જ. ૨૫ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૪ ઑગસ્ટ, ૧૯૮૮

ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશપદે રહી ચૂકેલ કૈલાસનાથ વાંછુનો જન્મ અલાહાબાદમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મધ્યપ્રદેશના નૌગોંગમાં અને માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ પંડિત પીર્થીનાથ હાઈસ્કૂલ, કાનપુર, મુઇર સેન્ટ્રલ કૉલેજ, અલાહાબાદ અને વાઘમ કૉલેજ, ઑક્સફર્ડથી પ્રાપ્ત કર્યું હતું. કૈલાસનાથ વાંછુ ૧ ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ ઉત્તરપ્રદેશમાં જૉઇન્ટ મૅજિસ્ટ્રેટ તરીકે ભારતીય સિવિલ સર્વિસમાં જોડાયા હતા. અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ફેબ્રુઆરી, ૧૯૪૭થી જાન્યુઆરી ૧૯૫૧ સુધી સેવા આપ્યા બાદ ૧૯૫૧થી ૧૯૫૮ સુધી રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો સૌથી લાંબા સમય સુધી તેમણે હોદ્દો ગ્રહણ કર્યો હતો. સમયાંતરે તેઓ ૧૯૫૦-૫૧માં ઉત્તરપ્રદેશ ન્યાયિક સુધારણા સમિતિના અધ્યક્ષપદે પણ હતા. ૧૯૫૪માં ફાયરિંગ ઇન્ક્વાયરી કમિશનના એકમાત્ર સભ્ય તરીકે સ્થાન શોભાવ્યા બાદ ૧૯૫૫માં તેઓ ધોલપુર ઉત્તરાધિકારી કેસ કમિશનના અધ્યક્ષસ્થાને અને કાયદા પંચના સભ્ય તરીકે પણ ફરજ પર હતા. ૧૨ એપ્રિલ, ૧૯૬૭ના રોજ કૈલાસનાથે ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના કાર્યકાળ દરમિયાન તેમણે ૩૫૫ ચુકાદાઓ લખ્યા હતા.
અશ્વિન આણદાણી