Categories
વાચન સમૃદ્ધિ

અરુણાચલ પ્રદેશ

ભારતનું તેના ઈશાન ખૂણામાં આવેલું એક રાજ્ય.

ભૌગોલિક સ્થાન : 26° 28´ થી 29° 30´ ઉ. અ. અને 91° 20´થી 97° ૩૦´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય આ રાજ્યમાં થાય છે, તેથી તેનું નામ અરુણાચલ છે. આ વિસ્તાર એક સમયે નેફા (North-East-Frontier Agency – NEFA) તરીકે ઓળખાતો હતો. તેની પશ્ચિમે ભુતાન, ઉત્તરે તિબેટ (ચીન) અને પૂર્વે મ્યાનમાર દેશ આવેલો છે. જ્યાર દક્ષિણે ભારતનાં નાગાલૅન્ડ અને અસમ રાજ્ય આવેલ છે. 2026 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 19 લાખ  છે. રાજ્યમાં જિલ્લા, શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે 26, 27 અને 5,587 છે. ઇટાનગર, તવાંગ તેનાં મુખ્ય શહેરો છે. તે મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત, પર્વતમાળાનો પ્રદેશ છે. 3000થી 6000 મીટરની ઊંચાઈ ધરાવતી ઉત્તર તરફની પર્વતમાળાનો કેટલોક ભાગ હિમાચ્છાદિત છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલના પ્રદેશમાંથી અસમ બાજુ વહે છે.

અરુણાચલ પ્રદેશમાં એક બૌદ્ધ ધર્મનું મંદિર

આ પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોઈ ઉનાળામાં વરસાદ પડે છે. શિયાળામાં ઊંચાઈવાળા ભાગોમાં બરફ જામી જાય છે. આ વિસ્તાર પર્વતાળ હોવાથી બાગાયતી ખેતી માટે અહીં ઘણી સારી શક્યતાઓ છે. પાઇનેપલ, નારંગી, સફરજન, પીચ, ચેરી, અખરોટ વગેરે ફળાઉ વૃક્ષો અહીં ઉછેરવામાં આવે છે. વળી ડાંગર, મકાઈ, બાજરી અને બટાટા તથા કેટલાંક રાગી જેવા હલકાં ધાન્યોની ખેતી પણ થાય છે. પ્રદેશના 80 % ભાગમાં જંગલો છે. અહીં વાઘ, દીપડો, હાથી વગેરે પ્રાણીઓનાં અભયારણ્યો છે. ખનિજતેલ, કોલસો, ડૉલોમાઇટ અહીંની મુખ્ય ખનિજ છે. વણાટકામ તથા વાંસની ટોપલીઓ બનાવવાના લઘુઉદ્યોગ અહીં આવેલા છે. તે સિવાય સિમેન્ટ, પ્લાયવૂડ અને ફળો ઉપર ખાદ્યપ્રક્રમણ કરવાના ઉદ્યોગો તથા લાકડાં વહેરવાની મિલો આવેલી છે. મૉંગોલાઈ વંશની 26 જેટલી આદિવાસી જાતિઓ આ રાજ્યમાં રહે છે. આમાં અર્દિ, નિશી, અપટાની, તાજીન, મિશીમી, ખામ્પા વગેરે મુખ્ય છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અરુણાચલ પ્રદેશ, પૃ. 65)

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ-પૂર્વ (અગ્નિ)

એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ

અગ્નિએશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિએશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની દૃષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે ઈસવી સન 20થી 1200ના સમયગાળા દરમિયાન આ અસર ક્રમશ: ફેલાઈ. અગ્નિએશિયામાં ભારતમાંથી સૌપ્રથમ વેપારીઓ અને ત્યારબાદ વસાહતીઓ કાંઠાળ વિસ્તારો તથા મુખ્ય નદીઓ અને માર્ગોની નજીકના પ્રદેશમાં આવી વસ્યા. ભારતીય વેપારીઓ તથા વસાહતીઓના પગલે પગલે ભારતના બે મહાન ધર્મો હિંદુ ધર્મ તથા બૌદ્ધ ધર્મનું પણ આગમન થયું. અગ્નિએશિયાની ભવ્ય કલાપ્રવૃત્તિ માટે આ બે ધર્મો પ્રેરણાસ્રોત બની રહ્યા. વળી બૌદ્ધ સાધુઓ તેમજ યાત્રિકોના નિરંતર પ્રવાસ પણ આ વિશાળ અને વિભિન્નતાભર્યા ભૂમિપ્રદેશમાં સાંસ્કૃતિક વિકાસ માટે મહત્ત્વનું કારણ બની રહ્યા.

