Categories
વાચન સમૃદ્ધિ

કુમુદિની લાખિયા

જન્મ 17 મે, 1930 અવસાન 12 એપ્રિલ, 2025

 કલાપ્રેમી કુટુંબમાં જન્મેલાં કુમુદિનીબહેનનો નૃત્યપ્રેમ માતા લીલા જયકરે નાનપણમાં જ પારખી  લીધો હતો. માતા ખુદ ગાયિકા હોવાથી તેમણે કુમુદિનીને નૃત્યકળામાં પોતાની કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યાં. સાત વર્ષની ઉંમરે તેમણે બનારસ અને બિકાનેર ઘરાનાના ગુરુજનો પાસે તાલીમ શરૂ કરી. 1947માં સત્તર વર્ષની ઉંમરે તેમને નૃત્યકાર શ્રી રામ ગોપાલ સાથે નૃત્યનાટિકામાં કામ કરવાની તક મળી, આ તક તેમના જીવનમાં સીમાચિહનરૂપ બની રહી. તેમણે  દેશ-વિદેશમાં તેમની સાથે અઢળક કાર્યક્રમો કર્યાં. જયપુર ઘરાનાના ગુરુઓ પાસે તથા લખનૌ ઘરાનાના ગુરુ શંભુ મહારાજ પાસે તેમણે નૃત્યની વિશેષ તાલીમ લીધી. તેમણે કથકને વ્યક્તિગત રજૂઆત સુધી સીમિત ન રાખતાં સમૂહમાં રજૂ કરવાનું બીડું ઝડપ્યું અને ખૂબ લોકચાહના પામ્યાં. કથકની રજૂઆતોમાં ચાલ્યા આવતા પરંપરાગત વાર્તાસંદર્ભોમાં પણ તે જહેમતથી આમૂલ પરિવર્તન લાવ્યાં. 1967માં તેમણે અમદાવાદમાં ‘કદંબ’ સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં નવી પેઢીને તેમણે આગવી પદ્ધતિથી કથક શીખવવાનું શરૂ કર્યું અને તેથી જ આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી. આ સંસ્થાના કલાકારોએ 1988માં રશિયામાં ઉઝબેકિસ્તાનમાં અને 2007માં ટોકિયોમાં સફળ નૃત્યપ્રસ્તુતિ કરી હતી. 1980માં દિલ્હી ખાતે યોજાયેલ વાર્ષિક કથક મહોત્સવમાં  તેમણે રજૂ કરેલ ‘અત: કિમ?’, 1997-98માં આઝાદીની સુવર્ણજયંતી નિમિત્તે રજૂ કરેલ ‘ડ્રીમ ઑફ ફ્રીડમ’ અને ‘સુવર્ણ’ પણ ખૂબ વખણાઈ. તેમની અન્ય જાણીતી નૃત્યનાટિકા પ્રસ્તુતિમાં ‘ઓખાહરણ’, ‘દશાવતાર’, ‘હોરી’, ‘ધબકાર’, ‘યુગલ’ વગેરે. ‘સૂરસંગમ’, ‘ઉમરાવ જાન’ જેવી હિન્દી ફિલ્મોમાં તેમણે નૃત્યકાર તરીકે કામ કર્યું. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા, જેમાં ઇશીરા પરીખ, મૌલિક શાહ, ઊર્જા ઠાકોર, દક્ષા શેઠ વગેરેનો સમાવેશ થાય છે. નૃત્યકળાને જીવી જનાર આ નૃત્યાંગનાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને મરણોત્તર પદ્મવિભૂષણ(2025)થી સન્માનિત કરાયાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ કલાક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતીને અપાતો ‘પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ 2022માં તેમને અર્પણ કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ડેવિડ ઍડવર્ડ હ્યૂજેસ

