Categories
વાચન સમૃદ્ધિ

એલેક્ઝાન્ડર ડુમા

જ. 24 જુલાઈ, 1802 અ. 5 ડિસેમ્બર, 1870

19મી સદીના પ્રખ્યાત ફ્રેન્ચ લેખક એલેક્ઝાન્ડર ડુમા ઇતિહાસમાં સૌથી વધુ વંચાયેલા ફ્રેન્ચ લેખકોમાંના એક છે. તેમની રસપ્રદ ઐતિહાસિક-સાહસિક નવલકથાઓ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. તેમનું મૂળ નામ એલેક્ઝાન્ડર ડુમા ડેવીડી લા પેલેટરી. તેઓ એલેક્ઝાન્ડર ડુમા પેરે તરીકે પણ ઓળખાતા. તેમનો જન્મ વિલર્સ-કોટેરેટ્સ, પિકાર્ડી, ફ્રાન્સમાં થયો હતો. તેમની ઘણી ઐતિહાસિક-સાહસિક નવલકથાઓ મૂળ રૂપે શ્રેણીબદ્ધ રૂપે પ્રકાશિત થઈ હતી, જેમાં ‘ધ કાઉન્ટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’, ‘ધ થ્રી મસ્કેટીયર્સ’, ‘ટવેન્ટી યર્સ આફ્ટર’ અને ‘ધ વિકોમ્ટે ઑફ બ્રેગેલોન : ટેન યર્સ લેટર’નો સમાવેશ થાય છે. ફિલિપ સાથે કામ કરતા તેઓ મૅગેઝિનો માટે લખતા. તેમણે લેખનની શરૂઆત નાટકોથી કરી હતી. તેમનું સૌપ્રથમ નાટક ‘હેન્રી-3 અને હીસ કોર્ટ’ 1829માં રચાયેલું જે રૉમેન્ટિક અને ઐતિહાસિક હતું. તેમનું બીજું નાટક ‘ક્રિસ્ટીન’ બીજા વર્ષે પણ લોકપ્રિય બન્યું. સફળ નાટકો પછી તેમણે શ્રેણીબદ્ધ નવલકથાઓ લખવાની શરૂઆત કરી. 1836માં ‘લા કોમ્ટેસે ડી સેલિસ્બરી’ લખી. એક નાટકને પણ શ્રેણીબદ્ધ ઐતિહાસિક નવલકથા ‘લે કેપિટેઇન પોલ’ તરીકે ફરીથી લખ્યું. 1840માં તેમણે પૅરિસમાં ‘થિયેટર હિસ્ટોરિક’ની સ્થાપના કરી જેમાં જુદા જુદા લેખકોએ સેંકડો વાર્તાઓ લખી. તેમણે પોતે જીવન દરમિયાન 1,00,000 પાનાં ભરીને રચનાઓ કરી હતી જેમાં ઐતિહાસિક પ્રવાસો, નવલકથાઓ અને નાટકોનો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓ એટલી લોકપ્રિય થતી કે તે અંગ્રેજી અને બીજી ભાષાઓમાં અનૂદિત થઈ જતી. આથી તેઓ અઢળક સંપત્તિ કમાયા અને પૅરિસ બહાર લ-પોર્ટ માર્લીમાં વિશાળ ‘શાટો-દ-મોન્ટેક્રિસ્ટો વિલા’ બનાવી. લૂઇ-નેપોલિયન બોનાપાર્ટ 1851માં આવ્યા ત્યારે તેઓ ફ્રાન્સ છોડી બેલ્જિયમ ગયા. ત્યાં થોડો સમય રહ્યા બાદ રશિયા અને પછી ઇટાલી ગયા. અહીં તેમણે ‘લ ઇન્ડિપેન્ડન્ટ’ અખબારમાં ઇટાલીના એકીકરણને ટેકો આપતા લેખો પ્રકાશિત કર્યા. ત્યારબાદ 1864માં પૅરિસ પાછા આવ્યા. તેમના અવસાન બાદ જૂન, 2005માં તેમની છેલ્લી નવલકથા ‘ધ નાઇટ ઑફ સેન્ટ હર્માઈન’ પ્રકાશિત થઈ જેમાં ટ્રફાલગરના યુદ્ધનો ઉલ્લેખ હતો. 1970માં તેમના અવસાનના શતાબ્દી વર્ષે પૅરિસ મેટ્રોના એક સ્ટેશનને તેમનું નામ આપવામાં આવ્યું અને તેમના નિવાસ ‘શાટો-દ-મોન્ટેક્રિસ્ટો’ને પબ્લિક મ્યુઝિયમ તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

ઈથિયોપિયા

દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. તે ૯° ઉ. અ. અને ૩૯° પૂ. રે.ની આજુબાજુનો આશરે ૧૧.૩૦ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઈથિયોપિયાની ઉત્તરે ઇરિટ્રીઆ, ઈશાને જીબોટી, પૂર્વે સોમાલીઆ અને સોમાલીલૅન્ડ, દક્ષિણે કેન્યા, પશ્ચિમે સુદાન તેમજ નૈઋત્યે દક્ષિણ સુદાન દેશો સીમા ધરાવે છે. જીબોટી દેશ પાસે રાતો સમુદ્ર અને દક્ષિણે સુડોલ્ફ સરોવર આવેલું છે. રાતા સમુદ્રની દક્ષિણે એડનનો અખાત આવેલો છે. વિવિધ જાતિજૂથો, ધર્મો, ભાષાઓ તથા પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ ધરાવતો આ દેશ સદીઓથી રાજાશાહી ભોગવતો હતો. આ દેશ પહેલાં એબિસિનિયા તરીકે જાણીતો હતો. અહીં ભૂસંચલનને લીધે જ્વાળામુખી શિખરો, ફાટખીણો, ગોળાકાર પહાડો, ડુંગરધારો, સરોવરો, ઊંડાં કોતરો વગેરે ભૂમિ-સ્વરૂપોની રચના થઈ છે. પહાડી પ્રદેશમાં લગભગ ૪,૦૦૦ મીટરની ઊંચાઈનાં અનેક જ્વાળામુખી શિખરો આવેલાં છે. સર્વોચ્ચ શિખર ‘રાસ દશન’ ૪,૬૨૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંની મુખ્ય નદીઓ બ્લૂ નાઇલ, સોબત, અત્બારા, જુબા, વેબી, શેબેલી અને અવાશ છે.

ઈથિયોપિયામાં મોટા ભાગની જમીનો રાજા, તેના કુટુંબ, ધર્મગુરુઓ અથવા દૂર વસતા સામંતોને હસ્તક છે. અહીં ગણોતિયા ખેડૂતોનું પ્રમાણ વધારે છે. અહીં ઉત્પન્ન થતું મુખ્ય ધાન્ય ટેફ (Teff) અહીંના લોકોનો મુખ્ય ખોરાક છે. જુવાર, જવ, ઘઉં, મકાઈ, શેરડી, કપાસ, તેલીબિયાં અને ખાટાં ફળો અહીંના મુખ્ય પાક છે. અહીં સારી સંખ્યામાં ઢોર, ઘેટાં-બકરાં અને ઊંટના ઉછેર ઉપરાંત ઘોડાં, ગધેડાં, ખચ્ચર વગેરેનું પણ પાલન કરવામાં આવે છે. ઢોરોનાં ચામડાંની નિકાસ થાય છે. ગૃહઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. તેમાં હાથસાળ, કાપડવણાટ, વસ્ત્ર-ઉત્પાદન તથા ગૃહઉપયોગી વાસણો બનાવવાના ઉદ્યોગો અગત્યના છે. સિમેન્ટ, સાબુ, સિગારેટ, કાપડ અને દીવાસળી બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઈથિયોપિયામાં અમ્હેરા અને ગાલ્લા નામનાં બે જાતિજૂથો આગળ પડતાં છે. દેશનો વહીવટ અમ્હેરા લોકોના હાથમાં છે. આ દેશની કુલ વસ્તી આશરે ૧૩.૮૦ કરોડ (૨૦૨૬ મુજબ) છે. પાટનગર ઍડિસ-અબાબા ઉપરાંત અસ્મારા, હશર વગેરે અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઈથિયોપિયા, પૃ. 180)

Categories
વાચન સમૃદ્ધિ

બાબુભાઈ પ્રાણજીવન વૈદ્ય

જ. 23 જુલાઈ, 1909 અ. 12 ડિસેમ્બર, 1979

ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર બાબુભાઈ વૈદ્યનો જન્મ દ્વારકામાં થયો હતો. તેમના પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં થયું હતું. 1927-1930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો પણ વચ્ચે એક વર્ષ વડોદરાની કૉલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. 1929માં પિતામહનું અવસાન થતાં તેમનું ઔષધાલય પણ તેઓ અભ્યાસની સાથે ચલાવતા હતા. અભ્યાસનાં વર્ષોમાં સત્યાગ્રહની લડતમાં પ્રભાવશાળી ભાષણો કરી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 1930થી 1943માં જેતપુરની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિયપણે જોડાયેલા રહ્યા. તેઓ એક સારા વક્તા પણ હતા.

વ્યવસાયે વૈદ્ય અને રાજકીય-સામાજિક કાર્યકર હોવા છતાં તેમણે સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનું લેખનકાર્ય જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજના મુખપત્રથી શરૂ થયું. તેમણે 1937થી ‘ફૂલછાબ’માં ગ્રંથાવલોકનો લખવાં શરૂ કર્યાં અને 1943માં ‘ફૂલછાબ’ દૈનિકના સહતંત્રી તરીકે જોડાયા. 1945માં એમણે સંપાદક મેઘાણી સાથે ‘ફૂલછાબ’ છોડ્યું અને 1946માં મુંબઈમાં ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં જોડાયા. 1947માં રાજકોટથી ‘જયહિન્દ’ નામે દૈનિક શરૂ થતા એના આદ્યતંત્રી બન્યા. તેમણે વાર્તાસંગ્રહ, નાટકો અને જીવનચરિત્રોનાં અનેક પુસ્તકો લખ્યાં છે – ‘અ. સૌ. વિધવા’, ‘નિરાંતનો ઓટલો’, ‘મા વિનાનાં’, ‘રોતી ઢીંગલી’ અને ‘રાણકદેવી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. મોટેભાગે કુટુંબજીવનની ઘટના પ્રધાન વાર્તાઓ આ સંગ્રહોમાં છે. ‘એ……આવજો’ અને ‘પ્રેરણા’ તેમનાં મૌલિક નાટકો છે. આ ઉપરાંત ઇબ્સનનાં નાટકોના અનુવાદ પણ એમણે આપ્યા છે. ‘નંદબાબુ’, ‘ઉપમા’ ‘ગોદાવરી’, ‘વિશ્વામિત્ર’ જેવી નવલકથાઓ પણ તેમણે લખી છે. ‘રેતીમાં વહાણ’ એમનું સંસ્મરણોનું પુસ્તક છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં પણ તેમનો મહત્ત્વનો ફાળો છે. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના બોર્ડના મંત્રી હતા. 1962થી 1967 દરમિયાન ગુજરાત રાજ્યના તેઓ અપક્ષ ધારાસભ્ય હતા.