અંગકોર નગર (કમ્બોડિયા) ખાતેના મંદિરના મહાસંકુલનો મધ્યભાગ

ભારતીય સંસ્પર્શ પામેલી અગ્નિએશિયાની સંસ્કૃતિઓ પૈકી કલાદૃષ્ટિએ તેમજ રાજકીય રીતે સૌથી મહત્ત્વની તે કંબોડિયાની સંસ્કૃતિ. ભારતીય વસાહતીઓએ સૌપ્રથમ કંબોડિયામાં ઈસવી સનના પ્રથમ શતકમાં વસવાટ શરૂ કર્યો. ઈસવી સનની પ્રથમ સદીમાં ફૂનાન વંશની અને ત્યારબાદ ઈસવી સનની પાંચમી સદીમાં ચેન-લા વંશની સ્થાપના થઈ હતી. આ બંને રાજ્યપ્રદેશોનાં ખંડેરોનું ઉત્ખનન હાથ ધરાયું છે; ત્યાંથી પથ્થરમાં ઉત્કૃષ્ટ કૌશલ્યપૂર્વક કંડારેલી હિંદુ અને બૌદ્ધ દેવદેવીઓની શ્રેણીબંધ મૂર્તિઓ મળી આવી છે. એમાં બુદ્ધની કેટલીક મૂર્તિઓ કાષ્ઠની પણ છે. આ બધી મૂર્તિઓ કદાચ ઈંટચણતરથી રચેલાં પૂજાસ્થાનોમાં ગોઠવાઈ હશે અને આ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિધિવિધાનનાં કેન્દ્રો બની રહ્યાં હશે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ, પૃ. 183 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ/)

Categories
વાચન સમૃદ્ધિ

અરીસો (સમતલ)

જેના પરથી પ્રકાશના કિરણનું પરાવર્તન થઈ શકે એવી ચકચકિત કાચની સપાટી ધરાવતું ફલક. અરીસામાં કાચની લીસી સમતલ સપાટી પાછળ સામાન્ય રીતે ધાતુનું પાતળું આવરણ ચડાવવામાં આવે છે. સમતલ અરીસાની સામે કોઈ વસ્તુ મૂકવાથી તેનું પ્રતિબિંબ અરીસાની અંદર દેખાય છે. વસ્તુ અરીસાથી જેટલી દૂર હોય તેટલું દૂર તેનું પ્રતિબિંબ અરીસાની અંદર હોવાનો ભાસ થાય છે. પ્રતિબિંબનું કદ તેની મૂળ વસ્તુ જેટલું જ હોય છે. ફક્ત તે ડાબે-જમણેને બદલે જમણે-ડાબે ફેરવાઈ જાય છે. બે સમતલ અરીસા એકબીજા સાથે ખૂણો રચે તેમ મૂક્યા હોય અને તેની વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તેનાં ઘણાં પ્રતિબિંબો પડે છે. જેમ જેમ ખૂણો ઘટાડીએ તેમ તેમ પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય છે. જ્યારે બે સમતલ અરીસા એકબીજાને સમાંતર હોય ત્યારે જે તે મૂળ વસ્તુનાં અસંખ્ય પ્રતિબિંબો પડે છે.

નાની દુકાનમાં કે ઓરડામાં એક ભીંત પર મોટો સમતલ અરીસો લગાડવામાં આવે તો તે દુકાનની કે ઓરડાની જગા વિશાળ હોય તેવો ભાસ થાય છે. ઘરમાં અરીસાનો સૂઝપૂર્વક ઉપયોગ કરવાથી વધારે પ્રકાશ મેળવી શકાય છે. આવા સમતલ અરીસાનો ઉપયોગ કૅમેરા, પૅરિસ્કોપ, દૂરબીન તથા કૅલિડોસ્કોપમાં થાય છે. ઘરમાં બાથરૂમ આદિમાં અરીસાનો ઉપયોગ થાય છે. અરીસાનો ઉપયોગ સૂર્યનાં કિરણોનું પરાવર્તન કરી તેમને એક જગાએ કેન્દ્રિત કરવામાં થાય છે. તે પદ્ધતિનો ઉપયોગ પાણી ગરમ કરવા, સોલર કૂકરમાં રસોઈ કરવા તથા ઠંડા પ્રદેશમાં રસ્તા પરનો બરફ ઓગાળવાના કામમાં થાય છે. વક્ર સપાટીવાળા અરીસા બે પ્રકારના હોય છે : બહિર્ગોળ અને અંતર્ગોળ. બહિર્ગોળ અરીસો બહારની તરફ પરાવર્તક સપાટી ધરાવતો હોય છે. એવા અરીસા વાહનમાં લગાડવામાં આવે છે, જેથી પાછળના રસ્તાનો બહોળો વ્યાપ તેમાં દેખાય. અંતર્ગોળ અરીસો એટલે અંદરની તરફ પરાવર્તક સપાટી ધરાવતો અરીસો. આવા અરીસામાં વસ્તુ અમુક સ્થિતિમાં હોય ત્યારે મોટી લાગે છે એટલે દાઢી કરવા કે મેક-અપ કરવાના કામમાં આવો અરીસો વપરાય છે. અરીસાનો ઉપયોગ સુશોભનમાં પણ થાય છે. અરીસાના નાના, ગોળ ટુકડાઓને આભલાં કહેવાય છે. તે આભલાં વસ્ત્ર પર ટાંકી સુંદર ચાકળા, પોશાક તથા બટવા બનાવાય છે. ભીંતો પર આભલાંથી ભાત પાડીને ઘરમાં સુશોભન પણ કરવામાં આવે છે. આયનામહેલો તથા મંદિરોમાં પણ તેમનો ઉપયોગ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1