Categories
વાચન સમૃદ્ધિ

સારા અબૂબકર

જ. 30 જૂન, 1936 અ. 10 જાન્યુઆરી, 2023

ભારતીય કન્નડ લેખિકા અને અનુવાદક સારા અબૂબકરનો જન્મ કેરલમના કાસરગોડમાં પુદિયાપુરી અહમદ અને ઝૈનબી અહમદના ઘરે થયો હતો. તેમને ચાર મોટા ભાઈઓ હતા. સારા મલયાળમભાષી હોવા છતાં કન્નડ ભાષા પર સારો કાબૂ હતો. કન્નડ વિદ્યાલયમાં તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમને તો હજી આગળ ભણવાની ઇચ્છા હતી, પણ તે સમયના સમાજના માપદંડને કારણે તે શક્ય ન હતું. સામુદાયિક બંધનોને લીધે ઉચ્ચશિક્ષણ મહિલાઓ માટે પ્રતિબંધિત હતું. તેઓ ઈ. સ. 1963માં એક પુસ્તકાલયના સભ્ય થઈ શક્યાં હતાં. તેઓએ કન્નડ ભાષામાં ઉચ્ચકોટિના સાહિત્યનું સર્જન કર્યું છે. તે તેમની સર્જનાત્મક શક્તિ, કુશળતા અને કાર્ય કરવાની લગનીને લીધે શક્ય બન્યું.  એમના લેખનમાં મુખ્યત્વે નવલકથા અને લઘુકથાઓ સામેલ થાય છે. તેમણે તેમના સમાજની ગરીબ સ્ત્રીઓએ વેઠેલાં દુઃખ અને યાતના સમાજ આગળ રજૂ કરી શકાય તે માટે સાહિત્યનું સર્જન કર્યું. પિતૃપ્રધાન વ્યવસ્થાથી મુસ્લિમ સ્ત્રીઓ પર થતા અન્યાય પર તેઓએ સાહિત્યસર્જન કરી ધ્યાન દોર્યું. તેઓ સાદી ભાષામાં સામાજિક, ધાર્મિક અને કોમી હિંસા જેવા વિષયો પર લખતાં જેથી સમાજમાં થતા અન્યાય પર ધ્યાન દોરી શકાય. તેઓ તેમની નવલકથા ‘ચંદ્રગિરિયા થિરાદલ્લી’થી પ્રખ્યાત થયાં હતાં. આ નવલકથાનો અંગ્રેજી અને મરાઠીમાં પણ અનુવાદ થયો છે. આ નવલકથાના આધારે ફિલ્મ ‘બ્યારી’ બનાવવામાં આવી હતી. તેમની નવલકથા ‘વજ્રગાલુ’ પરથી ‘સારાવજ’ ફિલ્મ બનાવવામાં આવી છે. 1914થી તેઓએ તેમના ચંદ્રગિરિ પ્રકાશન કંપની દ્વારા પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમના સાહિત્યસર્જન માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, અનુપમા નિરંજના ઍવૉર્ડ, કન્નડ રાજ્યોત્સવ ઍવૉર્ડ, રથનમ્મા હેગડે મહિલા સાહિત્ય ઍવૉર્ડ, દાના ચિંતામણિ અત્તિમબ્બે ઍવૉર્ડ, હમ્પી યુનિવર્સિટી તરફથી નાદોજા ઍવૉર્ડ, માનદ ડૉક્ટરેટ પદવી – મૅંગ્લોર યુનિવર્સિટી તરફથી અને કન્નડ ભાષામાં સાહિત્યસર્જન કરવા માટે નૃપાતુંગ ઍવૉર્ડ વગેરે મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઇજિપ્ત (મિસર)

આફ્રિકા ખંડના ઈશાન ખૂણામાં આવેલો દેશ.

તે ૨૨°થી ૩૨° ઉ. અ. અને ૨૫°થી ૩૬° પૂ. રે. વચ્ચેનો ૧૦,૦૨,૪૫૦ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો વિકાસ ઇજિપ્તમાં નાઇલ નદીને કિનારે થયો હતો. ઇજિપ્તની ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર, ઈશાનમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ગાઝાપટ્ટી આવેલા છે. પૂર્વમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં સુદાન અને પશ્ચિમમાં લિબિયા આવેલા છે. ઇજિપ્ત વિશ્વનો ૧૪મો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પ્રાકૃતિક રચના પ્રમાણે ઇજિપ્તને ત્રણ ભાગમાં વહેંચી શકાય : (૧) નાઇલની પૂર્વમાં અરબસ્તાનનું રણ, (૨) નાઇલની પશ્ચિમમાં લિબિયાનું રણ અને (૩) નાઇલની ખીણનો ફળદ્રૂપ પ્રદેશ. મોટા ભાગનું ઇજિપ્ત નાઇલ નદીના કિનારે વસેલું છે. તેના કુલ વિસ્તારના આશરે 90% જેટલો ભાગ રણપ્રદેશ છે. નાઇલ નદીમાં દર વર્ષે ઑગસ્ટ, સપ્ટેમ્બરમાં પ્રચંડ પૂર આવે છે. આ નદીનાં પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તેના માટે નહેરો તૈયાર કરવામાં આવી છે. આસ્વાન બંધ, સુએઝ નહેર, યૂસુફ નહેર અને અહમદી નહેર જાણીતાં છે. ઇજિપ્તના દરિયાકિનારાની લંબાઈ લગભગ ૨,૪૫૦ કિમી. છે.

