Categories
વાચન સમૃદ્ધિ

દેલવાડાનાં મંદિરો

સોલંકીકાળ દરમિયાન ગુજરાતના મંદિરસ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતાં છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ શાહે વિ. સં. 1088(ઈ. સ. 1031-32)માં અહીં બંધાવેલું મંદિર ‘વિમલવસહી’ (વિમલવસતિકા) નામે ઓળખાય છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવ ચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાણક, હસ્તિશાલ અને તોરણ વગેરે સ્થાપત્યકીય અંગો આવેલાં છે. એમાં કુલ 117 મંડપો અને 121 સ્તંભો છે. ગર્ભગૃહ અને એની સાથે જોડાયેલ ગૂઢમંડપ (એનાં ઉત્તર-દક્ષિણનાં દ્વારો તથા તેમની સાથે જોડાયેલ ચોકીઓ સિવાય) મંત્રી વિમલના સમયના હોવાનું સ્પષ્ટ થાય છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બહારથી તદ્દન સાદાં છે અને તેમની ઉપરના આચ્છાદન સાદા ફાસના ઘાટનાં છે. નવચોકી, રંગમંડપ અને દેવકુલિકાઓ સામેની પડાળીના સ્તંભો અને છતોમાં ખૂબ જ સુંદર કોતરણી કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી તેમજ મૂળનાયક-આદિનાથની પ્રતિમા પણ ઈ. સ. 1322ના જીર્ણોદ્ધારના સમયની છે. ગૂઢમંડપ આગળની ષટ્ચોકી(છ ચોકી)ની રચના વિમલના કુટુંબી ચહિલ્લે કરાવી હોય તેમ જણાય છે. આ છ ચોકીનું નવચોકીયા રૂપાંતર કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે રંગમંડપના જીર્ણોદ્ધારના સમયે (ઈ. સ. 1150) કરાવ્યું હોય એમ જણાય છે. આ જ પૃથ્વીપાલે મંદિરની સામે એના પૂર્વજોની સ્મૃતિમાં હસ્તિશાલા રચાવી હોવાનું જાણવા મળે છે. મંદિરની ચોતરફ દેવકુલિકાઓ પણ પૃથ્વીપાલના સમય(ઈ. સ. 1144-1187)માં બંધાઈ હતી. હસ્તિશાલાને ચાર દ્વાર છે.

પૂર્વના દ્વારે બે મોટાં દ્વારપાલનાં શિલ્પો છે અને એને અડીને જ અલંકૃત તોરણ છે. હસ્તિશાલાની અંદર સામે જ અશ્વારુઢ વિમલમંત્રીની છત્રધારી મૂર્તિ છે. હસ્તિશાલાની વચ્ચે આદિનાથનું સમવસરણ છે. મંદિરના ગભારામાં મૂળ નાયક ઋષભદેવની સપરિકર-પંચતીર્થી પ્રતિમા છે. મંદિરમાં ઠેર ઠેર વિમલના વંશજોની મૂર્તિઓ અને અભિલેખો આવેલા છે. અહીંની શિલ્પ સમૃદ્ધિમાં સપરિકર તીર્થંકરની મૂર્તિઓ, ચોવીસીનો પટ્ટ, સમવસરણ, સાધુ-સાધવીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, અંબિકા, સોળ વિદ્યાદેવીઓ, ભરત-બાહુબલિ યુદ્ધ, પંચકલ્યાણક, કાલીયમર્દન, નૃસિંહ, સરસ્વતી, લક્ષ્મી, 56 દિક્કુમારિકાઓ વગેરેનો સમાવેશ થાય છે.

(વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દેલવાડાનાં મંદિરો/)

Categories
વાચન સમૃદ્ધિ

ઇન્ડોનેશિયા

મલેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. તે ૬° ઉ. અ.થી ૧૧° દ. અ. અને ૯૫° પૂ. રે.થી ૧૪૧° પૂ. રે. વચ્ચેનો ૧૯.૯૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પાપુઆ ન્યૂ ગીનીઆ, પૂર્વ તિમોર અને મલેશિયાના પૂર્વ ભાગ સાથે જમીન સરહદો ધરાવે છે. જ્યારે સિંગાપોર, વિયેટનામ, થાઇલૅન્ડ, ફિલિપિન્સ, ઑસ્ટ્રેલિયા, પલાઉ અને ભારત (આંદામાન નિકોબાર ટાપુઓ) સાથે મેરીટાઇમ સરહદો ધરાવે છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. ઇન્ડોનેશિયાના નાનામોટા ૧૭,૫૦૪ ટાપુઓ વિષુવવૃત્ત આસપાસ ચાપ-આકારે વિસ્તરેલા છે. આમાંથી ૬,૦૦૦ ટાપુઓ પર જ માનવવસવાટ નથી. તે વિશ્વનો ચોથા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

