Categories
વાચન સમૃદ્ધિ

આદિવાસી

જે તે પ્રદેશના મૂળ વતનીઓ. આદિવાસીઓ દેશની સંસ્કૃતિના એક ભાગરૂપ છે. તેઓ મુખ્યત્વે પહાડો અને જંગલોમાં વસતા આવ્યા છે; તેથી તેમને ગિરિજનો, વનવાસી, વનફૂલ, આદિવાસી, ‘પ્રિમિટિવ્ઝ’ વગેરે નામોથી ઓળખવામાં આવ્યા છે. ભારત સરકારે અલ્પ કે ઓછા વિકસિત સમુદાયોની જે યાદી તૈયાર કરી હતી તેમાં તેમને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે; તેથી તેઓ ‘અનુસૂચિત જનજાતિ’ના કહેવાયા. દેશમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબ સિવાય બધાં રાજ્યોમાં તેમની ઓછીવત્તી વસ્તી છે. દેશમાં આજે તેમની ૪૧૪ જેટલી જાતિઓ છે. ભારતના આદિવાસીઓને પોતાનો ધર્મ છે; જે પ્રકૃતિપૂજા, ગોત્રચિહ્ન, ગૂઢ આત્મવાદ, જાદુ, માનતા, મંત્ર-તંત્ર, ભગત-ભૂવા, ભૂત-પ્રેત, પિતૃપૂજા વગેરે પર આધારિત છે. પ્રકૃતિપૂજામાં તેઓ માને છે. ધરતી, પહાડ, ઝાડ, સૂર્ય, ચંદ્ર, વરસાદ વગેરેમાં તેઓ ગૂઢ શક્તિ હોવાનું માને છે. દુ:ખ, આફત, દુષ્કાળ, પૂર, વિનાશ, રોગચાળો, મરણ વગેરે પ્રકૃતિનાં તત્ત્વો નાખુશ થવાથી થાય છે એમ તેઓ માને છે; તેથી બલિ-ભોગ વગેરે દ્વારા તેમને ખુશ રાખવા પૂજા વગેરે કરે છે.

દેવતાની પૂજા કરતા આદિવાસીઓ   ભાંગોરિયા જાતિનું આદિવાસી નૃત્ય

મોટા ભાગના આદિવાસીઓને તેમના સમુદાયનાં સંચાલન અને નિયંત્રણ માટે તેમનાં પોતાનાં પરંપરાગત જ્ઞાતિપંચો હોય છે. આઝાદી પછી રાજકીય પક્ષો અને ચૂંટણીઓના પરિણામે રાજકીય સભાનતા અને હક્કોની સભાનતા તેઓમાં વધી છે. મિશનરીઓના સંપર્કના કારણે તેઓમાં ખ્રિસ્તીકરણ વધ્યું છે. પરિણામે ઈશુની માન્યતા, હિંદુ દેવ-દેવીઓની માન્યતાઓ, પૂજાવિધિ વગેરેમાં તેની અસર દેખાય છે. ગુજરાતના આદિવાસીઓ : ગુજરાત આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારાં રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી છે. ઉત્તરે અંબાજીથી દક્ષિણના ઉમરગામ સુધીની સળંગ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આદિવાસીઓ વસે છે. તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય વિસ્તારોમાં છૂટીછવાઈ આદિવાસી વસ્તી જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આદિવાસી, પૃ. 105)

