Categories
વાચન સમૃદ્ધિ

અસલી ચહેરાનો પ્રભાવ

અમેરિકાના નાનકડા ગામમાં વસતા જેન ઑટ્રીએ ગામડામાંથી શહેરમાં આવીને પહેલું કામ એ કર્યું કે ન્યૂયૉર્ક જેવા મહાનગરને છાજે એવી ભાષા બોલવાનો પ્રયાસ કર્યો. એની વાતચીતમાં આવી જતી ટેક્સાસ રાજ્યની બોલીની લઢણ સભાનપણે દૂર કરી. ગામડાનો પોશાક છોડીને મહાનગરના માનવીને શોભે એવો ઠસ્સાદાર પોશાક સજી-ધજીને પહેરવા લાગ્યો, એટલું જ નહીં પણ પોતે જાણે ન્યૂયૉર્કનો વતની છે એવી લોકોને પહેચાન આપવા લાગ્યો. ઑટ્રીએ એ પોતે નહોતો, એવા થવાનો પ્રયત્ન કર્યો. એણે માત્ર દેખાવ બદલ્યો નહીં, એથીય વિશેષ મધુર કંઠ ધરાવતા આ ગાયકે ગાવાનાં ગીતો પણ બદલી નાખ્યાં. ગામઠી સંગીતને તિલાંજલિ આપીને પ્રચલિત શહેરી સંગીતની નકલ કરવા લાગ્યો. એનું આવું અનુકરણ જોઈને કેટલાક જેન ઑટ્રીની મજાક ઉડાવતા હતા, કેમ કે ક્વચિત્ બોલચાલમાં કે વર્તણૂકમાં એનું ગામઠીપણું ડોકિયું કરી જતું. એ સહુની મશ્કરીનો ભોગ બનવા લાગ્યો અને વિશેષ તો શહેરમાં આવવા છતાં ગાયક તરીકે એની કોઈ ગણના થતી નહોતી. એક દિવસ જેન ઑટ્રીએ નક્કી કર્યું કે આવો શહેરી દેખાવ કે બાહ્ય આડંબર છોડી દેવો અને પોતે જે છે, તે રીતે દુનિયા સમક્ષ આવવું. આથી એણે પોતાની આગવી શૈલીમાં બેન્જો વગાડવાનું શરૂ કર્યું અને ગામડાંઓમાં ગવાતું કાઉ-બૉયનું સંગીત ગાવા લાગ્યો. બાળપણમાં એણે આ સંગીત ભરપૂર માણ્યું અને ગાયું હતું અને એ જ એની સાચી ઓળખ હતી. બન્યું એવું કે જેન ઑટ્રીનું કન્ટ્રીસાઇડ કાઉ-બૉય સંગીત ખૂબ લોકપ્રિય બન્યું અને ધીરે ધીરે એની ખ્યાતિ વધતી ગઈ, રેડિયો પર એ શ્રોતાજનોનો પ્રિય ગાયક બની ગયો અને ચલચિત્રોમાં પણ ગાયક તરીકે એના કાઉ-બૉય સંગીતે દર્શકોને ઘેલું લગાડ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

