Categories
વાચન સમૃદ્ધિ

દેવાસ (શહેર)

દેવાસ જિલ્લાનું જિલ્લામથક અને શહેર છે.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : જે 22° 96´ ઉ. અ. અને 76° 06´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 50 ચો.કિમી. અને વસ્તી આશરે (2026 મુજબ) 4,30,000 છે. તે સમુદ્રની સપાટીથી 535 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ શહેર માલવાના ઉચ્ચપ્રદેશના સમતળ પ્રદેશમાં આવેલું છે. દક્ષિણે વિંધ્યાચળની હારમાળા ક્રમશઃ આગળ જતાં તેની ઊંચાઈ વધતી જતી જોવા મળે છે. આ શહેર કરતપુરા નદીકિનારે વસ્યું છે. ઉનાળામાં સરેરાશ તાપમાન આશરે 35° સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 18° સે. રહે છે. સરેરાશ વરસાદ 500 મિમી. રહે છે. અર્થતંત્ર : અહીં 18મી સદીના ગાળામાં અફીણની ખેતી થતી હોવાથી તે વધુ પ્રસિદ્ધ હતું. આ શહેરમાં તાતા ઇન્ટરનેશનલ, કિર્લોસ્કર, આઇશર મોટર, ગજરા ગિયર્સ, સનોહ સ્ટીલ-ટ્યૂબ પ્લાન્ટ વગેરે એકમો કાર્યરત છે. તે ‘ભારતનું સોયનું પાટનગર’ (Soy Capital of India) બન્યું છે. અહીં સોયાબીનની વિવિધ પેદાશો બનાવવાના એકમો કાર્યરત છે. જેમાં કીર્તિ ન્યૂટ્રેન્સ, પ્રેસ્ટિજ ઍગ્રો., ટૅક્, મિત્ત સોયા પ્રોટીન વગેરે જાણીતા છે. અહીં દવા બનાવવાના એકમો આવેલા છે. જેમાં રેનબક્સી અને સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું કામ વધુ છે. અહીં પવનની ગતિ વધુ રહેતી હોવાથી અનેક ‘વિન્ડ મિલ’ સ્થપાયેલી છે. જેમાં ‘સુઝલોન એનર્જી’ કંપની મુખ્ય છે.

ભારતનું ‘સિક્યૉરિટી પ્રિન્ટિંગ ઍન્ડ માઇનિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ’ એકમ કાર્યરત છે. ભારતની ચલણની નોટો અહીં છપાય છે. આ એકમમાં 1440 કારીગરો કામ કરે છે. તેમજ ‘સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યૉરિટી ફોર્સ’ કોઈ દુર્ઘટના બને તે માટે તૈયાર રાખેલ છે. પરિવહન : દેવાસ પશ્ચિમ રેલવે વિભાગનું ‘B’ કક્ષાનું રેલવે જંકશન છે. આ સ્ટેશનને ઇન્દોર-ગ્વાલિયરને જોડતી રેલવેનો લાભ મળે છે. જે બ્રૉડગેજ અને સંપૂર્ણ વીજળીકરણ ધરાવે છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગો ન. 47 અને નં. 52 સાથે સંકળાયેલું છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગ MP SH-18નો પણ લાભ મળે છે. ઉત્તર હિંદુસ્તાની સંગીતના વિખ્યાત ગાયકો રજબઅલીખાં સાહેબ તથા કુમાર ગાંધર્વ ત્યાંના નિવાસી હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)

Categories
વાચન સમૃદ્ધિ

ઇસ્તંબૂલ

તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર.

ભૌગોલિક સ્થાન : ૪૧° ૧૦´ ઉ. અ. અને ૨૮° ૪૫´ પૂ. રે.. તે ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતી બૉસ્ફરસની સામુદ્રધુનીના બંને કાંઠાઓ પર વસેલું છે. યુરોપ અને એશિયાને સાંકળતો આ એકમાત્ર જળમાર્ગ છે. બૉસ્ફરસ સામુદ્રધુનીની ઉપનદી ગોલ્ડન હૉર્ન આ નગરને બે વિભાગમાં જુદું પાડે છે : યુરોપીય ઇસ્તંબૂલ અને એશિયાઈ ઇસ્તંબૂલ. આ બંને વિભાગો વચ્ચે હોડીઓ મારફતે અવરજવર થાય છે; પરંતુ ઈ. સ. ૧૯૭૩માં આ બંને વિભાગોને જોડતો ૧,૦૭૫ મીટર લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. ટોપકાપી પ્રાસાદ (Topkapi Palace) જેવાં મોટા ભાગનાં ઐતિહાસિક સ્મારકો યુરોપિયન વિભાગમાં આવેલાં છે. આ ઉપરાંત નગરમાં ૪૦૦ મસ્જિદો, ૧૭૫ ગિરજાઘરો તથા ૪૦ જેટલાં યહૂદીઓનાં સિનેગૉગ (ધાર્મિક સ્થળો) આવેલાં છે. અહીં ભૂમધ્ય સમુદ્રની આબોહવા પ્રવર્તે છે.

