વિષય : કચ્છની સંત કવયિત્રીઓ
વક્તા : શ્રી દર્શના ધોળખિયા
8 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30
વિષય : કચ્છની સંત કવયિત્રીઓ
વક્તા : શ્રી દર્શના ધોળખિયા
8 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30
પ્રસિદ્ધ અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર ઑલિવર ગોલ્ડસ્મિથ(ઈ. સ. 1728થી ઈ. સ. 1774)નો જન્મ એક ખ્રિસ્તી દેવળના ગરીબ વ્યવસ્થાપક પિતાને ત્યાં થયો હતો. યુનિવર્સિટીમાં ત્રણેક વર્ષ અભ્યાસ કર્યા બાદ એમણે યુનિવર્સિટીના અભ્યાસને તિલાંજલિ આપી અને ઘર પણ છોડ્યું. પરિણામે ભૂખે મરવાનો વારો આવ્યો. એમના પિતાની ઇચ્છા એમને પાદરી બનાવવાની હતી, પરંતુ ઑલિવર ગોલ્ડસ્મિથને ગાયન-વાદન અને વાર્તાકથન અતિ પ્રિય હતાં. એમાંથી થોડીઘણી આજીવિકા રળતા હતા. ઘણી વાર એમની પાસે ભોજન માટે ફૂટી કોડી પણ રહેતી નહીં. એમની મકાન-માલિકણે થોડા મહિના સુધી તો ભાડું માગ્યું નહીં, પરંતુ એને પણ એ રકમના આધારે પોતાનું ગુજરાન ચલાવવાનું હતું. આથી એક વાર એ ખૂબ ગુસ્સે ભરાઈ અને ઑલિવર ગોલ્ડસ્મિથે લખેલા પુસ્તકની હસ્તપ્રત લઈને કહ્યું, ‘આ હસ્તપ્રત હું તને ત્યારે જ પાછી આપીશ, જ્યારે તું મારું ભાડું ચૂકવીશ. જો ભાડું નહીં ચૂકવે, તો એને આગને સ્વાધીન કરીશ.’ આમ કહી મકાન-માલિકણે એ હસ્તપ્રત એના ઘરના કબાટમાં બંધ કરીને મૂકી દીધી. ઑલિવર ગોલ્ડસ્મિથને માથે તો આકાશ તૂટી પડ્યું. એ ખૂબ ગભરાયા. હવે શું કરવું તે સમજાયું નહીં. એમણે એના પ્રિય વિદ્વાન મિત્ર ડૉ. જોન્સનને બોલાવ્યા. ડૉ. જોન્સન પરિસ્થિતિ પામી ગયા. એમણે એ સ્ત્રીની ક્ષમા માગી અને ભાડું ચૂકવીને ગોલ્ડસ્મિથની હસ્તપ્રત પાછી મેળવી. ઑલિવર ગોલ્ડસ્મિથના આનંદનો પાર રહ્યો નહીં. એ પોતાના પ્રિય મિત્ર ડૉ. જોન્સનને ભેટી પડ્યા. એ પછી ડૉ. જોન્સન આ હસ્તપ્રત લઈને ઘણા પ્રકાશકો પાસે ગયા, પણ કોઈ પ્રગટ કરવા તૈયાર થયું નહીં. આખરે એક પ્રકાશકે માત્ર સાઠ પાઉન્ડમાં આ હસ્તપ્રત ખરીદી અને એ પ્રકાશિત થતાં ઑલિવર ગોલ્ડસ્મિથની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ. એ હતું વિશ્વનું એક મહાન પુસ્તક ‘ધ વિકાર ઑવ્ વેકફિલ્ડ.’
કુમારપાળ દેસાઈ
જ. 3 જુલાઈ, 1886 અ. 6 જૂન, 1957

ભારતીય દર્શનશાસ્ત્રી તથા સંસ્કૃતના વિદ્વાન રામચંદ્ર રાનડેનો જન્મ કર્ણાટકના બગલકોટ જિલ્લાના જમખંડીમાં થયો હતો. તેઓ 1903માં ડેકન કૉલેજમાં દાખલ થયા અને 1907માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1911માં ફર્ગ્યુસન કૉલેજમાં અંગ્રેજી ભાષાના ટ્યૂટર તરીકે કાર્ય કર્યું. અહીં પ્રાધ્યાપક વુડહાઉસના પરિચયમાં આવતા દર્શનશાસ્ત્રમાં જિજ્ઞાસા ઉત્પન્ન થતાં 1914માં દર્શનશાસ્ત્ર સાથે એમ.એ.ની પ્રથમ શ્રેણીમાં ઉપાધિ મેળવી ચાન્સેલર સુવર્ણપદક મેળવ્યો. તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં જ તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું. 1924માં કૉલેજમાંથી ત્યાગપત્ર આપી પુણેની ‘અધ્યાત્મ જીવન’ સંસ્થામાં ‘ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન’ નામના ગ્રંથની રચના કરી. સાથે સાથે તેમણે ‘અધ્યાત્મ વિદ્યાપીઠ’ની સ્થાપના કરી અને ભારતીય દર્શનના વિસ્તૃત કોશનો ઇતિહાસ પ્રકાશિત કરવાની યોજના ઘડી. તેમાં ત્રણ ખંડો પ્રકાશિત થયા – અ કન્સ્ટ્રક્ટિવ સર્વે ઑફ ઉપનિષદીક ફિલૉસૉફી (1926), હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન ફિલૉસૉફી : ક્રિયેટિવ પિરિયડ (1927) અને ફિલૉસૉફિકલ ઍન્ડ અધર એસેઝ : પાર્ટ-1 (1956). આ ઉપરાંત તેમણે મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વર વચનામૃત, સંતવચનામૃત, તુકારામ વચનામૃત, રામદાસ વચનામૃત, એકનાથ વચનામૃત, મિસ્ટિસીઝમ ઇન કર્નાટક, ધ ભગવતગીતા એઝ અ ફિલૉસૉફી ઑફ ગોડ રિયલાઇઝેશન થોટ વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે પોતાના દાર્શનિક વિચારો કેટલાક નિબંધો અને પત્રિકાઓ દ્વારા પ્રકાશિત કર્યા હતા. 1922થી 1927 સુધી કર્ણાટકના બીજાપુર પાસે નિંબાલમાં રહી તેમણે અનેક દાર્શનિક ગ્રંથોનું નિર્માણ કર્યું અને નિંબાલમાં અધ્યાત્મ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી. તેઓ 1927માં અલાહાબાદ યુનિવર્સિટીના દર્શન વિભાગમાં અધ્યક્ષ તથા પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી 26 ઑક્ટોબર, 1947માં સાંગલીમાં અધ્યાત્મ મંદિરની સ્થાપના કરી.
રાજશ્રી મહાદેવિયા