Categories
વાચન સમૃદ્ધિ

દૂધરાજ (The Paradise Flycatcher)

ભારતની શોભારૂપ, પરી જેવું સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ Terpsiphone paradisi – ફળ મોનાર્ચિની છે. હિંદીમાં તેને ‘શાહ બુલબુલ’, ‘દૂધરાજ’, ‘હુસેની બુલબુલ’, માદાને ‘સુલતાના બુલબુલ’ એવાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તલવાર જેવી લાંબી પૂંછડીને કારણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તેને ‘તરવરિયો’ અને ભીલ લોકોની બોલીમાં તેને ‘તેજિયો ગોવાળ’ કહે છે. તે નાચણ પંખીના કુળનું પંખી છે. એનાં કદ, કલગી અને દેખાવ બુલબુલ જેવાં છે, પણ તે બુલબુલની જાતનું નથી. તેનો રંગ સાવ જુદો જ હોય છે. 22 સેમી. લાંબા આ પંખીના નરને માથું, કલગી અને ડોક ચળકતા વાદળી રંગની ઝાંયવાળા કાળા રંગનાં અને બાકીનો ભાગ સફેદ રંગનો હોય છે. તેની પીઠ, પાંખો અને પૂંછડીના સફેદ રંગમાં ઝાંખી કાળી રેખાઓ હોય છે. પૂંછડી ચડાઊતરી પીંછાંવાળી હોય છે. તે ઉપરાંત પૂંછડી રૂપે તેનાં વચલાં બે પીંછાં લંબાઈને 25 સેમી. જેટલાં પાછળ લટકતાં ફરફરે છે. માથાની કલગી અણીદાર અને લાંબી હોય છે. ચાંચ અને આંખફરતી કિનાર ઘેરી વાદળી તો કોઈ વાર કાળી હોય છે. આમ નર પંખી રૂપાળો લાગે છે. માદાને લાંબી પૂંછડી નથી હોતી. તેની પીઠ, પૂંછડી અને પાંખો બધું જ સુંદર ઘેરા નારંગી રંગનું હોય છે. માથે આસમાની ને નારંગી રંગ વચ્ચે આસમાની કાંઠલો હોય છે, જે આગળ વધતાં સફેદ રંગમાં ફેરવાય છે. માદાને પણ કલગી હોય છે. આ પંખી તુર્કસ્તાન અને અફઘાનિસ્તાનથી માંડીને ભારત, મ્યાનમાર અને પૂર્વ એશિયા સુધી વસ્તી ધરાવે છે.

એનો વસવાટ ઝાડીવાળા, ઝરણાના પ્રદેશમાં વાંસથી ઢંકાયેલાં નાળાં હોય એવા પાંખા પાનખર જંગલમાં હોય છે. ઊડતાં જીવડાંની પાછળ હવામાં ચપળતાથી દાવપેચ ખેલતો નર ચંચળતાથી વળાંકો લેતો હોય, ગુલાંટો મારતો હોય, તેની રિબન જેવી પૂંછડી હવામાં જાતજાતની આકૃતિઓ રચતી હોય ત્યારે તે દૃશ્ય જોનારને મુગ્ધ કરી દે છે. તે ઊડવામાં એટલો કુશળ હોય છે કે ભાગ્યે જ પકડાતાં વાણિયા અથવા ‘ડ્રૅગન ફ્લાય’ નામનાં મોટાં જીવડાંને હવામાં જ પકડીને આરોગી જાય છે. તેનો અવાજ કર્કશ હોવા છતાં નર અને માદા પ્રજનનકાળમાં ખુશનુમા મધુર સ્વરે ગાન કરે છે. તે સૌથી વધુ કાશ્મીરની ખીણમાં પ્રજનન કરતાં જોવા મળે છે. તે 2થી 5 મીટર ઊંચે ફંટાતી ડાળખીઓના મૂળમાં ઘાસનાં ઝીણાં તણખલાં અને રેસાઓ ગૂંથી વાટકી કે કપ જેવો ઘાટીલો માળો બનાવે છે. માળાને બહારની બાજુએ કરોળિયાનાં જાળાં અને ઈંડાંની ખાલી કોથળીઓ વડે પ્લાસ્ટર કરે છે. તેમાં આછા મલાઈ રંગનાં ગુલાબી અને માથે રતાશપડતાં ભૂરાં છાંટણાંવાળાં 3થી 5 ઈંડાં મૂકે છે. નર અને માદા બંને તેમને સેવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાયરસ પલોનજી મિસ્ત્રી

જ. 4 જુલાઈ, 1968 અ. 4 સપ્ટેમ્બર, 2022

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનો જન્મ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ ભારતીય અબજોપતિ અને બાંધકામ ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. મિસ્ત્રીનું શિક્ષણ દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત કૅથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં થયું હતું. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં અભ્યાસ કર્યો અને 1990માં લંડન યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. બાદમાં તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને 1996માં લંડન યુનિવર્સિટીમાંથી મૅનેજમેન્ટમાં ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ માસ્ટર્સ કર્યું હતું. મિસ્ત્રી 1991માં ફૅમિલી કન્સ્ટ્રક્શન કંપની શાપૂરજી પલોનજી ઍન્ડ કંપની લિમિટેડમાં ડિરેક્ટર તરીકે જોડાયા. 2000માં શાપૂરજી પલોનજી ગ્રૂપ દ્વારા તેના સંપાદન પછીનાં વર્ષોમાં સંઘર્ષ કરી રહેલા એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાયાપલટનો શ્રેય તેમને જાય છે. બાદમાં તેઓ ટાટા સન્સ અને ટાટા ગ્રૂપના ચૅરમૅન બન્યા. 2013માં મિસ્ત્રીને ટાટા સન્સના ચૅરમૅન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા પાવર, ટાટા ટેલિસર્વિસીસ, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ગ્લોબલ બેવરેજીસ અને ટાટા કેમિકલ્સ સહિતની તમામ મોટી ટાટા કંપનીઓના ચૅરમૅન પણ હતા. ટાટા સન્સ બોર્ડે ઑક્ટોબર, 2016માં મિસ્ત્રીને ટાટા સન્સના ચૅરમૅનપદેથી દૂર કરવા માટે મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ ચૅરમૅન રતન ટાટા ત્યારબાદ વચગાળાના ચૅરમૅન તરીકે પાછા ફર્યા હતા અને થોડા મહિના પછી નટરાજન ચંદ્રશેખરનને નવા ચૅરમૅન નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે ડિસેમ્બર, 2019માં નૅશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે ચંદ્રશેખરનની નિમણૂક ગેરકાયદેસર જાહેર કરી અને મિસ્ત્રીને પુનઃ સ્થાપિત કર્યા. જોકે સુપ્રીમ કોર્ટે તેમની બરતરફીને યથાવત રાખી હતી. તેમના પિતા પલોનજી મિસ્ત્રીના અવસાન બાદ મિસ્ત્રી અને પંડોલે પરિવાર પ્રાર્થના કરવા ઉદવાડા ખાતે ઈરાનશાહ આતશ બહેરામની મુલાકાતે ગયા હતા. ઉદવાડાથી મુંબઈ પરત ફરતી વખતે તેમની મર્સિડિઝ બેન્ઝ ગાડીને અકસ્માત થતા, સીટ બૅલ્ટ પહેર્યા વગર પાછલી સીટ ઉપર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ થયું હતું.

Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત : જીવન અને કવન

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા

9 જુલાઈ, 2026, ગુરુવાર

સમય : સાંજના 5-00