અહીં ભેંસ, બકરાં, ઘેટાં, ઊંટ, ગધેડાં અને મરઘાં જેવાં પાલતુ પ્રાણીઓ અને થોડા પ્રમાણમાં શિયાળ, લોંકડી, ભુંડ, જરખ, મગર અને હિપોપૉટેમસ મળે છે. ઇજિપ્તમાં મુખ્ય પાક ખજૂરનો છે. તે મબલક થાય છે. ઉત્તમ પ્રકારના રૂ માટે ઇજિપ્ત બીજા ક્રમે આવે છે. અહીં દ્રાક્ષ, નારંગી, ઑલિવ, અંજીર, મોસંબી, લીંબુ, કપાસ, ઘઉં, બાજરી અને શેરડીના પાકો લેવામાં આવે છે. અહીં ખનિજસંપત્તિ નહિવત્ છે. રાજધાની કૅરો આફ્રિકાનું સૌથી મોટું અને ઝડપથી વિકસતું શહેર છે. ઍલેક્ઝાન્ડ્રિયા વેપારનું મોટું મથક છે. આ દેશની વસ્તી ૧૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન મિસરના લોકોએ કલા, શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રે અજોડ પ્રગતિ સાધી હતી. ઇજિપ્તના રાજવીઓ ‘ફારોહ’ કહેવાતા. શંકુઘાટના પિરામિડો નામે ઓળખાતી રાજા-રાણીઓની કબરો ઇજિપ્તની વિશિષ્ટતા છે. ગિઝેહ (ગીઝા) પાસે આવેલ પિરામિડ તથા સ્ફિંક્સની મહાકાય પ્રતિમા જોવા લાખો પ્રવાસીઓ ઇજિપ્તની મુલાકાત લે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇજિપ્ત (મિસર), પૃ. 148)

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ રોક્સબર્ગ

જ. 29 જૂન, 1751 અ. 18 ફેબ્રુઆરી, 1815

સ્કોટિશ તબીબ અને વનસ્પતિશાસ્ત્રી વિલિયમ રોક્સબર્ગનો જન્મ ક્રેગી નજીક આયરશાયર(Ayershire)માં થયો હતો. ભારતમાં વનસ્પતિશાસ્ત્રક્ષેત્રે આવેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ભારતીય વનસ્પતિવિજ્ઞાનના જનક (Father of Indian Botany) માનવામાં આવે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ ‘અંડરવુડ પૅરિસ’ શાળામાં લીધું. 1771માં મૅટ્રિક પાસ કર્યા બાદ તેમણે ડૉ. એલેકઝાન્ડર મોનરોના હાથ નીચે તબીબી શસ્ત્રક્રિયાનો અભ્યાસ કર્યો અને જોન હોપના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1772માં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજમાં સર્જન તરીકે ભારત આવ્યા. અહીં મદ્રાસ (ચેન્નાઈ) અને બીજાં કેટલાંક બંદરો પર પોતાની સેવાઓ આપી. 28 મે, 1776ના રોજ તેઓ ચેન્નાઈ મેડિકલ સર્વિસમાં સહાયક સર્જન તરીકે અને 1780માં મુખ્ય સર્જન તરીકે નિયુક્ત થયા. તેમને પ્રથમ ડૉક્ટરેટ(M.D.)ની ઉપાધિ એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી મળી જ્યારે બીજી ડૉક્ટરેટની પદવી એબરડીનની મેરિશ્ચલ(Marischal) કૉલેજમાંથી પ્રાપ્ત થઈ. ભારતમાં રહી તેમણે વનસ્પતિ, છોડ, પર્ણ તથા જડીબુટ્ટીઓનો ગહન અભ્યાસ કર્યો. 1793માં તેઓને કૉલકાતાના શિવપુરમાં આવેલા રૉયલ બૉટનિકલ ગાર્ડનના અધિક્ષક નિયુક્ત કરાયા. તેમણે વનસ્પતિશાસ્ત્રમાં પોતાનાં સંશોધનો માટે ભારતીય કલાકારોને અસંખ્ય વનસ્પતિઓનું ચિત્રીકરણ કરવાનું કામ સોંપ્યું. તેમણે વનસ્પતિની અનેક પ્રજાતિઓનું વર્ણન Icones Roxburghianeeમાં પ્રકાશિત કર્યું. તેમણે ભારતની હજારો વનસ્પતિઓની પ્રમાણભૂત માહિતી આપતો દસ્તાવેજ રજૂ કરી આધુનિક વનસ્પતિશાસ્ત્રનો પાયો નાંખ્યો. તેમણે ‘ફ્લોરા ઇન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું જે ભારતીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓના જ્ઞાન માટેનો સૌપ્રથમ આધારભૂત દસ્તાવેજ ગણાય. 1791માં તેમને રૉયલ સોસાયટી ઑફ એડિનબરોના ફેલો બનાવવામાં આવ્યા. 1805માં સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ આર્ટસનો સુવર્ણચંદ્રક, 1803માં ભારતમાં વૃક્ષોના વિકાસ પરના સંશોધનો માટેનો સુવર્ણચંદ્રક અને 1814માં નોફોર્ડના ડ્યુક દ્વારા સુવર્ણચંદ્રક અર્પણ કરાયા. તેમને અનેક મરણોત્તર સન્માનો પણ પ્રાપ્ત થયાં હતાં.