ગોપીનાથ મોહંતી


જ. ૨૦ એપ્રિલ, ૧૯૧૪ અ. ૧૮ ઑગસ્ટ, ૧૯૯૧

ઓડિશાના પ્રખ્યાત નવલકથાકાર, જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા. સોનેપુરમાં શાળાશિક્ષણ લીધા પછી ૧૯૩૫માં કટકની યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું. તેમની ઇચ્છા પ્રાધ્યાપક અથવા આઈ.સી.એમ. થવાની હતી પણ આર્થિક કારણોસર ઓડિશા સરકારની નોકરી સ્વીકારવી પડી. અહીં જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવી ૧૯૬૯માં નિવૃત્તિ લીધી. ત્યારબાદ ૧૯૭૦માં ઉત્કલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં યુજીસીના વિશિષ્ટ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. ૧૯૮૬માં તેમણે અમેરિકાની સાન જૉસ (San Jose) યુનિવર્સિટીમાં સમાજવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું અને અંત સમય સુધી સાન જૅસમાં જ રહ્યા. ૧૯૩૬થી તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. ૧૯૩૮માં પ્રગટ થયેલા ‘મન ગહિરર ચાસ’ નામની પ્રથમ નવલકથા પછી કુલ ૨૧ નવલકથાઓ, ૨ ચરિત્રગ્રંથો, ૮ ટૂંકી વાર્તાના સંગ્રહો, ૨ નાટકો, ૨ નિબંધસંગ્રહ ઉપરાંત ઓડિશાના આદિવાસીઓ, દલિત કોમો અને ઉપેક્ષિત જાતિઓની પરિસ્થિતિ પર આધારિત ૩ મુખ્ય નવલકથાઓ ‘પરજા’, ‘અમૃતર સંતાન’ અને ‘માતિમતાલ’ની રચના કરી. તેમના પર ફ્રોઇડના મનોવિશ્લેષણનો, રશિયન ક્રાંતિ અને ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળનો પ્રભાવ જોવા મળે છે. તેમણે ટૉલ્સ્ટૉયની ‘વૉર ઍન્ડ પીસ’નો ‘યુદ્ધ અને શાંતિ’ નામે ત્રણ ભાગમાં ૧૯૮૫-૮૬માં અનુવાદ કર્યો છે તથા ૧૯૬૫માં રવીન્દ્રનાથ ટાગોરની ‘જોગાજોગ’નો ઊડિયા ભાષામાં અનુવાદ કર્યો છે. તેમની વિપુલ સાહિત્યસેવા બદલ તેમને ૧૯૫૦માં ‘વિશ્વ મિલન’ પુરસ્કાર, ૧૯૫૫માં ‘અમૃતર સંતાન’ માટે ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૭૦માં ગૉર્કીની રચનાનો ઊડિયામાં અનુવાદ કરવા બદલ સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર, ‘માટી મતાલ’ (ધ ફરટાઇલ્ડ સોઇલ) માટે ૧૯૭૩નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ અને ૧૯૭૬માં ડી.લિટ્.ની પદવી અને ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી તેમનું બહુમાન થયેલું છે.