Categories
વાચન સમૃદ્ધિ

હીરાબાઈ બરોડેકર

જ. 29 મે, 1905 અ. 20 નવેમ્બર, 1989

શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનાં ગાયિકા હીરાબાઈ બરોડેકરનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરજમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ચંપાકલી હતું. પિતા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન અને માતા તારાબાઈ. તેમણે પુણેની હજુરપાગા સ્કૂલ અને પછી સેન્ટ મેરી કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ તેમના ભાઈ સુરેશબાબુ માને પાસેથી અને પછી ઉસ્તાદ અબ્દુલ વહીદખાન પાસેથી મેળવી. તેમણે 1921માં પુણેના ગાંધર્વ મહાવિદ્યાલયના સંગીતસમારોહમાં પ્રથમ કાર્યક્રમ આપ્યો. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ છોટા ખ્યાલ, બડા ખ્યાલ, ઠૂમરી, મરાઠી નાટ્યસંગીત, અભંગ અને ભજન માટે જાણીતાં હતાં. તેમણે ‘નૂતન સંગીત વિદ્યાલય નાટ્યશાળા’ની સ્થાપના કરી હતી. HMVએ તેમની મરાઠી ભજનોની અને હિન્દીની રેકર્ડસ બહાર પાડી હતી. તેમની 75 જેટલી રેકર્ડસ રિલીઝ થઈ હતી. ચાળીસ જેટલાં રેડિયોસ્ટેશન પરથી તેમનાં ગીતો પ્રસારિત થયાં છે. જલંધરમાં દર વર્ષે યોજાતા હરિવલ્લભ મેળામાં ગાનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેમણે સંગીત ઉપરાંત નાટકમાં પણ અભિનય કર્યો હતો. તેમણે ‘સૌભદ્ર’, ‘સાધ્વી મીરાંબાઈ’, ‘સંશય કલ્લોલ’, ‘યુગાંતર’, ‘વિદ્યાહરણ’, ‘સ્ત્રી-પુરુષ’ વગેરે નાટકોમાં તેમજ ‘સુવર્ણમંદિર’, ‘પ્રતિભા’, ‘સંત જનાબાઈ’ વગેરે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે પણ કામ કર્યું હતું. 15 ઑગસ્ટ, 1947ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી વંદે માતરમ્ ગાવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે 1949માં દક્ષિણ આફ્રિકા અને 1953માં ચીનની મુલાકાત લીધી હતી. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, વિષ્ણુદાસ ભાવે પુરસ્કાર, બાલગંધર્વ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકારે તેમને ‘ગાનહીરા’ પદવી આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

બેવડી જવાબદારી

સંખ્યાબંધ યાદગાર કાવ્યોના સર્જક એવા અમેરિકાના પ્રસિદ્ધ કવિ હેન્રી ડબલ્યુ. લૉંગફેલો(ઈ.સ. 1807થી ઈ.સ. 1882)ના જીવન પર અકાળે એક પ્રબળ આઘાત થયો. તોતિંગ વૃક્ષ એકાએક મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડે, તેવી એમના જીવનમાં આઘાતજનક ઘટના બની. મીણને ઓગાળતી એમની પત્નીનાં કપડાંને અચાનક આગ લાગી ગઈ અને એ ચીસાચીસ કરી ઊઠ્યાં. હેન્રી ડબલ્યુ. લૉંગફેલો પોતાની પ્રિય પત્નીને બચાવવા માટે દોડતા ગયા, પરંતુ એ ખૂબ દાઝી ગઈ હતી. ખૂબ દાઝી જવાને કારણે તેમની પત્ની મૃત્યુ પામી. આ ઘટનાએ આ મહાન કવિના હૃદયને વલોવી નાખ્યું. એમને સતત ચીસો પાડતી અને આગથી ઘેરાયેલી પત્નીનું દૃશ્ય નજર સમક્ષ દેખાતું હતું અને એ લગભગ પાગલ જેવી અવસ્થામાં જીવવા લાગ્યા. ભાંગી પડેલા આ કવિએ પોતાના અત્યંત દુ:ખી અને વ્યથિત એવા ત્રણ પુત્રો પર નજર કરી અને મનોમન વિચાર્યું કે હવે આ પુત્રોને માતાની ખોટ પડી છે, માટે પિતા અને માતા બંને તરીકેની ફરજ બજાવવી એ મારું પરમ કર્તવ્ય ગણાય. પત્નીના અણધાર્યા અકાળ અવસાનના શોકમાંથી ધીરે ધીરે બહાર આવીને એ પોતાના પુત્રો સાથે રમવા લાગ્યા. એમને સરસ મજાની વાર્તાઓ કહેવા લાગ્યા, એમની સાથે કવિતા ગાવા લાગ્યા, ગીત ગાઈ સુવાડવા લાગ્યા, વહાલથી ખવડાવવા લાગ્યા અને વખત મળ્યે એમને બહાર ફરવા લઈ જવા લાગ્યા. બાળકો સાથેના આ પ્રેમની વાત એમણે એમના ‘ધ ચિલ્ડ્રન્સ અવર’ કાવ્યમાં હૃદયસ્પર્શી રીતે આલેખી છે. એ પછી એમણે મહાકવિ દાંતેનાં પુસ્તકોનો અનુવાદ કર્યો. ધીરે ધીરે હેન્રી ડબલ્યુ. લૉંગફેલો કામમાં ડૂબવા લાગ્યા, તેમ તેમ એમના દર્દની વેદના હળવી થવા લાગી અને સમય જતાં એ મનની શાંતિ અને સ્વસ્થતા સંપાદિત કરી શક્યા. પોતાનાં સંતાનોને સરસ રીતે ઉછેરી શક્યા.