Categories
વાચન સમૃદ્ધિ

કાઝી નઝરુલ ઇસ્લામ

જ. 24 મે, 1899 અ. 29 ઑગસ્ટ, 1976

બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ, લેખક, નાટ્યકાર, સંગીતકાર, સૈનિક અને ફિલ્મ અભિનેતા નઝરુલ ઇસ્લામનો જન્મ બંગાળ પ્રેસિડેન્સીના ચુરુલિયામાં થયો હતો. તેમણે મદરેસામાં કુરાન, હદીસ, ઇસ્લામિક ફિલસૂફી અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓ ‘લેટોર ડોલ’માં જોડાયા. અભિનય શીખ્યા. નાટકો માટે ગીતો અને કવિતાઓ લખી. તેમણે ‘ચાશા શોંગ’, ‘શેકુનીબોધ’, ‘રાજા યુધિષ્ઠિરેર શોંગ’, ‘દાતા કોર્ણો’, ‘અકબર બાદશાહ’, ‘કોબી કાલિદાસ’ વગેરે લોકનાટકો લખ્યાં. 1917માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની 49મી બંગાળ રેજિમેન્ટમાં જોડાયા. તેમને કરાંચી છાવણીમાં મૂકવામાં આવ્યા. તેમણે ત્યાં પંજાબી મૌલવી પાસેથી પર્શિયન કવિતા શીખી. 1920માં બંગાળ રેજિમેન્ટને વિખેરી નાખતાં કૉલકાતામાં સ્થાયી થયા. 1920માં તેમની પ્રથમ નવલકથા ‘બંધન-હારા’ પ્રકાશિત થઈ. તેમણે ‘ધૂમકેતુ’ નામનું દ્વિ-સાપ્તાહિક સામયિક શરૂ કર્યું હતું. પોલીસે ‘ધૂમકેતુ’ની ઑફિસ પર દરોડા પાડી તેમની ધરપકડ કરી હતી. તેમણે જેલમાં બ્રિટિશ જેલ સુપરિટેન્ડેન્ટના દુર્વ્યવહારના વિરોધમાં 40 દિવસના ઉપવાસ કર્યા હતા. તેમણે જેલવાસ દરમિયાન કવિતાઓ અને ગીતોની રચના કરી હતી. તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ હતા. તેમને ‘બિદ્રોહી કવિ’નું બિરુદ મળ્યું. તેમનાં ગીતો ‘નઝરુલ ગીતી’ તરીકે ઓળખાય છે. તેમણે 500થી વધુ હિંદુ ભક્તિગીતો લખ્યાં છે. તેમની કવિતાનો અંગ્રેજી, સ્પૅનિશ અને પોર્ટુગીઝ ભાષાઓમાં અનુવાદ થયો છે. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘ધ્રુવ ભક્ત’ હતી. તેમાં અભિનેતા, ગાયક, સંગીતનિર્દેશક તરીકે કામ કર્યું હતું. તેમનું અવસાન થયું ત્યારે ભારતની સંસદે તેમના માનમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. બાંગ્લાદેશ સરકારે 1972માં તેમને ‘રાષ્ટ્રીય કવિ’નો દરજ્જો આપ્યો હતો. તેમને 1945માં કલકત્તા યુનિવર્સિટી દ્વારા ‘જગત્તારિણી સુવર્ણચંદ્રક’ અને 1960માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. તેમને 1974માં ઢાકા યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લિટ. અને 1976માં ‘એકુશે પદક’ એનાયત કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં માર્ગો, યુનિવર્સિટીઓ, કૉલેજો, સંસ્થાઓ, પુસ્તકાલયો, ઍરપૉર્ટ, સ્ટેશન વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીમાં તેમના નામ પર એક ખુરશીનું નામ આપવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

દાદરા અને નગરહવેલી

ગુજરાત રાજ્યના અગ્નિખૂણામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 20° 05´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે.. તે મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. અઢારમી સદીના અંતમાં આ પ્રદેશ પોર્ટુગીઝ સંસ્થાનનો ભાગ બન્યો હતો. 1954ની 2જી ઑગસ્ટથી આ પ્રદેશ સ્વતંત્ર બન્યો તથા 1961માં તેનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારથી તે અલગ અસ્તિત્વ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. સેલવાસા આ પ્રદેશનું વહીવટી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર છે. તે વલસાડ–નાશિક રોડ પર આવેલું છે. તેનો વિસ્તાર 491 ચોકિમી. જેટલો છે, જેમાં આદિવાસી પ્રજાનું પ્રમાણ સવિશેષ છે. આ પ્રદેશની વસ્તી 5,80,000 (2026, આશરે) છે. તેમાંથી 78.99% લોકો અનુસૂચિત જાતિના અને આશરે 1.97% લોકો અનુસૂચિત જનજાતિના છે. ત્યાંના આદિવાસીઓ મોટે ભાગે ગૃહઉદ્યોગો અને ખેતી દ્વારા આજીવિકા મેળવે છે. વારલી, દૂબળા, ધોડિયા અને ભીલ કોમની વસ્તી અહીં વિશેષ છે જે પોતાની ભાતીગળ લોકસંસ્કૃતિ મુજબ જીવન ગુજારે છે. આ પ્રદેશમાં ભીલી, ગુજરાતી અને હિંદી ભાષાઓ બોલાય છે.

આદિવાસી સંગ્રહાલય, સેલવાસા

તેના ઉત્તર–પૂર્વ તથા દક્ષિણ–પૂર્વ વિસ્તારો ડુંગરાળ તથા મધ્ય વિસ્તાર સપાટ છે. ત્યાંની જમીન ભેજવાળી તથા ફળદ્રૂપ છે. નગરહવેલી વિસ્તારમાં સાગનાં જંગલો છે. ત્યાંની કૃષિપેદાશોમાં ડાંગર, કઠોળ તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. ઑગસ્ટ, 1961 બાદ આ પ્રદેશને કેન્દ્રશાસિત વિસ્તારોના બધા લાભો મળતાં ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ અહીં વિવિધ ઉદ્યોગો સ્થાપ્યા છે. સુંદર બાગ-બગીચા-ફુવારા અને પ્રાકૃતિક સૌંદર્યની કુદરતી ભેટને કારણે અનેક ફિલ્મોનું અહીં નિર્માણ થયું છે. રેલ-રસ્તાનો લાભ આ શહેરને મળેલો છે. વાપી અને ઉમરગામ જેવાં નજીકનાં શહેરો તેમજ સંજાણ અને નારગોલ જેવાં સાગરકિનારે આવેલાં વિહારધામોને કારણે પણ આ પ્રદેશનો વિકાસ થયો છે. સેલવાસાની ઉત્તરે દમણગંગા નદી વહે છે. સેલવાસામાં ઇન્દિરા પ્રિયદર્શિની ઉદ્યાન, તપોવન ઉદ્યાન અને આદિવાસી સંગ્રહાલય; જ્યારે દાદરામાં દમણગંગા સરોવર અને બાગબગીચા જોવાલાયક છે. કેન્દ્રસરકાર અને ગુજરાત સરકારની ઉદાર ઔદ્યોગિક નીતિને કારણે અહીં અનેક ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી