Categories
વાચન સમૃદ્ધિ

ઉપેન્દ્ર ત્રિવેદી

જ. 14 જુલાઈ 1937 અ. 4 જાન્યુઆરી 2015

ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ઇન્દોરમાં. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજજૈન ખાતે નોકરી કરતા હતા. એટલે પ્રાથમિક શિક્ષણ ઉજજૈનમાં થયું. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. પિતાના અવસાન પછી મોટા ભાઈ ભાલચંદ્ર પાસે મુંબઈ ગયા. મુંબઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું. તેઓ કૉલેજકાળથી જ નાટકોમાં ભાગ લેતા હતા. તેમણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પરથી નાટક લખી તેમાં દિગ્દર્શન અને અભિનય પણ કર્યો. આ ઉપરાંત ‘બાંધવ માડીજાયા’, ‘મેજર ચન્દ્રકાન્ત’, ‘પારિજાત’, ‘વેવિશાળ’, ‘નૌકાડૂબી’ વગેરે નાટકો કર્યાં. ‘અભિનયસમ્રાટ’ નાટકથી તેમને ‘અભિનયસમ્રાટ’નું બિરુદ મળ્યું. તેમણે ‘કાદુ મકરાણી’ તથા ‘મેંદી રંગ લાગ્યો’માં ભૂમિકાઓ કરી. ત્યાર પછી કેટલાંક ચલચિત્રોમાં કામ કર્યા બાદ ચલચિત્રોથી દૂર થઈ ગયા. તેઓ આકાશવાણી સાથે જોડાયા. ફરી પાછા ચલચિત્રોમાં આવ્યા. તેમણે સોએક ચલચિત્રોમાં લોકકથાઓનાં પાત્રોને પડદા પર જીવંત કર્યાં. ‘જેસલ તોરલ’, ‘માલવપતિ મુંજ’, ‘કાદુ મકરાણી’, ‘રાજા ભરથરી’, ‘વીર માંગડાવાળો,’ ‘રાણકદેવી’, ‘હોથલ પદમણી’, ‘જોગીદાસ ખુમાણ’ ‘શેતલને કાંઠે’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘સંતુ રંગીલી’, ‘સોન કંસારી’, ‘અમર દેવીદાસ’, ‘મચ્છુ તારાં વહેતાં પાણી’ વગેરે તેમનાં લોકપ્રિય ચલચિત્રો છે. તેમણે ‘પવિત્ર પાપી’થી હિંદી ચલચિત્રોમાં પ્રવેશ કર્યો. એ પછી તેમણે ઘણાં ચલચિત્રોમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવી હતી. પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી તેમણે ચલચિત્ર બનાવ્યું. એમાં તેમણે કાળુની ભૂમિકા ભજવી. આ ચલચિત્રને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમની છેલ્લું ચલચિત્ર ‘માબાપને ભૂલશો નહીં’ હતું. તેમણે 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા જિલ્લાની ભિલોડા બેઠક પરથી બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે વિધાનસભાના ઉપાધ્યક્ષપદે, ગુજરાત ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષપદે અને સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો, માહિતી તથા શહેરી ગૃહનિર્માણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનપદે પણ કાર્ય કર્યું હતું. તેમને પં. ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

કેસરબાઈ કેરકર

જ. 13 જુલાઈ, 1892 અ. 16 સપ્ટેમ્બર, 1977

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જયપુર-અત્રોલી ઘરાનાની પ્રસિદ્ધ ગાયિકા કેસરબાઈ કેરકરનો જન્મ ગોવાના કેરી નામના નાનકડા ગામમાં થયો હતો. આઠ વર્ષની કુમળી વયે તે કોલ્હાપુર ગયાં અને અબ્દુલ કરીમખાં પાસે સંગીતની તાલીમ લીધી. પછી પાછાં ગોવા ગયાં અને રામકૃષ્ણ બુવા વઝે પાસે તાલીમ લીધી. 1909માં તેઓ મુંબઈ આવ્યાં. પટિયાલા રાજ્યના સિતારવાદક અને દરબારી સંગીતકાર બરકતુલ્લા ખાંસાહેબ પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. તેમણે નૃત્યની પણ તાલીમ લીધી હતી. 1911માં તેમણે જયપુર ઘરાનાના સંગીતકાર ખાંસાહેબ અલ્લાદિયાખાં પાસેથી કઠિન શરતો સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. તેઓ દરરોજ નવથી દસ કલાક સુધી રિયાજ કરતાં. તેમણે 1929થી જાહેર કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું હતું. 1930માં પેશાવર ગાયિકી શરૂ કરી. તેનાથી કેસરબાઈને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને ઉચ્ચ વર્ગના શ્રોતાઓની સામે પોતાની ગાયિકી રજૂ કરવા લાગ્યાં. તેઓ પોતાની પેઢીના સૌથી સારાં ખયાલ ગાયિકા બન્યાં. મોટા ભાગની ગ્રામોફોન રેકૉર્ડ કંપનીઓએ તેમની રેકૉર્ડ બહાર પાડી હતી. સંગીતક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 1953માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો. તેમને 1948માં કૉલકાતાની સંગીતપ્રવીણ સંગીતાનુરાગી સજજન સન્માન સમિતિ દ્વારા સુરશ્રી સન્માન મળ્યું હતું. 1969માં ભારત સરકારે તેઓને પદ્મભૂષણથી નવાજ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યનાં પ્રથમ રાજ્ય-ગાયિકાની ઉપાધિ અને 1975માં સૂરસિંગાર સંસદ દ્વારા શારંગદેવ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તેમની સ્મૃતિમાં કલા અકાદમી, ગોવા દ્વારા દર વર્ષે સુરશ્રી કેસરબાઈ કેરકર સ્મૃતિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. નાસાના 1977ના વૉયેજર મિશનમાં તેમનું રેકૉર્ડિંગ સુવર્ણ રેકૉર્ડમાં જળવાયેલું છે. આમ અવકાશમાં પ્રથમ ભારતીય અવાજ કેસરબાઈ કેરકરનો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

