દેવભૂમિ દ્વારકા


સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો.

22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. શ્રીકૃષ્ણની યાદમાં આ જિલ્લાને દ્વારકા નામ અપાયું છે. આ જિલ્લામાં દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્લાનો વિસ્તાર 5684 ચોકિમી. તથા વસ્તી 9,00,000 (2026, આશરે) જેટલી છે. જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા છે. આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સ્થાનભેદે ખડકાળ અને સમતળ જોવા મળે છે. જમીનો કાંપવાળી ફળદ્રૂપ છે તે ઘેડ, ભાઠા અને કાઠીના નામે ઓળખાય છે. આ ઉપરાંત મધ્યમ કાળી અને ભૂખરી જમીનો પણ છે, જે ઘારોડ નામથી ઓળખાય છે. જિલ્લો સમુદ્રકિનારે આવેલો હોવાથી તેની કેટલીક જમીનો ક્ષારીય રહે છે, પરિણામે અહીં વૃક્ષોનું પ્રમાણ નહિવત્ છે; માત્ર ઝાડી-ઝાંખરાં અને કાંટાળી વનસ્પતિ કુદરતી રીતે ઊગી નીકળે છે.

જિલ્લામાં જુવાર-બાજરી જેવા ધાન્યપાકો તથા મગફળી કપાસ અને શેરડી જેવા રોકડિયા પાકો લેવાય છે. અંતરિયાળ ભાગોમાં પશુપાલન પ્રવૃત્તિ વિકસી છે, પરિણામે અહીં પશુસંવર્ધન-કેન્દ્રો ઊભાં કરાયાં છે. જિલ્લાને દરિયાકાંઠો મળેલો હોવાથી મત્સ્યપ્રવૃત્તિ વિકસી છે. તદુપરાંત દરિયાઈ કાચબાનું ઉછેરકેન્દ્ર મીઠાપુર ખાતે ઊભું કરાયું છે. મીઠાપુર ખાતે સોડાએશનું વિશાળ એકમ આવેલું છે; અહીં મીઠા અને બ્રોમીનનું ઉત્પાદન લેવાય છે. તેલ-શુદ્ધીકરણ અને વીજ-ઉત્પાદન મેળવવા એસ્સાર કંપની કાર્યરત છે. છેક પશ્ચિમ છેડે આવેલું ઓખા ભારતનાં મહત્વનાં શહેરો સાથે રેલમાર્ગથી સંકળાયેલું છે. જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્ય ધોરી માર્ગો આવેલા છે. અહીંના સમુદ્રકિનારે ઓખા, રૂપેણ, લાંબા અને પોશિત્રા જેવાં બંદરો આવેલાં છે. દ્વારકાનો ભારતનાં મહત્વનાં ધાર્મિક સ્થાનોમાં સમાવેશ થાય છે. આ સિવાય બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવાં યાત્રાધામો પણ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ https://gujarativishwakosh.org/દેવભૂમિ દ્વારકા/)