Categories
વાચન સમૃદ્ધિ

પ્રમુખને પક્ષી દેખાયું ત્યારે

1901થી 1909 સુધી અમેરિકાના પ્રમુખનો હોદ્દો સંભાળનાર થિયોડોર રૂઝવેલ્ટ(1858થી 1919)ની વિશેષતા એ હતી કે તેઓ વિશ્વના સમર્થ રાજનીતિજ્ઞોથી માંડીને સામાન્યમાં સામાન્ય નોકરો સુધી સહુ કોઈને સાચુકલા હૃદયનો પ્રેમ કરતા હતા. પ્રમુખ તરીકે એ ઑફિસે જવા નીકળે ત્યારે રસ્તામાં એમના નોકરોનાં નિવાસસ્થાન આવતાં હતાં. જો પોતાના નોકરોને એમની ઝૂંપડીની બહાર જોતા નહીં, તો એની ઝૂંપડીની બહાર ઊભા રહીને એને નામથી બોલાવતા. એ નોકર બહાર આવે, ત્યારે હસ્તધનૂન કરતા અથવા તો ભાવભર્યું સ્મિત આપતા. પ્રમુખ રૂઝવેલ્ટના પોતાના અંગત નોકરનું નામ હતું જેમ્સ ઇ. એમોઝ. એક વાર પ્રમુખને એમનાં પત્નીએ કહ્યું કે એમણે ક્યારેય બોબ વ્હાઇટ નામનું પક્ષી જોયું નથી. આ સમયે પ્રમુખનો નોકર જેમ્સ ઇ. એમોઝ પણ ઊભો હતો. એણે આ વાતમાં સાક્ષી પુરાવી કે આ પક્ષી વિશે સાંભળ્યું છે ઘણું, પણ ક્યારેય જોવા મળ્યું નથી. મને પણ એ પક્ષી જોવાની તીવ્ર ઇચ્છા છે એમ કહ્યું. બન્યું એવું કે થોડા દિવસ બાદ પ્રમુખ રૂઝવેલ્ટ એમોઝના ઝૂંપડાની બહારથી પસાર થતા હતા, ત્યારે એમણે એના ઘરની બહાર પક્ષી ઊભેલું જોયું. પ્રમુખે તરત જ એને ફોન કર્યો. ફોન એમોઝની પત્નીએ ઉપાડ્યો. પ્રમુખે એને કહ્યું, ‘જેમ્સ ઇ. એમોઝ જે પક્ષી જોવા માટે અતિ આતુર છે, એ તમારી બારીની બહાર જ બેઠું છે અને જો એ બહાર જોશે તો એને આ પક્ષી જોવા મળશે.’ પ્રમુખ રૂઝવેલ્ટ એમના પ્રેમાળ સ્વભાવને કારણે સામાન્યમાં સામાન્ય કર્મચારીના હૃદયમાં પણ ઘણું ઊંચું સ્થાન પામ્યા હતા. એમના નોકર જેમ્સ ઇ. એમોઝે તો સમય જતાં પ્રમુખનું ઔદાર્ય અને માનવતા દર્શાવતા ઘણા પ્રસંગોયુક્ત સ્મરણકથા લખી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ડર શેનો ?

એલિનૉર રૂઝવેલ્ટ (1884થી 1962) અમેરિકાનાં પ્રખર માનવતાવાદી અગ્રણી, કુશળ લેખિકા અને અમેરિકાના રાજકારણમાં આગવી પ્રતિભા ધરાવનાર મહિલા હતાં. માતા-પિતાનું અકાળ અવસાન થતાં એમનો ઉછેર માતામહીએ કર્યો. એ પછી ચાર વખત અમેરિકાના પ્રમુખ બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સાથે એમનાં લગ્ન થયાં અને એ જાણીતાં થયાં, તેથી એમના પર નિંદા અને ટીકાઓનો વરસાદ વરસવા લાગ્યો. એમના દુશ્મનોએ એમની પ્રસિદ્ધિને કારણે એમની વગોવણી કરવામાં કશું બાકી રાખ્યું નહીં. પ્રમુખ રૂઝવેલ્ટની સાથે ટીકાખોરો એલિનૉરની ટીકા કરવાની એકેય તક ચૂકતા નહોતા. એક દિવસ એલિનૉરે એનાં અનુભવી ફૈબાની સલાહ લીધી. એમનાં ફૈબા એ અમેરિકાનાં કુશળ રાજકારણી અને પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટનાં બહેન હતાં. એલિનૉરે એમને કહ્યું કે, ‘એમની ઇચ્છા તો ઘણાં કાર્યો કરવાની છે, જાહેરજીવનમાં સક્રિય ભાગ ભજવવાની છે, ડેમૉક્રૅટિક પક્ષના મજબૂત ટેકેદાર બનવાની છે; પરંતુ લોકોની ટીકાના ભયને કારણે કશું કરી શકતાં નથી. પોતે કશું કરશે તો લોકો શું કહેશે, એની ચિંતાથી એ સતત ગભરાતાં રહે છે.’ થિયોડોર રૂઝવેલ્ટની બહેને એલિનૉરની આંખમાં આંખ પરોવીને કહ્યું, ‘આવી ફિકર છોડી દે. જે કામ તને તારા હૃદયથી યોગ્ય લાગતું હોય તે નિર્ભય બનીને કર. બીજા લોકો શું કહેશે, તેની પરવા કરવાની લેશમાત્ર જરૂર નથી. આપણે સાચા હોઈએ, પછી ગભરાવાનું શું? જેઓ તારી ટીકા કરે છે, એમની પ્રકૃતિને તારે ઓળખી લેવી જોઈએ. તું કામ કરીશ તો પણ એ તારા માથે છાણાં થાપશે અને તું કામ નહીં કરે, તો પણ તારા પર સતત ટીકાનો વરસાદ વરસાવતા રહેશે એટલે તારે જે કામ કરવું હોય તે એક વખત દિલથી નક્કી કર અને પછી એ કામમાં ડૂબી જા.’ એલિનૉર રૂઝવેલ્ટે ફૈબાની આ સલાહ સ્વીકારી અને એનું પરિણામ એ આવ્યું કે એ અમેરિકાના જાહેરજીવનમાં ખ્યાતનામ મહિલા બન્યાં.

Categories
વાચન સમૃદ્ધિ

શનિવારની સાંજનું ચિંતન

અમેરિકાના એક સમયના આર્થિક બાબતોના નિષ્ણાત એચ. પી. હોવેલનું જીવન એટલે અવિરત પ્રગતિનો ઊંચો ગ્રાફ. સ્કૂલ કે કૉલેજમાં અભ્યાસ કરવાની તકથી વંચિત રહેલા એચ. પી. હોવેલે કરિયાણાની સામાન્ય દુકાનમાં કારકુની કરીને આજીવિકા મેળવવાનો પ્રારંભ કર્યો. નિષ્ઠા, ચીવટ અને પ્રામાણિકતાથી સતત આગળ વધતા રહ્યા. એક સામાન્ય કારકુનમાંથી તેઓ અમેરિકન સ્ટીલ કંપની જેવી વિખ્યાત કંપનીના ક્રૅડિટ મૅનેજર બની ગયા. અહીં પણ એમની પ્રગતિનું પૂર્ણવિરામ આવ્યું નહીં. એથીય આગળ વધીને તેઓ અમેરિકાની કમર્શિયલ નૅશનલ બૅંક ઍન્ડ ટ્રસ્ટ કંપનીના ચૅરમૅન અને બીજી ઘણી કંપનીઓના ડાયરેક્ટર બન્યા અને અમેરિકાના અર્થકારણમાં પોતાની કાબેલિયતથી આગવું સ્થાન ઊભું કર્યું. સૌને આશ્ચર્ય થતું કે એચ. પી. હોવેલે આવી અવિરત પ્રગતિ કરી કઈ રીતે ? એમની પ્રગતિનું રહસ્ય એ હતું કે તેઓ એક નાની એપોઇન્ટમેન્ટ ડાયરી રાખતા હતા અને એમાં દિવસ દરમિયાન કરવાનાં કાર્યોની અગ્રતાક્રમે નોંધ કરતા હતા. આમ રોજેરોજ એ પોતાનાં કાર્યોની અને પરિણામોની નોંધ કરતા જાય અને શનિવાર સાંજે તેઓ નિરાંતે બેસીને ગયા સપ્તાહે કરેલાં કાર્યોનું ચિંતન કરતા હતા. શનિવાર સાંજે એ કુટુંબ કે વેપારનું કોઈ કામ કરતા નહીં, બલ્કે ડાયરી ખોલીને ગયા અઠવાડિયે કરેલી પ્રવૃત્તિ વિશે ઊંડો વિચાર કરતા. પોતે કરેલાં કાર્યો અને લીધેલી મુલાકાતોને યાદ કરતા અને પછી આમાં ક્યાં પોતે કુશળતા દાખવી અને ક્યાં ભૂલ કરી બેઠા, એનું ચિંતન કરતા. ક્યારેક તો એમને ખ્યાલ આવતો કે તેઓ સાવ મૂર્ખાઈભરી ભૂલ કરી બેઠા છે. આથી હવે પછી આવી મૂર્ખાઈભરી ભૂલો ન થાય તેની તકેદારી રાખવાનું નક્કી કરતા અને આમ આત્મચિંતન અને સ્વ-સુધારણા દ્વારા એ એમના જીવનને અને કારકિર્દીને પ્રગતિને પંથે મૂકતા રહ્યા. 1974ની 31મી જુલાઈએ એચ. પી. હોવેલનું અકાળ મૃત્યુ થયું, ત્યારે અમેરિકાના વૉલ સ્ટ્રીટમાં સોપો પડી ગયો હતો, કારણ કે સૌના દિલમાં એ દુ:ખ હતું કે એમણે દેશનો કુશળ અર્થશાસ્ત્રી ગુમાવ્યો છે.