Categories
વાચન સમૃદ્ધિ

અમીર ખાં

જ. 12 એપ્રિલ, 1912 અ. 13 ફેબ્રુઆરી, 1974

ઇન્દોર ઘરાનાનો આરંભ કરનાર. ઉસ્તાદ અમીર ખાંના  પિતા શાહમીર ખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમના દાદા બહાદુર શાહ ઝફરના દરબારમાં ગાતા. શરૂઆતમાં પિતાએ તેમને સારંગી શીખવા પ્રેર્યા, પણ અમીર ખાંએ કંઠ્ય સંગીતમાં જ રુચિ દાખવી. સ્વયં શિક્ષિત સંગીતકાર તરીકે તેમણે પોતાની આગવી ગાયકીને વિકસાવી. અમીર ખાંએ કંઠને એટલો કેળવ્યો હતો કે તે તેમનો અવાજ ત્રણેય સપ્તક સુધી આસાનીથી પહોંચી શકતો. તેમણે માત્ર ૧૨ વર્ષની ઉંમરે સંગીતની મહેફિલમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની ગાયકીમાં વિલંબિત લયગાનમાં અબ્દુલ વહીદ ખાન, તાન ગાયનમાં રજબ અલી ખાન અને મેરુખંડ અલંકારમાં અમન અલી ખાનનો ખૂબ પ્રભાવ રહ્યો. તેમનો પ્રથમ કાર્યક્રમ ઑલ ઇન્ડિયા રેડિયોના કલકત્તા કેન્દ્ર પરથી પ્રસારિત થયો હતો. વિલંબિત ઝૂમરા તાલ અને ખયાલ ગાયકી તેમને ખૂબ પસંદ હતાં. ઠૂમરી અને તરાના ગાયનમાં પ્રવીણ હોવા છતાં તેની રજૂઆત ઓછી કરતા.  તેમની ગાયકીમાં ગમકની કોમળતા, અલગ અલગ રીતે તાનોની ચોટદાર રજૂઆત, કણ સ્વરનો પ્રયોગ, બંદિશના શબ્દોની સ્પષ્ટતા દેખાઈ આવતી. ‘સૂર રંગ’ નામથી ઓળખાતા ઉસ્તાદ અમીર ખાં સાહેબની પાંચ એલ.પી. રેકૉર્ડ છે, જેમાં તેમના પ્રિય રાગો દરબારી કાનડા, કલ્યાણ, તોડી, મારવા ઉપરાંત દેશ, માલકોશ, લલિત વગેરેનો સમાવેશ થયો છે. અમીર ખાંસાહેબે પાર્શ્વગાયક તરીકે ‘ઝનક ઝનક પાયલ બાજે’ અને ‘બૈજુ બાવરા’ જેવા ચલચિત્રોમાં પોતાની સંગીતકલાનો પરિચય આપ્યો છે. તેઓનો પ્રયત્ન હંમેશાં એવો રહ્યો કે રાગની ખૂબસૂરતીને યથાવત્ રાખીને લોકપ્રિય અને આત્મિક સંગીત બને. સંગીતની પવિત્રતાને તે હંમેશાં વળગી રહ્યા. તેમના શિષ્યોમાં અમરનાથ, આચાર્ય મુકુંદ ગોસ્વામી, એ. કાનન, હૃદયનાથ મંગેશકર વગેરે ઉલ્લેખનીય છે. તેમની ગાયકીએ પન્નાલાલ ઘોષ, પ્રભા અત્રે, અજય ચક્રવર્તી, નિખિલ બેનરજી વગેરે જેવા ઘણા કલાકારોને પ્રભાવિત કર્યા અને પ્રેરણા આપી. 1967માં સંગીત નાટક અકાદમીએ રાષ્ટ્રપતિ ઍવૉર્ડથી તથા 1971માં ભારત સરકારે પદ્મભૂષણનો ખિતાબ એનાયત કરી બહુમાન કર્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

થીબ્ઝ (ગ્રીસ)

ભૌગોલિક સ્થાન : તે આશરે 380 19’ ઉ અ. અને 230 19’  પૂ. રે. છે. થીબ્ઝ પ્રાચીન ગ્રીસના મધ્ય ભાગમાં આવેલ બોએશિયા વિસ્તારનું એક મહત્ત્વનું નગર હતું. તે ઍથેન્સથી ઉત્તરમાં 48 કિમી. દૂર આવેલું હતું. તે સમુદ્ર સપાટીથી 180 મીટર ઊંચાઈ ધરાવે છે. એ બોએશિયન લીગનું અગ્રણી રાજ્ય હતું. દંતકથા પ્રમાણે ફીનિશિયાના રાજા કેડમસે એની સ્થાપના કરી હતી. ગ્રીક દંતકથાઓમાં ટ્રૉયની માફક થીબ્ઝનો પણ મહત્ત્વના શહેર તરીકે ઉલ્લેખ આવે છે. ઈ. સ. પૂ. 500થી એનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એ વર્ષથી થીબ્ઝ અને બીજા એક ગ્રીક રાજ્ય પ્લેટિયા વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ હતી. ઈ. સ. પૂ. 480માં પર્શિયનોએ ગ્રીસ પર ચડાઈ કરી ત્યારે થીબ્ઝે તેમને મદદ કરી હતી. થીબ્ઝ અને ઍથેન્સ વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી, જેમાં ઈ. સ. પૂ. 431માં થયેલું પેલોપોનેશિયન યુદ્ધ વધારે મહત્ત્વનું હતું. એ યુદ્ધ પછી બોએશિયન લીગનું પતન થયું અને સ્પાર્ટાના જુલમી વર્ચસની શરૂઆત થઈ.

ગ્રીસ(યુરોપ)માં થીબ્ઝનું ભૌગોલિક સ્થાન

ઈ. સ. પૂ. 379થી ઈ. સ. પૂ. 374 વચ્ચે પેલોપીડાસના પ્રયત્નોને કારણે થીબ્ઝ ફરીથી શક્તિશાળી બન્યું. ઈ. સ. પૂ. 371માં ઈપેમિનોન્ડાસના નેતૃત્વ નીચે થીબ્ઝે સ્પાર્ટનોને હરાવી ગ્રીસ ઉપર સત્તા સ્થાપી; પરંતુ ઈ. સ. પૂ. 362માં ઈપેમિનોન્ડાસના નિધન પછી ગ્રીસ ઉપરની થીબ્ઝની સત્તાનો અંત આવ્યો. એ પછી ગ્રીસનાં રાજ્યો મેસિડોનિયાના રાજા ફિલિપ અને એના પુત્ર મહાન સિકંદરની સત્તા નીચે આવ્યાં. સિકંદરનો સમકાલીન કવિ પિન્ડાર થીબ્ઝનો વતની હતો. એનાં ઊર્મિકાવ્યો પ્રસિદ્ધ છે. થીબ્ઝે સિકંદર સામે બળવો કરતાં એણે એનો નાશ કર્યો હતો. એ પછી ઈ. સ. પૂ. 316માં થીબ્ઝ ફરીથી વસ્યું અને રોમન સામ્રાજ્યના પાછળના સમયમાં એનું મહત્ત્વ વધ્યું. ઈસુની અગિયારમી અને બારમી સદીમાં એ રેશમના વેપારનું અગત્યનું મથક બન્યું. તુર્ક લોકોએ આ શહેરનો કબજો મેળવ્યા પછી એના પતનની શરૂઆત થઈ. પ્રાચીન થીબ્ઝની જગ્યાએ અત્યારે થીવઈ નામનું નગર વસેલું છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

કસ્તૂરબા

જ. 11 એપ્રિલ, 1869 અ. 22 ફેબ્રુઆરી, 1944

ગાંધીજીનાં પત્ની, વિનમ્ર છતાં મક્કમ સ્વાતંત્ર્યસેનાની કસ્તૂરબાનો જન્મ પોરબંદરમાં થયો હતો. પિતા ગોકુળદાસ કાપડિયા અને માતા વ્રજકુંવરબા. સાત વર્ષની ઉંમરે તેમની સગાઈ મોહનદાસ ગાંધી સાથે થઈ અને તેર વર્ષે લગ્ન થયાં. તેમણે આજીવન ગાંધીજીને સાથ અને હૂંફ આપ્યાં. તેઓ ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયાં. વર્ષો સુધી ત્યાં રહ્યાં. એ દરમિયાન તેઓ આશ્રમવાસીનું જીવન જીવ્યાં. તેમણે 1913માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સાથે થતા દુર્વ્યવહાર સામે વિરોધ કર્યો. આથી એમની ધરપકડ કરવામાં આવી અને સખત મજૂરીની સજા કરવામાં આવી હતી. જેલવાસ દરમિયાન અશિક્ષિત મહિલાઓને અક્ષરજ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. 1914માં ગાંધીજી સાથે તેઓ ભારત આવ્યાં. ગાંધીજીની સાથે આઝાદીની લડતમાં જોડાયાં. તેમણે સત્યાગ્રહીઓનું જીવન અપનાવ્યું. તેઓ બધો સમય આશ્રમમાં સેવા કરતાં હતાં. 1917માં બિહારના ચંપારણમાં મહિલા ઉત્કર્ષ માટે કાર્ય કર્યું. બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં મહિલાઓને ઘરમાંથી નીકળી આઝાદીની લડતમાં જોડાવા માટે પ્રેરણા આપી. 1939માં રાજકોટમાં અંગ્રેજો સામે અહિંસક આંદોલનમાં ભાગ લીધો. તેમણે સરકારી માલિકીની દારૂની દુકાનો પર જઈ ધરણા કર્યાં હતાં અને મહિલાઓનું નેતૃત્વ કર્યું હતું. 1930થી 1932 સુધીમાં છ એક વખત જેલવાસ ભોગવ્યો હતો. તેમણે પારિવારિક અને જાહેરજીવનને ન્યાય આપ્યો હતો. ગાંધીજીની સફળતા પાછળ તેમનું અમૂલ્ય પ્રદાન હતું. `હિંદ છોડો’ આંદોલન વખતે 9 ઑગસ્ટ, 1942ના રોજ તેમની અને ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને પૂનાના આગાખાન મહેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. ત્યાં તેમની તબિયત કથળતાં શિવરાત્રિના દિવસે તેમનું નિધન થયું. તેમની સ્મૃતિમાં કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. ઘણાં શહેરોના રસ્તાઓ, સંસ્થાઓ વગેરેનાં નામ કસ્તૂરબાનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. નારાયણ દેસાઈએ ‘કસ્તૂરબા’ નાટક લખ્યું હતું જેનું દિગ્દર્શન અદિતિ દેસાઈએ કર્યું હતું.