Categories
વાચન સમૃદ્ધિ

મારો અભિપ્રાય

બ્રિટનના અગ્રણી મુત્સદ્દી, રૂઢિચુસ્ત પક્ષના નેતા, લેખક અને કુશળ વક્તા સર વિન્સેન્ટ ચર્ચિલે (જ. ઈ. 1874થી અ. ઈ. 1965) બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું. ઈ. સ. 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહીને એમણે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં સિંહફાળો આપ્યો. વિશ્વયુદ્ધની કટોકટીના સમયે દેશને વિજય માટે એમણે આપેલો સંકેત ‘V’ (‘V’ For Victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો હતો. તેઓ વડાપ્રધાન હતા, તે સમયે બ્રિટનની પાર્લમેન્ટમાં કોઈ અગત્યના વિષય પર ચર્ચા ચાલી રહી હતી અને વિન્સેન્ટ ચર્ચિલની વિચારધારાની સામે વિરોધ પક્ષના અગ્રણી વક્તવ્ય આપતા હતા. એમનું પ્રવચન અત્યંત લાંબું, અવ્યવસ્થિત અને કશી નક્કર હકીકતો વિનાનું હોવાથી વિન્સેન્ટ ચર્ચિલ કંટાળી ગયા. વળી, પ્રવચન આપતાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ વિરોધ પક્ષના અગ્રણી અટકતા નહોતા. આથી વિન્સેન્ટ ચર્ચિલ પોતાના સ્થાને બેસીને ઝોકાં ખાવા લાગ્યા અને ધીરે ધીરે પાર્લમેન્ટની પાટલી પર માથું નાખીને નિદ્રાધીન બની ગયા. વિરોધ પક્ષના અગ્રણી તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા. એમણે એકાએક વક્તવ્ય આપવાનું થોભાવીને વિન્સેન્ટ ચર્ચિલ તરફ આંખો માંડી. આથી પાર્લમેન્ટના તમામ સભ્યો વિન્સેન્ટ ચર્ચિલ તરફ જોવા લાગ્યા અને એમને ખ્યાલ આવ્યો કે ચર્ચિલ પાર્લમેન્ટની કાર્યવાહી દરમિયાન ઊંઘી રહ્યા છે. વિરોધી નેતાએ આ પરિસ્થિતિનો પૂરો લાભ લેતાં કહ્યું, ‘વડાપ્રધાન મિ. ચર્ચિલ, તમે ઊંઘો છો તો પછી તમે મારા વિરોધી મુદ્દાઓનો જવાબ કઈ રીતે આપશો ? મારા પ્રવચનના મુદ્દાઓ વિશે તમારે અભિપ્રાય આપવાનો છે, એનો તમને ખ્યાલ છે ને ?’ આ સાંભળીને પાર્લમેન્ટના સભ્યો ખડખડાટ હસવા લાગ્યા, ત્યારે વિન્સેન્ટ ચર્ચિલે આંખો બંધ રાખીને કહ્યું, ‘તમારા પ્રવચન વિશે મારો અભિપ્રાય ? આ ઊંઘ એ જ અભિપ્રાય.’ ચર્ચિલનો આ ઉત્તર સાંભળીને આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

હવે એટલું બનશે !

ટૉમસ કૂપર અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન સંશોધક હતા. તેઓ અંગ્રેજીમાં શબ્દકોશ તૈયાર કરતા હતા અને લંડનમાં રહીને એમની આ સંશોધન-યાત્રા ચાલતી હતી. શબ્દકોશનું ભગીરથ કામ એકલે હાથે કરવું ઘણું મુશ્કેલ હતું, છતાં અપાર ખંત અને ચીવટથી આ કામ કરતા હતા. આઠ આઠ વર્ષના કઠોર પરિશ્રમ પછી અંગ્રેજી ભાષાના શબ્દકોશનો લગભગ બે તૃતીયાંશ ભાગ તૈયાર કર્યો. રાત-દિવસ ટૉમસ કૂપર પોતાના કામમાં ડૂબેલા રહેતા. બસ, એક જ ધૂન કે ક્યારે શબ્દકોશ પૂર્ણ કરું અને મારી માતૃભાષાને ચરણે ધરું. એક વાર ટૉમસ કૂપરનાં પત્નીએ એમને બજારમાંથી જરૂરી ચીજ-વસ્તુઓ લાવવાની યાદી આપી. ખાસ તાકીદ કરી કે સાંજે ઘેર પાછા ફરો ત્યારે આ બધું સાથે અવશ્ય લેતા આવજો. આમાંની એકે ચીજવસ્તુ ભૂલશો નહીં. સંશોધક ટૉમસ કૂપર તો એમના કામમાં ડૂબી ગયા. સાંજ પડી ગઈ, ઘેર પાછા ફરવાનો સમય થયો. પેલી યાદી જ યાદ નહોતી આવતી, ત્યારે ચીજ-વસ્તુઓ ખરીદવાની શી વાત ? આથી કશુંય લીધા વિના ટૉમસ કૂપરે એમના ઘરમાં પ્રવેશ કર્યો. એમને સાવ ખાલી હાથે જોઈને એમની પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો અને એણે ટેબલ પર પડેલી શબ્દકોશની બધી જ ફાઈલો લઈને સગડીમાં નાખી દીધી. ટૉમસ કૂપર આ જોઈને હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘કંઈ વાંધો નહીં. સારું થયું કે તેં આ ફાઈલો સળગાવી દીધી. કારણ કે હું પોતે જ આ શબ્દકોશમાં હજી વધુ શુદ્ધિ-વૃદ્ધિ કરવા ચાહતો હતો. હા, હવે એટલું બનશે કે મારા કામને પૂર્ણ થતાં આઠ વર્ષથી વધુ સમય લાગશે.’ શબ્દકોશનું ધૈર્યભર્યું કાર્ય કરનાર ટૉમસ કૂપરની અપાર સહિષ્ણુતાએ એમને કાર્યસિદ્ધિ અપાવી !

