Categories
વાચન સમૃદ્ધિ

ઉમા દેવી ખત્રી (ટુનટુન)

જ. 11 જુલાઈ, 1923 અ. 24 નવેમ્બર, 2003

હિન્દી ફિલ્મજગતની ગાયિકા, પ્રથમ હાસ્ય અભિનેત્રી ઉમા દેવી ખત્રીનો જન્મ અમરોહ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. ગાયિકા તરીકે ઉમાદેવી તથા અભિનેત્રી તરીકે ટુનટુનના નામથી જાણીતી આ કલાકાર ફિલ્મજગતમાં એક અવિચળ સ્થાન ધરાવે છે. માત્ર અઢી વર્ષની વયે માતા-પિતાની હત્યા અને ચાર વર્ષની વયે એકના એક ભાઈની હત્યા થતાં બાળપણમાં જ તેઓ અનાથ બની ગયાં. સગાસંબંધીઓના ભરોસે ઓશિયાળા ઉછેર સાથે ઉમા દેવી અનેક યાતનાઓ અનુભવતાં રહ્યાં. કુદરતી રીતે સુંદર ગાઈ શકતાં હોવાથી ફિલ્મજગતમાં ગાયિકા તરીકે નસીબ અજમાવવા તેઓ ભાગીને મુંબઈ આવ્યાં. સંગીતકાર નૌશાદના ઘરની બહાર પોતાને ગવડાવવાની વિનમ્ર જીદ લઈને તેઓ દિવસો સુધી બેસી રહ્યાં. એમના ગાયનથી અભિભૂત થઈને 1947માં ફિલ્મ ‘દર્દ’માં નૌશાદે ઉમા દેવી પાસે ‘અફસાના લિખ રહી હૂં દિલે બેકરાર કા’ ગવડાવ્યું અને ઉમા દેવી એક ગાયિકા તરીકે સક્રિય તથા ખ્યાતનામ થવા લાગ્યાં. યાતનામય બાળપણ છતાં સ્વભાવે આનંદી ઉમા દેવીએ પોતાના ભારે શરીર તથા રમૂજી અભિનયને પોતાની શક્તિ બનાવી 1950માં ફિલ્મ ‘બાબુલ’ દ્વારા અભિનયમાં પદાર્પણ કર્યું અને સૌપ્રથમ હાસ્ય અભિનેત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. હાસ્ય અભિનેત્રી તરીકે એક તોફાની નામ વધુ અસરદાર રહેશે એવા અભિપ્રાય સાથે અભિનેતા દિલીપકુમારે ઉમા દેવીને ટુનટુનનું વ્યાવસાયિક નામ આપ્યું. ત્યારબાદ ‘ઢોલક’, ‘દિદાર’, ‘અંબર’, ‘ગુનાહ’, ‘આરપાર’, ‘સી.આઈ.ડી.’થી લઈને 1990માં ‘કસમ ધંધે કી’ ફિલ્મમાં અભિનય કરીને ફિલ્મજગતને તિલાંજલિ આપી. ટુનટુન નામ સાથે એમણે 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો તથા ઉમા દેવીના મૂળ નામ સાથે થોડાં ઘણાં ગીતો ગાયાં પરંતુ એ બધાં જ ગીતો ચિરસ્મરણીય બન્યાં. 1947માં અખ્તર અબ્બાઝ કાઝી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જેમને ઉમા દેવી જીવનપર્યંત મોહન નામથી સંબોધિત કરતાં હતાં. તેમનું લગ્નજીવન ઘણું સમજદારીભર્યું તથા ખુશહાલ રહ્યું. પતિ મોહન મુંબઈમાં એક્સાઇઝ ડ્યૂટી ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપતા હતા. આ દંપતીને ચાર સંતાનો હતાં. 2003માં લાંબી માંદગી બાદ ઉમા દેવીનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

