Categories
વાચન સમૃદ્ધિ

સામતા પ્રસાદ

જ. 20 જુલાઈ, 1921 અ. 31 મે, 1994

બનારસ(ઉત્તરપ્રદેશ)ના તબલા અને પખાવજના બોલ અને ઠેકાની લયમાં મગ્ન પરિવારમાં સામતા પ્રસાદનો જન્મ થયો હતો. તેમની પ્રારંભિક તાલીમ પિતા હરિ સુંદર (બચા મિશ્રા) પાસે શરૂ થઈ હતી. સાત વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર સામતા પ્રસાદે બિક્કુ મહારાજને ગુરુપદે સ્થાપ્યા અને ઘણા કલાકો સુધી અભ્યાસ કરવાનું શરૂ કર્યું. 1942માં ‘અલાહાબાદ સંગીત સંમેલન’માં એકલવાદક કલાકાર તરીકે તેમણે ત્યાં હાજર સંગીતકારો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના આ પ્રથમ જાહેર કાર્યક્રમના પગલે તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ભારતમાં કૉલકાતા, મુંબઈ, લખનઉ, ચેન્નાઈ વગેરે સ્થળોએ તેમણે કાર્યક્રમો કર્યા હતા. ‘ઝનક ઝનક પાયલ બાજે’ (1955), ‘બસંત બહાર’ (1956), ‘મેરી સૂરત તેરી આંખે’ (1963), ‘શોલે’ (1975) વગેરે જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં તેમણે તબલાં વગાડ્યાં હતાં. ફ્રાન્સ, રશિયા અને એડિનબર્ગ જેવાં સ્થળોએ તેમણે ભારતીય સાંસ્કૃતિક જૂથનું પ્રતિનિધિત્વ કરતા કાર્યક્રમો કર્યા હતા. પ્રખ્યાત સંગીતકાર રાહુલ દેવ બર્મન અને બપ્પી લાહિરી તેમના જ શિષ્યો હતા. પંડિત કુમારલાલ મિશ્ર (પુત્ર), પંડિત ચંદ્રકાંત કામત, પંડિત માણિકરાવ પોપટકર વગેરે પણ તેમની પાસે કેળવાયા હતા. સંગીત નાટક અકાદમી પુરસ્કાર(1979)થી નવાજવામાં આવેલ આ તબલા સમ્રાટને 1987માં રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ હતી. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી (1972), પદ્મભૂષણ(1991)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દેવાસ (શહેર)

દેવાસ જિલ્લાનું જિલ્લામથક અને શહેર છે.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : જે 22° 96´ ઉ. અ. અને 76° 06´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 50 ચો.કિમી. અને વસ્તી આશરે (2026 મુજબ) 4,30,000 છે. તે સમુદ્રની સપાટીથી 535 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ શહેર માલવાના ઉચ્ચપ્રદેશના સમતળ પ્રદેશમાં આવેલું છે. દક્ષિણે વિંધ્યાચળની હારમાળા ક્રમશઃ આગળ જતાં તેની ઊંચાઈ વધતી જતી જોવા મળે છે. આ શહેર કરતપુરા નદીકિનારે વસ્યું છે. ઉનાળામાં સરેરાશ તાપમાન આશરે 35° સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 18° સે. રહે છે. સરેરાશ વરસાદ 500 મિમી. રહે છે. અર્થતંત્ર : અહીં 18મી સદીના ગાળામાં અફીણની ખેતી થતી હોવાથી તે વધુ પ્રસિદ્ધ હતું. આ શહેરમાં તાતા ઇન્ટરનેશનલ, કિર્લોસ્કર, આઇશર મોટર, ગજરા ગિયર્સ, સનોહ સ્ટીલ-ટ્યૂબ પ્લાન્ટ વગેરે એકમો કાર્યરત છે. તે ‘ભારતનું સોયનું પાટનગર’ (Soy Capital of India) બન્યું છે. અહીં સોયાબીનની વિવિધ પેદાશો બનાવવાના એકમો કાર્યરત છે. જેમાં કીર્તિ ન્યૂટ્રેન્સ, પ્રેસ્ટિજ ઍગ્રો., ટૅક્, મિત્ત સોયા પ્રોટીન વગેરે જાણીતા છે. અહીં દવા બનાવવાના એકમો આવેલા છે. જેમાં રેનબક્સી અને સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું કામ વધુ છે. અહીં પવનની ગતિ વધુ રહેતી હોવાથી અનેક ‘વિન્ડ મિલ’ સ્થપાયેલી છે. જેમાં ‘સુઝલોન એનર્જી’ કંપની મુખ્ય છે.

