Categories
વાચન સમૃદ્ધિ

કમલા સોહોની

જ. 18 જૂન 1911 અ. 28 જૂન 1998

ફિલ્ડ્સ બાયૉકેમિસ્ટ્રીના વૈજ્ઞાનિક, બ્રિટિશ યુનિવર્સિટીમાં વિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા કમલા સોહોનીનો જન્મ ઇન્દોરમાં થયો હતો. બૉમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં પછી તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન ફેલોશિપ માટે અરજી કરી, પરંતુ તત્કાલીન નિયામક અને નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. સી. વી. રામને તેમની અરજીને નકારી કાઢી. તેઓ મહિલાઓને સંશોધન કરવા માટે સક્ષમ ગણતા નહોતા. કમલાના આગ્રહ પછી રામન કેટલીક શરતો સાથે પ્રવેશ આપવા તૈયાર થયા. રામન દ્વારા અપમાનિત થવા છતાં તેઓ શરતો માટે સંમત થયાં. આમ, 1933માં સંસ્થામાં પ્રવેશ મેળવનારાં પ્રથમ મહિલા બન્યાં. તેમણે બૉમ્બે યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. તે પછી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયાં. ફ્રેડરિક જી. હોપકિન્સ લૅબોરેટરીમાં કામ કર્યું. તેઓ પલ્સ પ્રોટીન પર કામ કરનાર પ્રથમ વ્યક્તિ હતાં. તેમણે દૂધ અને કઠોળમાં પહેલાં વિવિધ પ્રોટીનની લાક્ષણિકતા પર કામ કર્યું. તેમણે બટાકાના છોડમાં એન્ઝાઇમ ‘સાયટોક્રોમ સી’ની સાર્વત્રિકતા શોધી. તેમણે પીએચ.ડી.ની થીસિસ માત્ર 14 મહિનામાં પૂર્ણ કરી અને તે પણ માત્ર 40 પાનાંની. પીએચ.ડી. પછી તેઓ 1939માં ભારત આવ્યાં. તેઓ નવી દિલ્હીની લેડી હાર્ડિન્જ મેડિકલ કૉલેજમાં બાયૉકેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે નિયુક્ત થયાં. બાદમાં ન્યુટ્રિશન રિસર્ચ લૅબોરેટરી, કુન્નુર ખાતે સહાયક નિયામક તરીકે કામ કર્યું. લગ્ન પછી તેઓ મુંબઈ આવીને રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં બાયૉકેમિસ્ટ્રી વિભાગમાં પ્રોફેસર તરીકે જોડાયાં અને તેનાં ડિરેક્ટર પણ બન્યાં. ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના કહેવાથી તેમણે ‘નીરો’ પર કામ શરૂ કર્યું. તેમણે નીરોમાં વિટામિન A, વિટામિન C અને આયર્નની માત્રા શોધી. આ માટે તેમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા(CGSI)નાં સ્થાપકસભ્ય હતાં. તેમણે ગ્રાહક સુરક્ષા પર લેખો અને પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં હતાં. 18 જૂન, 2023ના રોજ સર્ચ એન્જિન ગૂગલે તેમની 112મી જન્મજયંતી પર ડૂડલ વડે યાદ કર્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

આંગણવાડી

જાણીતા બાળકેણવણીકાર ગિજુભાઈ બધેકાની દૃષ્ટિએ ‘બાલમંદિર’નું વિકસિત અને વ્યાપક સ્વરૂપ.

ગિજુભાઈનાં સાથી અને મહારાષ્ટ્રનાં વિખ્યાત બાળકેળવણીકાર તારાબહેન મોડકે ૫૦ વર્ષ પહેલાં એનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં પણ એ વિચાર સ્વીકારાયો. જુગતરામભાઈ દવેએ આદિવાસી વિસ્તારમાં આંગણવાડીઓની સ્થાપના કરી અને તે ઉત્તમ રીતે ચલાવી. આંગણવાડીમાં બાળકના છ વર્ષ સુધીના વયગાળામાં માનસિક, ભાવાત્મક અને ક્રિયાત્મક – એમ સર્વાંગી વિકાસનો ખ્યાલ રહેલો છે. કેટલાક એને પૂર્વપ્રાથમિક શિક્ષણ રૂપે પણ ઓળખે છે. બાળકના વ્યક્તિત્વનો પાયો છ વર્ષની ઉંમર સુધીમાં નંખાઈ જાય છે એવો ખ્યાલ દુનિયાભરમાં સ્વીકાર પામ્યો છે. એટલે રમતો, ગીતો, નૃત્યો, ચિત્રો જેવી વિવિધ ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય એવી આંગણવાડીની વિભાવના છે. મોટા ભાગની આંગણવાડીઓ ગ્રામસ્તરે હોઈ બાળક્રીડાંગણનો ખ્યાલ પણ વિકસ્યો. સ્વરાજ પછી ગુજરાતમાં મનુભાઈ પંચોળીએ બાળશિક્ષણની સતત હિમાયત કરી અને બાળકેળવણીને ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ (Master Key) તરીકે ઓળખાવી. આંગણવાડીમાં (કે બાળમંદિરમાં) અક્ષરજ્ઞાન કે ગણિત શીખવવાનો હેતુ નથી, પરંતુ બાળકની ક્રિયાશક્તિ, તેનાં ભાવાત્મક પાસાંઓ અને તેનો જ્ઞાનપ્રાપ્તિનો પાયો દૃઢ બને એ ઉદ્દેશ છે.