જ્યૉર્જિયો કિરિકો

જ. 10 જુલાઈ, 1888, અ. 20 નવેમ્બર, 1978

ઇટાલીના પરાવાસ્તવવાદી ચિત્રકાર કિરિકો જ્યૉર્જિયોનો જન્મ ગ્રીસમાં થયો હતો. બાળપણમાં ઍથેન્સમાં ડ્રૉઇંગની તાલીમ લીધી હતી. થોડા જ સમયમાં પિતાનું અવસાન થતાં માતા અને નાના ભાઈ સાથે કિરિકો પણ જર્મનીમાં મ્યૂનિક જઈ વસ્યો. જર્મનીમાં સ્વિસ રંગદર્શી ચિત્રકાર આર્નૉલ્ડ બોક્લીનનો પ્રભાવ તેની ઉપર પડ્યો. ઉપરાંત જર્મન ફિલસૂફ નિત્શેનું તેણે પઠન કર્યું અને પરિણામે નિત્શેની અસર પણ ઝીલી. આ બંનેની અસર હેઠળ તેણે હવે એવાં ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં જેમાં સન્નાટો છવાઈ ગયો હોય તેવાં નિર્જન અને પ્રાચીન રોમન ખંડેરોમાં એકલદોકલ આધુનિક માનવીની હાજરી હોય કે દૂર ક્ષિતિજે ચાલી જતી રેલવેગાડી જેવી આધુનિક જીવનની હાજરી જણાતી હોય. પોતાનાં આ રંગદર્શી પ્રકારનાં ચિત્રોને તેણે અને તેના ઇટાલિયન ચિત્રકાર મિત્ર કાર્લો કારાએ મૅટાફિઝિકલ પેઇન્ટિન્ગ્ઝ (પિત્તુરા મેતાફિસ્તા – Pittura Metafisca) તરીકે ઓળખાવેલાં. 1908માં કિરિકો મ્યૂનિક છોડી પહેલાં ઇટાલી અને પછી પૅરિસ ગયેલો. પૅરિસમાં તેની ઓળખાણ પિકાસો અને ઍપોલિનેરે સાથે થઈ. 1915માં કિરિકો વળી ફરી ઇટાલી ગયો અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીના લશ્કરમાં સૈનિક તરીકે ભરતી થયો. રણમોરચે ઘવાતાં તે ફેરારા ખાતે હૉસ્પિટલમાં દાખલ થયો. એ પછીના તેનાં ચિત્રોમાં એકલતાની અને ઘરઝુરાપાની લાગણીનું પ્રમાણ વધતું ગયું; વળી તેમાં ચિત્રિત ખંડેરોથી સર્જાતું વાતાવરણ પણ વધુ ને વધુ ભેંકાર અને ડરામણું બનતું ગયું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરાવાસ્તવવાદી ચળવળને જન્મ આપનાર ફ્રેંચ કવિ આન્દ્રે બ્રેતોંએ સ્વીકારેલું કે કિરિકો પરાવાસ્તવવાદના અગ્રયાયી છે. 1930 પછી કિરિકોની કલામાં અચાનક નવો વળાંક આવ્યો. આધુનિકતાનો ત્યાગ કરી તેણે પ્રશિષ્ટ રેનેસાં અને ગ્રેકોરોમન શૈલીમાં ચિત્રસર્જન કરવું શરૂ કર્યું. અનુઆધુનિક દૃષ્ટિએ પણ કિરિકો મહત્ત્વના કલાકાર છે, કેટલાકને મતે તેઓ અનુઆધુનિકતાના અગ્રયાયી છે. પ્રશિષ્ટ રેનેસાંસ-પ્રવાહ તરફ પાછા વળવા છતાં કિરિકોએ પોતાના અગાઉના આધુનિક ચિત્રસર્જનને ફગાવી દીધું નહિ. તેણે ઇટાલિયન ભાષામાં આત્મકથા લખેલી, જેના અંગ્રેજી અનુવાદનું પ્રકાશન 1971માં થયેલું. 1978માં રોમ ખાતે તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

બેન રૉય મોટલસન

જ. 9 જુલાઈ, 1926 અ. 13 મે, 2022

પ્રસિદ્ધ અમેરિકી-ડેનિશ પરમાણુ ભૌતિક વિજ્ઞાની (Nuclear Physicist) બેન રૉય મોટલસનનો જન્મ અમેરિકામાં શિકાગોમાં થયો હતો. તેમણે પરમાણુ નાભિક(Atomic Nuclei)ની આંતરિક રચના તથા જટિલ આકાર(complex structure)ને લગતા સિદ્ધાંતોને વિકસિત કરવા માટે પાયાનું (pioneer) કામ કર્યું. તેમના પિતા ગુડમેન મોટલસન ઇજનેર હતા. તેમનો પરિવાર યહૂદી હતો. ઇલિનૉય(Illinois)સ્થિત લાયન્સ ટાઉનશિપ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધા બાદ તેઓ સંયુક્ત રાજ્ય નૌસેનામાં જોડાઈ ગયા. ત્યાંથી તેમને પર્ડ્યૂ (Purdue) વિશ્વવિદ્યાલયમાં વધુ તાલીમ અને અભ્યાસ માટે મોકલવામાં આવ્યા. 1947માં તેમને સ્નાતકની પદવી પ્રાપ્ત થઈ. ત્યારબાદ 1950માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય પરમાણુ ભૌતિકીમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. હાર્વર્ડમાંથી ફેલોશિપ મેળવી તેઓ કોપનહેગન યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિક સંસ્થાનમાં જોડાયા. ત્યારબાદ નીલ્સ બોહર સંસ્થામાં કાર્યરત બન્યા અને ડેન્માર્કમાં જ રહી ગયા. તેમણે નોર્ડિક ઇન્સ્ટિટ્યૂટ ફોર થિયૉરિટિકલ ફિઝિક્સ(Nordita)માં પ્રોફેસર તરીકે કામગીરી બજાવી તે પછી તેઓ કૅલિફૉર્નિયાની બર્કલે યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બન્યા અને ત્યાં અનેક સંશોધનો કર્યાં. તેમણે આગે બોહર સાથે મળીને અનેક શોધપત્રો પ્રકાશિત કર્યાં જેમાં સૈદ્ધાંતિક મૉડલોની તુલના પ્રાયોગિક અંકો સાથે કરવામાં આવી. બેન મોટલસન પોતે ડેનિશ અને અમેરિકા એમ બંને દેશોની નાગરિકતા ધરાવતા હતા. પરમાણુ ભૌતિકી ક્ષેત્રે અદ્ભુત સંશોધન બદલ તેમને 1975નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર તેમને ભૌતિકવિજ્ઞાનીઓ આગે બોહર (Aage Bohr) અને જેમ્સ રેનવૉટર (James Rainwoter) સાથે સંયુક્ત રૂપે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને અનેક ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે 1969માં એટમ્સ ફોર પીસ ઍવૉર્ડ, 1974માં જૉન પ્રાઇસ વેદરિલ મેડલ અને 1980માં મારિયન સ્મોલુચોવ્સ્કી મેડલનો સમાવેશ થાય છે.