ભારતનું ‘સિક્યૉરિટી પ્રિન્ટિંગ ઍન્ડ માઇનિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ’ એકમ કાર્યરત છે. ભારતની ચલણની નોટો અહીં છપાય છે. આ એકમમાં 1440 કારીગરો કામ કરે છે. તેમજ ‘સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યૉરિટી ફોર્સ’ કોઈ દુર્ઘટના બને તે માટે તૈયાર રાખેલ છે. પરિવહન : દેવાસ પશ્ચિમ રેલવે વિભાગનું ‘B’ કક્ષાનું રેલવે જંકશન છે. આ સ્ટેશનને ઇન્દોર-ગ્વાલિયરને જોડતી રેલવેનો લાભ મળે છે. જે બ્રૉડગેજ અને સંપૂર્ણ વીજળીકરણ ધરાવે છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગો ન. 47 અને નં. 52 સાથે સંકળાયેલું છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગ MP SH-18નો પણ લાભ મળે છે. ઉત્તર હિંદુસ્તાની સંગીતના વિખ્યાત ગાયકો રજબઅલીખાં સાહેબ તથા કુમાર ગાંધર્વ ત્યાંના નિવાસી હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)

Categories
વાચન સમૃદ્ધિ

બાલાઈચાંદ મુખોપાધ્યાય ‘બનફૂલ’

જ. 19 જુલાઈ, 1899 અ. 9 ફેબ્રુઆરી, 1979

બંગાળના સુપ્રસિદ્ધ લેખક, ડૉક્ટર અને ‘બનફૂલ’ના ઉપનામથી જાણીતા બાલાઈચંદનો જન્મ બિહારના કટિહાર જિલ્લાના મનિહારી ગામમાં થયો હતો. માતા મૃણાલિની દેવી અને પિતા સત્યચરણ. પ્રારંભિક શિક્ષણ મનિહારીમાં લીધું. 1918માં સાહેબગંજની રેલવે હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ થયા. શાળામાં તેમણે ‘વિકાસ’ નામની હસ્તલિખિત પત્રિકા શરૂ કરી હતી. હજારીબાગની કૉલેજમાંથી આઈ.એસ.સી. પાસ કરી. પછી મેડિકલનો અભ્યાસ કર્યો. થોડો સમય ખાનગી નોકરી કરીને તેઓ આજિમગંજની સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર બન્યા. એ નોકરી છોડી તેઓ ભાગલપુર આવ્યા અને ત્યાં પૅથૉલૉજી લૅબોરેટરી શરૂ કરી. ત્યાં 40 વર્ષ રહી 1968માં કૉલકાતામાં આવીને વસ્યા. તેમણે 65 વર્ષ સુધી લેખનકાર્ય કર્યું. તેમણે 586 વાર્તાઓ, 60 નવલકથાઓ, 15 નાટકો, હજારો કવિતાઓ-લેખોથી બંગાળી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બંગાળી સાહિત્યમાં લઘુકથા સ્વરૂપને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. તેમની કૃતિઓ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ પામી છે. ‘નિરંજના’, ‘ભુવન સોમ’, ‘મહારાણી’, ‘અગ્નિશ્વર’, ‘કૃષ્ણપક્ષ’ નવલકથાઓ; ‘પ્રતિબાદ’, ‘બહુલો’, ‘બોનોફુલર ગોલ્પો’, ‘બોનોફુલર આરો’ નવલિકાસંગ્રહો; ‘અંગારપર્ણી’, ‘ચતુર્દશી’, ‘કરકમલેષુ’, ‘સુરસપ્તક’ કાવ્યસંગ્રહો; ‘શિક્ષાર ભિત્તિ’, ‘ઉત્તર’, ‘મનન’ નિબંધસંગ્રહો; ‘વિદ્યાસાગર’, ‘મંત્રમુગ્ધ’, ‘રૂપાન્તર’ નાટકો અને ‘છોટોદેર શ્રેષ્ઠ ગલ્પ’, ‘છોટોદેર ભાલો ભાલો ગલ્પ’ બાળસાહિત્ય તેમની સુપ્રસિદ્ધ કૃતિઓ છે. વિદ્યાર્થીજીવનના વૈદકીય અનુભવો ‘તૃણખંડ’માં આલેખ્યા છે. તેમની નવલકથાઓ પરથી હિન્દી અને બંગાળીમાં ફિલ્મો બનાવવામાં આવી છે. ‘અગ્નિશ્વર’, ‘ભુવન સોમ’, ‘એકટિ રાત’, ‘આરોહી’, ‘અર્જુન પંડિત’, ‘તિલોત્તમા’ વગેરે ઘણી ફિલ્મોનું નિર્માણ થયું છે. ‘અર્જુન પંડિત’ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ લેખકનો પુરસ્કાર, ‘આરોહી’ની શ્રેષ્ઠ વાર્તા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમને 1951માં શરત સ્મૃતિ પુરસ્કાર, 1962માં રવીન્દ્ર પુરસ્કાર, 1975માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની નવલકથાના નામ પરથી સહરસાથી કૉલકાતા જતી એક ટ્રેનનું નામ ‘હાટે-બાજારે એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે. તેમની 100મી જયંતી પર ભારત સરકારે ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી છે.