Categories
વાચન સમૃદ્ધિ

અશ્મિલ (Fossils)

કોઈ કુદરતી ઘટનાને પરિણામે સચવાઈ રહેલા પ્રાચીન કાળના પ્રાણી કે વનસ્પતિના નિશાનીરૂપ અવશેષો. તે કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર ઉદ્ભવેલા જીવન વિશેની માહિતી આપે છે. ૪૦૦ કરોડ વર્ષો પહેલાંનું, જૂનામાં જૂનું બૅક્ટેરિયાનું અશ્મિલ મળી આવ્યું છે. દુનિયાના દરેક ભાગમાંથી – વિશેષે જળકૃત ખડકોમાંથી – અશ્મિલ મળી આવે છે. સામાન્ય રીતે પ્રાણી મરી જાય તે પછી તેનું શરીર ધીમે ધીમે કોહવાઈને નષ્ટ પામે છે અને તેનો કોઈ અવશેષ કે નિશાની રહેતાં નથી; પણ ઘણી વાર પ્રાણી મરી ગયા પછી તરત જ તે સમુદ્રને તળિયે કે બરફમાં કે રેતીમાં દટાઈ જાય છે. તેનું અશ્મિલમાં રૂપાંતર થાય છે. એવું બને કે પ્રાણી સમુદ્રના તળિયે ડૂબ્યું હોય અને તેના ઉપર કાંપ, રેતી અને કાદવના થર પથરાયા હોય. આવા થરોથી કાળક્રમે જળકૃત ખડકો બને છે. આની અંદર ભીંસાયેલાં પ્રાણીનાં શંખ, છીપ કે હાડકાં જેવા કઠણ ભાગોનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે.

ખડકોમાં મળી આવેલાં પ્રાણી અને ડાઈનોસૉરના પંજાનાં અશ્મિલ

કેટલીક વાર નાનું જંતુ (જેમ કે કરોળિયો) ઝાડમાંથી નીકળતા રસ(એમ્બર)માં ઝડપાઈ જાય છે અને તે રસ કઠણ થઈ જતાં અંદરના જંતુનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે અને તે રસના ટીપામાં વૈજ્ઞાનિક માહિતીનો રસપ્રદ ખજાનો સચવાઈ જાય છે. કેટલીક વાર બરફથી છવાયેલા પહાડોમાં મનુષ્ય કે મનુષ્યેતર પ્રાણી દટાઈ જાય છે અને તેનું અશ્મિલમાં રૂપાંતર થઈ જાય છે. આવી રીતે સાઇબીરિયામાંથી મેમથ નામની લુપ્ત થઈ ગયેલી જાતિના હાથીનું અશ્મિલ રૂપ મળી આવ્યું હતું. હિમાલયના પર્વત-વિસ્તારમાંથી મળી આવતાં દરિયાઈ પ્રાણીઓનાં અશ્મિલ ઉપરથી એક સમયે ત્યાં દરિયો હશે એવું અનુમાન કરવામાં આવે છે. જર્મનીમાંથી પક્ષીનું એક એવું અશ્મિલ મળી આવ્યું છે જેને પાંખ, તેની સાથેનાં આંગળાં અને જડબા સાથેના દાંત છે. આ અશ્મિલના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું છે કે આ પક્ષીઓ ડાયનોસૉરથી ઊતરી આવ્યાં છે. આ અશ્મીભૂત પ્રાણીને આર્કિયૉપ્ટેરિસ તરીકે ઓળખવામાં આવે છે, તે ડાયનોસૉર અને પક્ષી વચ્ચેના જીવનની અગત્યની કડી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-1 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

થીબ્ઝ (ગ્રીસ)

ભૌગોલિક સ્થાન : તે આશરે 380 19’ ઉ અ. અને 230 19’  પૂ. રે. છે. થીબ્ઝ પ્રાચીન ગ્રીસના મધ્ય ભાગમાં આવેલ બોએશિયા વિસ્તારનું એક મહત્ત્વનું નગર હતું. તે ઍથેન્સથી ઉત્તરમાં 48 કિમી. દૂર આવેલું હતું. તે સમુદ્ર સપાટીથી 180 મીટર ઊંચાઈ ધરાવે છે. એ બોએશિયન લીગનું અગ્રણી રાજ્ય હતું. દંતકથા પ્રમાણે ફીનિશિયાના રાજા કેડમસે એની સ્થાપના કરી હતી. ગ્રીક દંતકથાઓમાં ટ્રૉયની માફક થીબ્ઝનો પણ મહત્ત્વના શહેર તરીકે ઉલ્લેખ આવે છે. ઈ. સ. પૂ. 500થી એનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એ વર્ષથી થીબ્ઝ અને બીજા એક ગ્રીક રાજ્ય પ્લેટિયા વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ હતી. ઈ. સ. પૂ. 480માં પર્શિયનોએ ગ્રીસ પર ચડાઈ કરી ત્યારે થીબ્ઝે તેમને મદદ કરી હતી. થીબ્ઝ અને ઍથેન્સ વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી, જેમાં ઈ. સ. પૂ. 431માં થયેલું પેલોપોનેશિયન યુદ્ધ વધારે મહત્ત્વનું હતું. એ યુદ્ધ પછી બોએશિયન લીગનું પતન થયું અને સ્પાર્ટાના જુલમી વર્ચસની શરૂઆત થઈ.

