Categories
વાચન સમૃદ્ધિ

આંદામાન-નિકોબાર ટાપુઓ

બંગાળના ઉપસાગરની દક્ષિણ-પૂર્વમાં આવેલા ટાપુઓનો સમૂહ.

ભારતના આ કેન્દ્રશાસિત વિસ્તારનું ભૌગોલિક સ્થાન : ૬° થી ૧૪° ઉ. અ. અને ૯૨° ૦૦´થી ૯૪° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. વિસ્તાર : ૮,૨૪૮ ચો.કિમી.. વસ્તી : ૪ લાખ ૧૫ હજાર (૨૦૨૬, આશરે). આ પ્રદેશ ૩ જિલ્લાઓમાં વહેંચાયેલો છે. તેમાં શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે ૩ અને ૫૪૮ જેટલી છે. તેના ૩,૦૦૦ જેટલા ટાપુઓમાં ૩૬૫ મુખ્ય છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વકિનારાથી ૧,૨૦૦ કિમી. એટલે કે ૬૪.૮૬ નૉટિકલ માઈલ (સમુદ્રનાં અંતર નૉટિકલ માઈલમાં ગણાય છે. ૧ નૉટિકલ માઈલ = ૧.૮૫ કિમી. થાય.) દૂર છે. પાંચ મોટા ટાપુઓનો સમૂહ બૃહત આંદામાન તથા દક્ષિણમાંના ૨૦૪ જેટલા નાના ટાપુઓનો સમૂહ લઘુ આંદામાન તરીકે ઓળખાય છે. આ ટાપુઓનો વહીવટ ભારત સરકાર હસ્તક છે. આંદામાનની રાજધાની તેમ જ મુખ્ય શહેર પૉર્ટ બ્લેર દક્ષિણ આંદામાનમાં આવેલું છે. આ ઉપરાંત અન્ય બે શહેરો પણ છે. નિકોબાર ટાપુઓ આંદામાનની દક્ષિણે ૧૨૧ કિમી. દૂર આવેલા છે. આ ટાપુઓ વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આંદામાન ટાપુઓ ઉપર ઉત્તર-દક્ષિણ સમાંતર રીતે નાની-મોટી પર્વતમાળાઓ આવેલી છે, જેમાંનું સૌથી ઊંચું શિખર માઉન્ટ સેડલ ૭૫૦ મીટર ઊંચાઈએ છે. આ ટાપુઓની કુલ જમીનના ૮૫ % ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. અહીં અભયારણ્યો તેમ જ પ્રાણીસંગ્રહાલય પણ છે.

ઓંગે જાતિના આદિવાસી લોકો નાના આંદામાનમાં વસે છે. અન્ય નિગ્રો કુળની જાતિઓ પણ અહીં વસે છે; જેમ કે, સૅન્ટિનેલીસ, જારાવા અને આંદામાનીસ. મૉંગોલૉઇડ જાતિના શૉમપેન અને નિકોબારીસ નિકોબાર ટાપુમાં વસે છે. આંદામાનના મૂળ વતનીઓ ૧૯મી સદી સુધી તો આધુનિક વિશ્વની સંસ્કૃતિથી તદ્દન અજાણ હતા અને પથ્થરયુગની સંસ્કૃતિમાં જીવતા હતા. જંગલો સાફ કરીને થતી ખેતીમાં કઠોળ, સોપારી, નાળિયેર, ડાંગર વગેરેનો પાક લેવાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇમારતી લાકડાં અને રબરનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંદામાન-નિકોબાર ટાપુઓ, પૃ. 141)

Categories
વાચન સમૃદ્ધિ

દીપડો (panther)

