું. ટી.વી.ને ‘દૂરદર્શન’ નામ આપવાનો શ્રેય પણ તેમને ફાળે જાય છે. સરકારી કામકાજમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે નાટ્યસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં પણ અદ્વિતીય યોગદાન આપ્યું છે. હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના બધા જ દિગ્ગજ લેખકોને તેઓ રેડિયો પર લાવ્યા હતા, જેમાં સુમિત્રાનંદન પંતથી લઈને રામધારી સિંહ ‘દિનકર’, બાલકૃષ્ણ શર્મા ‘નવીન’નો સમાવેશ થાય છે. હિંદીના માધ્યમથી તેમણે સાંસ્કૃતિક પુનઃ જાગરણ સ્થાપિત કર્યું હતું. 12 વર્ષની વયથી તેમણે લેખનકાર્યથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1936માં તેમના પ્રથમ એકાંકી ‘મેરી બાંસુરી’ના રંગમંચનથી જ તેમને ખ્યાતિ મળી. ત્યારબાદ તેમના નાટ્યસંગ્રહો ‘ભોર કા તારા’ (1946) અને ‘ઓ મેરે સપને’ (1956) અતિ લોકપ્રિય બન્યા. તેઓ હિંદી રંગમંચ અને લોક રંગમંચના વિદ્વાન અધિષ્ઠાતા ગણાયા. તેમની સાહિત્યકૃતિઓ પૈકી ‘કોણાર્ક’ (1950), ‘કુંવરસિંહ કી ટેક’ (1955), ‘આશાદીપ’ (1956), ‘શારદીયા’ (1959) અને ‘પહલા રાજા’ (1969) વિશેષ ગણનાપાત્ર છે. તેમના ‘કોણાર્ક’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. તેમણે સંસ્મરણાત્મક નિબંધો પણ આપ્યા છે, જેનું હિંદી સાહિત્યમાં આગવું સ્થાન છે. ‘દસ તસવીરે’(1964)માં વિવિધ ક્ષેત્રોની દસ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં શબ્દચિત્રો આપ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

કે. કામરાજ

જ. 15 જુલાઈ 1903 અ. 2 ઑક્ટોબર 1975

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ અને મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન કામરાજ કુમારસ્વામીનો જન્મ તમિલનાડુના વિરુધુનગરમાં થયો હતો. છ વર્ષની વયે પિતાને ગુમાવ્યા હતા. તેઓ 1920માં કૉંગ્રેસમાં જોડાયા. તેમણે નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમણે ચેન્નાઈમાં તલવાર સત્યાગ્રહ શરૂ કર્યો. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેઓ બે વર્ષ માટે જેલમાં ગયા હતા. તેમને છ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેઓ વિધાનસભા ચૂંટણીમાં સત્તુર બેઠક પર જીત્યા. તેઓ 1946માં ભારતની બંધારણ સભામાં અને બાદમાં 1952માં સંસદમાં પણ ચૂંટાયા હતા. તેમણે 13 એપ્રિલ, 1954થી 2 ઑક્ટોબર, 1963 સુધી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી હતી. તેમણે બંધ કરાયેલી 6000 શાળાઓ ફરીથી શરૂ કરી અને 12,000 વધુ નવી શાળાઓ ખોલી. અગિયારમા ધોરણ સુધીનું શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું. તેમના વહીવટ દરમિયાન તમિલનાડુ ભારતના શ્રેષ્ઠ વહીવટી રાજ્યોમાંના એક તરીકે જાણીતું બન્યું હતું. 1963માં તેમણે સૂચન કર્યું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંગઠનાત્મક કાર્ય કરવા માટે મંત્રીપદ છોડી દેવું જોઈએ, જે ‘કામરાજ યોજના’ તરીકે જાણીતું બન્યું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. નહેરુના અવસાન પછી વડા પ્રધાન બનવાની ના પાડી હતી. તેમણે તમિલનાડુના મુખ્ય મંત્રી તરીકે આપવામાં આવેલી Z-સ્તરની સુરક્ષાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમને ‘કાલવી થંથાઈ’ (‘શિક્ષણના પિતા’) તેમજ ‘મદુરાઈના ગાંધી’ પણ કહેવામાં આવતા હતા. તેમને 1972માં કૉપર બૉન્ડ ઍવૉર્ડ અને 1976માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં ભારત સરકારે 100 અને 5 રૂપિયાના સ્મારક સિક્કા બહાર પાડ્યા હતા. તેમની સ્મૃતિમાં ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલ-1નું નામ ‘કામરાજ ટર્મિનલ’ અને એન્નોર પૉર્ટનું નામ ‘કામરાજ પૉર્ટ લિમિટેડ’, મરાઈમલાઈ નગર રેલવેસ્ટેશનનું નામ મરાઈમલાઈ નગર કામરાજ રેલવેસ્ટેશન, મદુરાઈ યુનિવર્સિટીનું નામ મદુરાઈ કામરાજ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. 2004માં તેમની જીવનકથા પર આધારિત ‘કામરાજ’ નામની તમિલ ભાષામાં ફિલ્મ બનાવવામાં આવી છે.