જ. 2 જાન્યુઆરી, 1933 અ. 26 ડિસેમ્બર, 2017

ભારતીય લોકશાહીના લડવૈયા, વનસ્પતિશાસ્ત્રી અને કેળવણીકાર દેવેન્દ્રપ્રસાદનો જન્મ બિહારમાં થયો હતો. તેમણે 1942માં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો હતો. જેને પરિણામે તેમના અભ્યાસમાં થોડાંક વર્ષો માટે રુકાવટ આવી ગઈ હતી. 11 વર્ષની નાની વયે તેઓ કૉંગ્રેસ સેવાદળના 1944થી 1947ના સભ્ય બન્યા હતા, જેમાં તેમને સ્વયંસેવકની તાલીમ મળી હતી અને તેઓ એક યુનિટના આગેવાન બન્યા હતા. 1942માં મહેશખુંટ ખાતે તેમને ડાબા પગની એડીમાં બંદૂકની ગોળી વાગવાથી ઈજા થઈ અને બે મહિના આરામ કરવો પડ્યો. તેમણે શાળામાં ત્રિરંગો લહેરાવ્યો હતો અને ‘હિંદ છોડો’ના કાર્યક્રમમાં ભાગ લીધો, આથી તેમણે શહેર છોડવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે રાંચી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ લંડનમાં અભ્યાસ કર્યો. તેઓ રાંચી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થયા. ત્યારબાદ તેમણે આદિવાસી અને પછાત વર્ગના ઉત્કર્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમણે પોતાની કારકિર્દી એક ડેમૉન્સ્ટ્રેટર તરીકે શરૂ કરી અને ત્યારબાદ તેઓ પ્રગતિ કરતા ગયા અને છેવટે યુનિવર્સિટીના પ્રિન્સિપાલ થયા. તેમણે બીજા બે પ્રોફેસરોની મદદથી માઇક્રોબાયૉલૉજી અને વનસ્પતિ પૅથૉલૉજીની શાખાઓ શરૂ કરી. વિદેશમાં તેઓ ઘણી બધી આંતરરાષ્ટ્રીય કન્વેનશન સાથે જોડાયેલા હતા અને તેમાં ભાગ લેતા હતા. તેઓએ ત્રીજી આંતરરાષ્ટ્રીય સિમ્પોસિયમ જે ઇટાલીમાં યોજાઈ હતી તેમાં પોતાનો ફાળો આપ્યો હતો. ત્યારબાદ તેઓ ન્યૂ દિલ્હીના ભારતીય ફાયટોપૅથૉલૉજિકલ સોસાયટીના કાઉન્સિલર હતા અને બિહાર એજ્યુકેશન કાઉન્સિલ(ભારત)ના સભ્ય હતા. નિવૃત્તિ લીધા બાદ તેઓ બીથની યુનિવર્સિટી, કૅલિફૉર્નિયાના પ્રમુખ તેમજ સંશોધક થયા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે.
અંજના ભગવતી