Categories
વાચન સમૃદ્ધિ

સાગરનું પાણી ક્યાં ?

ગ્રીસમાં જૈન્થ્રસ નામનો એક અતિ ધનવાન વેપારી વસતો હતો. જૈન્થ્રસની અઢળક મિલકત જોઈને બહારથી ખુશ દેખાતા મિત્રો ભીતરમાં  એના પ્રત્યે પ્રબળ દ્વેષ ધરાવતા હતા અને તેઓ જૈન્થ્રસની અવમાનના કરવાની તક સદાય શોધતા જ હતા. ધનવાન જૈન્થ્રસની સૌથી મોટી મર્યાદા એ હતી કે મિત્રો સાથેની ચર્ચામાં એવા અતિ ઉત્સાહમાં કોઈ એવી બડાશભરી વાત કરતા કે જે એમને ખુદને મુશ્કેલીમાં મૂકી દેતી. એક વાર જૈન્થ્રસના મિત્રો એની પ્રસંશા કરતા હતા, ત્યારે જૈન્થ્રસે ગર્વભેર કહ્યું, ‘જો હું ઇચ્છું, તો ઊંચાં ઊંચાં મોજાંઓથી ભરેલો આખો સાગર પી જાઉં.’ મિત્રો તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા એટલે તરત એ બધાએ જૈન્થ્રસ સાથે શરત લગાવી અને જૈન્થ્રસે અતિ ઉત્સાહમાં કહી નાખ્યું, ‘જો ત્રણ મહિનાની અવધિમાં આખેઆખો સાગર પી જઈશ નહીં, તો હું જાતે અગ્નિસ્નાન કરીશ.’ એના મિત્રોએ તો આ સાંભળીને ખુશખુશાલ ચહેરે વિદાય લીધી; પરંતુ જૈન્થ્રસ એકલો પડ્યો, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એનો બડાશ મારવાનો સ્વભાવ એને જ કેટલું બધું નુકસાન કરે છે ! હવે કરવું શું ? એ રાત-દિવસ ચિંતામાં ડૂબી ગયો. એણે જાણ્યું કે અહીં ઈસપ નામની બુદ્ધિશાળી વ્યક્તિ સરસ વાર્તાઓ રચે છે. એની પાસેથી પોતાની સમસ્યાનો ઉકેલ મળશે એમ માનીને જૈન્થ્રસ ગયો અને ઈસપે એને એના કાનમાં મુશ્કેલીનો ઉપાય કહ્યો. જૈન્થ્રસ ખુશ થતો થતો પાછો ગયો. ત્રણ મહિના પછી બધા દોસ્ત ભેગા મળ્યા અને ધનવાન જૈન્થ્રસને મળ્યા અને કહ્યું, ‘ચાલ, સાગરને પી જઈને બતાવ.’ જૈન્થ્રસે કહ્યું, ‘મિત્રો, મેં સાગરનું જળ પીવાનું કહ્યું હતું; પરંતુ જ્યારે હું સાગરનું પાણી પીવા એના કિનારે પહોંચ્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે સાગરનું પાણી ક્યાં છે ? આમાં તો અનેક નાની-મોટી નદીઓ પોતપોતાનું પાણી નાખે છે. તમે પહેલાં નદીના પાણીને અલગ કરો, તો હું સમુદ્રનું જળ પી જઈશ.’ જૈન્થ્રસના ઉત્તરે મિત્રોને નિરુત્તર કરી નાખ્યા. પણ એ દિવસથી બડાશભરી વાત ક્યારેય નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.