પાબ્લો નેરુદા

જ. 12 જુલાઈ, 1904 અ. 23 સપ્ટેમ્બર, 1973

દક્ષિણ અમેરિકાના જગપ્રસિદ્ધ સ્પૅનિશ કવિ પાબ્લો નેરુદાનો જન્મ ચિલીમાં થયો હતો. તેઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી, લોકપ્રિય કવિ તથા રાજનેતા હતા. તેમનું મૂળ નામ નેફતાલી રિકાર્ડો રેઇસ બોસાલ્ટો હતું. તેમની ચાર વર્ષની વયે માતાનું અવસાન થતાં પિતાએ પુનર્લગ્ન કર્યાં અને ચિલીની દક્ષિણે તેમુકામાં રહેવા ગયા. ત્યાં વનપ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને નેરુદાની કલ્પનાશક્તિને વેગ મળ્યો. ત્યાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ સાથે જ તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તેમુકાનાં અખબારોમાં નેરુદાના આરંભનાં કાવ્યો પ્રગટ થવા માંડ્યાં. પોતાનો પુત્ર કવિ થાય તે સામે પિતાનો પ્રચંડ વિરોધ હતો આથી કવિએ પોતાના પ્રિય ચેક સાહિત્યકાર યાન નેરુદાની અટક અપનાવી પાબ્લો નેરુદા તખલ્લુસ અપનાવ્યું. સોળ વર્ષની વયે તેઓ ચિલીની રાજધાની સાન્ટિયાગોમાં વધુ અભ્યાસાર્થે ગયા. ત્યાંની શિક્ષણ-સંસ્થામાં તેમની કાવ્યકૃતિ ફિએસ્ટા સૉંગને પ્રથમ પારિતોષિક મળ્યું. 1923માં તેમનો પ્રથમ અને 1924માં બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થતાં ચિલીમાં તેમની કીર્તિ ચારેકોર ફેલાઈ. ચિલીની સરકારે નવોદિત કવિઓને પ્રોત્સાહન આપવા માટે તેમને પ્રથમ યુરોપ અને ત્યારબાદ પૂર્વના દેશોમાં મોકલ્યા. 1932માં તેઓ ભારત સહિત કેટલાક દેશોમાં ફરી દક્ષિણ અમેરિકા પાછા ફર્યા. 1936માં સ્પેનમાં ફાટી નીકળેલ આંતરવિગ્રહ દરમિયાન તેમણે પ્રગતિવાદી દૃષ્ટિકોણ અપનાવી સામાજિક રીતે પ્રતિબદ્ધ થઈને કવિતાઓ લખી. 1943માં તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ ધારાસભામાં પણ સેનેટર તરીકે ચૂંટાયા. 1950માં તેમણે કેન્ટો જનરલ નામે દીર્ઘકાવ્ય પ્રગટ કર્યું. જે તેમનું ઉત્તમ, યશસ્વી મહત્ત્વાકાંક્ષી સર્જન છે. તેમણે લખેલું એલિમેન્ટલ ઓડ્ઝ 1954થી 1957 દરમિયાન ત્રણ ખંડોમાં પ્રકાશિત થયું. તેમણે લગભગ 12થી વધુ કાવ્યસંગ્રહો અને લગભગ 7000 પૃષ્ઠોમાં તેમણે કાવ્યો લખ્યાં છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેમનાં કાવ્યો તથા વ્યાખ્યાનોનો અનુવાદ થયેલો છે. ગહન પ્રેમ, પ્રકૃતિ, ક્રાન્તિ, માનવઅધિકારો પ્રત્યેની તેમની ભાવુકતા અને સશક્ત કવિતાઓ માટે પ્રસિદ્ધ નેરુદાને 1971માં સાહિત્યના નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.