જ. 16 મે, 1830 અ. 22 જાન્યુઆરી, 1900

વેલ્શ-અમેરિકી સંશોધક, વ્યવહારુ પ્રયોગકર્તા અને સંગીતજ્ઞ ડેવિડ હ્યૂજેસનો જન્મ લંડનમાં થયો હોવાનું મનાય છે. તેમનો જન્મ સંગીતપ્રતિભાથી સંપન્ન પરિવારમાં થયો હતો. તેમની સાત વર્ષની વયમાં તેમનો પરિવાર અમેરિકા જઈ વસ્યો. તેઓ 6 વર્ષની વય થતાં સુધીમાં તો હાર્પ (harp) અને અંગ્રેજી કોન્સર્ટિના (English concerting) વગાડવામાં સક્ષમ થઈ ગયા હતા. સમય જતાં ઉત્તમ કક્ષાના વાદ્યસંગીતમાં તેઓ નિપુણ થઈ ગયા. તેમની સંગીતપ્રતિભા જોઈ અમેરિકાના એક પ્રખ્યાત જર્મન પિયાનોવાદક હેરહાસ્ટે તેમને કેંટકીની સેંટ જોસેફ કૉલેજમાં સંગીતના પ્રોફેસર તરીકે નિયુક્તિ અપાવી. 1855માં હ્યૂજેસે એક પ્રિન્ટિંગ ટેલિગ્રાફી પ્રણાલી તૈયાર કરી. તેમણે પ્રિન્ટિંગ ટેલિગ્રાફની અમેરિકી પેટન્ટ પ્રાપ્ત કરી. 1857માં તેઓ પાછા લંડન ગયા. યુરોપમાં હ્યૂજેસની ટેલિગ્રાફ પ્રણાલીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળી. 1878માં ટેલિફોન માટે વિકસિત કરાતી ધ્વનિ(ઇલેક્ટ્રૉનિક સાઉન્ડ ઇફેક્ટ)ની અસર પર સંશોધન કર્યું. તેમનું આ સંશોધન નવા માઇક્રોફોન તરીકે ઓળખાયું. તેમની આ શોધ પર તેમણે પેટન્ટ ક્યારેય ન કઢાવી જેથી ભવિષ્યમાં બીજા નિષ્ણાતો તે પર વધુ સંશોધન કરી શકે. તેમનો શોધપત્ર 8 મે, 1878માં લંડનની રૉયલ સોસાયટી સમક્ષ થોમસ હેનરી હકસલ દ્વારા વાંચવામાં આવ્યો અને તેમના આ નવા માઇક્રોફોનને ટેલિગ્રાફ જર્નલ અને ઇલેક્ટ્રિકલ રિવ્યૂના 1 જુલાઈના અંકમાં સમાવિષ્ટ કર્યો. તેમણે સંશોધનોમાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખીને ઉત્તમ પ્રકારના કાર્બન માઇક્રોફોનની શોધ કરી. આ વિકસિત કાર્બન માઇક્રોફોને ટેલિફોનમાં ધ્વનિને સ્પષ્ટ રૂપથી પ્રસારિત કરવાનું શક્ય બનાવ્યું. તેઓ રેડિયોતરંગોની શોધક્ષેત્રે તથા વિદ્યુતસંચારક્ષેત્રે અગ્રણી ગણાય છે. વિજ્ઞાનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ તેમને અનેક સુવર્ણચંદ્રકો તથા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 1880માં રૉયલ સોસાયટીના ફેલો નિમાયા. 1885માં રૉયલ મેડલથી પુરસ્કૃત થયા. તેમના અવસાન બાદ રૉયલ સોસાયટી દ્વારા ભૌતિકવિજ્ઞાનક્ષેત્રે મૌલિક શોધ કરનાર વૈજ્ઞાનિકને હ્યૂજેસ મેડલથી સન્માનવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

દેવેન્દ્રનાથ ટાગોર

જ. 15 મે, 1817 અ. 19 જાન્યુઆરી, 1905

દેશપ્રેમી, ધર્મસુધારક અને તત્ત્વચિંતક દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા દ્વારકાનાથ અને માતા દિગંબરી દેવી. સાત વર્ષ ઘરે અને પછી હિંદુ કૉલેજમાં અભ્યાસ કર્યો. 18 વર્ષની ઉંમરે દાદીમાના મૃત્યુ સમયે તેમને રહસ્યપૂર્ણ અનુભવ થયો એ પછી તેઓ આધ્યાત્મિક માર્ગે વળ્યા. તેઓ રાજા રામમોહન રાય અને કેશવચન્દ્ર સેનના સંપર્કમાં આવ્યા. તેમણે મૂર્તિપૂજા અને સતીપ્રથાનો વિરોધ કર્યો. તેમણે 1832માં ‘સર્વ તત્ત્વદીપિકા સભા’ નામની સંસ્થાની સ્થાપના કરી. 1939માં ‘તત્ત્વબોધિની સભા’ની સ્થાપના કરી અને તેના મંત્રી બન્યા. તેમણે 1846માં ‘હિંદુ હિતાર્થી વિદ્યાલય’ની અને 1851માં ‘ધ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના કરી. તેમણે પંડિતોની મદદ લઈ ‘બ્રહ્મોધર્મ’ ગ્રંથ તૈયાર કર્યો. 1843માં ‘હિંદુ થિયૉફિલૅન્થ્રૉપિક સોસાયટી’માં જોડાયા. તેમણે બોલપુરમાં ‘બ્રહ્મચર્યાશ્રમ’ની સ્થાપના કરી. તેમના પુત્ર રવીન્દ્રનાથ ટાગોરે ત્યાં શાંતિનિકેતનની સ્થાપના કરી. તેઓ ભારતીય સંસ્કૃતિના પક્ષધર હતા. તેમણે ‘તત્ત્વબોધિની પત્રિકા’ પ્રકાશિત કરી હતી. તેઓ મહર્ષિ તરીકે જાણીતા હતા. ‘બ્રહ્મોધર્મ’ અને ‘આત્મત્તતો વિદ્યા’, ‘જ્ઞાન ઓ ધર્મેર ઉન્નતિ’, ‘પોરોલો ઓ મુક્તિ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના ‘બ્રહ્મોધર્મ’ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેમણે ગરીબ ગ્રામજનોના ચોકીદારી કરને માફ કરવા માટે અને ભારતને સ્વતંત્ર કરવાની માગ કરતો બ્રિટિશ સંસદને પત્ર લખ્યો હતો. તેઓ બાળલગ્ન અને બહુપત્નીત્વના વિરોધી હતા. તેમણે વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું હતું.