જ. 15 એપ્રિલ, 1922 અ. 17 સપ્ટેમ્બર, 1999

હિન્દી ફિલ્મજગતના કવિ અને શાયર હસરત જયપુરીનો જન્મ જયપુરમાં થયો હતો. એમનું મૂળ નામ ઇકબાલ હુસૈન જયપુરી હતું. બાળપણમાં જયપુરમાં માધ્યમિક શિક્ષણ એક અંગ્રેજી માધ્યમની શાળામાં લીધું, પરંતુ એમના નાના શાયર ફિદા હુસૈન ફિદા પાસે ઉર્દૂ તથા ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું. શાયરી પ્રત્યે એમનો લગાવ સહજ બન્યો. તેમણે અર્થોપાર્જન માટે 1940માં એમણે મુંબઈ પ્રયાણ કર્યું. ત્યાં માસિક અગિયાર રૂપિયામાં બસકંડક્ટરની નોકરી સ્વીકારી. પરંતુ એમનો કવિજીવ એમને વિવિધ કવિસંમેલન તેમજ મુશાયરાઓમાં ખેંચી જતો. જ્યાં તેઓ પોતાની રચનાઓ પ્રસ્તુત કરતા. આવા જ એક કવિસંમેલનમાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરનું ધ્યાન હસરત જયપુરી ઉપર પડ્યું. ફિલ્મનિર્માતા-નિર્દેશક પુત્ર રાજ કપૂરને પિતા પૃથ્વીરાજે હસરત જયપુરી માટે ભલામણ કરી. ફિલ્મ ‘બરસાત’માં ‘જીયા બેકરાર હૈ’ ગીતના લેખન સાથે એમણે ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ‘છોડ ગયે બાલમ મુજે હાય અકેલા છોડ ગયે’ હસરત જયપુરીની કલમે લખાયેલું પ્રથમ યુગલ ગીત પણ ખૂબ પ્રસિદ્ધ પામ્યું. હસરત જયપુરી રાજ કપૂરની નિર્માણ કંપનીમાં મુખ્ય સ્તંભોમાંના એક ગણાતા હતા. ગીતકાર તરીકેની હસરત જયપુરીની કારકિર્દી શરૂ થતાં એમને પ્રસિદ્ધ સાથે ધનરાશિ પણ વિપુલ પ્રમાણમાં મળવી શરૂ થઈ ગઈ. 1971માં રાજ કપૂર નિર્માણ કંપનીના એક સ્તંભ તથા હસરત જયપુરીના મિત્ર સંગીતનિર્દેશક જયકિશનના અવસાન તથા ફિલ્મ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા બાદ રાજકપૂર નિર્માણ કંપનીએ સંગીતનિર્દેશક તથા ગીતકારની ટીમ બદલી સાથે હસરત જયપુરીની કારકિર્દીમાં થોડી ઓટ આવી. 1885માં ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં રાજ કપૂરના આમંત્રણથી એમણે ‘સુન સાયબા સુન’ ગીત લખ્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. હસરત જયપુરીની કલમે લખાયેલાં લોકપ્રિય બનેલાં ગીતોમાં ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’, ‘પંખ હોતી તો ઉડ આતી રે’, ‘અજી રૂઠ કર અબ’, ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’, ઝિંદગી એક સફર હૈ સુહાના’ જેવાં અનેક ગીતોનો સમાવેશ થાય છે. 1967 તથા 1972માં એમને સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.
અલ્પા શાહ


