Categories
વાચન સમૃદ્ધિ

ઇઝરાયલ

એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ.

તે ૩૧° ૩૦´ ઉ. અ. વચ્ચેનો અને ૩૫° ૦૦´ પૂ. રે.ની આજુબાજુનો ૨૦,૭૭૦ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે આવેલો છે. તેની ઉત્તરે સીરિયા અને લેબેનૉન, પૂર્વમાં સીરિયા અને જૉર્ડન તથા પૅલેસ્ટાઇન વિસ્તાર વેસ્ટ બૅન્ક તથા દક્ષિણ પૂર્વમાં ગાઝાપટ્ટી આવેલાં છે. તેમ જ નૈઋત્યે ઇજિપ્ત સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. ઇઝરાયલના ૬૦ % ભૂમિવિસ્તારમાં રણ છે, જ્યાં સરેરાશ વાર્ષિક ૨૫ મિમી. જેટલો વરસાદ થાય છે. ઇઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલું નેગેવનું રણ તેમાં આવેલા ‘મૃત સરોવર’ નામક ખારા પાણીના સરોવર માટે જગવિખ્યાત છે. તેની ક્ષારતા ૨૪૦ % જેટલી રહેતી હોવાથી તેમાં ડૂબી જવાતું નથી. પૃથ્વી ઉપરની સૌથી વધારે નીચી ભૂમિસપાટી ધરાવતો ભાગ અહીં છે. ઇઝરાયલની એકમાત્ર નદી જૉર્ડન છે, જેના પાણીનો ઉપયોગ સિંચાઈમાં થાય છે. ઉત્તરે આવેલું ગેલીલીનું મીઠા પાણીનું સરોવર દેશનો એકમાત્ર મીઠા પાણીનો સ્રોત છે. યુનેસ્કોના આંકડા મુજબ પોતાની જળશક્તિનો ૯૪ % જેટલો મહત્તમ ઉપયોગ કરનાર એકમાત્ર દેશ ઇઝરાયલ છે. ત્યાં પાણીનો બગાડ થતો નથી. દૈનિક પ્રક્રિયામાં વાપરેલું પાણી શુદ્ધ કરી ખેતીના ઉપયોગમાં લેવામાં આવે છે. ઇઝરાયલે સિંચાઈની નવી ‘ટપક-પદ્ધતિ’ વિકસાવી છે.

ઇઝરાયલનું અર્થતંત્ર પશ્ચિમનાં રાષ્ટ્રો જેવું આર્થિક માળખું અને વિકાસધોરણ ધરાવે છે. ખોરાક-પ્રક્રિયા, રંગ અને રસાયણ, વિદ્યુત અને વીજાણુ-સરંજામ તથા ધાતુ-ઉદ્યોગના ક્ષેત્રે તે મોખરે છે. વિશ્વમાં સૌથી વધુ સૂર્યશક્તિનો ઉપયોગ કરનાર રાષ્ટ્ર ઇઝરાયલ છે. ઇઝરાયલની વસ્તી ૧ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. તેઓ હિબ્રૂ, અરબી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ બોલે છે તથા યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. પાટનગર જેરૂસલેમ ત્યાંનું પવિત્ર શહેર છે. ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમોનું તે યાત્રાધામ છે. યહૂદીઓના પ્રાચીન દેવળની ‘રુદનની દીવાલ’ (The wailing wall) જેરૂસલેમમાં છે, જ્યાં યહૂદીઓ મંદિરના વિનાશ અને રાષ્ટ્રીય સ્વતંત્રતાને પહોંચેલી હાનિ માટે શોક વ્યક્ત કરે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, ઇઝરાયલ, પૃ. 150)

Categories
વાચન સમૃદ્ધિ

મારિયા બિસ્લાવા અન્ના સિમ્બોસકા

જ. 2 જુલાઈ, 1923 અ. 1 ફેબ્રુઆરી, 2012

મારિયા પોલિશ ભાષાના કવયિત્રી અનુવાદક અને 1996ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર વિજેતા હતાં. મારિયાના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્વાને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન બાદ 1924માં તેઓ તોરુન આવ્યા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યાં. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવ્યા બાદ તેઓની ઓળખ આંતરરાષ્ટ્રીય થઈ ગઈ. તેમના સાહિત્યનું ઘણી યુરોપિયન ભાષાઓમાં ભાષાંતર થયું છે. આ સાથે અરેબિક, હિબ્રૂ, જાપાનીઝ, પર્શિયન અને ચાયનીઝ ભાષાઓમાં પણ ભાષાંતર પામ્યું છે. જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે પોતાનો અભ્યાસ ભૂગર્ભ વર્ગોમાં ચાલુ રાખ્યો. 1943 સુધી તેમણે રેલમાર્ગના કર્મચારી તરીકે કામગીરી બજાવી. જેથી તેમને બળજબરીપૂર્વક જર્મની ધકેલી ન દેવામાં આવે. આ સમયમાં તેમણે અંગ્રેજી પાઠ્યપુસ્તક માટેનાં ચિત્રો દોરી એક કલાકારની કામગીરી બજાવી. યુનિવર્સિટીમાં સમાજવિદ્યાનો વિષય લેતાં પહેલાં તેમણે પોલિશ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. માર્ચ, 1945માં તેમનું કાવ્ય સ્થાનિક દૈનિકમાં પ્રગટ થયું હતું. ત્યાર પછી તેમનાં કાવ્યો અનેક વર્તમાનપત્રોમાં છપાતાં રહ્યાં. 1948માં તેમણે અભ્યાસ છોડી દીધો અને આદમ વૉડેક સાથે લગ્ન કર્યાં. 1954માં તેમણે છૂટાછેડા લીધા, પરંતુ આદમની ઘણી સંભાળ રાખતાં હતાં. 1953માં તેઓ સાહિત્યનું વિવેચન કરતા સામયિકમાં જોડાયાં. 1968થી તેમની સાહિત્યની સફર શરૂ થઈ. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં. 1954માં ક્રેકોવ શહેરનું સાહિત્ય માટેનું પારિતોષિક, 1963માં પોલિશ મિનિસ્ટ્રી ઑવ કલ્ચર ઇનામ, 1990માં કૉસસિએલ્સ્કી ઍવૉર્ડ, 1991 ગોએથે પ્રાઇઝ, 1996માં પોલિશ પેન ક્લબ પ્રાઇઝ, 1996માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર, 2005માં ગોલ્ડ મેડલ ફોર મેરિટ્સ ઑવ્ કલ્ચર-ગ્લોરિયા આર્ટસ અને 2011માં ઑર્ડર ઑવ્ ધ વ્હાઇટ ઇગલ મળ્યા. આ ઉપરાંત ‘વિસ્લાવા સિમ્બૉર્સ્કા ઍવૉર્ડ’ મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાપુર

પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે. તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે. શહેરની આસપાસ સપાટપ્રદેશ છે. દામોદર અને ગંગાની નહેરનો તેમાં સિંચાઈ માટે ઉપયોગ થાય છે, જેને લીધે મબલક પાક થાય છે. ડાંગર, શેરડી, ઘઉં, તેલીબિયાં મુખ્ય પાક છે. દુર્ગાપુર મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે.

1962માં અહીં ઇંગ્લૅન્ડની સહાયથી 10 લાખ ટન પોલાદ ઉત્પન્ન કરતું કારખાનું સ્થપાયું હતું. રાણીગંજ અને ઝરિયાનાં કોલસાનાં ક્ષેત્રો આ શહેર નજીક આવેલાં છે. બિહાર, ઝારખંડ અને ઓરિસાની લોખંડની કાચી ધાતુ તથા ચૂનાના પથ્થરો અહીં ઉપલબ્ધ છે. ત્યાંના કારખાનાને બે થર્મલ વિદ્યુતમથકો વીજળી પૂરી પાડે છે. ત્યાંના પોલાદના કારખાનાનું વિસ્તૃતીકરણ થયું છે. આ કારખાના ઉપરાંત કોલસા ધોવાનું કારખાનું, મિશ્રધાતુઓ અને વિશિષ્ટ પોલાદના ઉત્પાદન માટેનું કારખાનું, ઈંટ અને નળિયાં બનાવવાનો ઉદ્યોગ, કોલસાની ખાણ માટેનાં યંત્રો, સિમેન્ટ વગેરે માટે ઉદ્યોગો અહીં વિકસ્યા છે. આ શહેર આસનસોલ બર્દવાન માર્ગ પરનું રેલવે-મથક છે. ઉપરાંત, કૉલકાતા, બર્દવાન અને આસનસોલ સાથે તે જમીનમાર્ગે જોડાયેલું છે. નહેરથી જોડાયેલું નજીકનું બંદર કૉલકાતા છે. આમ, દુર્ગાપુર વાહનવ્યવહારની સારી સગવડ ધરાવે છે. અહીં બર્દવાન યુનિવર્સિટી સાથે જોડાયેલી ઇજનેરી કૉલેજ, એક સરકારી કૉલેજ તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંલગ્ન સંગીત મહાવિદ્યાલય છે. શહેરની વસ્તી આશરે 7,50,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9માંથી