નિષ્ફળતાના માર્ગ પર સફળતા વસે છે


વિષાદ, ઉદાસી અને નિષ્ફળતા આવતાં આત્મવિશ્વાસ ડગવા માંડે છે. વિષાદને કારણે જગત દુ:ખમય લાગે છે. ઉદાસીનતાને લીધે બધું જ વ્યર્થ ભાસે છે અને નિષ્ફળતા એને નિષ્કર્મણ્યતા તરફ દોરી જાય છે. આવી કટોકટીની ક્ષણે કોઈ સફળ માનવીના જીવનનો વિચાર કરવો જોઈએ. સફળ માનવીઓ વિશે આપણો ખ્યાલ એવો છે કે  એ હંમેશાં સફળ જ રહ્યા છે. એમની પ્રત્યેક સિદ્ધિ એ એમને મળેલી અવિરત સફળતાનું પરિણામ છે. એમનો ભૂતકાળ અને વર્તમાનકાળ બધા જ સફળતાથી ભરપૂર છે, પરંતુ સફળ માનવીનું જીવન જરા ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે એની પ્રત્યેક સફળતા પાછળ કેટલીય નિષ્ફળતા છુપાયેલી છે ! હતાશા, વિષાદ અને સંઘર્ષ સામેની કેટલીય મથામણો બાદ એમણે સફળતા મેળવી છે. સફળતા-પ્રાપ્તિ એ તો એમની એક લાંબી સફરનો અંતિમ પડાવ છે. આને માટે નિષ્ફળતા, ભૂલ, પરાજય અને પછડાટની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. આત્મવિશ્વાસની કટોકટીની ક્ષણોમાં સફળ માનવીના જીવનનો સાચો તાગ મેળવીએ તો આત્મવિશ્વાસ ખંડિત નહીં થાય, બલકે આવી નિર્બળ ક્ષણોનો સામનો કઈ રીતે કરવો એનો નવો મંત્ર મળી રહેશે. સફળ માનવીએ સફળતા પૂર્વે અનુભવેલી નિષ્ફળતા જાણવાથી એ સમજાશે કે આવી નિષ્ફળતાથી હતાશ થવાની જરૂર નથી. મહાન ખેલાડીઓ રમવા જતી વખતે કદી નિષ્ફળતાનો ડર સેવતા નથી. એમને ખ્યાલ છે કે સફળતાના માર્ગમાં નિષ્ફળતા તો આવતી જ રહે ! નિષ્ફળતાને સાથે રાખીને એ આગળ વધતો રહે છે અને એ માર્ગે ચાલીને જ સફળતા પામે છે. નિષ્ફળતાના અનેક અલ્પવિરામ પછી સફળતાનું પૂર્ણવિરામ પ્રાપ્ત થાય છે.

