Categories
વાચન સમૃદ્ધિ

દશાવતારી નાટક

મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ કારણે એનું ‘દશાવતારી’ નામ પડ્યું છે. આ નાટ્યપરંપરા સાતમી સદીથી ચાલતી આવી છે એવી એક માન્યતા છે. સત્તરમી સદીમાં સંત રામદાસ એમના ‘દાસબોધ’માં દશાવતારી રમતોનો નિર્દેશ કરે છે, પરંતુ એ વખતે પ્રચલિત સ્વરૂપ વિશે કશી માહિતી મળતી નથી. એક દૃષ્ટિએ આ નાટ્યપ્રકારનું મૂળ કર્ણાટકમાં છે. કર્ણાટકમાં યક્ષગાનની શૈલીમાં દશાવતારની કથાની રજૂઆત થતી અને હજીય થાય છે. મહારાષ્ટ્રમાં આ નાટ્યપરંપરા અઢારમી સદીથી શરૂ થઈ. દશ અવતારોમાં મત્સ્યાવતારથી કૃષ્ણાવતાર સુધીના અવતારોની રજૂઆત હોય છે. પણ કૂર્મ, વરાહ અને પરશુરામના અવતારોનો નિર્દેશ માત્ર ગીતો દ્વારા કરવામાં આવે છે. બુદ્ધ અને કલ્કિ અવતારો દર્શાવવામાં આવતા નથી. મત્સ્યાવતારમાં સંકાસુરવધની વાત આવે છે. પણ સંકાસુરનું પાત્ર ભયાનક દર્શાવવાને બદલે વિદૂષક જેવું રમૂજ ઉપજાવે એવું દર્શાવવામાં આવે છે. રામ અને કૃષ્ણના અવતારોની અનેક ઘટનાઓ નિરૂપિત થાય છે. કૃષ્ણાવતારની રજૂઆતમાં રાધાનું પાત્ર મહત્ત્વનું હોય છે. નાટકની શરૂઆત મધરાતે થાય છે અને સવાર સુધી એ ચાલ્યાં કરે છે.

દશાવતારમાં પૂજારી, દાસી, ગણપતિ અને સંકાસુરનાં પાત્રો

ઘણાં કોંકણી કુટુંબોમાં દશાવતારીનો પાઠ ભજવવાની પરંપરા ચાલતી આવી છે. અભિનેતાઓ તથા પ્રેક્ષકો બંને નાટક ભજવાતું હોય છે ત્યારે પોતપોતાની રીતે ભગવાનની આરાધના કરતા હોય છે. આ નાટકની પ્રારંભિક વિધિ મંદિરના પૂજારીના ઘરમાં થાય છે. ત્યાં ધાર્મિક વિધિ કરી, રંગભૂષા અને વેષભૂષા કરી, સરઘસ કાઢી મૃદંગમંજીરા વગાડતા, નાચતાગાતા, મંદિરના સભામંડપમાં તૈયાર કરેલા મંચ પર આવે છે. પ્રેક્ષકો ભેગા થાય ત્યાં સુધી મૃદંગની જુગલબંધી ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દશાવતારી નાટક, પૃ. 268 અથવા જુઓ https://gujarativishwakosh.org/દશાવતારી નાટક/)

Categories
વાચન સમૃદ્ધિ

આઇસલૅન્ડ

સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં ૮૦૦ કિમી. દૂર આટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ.

ભૌગોલિક સ્થાન : તે ૬૫° ઉ. અ. અને ૧૮° પ. રે.ની આજુબાજુનો આશરે ૧ લાખ ચો.કિમી. જેટલો છે. આઇસલૅન્ડમાં વસવાટની શરૂઆત નવમી સદીના આરંભમાં થઈ હતી. આઇસલૅન્ડમાં ધરતીકંપ વારંવાર થાય છે; પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. તેના કુલ ૧૩૦ જ્વાળામુખીમાંથી ૩૨ જેટલા હાલ સક્રિય છે. હેકલા (Hekla) અને લાકી (Laki) જાણીતા જ્વાળામુખીઓ છે. કુલ જમીનના ૨%માં જ જંગલો છે અને ૧,૦૨,૭૭૫ ચો.કિમી.ના વિસ્તારમાંથી ૧% વિસ્તાર જ ખેડાણલાયક છે. આ દેશ ઉત્તર ધ્રુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં ત્યાંથી પસાર થતા ગરમ અખાતી પ્રવાહને કારણે ત્યાંનો દરિયો હૂંફાળો રહે છે અને ઠંડીની તીવ્રતા ઓછી અનુભવાય છે. અહીંના રીજવિક(પાટનગર)નું જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન – ૧° સે. જ્યારે જુલાઈનું સરેરાશ મહત્તમ તાપમાન ૧૧° સે. રહે છે. વરસાદની સરેરાશ ૭૮૮ મિમી. જેટલી રહે છે.

