Categories
વાચન સમૃદ્ધિ

ડાહ્યાભાઈ નાયક

જ. 26 મે, 1901 અ. 29 મે, 1994

સ્વાતંત્ર્યસેનાની અને પંચમહાલના આદિવાસીઓના નિઃસ્પૃહી સેવક ડાહ્યાભાઈ નાયકનો જન્મ સૂરત જિલ્લાના ભાંડુતમાં મધ્ય પરિવારમાં થયો હતો. ડુમ્મસ અને ધરમપુરમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો. 1920માં અસહકારની ચળવળ સમયે કૉલેજ છોડી, ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1922માં ઝાલોદ તાલુકાના જંગલમાં આવેલ મીરાંખેડીમાં ભીલ બાળકોના આશ્રમમાં સંચાલક તરીકે કાર્ય કર્યું. 1923માં મીરાંખેડીમાં સહકારી ક્રૅડિટ સોસાયટી સ્થાપી. 1934 પછી ભીલ સેવા મંડળના મંત્રી તરીકે દાહોદ ગયા. પંચમહાલ જિલ્લા ગ્રામવિકાસ મંડળ અને જિલ્લા લોકલ બોર્ડનું સંચાલન કર્યું. 1939માં દાહોદમાં ભીલ કન્યા આશ્રમ તથા ઝાલોદમાં શબરી કન્યા આશ્રમ શરૂ કર્યા. આ ઉપરાંત સર્વોદય યોજના હેઠળ સેંકડો કૂવા ખોદાવ્યા, સુધારેલું બિયારણ, મરઘા ઉછેર કેન્દ્ર, પશુસુધારણા, ખાદીવણાટ વગેરે પ્રવૃત્તિઓ, 25 શાળાઓ અને પાંચ બાલવાડીઓ શરૂ કરાવી. દુષ્કાળનાં વર્ષોમાં રાહતકાર્યો શરૂ કરાવ્યાં. પંચમહાલ જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષ તથા મુંબઈ રાજ્યના પછાતવર્ગ બોર્ડ, વિભાગીય વિકાસ કાઉન્સિલ વગેરેની મહત્ત્વની સમિતિઓના સભ્ય તરીકે ઉમદા સેવા કરી. દેશી રાજ્યોનાં વિલીનીકરણ બાદ આદિવાસીઓ તથા દલિતોના વિકાસ માટે યોજના બનાવી જેમાં 18 આશ્રમશાળાઓ, 22 આશ્રમો, 22 બાળવાડીઓ, 11 માધ્યમિક શાળાઓ, મહિલા અધ્યયન મંદિર, મહિલા તાલીમ કેન્દ્રો, દાઇ કેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે. 1955માં પંચમહાલ જિલ્લા સહકારી બૅન્કની સ્થાપના થઈ તેમાં અધ્યક્ષ રહ્યા. 1964માં જિલ્લા વિકાસ સંઘની રચના કરી. ખાદીવણાટ અને સૂતર-ઉત્પાદનની સંસ્થા શરૂ કરી. આ દરમિયાન દેશની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવા બદલ ત્રણ વાર જેલવાસ પણ ભોગવ્યો. 1977થી 1986 સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે યશસ્વી સેવા બજાવી. ભારત સરકારે 1960માં તેમને પદ્મશ્રીનો ઍવૉર્ડ એનાયત કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

મહેનતનો જાદુ

ગરીબીમાં જન્મનારને માટે બાલ્યાવસ્થાથી જ જીવન પડકારરૂપ હોય છે. અમેરિકાના અલ સ્મિથને ગરીબી વારસામાં મળી હતી અને એને એવી આર્થિક ભીંસમાં જીવવું પડ્યું કે એ માધ્યમિક શાળાનો અભ્યાસ પણ કરી શક્યા નહીં. અલ સ્મિથ મક્કમ રીતે માનતા હતા કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તોપણ એમાંથી માર્ગ નીકળી શકે છે. પરિણામે મુશ્કેલીઓ મૂંગે મોંએ સહન કરવાને બદલે એમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા અને જીવનમાં પ્રગતિ સાધતા હતા. આ અલ સ્મિથે લોકસેવાનું કામ શરૂ કર્યું અને ધીરે ધીરે ડેમૉક્રૅટિક પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા માંડ્યા. એમણે ન્યૂયૉર્ક રાજ્યના સરકારી તંત્ર વિશે ઊંડો અભ્યાસ કર્યો. આને માટે એ સોળ સોળ કલાક કામ કરતા હતા. સમય જતાં અલ સ્મિથ ન્યૂયૉર્ક રાજ્યની સરકાર વિશે સૌથી વધુ માહિતી અને સૂઝ ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા. એમની આ કુશળતાને કારણે અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે રાજ્યના લોકોએ એમને ચૂંટી કાઢ્યા અને પછી તો અત્યંત મહેનતુ અલ સ્મિથ સતત ચાર વખત ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે આરૂઢ થયા. એ અગાઉ કોઈ પણ વ્યક્તિએ ચાર ચાર વખત ગવર્નર પદ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી નહોતી. એ પછી 1928માં ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે પણ એમની પસંદગી થઈ. અલ સ્મિથની કાર્યકુશળતાને કારણે અમેરિકાની હાર્વર્ડ અને કોલંબિયા જેવી વિખ્યાત છ યુનિવર્સિટીઓએ એમને માનદ ડિગ્રી એનાયત કરી. આર્થિક સંજોગોને કારણે માધ્યમિક શાળાનું બારણું પણ ન જોનાર વ્યક્તિ સોળ સોળ કલાકની મહેનતને પરિણામે પ્રજાનો લાડકવાયો નેતા અને વિખ્યાત યુનિવર્સિટીનો માનદ પદવીધારક બની રહ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

