Categories
વાચન સમૃદ્ધિ

સમયનો અભાવ

1952થી 1960 સુધી એટલે કે બે સત્ર સુધી અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડ્વાઇટ ડેવિડ આઇઝનહોવરે (જ. ઈ. 1890, અ. ઈ. 1969) બાહોશ સેનાપતિ, કુશળ રાજકારણી અને નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરનાર તરીકે આગવી પ્રતિભા દાખવી. એમને અનેક રાજપુરુષો સાથે સંઘર્ષમાં આવવાનું બનતું હતું; એટલું જ નહીં, પણ અમેરિકાના એક ભાગ જેવાં દક્ષિણનાં રાજ્યો સામે ઝઝૂમવું પડતું હતું. આઇઝનહોવરના પુત્ર જ્હોનને કોઈએ એમ પૂછ્યું, ‘તમારા પિતા ઉચ્ચ લશ્કરી અધિકારી હતા અને તેથી એમણે ક્યારેય એમના વિરોધીઓ તરફ બળાપો કાઢ્યો હતો ખરો ?’ જનરલ આઇઝન હૉવરના પુત્રએ કહ્યું, ‘મારા પિતાને મેં ક્યારેય શત્રુ દેશો કે એ દેશોના અગ્રણીઓ પ્રત્યે કે અન્ય સૈનિક વડાઓ અંગે કોઈ વિરોધી વાતો કરતા સાંભળ્યા નથી.’ વળી પ્રશ્ન કર્યો, ‘પરંતુ એમણે રાજકારણમાં ઝુકાવ્યું અને ઘણાં પરિબળોનો એમને સામનો કરવાનો આવ્યો, ત્યારે એમની નીતિઓનો વિરોધ કરનાર પ્રત્યે એમણે ક્યારેય નારાજગી વ્યક્ત કરી છે ખરી ?’ જ્હોન આઇઝનહોવરે કહ્યું, ‘મેં મારા પિતાને ક્યારેય કોઈની ઈર્ષ્યા કરતા જોયા નથી. કોઈ નેતા અંગે વિરોધી વાતચીત કે ઉચ્ચારણો કરતા સાંભળ્યા નથી અને કોઈનાય પ્રત્યે એમણે નારાજગી વ્યક્ત કરી નથી.’ ‘આનું કારણ શું ?’ જ્હોને ઉત્તર આપ્યો, ‘આનું કારણ એ કે એમણે એક પણ મિનિટ એવા લોકો વિશે વિચારવામાં બગાડી નથી કે જેમને એ પસંદ કરતા ન હોય કે જે એમની નજરમાંથી ઊતરી ગયા હોય. જેમની સાથે એમને સંઘર્ષ હોય એવી વ્યક્તિ પર પણ એમણે ક્યારેય ગુસ્સો કરીને સમય બરબાદ કર્યો હોય, તેવું મને યાદ નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