લાકી જ્વાળામુખી

આઇસલૅન્ડની નદીઓ વહાણવટાને લાયક નથી. ‘ગોલ્ડન ફૉલ્સ’ અને ‘ગોડા ફૉલ્સ’ ત્યાંના જાણીતા ધોધ છે. આઇસલૅન્ડમાં સુંદર સરોવરો આવેલાં છે. અહીં જાતજાતનાં પક્ષીઓ આવે છે. માછીમારી માટે પણ આ સરોવર ખૂબ ઉપયોગી છે. પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ છે. આઇસલૅન્ડની કુલ વસ્તી ૪,૦૦,૦૦૦ લાખ (૨૦૨૬, આશરે) જેટલી છે. આઇસલૅન્ડના મોટા ભાગના લોકો નૉર્ડિક છે. ૯૬.૯% પ્રજા ઇવેન્જેલિકલ લ્યૂથરન છે. સત્તાવાર ભાષા આઇસલૅન્ડિક છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. મત્સ્ય-ઉદ્યોગ અહીંના લોકોની જીવાદોરી છે. અહીંના જળવિસ્તારોમાં માછલીઓના ભંડાર આવેલા છે; જેમાં કોડ, કૅપલીન અને રેડફિશ મુખ્ય છે. મોટા ભાગની માછલીઓને સૂકવી, ડબ્બામાં કૅનિંગ કરી (canned) નિકાસ કરવામાં આવે છે. ગરમ પાણીના ઝરા અને ફુવારા આઇસલૅન્ડની લાક્ષણિકતા છે. આ પાણીની મદદથી તેઓ ટમેટાં, કાકડી, લેટિસની ભાજી (lettuce) અને ફૂલો ઉગાડે છે. રાજધાની રીજવિકનાં ઘરોમાં, ઑફિસોમાં ઝરાનું ગરમ પાણી પાઇપ વડે પૂરું પાડવામાં આવે છે. રાજધાની રીજવિક ઉપરાંત કોપવોગુર (Kopavogur), અકુરેયરી (Akureyri) જાણીતાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આઇસલૅન્ડ, પૃ. 95)

Categories
વાચન સમૃદ્ધિ

દરજીડો અથવા દરજી

ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી ઊભી પૂંછડી. લંબાઈ 12 સેમી. આસપાસ. એને ઓળખવું અઘરું નથી. જોકે ફુત્કી નામનું તેનું જાતભાઈ છેતરી જાય એવું બને. નરમાદા ઘણી વાર જોડમાં ફરે છે. લજ્જાળુ છતાં દોરા અથવા આહારની શોધમાં તે ઘરના વરંડામાં આવતાં ખચકાતું નથી.

દરજીડો

મોટા ભાગનાં પક્ષીઓની જેમ મુખ્ય આહાર જીવાત તથા તેનાં ઈંડાં છે. પુષ્પરસ પણ ભાવે. સ્વર મીઠો અને બુલંદ ટિવટ્, ટિ્વટ, ટિ્વટ અથવા જરા બદલાયેલો પ્રીત પ્રીત પ્રીત ઉદ્યાનોમાં સાંભળવા મળે. પક્ષીનું દરજીડો નામ તેના માળાને કારણે સાર્થક છે. છોડ કે વેલ અને કોઈ વાર પહોળાં પાંદડાંવાળાં નાનાં વૃક્ષ પર મીટર – બે મીટર ઊંચાઈ સુધીમાં બે કે ત્રણ પાંદડાંને સીવીને, સિલાઈ ઊકલી ન જાય તે માટે ગાંઠ વાળીને નાળચાના ઘાટનો માળો બનાવી, તેમાં વાળ, મૃદુ રેસા, રૂ, દોરા અને કુમળી ડાંખળીઓ પાથરી સુકોમળ આચ્છાદન કરે છે. માળા ઉપર ઢાંકણ જેવી રચના પણ હોય છે. તેથી ટાઢતાપ અને વર્ષામાં રક્ષણ મળે છે. સાધારણ દૃષ્ટિમાં માળો પરખાતો નથી. વર્ષાઋતુ દરજીડાનો સંવનનકાળ છે. સ્વભાવે નરમ અને લજ્જાળુ પક્ષી આ સમયે ઉન્માદમાં આવે છે. 3 કે 4 ઈંડાં મૂકે છે. ઈંડાંનો રંગ રતાશ કે ભૂરાશ પડતો શ્વેત, ઉપર બદામી ટપકાં. માણસ માળાનો સ્પર્શ કરે તો પક્ષી તેનો ત્યાગ કરે છે અને નવો માળો સીવે છે.

ગુજરાતી વિશ્વકોશ