ગુસ્સાનું માધ્યમ


અમેરિકાના મિઝુરીમાં જન્મેલા સૅમ્યુઅલ લેંગહોર્ન ક્લૅમન્સ સાહિત્યજગતમાં માર્ક ટ્વેનને નામે વિખ્યાત બન્યા. માર્ક ટ્વેને અમેરિકાના વસાહતીઓમાં ચાલી આવતી ટોળ-ટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશિષ્ટ પ્રકારનો વિનોદ સર્જ્યો. ‘ધ ઇન્સન્ટ્સ અબ્રોડ’, ‘રફિંગ ઇટ’ જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. આ વિખ્યાત હાસ્યલેખક અને નિપુણ વક્તાને ભાગ્યે જ ગુસ્સો આવતો, પરંતુ જ્યારે ગુસ્સો આવે તો એ તત્કાળ પત્ર લખવા બેસી જતા અને એમાં એ વ્યક્તિ પરનો પોતાનો સઘળો ગુસ્સો ઠાલવી દેતા. કોઈ વ્યક્તિએ એમની ટીકા કરી તો તરત જ માર્ક ટ્વેને એને સણસણતો જવાબ લખ્યો કે ‘ખબરદાર, તમે કરેલી વાત અહીં જ દબાવી દો. જો એમ નહીં કરો તો હું તમને જોઈ લઈશ. આવી જ રીતે એક વાર એક સામયિકમાં એમના લેખમાં જોડણીની અશુદ્ધિઓ રહી ગઈ. માર્ક ટ્વેન અકળાઈ ઊઠ્યા. એમણે સામયિકના તંત્રીને પત્ર લખ્યો કે, લેખ છાપતાં પૂર્વે એમણે એ જોવું જોઈએ અને ચકાસવું જોઈએ કે પ્રૂફરીડરે એ લેખની જોડણી કે વિરામચિહનો બરાબર કર્યાં છે કે નહીં અને પછી માર્ક ટ્વેને એ ગુસ્સો પ્રૂફરીડર પર ઉતારતાં તંત્રીને લખ્યું, ‘હવે પછી મારી લખેલી કૉપી પ્રમાણે તમારે મૅટર ગોઠવવું અને પ્રૂફરીડરનાં સૂચનો એના સડી ગયેલા મગજના પોલાણ સુધી જ રહે, તેનો બરાબર ખ્યાલ રાખવો.’ માર્ક ટ્વેન માટે પત્રલેખન એ ગુસ્સો ઠાલવવાનું માધ્યમ હતું. એ રીતે તેઓ પોતાના મનમાંથી ગુસ્સાની વરાળ દૂર કરતા હતા. આવા પત્રોથી કોઈ સંબંધોમાં તિરાડ પડે કે કોઈને માઠું લાગે એવું બનતું નહીં. આનું કારણ એ હતું કે આવા પત્રો પોસ્ટ થાય તે પહેલાં જ માર્ક ટ્વેનનાં પત્ની છાનાંમાનાં એ પત્રો કાઢી લેતાં, જેથી જેના પર એમણે કચકચાવીને ગુસ્સો કાઢ્યો હોય તેમના સુધી એ પત્રો પહોંચતા જ નહીં.

કુમારપાળ દેસાઈ