સસ્તન વર્ગના બિલાડી (felidae) કુળનું એક મોટું, શક્તિશાળી અને ભયંકર પ્રાણી. શાસ્ત્રીય નામ Panthera pardus. જંગલમાં વસવાટ કરનારા લોકો, જેટલા સિંહ અને વાઘથી ડરતા નથી તેના કરતાં દીપડાથી વધુ ડરે છે. કૂદવાની બાબતમાં દીપડો, વાઘને પણ ટપી જાય તેવો છે. દીપડા અને ચિત્તા વચ્ચે ઘણા લોકોમાં ગેરસમજ પ્રવર્તે છે. વાસ્તવમાં આ બંને પ્રાણીઓ જુદાં છે. ચિત્તા લુપ્ત થવાની અણીએ પહોંચ્યા છે અને તે ભારતમાં જવલ્લે જ જોવા મળે છે. જંગલમાં જોવા મળતાં, આ પ્રકારનાં મોટા ભાગનાં પ્રાણીઓ દીપડા જ છે. દીપડા બે પ્રકારના હોય છે. નાના દીપડાની લંબાઈ 1.5 મી. થી માંડી 2 મી. જેટલી હોય છે. જ્યારે મોટા દીપડાની લંબાઈ 2 મી. થી 3 મી. જેટલી હોય છે. ઊંચાઈ 35 સેમી.થી 50 સેમી. જેટલી અને વજન 90 કિગ્રા.થી 100 કિગ્રા. હોય છે. માદા દીપડા કરતાં નર દીપડા કદમાં મોટા અને વધુ વજન ધરાવે છે. દીપડાનો રંગ પીળાશ પડતો, હળદર જેવો હોય છે, જેના પર કાળા રંગનાં ચકરડાં જોવા મળે છે, આફ્રિકા અને એશિયાના દીપડાઓની ત્વચા પર આવેલાં આવાં ચકરડાંમાં વૈવિધ્ય રહેલું છે. ભારતીય દીપડામાં ચકરડાં નજીક નજીક હોય છે જ્યારે આફ્રિકન દીપડામાં તે થોડાં છૂટાંછવાયાં હોય છે. વસવાટ અને આબોહવાને અનુલક્ષીને તેમની ચામડીનો રંગ પણ જુદો જુદો હોય છે. દીપડાની એક જાતિ, તદ્દન કાળા રંગની હોય છે, જેને ‘મેલેનિસ્ટિક’ પ્રકાર કહે છે. તિબેટ વિસ્તારમાં શ્વેત દીપડાની જાતિ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્વચાનાં રંજકદ્રવ્યોની હાજરી કે ગેરહાજરીને અનુલક્ષીને દીપડામાં શ્યામવર્ણ કે રંગહીનતા જોવા મળે છે.

સામાન્ય રીતે દીપડો એકાકી જીવન ગુજારે છે. સમૂહજીવન તેને પસંદ નથી. દીપડો બુદ્ધિશાળી, વિચારશીલ, ચપળ અને સ્ફૂર્તિવાળું પ્રાણી છે. તેની શ્રવણશક્તિ અને ગંધગ્રહણશક્તિ તીવ્ર હોય છે. દીપડાઓ ખાસ કરીને લીલીછમ ઝાડીયુક્ત ગીચ જંગલમાં પોતાનો વસવાટ પસંદ કરે છે. કુદરતી ગુફા, નાળાં કે આસપાસ ઘાસ ઊગેલું હોય ત્યાં છીછરો ખાડો બનાવે છે. તેથી તે ગરમી સહેલાઈથી સહન કરી શકે છે. ખુલ્લા મેદાન કે પહાડી વિસ્તારમાં પણ તે રહી શકે છે. આથી દીપડો દિવસે પણ શિકારની શોધમાં નીકળી પડે છે. દીપડાની રાક્ષસી વૃત્તિનો જોટો નહીં મળે. વાઘ કે સિંહ કરતાં તેનામાં નૈસર્ગિક ક્રૂરતા અનેકગણી અધિક હોવાથી માત્ર આનંદ ખાતર 20થી 25 ઘેટાં-બકરાં સામટાં મારી નાખે છે. આવું સાહસિક પ્રાણી હોવા છતાં સ્વભાવથી તો દીપડો બીકણ જ ગણાય.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દીપડો/)

