આગ


કાબૂમાં ન રહે એવો અગ્નિ.

અગ્નિ વડે માણસ ઘણાં કામો કરે છે. તેના વગર જીવન પણ અશક્ય જેવું બની જાય છે. કોઈ કોઈ વાર અગ્નિ ભડભડતો બેકાબૂ બની જાય ત્યારે તે માલમિલકતને નુકસાન પહોંચાડે છે ને ક્યારેક જાનહાનિ પણ કરે છે. અત્યારના સંજોગોમાં શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો તથા બાંધકામમાં વપરાતા જલદીથી સળગી જાય તેવા દહનશીલ પદાર્થોને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. હાલમાં રાંધણગૅસનો ઉપયોગ, વીજળી વાપરતાં સાધનોનો ઉપયોગ પણ આગ લગાડવામાં કારણભૂત બને છે. તેલના કૂવાઓનું શારકામ, પેટ્રોલ જેવા જલદીથી સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ, ખનિજતેલનું શુદ્ધીકરણ વગેરેને કારણે કેટલીક વાર આગ લાગી જાય છે. ધૂમ્રપાન, દારૂખાનું, તેલના દીવા વગેરેથી પણ આગ લાગી શકે છે. વળી આવી બધી બાબતોમાં બેદરકારી રાખવાથી આગ લાગવાના બનાવો વધારે બને છે.

આગ લાગે ત્યારે અગ્નિશામક દળને બોલાવવું જરૂરી છે.

કેટલીક વાર કુદરતી ઘટનાથી પણ આગ લાગે છે; જેમ કે જંગલમાં લાકડાં ઘસાતાં તણખા ઝરે છે ને તે સૂકાં પાંદડાં પર પડતાં આગ લાગી જાય છે. ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં જંગલમાં લાગેલી આગને કારણે ૬૦% જંગલો બળી ગયાં હતાં. કેટલીક વાર જ્વાળામુખી ફાટે ત્યારે અંદરથી ધગધગતો લાવારસ બહાર ફેલાય છે અને તેના વડે પણ આગ લાગી શકે છે. વળી વીજળી ત્રાટકવાથી પણ આગ લાગવાના બનાવો બને છે. ગરમી, ઑક્સિજન તથા દહનશીલ પદાર્થો એકઠા થતાં આગનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આગ કાબૂમાં લેવા આ પદાર્થો ભેગા ન થાય એવું કરવું પડે છે. આગ બુઝાવવા માટે પાણી અને રેતીનો, શુષ્ક પાઉડર ને ફીણનો છંટકાવ કે કાર્બન ડાયૉક્સાઇડ જેવા ગૅસનો ઉપયોગ કરવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આગ, પૃ. 98)