Categories
વાચન સમૃદ્ધિ

ઇલોરા

મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું પ્રવાસધામ.

તે ભારતનાં શિલ્પસ્થાપત્ય માટે વિશ્વવિખ્યાત છે. ભૌગોલિક સ્થાન : તે ઔરંગાબાદ(૧૯° ૫૦´ ઉ. અ. અને ૭૫° ૧૫´ પૂ. રે.)થી ઈશાનમાં ૨૯ કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. અહીં આવેલા પશ્ચિમ ઘાટના પહાડોમાં ગુફાઓ છે. ગુફાઓની અંદર તેમ જ બહાર પથ્થરોને કોતરીને શિલ્પો કંડારવામાં આવેલાં છે. આ સ્થાપત્યરચના શિલાસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. આ સ્થાપત્યો પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી વચ્ચેના જુદા જુદા કાળમાં તૈયાર કરવામાં આવ્યાં છે. આ ગુફા ‘મ્હારવાડ’ના નામથી ઓળખાય છે. અહીંની ગુફાઓ બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મને લગતી છે. જેમાં દક્ષિણ છેડે ૧થી ૧૨ ગુફાઓમાં બૌદ્ધ ધર્મનાં, વચ્ચે ૧૩થી ૨૯ ગુફાઓમાં હિંદુ ધર્મનાં અને ઉત્તર છેડે ૩૦થી ૩૪ ગુફાઓમાં જૈન ધર્મનાં શિલ્પસ્થાપત્યો જોવા મળે છે. કેટલીક ગુફાઓમાં શિલાલેખો પણ છે.

બૌદ્ધ ગુફાઓ પૈકીની એકમાં બૌદ્ધવિહાર, બીજી એકમાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે પહેલાંની અને પછીની બુદ્ધની અવસ્થા દર્શાવતી પ્રતિમાઓ છે. આ ઉપરાંત બુદ્ધનાં ગુણગાન ગાતા ગાંધર્વો અને દેવગણોની, ધ્યાનસ્થ બુદ્ધની તેમ જ બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ માટે બેઠેલા બુદ્ધની પ્રતિમાઓ પણ છે. પ્રથમ પાંચ ગુફાઓ એક મજલાની, વિહાર આકારની છે. પાંચમી ગુફા સૌથી વિશાળ છે, તેમાં વિહાર અને ચૈત્યગૃહનું સંયોજન છે. આઠમી ગુફામાં ચૈત્યગૃહનું મહત્ત્વ દર્શાવાયું છે. ‘સુથારી ગુફા’ તરીકે ઓળખાતી દસમી ગુફા વધુ જાણીતી છે. બૌદ્ધ ગુફાઓની સરખામણીમાં હિંદુ ગુફાઓમાં હિંદુ દેવ-દેવીઓનાં શિલ્પો સાથે પ્રસંગોચિત દૃશ્યો છે. આ ગુફાઓનું નિર્માણ સાતમી સદીના પ્રારંભમાં થયેલું છે. ગુફા નં ૧૪માં રાવણને કૈલાસ પર્વત ઉપાડતો તથા ભગવાન શંકર પગના અંગૂઠાથી તેને દબાવી રાખે છે એવું દૃશ્ય આલેખાયું છે. પૌરાણિક કથાઓનાં દૃશ્યો પણ છે. પંદરમી ગુફા દશાવતારને નામે ઓળખાય છે. તે શિલ્પકલાનો અદ્ભુત નમૂનો પૂરો પાડે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇલારો, પૃ. 167)

Categories
વાચન સમૃદ્ધિ

દેવગઢબારિયા

દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુળદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું કુલ ક્ષેત્રફળ 1,144 ચોકિમી. છે. તેમાં એક શહેર અને 186 ગામો આવેલાં છે. આ તાલુકાની ઉત્તરે લીમખેડા અને પૂર્વે ધાનપુર તાલુકા આવેલા છે જ્યારે દક્ષિણે વડોદરા અને પશ્ચિમે પંચમહાલ જિલ્લા આવેલા છે. દેવગઢબારિયા તાલુકા અને શહેરની વસ્તી અનુક્રમે 3,05,000 અને 31,500 (2026,  આશરે) જેટલી હતી. તાલુકામાં ઘણોખરો ભાગ ડુંગરાળ છે. જોકે પશ્ચિમનો ભાગ લગભગ સપાટ છે. પૂર્વ તરફનો ઉચ્ચપ્રદેશ 234.89થી 395.76 મી. ઊંચો છે. આ તાલુકાની સૌથી મોટી નદી પાનમ છે, જે 118 કિમી. લાંબી છે. આ નદી ઉપર જંબુસર સહિત આઠેક ગામો છે. પાનમ ઉપર બંધ બાંધીને સિંચાઈ માટે તેનો ઉપયોગ થાય છે.

