Categories
વાચન સમૃદ્ધિ

માનવતાનું કારખાનું

સાપેક્ષતા સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન(જ. ઈ. 1879 – અ. ઈ. 1955)ને મળવા માટે એમના એક મિત્ર આવ્યા. ઘણા લાંબા સમય સુધી જુદા જુદા વિષય પર ચર્ચા કર્યા પછી એમના મિત્રએ કહ્યું, ‘આજે વિજ્ઞાને એક એકથી ચડિયાતાં સુખ-સુવિધાનાં સાધનો બનાવવામાં અપૂર્વ સફળતા મેળવી છે. આંખના પલકારામાં ઘણું લાંબું અંતર પસાર થઈ શકે છે અને થોડી જ ક્ષણોમાં આપણી સઘળી જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે, તેમ છતાં કોણ જાણે કેમ સમાજમાં અશાંતિ, અસંતોષ, કલહ અને દુર્વૃત્તિઓ અગાઉ કરતાં અત્યારે વધુ ફેલાઈ ગયેલી જોવા મળે છે. અપાર સુખ-સુવિધા મળતાં માનવીએ પ્રસન્ન રહેવું જોઈએ અને છતાંય એના મનને કેમ ક્યાંય શાંતિ કે સંતોષ નથી ? આનું કારણ શું ?’ મિત્રની વાત અને વેદના સાંભળીને આઇન્સ્ટાઇને કહ્યું, ‘મિત્ર ! આપણે શરીરને સુખ અને સુવિધા પહોંચાડનારાં અનેક પ્રકારનાં સાધનો શોધવામાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરી છે; પરંતુ જીવનમાં સાચાં સુખ-શાંતિ તો આંતરિક આનંદથી પ્રાપ્ત થાય છે. શું આપણે માનવતાની એવી કોઈ ઇન્ડસ્ટ્રી કરી છે ખરી કે જ્યાં લોકોની અંદર મરી રહેલી સંવેદનાઓને જીવિત કરી શકીએ ? એમના હૃદયમાં ત્યાગ, મમતા, કરુણા, પ્રેમ આદિને ઉત્પન્ન કરી શકીએ ? શું આપણી પાસે માનવીના મન અને મસ્તિષ્કને આનંદ આપી શકે એવાં સાધનોનું નિર્માણ કરતું કારખાનું છે ખરું ?’ આઇન્સ્ટાઇનની વાત સાંભળીને એમના મિત્ર વિમાસણમાં ડૂબી ગયા. થોડો સમય વિચાર્યા બાદ એમણે આ મહાન વિજ્ઞાની સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતાં કહ્યું, ‘આપ એ તો કહો કે માનવતાના કારખાનાનું નિર્માણ કઈ રીતે સંભવિત થાય ? માનવીય ભાવનાઓ તો માનવમાં જીવતી હોય છે, મશીનની અંદર નહીં.’ આ સાંભળીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘વાહ રે દોસ્ત ! તમે તદ્દન સાચી વાત કરી. અશાંતિ કે અસંતોષ દૂર કરવા માટે આપણે લોકોમાં માનવતાની ભાવના જાગૃત કરવા માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ભૌતિક સાધનોથી ક્યારેય સુખ-શાંતિ મળી શકતી નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

