મણિબહેન પટેલ


જ. 3 એપ્રિલ, 1903 અ. 26 માર્ચ, 1990

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલનાં પુત્રી મણિબહેનનો જન્મ કરમસદમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બોરસદની પ્રાથમિક શાળામાં થયું. પછી મુંબઈની ક્વીન મેરી હાઈસ્કૂલ અને કૉન્વેન્ટમાં અભ્યાસ કર્યો. વલ્લભભાઈ વિદેશથી આવી અમદાવાદમાં સ્થાયી થયા. મણિબહેનને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૂકવામાં આવ્યાં. 1920માં અસહકારના આંદોલનને લીધે શાળા છોડી, પરંતુ ફરીથી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ભાષાવિશારદ થયાં તેમજ વિનીત પરીક્ષા પાસ કરી. સત્યાગ્રહ આશ્રમમાં રહેતાં હતાં ત્યારે કાંતવા-પીંજવાની સ્પર્ધાઓમાં ઇનામો મેળવ્યાં હતાં. પિતાની સાથે સ્વતંત્રતાની લડતમાં જોડાયાં. તેમણે અસહકારના આંદોલન તેમજ મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેઓ ઘણી વખત જેલમાં રહ્યાં હતાં. 1942માં યરવડા સેન્ટ્રલ જેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. 1930થી પિતાના અંગત સચિવ તરીકે કામ કર્યું. રસોઈ અને સફાઈથી લઈને વલ્લભભાઈની મિટિંગો અને પત્રવ્યવહાર સુધીનાં બધા કામો તેમણે કર્યાં. વલ્લભભાઈ મણિબહેને કાંતેલ ખાદીમાંથી બનેલાં વસ્ત્રો પહેરતા. તેમનું જીવન સાદગીસભર હતું. તેઓ હંમેશાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં. તેઓ 1952માં દક્ષિણ ખેડાની અને 1957માં આણંદની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયાં. 1962માં આણંદની બેઠક પરથી હાર્યાં. એ પછી 1973માં સાબરકાંઠાની અને 1977માં મહેસાણાની બેઠક પરથી લોકસભાનાં સભ્ય ચૂંટાયાં. 1964થી 1970 સુધી રાજ્યસભાનાં સભ્ય હતાં. તેઓ 1954થી 1964 સુધી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ હતાં. તેઓ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની સંચાલક સમિતિનાં સભ્ય તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડનાં સભ્ય હતાં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ, બારડોલી સ્વરાજ આશ્રમ ટ્રસ્ટ, મહાદેવ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી હતાં. તેમણે ‘કસ્તૂરબા : વાણી અને વિચાર’ તથા ‘બોરસદ સત્યાગ્રહ’ પુસ્તકો લખ્યાં છે. ‘મણિબહેનને પત્રો’ તથા ‘સરદાર વલ્લભભાઈ પટેલને પત્રો’ સંપાદિત ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત ‘સરદાર્સ કૉરસ્પૉન્ડન્સ’(10 ગ્રંથો)નું સંપાદન કર્યું છે. એમનું પુસ્તક ‘ઇન્સાઇડ સ્ટોરી ઑવ્ સરદાર પટેલ : ધ ડાયરી ઑવ્ મણિબહેન પટેલ 1936-50’ ખાસ ઉલ્લેખનીય છે.