એન્થની વાન ડાઇક


જ. ૨૨ માર્ચ, ૧૫૯૯ અ. ૯ ડિસેમ્બર, ૧૬૪૧

સર એન્થની વાન ડાઇક એક લેમિશ બારોક ચિત્રકાર હતા; જે સ્પેન, નેધરલૅન્ડ્સ અને ઇટાલીમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી ઇંગ્લૅન્ડમાં ટોચના પૉર્ટ્રેટ ચિત્રકાર બન્યા હતા. તેમના પિતા એન્ટવર્પમાં રેશમના એક શ્રીમંત  વેપારી હતા. તેઓ પિતાનાં ૧૨ સંતાનોમાંનું સાતમું સંતાન હતા અને તેમણે નાનપણથી જ ચિત્રકામ શરૂ કર્યું હતું. કિશોરાવસ્થાના અંતમાં તેઓ સ્વતંત્ર ચિત્રકાર તરીકે સફળ થયા હતા. એન્થની વાન ડાઇક ૧૮ ઑક્ટોબર, ૧૬૧૭ના રોજ એન્ટવર્પ ગિલ્ડમાં માસ્ટર બન્યા હતા. તે સમયના અગ્રણી ચિત્રકાર પીટર પોલ રુબેન્સના સ્ટુડિયોમાં તેઓ કામ કરતા હતા, જેમનો એમની ચિત્રકલા પર મોટો પ્રભાવ પડ્યો હતો. ૧૬૨૦ના દાયકાના અંતમાં પ્રખ્યાત સમકાલીન લોકોનાં પૉર્ટ્રેટ ચીતરવાની તેમની કલા ખૂબ જ પ્રશંસા પામેલી આઇકોનોગ્રાફી શ્રેણી તેમણે પૂર્ણ કરી હતી. ૧૬૩૦થી ફ્લેન્ડર્સના હેબ્સબર્ગ ગવર્નર આર્ચડચેસ ઇસાબેલા માટે તેમણે કોર્ટ ચિત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. ૧૬૩૨માં ઇંગ્લૅન્ડના ચાર્લ્સ પ્રથમની વિનંતીને માન આપીને મુખ્ય દરબારી ચિત્રકાર તરીકે લંડન પાછા ફર્યા હતા. હોબ્લીન સિવાય વાન ડાઇક અને તેમના સમકાલીન ડિએગો વેલાઝક્વેઝ એવા પ્રથમ પંક્તિના ચિત્રકારો હતા જેમણે મુખ્યત્વે કોર્ટ પૉર્ટ્રેટિસ્ટ તરીકે કામ કર્યું હતું, જેનાથી એ શૈલીમાં મોટી ક્રાંતિ આવી હતી. વાન ડાઇક કુલીન વર્ગનાં ચિત્રો માટે જાણીતા છે. ૧૫૦ વર્ષથી વધુ સમય સુધી અંગ્રેજી પૉર્ટ્રેટ-પેઇન્ટિંગ પર તેમનો પ્રભાવ રહ્યો હતો. તેમણે પૌરાણિક, રૂપકાત્મક અને બાઇબલના વિષયો પર પણ ચિત્રો દોર્યાં હતાં. એન્થની વાન ડાઇકનો પ્રભાવ આધુનિક સમયગાળા સુધી વિસ્તરે છે. હાલમાં પ્રચલિત વાન ડાઇક દાઢીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન ચાર્લ્સ પ્રથમે તેમને ‘નાઇટહુડ’નો ઇલકાબ આપ્યો હતો.

અશ્વિન આણદાણી