Categories
વાચન સમૃદ્ધિ

સુરૈયા

જ. 15 જૂન, 1929 અ. 31 જાન્યુઆરી, 2004

હિન્દી ફિલ્મજગતનાં ખ્યાતનામ અભિનેત્રી અને ગાયિકા સુરૈયાનો જન્મ અઝીઝ જમાલ શેખ તથા મુમતાઝ બેગમ શેખને ત્યાં ચુસ્ત મુસ્લિમ પરિવારમાં લાહોર(પાકિસ્તાન)માં થયો હતો. તેમનું મૂળ નામ સુરૈયા જમાલ શેખ હતું. તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે એમનો પરિવાર અર્થોપાર્જન માટે લાહોરથી મુંબઈ આવી સ્થાયી થયો. મામા એમ. ઝહૂર તથા નાની બાદશાહ બેગમ હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલાં હોવાથી સુરૈયાને બાળપણથી જ ફિલ્મજગત પ્રત્યે આકર્ષણ હતું. શાળાકીય અભ્યાસ ન્યૂ હાઈસ્કૂલ મુંબઈમાં શરૂ કર્યો. નાની પાસેથી ઇસ્લામનું જ્ઞાન તથા પર્શિયન ભાષાનું જ્ઞાન મળ્યું. 1936માં ફિલ્મ ‘મદામ-એ-ફૅશન’માં બાળકલાકાર તરીકે અભિનય કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1941માં મામા સાથે ફિલ્મનું શૂટિંગ જોવા ગયાં અને ફિલ્મ તાજમહેલમાં ‘મુમતાઝમહલ’નું પાત્ર ભજવવા માટે આમંત્રણ મળ્યું. જે એમણે સ્વીકાર્યું. કિશોર વયમાં આકાશવાણીનાં બાળકોના કાર્યક્રમમાં એમનો અવાજ સાંભળતા સંગીતકાર નૌશાદના ધ્યાનમાં આવ્યાં. 1942માં ફિલ્મ ‘નયી દુનિયા’ માટે એમણે પ્રથમ ગીત ગાયું. ત્યારબાદ અનેક ફિલ્મોમાં અભિનય કરીને અભિનય અને ગાયન એમ બંને ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવી. ‘ઇશારા’, ‘તદબીર’, ‘ફૂલ’, ‘અનમોલ ઘડી’, ‘ઉમર ખય્યામ’, ‘પરવાના’, ‘દર્દ’, ‘શાયર’, ‘દાસ્તાન’, ‘અફસર’, ‘દિવાના’ જેવી અનેક ફિલ્મોમાં એમણે યાદગાર અભિનય કર્યો. 1954માં ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ એમના જીવનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક પુરવાર થઈ. એમના  કાર્યકાળના સર્વોચ્ચ સમય દરમિયાન ‘મલિકા-એ-હુસ્ન’ તથા ‘મલિકા-એ-અદાકારી’ જેવા ખિતાબ સુરૈયાને પ્રાપ્ત થયા. એમણે 70 ફિલ્મોમાં અભિનય કર્યો તેમજ 338 ગીતોને કંઠ આપ્યો. 1963માં ‘રુસ્તમ સોહરાબ’ ફિલ્મ સાથે ફિલ્મજગતને તિલાંજલિ આપી. અંગત જીવન એકલતાભર્યું રહ્યું. પ્રિયપાત્ર સાથે લગ્ન ન થઈ શકવાને કારણે આજીવન હતાશાભર્યો સમય પસાર કર્યો. એક સમયે પુરુષ અભિનેતાઓ કરતાં વધુ મહેનતાણું મેળવતાં સુરૈયા જીવનનાં અંતિમ વર્ષોમાં અનેક બીમારીઓ તથા એકલતામાં રહ્યાં બાદ હરકિશન હૉસ્પિટલમાં એમનું અવસાન થયું. ફિલ્મક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન માટે તેમને 1996માં સ્ક્રીન વીડિયોકોન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, 1999માં બિમલ રૉય મેમોરિયલ લાઇફટાઇમ એચીવમેન્ટ ટ્રૉફી, 2003માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ ઉપરાંત અન્ય સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 2013માં ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

આંદામાન-નિકોબાર ટાપુઓ

બંગાળના ઉપસાગરની દક્ષિણ-પૂર્વમાં આવેલા ટાપુઓનો સમૂહ.

ભારતના આ કેન્દ્રશાસિત વિસ્તારનું ભૌગોલિક સ્થાન : ૬° થી ૧૪° ઉ. અ. અને ૯૨° ૦૦´થી ૯૪° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. વિસ્તાર : ૮,૨૪૮ ચો.કિમી.. વસ્તી : ૪ લાખ ૧૫ હજાર (૨૦૨૬, આશરે). આ પ્રદેશ ૩ જિલ્લાઓમાં વહેંચાયેલો છે. તેમાં શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે ૩ અને ૫૪૮ જેટલી છે. તેના ૩,૦૦૦ જેટલા ટાપુઓમાં ૩૬૫ મુખ્ય છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વકિનારાથી ૧,૨૦૦ કિમી. એટલે કે ૬૪.૮૬ નૉટિકલ માઈલ (સમુદ્રનાં અંતર નૉટિકલ માઈલમાં ગણાય છે. ૧ નૉટિકલ માઈલ = ૧.૮૫ કિમી. થાય.) દૂર છે. પાંચ મોટા ટાપુઓનો સમૂહ બૃહત આંદામાન તથા દક્ષિણમાંના ૨૦૪ જેટલા નાના ટાપુઓનો સમૂહ લઘુ આંદામાન તરીકે ઓળખાય છે. આ ટાપુઓનો વહીવટ ભારત સરકાર હસ્તક છે. આંદામાનની રાજધાની તેમ જ મુખ્ય શહેર પૉર્ટ બ્લેર દક્ષિણ આંદામાનમાં આવેલું છે. આ ઉપરાંત અન્ય બે શહેરો પણ છે. નિકોબાર ટાપુઓ આંદામાનની દક્ષિણે ૧૨૧ કિમી. દૂર આવેલા છે. આ ટાપુઓ વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આંદામાન ટાપુઓ ઉપર ઉત્તર-દક્ષિણ સમાંતર રીતે નાની-મોટી પર્વતમાળાઓ આવેલી છે, જેમાંનું સૌથી ઊંચું શિખર માઉન્ટ સેડલ ૭૫૦ મીટર ઊંચાઈએ છે. આ ટાપુઓની કુલ જમીનના ૮૫ % ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. અહીં અભયારણ્યો તેમ જ પ્રાણીસંગ્રહાલય પણ છે.

ઓંગે જાતિના આદિવાસી લોકો નાના આંદામાનમાં વસે છે. અન્ય નિગ્રો કુળની જાતિઓ પણ અહીં વસે છે; જેમ કે, સૅન્ટિનેલીસ, જારાવા અને આંદામાનીસ. મૉંગોલૉઇડ જાતિના શૉમપેન અને નિકોબારીસ નિકોબાર ટાપુમાં વસે છે. આંદામાનના મૂળ વતનીઓ ૧૯મી સદી સુધી તો આધુનિક વિશ્વની સંસ્કૃતિથી તદ્દન અજાણ હતા અને પથ્થરયુગની સંસ્કૃતિમાં જીવતા હતા. જંગલો સાફ કરીને થતી ખેતીમાં કઠોળ, સોપારી, નાળિયેર, ડાંગર વગેરેનો પાક લેવાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇમારતી લાકડાં અને રબરનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંદામાન-નિકોબાર ટાપુઓ, પૃ. 141)

Categories
વાચન સમૃદ્ધિ

કે. આસિફ

જ. 14 જૂન, 1924 અ. 9 માર્ચ, 1971

ભારતીય સિનેમાજગતના દિગ્ગજ નિર્માતા, નિર્દેશક તથા પટકથા લેખક કે. આસિફનો જન્મ ઇટાવા, ઉત્તરપ્રદેશમાં થયો હતો.  તેમનું બાળપણ ઉત્તરપ્રદેશમાં વીત્યું. પારાવાર ગરીબી તથા શિક્ષણ અલભ્ય હોવાને કારણે માત્ર આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો. મામા નઝીર સાથે મુંબઈ ભાગી છૂટ્યા અને ફિલ્મજગતમાં કારકિર્દી શરૂ કરી. માત્ર વીસ વર્ષની વયે સૌપ્રથમ ફિલ્મ ‘ફૂલ’નું સર્જન કર્યું. જે મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. એ જમાનામાં આ પ્રયોગ જમાનાથી ઘણો આગળ હતો. 1951માં ફિલ્મ ‘હલચલ’નું નિર્માણ તથા નિર્દેશન કર્યું. ત્યારબાદ 1960માં હિન્દી ફિલ્મજગતની સીમાચિહ્ન ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ બનાવી. જેનું નિર્માણકાર્ય ચૌદ વર્ષ સુધી ચાલ્યું હતું. ફિલ્મની ભવ્યતા અને ગુણવત્તા બાબતે કે. આસિફ જરા પણ સમાધાન કરવા માંગતા ન હતા. તેમની ફિલ્મ ‘સસ્તા ખૂન મહેંગા પાની’ 1974માં એમના અવસાન બાદ પ્રસારિત થઈ. ફિલ્મ ‘લવ ઍન્ડ ગોડ’ના નિર્માણ દરમિયાન 1971માં હૃદયરોગના હુમલામાં એમનું અવસાન થયું જે 1986માં પ્રસારિત કરવામાં આવી હતી. અંગત જીવનમાં કે. આસિફ ચાર વખત લગ્નગ્રંથિથી જોડાયા હતા. પ્રથમ પત્ની સાથેના લગ્નમાં એમને છ સંતાનો હતાં. માત્ર સુડતાલીસ વર્ષની આયુમાં ગણતરીની ફિલ્મોનું સર્જન કર્યા છતાં એકમાત્ર ‘મુગલ-એ-આઝમ’ના સર્જને એમને અમર ફિલ્મસર્જકની નામના અપાવી. કે. આસિફ કહેતા હતા કે, ‘મુગલ-એ-આઝમ’ એ માત્ર ફિલ્મ નથી, મારું ખ્વાબ (સ્વપ્ન) છે. મારી જીદ છે. કલા માટેની ઘેલછા અને જોયેલું સ્વપ્ન પૂરું કરવાની કલાનિષ્ઠાએ કે. આસિફને ભાવકોના હૃદયમાં અમર સ્થાન અપાવ્યું.