તુર્કસ્તાનના ૩૦% જેટલા ઔદ્યોગિક એકમો ઇસ્તંબૂલ ખાતે આવેલા છે. ખાનગી માલિકીનાં સાહસો પૈકી ૭૫% આ નગરમાં કેન્દ્રિત થયેલાં છે. નાના પાયાના હસ્તકલા-એકમો પણ અહીં આવેલા છે. તુર્કસ્તાનનો ૮૦% આયાતી વેપાર અને ૩૫% નિકાસી વેપાર આ નગર મારફતે થાય છે. અહીં પ્રવાસનનો પણ સારો વિકાસ થયેલો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ નગરની સ્થાપના ઈ. સ. પૂ. ૬૬૦માં થયેલી હોવાનું ગણાય છે; પરંતુ ઈ. સ. પૂ. ૫૫૦૦થી ૩૫૦૦ (તામ્રયુગ) દરમિયાનની હસ્તકારીગરીની ચીજો અહીંથી મળી આવેલી હોવાથી એમ કહી શકાય કે અહીં તે વખતે સર્વપ્રથમ માનવ-વસાહત રહી ચૂકી હશે ! ઈ. સ. ૧૯૩૦ સુધી તે ‘કૉન્સ્ટેન્ટિનોપલ’ નામથી ઓળખાતું હતું. આ શહેરનો જૂનામાં જૂનો ભાગ સાત ટેકરીઓ પર બાંધેલો હતો, તે પરથી તે ‘સાત ટેકરીઓ પરનું શહેર’ જેવા ઉપનામથી પણ ઓળખાય છે. ઈ. સ. ૨૦૨૫ મુજબ આ નગરની વસ્તી આશરે ૧.૩૦ કરોડ જેટલી છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, ઇસ્તંબૂલ, પૃ. 171)

Categories
વાચન સમૃદ્ધિ

દેવચકલી

ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું ગાન તરત જ પારખી શકાય છે. આ પક્ષીની લંબાઈ આશરે 16 સેમી. નરનો રંગ મુખ્યત્વે કાળો. માદા ઝાંખા ધુમાડિયા રંગની. ચાંચ અને પગ કાળાં. બંનેની પાંખમાં સફેદ પટી. દેવચકલીનો દેહ ઝાડની અંધારી ઘટામાં ભળી જવાથી તે જવલ્લે જ શિકારી પક્ષીની નજરે પડે છે. આમ પર્યાવરણના રંગમાં દેવચકલીનો રંગ ભળી જાય છે અને દુશ્મનોથી સુરક્ષિત રહે છે. આ પક્ષીની બીજી એક ખાસિયત તે પૂંછડી અક્કડ ઊભી રાખવાની ટેવ. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા એકેક જોડીમાં સ્વતંત્ર ફર્યાં કરે છે. આવી ટેવને કારણે જ તેમને પિંજરામાં અલગ રાખવાં પડે છે કારણ કે અન્ય પક્ષીઓનો સહચાર તેઓ સહી શકતાં નથી.

દેવચકલી ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત અને કચ્છમાં વિશેષ જોવા મળે છે. તે ડુંગરાઓમાં, બગીચાઓમાં અને વાડીઓમાં કાંટાળા છોડની આસપાસ ભ્રમણ કરે છે. તેનો ખોરાક જીવાતનો હોય છે અને તેને અનુરૂપ તેની ચાંચ પાતળી, સરળ, લાંબી, અને કોમળ હોય છે. સૂક્ષ્મ જીવાતની સાથે સાથે તીડ, ઇયળો, અને અળસિયાંનું પણ ભક્ષણ કરે છે. આ માંસાહારી પક્ષીનો પ્રિય ખોરાક, ઊધઈ છે, આથી જ તો વહેલી સવારે ઊધઈના રાફડા પર બેઠેલું, નાનું પક્ષી દેખાય તો સમજવું કે દેવચકલી જ હોવાની ! સંવનનકાળમાં જ સંગીતના સૂર રેલાવી નર ફેરફૂદડી ફરે છે. પૂંછડીનો પંખો રચી, તે માદાને રીઝવવા પ્રયત્ન કરે છે. તેનો આ પ્રણય-ઉન્માદ લાંબો સમય, 15થી 20 મિનિટ ટકી રહે છે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ દેવચકલી માળો બાંધવાનું કાર્ય શરૂ કરે છે. વૃક્ષોના પોલાણમાં, ખુલ્લા ઢાળિયામાં, જમીનની બખોલમાં, ઘરના ગોખલાઓમાં માળા માટેની સુરક્ષિત જગ્યા શોધી ઘાસનાં તણખલાં, લીમડાની સળીઓ, માથાના વાળ વગેરે ગોઠવી પડિયા જેવો છીછરો માળો રચે છે. ભારતીય પરંપરા મુજબ, દેવચકલીને શુકનિયાળ પક્ષી ગણવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવચકલી/)