Categories
સાંપ્રત કાર્યક્રમો

ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવૉર્ડ 

જાણીતા ચિત્રકાર શ્રી વાસુદેવન અક્કિતમને શ્રી અમિત અંબાલાલના હસ્તે એનાયત થશે.

20 જૂન 2026, શનિવાર, સાંજના 5-30

Categories
વાચન સમૃદ્ધિ

માનવતાનું કારખાનું

સાપેક્ષતા સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન(જ. ઈ. 1879 – અ. ઈ. 1955)ને મળવા માટે એમના એક મિત્ર આવ્યા. ઘણા લાંબા સમય સુધી જુદા જુદા વિષય પર ચર્ચા કર્યા પછી એમના મિત્રએ કહ્યું, ‘આજે વિજ્ઞાને એક એકથી ચડિયાતાં સુખ-સુવિધાનાં સાધનો બનાવવામાં અપૂર્વ સફળતા મેળવી છે. આંખના પલકારામાં ઘણું લાંબું અંતર પસાર થઈ શકે છે અને થોડી જ ક્ષણોમાં આપણી સઘળી જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે, તેમ છતાં કોણ જાણે કેમ સમાજમાં અશાંતિ, અસંતોષ, કલહ અને દુર્વૃત્તિઓ અગાઉ કરતાં અત્યારે વધુ ફેલાઈ ગયેલી જોવા મળે છે. અપાર સુખ-સુવિધા મળતાં માનવીએ પ્રસન્ન રહેવું જોઈએ અને છતાંય એના મનને કેમ ક્યાંય શાંતિ કે સંતોષ નથી ? આનું કારણ શું ?’ મિત્રની વાત અને વેદના સાંભળીને આઇન્સ્ટાઇને કહ્યું, ‘મિત્ર ! આપણે શરીરને સુખ અને સુવિધા પહોંચાડનારાં અનેક પ્રકારનાં સાધનો શોધવામાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરી છે; પરંતુ જીવનમાં સાચાં સુખ-શાંતિ તો આંતરિક આનંદથી પ્રાપ્ત થાય છે. શું આપણે માનવતાની એવી કોઈ ઇન્ડસ્ટ્રી કરી છે ખરી કે જ્યાં લોકોની અંદર મરી રહેલી સંવેદનાઓને જીવિત કરી શકીએ ? એમના હૃદયમાં ત્યાગ, મમતા, કરુણા, પ્રેમ આદિને ઉત્પન્ન કરી શકીએ ? શું આપણી પાસે માનવીના મન અને મસ્તિષ્કને આનંદ આપી શકે એવાં સાધનોનું નિર્માણ કરતું કારખાનું છે ખરું ?’ આઇન્સ્ટાઇનની વાત સાંભળીને એમના મિત્ર વિમાસણમાં ડૂબી ગયા. થોડો સમય વિચાર્યા બાદ એમણે આ મહાન વિજ્ઞાની સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતાં કહ્યું, ‘આપ એ તો કહો કે માનવતાના કારખાનાનું નિર્માણ કઈ રીતે સંભવિત થાય ? માનવીય ભાવનાઓ તો માનવમાં જીવતી હોય છે, મશીનની અંદર નહીં.’ આ સાંભળીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘વાહ રે દોસ્ત ! તમે તદ્દન સાચી વાત કરી. અશાંતિ કે અસંતોષ દૂર કરવા માટે આપણે લોકોમાં માનવતાની ભાવના જાગૃત કરવા માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ભૌતિક સાધનોથી ક્યારેય સુખ-શાંતિ મળી શકતી નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

સી. કે. નાગરાજ રાવ

જ. 12 જૂન, 1915 અ. 10 એપ્રિલ, 1998

ચલ્લાકેરે કૃષ્ણમૂર્તિ રાવ નાગરાજ રાવનો જન્મ ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરેમાં સી. એસ. કૃષ્ણમૂર્તિ રાવ અને શ્રીમતી પુટ્ટમ્માને ત્યાં થયો હતો. તેઓ લેખક, નાટ્યકાર, રંગમંચ કલાકાર, દિગ્દર્શક, પત્રકાર અને સામાજિક કાર્યકર હતા. તેમણે કન્નડ ભાષામાં સાહિત્ય પીરસ્યું હતું. તેમનું બાળપણ ભારતનાં વિવિધ શહેરોમાં વીત્યું હતું. તેમને કર્ણાટકના સમૃદ્ધ કલા અને સાંસ્કૃતિક વારસામાં ઊંડો રસ હતો. ગાંધીજી સાથેની મુલાકાતે તેમનામાં ભારતની સ્વતંત્રતા અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે ભક્તિ જગાવી હતી. તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત તેમની એક દલિત સંગીતપ્રેમી વિશેની તેમની ટૂંકી વાર્તા ‘કાડુમલ્લિગે’ માટે શાળા સ્પર્ધા જીતી ત્યારથી થઈ. ત્યારબાદ તેમણે કન્નડ પુસ્તકપ્રિન્ટર અને પ્રકાશક સત્યશોધન પુસ્તક ભંડાર સાથે કામ કર્યું. તેમના કાકા શ્રીનિવાસ રાવના માર્ગદર્શન હેઠળ તેમને કર્ણાટકના અગ્રણી લેખકો અને સાહિત્યકારો સાથે ભળવાની તક મળી હતી. તેમણે કન્નડ સાહિત્ય પરિષદના સચિવ તરીકે પણ જવાબદારીઓ સંભાળી હતી. સી. કે. નાગરાજ રાવના વ્યાપક સંશોધનને કારણે તેમણે ઘણા સંશોધનપત્રો પ્રકાશિત કર્યા હતા. તેમના સંશોધનપુસ્તક ‘કવિ લક્ષ્મીશાન કલા મટ્ટુ સ્થલા’ને કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ચાલુક્ય, ગંગા અને હોયસાલા રાજવંશો પર પણ ઘણા સંશોધનપત્રો લખ્યા હતા. જે જર્નલો અને અખબારોમાં પ્રકાશિત થયા હતા. 1983માં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેમની મહાન કૃતિ ‘પટ્ટમહાદેવી શાંતલાદેવી’ને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ જ કૃતિને 1978માં કર્ણાટક સાહિત્ય અકાદમી દ્વારા ‘શ્રેષ્ઠ સર્જનાત્મક સાહિત્યિક કૃતિ’ પુરસ્કાર મળ્યો હતો. તેમણે બૅંગાલુરુમાં યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામનું પોતાનું મંડળ બનાવ્યું હતું. તેમણે ટી. પી. કૈલાસમ્, કપ્પલી વેંકટપ્પાગૌડા પુટ્ટપ્પા અને અન્ય જાણીતા કન્નડ નાટ્યકારોનાં નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. તેઓ તેમના સમયના શ્રેષ્ઠ મેક-અપ કલાકારોમાંના એક તરીકે ઓળખાયા હતા. તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો, બૅંગાલુરુ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ મિથિક સોસાયટી સાથે પણ જોડાયેલા હતા. તેમણે કર્ણાટક લેખકાર સંઘની સ્થાપના કરી હતી અને ‘કાવ્યરામ’ નામના માસિક સાથે કામ કર્યું હતું. તેઓ લેખકોના વિશ્વવ્યાપી સંગઠન પી. ઈ. એન.ના સભ્ય હતા.