ગ્રીસ(યુરોપ)માં થીબ્ઝનું ભૌગોલિક સ્થાન

ઈ. સ. પૂ. 379થી ઈ. સ. પૂ. 374 વચ્ચે પેલોપીડાસના પ્રયત્નોને કારણે થીબ્ઝ ફરીથી શક્તિશાળી બન્યું. ઈ. સ. પૂ. 371માં ઈપેમિનોન્ડાસના નેતૃત્વ નીચે થીબ્ઝે સ્પાર્ટનોને હરાવી ગ્રીસ ઉપર સત્તા સ્થાપી; પરંતુ ઈ. સ. પૂ. 362માં ઈપેમિનોન્ડાસના નિધન પછી ગ્રીસ ઉપરની થીબ્ઝની સત્તાનો અંત આવ્યો. એ પછી ગ્રીસનાં રાજ્યો મેસિડોનિયાના રાજા ફિલિપ અને એના પુત્ર મહાન સિકંદરની સત્તા નીચે આવ્યાં. સિકંદરનો સમકાલીન કવિ પિન્ડાર થીબ્ઝનો વતની હતો. એનાં ઊર્મિકાવ્યો પ્રસિદ્ધ છે. થીબ્ઝે સિકંદર સામે બળવો કરતાં એણે એનો નાશ કર્યો હતો. એ પછી ઈ. સ. પૂ. 316માં થીબ્ઝ ફરીથી વસ્યું અને રોમન સામ્રાજ્યના પાછળના સમયમાં એનું મહત્ત્વ વધ્યું. ઈસુની અગિયારમી અને બારમી સદીમાં એ રેશમના વેપારનું અગત્યનું મથક બન્યું. તુર્ક લોકોએ આ શહેરનો કબજો મેળવ્યા પછી એના પતનની શરૂઆત થઈ. પ્રાચીન થીબ્ઝની જગ્યાએ અત્યારે થીવઈ નામનું નગર વસેલું છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અરવલ્લી

દિલ્હીથી આખાય રાજસ્થાનને ઈશાન-નૈર્ઋત્યમાં વીંધતી અને ગુજરાતની ઉત્તર સરહદે પૂરી થતી ગિરિમાળા. દુનિયાની તેમ જ ભારતની તે અતિ પ્રાચીન (અંદાજે દોઢ અબજ વર્ષ – ૧૬૦ કરોડ વર્ષ જૂની) ગિરિમાળાઓ પૈકીની એક છે. તે હિમાલય કરતાં પણ જૂની છે. આ ગિરિમાળા આશરે ૮૦૦ કિમી. લાંબી છે. ઉત્તરમાં દિલ્હીથી શરૂ થઈ, રાજસ્થાનના વિસ્તારમાંથી પસાર થઈ, તે દક્ષિણે બાલારામ તથા ઈડર સુધી વિસ્તરેલી છે. તે જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી પહોળાઈ ધરાવે છે. આ ગિરિમાળામાં અંદાજે ૧૨૦૦થી ૧૫૦૦ મીટર ઊંચાઈ ધરાવતાં શિખરો છે; તે પૈકી માઉન્ટ આબુનું ગુરુશિખર (૧૭૨૨ મીટર) સૌથી ઊંચું છે. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાનો ફાંટો આરાસુરથી જૈસોર થઈ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં છેક તારંગાની ટેકરીઓ સુધી વિસ્તરેલો છે.

અરવલ્લીની ગિરિમાળા

ભૂસ્તરીય દૃષ્ટિએ જોતાં આશરે ૨૫૦ કરોડ વર્ષ પૂર્વે તેનું ઉત્થાન શરૂ થયેલું અને ૧૬૦ કરોડ વર્ષ પૂર્વે પૂરું થયેલું. આ આખીયે ગિરિમાળા પટ્ટાયુક્ત નાઇસ ખડકસંકુલ (banded gneissic complex – BGC) તેમ જ અરવલ્લી-રચના, દિલ્હી-રચના, વિંધ્ય-રચનાના ખડકોથી બનેલી છે. તેમાં આગ્નેય અંતર્ભેદનો પણ થયેલાં છે. આ ગિરિમાળા આર્થિક ખનિજો અને ખડકોના ભંડાર સમાન છે. તે ગ્રૅનાઇટ, ચૂનાખડક, આરસપહાણ, સ્લેટ અને ફિલાઇટ જેવા ખડકો તથા સીસું, જસત, તાંબું અને ઍસ્બેસ્ટૉસ જેવાં અનેક કીમતી ખનિજો પૂરાં પાડે છે. સાબરમતી, હાથમતી, બનાસ, મહી, રૂપેણ અને સરસ્વતી જેવી અનેક નદીઓ અરવલ્લી પર્વતમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. અહીંનો આબુ પર્વત હવા ખાવાનું સ્થળ છે. દેલવાડાનાં પ્રખ્યાત દેરાં અહીં આવેલાં છે. અંબાજીનું પ્રખ્યાત યાત્રાધામ, તારંગાનાં જૈનમંદિરો, શામળાજીનું ગદાધર(ભગવાન વિષ્ણુ)નું મંદિર, ખેડબ્રહ્મા તેમ જ પુષ્કરનાં બ્રહ્માજીનાં મંદિર, એકલિંગજીનું શિવમંદિર, શ્રીનાથજીનું મંદિર, ચારભુજા, પોળોનાં શિલ્પ-સ્થાપત્ય રજૂ કરતાં ખંડિયેરો, જૈન તીર્થંકર ઋષભદેવનું મંદિર, રાણકપુરનું જૈનમંદિર વગેરે આ ગિરિમાળામાં આવેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અરવલ્લી, પૃ. 62)