Categories
વાચન સમૃદ્ધિ

આર્યસમાજ

વેદોની સર્વોપરીતામાં અતૂટ શ્રદ્ધા રાખતી, ધાર્મિક-સામાજિક સુધારણાની પ્રવૃત્તિ કરતી સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ સંસ્થા. ૧૯મી સદીમાં ભારતીય સમાજમાંથી કેટલીક બદીઓ દૂર કરવા બે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ. તેમાંની કેટલીક પશ્ચિમની સંસ્કૃતિથી તો કેટલીક ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી. દયાનંદ સરસ્વતીએ પોતાના ગુરુ વિરજાનંદના આદેશ મુજબ હિંદુ ધર્મમાં પ્રવેશેલાં અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવવા ૧૦ એપ્રિલ, ૧૮૭૫માં મુંબઈમાં આ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોને પુનર્જીવિત કરવાનો હેતુ હતો. થોડાં વર્ષ બાદ લાહોરને તેનું વડું મથક બનાવેલું. દયાનંદ સરસ્વતી એક ઈશ્વરમાં માનતા; પરંતુ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેઓ ગૌરક્ષા અને ગૌવધ પ્રતિબંધની તરફેણમાં હતા. આર્યસમાજના મુખ્ય ગ્રંથ ‘સત્યાર્થપ્રકાશ’માં દયાનંદે આર્યસમાજના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. તેમના મતે વેદોનું અધ્યયન જ સાચું અધ્યયન છે અને વૈદિક ધર્મ બધા માટે મુક્ત હોવો જોઈએ. ‘વેદ તરફ પાછા વળો’ એ તેમનું સૂત્ર હતું.

આ સંસ્થાનો મુખ્ય આદર્શ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ ભારતનું પુનરુત્થાન કરીને એકતા સાધવાનો હતો. આર્યસમાજની કદાચ સૌથી વધુ નોંધપાત્ર સેવાઓ સામાજિક સુધારણા અને શિક્ષણનો ફેલાવો કરવામાં રહેલી છે. અસ્પૃશ્યતા અને જ્ઞાતિબંધનોનું નિવારણ, બાળલગ્નનિષેધ, વિધવા-પુનર્લગ્ન, સ્ત્રી-શિક્ષણ, દુષ્કાળરાહત જેવાં ક્ષેત્રોમાં તેમની સેવાઓ ગણનાપાત્ર રહી છે. આ સંસ્થાએ ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક સ્થળે શાળા, કૉલેજ, ગુરુકુળ-પાઠશાળા, વિધવાશ્રમ, અનાથાશ્રમ વગેરેની સ્થાપના કરી. આમાંનું કાંગડીનું ગુરુકુળ ખૂબ જાણીતું છે. ભારત બહાર પણ આ સંસ્થાની પ્રવૃત્તિ વિસ્તરી હતી. તેમાં બ્રહ્મદેશ, થાઇલૅન્ડ, મલેશિયા, ત્રિનિદાદ તથા આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેમણે કરેલ પ્રવૃત્તિ વિશેષ ઉલ્લેખનીય છે. આર્યસમાજની ચળવળે હિંદુઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જગાડેલાં. જે હિંદુઓએ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોય કે તેમને સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હોય તેવાઓને હિંદુ ધર્મમાં પાછા લાવવાની ‘શુદ્ધિ’-ચળવળ એ આર્યસમાજની વિશિષ્ટ કામગીરી રહી છે. આર્યસમાજની ચળવળનાં મૂળ પંજાબમાં અને ઉત્તરપ્રદેશમાં વધુ ઊંડાં ગયાં. આર્યસમાજ રાષ્ટ્રીય લડતમાં હંમેશાં મોખરે રહ્યો. સ્વામી શ્રદ્ધાનંદ, લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ તેમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી