મધ્યપ્રદેશના ઉજજૈન વિભાગનો જિલ્લો. તે 22° 57´ ઉ. અ. અને 76° 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ જિલ્લાની પૂર્વે શેહોર જિલ્લો, દક્ષિણે હરડા અને ખંડવા જિલ્લાઓ, પશ્ચિમે ખારગોન અને ઇન્દોર જિલ્લા, જ્યારે ઉત્તરે ઉજજૈન અને શહાજહાંપુર જિલ્લાઓ સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાની પશ્ચિમે માલવાનો ઉચ્ચપ્રદેશ જે લગભગ સમતળ છે. દક્ષિણે ક્રમશઃ ઊંચકાતી વિંધ્યાચળ હારમાળા આવેલી છે. અહીં ચંબલ અને કાળીસિંધ નદીનાં મૂળ આવેલાં છે. જે આગળ જતાં ગંગા નદીને મળે છે. આ વિસ્તારમાં ગ્રૅનાઇટ જેવી નક્કર ખડક-સંરચના ધરાવતા ઉચ્ચપ્રદેશો આવેલા છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 600થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. સમુદ્રકિનારાથી દૂર આવેલો છે, આથી આબોહવા લગભગ ખંડીય પ્રકારની છે. પરિણામે ઉનાળામાં મે માસ દરમિયાન તાપમાન 33° સે.થી વધી જાય છે. જ્યારે શિયાળામાં એટલે કે જાન્યુઆરી માસમાં તાપમાન 20° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વરસાદ 3200 મિમી. જેટલો પડે છે. રાત્રિના સમયગાળામાં તાપમાન નીચું અનુભવાય છે.

અહીં સાગ, સાલ, સાદડ, ખેર, ટીમરુ, ચારોળી, પલાસ વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. ફળાઉ વૃક્ષોમાં કેરી, પપૈયાં, ચીકુ મુખ્ય છે. વાઘ, દીપડો, વાનરો, જરખ, શિયાળ જેવા વન્યજીવો પણ જોવા મળે છે. અહીં મોટે ભાગે સઘન ખેતી થતી જોવા મળે છે. જેમાં ઘઉં, જવ, બાજરો, તેલીબિયાં, કઠોળ, ડાંગર, શેરડી વગેરેની ખેતી લેવાય છે. જંગલપેદાશોમાં ઇમારતી લાકડું, લાખ, ગુંદર, ટીમરુનાં પાન વગેરે મેળવાય છે. ઇન્દોર–નેમાવર રોડ ઉપર ‘ગિદીયા ખોહ’ પાસે જળધોધ આવેલો છે. જે દેવાસથી 48 કિમી. દૂર છે. આ ઉપરાંત અહીં ચામુંડા ટેકરી, સિદ્ધેશ્વર મહાવીર મંદિર, કેલા દેવ મંદિર, શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર વગેરે આવેલાં છે. આ જિલ્લાને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 52 મહત્ત્વનો છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો પણ આવેલા છે. આ જિલ્લામાં ત્રણ રેલવેસ્ટેશનો આવેલાં છે. જેમાં દેવાસ જંકશન સૌથી મહત્ત્વનું છે. આ જિલ્લાનો વિસ્તાર 7,020 ચો.કિમી. છે, જ્યારે વસ્તી આશરે (2026 મુજબ) 19,20,000 છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે, નીતિન કોઠારી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)