Categories
વાચન સમૃદ્ધિ

વિનાયક સાવરકર

જ. 28 મે, 1883 અ. 27 ફેબ્રુઆરી, 1966

સ્વાતંત્ર્યસેનાની, ક્રાંતિકારી, પ્રખર હિંદુત્વવાદી સમાજસુધારક અને સાહિત્યકાર વિનાયક સાવરકરનો જન્મ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચશિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા. 1904માં મુંબઈ યુનિવર્સિટીની પ્રથમ વર્ષ એલએલ.બી.ની તથા 1905માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની આર્થિક સહાયથી 1906માં બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ ગયા. 1909માં બાર-ઍટ-લૉની પરીક્ષા પાસ કરી, પરંતુ પદવી ગ્રહણ કરવાની સ્પષ્ટ ના પાડી. પંદર વર્ષની વયે સ્વતંત્રતાની દેવી સમક્ષ દેશની સ્વાધીનતા માટે પ્રાણોની આહુતિ આપવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. 1900માં નાશિક ખાતે યુવા સંગઠનની રચવાની પહેલ, 1903માં રાષ્ટ્રભક્તિથી અભિભૂત થઈ પ્રથમ કવિતા ‘જ્યોસ્તુતે’ની રચના કરી સાહિત્યસર્જનની શરૂઆત કરી. 1904માં ‘અભિનવ ભારત’ ક્રાંતિ-સંગઠનની સ્થાપનામાં પણ સક્રિય ભાગ લીધો. 1907માં લંડન ખાતે 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ઉજવણીમાં ભાગ લીધો. ઇટાલીના સ્વાતંત્ર્યસંગ્રામના કર્ણધાર જૉસેફ મૅઝિનીના લખેલ ચરિત્રનું પ્રકાશન કર્યું. 1910માં પૅરિસ ખાતે બૉમ્બ બનાવવાની ટૅકનિક જાણવા ગયા પણ ત્યાં ધરપકડ થઈ. ફ્રાન્સના માર્સેઇલ્સ બંદર નજીક જહાજના શૌચાલયમાંથી દરિયામાં છલાંગ મારી અને ડિસેમ્બરમાં ‘કાળાપાણી’ની જન્મટીપની કઠોર શિક્ષા ભોગવી. તેમને આંદામાનની સેલ્યુલર જેલની એકલ કોટડીમાં ગોંધી રાખી ઘાણી ચલાવવા જેવી કઠોર શારીરિક શ્રમની સજા કરી. કેદીઓ પરના જુલમોનો વિરોધ કરવા ભૂખહડતાળ અને સામૂહિક પ્રદર્શન ચાલુ રાખ્યાં. મરાઠીમાં રચેલું ‘કમલા’ મહાકાવ્યનું નિર્માણ ખીલી જેવી અણીદાર વસ્તુથી જેલની કોટડીની ભીંત પર કોતર્યું હતું. લગભગ એક વર્ષ સુધી બંગાળની અલિપુર જેલ તથા મુંબઈની રત્નાગિરિ જેલમાં પૂરવામાં આવ્યા. થોડો સમય પુણેની યરવડા જેલમાં પણ રાખવામાં આવ્યા. 1924ના જાન્યુઆરીમાં રાજકારણમાં ભાગ નહીં લેવાની તથા રત્નાગિરિ જિલ્લાની સરહદની બહાર ન જવાની શરતે છોડવામાં આવ્યા. 1970માં તેમની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. 2002માં પૉર્ટ બ્લેર ઍરપૉર્ટને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ’ જાહેર કરવામાં આવ્યું. 2003માં ભારતીય સંસદમાં તેમનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું.