Categories
વાચન સમૃદ્ધિ

આકાશમાંથી સીધો જમીન પર

ચીનના મહાન સંત અને ચિંતક કૉન્ફ્યૂશિયસે(ઈ. પૂ. 551થી ઈ. પૂ. 479) 17 વર્ષની ઉંમરે ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતનો અભ્યાસ કર્યો અને બાવીસમા વર્ષે તો પોતાના ઘરમાં જ પાઠશાળા સ્થાપીને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. નમ્ર, વિવેકી અને સત્યવક્તા કૉન્ફ્યૂશિયસની શિક્ષણ આપવાની પદ્ધતિ સૉક્રેટિસની જેમ પ્રશ્નોત્તર સ્વરૂપની હતી. એક વાર કેટલાક રાજનીતિજ્ઞો એમની સાથે વિચારવિમર્શ કરવા આવ્યા અને એમાંના એક નેતાએ પ્રશ્ન પૂછ્યો, ‘કૃપા કરીને અમને કહો કે કઈ વ્યક્તિ આદર્શ અને ઉત્તમ શાસક બની શકે ?’ કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘મહાનુભાવ, જેની પાસે પ્રજાના પાલન-પોષણ માટે પર્યાપ્ત સાધન હોય, દેશની રક્ષા માટે જરૂરી સેના અને શસ્ત્રાસ્ત્ર હોય અને જેના પર પ્રજાને પૂર્ણ વિશ્વાસ હોય, એ જ વાસ્તવમાં ઉત્તમ અને આદર્શ શાસક સાબિત થઈ શકે.’ રાજનીતિજ્ઞે વળતો પ્રશ્ન પૂછ્યો, ‘પરંતુ આ ત્રણમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત કઈ ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘આ બધાંમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ પ્રજાનો વિશ્વાસ છે. શાસક કે સરકાર પ્રત્યે જો જનતાનો વિશ્વાસ ડગી જાય, તો એનું પતન નિશ્ચિત છે, કારણ કે આધુનિક શસ્ત્રો કે સર્વોત્તમ સાધન વગેરે તો ધનથી ખરીદી શકાય, પરંતુ પોતાનું સર્વસ્વ આપી દેવા છતાં વિશ્વાસ ખરીદી શકાતો નથી.’ આ સાંભળી નેતાએ વળતો પ્રશ્ન કર્યો, ‘પ્રજાનો આવો વિશ્વાસ કઈ રીતે સંપાદિત થાય ?’ ત્યારે કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘આ વિશ્વમાં વિશ્વાસ એક એવી બાબત છે કે જે વ્યક્તિ પોતાની દૃષ્ટિ અને આચરણથી પ્રાપ્ત કરી શકે છે. આને માટે આત્માની શુદ્ધતા આવશ્યક છે. જો જનતાનો વિશ્વાસ કોઈ મોટા રાજનેતા પરથી ઊઠી જાય, તો એ જ ક્ષણે પ્રજાની નજરમાંથી આકાશમાંથી સીધો જમીન પર ફેંકાઈ જાય છે.’

Categories
વાચન સમૃદ્ધિ

કામમાં ડૂબી જાવ

ગુલામોના મુક્તિદાતા, આંતરવિગ્રહમાં અમેરિકાના તારણહાર અને અમેરિકાના 16મા પ્રમુખ અબ્રાહમ લિંકન(1809થી 1865)નો જન્મ અત્યંત ગરીબ કુટુંબમાં થયો હતો. એમના પિતા ટોમસ લિંકન અને માતા નાન્સી હૅક્સ અક્ષરજ્ઞાન ધરાવતાં નહોતાં. લાકડાના જાડા પાટિયાના બનાવેલા ઘરમાં અબ્રાહમ લિંકનનો જન્મ થયો. નાની ઉંમરમાં મજૂરી કરવી પડી અને વ્યવસ્થિત અભ્યાસની કોઈ તક મળી નહીં. દેખાવે એ કદરૂપા હતા. એમની પત્ની મેરી ટોડ સતત કંકાસ કરતી હતી. એ યુવાનીમાં આવ્યા ત્યારથી દેવામાં ડૂબેલા રહ્યા. એમના સાસરાપક્ષવાળા પણ ઊંચી, પાતળી, 6 ફૂટ અને 4 ઇંચની દેહયષ્ટિ ધરાવનાર લિંકનના વિચિત્ર અને કઢંગા દેખાવની હાંસી ઉડાવતા હતા. એમના મનમાં હતાશા અને નિરાશા હતી. લાકડાં ફાડવાની અને વહેરવાની મજૂરી કરીને જીવન ગાળતા હતા, પરંતુ લિંકન પાસે મનનો બોજ દૂર કરવાનો એક રસ્તો હતો અને તે કાયદાનો અભ્યાસ. એમણે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના કાયદાઓનો ઊંડો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરતી વખતે લિંકન એમના જીવનની વેદનાઓ અને અભાવોને ભૂલી જતા હતા. અપાર ચિંતાઓને સ્થાને એ કાયદાશાસ્ત્રની આંટીઘૂંટીઓમાં પોતાના મનને ડુબાડી દેતા હતા. એમણે જોયું કે મનમાં રહેલો – હતાશા, ગરીબી, આજીવિકાની ફિકર – એ બધો જ બોજ દૂર કરવાનો એક રસ્તો એ છે કે તમે તમારા મનને કામમાં પરોવી દો. આવી રીતે કાયદાશાસ્ત્રના અભ્યાસમાં મનને પરોવનાર લિંકને કાયદાનાં પાઠ્યપુસ્તકો ઉછીનાં લઈને પણ અભ્યાસ ચાલુ રાખ્યો. માત્ર એક જ વર્ષમાં એમનું નામ એટર્નિસની યાદીમાં સામેલ થયું. એટલું જ નહીં પણ એમની કાયદાની સૂઝ, સમજ અને દૃષ્ટિ વિકસતાં વરિષ્ઠ વકીલ જ્યૉર્જ સ્ટુઅર્ટે એમને ભાગીદાર બનાવ્યા. રાજ્યના વકીલમંડળ(બાર)માં શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. કેટલાય નોંધપાત્ર કેસ જીત્યા. સમવાય સરકારની સર્વોચ્ચ અદાલતે એમની અસાધારણ કાનૂની કુશળતાને બિરદાવી, તેથી તેઓ આખા અમેરિકામાં સમર્થ કાયદાશાસ્ત્રી તરીકે જાણીતા થયા.

