Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ કન્નડ

કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ‘કન્નડ’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ‘કાનરા’ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી ભૂતકાળમાં તુલુનાડુ, તુલુવિષય, તુલુદેશ જેવાં નામો પ્રચલિત થયાં હતાં. આ જિલ્લો 12° 52´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને ચિકમગલુર અને પૂર્વ હસન અને અગ્નિમાં કોડાગુ અને દક્ષિણે કેરલમ્ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,560 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી આશરે 24,00,000 (2026) છે.

જિલ્લાની પૂર્વ દિશાએ પશ્ચિમ ઘાટની ગિરિમાળા છે. તેનાં શિખરો 910થી 1,830 મી. ઊંચાં છે. સૌથી ઊંચાં કુદ્રેમુખનાં ત્રણ શિખરો 1,800 મી.થી વધારે ઊંચાં છે. વચ્ચે ઉચ્ચ પ્રદેશ અને ખીણો છે.

દક્ષિણ કન્નડમાં વિશાળ પાયા પર થતી ડાંગરની ખેતી – એક દૃશ્ય

કિનારાનો મોટો ભાગ સપાટ અને કાંપનો બનેલો છે. જમીન મુખ્યત્વે કાળી છે. મેથી ઑક્ટોબર દરમિયાન નૈઋત્યના મોસમી પવનો સરેરાશ 3,930 મિમી. વરસાદ આપે છે. મે માસમાં મૅંગલોરનું સૌથી વધુ તાપમાન 37°–38° સે. અને ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 16°–17° સે. રહે છે. આ જિલ્લામાં નેત્રવતી, ગુરપુર, ગંગોલ્લી, સીતા અને સ્વર્ણ નદીઓ મુખ્ય છે. તેમાં બારેમાસ પાણી રહે છે. મુખથી થોડા કિમી. સુધી વહાણવટા માટે તે ઉપયોગી છે. ચોમાસામાં કાંપ ઘસડી લાવી જમીનની ફળદ્રૂપતામાં તે વધારો કરે છે. ઉચ્ચપ્રદેશ અને પશ્ચિમના થરો આર્કિયન, ધારવાડ અને ક્રિટેસિયસ યુગના છે. ક્વાર્ટઝાઇટ, શિસ્ટ, હૉર્નબ્લૅન્ડ, નાઇસ અને લાવાના ખવાણથી બનેલા લેટરાઇટ ખડકો અહીં જોવા મળે છે. આ જિલ્લામાંથી બૉક્સાઇટ, ગ્રૅનાઇટ, લેટરાઇટ વગેરે પથ્થરો, કોરંડમ, ગાર્નેટ, લોખંડ, કાયનાઇટ, સિલિકા, છીપો, ટાઇલ્સ માટેની માટી  વગેરે ખનિજો મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ કન્નડ, પૃ. 186 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ કન્નડ/)

Categories
વાચન સમૃદ્ધિ

અરુણાચલ પ્રદેશ

ભારતનું તેના ઈશાન ખૂણામાં આવેલું એક રાજ્ય.

ભૌગોલિક સ્થાન : 26° 28´ થી 29° 30´ ઉ. અ. અને 91° 20´થી 97° ૩૦´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય આ રાજ્યમાં થાય છે, તેથી તેનું નામ અરુણાચલ છે. આ વિસ્તાર એક સમયે નેફા (North-East-Frontier Agency – NEFA) તરીકે ઓળખાતો હતો. તેની પશ્ચિમે ભુતાન, ઉત્તરે તિબેટ (ચીન) અને પૂર્વે મ્યાનમાર દેશ આવેલો છે. જ્યાર દક્ષિણે ભારતનાં નાગાલૅન્ડ અને અસમ રાજ્ય આવેલ છે. 2026 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 19 લાખ  છે. રાજ્યમાં જિલ્લા, શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે 26, 27 અને 5,587 છે. ઇટાનગર, તવાંગ તેનાં મુખ્ય શહેરો છે. તે મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત, પર્વતમાળાનો પ્રદેશ છે. 3000થી 6000 મીટરની ઊંચાઈ ધરાવતી ઉત્તર તરફની પર્વતમાળાનો કેટલોક ભાગ હિમાચ્છાદિત છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલના પ્રદેશમાંથી અસમ બાજુ વહે છે.