અમૂલ્ય પ્રમાણપત્રો

વિશ્વના મહાન નવલકથાકાર, ચિંતક અને નાટકકાર લિયૉ ટૉલ્સ્ટૉય(જ. ઈ. સ. 1828, અ. ઈ. સ. 1910)ને એમના મિત્રએ મીઠો ઉપાલંભ આપતાં કહ્યું કે મેં નોકરી માટે મારા એક પરિચિતને તમારી પાસે મોકલ્યો હતો. એની પાસે અનેક ઊંચી પદવીઓ હતી. અભ્યાસમાં એની કારકિર્દી પણ અત્યંત તેજસ્વી હતી. આટલાં બધાં પ્રમાણપત્રો ધરાવતો હોવા છતાં તમે એમની પસંદગી કરી નહીં. એ તો ઠીક, પરંતુ તમે એ સ્થાન માટે એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની પાસે કોઈ ઊંચી પદવી નહોતી કે કોઈ વિશાળ અનુભવ નહોતો, તો મારે જાણવું એ છે કે તમે શા માટે મારા સૂચનનો અનાદર કર્યો અને પદવીધારી યુવાનને નોકરી આપી નહીં? લિયૉ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘મેં જેની પસંદગી કરી, તેની પાસે અમૂલ્ય પ્રમાણપત્રો હતાં. એવાં પ્રમાણપત્રો કે જે કૉલેજ કે યુનિવર્સિટી દ્વારા મળ્યાં ન હોય; પરંતુ જીવનની પાઠશાળામાંથી મેળવેલાં હોય.’ ટૉલ્સ્ટૉયનો મિત્ર મૂંઝવણમાં પડી ગયો. એણે કહ્યું, ‘મને તો એવી કોઈ જીવનની પાઠશાળાની ખબર નથી કે જે આવાં પ્રમાણપત્રો આપતી હોય.’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘જુઓ, તમે જે વ્યક્તિને મોકલી હતી, એણે પ્રવેશતાંની સાથે જ ધડાધડ પોતાનાં પ્રમાણપત્રો બતાવવા માંડ્યાં, પોતાને વિશે મોટી બડાશ હાંકવા લાગ્યો. તમારી સિફારિશનો પણ ઉલ્લેખ કર્યો અને જાણે ઉપકાર કરતો હોય એ રીતે એણે કહ્યું કે તમે મને નોકરીમાં રાખશો, તો તમને ઘણો લાભ થશે.’ મિત્રએ પૂછ્યું, ‘તમે જેને નોકરીમાં રાખ્યો, એણે શું કર્યું ?’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘ખંડમાં પ્રવેશતાં પૂર્વે એણે અમારી પરવાનગી માગી. બારણું અથડાય નહીં એ રીતે એને ધીમેથી બંધ કર્યું. એનાં કપડાં સામાન્ય હતાં; પરંતુ અત્યંત સ્વચ્છ હતાં. અમારી રજા માગીને એ ખુરશી પર બેઠો અને આત્મવિશ્વાસથી પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના જવાબો વ્યવસ્થિત અને સચ્ચાઈપૂર્ણ હતા. એનામાં પ્રગતિ કરવાની એક ધગશ હતી. આવી ગુણસંપન્ન વ્યક્તિની પાસે કોઈની સિફારિશ કે મોટી મોટી પદવીઓ ન હોય તેથી શું ? હવે તમે જ કહો કે મેં યોગ્ય વ્યક્તિની પસંદગી કરી ને.’

Categories
વાચન સમૃદ્ધિ

એકલો હોઉં તેથી શું ?

મેક્સિકોના દરિયાકિનારે ઘૂમી રહેલા એક પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. એક વૃદ્ધ મેક્સિકન દરિયાકિનારે વાંકો વળીને ‘સ્ટાર-ફિશ’ માછલીને લઈને પાણીમાં પાછી નાખતો હતો. બન્યું હતું એવું કે આ દરિયાકિનારે હજારો સ્ટાર-ફિશ ભરતી આવતાં તણાઈને કિનારે આવતી હતી અને પછી ઓટના સમયે એ દરિયાકિનારા પર ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. કેટલીક સ્ટાર-ફિશ જીવવા માટે તરફડિયાં મારતી હતી, ત્યારે કેટલીક તો નિષ્પ્રાણ બનીને કિનારે પડી હતી. પેલો વૃદ્ધ મેક્સિકન જીવતી કે જીવવા માટે તરફડિયાં મારતી સ્ટાર-ફિશને લઈને  પાણીમાં ફેંકતો હતો. પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. આટલી બધી સ્ટાર-ફિશ દરિયાકિનારે પડી છે અને આ એકલો માનવી શું કરી શકશે ? પ્રવાસીએ જઈને વૃદ્ધ મેક્સિકનને પૂછ્યું તો એણે કહ્યું, ‘હું ભરતીમાં કિનારે તણાઈને આવેલી સ્ટાર-ફિશને પાણીમાં નાખું છું, જેથી એ જીવતી રહે.’ પ્રવાસીએ મજાક કરતાં કહ્યું, ‘અરે, આટલી બધી સ્ટાર-ફિશ તણાઈને દરિયાકિનારે આવી છે, તમે એક એક સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખો છો, પણ મને લાગતું નથી કે તમે બધી જ સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખી શકો. મને લાગે છે કે તમને વાસ્તવિકતાનો ખ્યાલ નથી. દુનિયાભરમાં કેટલાય દરિયાકિનારે આવું બનતું હોય છે અને કોઈ બધી સ્ટાર-ફિશ પાછી પાણીમાં નાખી શકતું નથી, માટે આ મફતની મહેનત રહેવા દો.’ વૃદ્ધ મેક્સિકને દરિયાની રેતીમાં પડેલી એક સ્ટાર-ફિશને ઉઠાવીને પાણીમાં નાખતાં કહ્યું, ‘જુઓ, આ સ્ટાર-ફિશને તો ફરક પડી રહ્યો છે ને. હું એટલું વિચારું છું કે હું એકલો બધી સ્ટાર-ફિશને બચાવી શકતો નથી, પણ એકલો છું માટે આ કામ નહીં થઈ શકે એવી ઉપેક્ષા કરનારો હું નથી. એકલો માણસ પણ પરિસ્થિતિમાં અને વાસ્તવિકતામાં પરિવર્તન કરી શકે છે.’