બેવડી જવાબદારી

સંખ્યાબંધ યાદગાર કાવ્યોના સર્જક એવા અમેરિકાના પ્રસિદ્ધ કવિ હેન્રી ડબલ્યુ. લૉંગફેલો(ઈ.સ. 1807થી ઈ.સ. 1882)ના જીવન પર અકાળે એક પ્રબળ આઘાત થયો. તોતિંગ વૃક્ષ એકાએક મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડે, તેવી એમના જીવનમાં આઘાતજનક ઘટના બની. મીણને ઓગાળતી એમની પત્નીનાં કપડાંને અચાનક આગ લાગી ગઈ અને એ ચીસાચીસ કરી ઊઠ્યાં. હેન્રી ડબલ્યુ. લૉંગફેલો પોતાની પ્રિય પત્નીને બચાવવા માટે દોડતા ગયા, પરંતુ એ ખૂબ દાઝી ગઈ હતી. ખૂબ દાઝી જવાને કારણે તેમની પત્ની મૃત્યુ પામી. આ ઘટનાએ આ મહાન કવિના હૃદયને વલોવી નાખ્યું. એમને સતત ચીસો પાડતી અને આગથી ઘેરાયેલી પત્નીનું દૃશ્ય નજર સમક્ષ દેખાતું હતું અને એ લગભગ પાગલ જેવી અવસ્થામાં જીવવા લાગ્યા. ભાંગી પડેલા આ કવિએ પોતાના અત્યંત દુ:ખી અને વ્યથિત એવા ત્રણ પુત્રો પર નજર કરી અને મનોમન વિચાર્યું કે હવે આ પુત્રોને માતાની ખોટ પડી છે, માટે પિતા અને માતા બંને તરીકેની ફરજ બજાવવી એ મારું પરમ કર્તવ્ય ગણાય. પત્નીના અણધાર્યા અકાળ અવસાનના શોકમાંથી ધીરે ધીરે બહાર આવીને એ પોતાના પુત્રો સાથે રમવા લાગ્યા. એમને સરસ મજાની વાર્તાઓ કહેવા લાગ્યા, એમની સાથે કવિતા ગાવા લાગ્યા, ગીત ગાઈ સુવાડવા લાગ્યા, વહાલથી ખવડાવવા લાગ્યા અને વખત મળ્યે એમને બહાર ફરવા લઈ જવા લાગ્યા. બાળકો સાથેના આ પ્રેમની વાત એમણે એમના ‘ધ ચિલ્ડ્રન્સ અવર’ કાવ્યમાં હૃદયસ્પર્શી રીતે આલેખી છે. એ પછી એમણે મહાકવિ દાંતેનાં પુસ્તકોનો અનુવાદ કર્યો. ધીરે ધીરે હેન્રી ડબલ્યુ. લૉંગફેલો કામમાં ડૂબવા લાગ્યા, તેમ તેમ એમના દર્દની વેદના હળવી થવા લાગી અને સમય જતાં એ મનની શાંતિ અને સ્વસ્થતા સંપાદિત કરી શક્યા. પોતાનાં સંતાનોને સરસ રીતે ઉછેરી શક્યા.

Categories
વાચન સમૃદ્ધિ

મહેનતનો જાદુ

ગરીબીમાં જન્મનારને માટે બાલ્યાવસ્થાથી જ જીવન પડકારરૂપ હોય છે. અમેરિકાના અલ સ્મિથને ગરીબી વારસામાં મળી હતી અને એને એવી આર્થિક ભીંસમાં જીવવું પડ્યું કે એ માધ્યમિક શાળાનો અભ્યાસ પણ કરી શક્યા નહીં. અલ સ્મિથ મક્કમ રીતે માનતા હતા કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તોપણ એમાંથી માર્ગ નીકળી શકે છે. પરિણામે મુશ્કેલીઓ મૂંગે મોંએ સહન કરવાને બદલે એમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા અને જીવનમાં પ્રગતિ સાધતા હતા. આ અલ સ્મિથે લોકસેવાનું કામ શરૂ કર્યું અને ધીરે ધીરે ડેમૉક્રૅટિક પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા માંડ્યા. એમણે ન્યૂયૉર્ક રાજ્યના સરકારી તંત્ર વિશે ઊંડો અભ્યાસ કર્યો. આને માટે એ સોળ સોળ કલાક કામ કરતા હતા. સમય જતાં અલ સ્મિથ ન્યૂયૉર્ક રાજ્યની સરકાર વિશે સૌથી વધુ માહિતી અને સૂઝ ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા. એમની આ કુશળતાને કારણે અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે રાજ્યના લોકોએ એમને ચૂંટી કાઢ્યા અને પછી તો અત્યંત મહેનતુ અલ સ્મિથ સતત ચાર વખત ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે આરૂઢ થયા. એ અગાઉ કોઈ પણ વ્યક્તિએ ચાર ચાર વખત ગવર્નર પદ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી નહોતી. એ પછી 1928માં ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે પણ એમની પસંદગી થઈ. અલ સ્મિથની કાર્યકુશળતાને કારણે અમેરિકાની હાર્વર્ડ અને કોલંબિયા જેવી વિખ્યાત છ યુનિવર્સિટીઓએ એમને માનદ ડિગ્રી એનાયત કરી. આર્થિક સંજોગોને કારણે માધ્યમિક શાળાનું બારણું પણ ન જોનાર વ્યક્તિ સોળ સોળ કલાકની મહેનતને પરિણામે પ્રજાનો લાડકવાયો નેતા અને વિખ્યાત યુનિવર્સિટીનો માનદ પદવીધારક બની રહ્યો.