Categories
વાચન સમૃદ્ધિ

જુથિકા રૉય

જ. 20 એપ્રિલ, 1920 અ. 5 ફેબ્રુઆરી, 2014

અત્યંત મધુર અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા જુથિકા રૉયનો જન્મ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં થયો હતો. ખૂબ નાની વયથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ ઉર્ફે ‘કાઝીદા’ જુથિકા રૉયના માર્ગદર્શક અને પથપ્રદર્શક હતા. તેમની દોરવણી હેઠળ જુથિકાનું પ્રથમ આલબમ બહાર પડ્યું હતું. તે સિવાય બંગાળી સંગીતનિર્દેશક કમલ દાસગુપ્તાના સંગીત હેઠળ પણ તેમણે સુંદર ગીતો ગાયાં છે. 1934-1961ના લગભગ ત્રણ દાયકામાં જુથિકાએ ગાયેલાં હિંદી ગીતોની સંખ્યા આશરે 225 અને બંગાળી ગીતોની સંખ્યા આશરે 140 જેટલી છે. બંગાળી અને હિંદી ભાષાનાં ભજનો ઉપરાંત તેમણે ઉર્દૂ અને તમિળ ભાષામાં પણ થોડાંક ગીતો ગાયાં છે. ભજન અને ગીતો ઉપરાંત તેમણે કવ્વાલી પણ રજૂ કરેલ છે. મીરાંનાં ભજનો ગાવામાં તે વિશેષ ખ્યાતિ ધરાવે છે. મીરાંનાં ભજનોની વિશિષ્ટ પ્રકારની ગાયકીને કારણે જુથિકા રૉય તેમના પ્રશંસકોમાં ‘આધુનિક મીરાં’ના ઉપનામથી જાણીતાં બન્યાં છે. મીરાંબાઈનાં ભજનો ઉપરાંત જુથિકાએ સંત તુલસીદાસ, સંત સૂરદાસ અને સંત કબીર જેવા સંતકવિઓની રચનાઓને પણ પોતાનો કંઠ આપ્યો છે. તેમણે થોડાંક ફિલ્મી ગીતો ગાયાં છે, તેમ છતાં ભજનગાયિકા તરીકે તેમની પ્રતિષ્ઠા વધારે ઊંચી છે. તેમના પ્રશંસકોમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ અને સત્ય સાંઈબાબા જેવાનાં નામ મોખરે મૂકી શકાય. 15 ઑગસ્ટ, 1947ના રોજ તીનમૂર્તિ ભવનના પોતાના શાસકીય નિવાસથી લાલ કિલ્લા સુધી રાષ્ટ્રને સંબોધવા જવા માટે પંડિત નહેરુ પસાર થતા હતા તે જ સમયે આકાશવાણી પરનું જુથિકાનું ગાયન પૂરું થયું હતું, પરંતુ પંડિતજીના સૂચનથી જુથિકા તરત જ આકાશવાણી કેન્દ્ર પાછાં ફર્યાં હતાં અને પંડિતજી લાલ કિલ્લા પર પહોંચે ત્યાં સુધી ભક્તિસંગીત ચાલુ રાખ્યું હતું. ગાંધીજી કોમી એખલાસ અને શાંતિ પ્રસ્થાપિત કરવા માટે નોઆખલીનો પ્રવાસ ખેડતા હતા ત્યારે બેલઘાટ ખાતેના તેમના રોકાણ દરમિયાન ગાંધીજીના આગ્રહથી જુથિકાએ તેમને પાંચથી છ ભજન સંભળાવ્યાં હતાં. 1972માં ભારત સરકારે તેમને પદ્મશ્રી ઇલકાબથી સન્માન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