એમર્સન રાલ્ફ વાલ્ડો

જ. 25 મે, 1803 અ. 27 એપ્રિલ, 1882

અમેરિકન નિબંધકાર, ચિંતક અને કવિ એમર્સન રાલ્ફ વાલ્ડોનો જન્મ અમેરિકાના બોસ્ટનમાં થયો હતો. પિતા ફર્સ્ટ ચર્ચ ઑવ્ બોસ્ટનના યુનિટેરિયન પાદરી હતા. તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી તેમની ફોઈએ તેમની સંભાળ રાખી હતી. તેમણે બૉસ્ટનની પબ્લિક લૅટિન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 18 વર્ષની ઉંમરે તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઉપાધિ મેળવી લીધી હતી. બૉસ્ટનની એક શાળામાં ત્રણ વર્ષ સુધી તેઓ શિક્ષક તરીકે રહ્યા હતા. 1825માં 22 વર્ષની વયે હાર્વર્ડની ડિવિનિટી સ્કૂલમાં દાખલ થયેલા. 1829માં પોતે પાદરી બન્યા, પરંતુ મનથી તેઓ જુનવાણી પ્રથાઓનો સ્વીકાર કરી શક્યા નહિ. તેમનાં પત્નીનું અવસાન થતાં 1832માં તેઓ પાદરીપદેથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. 1833માં તેઓ કૉન્કોર્ડમાં વસ્યા. અહીં તેમણે ‘ધ ફિલૉસૉફી ઑવ્ હિસ્ટરી’, ‘હ્યૂમન કલ્ચર’, ‘હ્યૂમન લાઇફ’ અને ‘ધ પ્રેઝન્ટ એજ’ જેવા વિષયો ઉપર રસપ્રદ વ્યાખ્યાનો આપ્યાં. ‘નેચર’ (1836) તેમનું પ્રથમ પ્રકાશન હતું. ‘રોડોરા’, ‘ઝેનોફેનીઝ’, ‘ઇચ ઍન્ડ ઑલ’, ‘ધ સ્નો સ્ટોર્મ’ વગેરે ઊર્મિકાવ્યો કૉન્કોર્ડના વસવાટ દરમિયાન રચાયાં. ‘ધી અમેરિકન સ્કૉલર’ હાર્વર્ડના બૌદ્ધિકોને ઉદ્દેશીને રજૂ થયેલાં વ્યાખ્યાનો છે. ‘એડ્રેસ એટ ડિવિનિટી કૉલેજ’માં ધાર્મિક સંસ્થાઓ અને જિસસના દેવત્વને આડખીલીરૂપ ગણાવ્યાં છે. અગોચર જ્ઞાનને પામવા મથતી તેમની ‘યૂન્સેન્ડેન્ટલ ક્લબ’ યુવકો માટે નવી પ્રેરણાનો સ્રોત્ર બની હતી. ‘યુરિયલ’ બોધકથા નવા સત્યને પામવાની મથામણ દર્શાવે છે. તેમણે ‘ધ ડાયલ’ નામનું સામયિક શરૂ કરેલું. ત્યારપછી તેમણે પોતાના નિબંધો બે ભાગમાં પ્રકાશિત કર્યા. જેમની ખ્યાતિ દેશદેશાવરમાં પ્રસરી હતી. ‘થ્રેનોડી’, ‘પોએમ્સ’ અને ‘મે-ડે’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘રિપ્રેઝન્ટેટિવ મૅન’, ‘ઇંગ્લિશ ટ્રેટ્સ’, ‘ધ કન્ડક્ટર ઑવ્ લાઇફ’, ‘થોરો’, ‘ધ બૉસ્ટન હિમ’, ‘વોલન્ટરિઝ’ તેમની અન્ય કૃતિઓ છે. ‘સોસાયટી ઍન્ડ સૉલિટ્યૂડ’ (1870) તેમની છેલ્લી ગદ્યકૃતિ હતી. તેમના પત્રવ્યવહારમાં 5000 પત્રોનો સમાવેશ થાય છે.