આ તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે, પરંતુ તેના વિસ્તારમાં જંગલો અને ડુંગરો હોવાને કારણે તાપમાન સામાન્ય રીતે બેથી ત્રણ સે. ઓછું રહે છે. ડુંગરો અને જંગલોને કારણે વરસાદ – વાર્ષિક સરેરાશ 1,027 મિમી. પડે છે.

આ પ્રદેશમાં ખરાઉ પાનવાળાં જંગલો છે. સાગ, સાદડ, ખેર, ટીમરુ, સીસમ, મહુડો, ધાવડો, ખાખરો, બોરડી, કરંજ, જાંબુ, કેગાર, કલમ, ગૂગળી વગેરે વૃક્ષો છે. આ જંગલો દ્વારા ઇમારતી અને બળતણનું લાકડું, મધ, ગુંદર વગેરે મળે છે. દીપડો, જરખ, નીલગાય, શિયાળ, સસલું, હરણ વગેરે વન્ય પશુઓ છે. તાલુકામાં દૂધ સહકારી મંડળીઓ છે. તાલુકામાં મકાઈ, ડાંગર, ઘઉં, જુવાર અને બાજરી તથા તુવેર, ચણા અને અડદ વવાય છે. કપાસ, મગફળી, તલ, તમાકુ, શેરડી, એરંડા રોકડિયા પાકો છે.

(વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવગઢબારિયા/)

Categories
વાચન સમૃદ્ધિ

ઇરાક

મધ્યપૂર્વનો લોકશાહી ધરાવતો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે ૨૯° ૨૦´થી ૩૭° ૩૩´ ઉ. અ. અને ૩૮° ૫૩´થી ૪૮° ૧૬´ પૂ. રે. વચ્ચેનો ૪.૩૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. ઇરાકની વસ્તી ૪.૭૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘માસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ વિકસી હતી. વિશ્વની ચાર મહાન સંસ્કૃતિઓમાં તેની ગણના છે. તે એક સમયે ચંદ્રલેખાના ફળદ્રૂપ પ્રદેશ તરીકે પણ ઓળખાતો હતો. તે ઈરાનના અખાતની વાયવ્યમાં આવેલો છે. ઉત્તરે તુર્કી, ઈશાન અને પૂર્વમાં ઈરાન, અગ્નિકોણમાં ઈરાનનો અખાત, દક્ષિણમાં કુવૈત અને સાઉદી અરેબિયા, પશ્ચિમમાં સીરિયા અને જૉર્ડન આવેલાં છે. તેનું પાટનગર બગદાદ છે. અરબી ભાષામાં ‘ઇરાક’નો અર્થ ‘ઊંડા મૂળવાળો દેશ’ એવો થાય છે. મૂળે આ દેશ ખેતીપ્રધાન છે; પરંતુ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે વિશ્વના ખનિજતેલના મહત્ત્વના ઉત્પાદક દેશ તરીકે જાણીતો છે.

ઇરાકને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) કુર્દિસ્તાનનો ઈશાની પહાડી પ્રદેશ, (૨) મેસોપોટેમિયાનો નદીખીણનો પ્રદેશ અને (૩) નૈઋત્યનો રણપ્રદેશ. ઇરાકની મુખ્ય બે નદીઓ યુફ્રેટિસ અને ટાઇગ્રિસ છે. ઇરાક ખેતીપ્રધાન દેશ છે. ખેતીના પાકમાં મુખ્યત્વે જવ ઉગાડવામાં આવે છે. તે સિવાય અહીં ઘઉં, ડાંગર, બાજરી અને મકાઈની ખેતી પણ થાય છે. રોકડિયા પાકમાં કપાસ અને તમાકુની ખેતી થાય છે. પર્વતીય ક્ષેત્રોની તળેટીમાં દ્રાક્ષના બગીચા ઉપરાંત અંજીર, શેતૂર, સફરજન, મોસંબી, નારંગી જેવાં ફળફળાદિની બાગાયતી ખેતી થાય છે. ખજૂર ઇરાકનો સૌથી મહત્ત્વનો પાક છે. ખજૂરના ઉત્પાદનમાં ઇરાક વિશ્વમાં પ્રથમ નંબરે છે. ઇરાકનું મુખ્ય ઉત્પાદન ખનિજતેલ છે. પૂર્વમાં આવેલા કિરકુકમાં ઇરાકનાં વિશાળ તેલક્ષેત્રો છે. ઇરાકનો ઔદ્યોગિક વિકાસ તેને આભારી છે. બગદાદ અને તેની આજુબાજુના પ્રદેશોમાં તેલ-રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ અને રાસાયણિક ખાતરના ઉદ્યોગો વિકસ્યા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇરાક, પૃ. 161)