Categories
વાચન સમૃદ્ધિ

આગ્રા

મુઘલ શાસકોના સમયનું ભારતનું જાણીતું શહેર.

તે ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૭° ૧૧´ ઉ. અ. અને ૭૮°  ૦૧´ પૂ. રે. છે. આગ્રા જિલ્લાની વસ્તી ૫૫,૧૦,૦૦૦ લાખ (૨૦૨૫, આશરે) અને આગ્રા શહેરની વસ્તી ૨૩,૧૭,૦૦૦ (૨૦૨૫, આશરે) છે. જિલ્લાનો વિસ્તાર ૪,૦૨૭ ચોકિમી. છે. આ જિલ્લામાં યમુના નદીનાં ફળદ્રૂપ મેદાનો આવેલાં છે. જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે. ઘઉં, જવ અને કપાસ જિલ્લાના મુખ્ય પાકો છે. સોળમી સદીના આરંભમાં અફઘાન વંશના સિકંદર લોદીએ આગ્રા શહેરની સ્થાપના કરી હોવાનું મનાય છે. તે પહેલાં આજના સ્થળે ‘આગ્રી’ નામે એક ગામ વસેલું હોવાનો ઉલ્લેખ મળે છે. લાલ કિલ્લો દિલ્હીમાં બંધાયો તે પહેલાં ઈ. સ. ૧૫૬૫માં અકબરે અહીં બાંધ્યો હતો. એ લાલ કિલ્લા પહેલાં પણ એક અતિપ્રાચીન કિલ્લો આગ્રામાં હતો તેમ કહેવાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કેટલાંક વર્ષો સુધી આગ્રા તેનું પાટનગર રહ્યું હતું.

આગ્રાનો કિલ્લો

આગ્રામાં લાલ કિલ્લા ઉપરાંત કલાકારીગરીની રીતે બેનમૂન એવી ‘ઇદમતદોલા’ કબર છે. અહીંની આધુનિક સમયમાં બંધાઈ રહેલી ‘દયાલબાગ’ની ઇમારત પણ જોવાલાયક છે. તે રાધાસ્વામી સંપ્રદાયના ગુરુની સમાધિ છે. આગ્રા શહેર દિલ્હીથી અગ્નિકોણમાં ૧૬૦ કિમી. અંતરે આવેલું છે. તે સૌથી વધુ તો તાજમહેલ માટે જાણીતું છે. તાજમહેલ સત્તરમી સદીમાં શાહજહાંએ બંધાવ્યો હતો. અહીંના લાલ કિલ્લામાંની મોતી મસ્જિદ પ્રખ્યાત છે. આગ્રા શહેરથી વાયવ્યે સિકંદરા ખાતે અકબરનો મકબરો તથા શહેરથી નૈઋત્યે ૩૭ કિમી. દૂર ફતેહપુર સિક્રી આવેલાં છે. આગ્રા માર્ગ અને રેલવ્યવહારથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. તે મોટું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. હિંદુ ધર્મના રાધાસ્વામી સંપ્રદાયનું તે મોટું મથક છે. આગ્રા શહેરમાં ઈ. સ. ૧૯૨૭માં સ્થપાયેલી યુનિવર્સિટી છે. આગ્રાના ગાલીચાઓ, સોના તથા ચાંદી પરનું જડતરકામ અને સફેદ આરસપહાણ પરનું કોતરકામ વિશ્વવિખ્યાત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

દશેરા

હિન્દુ સંસ્કૃતિનો નિદર્શક પ્રખ્યાત તહેવાર. દશમીનાં વ્રતોમાં દશેરા કે વિજયાદશમીનું વ્રત મહત્ત્વનું છે. વિજયાદશમી કે દશેરા આશ્વિન માસની શુક્લપક્ષની દશમ છે. શાસ્ત્રીય વિધિ અનુસાર નવમીના યોગવાળી દશમે હેમાદ્રિ અનુસાર મધ્યાહન પછી અપરાજિતા દિશા – ઈશાનમાં અપરાજિતા દેવીની સ્થાપના કરવામાં આવે છે. અપરાજિતાનાં પૂજન-અર્ચન થાય છે. એકાદશીએ તેની યાત્રા થાય છે. શ્રવણ નક્ષત્રનો યોગ ઉત્તમ મનાય છે. મદનરત્નમાં વિજય મુહૂર્તમાં સીમા ઓળંગવાનું વિહિત છે. ભવિષ્ય પુરાણના કથન અનુસાર ઈશાનમાં શમી એટલે કે ખીજડાના વૃક્ષનું ઈશાનાભિમુખ થઈ પૂજન-અર્ચન કરવાનું વિધાન છે. ગોપથબ્રાહ્મણ અનુસાર નવાં વસ્ત્રો ધારણ કરી અશ્વ-ગજને શણગારી વાદ્યો સાથે સવારી કાઢી પુરોહિત સાથે રાજાએ સીમા પર્યંત જઈ વાસ્તુ-દેવતા, દિકપાલ અને શમીનું વેદ-પુરાણોક્ત મંત્રોથી પૂજન કરીને શત્રુની પ્રતિમૂર્તિ વીંધી સીમા પાર કરી વિજયમંત્રો અને જય-મંગલઘોષ સાથે પાછા આવી વડીલોને વંદન કરવાનાં હોય છે. ચતુરંગ સૈન્યનાં કૌતુક દર્શાવવામાં આવે છે. આ દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શુભ મનાય છે.

