આદિવાસી


જે તે પ્રદેશના મૂળ વતનીઓ. આદિવાસીઓ દેશની સંસ્કૃતિના એક ભાગરૂપ છે. તેઓ મુખ્યત્વે પહાડો અને જંગલોમાં વસતા આવ્યા છે; તેથી તેમને ગિરિજનો, વનવાસી, વનફૂલ, આદિવાસી, ‘પ્રિમિટિવ્ઝ’ વગેરે નામોથી ઓળખવામાં આવ્યા છે. ભારત સરકારે અલ્પ કે ઓછા વિકસિત સમુદાયોની જે યાદી તૈયાર કરી હતી તેમાં તેમને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે; તેથી તેઓ ‘અનુસૂચિત જનજાતિ’ના કહેવાયા. દેશમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબ સિવાય બધાં રાજ્યોમાં તેમની ઓછીવત્તી વસ્તી છે. દેશમાં આજે તેમની ૪૧૪ જેટલી જાતિઓ છે. ભારતના આદિવાસીઓને પોતાનો ધર્મ છે; જે પ્રકૃતિપૂજા, ગોત્રચિહ્ન, ગૂઢ આત્મવાદ, જાદુ, માનતા, મંત્ર-તંત્ર, ભગત-ભૂવા, ભૂત-પ્રેત, પિતૃપૂજા વગેરે પર આધારિત છે. પ્રકૃતિપૂજામાં તેઓ માને છે. ધરતી, પહાડ, ઝાડ, સૂર્ય, ચંદ્ર, વરસાદ વગેરેમાં તેઓ ગૂઢ શક્તિ હોવાનું માને છે. દુ:ખ, આફત, દુષ્કાળ, પૂર, વિનાશ, રોગચાળો, મરણ વગેરે પ્રકૃતિનાં તત્ત્વો નાખુશ થવાથી થાય છે એમ તેઓ માને છે; તેથી બલિ-ભોગ વગેરે દ્વારા તેમને ખુશ રાખવા પૂજા વગેરે કરે છે.

દેવતાની પૂજા કરતા આદિવાસીઓ   ભાંગોરિયા જાતિનું આદિવાસી નૃત્ય

મોટા ભાગના આદિવાસીઓને તેમના સમુદાયનાં સંચાલન અને નિયંત્રણ માટે તેમનાં પોતાનાં પરંપરાગત જ્ઞાતિપંચો હોય છે. આઝાદી પછી રાજકીય પક્ષો અને ચૂંટણીઓના પરિણામે રાજકીય સભાનતા અને હક્કોની સભાનતા તેઓમાં વધી છે. મિશનરીઓના સંપર્કના કારણે તેઓમાં ખ્રિસ્તીકરણ વધ્યું છે. પરિણામે ઈશુની માન્યતા, હિંદુ દેવ-દેવીઓની માન્યતાઓ, પૂજાવિધિ વગેરેમાં તેની અસર દેખાય છે. ગુજરાતના આદિવાસીઓ : ગુજરાત આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારાં રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી છે. ઉત્તરે અંબાજીથી દક્ષિણના ઉમરગામ સુધીની સળંગ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આદિવાસીઓ વસે છે. તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય વિસ્તારોમાં છૂટીછવાઈ આદિવાસી વસ્તી જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આદિવાસી, પૃ. 105)