ઈડર


ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે ૨૩° ૦૫´ ઉ. અ. અને ૭૩° પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રસપાટીથી ૨૨૯ મીટરની ઊંચાઈ પર વસેલું છે. તે અમદાવાદથી ઉત્તરે ૧૦૪ કિમી. તથા હિંમતનગરથી ઉત્તરે ૨૭ કિમી.ના અંતરે આવેલું છે. ઈડર તાલુકામથક હોઈને વેપાર-વાણિજ્યનું કેન્દ્ર છે. અહીં વિનયન અને વાણિજ્ય કૉલેજો, માધ્યમિક શાળાઓ, સ્ત્રી-અધ્યાપન-મંદિર અને પુસ્તકાલય આવેલાં છે. અહીંનો રમકડાં-ઉદ્યોગ ગુજરાતમાં જાણીતો છે. ઈડરની ચારેય બાજુ ગ્રૅનાઇટ પથ્થરની ટેકરીઓ આવેલી છે. ત્યાં બાંધકામના ગ્રૅનાઇટ પથ્થર માટેનો ખાણ-ઉદ્યોગ ચાલે છે. અહીંનો ઇડરિયો ગઢ વિખ્યાત છે. ‘અમે ઇડરિયો ગઢ જીત્યાં રે’ લગ્નગીત અહીંના વિસ્તારમાં અચૂક ગવાય છે. હાલમાં ઇડરિયો ગઢ ભગ્નાવસ્થામાં જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત રણમલ ચૉકી, રૂઠી રાણીનું માળિયું, જૈન-મંદિરો, જવાનવિલાસ મહેલ, રાણી-તળાવ અને રણમલ-તળાવ, વેણીવત્સનો કુંડ, કોટેશ્વર, ચંપેશ્વર, મહાકાલેશ્વરનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર અને રાજચંદ્રવિહાર અહીંનાં જોવાલાયક સ્થળો છે. અમદાવાદ-ખેડબ્રહ્મા રેલમાર્ગ પર ઈડર મહત્ત્વનું મથક છે. આ નગર ગુજરાત અને રાજસ્થાનનાં શહેરો અને ગામડાં સાથે માર્ગવાહનવ્યવહાર મારફતે જોડાયેલું છે.

ઇતિહાસ : ઈડરનું જૂનું નામ ‘ઇલ્વદુર્ગ હતું. દંતકથા મુજબ, દ્વાપરયુગમાં ઋષિમુનિઓને ત્રાસ આપતા ઇલ્વ અને વાતાપિ રાક્ષસોનો અગસ્ત્ય મુનિએ નાશ કર્યો હતો. આ સ્થળનો ઇતિહાસ અંદાજે ૩૦૦૦ વર્ષથી પણ જૂનો હોવાનું કહેવાય છે. ઈ. સ. પૂર્વે ૮૭૦ના અરસામાં અહીં વેણીવત્સ નામના રાજાનું શાસન હતું. તે પછીથી શિલાદિત્ય સાતમાની રાણી પુષ્પાવતીએ ગુહ નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ તાલુકામાં વહેતી ગુહાઈ નદીનું નામ તેના પરથી પડ્યું હોવાનું મનાય છે. ગુહાદિત્યની સાતમી પેઢી પછી આ સ્થળ ભીલોના હાથમાં ગયેલું. ઈ. સ. ૧૦૦૦ના અરસામાં અહીં પ્રતિહારોનું શાસન રહેલું. તે પૈકી અમરિંસહ ખૂબ બળવાન હતો. ત્યારબાદ પ્રતિહારોને હરાવીને હાથી સોડ અને શામળિયા સોડે અહીં રાજ્ય કરેલું. પછીથી મારવાડના સોનિંગજી રાઠોડે શામળિયા સોડને હરાવેલો. ઈ. સ. ૧૨૯૮-૧૩૦૪ દરમિયાન અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલુઘખાને ઈડરને કબજે કરેલું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઈડર, પૃ. 179)