દશેરા પ્રસંગે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન

આ દિવસે રઘુએ કૌત્સને ચૌદ કોટિ સુવર્ણમુદ્રા કુબેર પાસેથી મેળવી આપી. રઘુએ વધેલું સોનું નાગરિકોને વહેંચ્યું હોવાથી આ દિવસે સોનું લૂંટવાની પણ પરંપરા છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. પાંડવોનો ગુપ્તવાસ આ દિવસે પૂરો થયો અને અર્જુને બૃહન્નલાના વેશે શમી વૃક્ષ ઉપરથી શસ્ત્રો મેળવ્યાં હતાં. આ દિવસે ચામુંડાએ મહિષાસુર માર્યો હતો. આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રપૂજન કરે છે. રામલીલાની સ્મૃતિમાં રાવણદહન કરાય છે. મહારાષ્ટ્રમાં શમીપૂજા, શસ્ત્રપૂજા અને સીમોલ્લંઘનની પરંપરા છે. વિદ્વાનો-પંડિતો જૂની પોથીનું પૂજન કરે છે. યંત્રો અને વાહનોની પૂજા પણ કરાય છે. દુર્ગાની પૂજા મુશ્કેલ કાર્યને પાર પાડે છે. નવરાત્રીની સમાપ્તિનો દિવસ હોવાથી જવારા લાવી ગોખ કે કબાટમાં મૂકવાની પણ પરંપરા છે. કાયસ્થ લોકો પાંચ મંડળ બનાવી પંચ કળશ – ઘટની પૂજા, ગૃહદેવતાનું આરાધન આદિ કરે છે. ચર લગ્નમાં પૂજન-અર્ચન, સીમોલ્લંઘન વધુ શુભ ગણાય છે. બંગાળમાં મૂળ નક્ષત્રમાં દુર્ગા પધરાવી શ્રાવણમાં વિસર્જન થાય છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે પ્રદેશમાં આ પર્વનું ભારે મહત્ત્વ છે. ભારતમાં આ ઉત્સવ ઉલ્લાસભેર ઊજવાય છે. રાવણના પૂતળાનું દહન કરીને તથા ઘોડા દોડાવીને લોકો ઉત્સવ માણે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આગ

કાબૂમાં ન રહે એવો અગ્નિ.

અગ્નિ વડે માણસ ઘણાં કામો કરે છે. તેના વગર જીવન પણ અશક્ય જેવું બની જાય છે. કોઈ કોઈ વાર અગ્નિ ભડભડતો બેકાબૂ બની જાય ત્યારે તે માલમિલકતને નુકસાન પહોંચાડે છે ને ક્યારેક જાનહાનિ પણ કરે છે. અત્યારના સંજોગોમાં શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો તથા બાંધકામમાં વપરાતા જલદીથી સળગી જાય તેવા દહનશીલ પદાર્થોને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. હાલમાં રાંધણગૅસનો ઉપયોગ, વીજળી વાપરતાં સાધનોનો ઉપયોગ પણ આગ લગાડવામાં કારણભૂત બને છે. તેલના કૂવાઓનું શારકામ, પેટ્રોલ જેવા જલદીથી સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ, ખનિજતેલનું શુદ્ધીકરણ વગેરેને કારણે કેટલીક વાર આગ લાગી જાય છે. ધૂમ્રપાન, દારૂખાનું, તેલના દીવા વગેરેથી પણ આગ લાગી શકે છે. વળી આવી બધી બાબતોમાં બેદરકારી રાખવાથી આગ લાગવાના બનાવો વધારે બને છે.

આગ લાગે ત્યારે અગ્નિશામક દળને બોલાવવું જરૂરી છે.

કેટલીક વાર કુદરતી ઘટનાથી પણ આગ લાગે છે; જેમ કે જંગલમાં લાકડાં ઘસાતાં તણખા ઝરે છે ને તે સૂકાં પાંદડાં પર પડતાં આગ લાગી જાય છે. ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં જંગલમાં લાગેલી આગને કારણે ૬૦% જંગલો બળી ગયાં હતાં. કેટલીક વાર જ્વાળામુખી ફાટે ત્યારે અંદરથી ધગધગતો લાવારસ બહાર ફેલાય છે અને તેના વડે પણ આગ લાગી શકે છે. વળી વીજળી ત્રાટકવાથી પણ આગ લાગવાના બનાવો બને છે. ગરમી, ઑક્સિજન તથા દહનશીલ પદાર્થો એકઠા થતાં આગનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આગ કાબૂમાં લેવા આ પદાર્થો ભેગા ન થાય એવું કરવું પડે છે. આગ બુઝાવવા માટે પાણી અને રેતીનો, શુષ્ક પાઉડર ને ફીણનો છંટકાવ કે કાર્બન ડાયૉક્સાઇડ જેવા ગૅસનો ઉપયોગ કરવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આગ, પૃ. 98)