જ. 24 મે, 1899 અ. 29 ઑગસ્ટ, 1976

બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ, લેખક, નાટ્યકાર, સંગીતકાર, સૈનિક અને ફિલ્મ અભિનેતા નઝરુલ ઇસ્લામનો જન્મ બંગાળ પ્રેસિડેન્સીના ચુરુલિયામાં થયો હતો. તેમણે મદરેસામાં કુરાન, હદીસ, ઇસ્લામિક ફિલસૂફી અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓ ‘લેટોર ડોલ’માં જોડાયા. અભિનય શીખ્યા. નાટકો માટે ગીતો અને કવિતાઓ લખી. તેમણે ‘ચાશા શોંગ’, ‘શેકુનીબોધ’, ‘રાજા યુધિષ્ઠિરેર શોંગ’, ‘દાતા કોર્ણો’, ‘અકબર બાદશાહ’, ‘કોબી કાલિદાસ’ વગેરે લોકનાટકો લખ્યાં. 1917માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની 49મી બંગાળ રેજિમેન્ટમાં જોડાયા. તેમને કરાંચી છાવણીમાં મૂકવામાં આવ્યા. તેમણે ત્યાં પંજાબી મૌલવી પાસેથી પર્શિયન કવિતા શીખી. 1920માં બંગાળ રેજિમેન્ટને વિખેરી નાખતાં કૉલકાતામાં સ્થાયી થયા. 1920માં તેમની પ્રથમ નવલકથા ‘બંધન-હારા’ પ્રકાશિત થઈ. તેમણે ‘ધૂમકેતુ’ નામનું દ્વિ-સાપ્તાહિક સામયિક શરૂ કર્યું હતું. પોલીસે ‘ધૂમકેતુ’ની ઑફિસ પર દરોડા પાડી તેમની ધરપકડ કરી હતી. તેમણે જેલમાં બ્રિટિશ જેલ સુપરિટેન્ડેન્ટના દુર્વ્યવહારના વિરોધમાં 40 દિવસના ઉપવાસ કર્યા હતા. તેમણે જેલવાસ દરમિયાન કવિતાઓ અને ગીતોની રચના કરી હતી. તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ હતા. તેમને ‘બિદ્રોહી કવિ’નું બિરુદ મળ્યું. તેમનાં ગીતો ‘નઝરુલ ગીતી’ તરીકે ઓળખાય છે. તેમણે 500થી વધુ હિંદુ ભક્તિગીતો લખ્યાં છે. તેમની કવિતાનો અંગ્રેજી, સ્પૅનિશ અને પોર્ટુગીઝ ભાષાઓમાં અનુવાદ થયો છે. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘ધ્રુવ ભક્ત’ હતી. તેમાં અભિનેતા, ગાયક, સંગીતનિર્દેશક તરીકે કામ કર્યું હતું. તેમનું અવસાન થયું ત્યારે ભારતની સંસદે તેમના માનમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. બાંગ્લાદેશ સરકારે 1972માં તેમને ‘રાષ્ટ્રીય કવિ’નો દરજ્જો આપ્યો હતો. તેમને 1945માં કલકત્તા યુનિવર્સિટી દ્વારા ‘જગત્તારિણી સુવર્ણચંદ્રક’ અને 1960માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. તેમને 1974માં ઢાકા યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લિટ. અને 1976માં ‘એકુશે પદક’ એનાયત કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં માર્ગો, યુનિવર્સિટીઓ, કૉલેજો, સંસ્થાઓ, પુસ્તકાલયો, ઍરપૉર્ટ, સ્ટેશન વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીમાં તેમના નામ પર એક ખુરશીનું નામ આપવામાં આવ્યું છે.
અનિલ રાવલ