સુરેખા સિક્રી

જ. 19 એપ્રિલ, 1945 અ. 16 જુલાઈ, 2021

ભારતીય અભિનેત્રી જેમણે ત્રણેય માધ્યમ – ટેલિવિઝન , ફિલ્મ અને નાટકોમાં કામ કર્યું છે અને ઘણા ઍવૉર્ડ મેળવ્યા છે. તેઓ ઉત્તરપ્રદેશમાં આવેલ અલમોડા તથા નૈનિતાલમાં રહેતાં હતાં. શરૂઆતમાં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણ્યાં હતાં. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય નાટ્યશાળામાંથી 1971માં ગ્રૅજ્યુએટ થયાં. તેમણે દસ વર્ષ સુધી આ નાટ્યશાળામાં જ કામ કર્યું. ત્યારબાદ તેઓ મુંબઈ આવ્યાં. તેમના પિતાજી હવાઈ દળમાં કાર્યરત હતા અને માતા શિક્ષિકા તરીકે કાર્ય કરતાં હતાં. તેમનાં લગ્ન હેમંત રેગે સાથે થયાં હતાં. સુરેખા સિક્રીએ ‘બાલિકાબધૂ’ ટેલિવિઝન શ્રેણીમાં કામ કર્યું હતું. તેઓએ 1977માં રાજકીય નાટક ‘કિસ્સા કુર્સી કા’માં કામ કરી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ હિન્દી અને મલયાળમ સિનેમામાં અને સોપ ઑપેરામાં પણ તેમણે કામ કર્યું હતું. તેમના દેખાવને પ્રેક્ષકો તથા વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. તેમણે ઘણી ફિલ્મોમાં અદાકારી કરી હતી, જેમાંની મુખ્ય ફિલ્મોમાં ‘કિસ્સા કુર્સી કા’, ‘અનાડી અનંત’, ‘તમસ’, ‘સલીમ લંગડે પે મત રો’, ‘પરિનતી’, ‘નઝર’, ‘કરામતી કોટ’, ‘લિટલ બુદ્ધ’, ‘મામો’, ‘સરદારી બેગમ’, ‘સરફરોશ’ વગેરે છે. તેઓને ‘મામો’ (1975), ‘તમસ’ (1983) અને ‘બધાઈ હો’ (2018) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ મળ્યો હતો. તેમને હિન્દી રંગભૂમિના તેમના યોગદાન માટે 1989માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ, ફિલ્મફેર ઍવૉર્ડ અને સ્ક્રીન ઍવૉર્ડ એમ ત્રણેય જાતના ઍવૉર્ડ તેમના અભિનયની સરાહના કરવા બદલ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ધોંડો કેશવ કર્વે

જ. 18 એપ્રિલ, 1858 અ. 9 નવેમ્બર, 1962

સમાજસુધારક અને કેળવણીકાર ભારતરત્ન ધોંડો કેશવ કર્વેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના શેરવલી-મુરુડ ખાતે થયો હતો. તેમણે શાળેય શિક્ષણ મુરુડ અને રત્નાગિરિમાં પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગણિત સાથે સ્નાતક થયા અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતના અધ્યાપક બન્યા હતા. તેઓ વિધવા પુનર્લગ્ન અને વિધવા શિક્ષણના પ્રણેતા હતા. તેમની પત્નીનું અવસાન થતાં ‘શારદાસદન’ સ્ત્રીસંસ્થામાંથી આનંદીબાઈ નામની વિધવા સાથે પુનર્લગ્ન કર્યાં આથી બ્રાહ્મણ સમાજે બહિષ્કાર કર્યો હતો. તેમણે 1893માં ‘વિધવાવિવાહ પ્રતિબંધ નિવારક મંડળ’ની સ્થાપના કરી હતી. 1896માં પૂના પાસે હિંગણે(હવે કર્વેનગર)માં વિધવા મહિલાઓ માટે આશ્રમની સ્થાપના કરી હતી. 1907માં આ આશ્રમમાં મહિલાશાળાની સ્થાપના કરી હતી. તેમણે 1910માં ‘નિષ્કામ કર્મ મઠ’ની સ્થાપના કરી હતી. તેમણે ગ્રામ પ્રાથમિક શિક્ષણ મંડળ સ્થાપીને અનેક શાળાઓ શરૂ કરી. આ બધી સંસ્થાઓનું એકત્રીકરણ કરીને ‘મહર્ષિ કર્વે મહિલા શિક્ષણ સંસ્થા’ બનાવવામાં આવી. તેમણે 1929માં આફ્રિકા, જાપાન, યુરોપ અને અમેરિકાની મુલાકાત લીધી. તેઓ આઇન્સ્ટાઇનને મળ્યા. જાપાનની મહિલા યુનિવર્સિટીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે 1916માં પૂનામાં ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ‘શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા યુનિવર્સિટી’(SNDT યુનિવર્સિટી)ની સ્થાપના કરી. તેમણે 1910માં કાર્યકર્તાઓને તૈયાર કરવા માટે ‘નિષ્કામ કર્મ મઠ’ની તથા અસ્પૃશ્યતાનિવારણ માટે 1944માં ‘સમતા સંઘ’ની સ્થાપના કરી. તેમની આત્મકથા મરાઠીમાં ‘આત્મવૃત્ત’ અને અંગ્રેજીમાં ‘લુકિંગ બેક’ નામે પ્રકાશિત થઈ છે. ભારત સરકારના ફિલ્મ વિભાગે ‘ધ સ્ટોરી ઑવ્ ડૉ. કર્વે’ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી છે. તેમના જીવનઆધારિત નાટક ‘હિમાલયાચી સાવલી’ ભજવાયું હતું અને તેનું ગુજરાતી રૂપાંતર ‘નોખી માટી, નોખાં માનવી’ હતું. પૂનામાં કર્વેનગર અને મુંબઈમાં મહર્ષિ કર્વે માર્ગ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. બનારસ હિન્દી યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી દ્વારા તેમને ડી.લિટ.ની પદવી આપવામાં આવી હતી. ભારત સરકારે 1955માં પદ્મભૂષણ અને 1958માં ભારતરત્નથી તેમને સન્માનિત કર્યા હતા.