કુમારપાળ દેસાઈ

જિસસને પ્રવેશબંધી


વિશ્વમાં સૌથી મોટો ભેદભાવ એ શ્વેત (ગોરા) અને અશ્વેત (કાળા) લોકો વચ્ચે જોવા મળે છે. એક સમયે અશ્વેત લોકોને શ્વેત લોકોએ ગુલામ બનાવ્યા. એમના પર માલિકીહક ભોગવ્યો. એમની પાસે કાળી મજૂરી કરાવી. આ અશ્વેત લોકોને માટે રહેવાના જુદા વિસ્તારો હતા. ટ્રેનમાં જુદા ડબ્બાઓ હતા અને હોટલ, ગાર્ડન કે અમુક ચર્ચમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. એક શ્રદ્ધાળુ અશ્વેત એક વાર ચર્ચમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે ચર્ચના પાદરીએ તેને અટકાવ્યો. એણે કહ્યું, ‘આ ચર્ચમાં આવીને તમને પ્રાર્થના કરવાનું મન થાય તે હું સમજી શકું છું, પરંતુ પ્રાર્થના કરવી તમને માફક નહીં આવે. અહીં માત્ર શ્વેત લોકોને જ પ્રવેશ છે.’ પેલી અશ્વેત વ્યક્તિ ચર્ચના બારણે ઊભી રહી ગઈ. પાદરીનાં વચનો સાંભળીને ખૂબ નિરાશ થઈ. પાદરીએ એને કહ્યું, ‘તમારી ચામડીના કાળા રંગને કારણે તમે અહીં પ્રાર્થના કરવા માટે પ્રતિબંધિત છો, એને માટે બીજે ક્યાંક જાઓ.’ ‘ચર્ચ સિવાય બીજે ક્યાં જાઉં ?’ પાદરીએ કહ્યું, ‘તમે ઈશુને પ્રાર્થના કરો કે એ તમને કોઈ રસ્તો સુઝાડે.’ થોડાક સમય બાદ પેલા ગર્વિષ્ટ અને રંગદ્વેષી પાદરીને આ અશ્વેત સજ્જન બજારમાં મળી ગયા. પાદરીએ એની ખબર પૂછી. કયા ચર્ચમાં જઈને પ્રાર્થના કરી તેની માહિતી મેળવી, ત્યારે પેલી અશ્વેત વ્યક્તિએ કહ્યું, ‘તમે મને પ્રાર્થના કરવાનું કહ્યું હતું. તમારા સૂચન પ્રમાણે મેં જિસસને પ્રાર્થના કરી. એ પછી પેલી પ્રવેશબંધી અંગે એમને વાત કરી. ત્યારે જિસસે મને કહ્યું, ‘અરે ભાઈ, તું મહેરબાની કરીને એ ચર્ચમાં પ્રવેશવાનો પ્રયત્ન ન કરીશ. તું નિષ્ફળ જ જવાનો. હું પોતે વર્ષોથી એમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજી મને કોઈ સફળતા મળી નથી.’

કુમારપાળ દેસાઈ

સરળ બનવું, તે સૌથી અઘરું છે


સત્ય બે-પરવા હોય છે. એ કોઈથી પ્રભાવિત થતું નથી કે કોઈનું શરણું સ્વીકારતું નથી. એને કોઈ અપેક્ષા હોતી નથી કે મનમાં કોઈ મહત્ત્વાકાંક્ષા સંઘરી રાખતું નથી. જેમ મહત્ત્વાકાંક્ષા આવે તેમ માનવીને બીજા આધારો અને અન્ય સહારા લેવા પડે છે. એને પરિણામે ક્યાંક પ્રપંચ તો ક્યાંક પ્રલોભન એને સત્યના માર્ગેથી ચલિત કરે છે. એ અહંકાર કે આડંબરથી જીવવા લાગે છે અને ધીરે ધીરે પોતાના હૃદયમાં અસત્યનો સંગ્રહ કરવા લાગે છે. અસત્યનું એક ટીપું ક્રમશ: સરોવર કે સાગરનું રૂપ ધારણ કરે છે. સત્યનો અનુભવ પામવો હોય તો આકાશ જુઓ. એ કોઈના આધારે ઊભું નથી અને કોઈની મહેરબાનીનું મોહતાજ નથી. સત્યપ્રાપ્તિનું પહેલું સોપાન સરળતા છે. જીવનમાં વ્યક્તિએ સતત એ ખોજ કરવી જોઈએ કે એના જીવનમાં કેટલી સરળતા છે ? સત્યનો નિવાસ સરળ અંત:કરણ છે. સંતો અને વિભૂતિઓનાં જીવનમાં અંત:કરણની સરળતા દૃષ્ટિગોચર થાય છે. વર્તમાન સમયે પોતાના જીવનમાં સરળતાની વૃદ્ધિ થાય છે કે સરળતા ક્ષીણ થતી જાય છે ? જો સરળતાની વૃદ્ધિ થતી હોય તો માનવું કે જીવનયાત્રા યોગ્ય દિશામાં ગતિમાન છે. જો સરળતા ક્ષીણ થતી હોય તો જાણવું કે અસત્યને આવકાર આપવા આપણે આતુર બની ગયા છીએ અને એ અસત્ય આવતાં દુ:ખ, દ્વેષ, ક્લેશ અને સંતાપ એની પાછળ વાજતે-ગાજતે આવી રહ્યાં છે. માનવી ચહેરા પર મુખવટો રાખીને જીવે છે અને ભીતરની સચ્ચાઈને ભૂલીને શકુનિની જેમ પ્રપંચની ચોપાટ ખેલે છે. પોતાના પાસા પોબાર પડે તે માટે એ મહાભારતને મોજથી આવકારીને મીઠું માને છે.

કુમારપાળ દેસાઈ