Categories
વાચન સમૃદ્ધિ

દીમાપુર

ભારતની પૂર્વે પહાડી રાજ્ય નાગાલૅન્ડનો જિલ્લો તથા મુખ્ય શહેર. તે અગાઉના કાચાર રાજ્યનું પાટનગર હતું. તે એક મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તથા પર્યટક સ્થળ છે. તે ધનસિરિ નદીના જમણા કાંઠા પર વસેલું છે. 25° 54´ ઉ. અ. અને 93° 44´ પૂ. રે. પર રાજ્યના પાટનગર કોહિમાથી વાયવ્યમાં આશરે 45 કિમી. દૂર તે આવેલું છે. તેનો વિસ્તાર 924 ચોકિમી. છે. તે નૈઋત્યથી ઈશાન ખૂણા તરફ લંબાયેલી ‘કોહિમાની ટેકરીઓ’થી પશ્ચિમમાં અને આસામ રાજ્યની સીમા પરનાં મેદાનોમાં આવેલું છે. આમ છતાં તેની પાર્શ્વભૂમાં લીલોતરી અને કુદરતી સૌન્દર્યથી ભરપૂર એવી લાંબી ઊંચી પહાડી ટેકરીઓ અને તેમની વચ્ચે વચ્ચે નદીની ખીણો આવેલી છે. દીમાપુરની આબોહવા ઉપોષ્ણકટિબંધીય (sub-tropical) છે. અહીં એપ્રિલથી ઑક્ટોબર એમ લગભગ સાત માસ સુધી વરસાદ પડે છે. વરસાદનું પ્રમાણ આશરે 1800 મિમી. જેટલું છે. અહીં ડાંગર, મકાઈ, બાજરી, બટાટા, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી થાય છે.

તેનાં જંગલોમાં વાઘ, હાથી, સૂવર અને બીજાં અનેક પ્રકારનાં પ્રાણીઓ વસે છે. અહીં અન્ગામી અને ચાખેસાન્ગા જેવી નાગા જાતિના લોકો વસે છે. દીમાપુરને રેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને હવાઈ માર્ગોની ઉત્તમ સેવાઓ મળેલી છે, જેનાથી તે પડોશી રાજ્યો અને દેશનાં અગત્યનાં નગરોથી સંકળાયેલું છે. ગોલાઘાટ–ઇમ્ફાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ ત્યાંથી પસાર થાય છે. તેની આસપાસના પ્રદેશોમાંથી અહીંના બજારમાં ચોખા, નારંગી, બટાટા, કપાસ અને બીજી ખેતપેદાશો આવે છે, તેથી તે કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર બન્યું છે. અહીં મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના પ્રોસેસિંગ તથા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતા ઉદ્યોગો,  છૂટક ભાગો જોડીને ટી.વી. બનાવવાના એકમો, ઈંટો બનાવવાનો યાંત્રિક પ્લાન્ટ અને કુટિર-ઉદ્યોગો વિકસ્યા છે. ખાંડની વિશાળ મિલ અને તેને સંલગ્ન આલ્કોહૉલનું ઉત્પાદન કરતો ઔદ્યોગિક એકમ પણ આ નગરમાં છે. જૂના વખતના આવાસો અને મહાલયોનાં સુંદર, કળામય બેનમૂન બાંધકામો માટે તે જાણીતું છે. ત્યાં દુર્ગ, નગરની આજુબાજુ ફરતો કોટ, પથ્થરનાં દ્વાર તથા સ્તંભ વગેરેના અવશેષો છે. આ જિલ્લાની અને શહેરની વસ્તી અનુક્રમે 4.39 લાખ અને 1.82 લાખ જેટલી (2026, આશરે) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