સ્વરાજ આવ્યા પછી પણ વ્યાપક રૂપમાં આંગણવાડીનો ખ્યાલ સ્વીકારાયો ન હતો. ૧૯૭૫થી કેન્દ્ર સરકારે ‘સંકલિત બાળવિકાસ યોજના’ (Integrated Children’s Development Scheme – ICDS) દ્વારા માતા અને શિશુની જાળવણી, કાળજી અને વિકાસની દૃષ્ટિએ યોજના અમલમાં મૂકી. દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામ સુધી આવાં કેન્દ્રો સ્થપાયાં છે. તેનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થાય છે. જ્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ જાગૃત અને દૃષ્ટિવાળી હોય છે ત્યાં બાળકેળવણીનું કામ વધુ નક્કર રીતે થાય છે. માતૃકલ્યાણ, પ્રસૂતિમાં કાળજી, બાળઉછેર, બાળકનું પોષણ અને છ વર્ષ સુધીનાં બાળકો માટેની કેળવણીની આ સંકલિત યોજનામાં આજે આરોગ્ય અને પોષણની કાળજી વધુ લેવાય છે. જોકે આંગણવાડીમાં બાળશિક્ષણ અંગે પણ પૂરતી કાળજી લેવાય એ જરૂરી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંગણવાડી, પૃ. 140)

Categories
વાચન સમૃદ્ધિ

જ્યોતિ પ્રસાદ અગરવાલા

જ. 17 જૂન, 1903 અ. 17 જાન્યુઆરી, 1951

 અસમના રાષ્ટ્રભક્ત કવિ, નાટ્યકાર, ગીતકાર, લેખક અને ફિલ્મ-નિર્માતા જ્યોતિ પ્રસાદનો જન્મ દિબ્રુગઢ જિલ્લાના તામુલબારી ચાયબાગાનમાં થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે અસમિયા સંસ્કૃતિ તથા સભ્યતા તેની મૂળરૂપથી વિછિન્ન થઈ ગઈ હતી. પ્રગતિશીલ વિશ્વની સાહિત્યિક તથા સાંસ્કૃતિક ધારાથી અસમ પ્રત્યક્ષ સંપર્કમાં ન હતું. તેવા સમયે તેમણે પોતાની પ્રતિભાથી અસમની જનતાને એક નવી દૃષ્ટિ આપી અને વિશ્વમાં અસમની સંસ્કૃતિને ઉજાગર કરી. આમ જ્યોતિ પ્રસાદની બહુયામી અને વિલક્ષણ પ્રતિભાને લીધે તેમને એક હજાર સાલના ‘દસ શ્રેષ્ઠ અસમિયા’માં સ્થાન મળેલું છે. તેઓએ માત્ર 14 વર્ષની ઉંમરે ‘શોણિત કુંવરી’ નાટકની રચના કરી, જેમાં ઉષા-અનિરુદ્ધની કથા નાટ્યબદ્ધ થયેલી છે. વળી, રાજકુંવરીની લોકકથાને આધારે રચાયેલી ‘કારેનગર લગીરી’ (1930) તેમની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે. જેના દ્વારા અસમિયા નાટ્યમાં આધુનિકતાનાં મંડાણ થયાં ગણાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રમાં નવીનતા લાવવા બદલ અને વળી મૂળે મારવાડથી પરિવાર આવ્યો હોવાથી તેમને ‘રૂપકુંવર’ એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના તેમનાં અનેક ગીતોમાં મુખરિત થાય છે. તેમનાં ગીતો શૌર્યને ઉત્તેજિત કરનારાં પણ હોય છે. અસમિયા લોકગીતોના ઢાળ પ્રયોજી તેમાં લયમાધુર્ય પણ બક્ષ્યું છે. તેમનાં કાવ્યોને ‘જ્યોતિસંગીત’ નામ મળેલું છે. ‘જ્યોતિ રચનાવલી’ ગ્રંથમાં તેમનું સમગ્ર સાહિત્ય સંગૃહીત છે, તેમણે 10 નાટકો અને લગભગ એટલી જ વાર્તાઓ, એક નવલકથા, 20થી અધિક નિબંધો તથા 359 ગીતોનું સંકલન કર્યું છે. ‘નીમાતી કન્યા’ (મૂંગી કન્યા) નામની નૃત્યનાટિકા પણ લખી છે. આ ઉપરાંત ત્રણ-ચાર હિન્દી ગીતો તથા અંગ્રેજી નાટકો પણ લખ્યાં છે. અસમ સરકાર દર વર્ષે 17 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિને ‘શિલ્પી દિવસ’ તરીકે ઊજવે છે. ત્યારે પૂરા અસમમાં રજા પળાય છે. તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે 2004માં તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી છે.