ડૉ. ધનંજય રામચંદ્ર ગાડગીલ


જ. ૧૦ એપ્રિલ, ૧૯૦૧ અ. ૩ મે, ૧૯૭૧

ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. તેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. બાળપણ નાગપુરમાં વીત્યું. તેમણે ૧૯૧૪માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને ૧૯૧૮માં ઉચ્ચશિક્ષણ માટે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને  અર્થશાસ્ત્ર વિષયમાં પદવી પ્રાપ્ત કરી. તેમણે ‘ઇન્ડસ્ટ્રિયલ ઇવૉલૂશન ઇન ઇન્ડિયા ઇન રિસન્ટ ટાઇમ્સ’ શીર્ષક નીચે શોધપ્રબંધ લખ્યો એ પુસ્તક રૂપે વર્ષો સુધી ભારતના આર્થિક ઇતિહાસનું પ્રમાણભૂત પાઠ્યપુસ્તક રહ્યું હતું.

૧૯૨૩માં તેઓ ભારત પાછા ફર્યા. તેમણે સૂરતની એમ.ટી.બી. કૉલેજના આચાર્ય તરીકે કારકિર્દીનો આરંભ કર્યો.

તેઓ ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પોલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સના પ્રથમ નિયામક થયા. ગાડગીલ સંખ્યાબંધ સહકારી સંગઠનો સાથે સભ્ય કે અધ્યક્ષ તરીકે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે સહકારી ધોરણે ખાંડનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું. ભારતના આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે તેમણે યાદગાર ભૂમિકા ભજવી. તેમના અંગત જીવનમાં તે સાદા અને શિસ્તબદ્ધ હતા અને નીતિ તથા ધર્મની બાબતમાં ભારે ઉદામવાદી વિચારો ધરાવતા હતા. તેમના અવસાન પછી 1972માં નાગપુરમાં ધનંજયરાવ ગાડગીલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કો-ઑપરેટિવ મૅનેજમેન્ટ (DGICM) શરૂ કરવામાં આવી. ભારત સરકારે તેમના સન્માનમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી. કોઈ અર્થશાસ્ત્રીના નામની ટિકિટ બહાર પડી હોય તેવો ભારતમાં આ પહેલો બનાવ છે.