ઇન્ડોનેશિયામાં લગભગ ૧૫૦ જ્વાળામુખીઓ છે. તેમાં ૭૬ જેટલા આજે પણ સક્રિય છે, તેમાં ક્રાકાટોઆ મુખ્ય છે. ઇન્ડોનેશિયાના ભૂમિવિસ્તારના ૬૫% ભાગ ઉપર જંગલો છવાયેલાં છે. આ જંગલોમાં મેહૉગની, સાગ, યુકેલિપ્ટસ, નેતર, રબર, તાડ, સિંકોના, અબનૂસ, રોઝવૂડ, વાંસ વગેરે જેવાં મુખ્ય વૃક્ષો થાય છે. અહીં સુમાત્રા, જાવા અને અન્ય ટાપુઓનાં પંકભૂમિનાં ક્ષેત્રોમાં ચેર(mangroe)નાં જંગલો જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં હાથી, વાઘ, વાંદરાં, ગેંડા, ઉરાંગઉટાંગ, અજગર, મગર, મહાકાય કાચિંડા, વિવિધરંગી પક્ષીઓ અને જંતુઓ જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં લાવારસની કાળી જમીન ખૂબ ફળદ્રૂપ છે. અહીંના મુખ્ય પાક ડાંગર, શેરડી, રબર, નાળિયેર, કૉફી, જાયફળ, સોપારી, મરી, ચા, સિંકોના, તાડ અને તમાકુ છે. અહીં બાગાયતી ખેતીનું મહત્ત્વ વધુ છે. કાપડ ઉપરનું બાટિકકામ અહીંનો ખૂબ મહત્ત્વનો ગૃહ-ઉદ્યોગ છે. ઇન્ડોનેશિયાની વસ્તી આશરે ૨૮ કરોડ ૯૦ લાખ (૨૦૨૬, મુજબ) જેટલી છે. ઇન્ડોનેશિયાના મોટા ભાગના લોકો મલય જાતિના છે. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા છે. તે સિવાય જાવા, સુમાત્રા, બોર્નિયો, સેલિબિસ અને બાલી અગત્યના ટાપુઓ છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇન્ડોનેશિયા, પૃ. 157)

Categories
વાચન સમૃદ્ધિ

દૂરબીન (Telescope)

દૂરની વસ્તુ નજીક દેખાય તે માટેનું સાધન. દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવી તેનું આવર્ધન (magnification) કરવાથી આવું બની શકે છે. ફક્ત સુપરિચિત તારાઓ અને ગ્રહોનો જ અભ્યાસ નહિ, પરંતુ અન્ય અનેક અવકાશી પિંડ, જે દૂરબીન વગર જોઈ શકાતા નથી તેમનો અભ્યાસ પણ ખગોળવેત્તા માટે આ સાધનને કારણે શક્ય બન્યો છે, આમ દૂરબીન એ ખગોળવેત્તા માટે એક ઘણું જ ઉપયોગી સાધન છે. દૂરબીન મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) પરાવર્તક (reflecting), (2) વક્રતાકારક (refracting). વક્રતાકારક દૂરબીનની શોધ પ્રથમ થઈ હતી. એક સાદા વક્રતાકારક દૂરબીનની રચનામાં એક નળીને એક છેડે વસ્તુકાચ (object lens) તરીકે ઓળખાતો એક મોટો બહિર્ગોળ (convex) લેન્સ હોય છે. બીજે છેડે નેત્રકાચ (eyepiece) તરીકે ઓળખાતો એક નાનો બહિર્ગોળ લેન્સ હોય છે. વસ્તુ ઉપરથી આવી રહેલાં પ્રકાશકિરણોને વસ્તુકાચ એકત્રિત કરી, નળીમાં તેનું ઊલટું પ્રતિબિંબ (inverted image) ઉત્પન્ન કરે છે, જેને નેત્રકાચ આવર્ધિત કરે છે. વસ્તુકાચ તથા નેત્રકાચ વચ્ચેના અંતરની યોગ્ય ગોઠવણી કરી, સ્પષ્ટ (sharp) પ્રતિબિંબ મેળવવામાં આવે છે, જેને ‘ફોક્સિંગ’ કહે છે. આવાં દૂરબીનમાં વસ્તુનું ઊલટું પ્રતિબિંબ (upside down image) જોવા મળે છે. પણ ખગોળીય વસ્તુઓ જોવા માટે ખગોળવેત્તાને તેનાથી કોઈ તકલીફ થતી નથી. વસ્તુનું પ્રતિબિંબ સીધું (erect) દેખાય તે માટે દૂરબીનમાં એક બીજો લેન્સ ગોઠવવાની આવશ્યકતા રહે છે. આવા દૂરબીનને ભૂમીય દૂરબીન (terrestrial telescope) કહે છે.

વક્રતાકારક દૂરબીનમાં એક મોટો ગેરફાયદો એ છે કે જ્યારે પ્રકાશ લેન્સમાંથી પસાર થાય ત્યારે વિકૃતિ (distortion) ઉદ્ભવે છે. 1663માં જેમ્સ ગ્રેગરીએ લેન્સને બદલે અરીસા વાપરવાનું સૂચન કર્યું. 1668માં સર આઇઝેક ન્યૂટને સૌપ્રથમ સંતોષકારક પરાવર્તક દૂરબીન બનાવ્યું. પરાવર્તક દૂરબીનમાં એક છેડે મોટો અંતર્ગોળ અરીસો (concave mirror) રાખવામાં આવ્યો, જે વસ્તુ ઉપરથી આવતા પ્રકાશને એકત્રિત કરી, નળીને બીજે છેડે રાખેલા સાદા અરીસા ઉપરથી તેને પરાવર્તિત કરે. આ સાદો અરીસો, પ્રકાશને નળીની બાજુમાંથી પરાવર્તિત કરી નેત્રકાચ નજીક પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે, જે તેનું આવર્ધન કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દૂરબીન/)