Categories
વાચન સમૃદ્ધિ

નૃત્યની પિકાસો

નાનકડી મારથાના પિતા દિવ્યાંગ દર્દીઓના ફિઝિયૉથૅરપિસ્ટ હતા. તેઓ દિવ્યાંગોને વ્યાયામ અને જુદી જુદી કસરતો શીખવતા હતા. મારથાને એના પિતા પાસેથી વ્યાયામ અને નૃત્યનો વારસો મળ્યો, પરંતુ મારથાની સામે સૌથી મોટો અવરોધ એ હતો કે એ ખ્રિસ્તી ધર્મના જે પંથની અનુયાયી હતી, તે પંથમાં નૃત્ય કરવાની મનાઈ હતી. મારથાની રગેરગમાં નૃત્યની કલા દોડતી હતી. એ પોતાની જાતને કઈ રીતે પ્રતિબંધને કારણે અટકાવી શકે ? અવરોધને ફગાવીને એણે નૃત્યકલા શીખવતી એક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને એ પછી ટેડ શૉનની સાથે રહીને એણે વ્યવસાયી નૃત્ય કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. મારથાએ અથાગ પરિશ્રમ કર્યો અને ઈ. સ. 1926માં ‘મારથા ગ્રાહમ ડાન્સ કંપની’ની સ્થાપના કરી. એના નૃત્યના પ્રયોગો સતત ખ્યાતિ મેળવતા ગયા અને એની મૌલિક નૃત્યકળાને સહુએ વધાવી લીધી. મારથાએ પોતાના નૃત્યમાં અધ્યાત્મ અને ભાવને જોડી દીધા અને પાશ્ચાત્ય નૃત્યશૈલીને એક નવી દિશા આપી. એથીય વિશેષ એણે નૃત્યની કેટલીય શૈલીઓ વિકસિત કરી. ફ્રન્ટિયર, એપ્લાચેન, સ્પ્રિંગ જેવી નૃત્યકળાઓને એમાં સામેલ કરી. સમય જતાં મારથાની આ નવીન શૈલી આદર પામતી ગઈ અને નૃત્ય-વિશેષજ્ઞો પણ આ શૈલીઓને અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ માનતા હતા. મારથા સિત્તેર વર્ષ સુધી નૃત્ય કરતી રહી અને નૃત્ય શીખવતી રહી. અમેરિકાના પ્રમુખના નિવાસસ્થાન ‘વ્હાઇટ હાઉસ’માં નૃત્ય કરવાનો અવસર મેળવનારી એ પહેલી નૃત્યાંગના બની. એણે સર્જેલી નૃત્યની મૌલિકતાને કારણે એને ‘નૃત્યની પિકાસો’ કહેવામાં આવી. આમ અવરોધોથી અટક્યા વિના મારથા હિંમતભેર નૃત્યકલામાં પારંગત બની અને પોતાની લગન અને મહેનતથી સાબિત કરી આપ્યું કે આ જગતમાં કશું અસંભિવત નથી. મારથાને અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં તેમજ એની નૃત્યશૈલી એ આધુનિક નૃત્યશૈલી તરીકે સ્થાન પામી.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મવિશ્વાસને સહારે

ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) ક્રોધી સ્વભાવ ધરાવતો હતો. નાની નાની વાતમાં એ અત્યંત ગુસ્સે થઈ જતો અને એ વ્યક્તિને આકરી સજા ફરમાવતો હતો. એક વાર ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) બીમાર પડ્યો. એના ક્રોધી સ્વભાવને લીધે નગરનો એકે ડૉક્ટર એની ચિકિત્સા કરવા રાજી નહોતો. સૌને ભય હતો કે એની ચિકિત્સા કરવા જતાં એને સહેજે પીડા થાય, તો એ ડૉક્ટરને આકરામાં આકરી સજા ફરમાવે. આવા ગુસ્સાવાળા રાજાથી તો દૂર જ સારા, એમ વિચારીને શહેરનો કોઈ ડૉક્ટર તૈયાર થયો નહીં; પરંતુ ગામડામાં રહેતા એક ડૉક્ટરે હિંમત કરી અને એ રાજા જ્યોર્જનો ઉપચાર કરવા લાગ્યો. રાજા જ્યોર્જ બેભાન બની ગયો હતો. એ સમયે એના રોગનું નિદાન કરવા માટે આ ડૉક્ટરે એનું લોહી લીધું. થોડા સમય બાદ રાજા સ્વસ્થ થયો; પરંતુ જ્યારે એને ખબર પડી કે આ ડૉક્ટરે એના શરીરમાંથી પરીક્ષણ કરવા માટે લોહી લીધું હતું, ત્યારે એ ગુસ્સાથી લાલચોળ થઈને બોલ્યો, ‘મારી રજા વિના મારું લોહી લીધું કેમ ? કોણે તને રાજાનું ખાનદાની લોહી લેવાનો આવો અધિકાર આપ્યો ? તારા આવા અવિનયી કૃત્યની તારે સજા ભોગવવી જ પડશે.’ ડૉક્ટરે કહ્યું, ‘આપ મને જરૂર સજા કરો; પરંતુ મારે એટલું જ કહેવાનું કે જે સમયે મેં આપનું લોહી લીધું, ત્યારે આપ બેહોશ હોવાથી મને રજા આપવાની સ્થિતિમાં નહોતા.’ ઉત્તર સાંભળતાં રાજાનો ક્રોધ શાંત થઈ ગયો અને આ ચિકિત્સકને પોતાના અંગત ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યો. અન્ય ડૉક્ટરોએ આ ડૉક્ટરને પૂછ્યું કે આવા મહાક્રોધી રાજાનો ઉપચાર કરવાનું બીડું એણે કેમ ઝડપ્યું, ત્યારે આ ડૉક્ટરે જવાબ આપ્યો, ‘મારો આત્મવિશ્વાસ જ મને અહીં સુધી લઈ આવ્યો હતો. જે લોકો જોખમ વહોરીને આત્મવિશ્વાસની સાથે પોતાનું કામ કરવા પ્રયત્ન કરે છે, એને અવશ્ય સફળતા સાંપડે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