અરુણાચલ પ્રદેશમાં એક બૌદ્ધ ધર્મનું મંદિર

આ પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોઈ ઉનાળામાં વરસાદ પડે છે. શિયાળામાં ઊંચાઈવાળા ભાગોમાં બરફ જામી જાય છે. આ વિસ્તાર પર્વતાળ હોવાથી બાગાયતી ખેતી માટે અહીં ઘણી સારી શક્યતાઓ છે. પાઇનેપલ, નારંગી, સફરજન, પીચ, ચેરી, અખરોટ વગેરે ફળાઉ વૃક્ષો અહીં ઉછેરવામાં આવે છે. વળી ડાંગર, મકાઈ, બાજરી અને બટાટા તથા કેટલાંક રાગી જેવા હલકાં ધાન્યોની ખેતી પણ થાય છે. પ્રદેશના 80 % ભાગમાં જંગલો છે. અહીં વાઘ, દીપડો, હાથી વગેરે પ્રાણીઓનાં અભયારણ્યો છે. ખનિજતેલ, કોલસો, ડૉલોમાઇટ અહીંની મુખ્ય ખનિજ છે. વણાટકામ તથા વાંસની ટોપલીઓ બનાવવાના લઘુઉદ્યોગ અહીં આવેલા છે. તે સિવાય સિમેન્ટ, પ્લાયવૂડ અને ફળો ઉપર ખાદ્યપ્રક્રમણ કરવાના ઉદ્યોગો તથા લાકડાં વહેરવાની મિલો આવેલી છે. મૉંગોલાઈ વંશની 26 જેટલી આદિવાસી જાતિઓ આ રાજ્યમાં રહે છે. આમાં અર્દિ, નિશી, અપટાની, તાજીન, મિશીમી, ખામ્પા વગેરે મુખ્ય છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અરુણાચલ પ્રદેશ, પૃ. 65)

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ-પૂર્વ (અગ્નિ)

એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ

અગ્નિએશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિએશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની દૃષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે ઈસવી સન 20થી 1200ના સમયગાળા દરમિયાન આ અસર ક્રમશ: ફેલાઈ. અગ્નિએશિયામાં ભારતમાંથી સૌપ્રથમ વેપારીઓ અને ત્યારબાદ વસાહતીઓ કાંઠાળ વિસ્તારો તથા મુખ્ય નદીઓ અને માર્ગોની નજીકના પ્રદેશમાં આવી વસ્યા. ભારતીય વેપારીઓ તથા વસાહતીઓના પગલે પગલે ભારતના બે મહાન ધર્મો હિંદુ ધર્મ તથા બૌદ્ધ ધર્મનું પણ આગમન થયું. અગ્નિએશિયાની ભવ્ય કલાપ્રવૃત્તિ માટે આ બે ધર્મો પ્રેરણાસ્રોત બની રહ્યા. વળી બૌદ્ધ સાધુઓ તેમજ યાત્રિકોના નિરંતર પ્રવાસ પણ આ વિશાળ અને વિભિન્નતાભર્યા ભૂમિપ્રદેશમાં સાંસ્કૃતિક વિકાસ માટે મહત્ત્વનું કારણ બની રહ્યા.

અંગકોર નગર (કમ્બોડિયા) ખાતેના મંદિરના મહાસંકુલનો મધ્યભાગ

ભારતીય સંસ્પર્શ પામેલી અગ્નિએશિયાની સંસ્કૃતિઓ પૈકી કલાદૃષ્ટિએ તેમજ રાજકીય રીતે સૌથી મહત્ત્વની તે કંબોડિયાની સંસ્કૃતિ. ભારતીય વસાહતીઓએ સૌપ્રથમ કંબોડિયામાં ઈસવી સનના પ્રથમ શતકમાં વસવાટ શરૂ કર્યો. ઈસવી સનની પ્રથમ સદીમાં ફૂનાન વંશની અને ત્યારબાદ ઈસવી સનની પાંચમી સદીમાં ચેન-લા વંશની સ્થાપના થઈ હતી. આ બંને રાજ્યપ્રદેશોનાં ખંડેરોનું ઉત્ખનન હાથ ધરાયું છે; ત્યાંથી પથ્થરમાં ઉત્કૃષ્ટ કૌશલ્યપૂર્વક કંડારેલી હિંદુ અને બૌદ્ધ દેવદેવીઓની શ્રેણીબંધ મૂર્તિઓ મળી આવી છે. એમાં બુદ્ધની કેટલીક મૂર્તિઓ કાષ્ઠની પણ છે. આ બધી મૂર્તિઓ કદાચ ઈંટચણતરથી રચેલાં પૂજાસ્થાનોમાં ગોઠવાઈ હશે અને આ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિધિવિધાનનાં કેન્દ્રો બની રહ્યાં હશે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ, પૃ. 183 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ/)