Categories
વાચન સમૃદ્ધિ

સન્માન પદમાં કે માનવતામાં ?

સમ્રાટ સિકંદરના સેનાપતિની નિષ્ઠા, કુશળતા અને માનવતા સર્વત્ર પ્રસિદ્ધ હતી. સમ્રાટ સિકંદર સ્વયં એની કાર્યપદ્ધતિથી પ્રસન્ન હતો, પરંતુ એક વાર સેનાપતિથી નાનકડી ક્ષતિ થતાં ગુસ્સે ભરાયેલા સમ્રાટે એને નીચી પાયરી પર ઉતારીને સૂબેદાર બનાવી દીધો, પરંતુ સેનાપતિ પર આનો કશો પ્રભાવ પડ્યો નહીં. એણે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને અગાઉ જેટલી જ નિષ્ઠા, તત્પરતા અને સમર્પણભાવથી કામગીરી બજાવતો હતો. થોડા સમય બાદ કાર્યપ્રસંગે સમ્રાટ સિકંદરને મળવાનું થયું, ત્યારે સમ્રાટ સિકંદરે આ સૂબેદારનો ઉત્સાહ જોઈને પ્રશ્ન કર્યો, ‘તમે સેનાપતિ હતા ત્યારે જેટલા આનંદ અને ઉત્સાહથી રહેતા હતા, એટલા જ આનંદ અને ઉત્સાહથી અત્યારે પણ રહેતા લાગો છો. મને તો એમ કે તમને આ રીતે નીચલી પાયરીએ મૂક્યા તેથી તમે દુઃખી અને હતોત્સાહ થઈ ગયા હશો.’ સૂબેદારે કહ્યું, ‘ના શહેનશાહ, બલ્કે હું વધુ સુખી થયો છું. પહેલાં તો સૈનિકો અને અધિકારીઓ મારાથી ભયભીત રહેતા હતા. નજીક આવતાં ડરતા હતા. હવે એ મને પ્રેમથી મળવા આવે છે અને જરૂર પડ્યે મારી સલાહ પણ લે છે. એ રીતે મને એમની નિકટ આવવાનો અને સેવા કરવાનો સુંદર મોકો મળ્યો છે’ સિકંદરે કહ્યું, ‘એ બધું તો ઠીક, પરંતુ તમને સેનાપતિના સર્વોચ્ચ પદ પરથી દૂર કરીને આવા સામાન્ય સ્થાને મૂક્યા, તેનું તમને અપમાન લાગ્યું નથી ? લોકો તમારી મજાક કરતા હશે અથવા તો મનોમન હાંસી ઉડાવતા હશે, એમ નથી માનતા ?’ સૂબેદારે સિકંદરને વળતો સવાલ કર્યો, ‘શહેનશાહ, તમે મને એ સમજાવશો કે સન્માન પદમાં છે કે માનવતામાં ? ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને કોઈ અહંકારી બની જાય અને અન્ય લોકોની ઉપેક્ષા કરે કે એમના પર જુલમ ગુજારે તો તે નિંદનીય છે. ખરું સન્માન તો ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા અને પરોપકાર છે અને એવું કરવાની મને વિશેષ તક મળતી હોવાથી હું અત્યંત સુખી, સંતુષ્ટ અને આનંદિત છું.’ સૂબેદારનો ઉત્તર સાંભળીને સિકંદરે આખી રાત એના વિશે વિચાર કર્યો અને બીજે દિવસે વહેલી સવારે આ કર્તવ્યનિષ્ઠ સૂબેદારને બોલાવીને એનું છીનવેલું પદ સન્માનભેર પાછું આપ્યું.