Categories
વાચન સમૃદ્ધિ

દેવભૂમિ દ્વારકા

સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો.

22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. શ્રીકૃષ્ણની યાદમાં આ જિલ્લાને દ્વારકા નામ અપાયું છે. આ જિલ્લામાં દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્લાનો વિસ્તાર 5684 ચોકિમી. તથા વસ્તી 9,00,000 (2026, આશરે) જેટલી છે. જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા છે. આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સ્થાનભેદે ખડકાળ અને સમતળ જોવા મળે છે. જમીનો કાંપવાળી ફળદ્રૂપ છે તે ઘેડ, ભાઠા અને કાઠીના નામે ઓળખાય છે. આ ઉપરાંત મધ્યમ કાળી અને ભૂખરી જમીનો પણ છે, જે ઘારોડ નામથી ઓળખાય છે. જિલ્લો સમુદ્રકિનારે આવેલો હોવાથી તેની કેટલીક જમીનો ક્ષારીય રહે છે, પરિણામે અહીં વૃક્ષોનું પ્રમાણ નહિવત્ છે; માત્ર ઝાડી-ઝાંખરાં અને કાંટાળી વનસ્પતિ કુદરતી રીતે ઊગી નીકળે છે.

જિલ્લામાં જુવાર-બાજરી જેવા ધાન્યપાકો તથા મગફળી કપાસ અને શેરડી જેવા રોકડિયા પાકો લેવાય છે. અંતરિયાળ ભાગોમાં પશુપાલન પ્રવૃત્તિ વિકસી છે, પરિણામે અહીં પશુસંવર્ધન-કેન્દ્રો ઊભાં કરાયાં છે. જિલ્લાને દરિયાકાંઠો મળેલો હોવાથી મત્સ્યપ્રવૃત્તિ વિકસી છે. તદુપરાંત દરિયાઈ કાચબાનું ઉછેરકેન્દ્ર મીઠાપુર ખાતે ઊભું કરાયું છે. મીઠાપુર ખાતે સોડાએશનું વિશાળ એકમ આવેલું છે; અહીં મીઠા અને બ્રોમીનનું ઉત્પાદન લેવાય છે. તેલ-શુદ્ધીકરણ અને વીજ-ઉત્પાદન મેળવવા એસ્સાર કંપની કાર્યરત છે. છેક પશ્ચિમ છેડે આવેલું ઓખા ભારતનાં મહત્વનાં શહેરો સાથે રેલમાર્ગથી સંકળાયેલું છે. જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્ય ધોરી માર્ગો આવેલા છે. અહીંના સમુદ્રકિનારે ઓખા, રૂપેણ, લાંબા અને પોશિત્રા જેવાં બંદરો આવેલાં છે. દ્વારકાનો ભારતનાં મહત્વનાં ધાર્મિક સ્થાનોમાં સમાવેશ થાય છે. આ સિવાય બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવાં યાત્રાધામો પણ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ https://gujarativishwakosh.org/દેવભૂમિ દ્વારકા/)

Categories
વાચન સમૃદ્ધિ

એલિયાસ કાનેટ્ટી

જ. 25 જુલાઈ, 1905 અ. 14 ઑગસ્ટ, 1994

જર્મન ભાષામાં લખતાં સ્પૅનિશ સાહિત્યકાર એલિયાસ કાનેટ્ટીનો જન્મ બલ્ગેરિયાના રુસમાં થયો હતો. તેઓ છ વર્ષના હતા ત્યારે પરિવારે બલ્ગેરિયાથી આવીને ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં વસવાટ કર્યો હતો. 1912માં પિતાનું અવસાન થતાં તેમની માતા બાળકોને લઈને  વિયેના ગયાં. ત્યાંથી ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં પણ રહ્યા. તેઓ 1924માં વિયેના પાછા ફર્યા. 1929માં વિયેના યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી, પરંતુ તેમને ફિલૉસૉફી અને સાહિત્યમાં રસ હોવાથી તેમણે રસાયણશાસ્ત્રી તરીકે કાર્ય કર્યું નહીં. તેઓ સાહિત્યસર્જન તરફ વળ્યા. 1935માં તેમની નવલકથા ‘ડાય બ્લેન્ડુંગ’ પ્રકાશિત થઈ હતી. આ નવલકથાનો અનુવાદ ‘The Tower of Babel’ નામે યુ.એસ.માંથી પ્રકાશિત થયો. આ નવલકથાથી તેમને સાહિત્યજગતમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેમણે ઓછું પણ મૂલ્યવાન સાહિત્યસર્જન કર્યું હતું. 1938માં નાઝીથી બચવા પૅરિસ થઈને લંડન ગયા. 1952માં બ્રિટિશ નાગરિકત્વ મેળવ્યું. તેઓ યુદ્ધ એ સરમુખત્યારશાહીના વિરોધી હતા. તેમણે નવલકથાઓ ઉપરાંત નાટકો, આત્મકથા, પ્રવાસવર્ણનો, નિબંધો અને અભ્યાસગ્રંથો આપ્યાં છે. ફ્રાંઝ કાફકા વિશે તેમણે વિવેચનગ્રંથ લખ્યો હતો. ‘ધ ટંગ સેટ ફ્રી’, ‘રિમેમ્બ્રન્સ ઑવ એ યુરોપિયન ચાઇલ્ડહુડ’ અને ‘ધ ટૉર્ચ ઇન માય ઇયર’ તેમની આત્મકથાના ગ્રંથો છે. આ ઉપરાંત ‘ઑહરેન્ઝુગ’, ‘હોરઝૈટ’, ‘કૉમેડી દર ઐટલ્કેટ’, ‘દાઈ બ્રેફ્રિસ્ટેરન’, ‘ધ હ્યુમન પ્રૉવિન્સ’ વગેરે તેમની જાણીતી રચનાઓ છે. તેમને માન્ચેસ્ટર યુનિવર્સિટી અને એલએમયુ મ્યુનિક તરફથી ડૉક્ટરેટની પદવી આપવામાં આવી હતી. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં, જેમાં ગ્રાન્ડ ઑસ્ટિયન સ્ટેટ પ્રાઇઝ, બાવેરિયન એકૅડેમી ઑફ ધ ફાઇન આર્ટસનો સાહિત્ય પુરસ્કાર, જ્યૉર્જ બુચનર પ્રાઇઝ, જર્મન રેકૉર્ડિંગ, નેલી સૅશ પ્રાઇઝ, ફ્રાન્ઝ કાફકા પ્રાઇઝનો સમાવેશ થાય છે. તેમને 1981માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એન્ટાર્ક્ટિકા લિવિંગ્સ્ટન ટાપુ પર આવેલા કેનેટ્ટી પીકનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

કર્તવ્યની બલિવેદી પર

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ. પૂ. 4 થી ઈ. સ. 65) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહનમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાયસંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સામે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા પણ સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠ્યો, શિક્ષક થઈને ષડ્યંત્ર રચે છે ! હવે કરવું શું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જુદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો. સમ્રાટના સેવકો ઝેરનાં પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું. સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે, આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યાર બાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટ્યા. સેનેકાએ સમ્રાટ નીરોને જે પત્ર પાઠવ્યો હતો, તેમાં એમણે નીરોને લખ્યું હતું, ‘તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.’ આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.