Categories
વાચન સમૃદ્ધિ

અરીસો (સમતલ)

જેના પરથી પ્રકાશના કિરણનું પરાવર્તન થઈ શકે એવી ચકચકિત કાચની સપાટી ધરાવતું ફલક. અરીસામાં કાચની લીસી સમતલ સપાટી પાછળ સામાન્ય રીતે ધાતુનું પાતળું આવરણ ચડાવવામાં આવે છે. સમતલ અરીસાની સામે કોઈ વસ્તુ મૂકવાથી તેનું પ્રતિબિંબ અરીસાની અંદર દેખાય છે. વસ્તુ અરીસાથી જેટલી દૂર હોય તેટલું દૂર તેનું પ્રતિબિંબ અરીસાની અંદર હોવાનો ભાસ થાય છે. પ્રતિબિંબનું કદ તેની મૂળ વસ્તુ જેટલું જ હોય છે. ફક્ત તે ડાબે-જમણેને બદલે જમણે-ડાબે ફેરવાઈ જાય છે. બે સમતલ અરીસા એકબીજા સાથે ખૂણો રચે તેમ મૂક્યા હોય અને તેની વચ્ચે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તેનાં ઘણાં પ્રતિબિંબો પડે છે. જેમ જેમ ખૂણો ઘટાડીએ તેમ તેમ પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય છે. જ્યારે બે સમતલ અરીસા એકબીજાને સમાંતર હોય ત્યારે જે તે મૂળ વસ્તુનાં અસંખ્ય પ્રતિબિંબો પડે છે.

નાની દુકાનમાં કે ઓરડામાં એક ભીંત પર મોટો સમતલ અરીસો લગાડવામાં આવે તો તે દુકાનની કે ઓરડાની જગા વિશાળ હોય તેવો ભાસ થાય છે. ઘરમાં અરીસાનો સૂઝપૂર્વક ઉપયોગ કરવાથી વધારે પ્રકાશ મેળવી શકાય છે. આવા સમતલ અરીસાનો ઉપયોગ કૅમેરા, પૅરિસ્કોપ, દૂરબીન તથા કૅલિડોસ્કોપમાં થાય છે. ઘરમાં બાથરૂમ આદિમાં અરીસાનો ઉપયોગ થાય છે. અરીસાનો ઉપયોગ સૂર્યનાં કિરણોનું પરાવર્તન કરી તેમને એક જગાએ કેન્દ્રિત કરવામાં થાય છે. તે પદ્ધતિનો ઉપયોગ પાણી ગરમ કરવા, સોલર કૂકરમાં રસોઈ કરવા તથા ઠંડા પ્રદેશમાં રસ્તા પરનો બરફ ઓગાળવાના કામમાં થાય છે. વક્ર સપાટીવાળા અરીસા બે પ્રકારના હોય છે : બહિર્ગોળ અને અંતર્ગોળ. બહિર્ગોળ અરીસો બહારની તરફ પરાવર્તક સપાટી ધરાવતો હોય છે. એવા અરીસા વાહનમાં લગાડવામાં આવે છે, જેથી પાછળના રસ્તાનો બહોળો વ્યાપ તેમાં દેખાય. અંતર્ગોળ અરીસો એટલે અંદરની તરફ પરાવર્તક સપાટી ધરાવતો અરીસો. આવા અરીસામાં વસ્તુ અમુક સ્થિતિમાં હોય ત્યારે મોટી લાગે છે એટલે દાઢી કરવા કે મેક-અપ કરવાના કામમાં આવો અરીસો વપરાય છે. અરીસાનો ઉપયોગ સુશોભનમાં પણ થાય છે. અરીસાના નાના, ગોળ ટુકડાઓને આભલાં કહેવાય છે. તે આભલાં વસ્ત્ર પર ટાંકી સુંદર ચાકળા, પોશાક તથા બટવા બનાવાય છે. ભીંતો પર આભલાંથી ભાત પાડીને ઘરમાં સુશોભન પણ કરવામાં આવે છે. આયનામહેલો તથા મંદિરોમાં પણ તેમનો ઉપયોગ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ

બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´ ઉ. અક્ષાંશ, 93° 54´ પૂ. રેખાંશ પર, બંગાળના ઉપસાગરમાં આવેલા બેરન ટાપુનો સુપ્ત ગણાતો જ્વાળામુખી આ પૈકી મહત્ત્વનો છે. હાલમાં તેના ઘણા મોટા શંકુ જ્વાળામુખના અવશેષો જોવા મળે છે. એકબે સ્થાનમાં ખંડિત થયેલો, જૂના શંકુના અવશેષોથી બનેલો, આશરે ત્રણ કિમી.ના વ્યાસવાળો આ જ્વાળાકુંડ પ્રેક્ષાગાર (amphitheatre) જેવો દેખાય છે. તે અંદરના ભાગમાં આવેલા, પ્રમાણમાં નવા સમયના પ્રસ્ફુટનના નિયમિત થરવાળા લાવાપ્રવાહોથી બનેલા, નાના, સપ્રમાણ શંકુને ફરતો ગોઠવાયેલો છે. નવા શંકુની ટોચ ઉપર સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ જ્વાળામુખ આવેલું છે, પરંતુ પાણીની ઉપરનો જ્વાળામુખીનો દૃશ્યમાન ભાગ તેના આખા કદનો ઘણો જ નાનો અંશ છે. જ્વાળામુખી શંકુનો તળ ભાગ સમુદ્રસપાટીથી ઘણા મીટર ઊંડાઈએ રહેલો છે.