તમે તમારું ભવિષ્ય રચો !

જ્હોન લૉકનો જન્મ ઇંગ્લૅન્ડના બ્રિસટોલથી બાર માઈલ દૂર આવેલા ગામડામાં છાપરાવાળી ઝૂંપડીમાં થયો. ગામડાની સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી એણે લંડનની પ્રખ્યાત વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં વિશેષ અભ્યાસની તક મળી અને આ તેજસ્વી વિદ્યાર્થી માત્ર વીસ વર્ષની વયે ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રવેશ પામ્યા. પરંતુ એક વિદ્યાર્થી તરીકે સ્નાતક કક્ષાના અભ્યાસને જોઈને એને ભારે અકળામણ થઈ. એણે જોયું કે યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ વિચારકોની કૃતિઓ અભ્યાસ કરાવવામાં આવતી હતી જ્યારે વર્તમાન સમયના ફિલૉસૉફરોની કૃતિઓ ભણાવવામાં આવતી નહોતી. આથી એણે થોડા જ વખતમાં મજબૂરી અને પરિવારના દબાણને ફગાવી દઈને પોતાને ગમતા એવા મેડિસિનના વિષયનો અભ્યાસ કરવાની પોતાની ઇચ્છાને સાકાર કરવા પ્રયત્ન કર્યો. એમાં અનુસ્નાતકની પદવી મેળવી અને એ સમયના પ્રસિદ્ધ વિદ્વાનો અને વિચારકો સાથે કામ કર્યું. લોર્ડ એન્થની એશ્લેક કૂપર લિવરના ઇન્ફેક્શનની સારવાર માટે ઑક્સફર્ડમાં આવ્યા, ત્યારે લૉકના જ્ઞાનથી પ્રભાવિત થયા અને એને એમના અંગત ડૉક્ટર તરીકે રહેવા માટે સંમત કર્યા. એ પછી એશ્લેક ઉપરનું લિવર ઇન્ફેક્શન વધતાં જાનનું જોખમ ઊભું થયું, ત્યારે લૉકે જુદા જુદા ડૉક્ટરોની સલાહ મેળવીને એમને સર્જરી કરાવવાની સલાહ આપી અને એને કારણે એશ્લેક લૉકને તેઓ જીવતદાન આપનાર માનતા હતા. પોતાના મેડિકલના વ્યવસાય ઉપરાંત લૉક એ સમયના જાણીતા વિચારકો સાથે ચર્ચા વિચારણા કરતો હતો. આવા બુદ્ધિજીવોની મુલાકાતને કારણે એ પોલિટિકલ સાયન્સના સિદ્ધાંતો પર લખવા લાગ્યો અને રાજ્યતંત્ર પર બે લેખો લખીને સહુનું ધ્યાન ખેંચ્યું. જ્હોન લૉક સમય જતાં પ્રમાણશાસ્ત્ર (એપિસ્ટોનોલૉજી)માં નવી દિશા ઉઘાડનારો બન્યો અને રાજકીય વિચારધારામાં એણે આગવું યોગદાન કર્યું. ફ્રાંસના વૉલ્ટેર અને રૂસો પર તેમજ અમેરિકનોના ક્રાંતિકારીઓ પર એનો પ્રભાવ પડ્યો. અમેરિકાની સ્વાતંત્રઘોષણા પર એના વિચારોની અસર થઈ અને એ ઉદારમતવાદ (લિબરાલિઝમ)ના પિતા તરીકે જાણીતો થયો.