જ. 6 મે, 1856 અ. 23 સપ્ટેમ્બર, 1939

મનોવિશ્લેષણ વિચારધારાના પ્રણેતા તરીકે જગતભરમાં ખ્યાતિ પામેલા મનોવિજ્ઞાની સિગમન્ડનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. ચાર વર્ષની વયે તેઓ પરિવાર સાથે વિયેના આવ્યા. ત્યાં તેમનું બાળપણ ઘરની આર્થિક તંગી તથા વિકટ સંજોગોમાં પસાર થયું. પાંચ વર્ષની વયે તેઓ શાળામાં દાખલ થયા, ભણવામાં મોખરે રહ્યા. તેઓએ રમવાની ઉંમરમાં સતત અભ્યાસ, વાચન અને પરિશ્રમમાંથી આનંદ લેવાનું વલણ વિકસાવ્યું. 17 વર્ષની વયે તેઓએ ઉજ્જ્વળ સફળતા સાથે શાળાનું શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ તેમણે તબીબી વિદ્યાનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. ઈ. સ. 1873માં તેમણે વિયેના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, તેઓનો મુખ્ય વિષય તબીબી વિદ્યા હોવા છતાં તેમની શૈક્ષણિક અભિરુચિનું ક્ષેત્ર ખૂબ વ્યાપક રહ્યું. 1876માં તેઓએ સંશોધનના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. તેમણે 1885માં મજ્જાકીય રોગો વિશેનાં તેમનાં સંશોધનો અને નિરીક્ષણોને આધારે ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ત્યારબાદ તેઓ મજ્જાવિકૃતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. તેઓએ ‘સ્ટડીઝ ઑવ્ હિસ્ટેરિયા’ પર પુસ્તક લખ્યું છે. સમગ્ર જીવન દરમિયાન ફ્રૉઇડે ઘણાં બધાં પુસ્તકો, લેખો, સંશોધન-અહેવાલો લખ્યાં છે. તેમના અચેતન મનના સિદ્ધાંતે વિચારકો અને વૈજ્ઞાનિકોમાં ખળભળાટ મચાવેલો. છેલ્લાં સો વર્ષમાં વૈચારિક ક્રાન્તિમાં વિશિષ્ટ પ્રભાવ પાડનારાઓમાં ફ્રૉઇડનું સ્થાન મોખરે રહ્યું. તેના વિચારો અને સિદ્ધાંતોનો પ્રભાવ ચિકિત્સાક્ષેત્રે અને સંશોધનક્ષેત્રે બહુ જ પ્રબળ અને વ્યાપક બન્યો. તે ઉપરાંત રોજિંદા જીવનને સમજવામાં, સાહિત્ય-કળાઓને મૂલવવામાં, ધર્મનાં રહસ્યો સમજવામાં અને સાંસ્કૃતિક ઘટનાઓ સમજવા સુધી તેનો વ્યાપ વધતો ગયો. જિંદગીનાં છેલ્લાં 16 વર્ષ તેઓ વિકટ પરિસ્થિતિમાં જીવ્યા. 1938માં નાઝી ઉગ્રવાદીઓને કારણે તેમને ઑસ્ટ્રિયા છોડવું પડ્યું અને લંડન સ્થાયી થયા. ત્યાં તેમનું અવસાન થયું.
અંજના ભગવતી


