Categories
વાચન સમૃદ્ધિ

દીપડો (panther)

સસ્તન વર્ગના બિલાડી (felidae) કુળનું એક મોટું, શક્તિશાળી અને ભયંકર પ્રાણી. શાસ્ત્રીય નામ Panthera pardus. જંગલમાં વસવાટ કરનારા લોકો, જેટલા સિંહ અને વાઘથી ડરતા નથી તેના કરતાં દીપડાથી વધુ ડરે છે. કૂદવાની બાબતમાં દીપડો, વાઘને પણ ટપી જાય તેવો છે. દીપડા અને ચિત્તા વચ્ચે ઘણા લોકોમાં ગેરસમજ પ્રવર્તે છે. વાસ્તવમાં આ બંને પ્રાણીઓ જુદાં છે. ચિત્તા લુપ્ત થવાની અણીએ પહોંચ્યા છે અને તે ભારતમાં જવલ્લે જ જોવા મળે છે. જંગલમાં જોવા મળતાં, આ પ્રકારનાં મોટા ભાગનાં પ્રાણીઓ દીપડા જ છે. દીપડા બે પ્રકારના હોય છે. નાના દીપડાની લંબાઈ 1.5 મી. થી માંડી 2 મી. જેટલી હોય છે. જ્યારે મોટા દીપડાની લંબાઈ 2 મી. થી 3 મી. જેટલી હોય છે. ઊંચાઈ 35 સેમી.થી 50 સેમી. જેટલી અને વજન 90 કિગ્રા.થી 100 કિગ્રા. હોય છે. માદા દીપડા કરતાં નર દીપડા કદમાં મોટા અને વધુ વજન ધરાવે છે. દીપડાનો રંગ પીળાશ પડતો, હળદર જેવો હોય છે, જેના પર કાળા રંગનાં ચકરડાં જોવા મળે છે, આફ્રિકા અને એશિયાના દીપડાઓની ત્વચા પર આવેલાં આવાં ચકરડાંમાં વૈવિધ્ય રહેલું છે. ભારતીય દીપડામાં ચકરડાં નજીક નજીક હોય છે જ્યારે આફ્રિકન દીપડામાં તે થોડાં છૂટાંછવાયાં હોય છે. વસવાટ અને આબોહવાને અનુલક્ષીને તેમની ચામડીનો રંગ પણ જુદો જુદો હોય છે. દીપડાની એક જાતિ, તદ્દન કાળા રંગની હોય છે, જેને ‘મેલેનિસ્ટિક’ પ્રકાર કહે છે. તિબેટ વિસ્તારમાં શ્વેત દીપડાની જાતિ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્વચાનાં રંજકદ્રવ્યોની હાજરી કે ગેરહાજરીને અનુલક્ષીને દીપડામાં શ્યામવર્ણ કે રંગહીનતા જોવા મળે છે.

સામાન્ય રીતે દીપડો એકાકી જીવન ગુજારે છે. સમૂહજીવન તેને પસંદ નથી. દીપડો બુદ્ધિશાળી, વિચારશીલ, ચપળ અને સ્ફૂર્તિવાળું પ્રાણી છે. તેની શ્રવણશક્તિ અને ગંધગ્રહણશક્તિ તીવ્ર હોય છે. દીપડાઓ ખાસ કરીને લીલીછમ ઝાડીયુક્ત ગીચ જંગલમાં પોતાનો વસવાટ પસંદ કરે છે. કુદરતી ગુફા, નાળાં કે આસપાસ ઘાસ ઊગેલું હોય ત્યાં છીછરો ખાડો બનાવે છે. તેથી તે ગરમી સહેલાઈથી સહન કરી શકે છે. ખુલ્લા મેદાન કે પહાડી વિસ્તારમાં પણ તે રહી શકે છે. આથી દીપડો દિવસે પણ શિકારની શોધમાં નીકળી પડે છે. દીપડાની રાક્ષસી વૃત્તિનો જોટો નહીં મળે. વાઘ કે સિંહ કરતાં તેનામાં નૈસર્ગિક ક્રૂરતા અનેકગણી અધિક હોવાથી માત્ર આનંદ ખાતર 20થી 25 ઘેટાં-બકરાં સામટાં મારી નાખે છે. આવું સાહસિક પ્રાણી હોવા છતાં સ્વભાવથી તો દીપડો બીકણ જ ગણાય.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દીપડો/)

Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમ ધવન

જ. 13 જૂન 1923 અ. 7 મે, 2001

દેશભક્તિનાં ગીતો માટે જાણીતા પ્રેમ ધવનનો જન્મ હરિયાણા રાજ્યના અંબાલામાં થયો હતો. તેમણે કૉલેજનો અભ્યાસ લાહોરમાં પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓ સાથે સકિય હતા. 1946માં ખ્વાજા ખુર્શીદ અન્વરના સહાયક તરીકે તેમણે ‘આજ ઔર કલ’ ફિલ્મમાં કામ શરૂ કર્યું, પણ પછી ભાગલાના કારણે તેઓ મુંબઈ આવીને ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન સાથે જોડાયા. અહીં તેમણે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર રવિશંકર પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક ઝડપી લીધી. ‘ધરતી કે લાલ’ ગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ રહી. તેમણે ‘તરાના’, ‘કાબુલીવાલા’, ‘આસમાન’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ વગેરે જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં. ‘શહીદ’ (1965) ફિલ્મમાં મનોજકુમારના અભિનય સાથે પ્રેમ ધવન દ્વારા લિખિત અને સંગીત સર્જિત ગીતોએ ખૂબ રંગ જમાવ્યો. ‘એ વતન એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ જેવાં ગીતોને ખૂબ લોકપ્રિયતા સાંપડી. ‘પવિત્ર પાપી’ (1970) અને ‘નાનક દુઃખિયા સબ સંસાર’માં તેમની સંગીતકાર તરીકેની પ્રતિભા ઝળકી ઊઠી. સંગીતકાર અને ગીતકાર તરીકેની બેવડી કારકિર્દી ઉપરાંત તેમણે ‘લાજવાબ’ (1950) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’(1959)માં અભિનય કર્યો. ‘નયા દૌર’ (1957) અને અન્ય સાતેક ફિલ્મોમાં તેમણે નૃત્યદિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ગીતકાર તરીકે તમિલ ફિલ્મ ‘અપૂર્વ સગોધરાગલ’(1989)ની હિન્દી આવૃત્તિ ‘અપ્પુ રાજા’ તેમની અંતિમ ફિલ્મ રહી. હિન્દી સિનેમામાં લગભગ ચાર દાયકા જેટલો કાર્યકાળ ધરાવતા આ કલાકારને ભારત સરકાર તરફથી 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં શ્રેષ્ઠ ગીતો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમ ધવન

જ. 13 જૂન 1923 અ. 7 મે, 2001

દેશભક્તિનાં ગીતો માટે જાણીતા પ્રેમ ધવનનો જન્મ હરિયાણા રાજ્યના અંબાલામાં થયો હતો. તેમણે કૉલેજનો અભ્યાસ લાહોરમાં પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓ સાથે સકિય હતા. 1946માં ખ્વાજા ખુર્શીદ અન્વરના સહાયક તરીકે તેમણે ‘આજ ઔર કલ’ ફિલ્મમાં કામ શરૂ કર્યું, પણ પછી ભાગલાના કારણે તેઓ મુંબઈ આવીને ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન સાથે જોડાયા. અહીં તેમણે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર રવિશંકર પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક ઝડપી લીધી. ‘ધરતી કે લાલ’ ગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ રહી. તેમણે ‘તરાના’, ‘કાબુલીવાલા’, ‘આસમાન’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ વગેરે જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં. ‘શહીદ’ (1965) ફિલ્મમાં મનોજકુમારના અભિનય સાથે પ્રેમ ધવન દ્વારા લિખિત અને સંગીત સર્જિત ગીતોએ ખૂબ રંગ જમાવ્યો. ‘એ વતન એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ જેવાં ગીતોને ખૂબ લોકપ્રિયતા સાંપડી. ‘પવિત્ર પાપી’ (1970) અને ‘નાનક દુઃખિયા સબ સંસાર’માં તેમની સંગીતકાર તરીકેની પ્રતિભા ઝળકી ઊઠી. સંગીતકાર અને ગીતકાર તરીકેની બેવડી કારકિર્દી ઉપરાંત તેમણે ‘લાજવાબ’ (1950) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’(1959)માં અભિનય કર્યો. ‘નયા દૌર’ (1957) અને અન્ય સાતેક ફિલ્મોમાં તેમણે નૃત્યદિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ગીતકાર તરીકે તમિલ ફિલ્મ ‘અપૂર્વ સગોધરાગલ’(1989)ની હિન્દી આવૃત્તિ ‘અપ્પુ રાજા’ તેમની અંતિમ ફિલ્મ રહી. હિન્દી સિનેમામાં લગભગ ચાર દાયકા જેટલો કાર્યકાળ ધરાવતા આ કલાકારને ભારત સરકાર તરફથી 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં શ્રેષ્ઠ ગીતો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.