Categories
વાચન સમૃદ્ધિ

તમે તમારું ભવિષ્ય રચો !

જ્હોન લૉકનો જન્મ ઇંગ્લૅન્ડના બ્રિસટોલથી બાર માઈલ દૂર આવેલા ગામડામાં છાપરાવાળી ઝૂંપડીમાં થયો. ગામડાની સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી એણે લંડનની પ્રખ્યાત વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં વિશેષ અભ્યાસની તક મળી અને આ તેજસ્વી વિદ્યાર્થી માત્ર વીસ વર્ષની વયે ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રવેશ પામ્યા. પરંતુ એક વિદ્યાર્થી તરીકે સ્નાતક કક્ષાના અભ્યાસને જોઈને એને ભારે અકળામણ થઈ. એણે જોયું કે યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ વિચારકોની કૃતિઓ અભ્યાસ કરાવવામાં આવતી હતી જ્યારે વર્તમાન સમયના ફિલૉસૉફરોની કૃતિઓ ભણાવવામાં આવતી નહોતી. આથી એણે થોડા જ વખતમાં મજબૂરી અને પરિવારના દબાણને ફગાવી દઈને પોતાને ગમતા એવા મેડિસિનના વિષયનો અભ્યાસ કરવાની પોતાની ઇચ્છાને સાકાર કરવા પ્રયત્ન કર્યો. એમાં અનુસ્નાતકની પદવી મેળવી અને એ સમયના પ્રસિદ્ધ વિદ્વાનો અને વિચારકો સાથે કામ કર્યું. લોર્ડ એન્થની એશ્લેક કૂપર લિવરના ઇન્ફેક્શનની સારવાર માટે ઑક્સફર્ડમાં આવ્યા, ત્યારે લૉકના જ્ઞાનથી પ્રભાવિત થયા અને એને એમના અંગત ડૉક્ટર તરીકે રહેવા માટે સંમત કર્યા. એ પછી એશ્લેક ઉપરનું લિવર ઇન્ફેક્શન વધતાં જાનનું જોખમ ઊભું થયું, ત્યારે લૉકે જુદા જુદા ડૉક્ટરોની સલાહ મેળવીને એમને સર્જરી કરાવવાની સલાહ આપી અને એને કારણે એશ્લેક લૉકને તેઓ જીવતદાન આપનાર માનતા હતા. પોતાના મેડિકલના વ્યવસાય ઉપરાંત લૉક એ સમયના જાણીતા વિચારકો સાથે ચર્ચા વિચારણા કરતો હતો. આવા બુદ્ધિજીવોની મુલાકાતને કારણે એ પોલિટિકલ સાયન્સના સિદ્ધાંતો પર લખવા લાગ્યો અને રાજ્યતંત્ર પર બે લેખો લખીને સહુનું ધ્યાન ખેંચ્યું. જ્હોન લૉક સમય જતાં પ્રમાણશાસ્ત્ર (એપિસ્ટોનોલૉજી)માં નવી દિશા ઉઘાડનારો બન્યો અને રાજકીય વિચારધારામાં એણે આગવું યોગદાન કર્યું. ફ્રાંસના વૉલ્ટેર અને રૂસો પર તેમજ અમેરિકનોના ક્રાંતિકારીઓ પર એનો પ્રભાવ પડ્યો. અમેરિકાની સ્વાતંત્રઘોષણા પર એના વિચારોની અસર થઈ અને એ ઉદારમતવાદ (લિબરાલિઝમ)ના પિતા તરીકે જાણીતો થયો.

Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો સ્થાયી ઇલાજ

જર્મનીના પ્રજાપ્રેમી સમ્રાટ જ્યોર્જ જોસેફ વેશપલટો કરીને પોતાના રાજ્યમાં ઘૂમતા હતા. એક દિવસ એક નાનકડી ગલીમાંથી પસાર થતા હતા, ત્યારે એક ચીંથરેહાલ યુવકે એમને રસ્તામાં થોભાવીને કહ્યું, ‘‘અરે ભાઈ, મારી માતા લાંબા સમયથી બીમાર છે. એની સારવારમાં મારું સઘળું ધન ખર્ચાઈ ગયું છે. જો હવે તમે મને થોડી રકમ આપો, તો અંતિમ વખત એનો ઇલાજ કરાવવા ઇચ્છું છું. મારી મદદ કરશો ?’’

સમ્રાટ જ્યોર્જ જોસેફે થોડી રકમ આપી અને કહ્યું, ‘‘જા, તું ડૉક્ટરને બોલાવી લાવ. હું તને વધુ મદદ કરવા માટે પ્રયત્ન કરીશ. તું મને તારું સરનામું આપી દે.’’ સમ્રાટ જ્યોર્જ જોસેફ એ ગરીબ યુવાનને ઘેર પહોંચી ગયા. એમણે જોયું તો એક વૃદ્ધા ખાટલા પર સૂતી હતી. બાજુમાં એક નાનો બાળક રડતો બેઠો હતો. સમ્રાટે ડૉક્ટર તરીકે પોતાની ઓળખ આપીને એ વૃદ્ધ સ્ત્રીને એની બીમારી અંગે પૃચ્છા કરી. એ મહિલાએ કહ્યું, ‘‘મારા પતિની આવક પર ઘર ચાલતું હતું, પરંતુ થોડા સમય પહેલાં એમનું મૃત્યુ થયું. ઘરમાં અત્યારે કોઈ કમાનાર નથી. મારા મનમાં સતત એ ચિંતા રહે છે કે જો હું મૃત્યુ પામીશ, તો મારાં અનાથ બાળકોનું શું થશે ? આ ચિંતાએ જ મને બીમાર પાડી દીધી છે.’’

સમ્રાટે કાગળ પર કંઈક લખ્યું અને એ વૃદ્ધાને આપતાં કહ્યું, ‘‘આમાં મેં તમારી બીમારીની દવા લખી છે. તમારા દીકરાને મોકલીને મંગાવી લેજો.’’ આમ કહીને એ ચાલ્યા ગયા. થોડી વારે વૃદ્ધાનો પુત્ર ડૉક્ટરને લઈને આવ્યો, ત્યારે એ વૃદ્ધાએ કહ્યું, ‘હમણાં થોડી વાર પહેલાં જ એક ડૉક્ટર આવી ગયા અને આ કાગળ પર કંઈ દવા લખી ગયા છે.’ આગંતુક ડૉક્ટરે એ કાગળ વાંચીને કહ્યું, ‘તમારી પાસે તો એક અનોખો ડૉક્ટર આવ્યો હતો, જે તમારી બીમારીનો સ્થાયી ઇલાજ કરી ગયો છે. એ કોઈ સાધારણ ડૉક્ટર નહોતા, પરંતુ આપણા દેશના સમ્રાટ જ્યોર્જ જોસેફ હતા.’

સમ્રાટ જ્યોર્જ જોસેફે એ કાગળ પર લખ્યું હતું કે ‘વૃદ્ધા અને એના પરિવારને રાજકોશમાંથી નિયમિત રીતે ધન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.’

Categories
વાચન સમૃદ્ધિ

દાદાની દરિયાની વાત

દરિયાકિનારે આવેલી ઊંચી ટેકરી પર ઝૂંપડીમાં રહેતો વૃદ્ધ હાગામુચી પ્રતિદિન નજર સામે હિલોળા લેતો સાગર આંખ ભરીને જોયા કરતો હતો. અતિ વૃદ્ધ હાગામુચીને બીજું કામ પણ શું હતું ? અને આ સાગરદર્શનનો આનંદ એટલો બધો હતો કે બીજું કામ કરવાની વૃત્તિ પણ ક્યાંથી થાય ? બાળપણમાં દાદા-દાદી પાસેથી દરિયાલાલની કેટલીય કથાઓ સાંભળી હતી અને ત્યારથી દરિયો હાગામુચીના મનમાં વસી ગયો હતો. એ દાદાએ દરિયાનાં શાંત જળની સાથોસાથ દરિયાઈ તોફાન અને ઝંઝાવાતોની કેટલીય વાસ્તવકથાઓ કહી હતી. એક વાર વહેલી સવારે ટેકરી પરથી હાગામુચીએ દરિયા તરફ જોયું તો કોઈ મોટું દરિયાઈ તોફાન ધસમસતું આવતું હતું. બાળપણમાં દાદાએ કહેલી વાતનું સ્મરણ થયું. દરિયાનાં અતિ ઊંચે ઊછળતાં અને વેગથી ધસમસતાં આ વિનાશક મોજાંઓ તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો પર ફરી વળશે તો ? હાગામુચી ગમે તેટલી જોરથી બૂમ પાડે, તોય સંભળાય તેમ નહોતું. ટેકરી પરથી ઝડપભેર નીચે ઊતરીને સહુને ચેતવવા જાય, તો વિલંબ થઈ જાય. હવે કરવું શું ? હાગામુચીએ ટેકરી પરની પોતાની ઝૂંપડી પર આગ ચાંપી અને એ આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડવા લાગ્યા. તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો આગની જ્વાળાઓ અને ઊંચે ઊડતા ધુમાડા જોઈને ટેકરી પર દોડી આવ્યા. બધા ખેડૂતો આગ ઓલવવા એકબીજાની મદદ કરવા માટે ટેકરી પર આવ્યા. આવીને એમણે આગથી ભડભડ સળગતી ઝૂંપડી જોઈ અને બાજુમાં નિરાંતે ઊભેલા હાગામુચીને જોયા. હાગામુચીની નજર તો દરિયામાં ઊછળતાં અતિ પ્રચંડ મોજાંઓ પર હતી. બધાંને આશ્ચર્ય થયું કે પોતાની ઝૂંપડી ભડકે બળે છે અને હાગામુચી તો હાથ જોડીને ઊભા છે! હજી કશું પૂછવા માટે કોઈ એની પાસે પહોંચે, એ પહેલાં તો પ્રચંડ દરિયાઈ મોજાંઓ નીચેનાં ખેતરો પર ફરી વળ્યાં. હાગામુચીએ પોતાની ઝૂંપડી બાળીને દરિયાઈ પ્રલયમાંથી અનેકના જીવ બચાવી લીધા.