દેવેન્દ્રનાથ ટાગોર


જ. 15 મે, 1817 અ. 19 જાન્યુઆરી, 1905

દેશપ્રેમી, ધર્મસુધારક અને તત્ત્વચિંતક દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા દ્વારકાનાથ અને માતા દિગંબરી દેવી. સાત વર્ષ ઘરે અને પછી હિંદુ કૉલેજમાં અભ્યાસ કર્યો. 18 વર્ષની ઉંમરે દાદીમાના મૃત્યુ સમયે તેમને રહસ્યપૂર્ણ અનુભવ થયો એ પછી તેઓ આધ્યાત્મિક માર્ગે વળ્યા. તેઓ રાજા રામમોહન રાય અને કેશવચન્દ્ર સેનના સંપર્કમાં આવ્યા. તેમણે મૂર્તિપૂજા અને સતીપ્રથાનો વિરોધ કર્યો. તેમણે 1832માં ‘સર્વ તત્ત્વદીપિકા સભા’ નામની સંસ્થાની સ્થાપના કરી. 1939માં ‘તત્ત્વબોધિની સભા’ની સ્થાપના કરી અને તેના મંત્રી બન્યા. તેમણે 1846માં ‘હિંદુ હિતાર્થી વિદ્યાલય’ની અને 1851માં ‘ધ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના કરી. તેમણે પંડિતોની મદદ લઈ ‘બ્રહ્મોધર્મ’ ગ્રંથ તૈયાર કર્યો. 1843માં ‘હિંદુ થિયૉફિલૅન્થ્રૉપિક સોસાયટી’માં જોડાયા. તેમણે બોલપુરમાં ‘બ્રહ્મચર્યાશ્રમ’ની સ્થાપના કરી. તેમના પુત્ર રવીન્દ્રનાથ ટાગોરે ત્યાં શાંતિનિકેતનની સ્થાપના કરી. તેઓ ભારતીય સંસ્કૃતિના પક્ષધર હતા. તેમણે ‘તત્ત્વબોધિની પત્રિકા’ પ્રકાશિત કરી હતી. તેઓ મહર્ષિ તરીકે જાણીતા હતા. ‘બ્રહ્મોધર્મ’ અને ‘આત્મત્તતો વિદ્યા’, ‘જ્ઞાન ઓ ધર્મેર ઉન્નતિ’, ‘પોરોલો ઓ મુક્તિ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના ‘બ્રહ્મોધર્મ’ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેમણે ગરીબ ગ્રામજનોના ચોકીદારી કરને માફ કરવા માટે અને ભારતને સ્વતંત્ર કરવાની માગ કરતો બ્રિટિશ સંસદને પત્ર લખ્યો હતો. તેઓ બાળલગ્ન અને બહુપત્નીત્વના વિરોધી હતા. તેમણે વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું હતું.