Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણસુખ નાયક

જ. 23 એપ્રિલ, 1910 અ. 12 માર્ચ, 1989

ગુજરાતી રંગભૂમિના નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા પ્રાણસુખ નાયકનો જન્મ મહેસાણા જિલ્લાના જગુદણ ગામે થયો હતો. પિતા મણિલાલ મૂળચંદ નાયક પણ લોકપ્રિય ભવાઈકલાકાર હતા. અભિનયનો વારસો પરિવારમાંથી પ્રાપ્ત થયો હતો. તેમણે ગુજરાતી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નવ વર્ષની ઉંમરથી રંગભૂમિ સાથે જોડાયા. તેઓ સૌપ્રથમ સૂરતની દેશી નાટક કંપનીમાં જોડાયા. એ પછી મોતીલાલ નંદવાણાની આર્યનીતિ નાટક સમાજ અને એ પછી પ્યારેલાલ મહેતાની વિદ્યાવિનોદ નાટક સમાજ અને મુંબઈ ગુજરાતી નાટકમંડળીમાં જોડાયા. ગુજરાત નાટકમંડળીમાં સૂરજરામ નાયક, બાપુલાલ નાયક અને જયશંકર ‘સુંદરી’ દ્વારા તાલીમ મળી. તેમણે ‘કુમળી કળી’ નાટકમાં બનારસની નારીનું પાત્ર ભજવ્યું આથી ‘લખનોરી તેતર’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે ‘કૉલેજગર્લ’માં કૉલેજકન્યાનો રોલ કર્યો. તેઓ પ્રાણસુખ ‘તેતર’ના નામે જાણીતા હતા. મુંબઈ નાટકમંડળી બંધ થતાં તેઓ પાલિતાણા ભક્તિપ્રદર્શક મંડળી અને પ્રભાત નાટકમંડળીમાં જોડાયા. ‘નટમંડળ’ના ‘મિથ્યાભિમાન’ નાટકમાં જીવરામ ભટ્ટની અને ‘મેનાં ગુજરી’માં બ્રાહ્મણની ભૂમિકા ભજવી. તેમણે દર્પણ એકૅડેમી ઑવ પર્ફૉર્મિંગ આર્ટસમાં અને શ્રેયસ ફાઉન્ડેશનમાં પણ સેવા આપી હતી. તેમણે ‘પ્રાણ થિયેટર્સ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે રંગમંચ પર 22,455 વખત અભિનય કર્યો હતો. આથી 1989માં ગિનિસ બુક ઑવ્ રેકૉર્ડસમાં તેમનું નામ નોંધવામાં આવ્યું છે. તેમણે ‘જુગલ જુગારી’, ‘પવિત્ર લીલાવતી’, ‘સત્તાનો મદ’, ‘વીણાવેલી’, ‘સંતાનોના વાંકે’, ‘સતી દમયંતી’ જેવાં ઘણાં પ્રસિદ્ધ નાટકોમાં અભિનય કર્યો હતો. ‘ભવની ભવાઈ’ ફિલ્મમાં જ્યોતિષી તરીકે અભિનય કર્યો હતો. તેમણે અભિનય ઉપરાંત આઠ નાટકો લખ્યાં હતાં, જેમાં ‘બાળોતિયાંના બળેલા’, ‘બંધ છીપનાં મોતી’, ‘બિરબલની છત્રી’, ‘બાળભક્ત પ્રહલાદ’નો સમાવેશ થાય છે. 1963માં ગુજરાત રાજ્ય નાટક અકાદમી દ્વારા અને 1974માં સંગીત નાટક અકાદમી દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રાધાબાઈ સુબારાયણ

જ. 22 એપ્રિલ, 1891 અ. 1 જાન્યુઆરી, 1960

ભારતનાં પ્રથમ મહિલાસાંસદ. રાધાબાઈનો જન્મ મેંગ્લોર, કર્ણાટકમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મેંગ્લોરની જ એક શાળામાં પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ મદ્રાસ(ચેન્નાઈ)ની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયાં. પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડની સમરવિલે કૉલેજમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી. તેઓ અખિલ ભારતીય મહિલા સંમેલનનાં સભ્ય બન્યાં અને તેમાં કાર્યરત રહ્યાં. 1930માં બેગમ શાહનવાઝ સાથે તેઓએ લંડનમાં પ્રથમ ગોળમેજી સંમેલનમાં ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વળી દ્વિતીય ગોળમેજી સંમેલનમાં પણ ભાગ લીધો અને મહિલાઓ માટે પાંચ પ્રતિશત આરક્ષણની માંગ પણ કરી હતી. 1937માં તેઓ જનરલ બેઠક પરથી કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવા ઇચ્છતાં હતાં, પણ મદ્રાસ પ્રોવિન્શિયલ રિસેપ્શન સમિતિના અધ્યક્ષે તેમને સમર્થન ના આપ્યું. તેમણે સી. રાજગોપાલાચારી પાસે પણ પોતાનો પક્ષ રાખ્યો, પણ તેમને સફળતા ન મળી. જોકે 1938માં તેમણે ચૂંટણીમાં ભાગ લીધો અને નિર્વિવાદ રાજ્ય પરિષદમાં ચૂંટાઈ આવ્યાં હતાં. આમ તેઓ ભારતનાં પ્રથમ મહિલાસાંસદ બન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

નંદશંકર મહેતા

જ. 21 એપ્રિલ, 1835 અ. 17 જુલાઈ, 1905

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ના લેખક નંદશંકર મહેતાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા તુળજાશંકર અને માતા ગંગાલક્ષ્મી. બાળપણ મોસાળ ઓલપાડમાં વીત્યું. તેમણે અંગ્રેજી માધ્યમની શાળામાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો અને એ જ શાળામાં શિક્ષક તરીકે જોડાયા. 1958માં તેઓ પહેલા ભારતીય હેડમાસ્ટર બન્યા. એ પછી સૂરતની શિક્ષક તાલીમ કૉલેજના આચાર્ય તરીકે જોડાયા અને 1867 સુધી કાર્ય કર્યું. તેમણે લાઇસન્સ ટૅક્સ ખાતામાં અને મુલકી ખાતામાં કામ કર્યું. તેઓ અંકલેશ્વરના મામલતદાર બન્યા. 1880થી 1883 સુધી કચ્છ રાજ્યના દીવાન અને 1883માં ગોધરામાં આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ થયા. તેઓ નાંદોદમાં આસિસ્ટન્ટ ઍડમિનિસ્ટ્રેટર અને ચીફ રેવન્યૂ ઑફિસર હતા. સૂરત મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ સમાજસુધારક હતા. તેઓ વિધવા પુનર્લગ્ન, સ્ત્રીશિક્ષણ માટે તેમજ વિદેશયાત્રા પર પ્રતિબંધ નાબૂદી માટે સતત પ્રયત્ન કરતા હતા. તેમણે અસ્પૃશ્યતાનો પણ વિરોધ કર્યો હતો. દુર્ગારામ મહેતા, દલપતરામ તથા અન્ય સાથીદારો સાથે ‘માનવધર્મની સભા’ની સ્થાપના કરી. તેઓ ‘બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય હતા. 1890માં નિવૃત્ત થયા પછી તેમણે વિવિધ સામાજિક સંગઠનોમાં કામ કર્યું હતું. તેમણે એકમાત્ર નવલકથા ‘કરણઘેલો’ લખી. આર. જી. ભંડારકરના ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ અને ‘ત્રિકોણમિતિ’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. તેમણે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખો લખ્યા હતા. તેમના પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે. તેઓ હંસા જીવરાજ મહેતાના દાદા હતા. 1877માં તેમને રાવબહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.