Categories
વાચન સમૃદ્ધિ

આબુ પર્વત

રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ. આબુ પર્વત ૨૪° ૩૬´ ઉ. અક્ષાંશ અને ૭૨° ૪૫´ પૂ. રેખાંશ પર આવેલ છે. તે અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ છે. તેની લંબાઈ આશરે ૩ કિમી. અને પહોળાઈ ૧૦ કિમી. જેટલી છે. આબુ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ‘ગુરુશિખર’ સમુદ્રની સપાટીથી ૧૭૨૨ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતનાં મુખ્ય શિખરોમાં પાર્ક ટેકરી, ભિગાલિયા ટેકરી, અધ્ધરદેવી ટેકરી, અચલગઢ અને સનસેટ પૉઇન્ટ મુખ્ય છે. માઉન્ટ આબુ હવા ખાવાનું પ્રખ્યાત સ્થળ ગણાય છે. દિલ્હી-અમદાવાદ રેલમાર્ગ ઉપર આબુ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે આબુ પર્વત ઉપર પહોંચી શકાય છે. ઈ. સ. ૧૯૫૬ સુધી આબુ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો; પરંતુ ત્યારબાદ તેને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે.

પુરાણકથા પ્રમાણે પ્રાચીન કાળમાં અહીં ખીણ-વિસ્તાર પણ હતો. બાજુમાં વસિષ્ઠ ઋષિનો આશ્રમ હતો. ઋષિની ગાય કોઈ કોઈ વાર ખીણમાં પડી જતી. આથી ઋષિએ તેમના શિષ્ય અર્બુદને બોલાવી ખીણ પુરાવી દીધી. અર્બુદ પોતે ખીણ ઉપર વસી ગયો. આ ઉપરથી આ પર્વત અર્બુદાચલ કહેવાયો. સમયાંતરે તેનું નામ ‘આબુ’ થયું. અધ્ધરદેવી કે અર્બુદાદેવીનું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે. પર્વત ઉપર ઘણાં પૌરાણિક-ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળો છે. હિન્દુઓ અને જૈનોનું આ પવિત્ર તીર્થક્ષેત્ર છે. આરસની સુંદર કોતરણીવાળાં દેલવાડાનાં દેરાં અનુપમ છે. વારંવાર જોવાનું મન થાય એવું તેનું શિલ્પ અને સ્થાપત્ય તેની એક આગવી અસ્મિતા દાખવે છે. ગુજરાતના તે સમયના જૈન મંત્રીઓ વસ્તુપાળ તથા તેજપાળે તે બંધાવેલાં. આ ઉપરાંત નખી તળાવ, ટૉડ રૉક, ગૌમુખ, રઘુનાથજીનું મંદિર વગેરે પણ જોવાલાયક સ્થળો છે. ગિરિમથક હોવાને કારણે ઉનાળામાં અહીં પ્રવાસીઓની સખત ભીડ રહે છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે. પ્રવાસીઓ માટે અહીં આવાસની સુંદર સુવિધા છે. અહીં કેટલીક મિશનરી શાળાઓ પણ આવેલી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારીનો આશ્રમ પણ અહીં છે. આ ઉપરાંત ગુરુશિખરની નજીકની ટેકરી પર સંદેશાવ્યવહારની સુવિધા માટે ટાવર ઊભું કરાયું છે. આ રીતે જોતાં તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આબુ પર્વત, પૃ. 112)

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણદેવ મુલગુંડ

જ. 27 મે, 1913 અ. 11 મે, 2004

પ્રખ્યાત મરાઠી નર્તક, કૉરિયૉગ્રાફર અને કૉસ્ચ્યુમ ડિઝાઇનર કૃષ્ણદેવ મુલગુંડનો જન્મ નાશિકમાં થયો હતો, જ્યાં તેમનું બાળપણ વીત્યું. 21 વર્ષની ઉંમરે, તેઓ ફાઇન આર્ટસનો અભ્યાસ કરવા માટે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાયા. તેમણે ક્યારેય ઔપચારિક રીતે નૃત્યનો અભ્યાસ કર્યો ન હતો, પરંતુ આ સમય દરમિયાન તેઓ મુંબઈના ઓપન થિયેટર્સમાં અવારનવાર જવા માંડ્યા. ભારતીય શાસ્ત્રીય નર્તક ઉદય શંકરને નૃત્ય કરતા જોવાનો લ્હાવો તેમના જીવનની એક નિર્ણાયક ઘડી હતી. ઉદય શંકરનું નૃત્ય જોવા માટે ટિકિટ લેવાના પૈસા ન હોવાને કારણે તેમણે પોતાના રંગો અને બ્રશ વેચી ટિકિટ લીધી. નૃત્ય જોઈને તેઓ એટલા  અભિભૂત થઈ ગયા કે દરવાનને થોડા આનાની લાંચ આપી, ઉદય શંકરને મળ્યા. તેમને પોતાની કથની વર્ણવી અને ઉદય શંકરે મુલગુંડ તેમના બધા જ શો વિના મૂલ્યે જોઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી. સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી સ્નાતક થયા પછી, તેઓ પુણે આવ્યા. અહીં તેઓ રેણુકા સ્વરૂપ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. ત્યાં તેમણે લોકનૃત્ય શીખવવાનું શરૂ કર્યું. પુણેમાં બાળકોના રંગભૂમિ અને બાળનાટ્યનો વિચાર વિકસાવ્યો. તે સમયે રોહિણી હટ્ટંગડી અને સ્મિતા પાટિલ જેવાં કુશળ મરાઠી કલાકારો પણ શરૂઆતના દિવસોમાં તાલીમ માટે તેમની પાસે આવતાં હતાં. તેમણે મુલગુંડના બાળનાટક ‘મંત્રેલું પાણી’માં અભિનય પણ કર્યો હતો. નાટકો લખવાની સાથે, તેઓ ફિલ્મો માટે કૉરિયૉગ્રાફી અને કૉસ્ચ્યુમ ડિઝાઇન પણ કરતા હતા. ‘ઘાસીરામ કોટવાલ’માં પણ તેમનું મહત્ત્વનું યોગદાન હતું. મુલગુંડે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત નાટક બાબાસાહેબ પુરંદરેના ‘જાણતા રાજા’નું પણ કૉરિયૉગ્રાફ કર્યું હતું. તેમણે સમર્થ રામદાસના કાર્ય પર આધારિત ‘આનંદ વન ભુવાની’માં પણ કામ કર્યું હતું. કલા અને નૃત્યક્ષેત્રે મુલગુંડના યોગદાનને બિરદાવતાં તેમને કલાછાયા ઍવૉર્ડ, કલાગૌરવ ઍવૉર્ડ અને અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દામોદર

બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી ગંગાની ઉપનદી. તેની કુલ લંબાઈ 625 કિમી. તથા જલવહનક્ષેત્ર 20,700 ચોકિમી. છે. તેનું એક ઉદ્ગમસ્થાન બિહારમાં છોટાનાગપુરના મેદાની વિસ્તારમાં આવેલા રાંચીના ઉચ્ચપ્રદેશ પર પાલામાઉ જિલ્લાના તોરી પરગણાના કુરૂ ગામની ઈશાને 16 કિમી. અંતરે છે. સમુદ્રસપાટીથી તેનું આ ઉદ્ગમસ્થાન આશરે 610 મી. ઊંચાઈ પર આવેલું છે. તેનું બીજું ઉદ્ગમસ્થાન તે જ રાજ્યના હજારીબાગ જિલ્લાના બાલુમથ ગામની દક્ષિણે 3 કિમી. પર આવેલું છે. આ બંને ઉદ્ગમસ્થાનથી 20 કિમી.ને અંતરે આ બંને પ્રવાહોનો સંગમ થાય છે. તેના પ્રવાહના શરૂઆતના 42 કિમી. આ નદી ડુંગરાળ પ્રદેશમાંથી વહે છે, ત્યારપછીના 75 કિમી. પૂર્વ તરફના મેદાની વિસ્તારમાંથી વહે છે, ત્યારપછીના 23 કિમી. તે ઈશાન તરફ વહે છે અને છેલ્લે તે ફરી પૂર્વ દિશા તરફ પ્રયાણ કરે છે. તેના પ્રવાહ દરમિયાન તે બિહાર અને પશ્ચિમ બંગાળના કોલસાક્ષેત્રને આવરી લે છે. ગોમિયા તથા કોનાર નદીઓનો સંયુક્ત પ્રવાહ એને ગોમિયા તથા બેર્મો વચ્ચે મળે છે.

પાનચેટ બંધ

ઉત્તર તરફથી આવતી બારાકાર નામની મોટી અને મહત્ત્વની ઉપનદી દામોદર નદીને રાણીગંજ કોલસાક્ષેત્રના પશ્ચિમ ભાગમાં મળે છે. ત્યાંથી તે અગ્નિદિશા તરફ વળી પશ્ચિમ બંગાળમાં દાખલ થાય છે તથા આ રાજ્યના બે જિલ્લાઓ બરદ્વાન અને હુગલીમાંથી પસાર થઈ કૉલકાતાની નૈઋત્ય દિશામાં આશરે 56 કિમી. અંતરે ફાલ્ટા મુકામે હુગલી નદીને મળે છે. પશ્ચિમ બંગાળમાં આ નદી તેના વિનાશકારી પૂર માટે જાણીતી બની છે. તેમાં અવારનવાર આવતા પૂરને કારણે બરદ્વાન અને હુગલીનાં સપાટ મેદાનોનો પ્રદેશ વારંવાર તારાજીનો ભોગ બન્યો છે. નિગમની સ્થાપનાના મૂળ ખરડામાં નદી પર કુલ સાત બંધ બાંધવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી માત્ર ચાર બંધ તિલૈયા, મૈથૉન, પાનચેટ અને કોનાર પૂરા થયા છે. આ ચારે બંધ બિહાર રાજ્યમાં આવેલા છે. પૂરનિયંત્રણ માટે ખાસ બાંધવામાં આવેલો પાનચેટ બંધ અને તેના પરનું જળવિદ્યુતકેન્દ્ર 1959માં પૂરું કરવામાં આવ્યું હતું. તિલૈયા, મૈથૉન અને પાનચેટ પર જળવિદ્યુતકેન્દ્રો તથા બોકારો, દુર્ગાપુર અને ચંદ્રપુરા ખાતે અણુશક્તિ-વિદ્યુતકેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દામોદર, પૃ. 305 અથવા જુઓ https://gujarativishwakosh.org/દામોદર/)