હેમંત કુમાર

જ.  16 જૂન, 1920 અ. 26 સપ્ટેમ્બર, 1989

વારાણસી(ઉત્તરપ્રદેશ)માં જન્મેલ હેમંત કુમારનું પ્રારંભિક શિક્ષણ કૉલકાતામાં થયું. 13 વર્ષની ઉંમરે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. શાળા બાદ વધુ અભ્યાસ માટે તેમણે બંગાળ ટૅકનિકલ શિક્ષણસંસ્થામાં પ્રવેશ લીધો, પણ શારીરિક અસ્વસ્થતાના કારણે પિતાની નારાજગી હોવા છતાં શિક્ષણ છોડીને સંગીતમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં સાહિત્યક્ષેત્રે પ્રયોગાત્મક રીતે બંગાળી સામયિક ‘દેશ’માં એક ટૂંકી વાર્તા પ્રકાશિત કરી, પણ સંગીતરસિક જીવ છેવટે સંગીતને જ સમર્પિત થયો. 1940માં તેમણે બંગાળી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 1942માં હિન્દી સિનેમામાં ‘મિનાક્ષી’ ફિલ્મથી પ્રવેશ કર્યો. 1947માં સંગીતદિગ્દર્શક તરીકે તેમણે બંગાળી ફિલ્મ ‘અભિયાત્રી’માં કામ કર્યું. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA) સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા, જ્યાં તેમની મુલાકાત સાથી સભ્ય અને સંગીતકાર સલીલ ચૌધરી સાથે થઈ. આ જોડીએ 1947માં હૃદયસ્પર્શી ગીતરચના ‘ગણ્યેર બધુ’ (ગ્રામીણ વહુ) રજૂ કરી, જે ખૂબ સફળ રહી. ફિલ્મ ‘આનંદ મઠ’નાં ગીતોને સંગીતબદ્ધ કરવા તેઓ મુંબઈ સ્થળાંતરિત થયા. આ ફિલ્મનું  ઐતિહાસિક ગીત ‘વંદે માતરમ્’ ગાયું. તેમણે ‘જાલ’, ‘નાગીન’, ‘હાઉસ નંબર 44’, ‘એક હી રાસ્તા’, ‘દુનિયા ઝૂકતી હૈ’, ‘બીસ સાલ બાદ’ વગેરે ફિલ્મોમાં સુમધુર સંગીત આપ્યું. 1950ના દાયકામાં તેઓ બિનફિલ્મી બંગાળી ગીતો, રવીન્દ્ર સંગીત, બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીત વગેરે થકી કારકિર્દીના શિખર પર રહ્યા. 1959માં હેમંત બેલા પ્રોડક્શન હેઠળ તેમણે ફિલ્મનિર્માણની શરૂઆત કરી. મૃણાલ સેનદિગ્દર્શિત હેમંતદાની પ્રથમ ફિલ્મ ‘નીલ આકાશેર નીચે’ને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. બંગાળી અને હિન્દી ઉપરાંત તેમણે ગુજરાતી, મરાઠી, પંજાબી વગેરે ભાષાઓમાં પણ ગાયું અને સંગીતસર્જન કર્યું. તેમણે વેસ્ટ ઇન્ડીઝ સહિત અન્ય ઘણા દેશોમાં સંગીતના કાર્યક્રમો આપ્યા. બંગાળ પાછા ફર્યા બાદ તેમણે 1963માં ‘પલટક’ અને અન્ય બંગાળી ફિલ્મોમાં લોકસંગીત અને સુગમસંગીતનું સંયોજન કરી સંગીત આપવાનું ચાલુ રાખ્યું. 1961માં રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દી નિમિત્તે ગ્રામોફોન કંપનીએ હેમંત કુમાર દ્વારા ગવાયેલ રવીન્દ્ર સંગીત બહાર પાડ્યું હતું. ‘ઈશ્વરનો અવાજ‘ તરીકે નામના પામેલા આ ગીતકાર, સંગીતકાર અને ફિલ્મનિર્માતાને બંગાળ સરકાર તરફથી અનેક વાર શ્રેષ્ઠ ગાયકનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમને 1956માં ફિલ્મફેર ઍવૉર્ડ અને બે વાર રાષ્ટ્રીય ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2016માં ભારત સરકારે તેમના નામની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