એક સુઘટિત શંકુ આકારનો દક્ષિણ એશિયાઈ જ્વાળામુખી

19મી સદીની શરૂઆતમાં તેની છેલ્લી પ્રસ્ફુટનસ્થિતિ જોવામાં આવેલી; ત્યાર પછી તે લગભગ સુપ્ત અવસ્થામાં રહ્યો છે; પરંતુ જ્વાળામુખની દીવાલો ઉપરની ગંધકની ઊર્ધ્વપાતનક્રિયા તેનું ગંધક-જ્વાળામુખી અવસ્થામાં થતું પરિવર્તન દર્શાવે છે. કૅપ્ટન બ્લેરે 1795માં થયેલા બેરન ટાપુના પ્રસ્ફુટનનું વર્ણન કરેલું છે, જેમાં નવા શંકુની ટોચ પર આવેલા જ્વાળામુખમાંથી ધગધગતી ભસ્મ, કેટલાક ટન વજનવાળા જ્વાળામુખીજન્ય ખડકજથ્થા તેમજ વાયુઓ અને વરાળનાં વાદળ બહાર ફેંકાયાની નોંધ મળે છે. બીજા એક નિરીક્ષકે 1803માં દર દસ મિનિટના તફાવતે જ્વાળામુખમાંથી થતા રહેલા અનેક ધડાકા સાંભળેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ, પૃ. 182 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ/)

Categories
વાચન સમૃદ્ધિ

અંબાજી

એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : 24° 19´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ સિવાય ગૌણ રૂપે કચ્છમાં આશાપુરા, ભુજ પાસે રુદ્રાણી, દ્વારકા પાસે અભયમાતા, પોરબંદરનાં હરસિદ્ધ માતા, ગોંડલનાં ભુવનેશ્ર્વરી, ઘોઘા-ભાવનગર પાસે ખોડિયાર માતા, હળવદ પાસે સુંદરી ભવાની, વઢવાણમાં બૂટ(ભૂત)માતા, ચોટીલાનાં ચામુંડા, નર્મદાતટે અનસૂયા, પેટલાદ પાસે આશાપુરી વગેરે પ્રખ્યાત છે.

અંબાજી મંદિર

આરાસુરી અંબિકા કે અંબાજી એટલે માતાજી. માતાને સંસ્કૃતમાં  `अम्बा’ કહે છે. પૌરાણિક કથા કહે છે કે દક્ષે કરેલા યજ્ઞમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને નિમંત્રણ આપ્યું ન હતું; પરંતુ પિતાને ત્યાં યજ્ઞ હોઈ અન્ય દેવદેવીઓને જતાં જોઈ સતી પણ પિતાને ત્યાં ગયાં. ત્યાં પોતાના પતિનું અપમાન અને પોતાની અવગણના જોઈ તેમને લાગી આવતાં પોતાના દેહને બાળી નાખ્યો. શિવને ખબર પડતાં ક્રોધના આવેશમાં વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો નાશ કર્યો. મૃત સતીના દેહને લઈ શિવ આવેશ અને આઘાતથી ફરવા લાગ્યા. શંકર ભગવાનના મોહને છિન્નભિન્ન કરવાના હેતુથી વિષ્ણુએ ચક્રને ગુપ્ત રીતે સતીના દેહમાં પ્રવેશ કરાવી દેહનાં અંગોને છેદવા માંડ્યાં. જ્યાં જ્યાં આ અંગો પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠો થઈ. ગુજરાતના અર્બુદારરણ્ય(આરાસુર વિસ્તાર)માં પર્વતના શિખર ઉપર સતીના દયનો એક ભાગ પડ્યો હતો. ત્યાં થયેલી આ શક્તિપીઠમાં માતા અંબા પૂજાય છે. અંબાજી વિશે લોકોમાં અનેક કથાઓ પ્રચલિત પણ થઈ છે. ગબ્બર (ગહ્વર-ગુફા) માતાની ગુફા કહેવાય છે. ઇડરિયો ગઢ ચામુંડાની ટેકરી માતાજીનું વિહારસ્થાન છે. દાતાના ઠાકોર અંબાજીના ભક્ત અને વહીવટકર્તા હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અંબાજી, પૃ. 88)