આનંદ બક્ષી

જ. 21 જુલાઈ, 1930 અ. 30 માર્ચ, 2002

હિન્દી ફિલ્મજગતના ખ્યાતનામ કવિ-ગીતકાર આનંદ બક્ષીનો જન્મ રાવલપિંડી, પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ ભારતના ભાગલા સમયે એમના પરિવારે જીવ બચાવીને દિલ્હી ભાગી આવવું પડ્યું હતું. કવિતા લખવાનો શોખ આનંદ પ્રકાશ બક્ષીને કિશોર વયથી હતો. થોડો સમય ભારત નેવીમાં તથા ત્યાંથી ભારતીય આર્મીમાં કામ કર્યું, પરંતુ એમના કવિજીવને બંધનયુક્ત કામ માફક ન આવ્યું અને મુંબઈ જઈને ફિલ્મજગતમાં પ્રયત્ન કરવાનું સપનું જોયું. શરૂઆતનો સમય ઘણો સંઘર્ષમય રહ્યો. દરમિયાન અભિનેતા ભગવાન દાસને મળવાનું બન્યું. એમના નિર્માણમાં બનતી ફિલ્મ માટે તાત્કાલિક ગીતો લખી આપવાનો પડકાર સ્વીકારીને આનંદ બક્ષીએ ત્યાં બેઠા બેઠા ચાર ગીતો લખી આપ્યાં. આમ ‘ભલા આદમી’ ફિલ્મ સાથે આનંદ બક્ષીનું હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ થયું. એમની ગીતકાર તરીકેની કારકિર્દી સાડાચાર દાયકાથી વધુ ચાલી. આ શબ્દયાત્રામાં નિસાર બાઝમીથી અનુમલિક સુધી તમામ સંગીતનિર્દેશકો સાથે કામ કર્યું. 300 ફિલ્મોમાં 6000 ગીતો લખ્યાં. કવિતાના માધ્યમથી સમાજને સાહિત્ય સાથે જોડનાર આનંદ બક્ષીની કલમે લખાયેલાં ગીતો ફિલ્મની વાર્તા તથા પ્રસંગોની માંગને ધ્યાનમાં રાખીને લખાયાં છતાં એની ગુણવત્તા ભાવકોના હૃદયને સ્પર્શી જતી. હિમાલય કી ગોદ મેં, જબજબ ફૂલ ખીલે, હરે ક્રિશ્ના હરે રામ, સત્યમ્ શિવમ્ સુંદરમ્, શોલે, શક્તિ, વિધાતા, આરાધના, મેરા ગાંવ મેરા દેશ વગેરે ફિલ્મોમાં આનંદ બક્ષીલિખિત પ્રત્યેક ગીત ભાવકોના મન પર તરત જ અંકિત થઈ જતું. ગીતલેખનના પ્રથમ પુરસ્કાર રૂપે ચાર ગીતોના 150 રૂપિયા પ્રાપ્ત થયા હતા. 1954માં કમલા બક્ષી સાથે તેમણે લગ્ન કર્યાં. એમને ચાર સંતાનો હતાં. પૌત્ર આદિત્ય દત્તા ફિલ્મજગતમાં દિગ્દર્શક તરીકે કાર્યરત છે. એમના લેખનના કાર્યકાળ દરમિયાન એમને ચાર વખત ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. 2002માં હૃદય અને ફેફસાંની બીમારીને કારણે એમનું અવસાન થયું. આનંદ બક્ષી એમનાં ગીતો દ્વારા આજે પણ ભાવકોના હૃદયમાં જીવંત છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઈડર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે ૨૩° ૦૫´ ઉ. અ. અને ૭૩° પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રસપાટીથી ૨૨૯ મીટરની ઊંચાઈ પર વસેલું છે. તે અમદાવાદથી ઉત્તરે ૧૦૪ કિમી. તથા હિંમતનગરથી ઉત્તરે ૨૭ કિમી.ના અંતરે આવેલું છે. ઈડર તાલુકામથક હોઈને વેપાર-વાણિજ્યનું કેન્દ્ર છે. અહીં વિનયન અને વાણિજ્ય કૉલેજો, માધ્યમિક શાળાઓ, સ્ત્રી-અધ્યાપન-મંદિર અને પુસ્તકાલય આવેલાં છે. અહીંનો રમકડાં-ઉદ્યોગ ગુજરાતમાં જાણીતો છે. ઈડરની ચારેય બાજુ ગ્રૅનાઇટ પથ્થરની ટેકરીઓ આવેલી છે. ત્યાં બાંધકામના ગ્રૅનાઇટ પથ્થર માટેનો ખાણ-ઉદ્યોગ ચાલે છે. અહીંનો ઇડરિયો ગઢ વિખ્યાત છે. ‘અમે ઇડરિયો ગઢ જીત્યાં રે’ લગ્નગીત અહીંના વિસ્તારમાં અચૂક ગવાય છે. હાલમાં ઇડરિયો ગઢ ભગ્નાવસ્થામાં જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત રણમલ ચૉકી, રૂઠી રાણીનું માળિયું, જૈન-મંદિરો, જવાનવિલાસ મહેલ, રાણી-તળાવ અને રણમલ-તળાવ, વેણીવત્સનો કુંડ, કોટેશ્વર, ચંપેશ્વર, મહાકાલેશ્વરનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર અને રાજચંદ્રવિહાર અહીંનાં જોવાલાયક સ્થળો છે. અમદાવાદ-ખેડબ્રહ્મા રેલમાર્ગ પર ઈડર મહત્ત્વનું મથક છે. આ નગર ગુજરાત અને રાજસ્થાનનાં શહેરો અને ગામડાં સાથે માર્ગવાહનવ્યવહાર મારફતે જોડાયેલું છે.

ઇતિહાસ : ઈડરનું જૂનું નામ ‘ઇલ્વદુર્ગ હતું. દંતકથા મુજબ, દ્વાપરયુગમાં ઋષિમુનિઓને ત્રાસ આપતા ઇલ્વ અને વાતાપિ રાક્ષસોનો અગસ્ત્ય મુનિએ નાશ કર્યો હતો. આ સ્થળનો ઇતિહાસ અંદાજે ૩૦૦૦ વર્ષથી પણ જૂનો હોવાનું કહેવાય છે. ઈ. સ. પૂર્વે ૮૭૦ના અરસામાં અહીં વેણીવત્સ નામના રાજાનું શાસન હતું. તે પછીથી શિલાદિત્ય સાતમાની રાણી પુષ્પાવતીએ ગુહ નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ તાલુકામાં વહેતી ગુહાઈ નદીનું નામ તેના પરથી પડ્યું હોવાનું મનાય છે. ગુહાદિત્યની સાતમી પેઢી પછી આ સ્થળ ભીલોના હાથમાં ગયેલું. ઈ. સ. ૧૦૦૦ના અરસામાં અહીં પ્રતિહારોનું શાસન રહેલું. તે પૈકી અમરિંસહ ખૂબ બળવાન હતો. ત્યારબાદ પ્રતિહારોને હરાવીને હાથી સોડ અને શામળિયા સોડે અહીં રાજ્ય કરેલું. પછીથી મારવાડના સોનિંગજી રાઠોડે શામળિયા સોડને હરાવેલો. ઈ. સ. ૧૨૯૮-૧૩૦૪ દરમિયાન અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલુઘખાને ઈડરને કબજે કરેલું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઈડર, પૃ. 179)