શનિવારની સાંજનું ચિંતન

અમેરિકાના એક સમયના આર્થિક બાબતોના નિષ્ણાત એચ. પી. હોવેલનું જીવન એટલે અવિરત પ્રગતિનો ઊંચો ગ્રાફ. સ્કૂલ કે કૉલેજમાં અભ્યાસ કરવાની તકથી વંચિત રહેલા એચ. પી. હોવેલે કરિયાણાની સામાન્ય દુકાનમાં કારકુની કરીને આજીવિકા મેળવવાનો પ્રારંભ કર્યો. નિષ્ઠા, ચીવટ અને પ્રામાણિકતાથી સતત આગળ વધતા રહ્યા. એક સામાન્ય કારકુનમાંથી તેઓ અમેરિકન સ્ટીલ કંપની જેવી વિખ્યાત કંપનીના ક્રૅડિટ મૅનેજર બની ગયા. અહીં પણ એમની પ્રગતિનું પૂર્ણવિરામ આવ્યું નહીં. એથીય આગળ વધીને તેઓ અમેરિકાની કમર્શિયલ નૅશનલ બૅંક ઍન્ડ ટ્રસ્ટ કંપનીના ચૅરમૅન અને બીજી ઘણી કંપનીઓના ડાયરેક્ટર બન્યા અને અમેરિકાના અર્થકારણમાં પોતાની કાબેલિયતથી આગવું સ્થાન ઊભું કર્યું. સૌને આશ્ચર્ય થતું કે એચ. પી. હોવેલે આવી અવિરત પ્રગતિ કરી કઈ રીતે ? એમની પ્રગતિનું રહસ્ય એ હતું કે તેઓ એક નાની એપોઇન્ટમેન્ટ ડાયરી રાખતા હતા અને એમાં દિવસ દરમિયાન કરવાનાં કાર્યોની અગ્રતાક્રમે નોંધ કરતા હતા. આમ રોજેરોજ એ પોતાનાં કાર્યોની અને પરિણામોની નોંધ કરતા જાય અને શનિવાર સાંજે તેઓ નિરાંતે બેસીને ગયા સપ્તાહે કરેલાં કાર્યોનું ચિંતન કરતા હતા. શનિવાર સાંજે એ કુટુંબ કે વેપારનું કોઈ કામ કરતા નહીં, બલ્કે ડાયરી ખોલીને ગયા અઠવાડિયે કરેલી પ્રવૃત્તિ વિશે ઊંડો વિચાર કરતા. પોતે કરેલાં કાર્યો અને લીધેલી મુલાકાતોને યાદ કરતા અને પછી આમાં ક્યાં પોતે કુશળતા દાખવી અને ક્યાં ભૂલ કરી બેઠા, એનું ચિંતન કરતા. ક્યારેક તો એમને ખ્યાલ આવતો કે તેઓ સાવ મૂર્ખાઈભરી ભૂલ કરી બેઠા છે. આથી હવે પછી આવી મૂર્ખાઈભરી ભૂલો ન થાય તેની તકેદારી રાખવાનું નક્કી કરતા અને આમ આત્મચિંતન અને સ્વ-સુધારણા દ્વારા એ એમના જીવનને અને કારકિર્દીને પ્રગતિને પંથે મૂકતા રહ્યા. 1974ની 31મી જુલાઈએ એચ. પી. હોવેલનું અકાળ મૃત્યુ થયું, ત્યારે અમેરિકાના વૉલ સ્ટ્રીટમાં સોપો પડી ગયો હતો, કારણ કે સૌના દિલમાં એ દુ:ખ હતું કે એમણે દેશનો કુશળ અર્થશાસ્ત્રી ગુમાવ્યો છે.