Categories
વાચન સમૃદ્ધિ

સોનેરી વાળનાં ઝુલ્ફાં

જ્હોન નામનો જુવાન એનાં સોનેરી વાળનાં ઝુલ્ફાં માટે બધે જાણીતો હતો. યુવતીઓને માટે એના આ સોનેરી વાળ આકર્ષણનું કેન્દ્ર હતા અને જ્હોન પણ પોતાની આ ખૂબીથી પૂરેપૂરો પરિચિત હતો. એ જાણતો હતો કે સોનેરી વાળને કારણે એનું મુખ અતિ સોહામણું લાગે છે. જ્હોનની ગરીબ માતા ઘરકામ કરીને એનું અને જ્હોનનું ભરણપોષણ કરતી હતી. એવામાં બન્યું એવું કે જ્હોનની માતા બીમાર પડી. જ્હોન ડૉક્ટર પાસે દવા લેવા ગયો, ત્યારે ડૉક્ટરે આ ગરીબ બાળકને જોઈને પહેલો સવાલ કર્યો, ‘તારામાં મારી દવાનું બિલ ચૂકવવાની ત્રેવડ છે ખરી ને ?’ જ્હોનના ઘરમાં જે કંઈ રકમ હતી, તે માતાની સારવારમાં વપરાઈ ગઈ હતી. જ્હોને ડૉક્ટરને આજીજી કરતાં કહ્યું, ‘સાહેબ, તમે મારી માને સારી કરી દો. દવા આપો, થોડા સમય બાદ પૈસા રળીને બિલ ચૂકવી દઈશ.’ ડૉક્ટરે જ્હોનની વાતને ગણકારી નહીં. જ્હોન નિરાશ થઈને બહાર નીકળ્યો, પણ ત્યાં એને ખ્યાલ આવ્યો કે શેરીના નાકે એક વાળંદની દુકાન છે. એ લાંબા સુંદર વાળ કાપીને વિગ બનાવનારાઓને વેચતો હતો. જ્હોન એની પાસે ગયો. એના બધા વાળ કપાવી નાખ્યા અને વાળંદ પાસેથી મળેલા પૈસાથી ડૉક્ટર પાસે જઈને દવા લીધી. દવા લઈને જ્હોન ઘેર પહોંચ્યો, ત્યારે એની માતાએ જોયું તો દીકરાનો ચહેરો બદલાઈ ગયો હતો. એણે અતિ આઘાત સાથે પૂછ્યું, ‘જ્હોન, તારા વાળ ક્યાં ગયા ? પેલાં સરસ મજાનાં સોનેરી ઝુલ્ફાં ક્યાં ? આ તેં શું કર્યું ?’ દીકરાનો ચહેરો જોઈને માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, ત્યારે જ્હોને કહ્યું, ‘મા, રડીશ નહીં. આ દવા પી લે. એનાથી તારી તબિયત સારી થઈ જશે. સોનેરી વાળ તો ફરી પણ ઊગશે, પણ જો મા ગુમાવી દઉં, તો તે કંઈ પાછી મળે ખરી ?’

Categories
વાચન સમૃદ્ધિ

આકાશમાંથી સીધો જમીન પર

ચીનના મહાન સંત અને ચિંતક કૉન્ફ્યૂશિયસે(ઈ. પૂ. 551થી ઈ. પૂ. 479) 17 વર્ષની ઉંમરે ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતનો અભ્યાસ કર્યો અને બાવીસમા વર્ષે તો પોતાના ઘરમાં જ પાઠશાળા સ્થાપીને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. નમ્ર, વિવેકી અને સત્યવક્તા કૉન્ફ્યૂશિયસની શિક્ષણ આપવાની પદ્ધતિ સૉક્રેટિસની જેમ પ્રશ્નોત્તર સ્વરૂપની હતી. એક વાર કેટલાક રાજનીતિજ્ઞો એમની સાથે વિચારવિમર્શ કરવા આવ્યા અને એમાંના એક નેતાએ પ્રશ્ન પૂછ્યો, ‘કૃપા કરીને અમને કહો કે કઈ વ્યક્તિ આદર્શ અને ઉત્તમ શાસક બની શકે ?’ કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘મહાનુભાવ, જેની પાસે પ્રજાના પાલન-પોષણ માટે પર્યાપ્ત સાધન હોય, દેશની રક્ષા માટે જરૂરી સેના અને શસ્ત્રાસ્ત્ર હોય અને જેના પર પ્રજાને પૂર્ણ વિશ્વાસ હોય, એ જ વાસ્તવમાં ઉત્તમ અને આદર્શ શાસક સાબિત થઈ શકે.’ રાજનીતિજ્ઞે વળતો પ્રશ્ન પૂછ્યો, ‘પરંતુ આ ત્રણમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત કઈ ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘આ બધાંમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ પ્રજાનો વિશ્વાસ છે. શાસક કે સરકાર પ્રત્યે જો જનતાનો વિશ્વાસ ડગી જાય, તો એનું પતન નિશ્ચિત છે, કારણ કે આધુનિક શસ્ત્રો કે સર્વોત્તમ સાધન વગેરે તો ધનથી ખરીદી શકાય, પરંતુ પોતાનું સર્વસ્વ આપી દેવા છતાં વિશ્વાસ ખરીદી શકાતો નથી.’ આ સાંભળી નેતાએ વળતો પ્રશ્ન કર્યો, ‘પ્રજાનો આવો વિશ્વાસ કઈ રીતે સંપાદિત થાય ?’ ત્યારે કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘આ વિશ્વમાં વિશ્વાસ એક એવી બાબત છે કે જે વ્યક્તિ પોતાની દૃષ્ટિ અને આચરણથી પ્રાપ્ત કરી શકે છે. આને માટે આત્માની શુદ્ધતા આવશ્યક છે. જો જનતાનો વિશ્વાસ કોઈ મોટા રાજનેતા પરથી ઊઠી જાય, તો એ જ ક્ષણે પ્રજાની નજરમાંથી આકાશમાંથી સીધો જમીન પર ફેંકાઈ જાય છે.’

Categories
વાચન સમૃદ્ધિ

કામમાં ડૂબી જાવ

ગુલામોના મુક્તિદાતા, આંતરવિગ્રહમાં અમેરિકાના તારણહાર અને અમેરિકાના 16મા પ્રમુખ અબ્રાહમ લિંકન(1809થી 1865)નો જન્મ અત્યંત ગરીબ કુટુંબમાં થયો હતો. એમના પિતા ટોમસ લિંકન અને માતા નાન્સી હૅક્સ અક્ષરજ્ઞાન ધરાવતાં નહોતાં. લાકડાના જાડા પાટિયાના બનાવેલા ઘરમાં અબ્રાહમ લિંકનનો જન્મ થયો. નાની ઉંમરમાં મજૂરી કરવી પડી અને વ્યવસ્થિત અભ્યાસની કોઈ તક મળી નહીં. દેખાવે એ કદરૂપા હતા. એમની પત્ની મેરી ટોડ સતત કંકાસ કરતી હતી. એ યુવાનીમાં આવ્યા ત્યારથી દેવામાં ડૂબેલા રહ્યા. એમના સાસરાપક્ષવાળા પણ ઊંચી, પાતળી, 6 ફૂટ અને 4 ઇંચની દેહયષ્ટિ ધરાવનાર લિંકનના વિચિત્ર અને કઢંગા દેખાવની હાંસી ઉડાવતા હતા. એમના મનમાં હતાશા અને નિરાશા હતી. લાકડાં ફાડવાની અને વહેરવાની મજૂરી કરીને જીવન ગાળતા હતા, પરંતુ લિંકન પાસે મનનો બોજ દૂર કરવાનો એક રસ્તો હતો અને તે કાયદાનો અભ્યાસ. એમણે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના કાયદાઓનો ઊંડો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કરતી વખતે લિંકન એમના જીવનની વેદનાઓ અને અભાવોને ભૂલી જતા હતા. અપાર ચિંતાઓને સ્થાને એ કાયદાશાસ્ત્રની આંટીઘૂંટીઓમાં પોતાના મનને ડુબાડી દેતા હતા. એમણે જોયું કે મનમાં રહેલો – હતાશા, ગરીબી, આજીવિકાની ફિકર – એ બધો જ બોજ દૂર કરવાનો એક રસ્તો એ છે કે તમે તમારા મનને કામમાં પરોવી દો. આવી રીતે કાયદાશાસ્ત્રના અભ્યાસમાં મનને પરોવનાર લિંકને કાયદાનાં પાઠ્યપુસ્તકો ઉછીનાં લઈને પણ અભ્યાસ ચાલુ રાખ્યો. માત્ર એક જ વર્ષમાં એમનું નામ એટર્નિસની યાદીમાં સામેલ થયું. એટલું જ નહીં પણ એમની કાયદાની સૂઝ, સમજ અને દૃષ્ટિ વિકસતાં વરિષ્ઠ વકીલ જ્યૉર્જ સ્ટુઅર્ટે એમને ભાગીદાર બનાવ્યા. રાજ્યના વકીલમંડળ(બાર)માં શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. કેટલાય નોંધપાત્ર કેસ જીત્યા. સમવાય સરકારની સર્વોચ્ચ અદાલતે એમની અસાધારણ કાનૂની કુશળતાને બિરદાવી, તેથી તેઓ આખા અમેરિકામાં સમર્થ કાયદાશાસ્ત્રી તરીકે જાણીતા થયા.