બુદ્ધિના આધારે અને તર્કના સહારે બધી બાબતોનું પૃથક્કરણ કરીને જીવનના મહત્ત્વના નિર્ણયો કરનાર એક મહત્ત્વની વાત ચૂકી જાય છે. વ્યક્તિના ચિત્તમાં એવી કેટલીય વિગતો અને માહિતી પડેલી હોય છે કે જેને એ પૃથક્કરણના ચીપિયાથી પકડી શકતી નથી. આથી કોઈ પણ નિર્ણય ગમે તેટલો તાર્કિક લાગે, તોપણ વ્યક્તિએ થોડો સમય થોભીને એ અંગે વિચાર કરવો જોઈએ અને એ તપાસ કરવી જોઈએ કે આ નિર્ણય મારા ચિત્તની એકાગ્રતાને આધારે લેવાયેલો નિર્ણય છે કે નહીં ? આવો નિર્ણય કાગળ પર નોંધીને એ વિશે થોડો સમય એના પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચારવું જોઈએ. એ પછી ભીતરમાંથી કોઈ અવાજ આવે તો તે એકાગ્ર ચિત્તે સાંભળવો જોઈએ. આ આખીય પ્રક્રિયાનું કારણ એટલું જ કે તર્કના માપદંડથી જ નિર્ણય લેવા જતાં અંત:પ્રેરણા ચૂકી જવાય છે. આવી અંત:પ્રેરણા વ્યક્તિને એક નવી દિશા આપે છે. વિશ્વની મહાન વૈજ્ઞાનિક શોધો અને મહત્ત્વના ઐતિહાસિક નિર્ણયો હકીકતે આવી અંત:પ્રેરણાને આધારે જ થયા છે. આને તમે પ્રેરણા કહો, સ્ફુરણા કહો, અંત:પ્રેરણા કહો કે આત્માનો અવાજ કહો; પરંતુ આ બધી બાબતમાં તમારામાં રહેલી એક પ્રબળ શક્તિની ઓળખ આપે છે અને જો એ અંત:પ્રેરણાની શક્તિનો યોગ્ય કેળવણીથી વિકાસ કરવામાં આવે, તો વ્યક્તિ અશક્ય લાગતી બાબતને શક્ય કરી શકે છે. મૌલિક વિચારશક્તિ દ્વારા એ અંત:પ્રેરણા પામે છે. આવી અંત:પ્રેરણા સંતને આપત્તિમાંથી બહાર નીકળવાનો નવો માર્ગ ચીંધે છે, વિજ્ઞાનીના ચિત્તમાં નવા સંશોધનનું બીજ રોપે છે, ઉદ્યોગપતિ હોય તો એને નવા પ્રકારના ઉદ્યોગસાહસનો વિચાર આપે છે. આવી અંત:પ્રેરણા એ વ્યક્તિને મૌલિક દર્શનથી પ્રગતિના નવા આયામો શોધી આપે છે.
કુમારપાળ દેસાઈ