ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય.
ભૌગોલિક સ્થાન : તે ૨૩ ૩૫´ ઉ. અ. અને ૮૫
૩૩´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ ૩૮૦ કિમી. અને પહોળાઈ ૪૬૩ કિમી. છે. વિસ્તાર ૭૯,૭૧૬ ચો.કિમી. છે. આ જિલ્લાની કુલ વસ્તી આશરે (૨૦૨૪ મુજબ) ૪,૧૦,૭૦,૦૦૦ છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર પારસનાથ (૧૩૮૨ મી.) છે. આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ રાજ્યની આબોહવા વૈવિધ્યસભર છે. ઉત્તરના ભાગમાં ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય, અગ્નિ ભાગમાં સૂકી અનુભવાય છે. ઉનાળાની ઋતુનો સમયગાળો મધ્ય એપ્રિલથી મધ્ય જૂન ગણાય છે. મે માસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું રહે છે. જૈવવિવિધતાની દૃષ્ટિએ આ રાજ્ય સમૃદ્ધ છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે છે. આ જંગલોમાં સાલ, સીસમ, ખેર, પલાસ, ટીમરું, કુસુમ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંનાં વૃક્ષોની ઊંચાઈ ૩૦થી ૪૫ મીટર સુધી હોય છે. અહીં ગીચ જંગલોનો વિસ્તાર આશરે ૧૨,૫૦૭ ચો.કિમી. અને પાંખાં જંગલો હેઠળનો વિસ્તાર આશરે ૧૦,૪૭૦ ચો.કિમી. છે. ખેતી પણ આ રાજ્યના અર્થતંત્રમાં આગવો ફાળો આપે છે. અહીં અનેક પ્રકારના ખેતીકીય પાકો મેળવાય છે. જેમાં ડાંગર, ઘઉં, મકાઈ, કઠોળ, રાગી જેવા ધાન્ય પાકો તેમજ શેરડી, કપાસ, તમાકુ જેવા રોકડિયા પાકોની ખેતી પણ લેવાય છે. ફળોમાં પપૈયાં, કેળાં, સ્ટ્રોબેરી, કેરી વગેરેની ખેતી લેવાય છે. અહીંનાં જંગલોમાં ૯૭ જેટલી પ્રજાતિનાં વૃક્ષો અને છોડવા આવેલાં છે જ્યારે કાંટાળી અને ઔષધિવાળી વનસ્પતિની ૪૬ પ્રજાતિ શોધાઈ છે. ૨૫ પ્રકારના વેલા અને ૧૭ પ્રકારના ઘાસ-વાંસ છે. જ્યારે ૩૯ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, ૮ પ્રકારના સાપ, ૪ પ્રકારની ઘો, ૨૧ પ્રકારનાં પતંગિયાં, કીડા, મંકોડા અને ૧૭૦ પ્રકારનાં પક્ષીઓ વસે છે. જેમાં ‘પાલામઉ વાઘ અભયારણ્ય’ અને ‘દાલમા વન્યજીવ અભયારણ્ય’ મુખ્ય છે. રાંચી પાસે ‘મુટા મગર સંવર્ધન કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવી છે.

ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ(TISCO)નું કારખાનું
અર્થતંત્ર : આ રાજ્યે ખનિજોની વિવિધતા અને જથ્થાની દૃષ્ટિએ ભારતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લોહઅયસ્ક અને કોલસાના વિપુલ અનામત જથ્થાને કારણે જમશેદપુર, ધનબાદ, બોકારો અને રાંચીમાં મહત્ત્વના ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. જમશેદપુરમાં ખાનગી ક્ષેત્રનું જાણીતું ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ(TISCO)નું કારખાનું કાર્યરત છે. પરિવહન – પ્રવાસન : આ રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્યના ધોરી માર્ગોનું ગીચ જાળું પથરાયેલું છે. રેલમાર્ગોની પણ સુવિધા આ રાજ્ય ધરાવે છે. આ રાજ્યનું સૌથી મોટું આંતરદેશીય હવાઈ મથક ‘બીરસા મુન્ડા’ છે. જે દિલ્હી, કૉલકાતા, બૅંગાલુરુ, મુંબઈ, હૈદરાબાદ વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. ઝારખંડ જળધોધ, ડુંગરો અને પવિત્ર ધાર્મિક સ્થાનો માટે જાણીતું છે. ઈટખોરી જે હિન્દુઓનું, બૌદ્ધોનું અને જૈનોનું પવિત્ર સ્થળ મનાય છે. અહીં અનેક નાનામોટા જળધોધ આવેલા છે. જેમાં જ્હોના ધોધ, હુન્ડરુ ધોધ, દસ્સામ ધોધ, પેરવાગહાગહા (perwaghagh) ધોધ વધુ મહત્ત્વના લેખાય છે. જેમાં બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન, ડાલ્ફા વન્યજીવ અભયારણ્ય જોવા પ્રવાસીઓ વધુ આકર્ષાય છે.
નીતિન કોઠારી, બાલકૃષ્ણ માધવરાવ મૂળે, રક્ષા મ. વ્યાસ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝારખંડ, પૃ. 134)
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી